Sunday, October 23, 2022

મહેફિલ હેમંતકુમાર અને વી. બલસારાની

ગીતો માણતો થયો ત્યાં સુધીમાં ગમતા ગાયકો-સંગીતકારોમાંથી મોટા ભાગના સિધાવી ગયા હતા. એ અર્થમાં ક્યારેક લાગે કે હું મોડો પડ્યો. બાકી, તેમને મળી શકાયું હોત. કદાચ કોઈક રીતે, તેમની એકાદ અનૌપચારિક મહેફિલમાં બેસવા મળ્યું હોત અને આજીવન યાદ રહી જાય એવી રસવર્ષામાં તરબોળ થયો હોત. 

તે વસવસો જરાતરા હળવો થાય એવી કેટલીક મહેફિલોમાં બેસવા મળ્યું, એને જીવનની ચરમ સફળતાઓમાં ગણું છું. 1992 કે 1993માં ફિલ્મસંગીતના ગુરુ નલિન શાહ સાથે પૂના જવા મળ્યું. ઉંમર માંડ એકવીસ-બાવીસની. શાસ્ત્રીય સંગીતમાં સમજ ત્યારે પણ ન પડે ને હજુ પણ નથી પડતી. છતાં, ફિલ્મસંગીતમાં બીરેન ને હું ઘાયલ. એ અવસ્થા અને માનસિકતામાં, પૂનાની એક સાંજે, સંગીતકાર રામ કદમના ઘરે મહેફિલ જામી. 

નલિનભાઈ, તેમના એલઆઇસીના યુવાન મિત્ર રણજિત કુલકર્ણી, બીજા એકાદ ભાઈ હતા અને હું. આટલા જ લોકો. રામ કદમે શાંતારામની મરાઠી ફિલ્મ 'પિંજરા' માં આપેલું સંગીત બહુ જાણીતું બન્યું હતું. પણ તે સાંજની મહેફિલ રામ કદમના સંગીત વિશે નહીં, મુખ્યત્વે 1940ના દાયકાના સંગીત વિશેની હતી. રામ કદમ પેટી (હાર્મોનિયમ) લઈને બેઠા હતા. અમે તેમને વીંટળાઈને બેઠા. 

રામ કદમે થોડા વખત માટે 1940ના દાયકાના વિખ્યાત સંગીતકાર-ગાયક રફીક ગઝનવી સાથે કામ કર્યું હતું. રફીક ગઝનવી વિશે મંટોએ લાંબું પ્રકરણ લખ્યું છે. (દસ્તાવેજ ભાગ-5, પાનાં 95-114) પણ ત્યારે એ વાંચ્યું ન હતું. મનમાં રફીક ગઝનવીની ઓળખ જૂની 'લૈલા મજનૂ'ના સંગીતકાર તરીકેની હતી. અમારી વ્યાખ્યા પ્રમાણેની 'જૂની' એટલે 1976ની નહી, 1945ની. મદન મોહનની નહીં, રફીક ગઝનવીની. તેનાં કેટલાંક ગીતની કેસેટ નલિનભાઈ પાસેથી મળી હતી અને તે બહુ ગમ્યાં હતાં. જા રહા હૈ કારવાં યે ઝિંદગી કા કારવાં, તુમ્હારી જાને તમન્ના સલામ કરતી હૈ-- જેવાં ગીત આજે પણ સાંભળીને રોમાંચ થાય છે. 

એ ફિલ્મમાં રફીક ગઝનવીએ પોતે એક ગીત ગાયું હતું, 'ઓ જાનેવાલે રાહી, મુઝકો ન ભૂલ જાના'. તેની ધૂન જરા પેચીદી હતી. ગાવામાં શાસ્ત્રીય ઉસ્તાદી માગી લે એવી. રામ કદમે તેમના હાર્મોનિયમ પર એ ગીત છેડ્યું અને સાથે, કેવળ સૂર પુરાવવા પૂરતું, ગાવાનું શરૂ કર્યું. ગાતા જાય, હાથ પેટી પર ફરતો જાય અને વચ્ચે વચ્ચે ગાવાનું રોકીને, એ ગીતમાં રફીક ગઝનવીએ કયા સૂર ક્યાં ને શા માટે લગાડ્યા છે, તેની વાત કરતા જાય. સાંભળીને એવું લાગે, જાણે બસ, દુનિયામાં બધું અટકી જાય ને આ ચાલ્યા જ કરે...ચાલ્યા જ કરે...

ગીતની વાત થાય એટલે શબ્દોની પણ ચર્ચા થાય. ગીતની બીજી લીટી હતી, 'મહમિલ કો જરા રોકો, સુન લો મેરા ફસાના'. તેમાં લોકજીભે 'મહમિલ'ને બદલે 'મહફિલ' ચડેલું. પાછી રોકવાની વાત. એટલે મહેફિલ રોકવાનું બંધ બેસે. તે વખતે નલિનભાઈએ કહ્યું કે મહમિલ એટલે ડોલી. લૈલા ડોલીમાં જઈ રહી છે અને મજનુ તેને થોભવા કહે છે. (આ લખતી વખતે મહમિલનો અર્થ તપાસી જોયો. ઊંટ પર મુકવાની અંબાડી અથવા ડોલી, જેમાં સ્ત્રીઓ બેસે છે.)

બીજી સાંજે રામ કદમને ફરી મળવાનું હતું. મેં નલિનભાઈને લગભગ દુરાગ્રહ કરીને એ બેઠકના રેકોર્ડિંગની વ્યવસ્થા માટે કહ્યું. તેમણે મહાપરાણે એકાદ પ્લેયર-કમ-રેકોર્ડરનો બંદોબસ્ત કર્યો. પણ પહોંચ્યા પછી જામનો દૌર શરૂ થયો. નલિનભાઈએ આગલા દિવસનો તંતુ આગળ વધારવા પ્રયાસ કર્યો, ત્યારે રામ કદમે હાથમાં પકડેલો પ્યાલો બતાવીને કહ્યું, "આને સ્પર્શ્યા પછી હું પેટીને અડતો નથી."

***

'સેહરા', 'ગીત ગાયા પથ્થરોંને' જેવી ફિલ્મોમાં યાદગાર ગીતો આપનાર, વિસરાયેલા અને બેહાલીમાં જીવતા સંગીતકાર રામલાલને 2003માં મળવાનું થયું. અઢી-ત્રણ કલાકની મુલાકાતમાં જીવનચરિત્રાત્મક વિગતો ઉપરાંત ગીતોની અને જુદાં જુદાં ગીતોમાં તેમણે વગાડેલી શરણાઈની વાત થઈ. ત્યારે તેમણે 'સેહરા'નાં ગમતાં ગીતો વિશે, તેમાં વાગેલાં વાદ્યો અને વાદ્યકારો વિશે થોડી વાત કરી હતી અને તે ગીતો પોતે ગાઈ પણ બતાવતા હતા.  એક ઓરડીમાં રહેતા એ સંગીતકારની સાથે મહેફિલ તો થઈ ન કહેવાય, પણ જ્યારે ગીતોની વાત ચાલતી અને તે ગાતા હતા, ત્યારે આસપાસની ઘેરી કરુણતા બે ઘડી વિસારે પડી જતી હતી. 

થોડાં વર્ષ પછી, રજનીકુમાર પંડ્યાના પ્રયાસોને કારણે, વિખ્યાત ભજનગાયિકા જુથિકા રોયની આત્મકથાનું ગુજરાતી પ્રકાશન અને તેમનું સન્માન અમદાવાદમાં શક્ય બન્યાં. કાર્યક્રમમાં જુથિકા રોય બે-ત્રણ ગીત ગાવાનાં હતાં. તેની તૈયારી વખતે અમે થોડા લોકો સાથે હતા. તેમાં મુંબઈસ્થિત સંગીતકાર-જાણકાર સંગીતપ્રેમી તુષાર ભાટિયા પણ હતા. જુથિકા રોયનો અવાજ સાવ ખળભળી ગયો હતો. છતાં, તે જુથિકા રોય હતાં. તુષાર ભાટિયા સિતાર પર 'મને ચાકર રાખોજી'નો અંતરો વગાડતા હતા ને સૂરમાં ક્યાંક ચૂક થઈ કે તરત જુથિકા રોયે તેમના નિર્મળ સ્મિત અને ભારે બંગાળી છાંટ ધરાવતા ઉચ્ચાર સાથે, એટલો ભાગ ગાઈને સુધાર્યું.  

સંગીતકાર અજિત મર્ચંટ સાથે પહેલી જ મુલાકાતથી કૌટુંબિક આત્મીયતા થયા પછી, તેમના ઘરે તે વગાડતા અને ગાતા હોય, કોઈ શબ્દ ભૂલે અને નીલમકાકી સામે જુએ એટલે કાકી તરત પૂર્તિ કરે, એવી અનેક મિની મહેફિલો થઈ. 

ફિલ્મસંગીતથી જરા અલગ, પણ મહેફિલરસની રીતે જરાય ઉતરતી નહીં, એવી મહેફિલો રાજસ્થાની લોકગાયક સમંદરખાન માંગણીયાર અને તેમના સાથીદારો સાથે બેસીને માણવા મળી છે. પહેલી વાર રાજસ્થાનના ઉદેપુર પાસે આવેલા 'શિલ્પગ્રામ'માં, પછી કુલ્લુ (મનાલી)માં નદી કાંઠે આવેલી એક નિશાળમાં તેમને અપાયેલા ઉતારે મોડી રાત સુધી, ત્યાર પછી 1995માં મહેમદાવાદના ઘરે અને વીસેક વર્ષ પછી ફરી મહેમદાવાદના ઘરે. તે મહેફિલોનો અને તેમાં રેલાયેલા ફ્રી સ્ટાઇલ સંગીતનો કેફ દિવસો સુધી મન પર છવાયેલો રહ્યો છે અને હજુ પણ એ યાદ કરવાની જ વાર, એટલો હૈયાવગો છે. 

***

ઉપર જણાવેલી અને જેનો ઉલ્લેખ ચૂક્યો હોઈશ એવી એ બધી મહેફિલોને જાનદાર અને આજીવન યાદગાર બનાવે એવાં બે મુખ્ય તત્ત્વોઃ સંગીત અને અનૌપચારિકતા. એટલે જ, યુટ્યુબ પર ધીમે ધીમે સામગ્રી મુકાવા લાગી, ત્યારે આવી ચીજોની સતત શોધ રહેતી હતી. તેમાં એક વાર એક વિડીયો મળી ગઈઃ વાદક-અરેન્જર વી.બલસારા અને હેમંતકુમારની અનૌપચારિક મહેફિલ. 

આમ તો એ બાકાયદા કેેમેરાથી રેકોર્ડ થયેલી છે. છતાં, તેમાં બલસારા કે હેમંતકુમાર, કોઈના પક્ષે કેમેરાની હાજરીનો ભાર વરતાતો નથી. આખી વાતચીત બંગાળીમાં છે. પણ વિડીયોને માણવામાં બંગાળી જરાય નડતરરૂપ નથી. હા, કોઈ બંગાળી મિત્ર થોડી મહેનત લઈને આખી વાતચીતનું નહીં તો, કમ સે કમ, તેમાં થયેલા અગત્યના મુદ્દાનું ગુજરાતી/અંગ્રેજી કરી આપે તો મઝા ઓર વધે ખરી. 

પરમ મિત્ર વિસ્તસ્પ હોડીવાલાનો ફેસબુક થકી પરિચય થયો તે પહેલાં, અમારા માટે વિસ્તસ્પ એક જઃ વિસ્તસ્પ બલસારા એટલે કે વી. બલસારા. ઉત્તમ વાદક, મુકેશનાં કેટલાંક બિનફિલ્મી ગીતોમાં તેમણે સંગીત આપેલું. પણ તે કેવા કમાલના વાદક છે અને કેટકેટલાં વાદ્યો કેટલી નિપુણતાથી, રમાડતા હોય એમ વગાડી જાણે છે, તે જાણવા માટે આખી વિડીયો અચૂક જોશો.  

હેમંતકુમારના પ્રેમીઓ માટે આ મહેફિલમાં કેટલીક ગજબની ચીજો છે. કઈ તેનું મીઠું રહસ્ય ખોલતો નથી. તમે સાંભળીને મઝા કરજો. તમારે સીધા ત્યાં સુધી પહોંચવું હોય તો તેના કાઉન્ટ અહીં લખ્યા છે.

1. 6ઃ52થી 

2. 20ઃ25થી

આ બંનેમાં હેમંતકુમાર જે રીતે, બેઠ્ઠાં બેઠ્ઠાં, કશાય આયાસ વિના, લગભગ વાત કરવાની ઢબે, છતાં જે મધુરતાથી ગાય છે, તે જોઈને રુંવાડાં ઊભાં થઈ જાય છે અને થાય છે કે ક્યાંથી આવ્યા હશે આ લોકો? અને ક્યાંથી લાવ્યા હશે આવી પ્રતિભા?

***

શક્ય હોય તો સમય કાઢીને આખી વિડીયો જ સાંભળવા જેવી છે. તે સંગીત અને વાદનની સાવ જુદી જ દુનિયામાં લઈ જશે, તેની ખાતરી. 







કૈસી યે પહેલી હાયે...

ગીતો, ગીતોની સર્જનપ્રક્રિયા, ગાયકો તે ગીતો કેવી રીતે ગાય છે, તેનું ઇન્ટરલ્યુડ મ્યુઝિક કેવી પ્રક્રિયાથી તૈયાર થાય છે--આ બધું મારા માટે કાયમી વિસ્મયનો વિષય છે. 

શબ્દો-સંગીત-સૂરનું સંયોજન મને હંમેશાં જાદુઈ જ નહીં, દૈવી લાગ્યું છે. આસ્તિક ન હોવા છતાં, ઘડીભર એવું માનવાનું મન થાય છે કે આટલી પરફેક્ટ રચના કોઈ માણસ કે માણસોની શી રીતે હોય? નક્કી તેમાં કોઈ દૈવી તત્ત્વ હોવું જોઈએ એવો ભાવ મનમાં અને આંખોમાં પણ ઉભરાતો હોય છે. 

અજિત મર્ચંટ જેવા સંગીતકાર સાથે કલાકોના સત્સંગમાં ઘણી વાર તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. તેમની અતિપ્રસિદ્ધ રચના 'તારી આંખનો અફીણી'નો તો પૂરજેપૂરજો તેમણે મને છૂટો પાડીને, રીવર્સ એન્જિનિયર કરીને બતાવ્યો. છતાં, કોઈક તત્ત્વ એવું હોય છે, જે તર્કમાં પકડાતું નથી. સીધું મનને સ્પર્શી જાય છે. 

આટલી લાંબી પ્રસ્તાવના પછી એક અતિશય જાણીતા ગીતની વાત.  'ઝિંદગી કૈસી હૈ પહેલી હાય'(આનંદ, મન્ના ડે, સલિલ ચૌધરી, યોગેશ)  જેટલી વાર સાંભળું એટલી પહેલી વાર સાંભળ્યા જેવી આરપાર અસર થાય છે. હવે તો  યુટ્યુબ પર મન્ના ડે તે ગીત લાઇવ ગાત હોય એવી વિડીયો પણ છે. 

મૂળ ગીતની સરખામણીમાં લાઇવમાં વાદ્યો સાવ ઓછાં છે. છતાં, મન્ના ડે 'કભી યે હસાયે, કભી યેે રુલાયે'-માં જે રીતે 'હસાયે' અને 'રુલાયે' શબ્દો ઉચ્ચારે છે, બલ્કે ફંગોળે છે, તે એટલું સહજ લાગે છે કે તેમાં કશું નોંધપાત્ર ન લાગે.  ( એક ગીતમાં મન્નાડેના અવાજ માટે 'સ્વરફંગોળ' એવો પ્રયોગ રજનીકુમાર પંડ્યાએ પહેલી વાર કર્યો હતો. તે એટલો આબાદ છે કે બીજો કોઈ શબ્દ તેની જગ્યાએ ગમતો નથી.)

પરંતુ આ જ ગીત યુટ્યુબ પર કવિતા કૃષ્ણમૂર્તિ જેવી તાલિમી ગાયિકાના અવાજમાં અનાયાસે સાંભળવા મળ્યું. તેમાં કવિતા કૃષ્ણમૂર્તિને 'હસાયે' અને 'રુલાયે'માં જે મહેનત પડી અને છતાં મન્ના ડે જેવી અસર તો ન જ આવી, એ જોઈને વધુ એક વાર મન્ના ડેની ગાયકી વિશે નતમસ્તક થઈ ગયો. મહાનતા અને સાહજિકતા વચ્ચે ઊંડો સંબંધ હોય છે.

***

મન્ના ડેના લાઇવ ગીતની લિન્ક


ફિલ્મ માટે રેકોર્ડ થયેલા, પૂરી ઓર્કેસ્ટ્રા સાથેના, ગીતની લિન્ક 


અને જિજ્ઞાસા ખાતર સાંભળવાનું મન થાય તો કવિતા કૃષ્ણમૂર્તિના અવાજમાં એ ગીતની લિન્ક



Monday, October 17, 2022

વિદ્યાપીઠ-કાંડ : નવા કુલપતિની નિમણૂંકપ્રક્રિયાના વિરોધમાં નિવેદન અને આઠ ટ્રસ્ટીઓનાં રાજીનામાં

ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે આાચાર્ય દેવવ્રતને સત્તાવાર નિમંત્રણ 13 વિરુદ્ધ 9 મતથી અપાઈ ચૂક્યું હતું. તે મુદ્દે અકળાવનારા મૌન પછી, વિરોધમાં મત આપનારા નવમાંથી આઠ ટ્રસ્ટીઓએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તે આઠ ટ્રસ્ટીઓ છેઃ  ડો. સુદર્શન આયંગાર, ડો. અનામિક શાહ, ડો. મંદાબહેન પરીખ, ઉત્તમભાઈ પરમાર, ચૈતન્ય ભટ્ટ, નીતાબહેન હાર્ડીકર, માઇકલ મઝગાંવકર અને કપિલ શાહ.

(પોસ્ટ કર્યા પછીનો ઉમેરોઃ આ આઠમાંથી ચારની મુદત આવતી કાલે પૂરી થઈ રહી છેઃ મંદાબહેન, સુદર્શનભાઈ, માઇકલભાઈ અને કપિલભાઈ.)

નવા કુલપતિની નિમણૂંક માટે સરકારે અપનાવેલી પ્રયુક્તિઓનો વિરોધ કરતાં ઉપરના આઠ ઉપરાંત મતદાનમાં તેમની સાથે રહેલા નરસિંહભાઈ હઠીલા--એમ નવ જણે એક સંયુક્ત નિવેદન જારી કરીને આખરે મૌન તોડ્યું છે. તેમનું બે પાનાંનું આખું નિવેદન છેક નીચે મુક્યું છે. તેમાંથી કેટલાક મહત્ત્વના અંશઃ 

  • સરકારની આ ચેષ્ટા વિદ્યાપીઠના અસ્તિત્વના મૂળ ધ્યેયથી વિપરીત છે. તેના મૂળ ચરિત્ર પર મરણતોલ ઘા કર્યા બરાબર છે. તે અનૈતિક, ધમકીભરી, લોકશાહી વિરુદ્ધની અને સરકાર માટે લાંછનરૂપ છે અને અમે તેને સખત શબ્દોમાં વખોડીએ છીએ...
  • સરકારની આ ચાલને ટેકો આપનાર ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ  ગુજરાત વિદ્યાપીઠને વિશ્વચોકમાં ક્ષોભમય સ્થિતિમાં મૂકી દીધી છે. અમારે એમને પૂછવું છે કે શું તેમણે ગાંધીવિચારને છેહ દીધો હોય એવું નથી લાગતું? ગાંધીજીના વિચાર માત્ર પ્રાકૃતિક ખેતી, ગોસંવર્ધન કે કુદરતી ઉપચાર સુધી સીમિત નથી. તે તો તેમના કાર્યક્રમો છે. ખરું તત્ત્વ સર્વધર્મસમભાવ, લોકશાહી મૂલ્યોનું જતન, નાગરિક સ્વાતંત્ર્ય, સંસ્થાગત સ્વાયત્તતાની જાળવણી માટે તથા સરકારની ખુશામતખોરી છોડી, સત્ય અને અહિંસાના રસ્તે 'નો સર' કહેવાની હિંમતમાં છે. તેના વિના ગાંધી અધૂરો છે. અમને આશા છે કે ડર, લાલચ અને સોદાના ભાગ તરીકે તેમણે કરેલી ભૂલનું તેમને અચૂક પ્રાયશ્ચિત થશે...
  • અમને ખાતરી છે કે કુલપતિની પસંદગીનો નિર્ણય રાજકીય દબાણ હેઠળ, ડર અને લાલચના માર્યા, સૂચિત સંવાદની માગણી ઉવેખીને, આ હોદ્દા માટે અન્ય લાયક વ્યક્તિઓનો વિચાર કર્યા વિના, બિનજરૂરી ઉતાવળથી લેવાયો છે. તંત્રને સાચવવાની લ્હાયમાં મૂળ તત્ત્વને બલિદાનની વેદી પર ચઢાવી દેવાયું છે. 

દરમિયાન, આજે (સોમવારે, 17 ઓક્ટોબરના રોજ) વિદ્યાપીઠના પદવીદાન સમારંભના આગલા દિવસે થયેલી મંડળની બેઠકમાં આઠ ટ્રસ્ટીઓનાં રાજીનામાં ન  સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રસ્ટીઓ સાથે (તરફેણમાં મત આપનારા) આઠ સેવક ટ્રસ્ટીઓ અને અન્ય સેવકો સંવાદ કરશે. 

ઇન્ચાર્જ કુલસચિવની સહીથી બહાર પડેલી પ્રેસનોટમાં જણાવાયા પ્રમાણે, "આ સંવાદની ભૂમિકા ઉપર ભવિષ્યમાં ગુજરાત વિદ્યાપીઠ આગળ વધે તેવો આશાવાદ હાજર તમામ ટ્રસ્ટીશ્રીઓએ વ્યક્ત કર્યો હતો." 

રાજીનામું આપનારા આઠ ટ્રસ્ટીઓએ તેમના રાજીનામાના અસ્વીકાર અંગે કે સંવાદ અંગે કશો નિર્ણય લીધો જણાતો નથી. 

તે બીજા ટ્રસ્ટીઓ સાથે સંવાદ કરે કે ન કરે, પણ નિવેદનમાં વ્યક્ત કરેલી લાગણીને અનુસરીને, નિસબત ધરાવનારા બીજા લોકોને સાથે જોડવાની કોશિશ કરે અને "નીડર બનીને ગાંધીચીંધ્યા માર્ગે આગળ વધે", તે સૌથી પ્રાથમિક અને સૌથી મહત્ત્વની આવશ્યકતા છે. 




Saturday, October 08, 2022

દેખ તમાશા વેઇટિંગકા

દેખ તમાશા લકડીકા—એ બહુ જાણીતું ગીત છે. તેમાં જન્મથી મરણ સુધી માણસના જીવનમાં લાકડું કેવી રીતે સંકળાયેલું છે, તેની વાત હથોડાછાપ રીતે કરવામાં આવી છે. (હથોડાનો હાથો લાકડાનો જ હોય છે, એ જુદી વાત છે) ગુજરાતમાં-ભારતમાં એવું ગીત વેઇટિંગ માટે એટલે કે રાહ જોવા માટે પણ લખી શકાય. ભાવિ માતાપિતાનાં લગ્ન માટે હોલના બુકિંગથી રાહ જોવાનું શરૂ થાય છે અને કપરો કાળ હોય તો, અંતિમ યાત્રામાં પણ વેઇટિંગનો સામનો કરવો પડે છે.

બધાં પ્રકારનાં વેઇટિંગમાં સૌથી કંટાળો, ત્રાસ, ચીડ, અકળામણ, લાચારી, ધુંધવાટ, રોષ, બેચેની જેવી લાગણીઓ જન્માવતું વેઇટિંગ એટલે જમવા માટે રેસ્તોરાંમાં ગયા પછી રાહ જોવી પડે તે. લોકો આપણાં શાસ્ત્રો ધ્યાનથી વાંચતા નથી અને આપણાં શાસ્ત્રોમાં શાનો સમાવેશ થાય છે, તેની પૂરી જાણકારી સુદ્ધાં ધરાવતા નથી. બાકી, જાણકારોને પાકી ખાતરી છે કે એકાદ શાસ્ત્રમાં તો લખ્યું હશે,અર્થવ્યય દ્વારા અન્નપ્રાપ્તિ માટે પ્રવૃત્ત થતી વખતે પ્રતીક્ષાકર્મ સર્વથા ત્યાજ્ય છે. ગુજરાતીમાં કહી શકાય કે રૂપિયા ખર્ચીને રાહ શા માટે જોવી?

પરંતુ બ્રહ્માંડનાં કેટલાંક વણઉકલ્યાં રહસ્યોમાંનું એક રહસ્ય અથવા સંસ્કૃતિના પલટાયેલા પ્રવાહોમાંનો એક મોટો પલટો છેઃ સેંકડો લોકો રૂપિયા ખર્ચીને જમવા માટે પણ રાહ જોવાનું પસંદ કરે છે. જમવા જતી વખતે રસ્તામાં તેમણે ચાર ઠેકાણે ખોટી રીતે ઓવરટેક કર્યું હશે, બે ઠેકાણે તેમનું વાહન કોઈને અથડાતું બચ્યું હશે, એકાદ સિગ્નલ તોડ્યો હશે—ટૂંકમાં, તેમની એકંદર વર્તણૂંક ગરવા ગુજરાતી જેવી હશે. પરંતુ રેસ્તોરાંમાં પહોંચ્યા પછી, અચાનક તે ગુજરાતી મટીને હિમાલયવાસી બની જાય છે. અલબત્ત, તે પરિવર્તન ક્ષણમાત્રમાં નથી થતું.

રેસ્તોરાં પર પહોંચ્યા પછી ત્યાં ઉભેલાં લોકોને જોઈને ભોજનોત્સુકને લાગે છે, “નક્કી, આ બધા જમીને બહાર નીકળ્યા હશે અને આપણા માટે સરસ જગ્યા થઈ હશે. પરંતુ ડુંગરાની જેમ દૂરથી રળિયામણું લાગતું ટોળું નજીક ગયા પછી અકારું લાગવા માંડે છે. કારણ કે, તે પણ રેસ્તોરાંના દરવાજાને કે વેઇટિંગ વિસ્તારને ઘેરો ઘાલીને, જગ્યા જીતી લેવાની ફિરાકમાં હોય એમ જણાય છે. શત્રુસૈન્ય ગમે તેટલું વિશાળ હોય, પણ યોદ્ધો જાણે છે કે યુદ્ધ સંખ્યાબળથી નહીં, આત્મબળથી જીતાય છે. એટલે, તે પોતાની ઓછી સંખ્યાનો અહેસાસ ખંખેરીને, ટોળું ભેદીને રેસ્તોરાંના મર્મસ્થાન સુધી એટલે કે તેના કાઉન્ટર સુધી પહોંચી જાય છે. ત્યાં બેઠેલા જણને તે માસુમિયતથી માહિતી આપે છે, અમે આટલાં જણ છીએ. ક્યાં બેસવાનું છે?” અને સીધો બેઠકો ભણી ધસે છે.

રેસ્તોરાંનો કર્મચારી તેમને બને તેટલા વિવેકથી રોકવાનો અને એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે આવો દાવ ખેલવામાં આજની સાંજે તમારો નંબર બારમો છે. આ શબ્દોમાં તે આ વાત કહી શકતો નથી, એટલે સર,સરની સરસરાટી સાથે તે વિનમ્રતાથી નિવેદન કરે છે કે રાહ જુઓ. વારો આવશે એટલે બોલાવીશું. કેટલાક ઠેકાણે તો નામ નોંધવા જેવી પ્રથા પણ રાખવામાં આવે છે. તેનાથી ગ્રાહકના પ્રતિક્ષાસમયમાં કશો ફરક નથી પડતો, પણ ગ્રાહકને માનસિક રીતે સારું લાગે છે કે તેણે આ ફાની દુનિયામાં જન્મ લીધા પછી અને સાંજે આ રેસ્તોરાંમાં જમવા આવવાનો (ભૂલભર્યો) નિર્ણય લીધા પછી, કમ સે કમ એક કામ તો ઠેકાણાસરનું કર્યું છે. હવે તેનું નામ નોંધાયું છે, તો ક્યારેક નંબર પણ લાગશે. ચોતરફ પોઝિટિવ થિંકિંગના મારાથી ગ્રસ્ત પ્રતિક્ષારત ગ્રાહક શરૂઆતમાં ભીડ અને રાહ જોવાની ક્રિયામાંથી એવું આશ્વાસન મેળવવા પ્રયાસ કરે છે કે રેસ્તોરાં ખરેખર ઉત્તમ હોવું જોઈએ. નહીં તો આટલા બધા લોકો વેઇટિંગમાં હોય?”

કેટલાક લોકો ધૈર્યને બદલે પ્રભાવ વાપરી જુએ છે. જઈને તે મેનેજર જેવા લાગતા જણને કહે છે, પાંચ જણનું એક ટેબલ. ક્યાં બેસવાનું છે? અને તમે ફલાણાસાહેબને તો ઓળખતા જ હશો. આપણા ખાસ મિત્ર થાય. ખરેખર ગિરદી હોય ત્યારે રેસ્તોરાંવાળો સ્થિતપ્રજ્ઞતાથી અને સામેવાળાની સ્થિતપ્રજ્ઞતાની કસોટી થાય એવી રીતે કહી શકે છે,હા, હા, કેમ નહીં? જુઓ, પેલા બેઠા તમારા સાહેબ. વીસ મિનિટથી વેઇટિંગમાં જ છે.

પ્રગટાવેલા ધૈર્ય કરતાં ફરજિયાતપણે પાળવા પડતા ધૈર્યની અસર વિપરીત થાય છે. તેનાથી મન શાંત થવાને બદલે અશાંત થાય છે. માણસને રૂપિયાથી શાંતિ ખરીદવાના નિષ્ફળ પ્રયોગો કરવાની એટલી ટેવ પડી ગઈ છે કે અશાંતિનું સૌંદર્ય તે માણી શકતો નથી. છેવટે, પેટની બેચેની ચહેરા પર દેખાવા લાગે છે. ધીમે ધીમે તે ભૂલવા માંડે છે કે તે જમવા માટે આવ્યો છે કે રાહ જોવા માટે. મગજમાં ખલબલી મચ્યા પછી અનેક દિશામાંથી ઉત્તમ તો નહીં, પણ અવળચંડા વિચાર આવવા લાગે છે. ગમે ઇશ્ક ગર ન હોતા, ગમે રોજગાર હોતા એવા મિસરામાં તેને ગમે રોજગારની જગ્યાએ ગમે ઇંતજાર સંભળાવા લાગે છે. તે શરાબની અવેજીમાં મોબાઇલમાં દુઃખ ડૂબાડવાનો પ્રયાસ કરે છે, પણ થોડા સમય પછી તે પ્રયાસ છોડી દેવો પડે છે. કારણ કે, ભૂખની સાથે થાકની પણ લાગવા માંડે છે.

પાનીમેં મિન પિયાસીની જેમ રેસ્તોરાંમાં ભૂખથી વ્યાકુળ થયેલા જણમાં ભૂખની લાગણી ટોચે પહોંચ્યા પછી ઓસરવા માંડે, ત્યારે અચાનક અંદરથી તેડું આવે છે,સર...પ્લીઝ. ત્યારે સમજાય છે કે વેઇટિંગવાળાને જમણની સાથે બુદ્ધત્વ ફ્રીમાં મળે છે.  

Thursday, October 06, 2022

ગૂજરાત વિદ્યાપીઠ : કેટલાક અગત્યના મુદ્દા

ગૂજરાત વિદ્યાપીઠ વિશેની ચર્ચામાં કેટલાક મુદ્દા સૌથી મહત્ત્વના અને યાદ રાખવા જેવા છેઃ

1. વિદ્યાપીઠના ચાન્સેલર તરીકે, સરકારી પ્રતિનિધિ એવા ગવર્નરને નહીં, સંઘ પરિવાર સાથે સંકળાયેલા દેવવ્રતનું નામ સૂચવાયું છે. એટલે, મામલો સરકારીકરણનો પણ નહીં, તેને પણ ટપે એવા સંઘીકરણનો છે.

2. "સંઘમાં શો વાંધો છે?" એવું કેટલાક લોકો માસુમિયતથી ને કેટલાક લુચ્ચાઈથી પૂછે છે. જવાબ બહુ સાદો છેઃ સંઘ ગાંધીજીના વિચારોથી સામા છેડાની વિચારધારા ધરાવતી સંસ્થા છે. તેના પ્રતિનિધિને ગાંધીજીએ સ્થાપેલી સંસ્થામાં મુકવામાં દેખીતો ઔચિત્યનો ભંગ છે અને સંસ્થા કબજે કરી લેવાની માનસિકતા છે.

3. વિદ્યાપીઠનું ચાન્સેલર પદું સંઘને સોંપી દેવાની સંમતિ આપનાર વાઇસ ચાન્સેલર રાજેન્દ્રભાઈ ખીમાણી અને બીજા બાર જણે કયા હેતુથી, દેખીતા ઔચિત્યભંગનું આ પગલું લીધું? તે મુખ્ય સવાલ છે.

3. વધારે "ગુજરાતી"માં કહીએ તો, કોની સાથેની અને કઈ સમજૂતીના આધારે, સંઘની વ્યક્તિની તરફેણમાં આ તેર જણે મત આપ્યા છે? એવું કરવામાં તેમનાં કયાં હિત અથવા શાનો ભય અથવા હિત અને ભય-- બંને છે?

4. તેના જવાબમાં કોઈ કહે કે "અમે વિદ્યાપીઠના હિતમાં- વિદ્યાપીઠને બચાવવા માટે આ કરીએ છીએ." તો તેમને કહેજો કે આ સમય ટુચકા કહેવાનો નથી. 

કોઈ કહે કે "ગ્રાન્ટ ચાલુ કરાવવા માટે આ જરૂરી હતું" તો સીધી વાત છે.: વિદ્યાપીઠની ગવર્નિંગ કાઉન્સિલ વિદ્યાપીઠની માલિક નથી. વિદ્યાપીઠની પરંપરામાં પાયાનો ફેરફાર કરવા જેટલો મોટો નિર્ણય લેતા પહેલાં, તેમણે વ્યાપક વિમર્શ કરવો જોઈએ. ખાસ કરીને, ટ્ર્સ્ટીમંડળમાંથી નવ જણ તે નિર્ણયનો વિરોધ કરતા હોય ત્યારે, આટલી ઉતાવળ શંકા પ્રેરનારી છે. 

ટૂંકમાં, વિદ્યાપીઠના હિત માટે વિદ્યાપીઠને વધેરી નાખવાનો જવાબ બચાવ પૂરતો ઠીક, પણ કોમન સેન્સની રીતે  જરાય ગળે ઉતરે એમ નથી.  

5. બીજો વિકલ્પ છેઃ અંગત હિત માટે કે અંગત નુકસાન ટાળવા માટે વિદ્યાપીઠને સંઘના ચરણે ધરી દેવી. 
એવું નથી થઈ રહ્યું અને "સંઘની વ્યક્તિને ચાન્સેલરપદે બેસાડવાની હદે પગમાં પડી જવું પડે, એવું કશું અમે નથી કર્યું" -- એ લોકો સમક્ષ પુરવાર કરવાની જવાબદારી આ તેર જણની અથવા વિદ્યાપીઠના વીસી તરીકે રાજેન્દ્રભાઈ ખીમાણીની છે, જેમણે સંઘના ચાન્સેલરની તરફેણમાં મત આપ્યો છે.

7. વિદ્યાપીઠનું ચાન્સેલરપદું સંઘના ચરણે ધરી દેવાથી વિદ્યાપીઠને શો ફાયદો થશે? અને 13 જણમાંથી અંગત રીતે કોને શો ફાયદો થશે? અથવા ભવિષ્યમાં થનારું સંભવિત નુકસાન ઓછું થશે- નુકસાનમાંથી બચી જવાશે? તેનો પણ જવાબ આ તેર જણે આપવાનો રહે છે.

1. ડો. રાજેન્દ્ર ખીમાણી
2. પ્રો. કનુભાઈ નાયક
3. આયેશાબહેન પટેલ
4. સુરેશભાઈ રામાનુજ
5. વિશાલભાઈ ભાદાણી
6. જગદીશચંદ્ર સાવલિયા
7. જશવંતભાઈ પંડ્યા
8. રમેશભાઈ પટેલ
9. જગદીશચંદ્ર ગોઠી
10. અરુણભાઈ ગાંધી
11. નરેશભાઈ ચૌહાણ
12. પ્રવીણકુમાર શર્મા
13. મેહુલભાઈ પટેલ 

Wednesday, October 05, 2022

ગૂજરાત વિદ્યાપીઠનો શરમજનક ઘટનાક્રમ: જવાબદારી નિભાવવાની, નામોશીથી બચવાની છેલ્લી છેલ્લી તક

ગૂજરાત વિદ્યાપીઠ  Gujarat Vidyapith

ગૂજરાત વિદ્યાપીઠમાં ગઈ કાલે સાંજે થયેલી ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગમાં, વિદ્યાપીઠના ચાન્સેલર પદે આચાર્ય દેવવ્રતને નીમવાની દરખાસ્ત થઈ. તે અત્યારે ગુજરાતના રાજ્યપાલ છે, પણ તેમની નિમણૂંક હોદ્દાની રૂએ નહીં, થઈ, વ્યક્તિગત ધોરણે (સંભવતઃ સરકાર સાથે થયેલી ગોઠવણ પ્રમાણે) થઈ છે. હરિયાણાના આચાર્ય દેવવ્રત પતંજલિ પ્રોડક્ટ્સવાળા રામદેવના શિષ્ય છે. હરિયાણામાં ચાલતા એક ગુરુકુળના આચાર્યપદે લાંબો સમય રહેલા દેવવ્રતને 2015માં પહેલી વાર હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. તેમની નિમણૂંકમાં રામદેવની ભૂમિકા વિશે દેવવ્રતે કહ્યું હતું, “He has always been a guide and his blessings are with me” (તે હંમેશાં મારા માર્ગદર્શક રહ્યા છે અને તેમના આશીર્વાદ મારી સાથે જ છે. ધ ટ્રિબ્યુન, ઓગસ્ટ 5, 2015)

આ દેવવ્રતને હવે વિદ્યાપીઠના ચાન્સેલર બનાવવાની, ગાંધીસંસ્થા માટે શરમજનક કહેવાય એવી દરખાસ્ત ગઈ કાલે પસાર થઈ. કુલ 24 મતમાંથી દરખાસ્તની તરફેણમાં 13 જણે અને વિરોધમાં 9 જણે મત આપ્યા. બે જણ તટસ્થ રહ્યા.

***

ગૂજરાત વિદ્યાપીઠના માળખામાં સત્તાવાર અને મૂળભૂત પરિવર્તન આણે એટલું મોટું કાવતરું પાર પડ્યું ત્યારે, તેમાં કોનું શું વલણ હતું, તે લોકો સમક્ષ મુકાવું જરૂરી છે. 

વિદ્યાપીઠની ગવર્નિંગ કાઉન્સિલનાં 26 જણનાં નામ તેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેમાંથી (જેમનું રાજીનામું સ્વીકારાયું તે) ચાન્સેલર ઇલાબહેન ભટ્ટ અને ઇન ચાર્જ રજિસ્ટ્રાર ડો. નિખિલ ભટ્ટનો મતની યાદીમાં સમાવેશ કર્યો નથી. તે સિવાયના 24 જણના મત આ પ્રમાણે હતાઃ

દરખાસ્તનો વિરોધ કરનારા નવ જણનાં નામઃ (તેમાંથી મોટા ભાગના નાગરિક પ્રતિનિધિ તરીકે લેવાયેલા ટ્રસ્ટીઓ છે.) 

1. નરસિંહભાઈ હઠીલા

2. ડો. મંદાબહેન પરીખ

3. ડો. સુદર્શન આયંગાર

4. કપિલભાઈ શાહ

5. માઇકલ મઝગાંવકર

6. ઉત્તમભાઈ પરમાર

7. ચૈતન્યભાઈ ભટ્ટ

8. નીતાબહેન હાર્ડિકર

9. પ્રો. અનામિકભાઈ શાહ


ગાંધીસંસ્થા માટે શરમજનક એવી દરખાસ્તને ટેકો આપનારા તેર જણનાં નામ. (તેમાં મોટા ભાગના અધ્યાપક પ્રતિનિધિઓ છે.) 

1. ડો. રાજેન્દ્ર ખીમાણી

2. પ્રો. કનુભાઈ નાયક

3. આયેશાબહેન પટેલ

4. સુરેશભાઈ રામાનુજ

5. વિશાલભાઈ ભાદાણી

6. જગદીશચંદ્ર સાવલિયા

7. જશવંતભાઈ પંડ્યા

8. રમેશભાઈ પટેલ

9. જગદીશચંદ્ર ગોઠી

10. અરુણભાઈ ગાંધી

11. નરેશભાઈ ચૌહાણ

12. પ્રવીણકુમાર શર્મા

13. મેહુલભાઈ પટેલ 


તટસ્થ રહેલા એટલે કે એકેય બાજુ મત નહીં આપનારા બે સભ્યો

1. હસમુખભાઈ પટેલ

2. ચંદ્રવદનભાઈ શાહ


ગેરવાજબી દરખાસ્તનો વિરોધ કરનાર સૌને અભિનંદન. 

આ તેમના વિરોધનો અંત નહીં, શરૂઆત હોય એવી અપેક્ષા.

આ પ્રશ્ન ફક્ત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓનો નથી.

જેવા છે તેવા,  વ્યાપક નાગરિક સમાજનો પણ છે. 

ભૂતકાળ પ્રત્યે આંગળીચીંધામણાં કરીને વર્તમાનની જવાબદારીમાંથી છટકી શકાય નહીં,

વર્તમાનની જવાબદારી નિભાવવાની ને ભવિષ્યની નામોશીથી બચવાની આ છેલ્લી છેલ્લી તક છે. 

Tuesday, October 04, 2022

ગાંધી જયંતિએ...

ગાંધીજયંતિની સવાર. ફોન રણક્યો. અજાણ્યો નંબર. સ્પામ લખેલું આવ્યું. છતાં, ટાઇમપાસ ખાતર ઉપાડ્યો. સામેથી પરિચિત અવાજ સંભળાયો.

અવાજઃ હેલો...

જવાબઃ હા, બોલો ભાઈ. તમારો અવાજ બહુ જાણીતો લાગે છે, પણ મહેરબાની કરીને સવાર સવારમાં મને ના ઓળખ્યો?” ને બોલો હું કોણ બોલું છું?”—એવાં ઉખાણાં ન  પૂછતા. 

અવાજઃ (હસવાનો અવાજ)

જવાબઃ એમાં હસવા જેવું શું છે? મેં જોક કહી?

અવાજઃ તારો ઉકળાટ સાંભળીને લાગે છે કે તારા માથે બટેટું મૂકું, તો પાંચ મિનીટમાં બફાઈ જાય. (ફરી હસે છે.)

જવાબઃ એક મિનીટ...હું ક્યારનો વિચારું છું કે અવાજ જાણીતો છે... તમે...તમે ક્યાંક ગાંધીજી તો...?

અવાજઃ શું વાત છે? તું મારો અવાજ ઓળખી ગયો? બાકી દેશની સ્થિતિ વિશે જાણ્યા પછી, ઘણી વાર હું પણ મારો અવાજ ઓળખી શકતો નથી.

જવાબઃ અરે બાપુ... અમારા અંતરાત્માનો અવાજ ભલે ભૂલી જઈએ, પણ તમારો અવાજ ભૂલી જવાય? થોડા વખત પહેલાં જ, કોઈ ચેનલ પર તમારી ફિલ્મ આવતી હતી, ત્યારે પણ તમને બહુ યાદ કર્યા હતા...પણ તમે આજે, બીજી ઓક્ટોબરે, સવારના પહોરમાં ફ્રી ક્યાંથી?

ગાંધીજીઃ હું ક્યાં ગાંધીવાદી છું કે વર્ષમાં બે વાર બિઝી થઈ જાઉં.

જવાબઃ તમે પણ બાપુ...સિરીયસલી પૂછું છું, તમારે આજે ક્યાંય જવાનું નથી? પ્રાસંગિક સંબોધન માટે, ચરખો કાંતતો ફોટો પડાવવા માટે, સર્વધર્મપ્રાર્થનામાં, ગાંધીશ્રેણીના કોઈ વ્યાખ્યાનમાં...ક્યાંય નહીં?

ગાંધીજીઃ ઉપર આવી ગયા પછી બધું બંધ. આમ તો નીચે પણ એ બધું ક્યાં કરતો હતો? પેલું જીવન-સંદેશવાળું ભૂલી ગયો?

જવાબઃ ના,ના, એમ થોડું ભૂલાય? હમણાં જ સાબરમતી આશ્રમ ગયો ત્યારે મારું જીવન એ જ મારો સંદેશ લખેલા પાટીયા પાસે સેલ્ફી પાડેલી. બરાબર એ જ વખતે એક કાગડો ત્યાં આવીને બેસી ગયો, મને ખબર નહીં, પણ સોશિયલ મિડીયા પર એ ફોટો બહુ વાઇરલ થયો કે હવેના જમાનામાં કાગડા પણ બેશરમ થઈને કહી દે છે,મારું જીવન એ જ મારો સંદેશ.

ગાંધીજીઃ સારું, સારું. ટૂંકમાં, હું ક્યાંય બહાર જતો નથી—બીજી ઓક્ટોબરે અને ત્રીસમી જાન્યુઆરીએ તો ખાસ નહીં.

જવાબઃ પછી લોકો તમને ભૂલી જ જાય ને? બાકી, હવે તો તમને મારનારાને વધાવનારી વિચારધારાના લોકો પણ તમને ફૂલ ચડાવે છે.

ગાંધીજીઃ (હસીને) હવે મને ફૂલ ચડાવવાં સલામત છે. હું ક્યાં સામે સવાલ પૂછવાનો છું કે મને ફૂલ ચડાવતાં પહેલાં શું કરીને આવ્યા? અહીંથી જઈને શું કરવાના? અને હવે તો, મને ફૂલ ચડાવતી વખતે તમારા મનમાં શું ચાલે છે, તે પણ પૂછવું પડે એમ છે.

જવાબઃ કેમ આવી નેગેટીવ વાતો કરો છો?  મનમાં શું ચાલતું હોવાનું?

ગાંધીજીઃ એ તો તને ખબર. પૃથ્વી પર તું રહે છે કે હું? વચ્ચે સરદાર મજાકમાં મને પૂછતા હતા કે બાપુ, બેરિસ્ટર સાવરકરને અંગ્રેજોની માફી માગવાનું તમે કહેલું?” પછી હું કંઈ જવાબ આપું તે પહેલાં તેમણે પૃથ્વી પરના કેટલાક સમાચાર બતાવ્યા. તેમાં મારા નામે આવું લખેલું. એટલે, લોકો મને હારતોરા કરતી વખતે શું વિચારતા હશે?

જવાબઃ એ જ કે હવે પછી તમને કયા ખોટા વિવાદમાં સંડોવવા? કે તમને નીચા પાડી ન શકાય, તો કોને કોને તમારી ઊંચાઈ પર ગોઠવી દેવા?

ગાંધીજીઃ (હસે છે) સાચવજે. બહુ બુદ્ધિ ચલાવીશ તો રાજદ્રોહની તૈયારી રાખવી પડશે. અને રાજદ્રોહના કેસમાં મને મળેલો અંગ્રેજ ન્યાયાધીશ તો બિચારો સારો માણસ હતો. કહે કે તમારી સજા ઓછી થશે તો સૌથી વધારે ખુશી મને થશે. તું ન્યાયાધીશ સુધી પહોંચ્યા વિના, અધવચ્ચે જ ક્યાંક સબડી ન પડું.

જવાબઃ ના, ના કહેતાં તમે દેશનું ઘણું ધ્યાન રાખતા લાગો છો.

ગાંધીજીઃ સરદાર છે ને મારી પાસે? એટલે હળવા થવા સમાચાર વાંચી સંભળાવે છે, પણ એ વાંચીને અમે બેય દુઃખી થઈ જઈએ છીએ.

જવાબઃ આઝાદીના અમૃત કાળની ઉજવણીમાં મને તો એમ કે તમે મોજમાં ધુબાકા મારતા હશો. તમારા નામે કેટકેટલું ચાલે છે...

ગાંધીજીઃ મારા નામે જે બધું ચાલે છે, એની તો રામાયણ છે.

જવાબઃ હવે તો રામાયણ છે એવું પણ ન કહેતા...તમારા પ્રત્યે પ્રેમ છે, એટલે કહું છું. ભલે ને એ જૂનો ને જાણીતો શબ્દપ્રયોગ હોય, પણ ગુજરાતના કે ઉત્તર પ્રદેશના કોઈ ગામમાં કોઈકની લાગણી દુભાશે તો તમારે ક્યાં કોર્ટના ધક્કા ખાવાના?

ગાંધીજીઃ (નિઃસાસો નાખીને) હા ભાઈ, રામનો ને રામાયણનો ઉપયોગ લાગણી દુભાવવા પૂરતો ને લાગણી વટાવવા પૂરતો જ રહી ગયો છે...પણ હે, રામ તો બોલાય ને ?

જવાબઃ એ પણ વિચારવું પડે. કારણ કે તમને મારનારી વિચારધારાના લોકોને લાગે છે કે રામ પર તેમની મોનોપોલી છે. તેમનો માણસ તમને ગોળી મારે અને તમે હે રામ બોલો, તો પછી તેમના હિંદુત્વનું શું થાય?

એક વારનું હે રામ ભૂંસવામાં કેટલા દાયકા નીકળી ગયા. હવે ફરી કોઈએ આવી રીતે હે રામ નહીં બોલવાનું, એવો કાયદો હજુ થયો નથી, પણ થાય તો નવાઈ નહીં.

(એ સાંભળતાંની સાથે ફોન ફોન કટ થઈ જાય છે અને તેના સ્ક્રીન પર હે રામ લખેલું આવે છે,)

Tuesday, September 06, 2022

ડબલ એન્જિન અને ડબ્બા

(28-8-22)

ગુજરાત સરકારે ગયા અઠવાડિયે સામુહિક બળાત્કાર કરનારા અને ખૂન કરનારા લોકોની બાકી રહેલી સજા માફ કરી દીધી. કોઈ ઉત્સાહીએ ક્ષમા વીરસ્ય ભૂષણમ્—જેવું કંઈક ગબડાવ્યું નહીં અને મોદી હૈ તો મુમકિન હૈ પણ લલકાર્યું નહીં, એ જ ગનીમત.

 

સામુહિક બળાત્કાર કરનારાને બાકી રહેલી સજાની માફી ગુજરાત સરકારની એક સમિતિએ આપી. તેનું નામ સામુહિક બળાત્કારી-માફી સમિતિ હતું? કુદરતી ન્યાય પર સામુહિક બળાત્કાર સમિતિહતું? નોકરી-કોને-વહાલી-નથી-સમિતિ હતું? ખબર નથી. તેમણે જે નિર્ણય કર્યો તેનાથી કુદરતી ન્યાયપ્રક્રિયા પર સામુહિક બળાત્કાર થયો ગણાય કે નહીં, તે પણ કાયદાનો વિષય છે—અને કાયદાની કેવી દશા છે, એ તો સમિતિએ કરેલા અને ડબલ એન્જિન સરકારે બહાલ કરેલા નિર્ણય પરથી સ્પષ્ટ થઈ જવું જોઈએ.

 

ઉત્તર પ્રદેશની માફક ગુજરાતને પણ થોડા વખતથી ડબલ એન્જિન સરકાર ધરાવતું રાજ્ય કહેવામાં આવે છે. ટ્રેનમાં ક્યારેક ડબલ એન્જિન જોવા મળે ત્યારે ઘણી વાર એક જ એન્જિન ચાલુ હોય છે. બીજું ફક્ત શોભાનું હોય છે. તે જોઈને શંકા થાય કે રેલવે તંત્રે ડબલ એન્જિન સરકાર જોઈને તો પ્રેરણા નહીં લીધી હોય? ડબલ એન્જિન સરકારના ઘણા ફાયદા ગણાવવામાં આવે છે, પણ તેનો નહીં ગણાવાતો ફાયદો કદાચ આ હશે કે ગેન્ગ રેપ કરનારાની બાકીની સજા કશા વાંધાવિરોધ વગર માફ કરી શકાય. જો એટલું પણ ન થઈ શકતું હોય તો ડબલ એન્જિન હોવાનો શો મતલબ? એવો સવાલ થઈ શકે.

 

એક સમયે ગુજરાતના મુખ્ય મંત્રીનું અપમાન ગુજરાતનું અપમાન ગણાતું હતું. હવે મુખ્ય મંત્રી વડાપ્રધાન છે. તેમની સરકારના રાજમાં ગુજરાતની સરકારે જે નિર્ણય લીધો છે, તેનાથી વડાપ્રધાનનું શું થયું ગણાશે? વડાપ્રધાને આ લખાય છે ત્યાં સુધી, એ વિશે કશું કહ્યું નથી. મુખ્ય મંત્રીને કે બીજા કોઈને ઠપકો કે શાબાશી આપ્યાં નથી. તો શું તે ગુજરાત સરકારના આ નિર્ણયને દિલથી માફ કરી શકશે? અગાઉ તે ગોડસેનાં ગુણગાન ગાનારાં સાધ્વી પ્રજ્ઞાને દિલથી માફ કરી શક્યા ન હતા. એટલા માટે જ કદાચ પ્રજ્ઞાને સંસદસભ્ય બનીને સંતોષ માનવો પડ્યો.  

 

સામુહિક બળાત્કારીઓને સજામાફીના નિર્ણયથી ગુજરાતની અસ્મિતાનું શું થશે? ગુજરાતની અસ્મિતા વિશેનાં ભાવિ પ્રકરણોમાં આ નિર્ણય વિશેનું એક પ્રકરણ હશે કે પછી 2002થી 2022 સુધીનું આખું પુસ્તક જ હશે? આ નિર્ણયથી ગુજરાતની અસ્મિતાનો ડંકો વાગી ગયો છે ને ગુજરાતનું નામ દેશદેશાવરમાં રોશન થઈ ગયું છે, એવું માનનારા પણ છે. આ નિર્ણય જાહેર થયા પછી ડબલ એન્જિન સરકારના બંધ કે ચાલુ, એકેય એન્જિન વિશે સમાજના બોલકા વર્ગનો ઉકળાટ જોવા મળ્યો નથી. તે ધ્યાનમાં રાખતાં, ડબલ એન્જિનની ધારણા હશે કે આપણે ગમે તે દિશામાં ઉપડીએ, ઘણા ડબ્બા આપણી પાછળ જોડાઈ જવા તૈયાર જ રહેવાના—અને તેમની એ ધારણા ડબ્બાઓએ ભક્તિભાવપૂર્વક સાચી પણ પાડી છે.


બેટી બચાવો કહેતાં કહેતાં બળાત્કારી બચાવો સુધી આવી ગયા પછી, વિરોધનાં પીપુડાં વાગે ત્યારે બીજા બધા અવાજ દબાવી દેતું નગારાંસંગીત ચાલુ કરી દેવાનું કામ ડબલ આગળ જણાવેલા ડબ્બાઓનું છે. નેપોલિયને ભલે કહ્યું હોય કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. સાચું વાક્ય એમ હોવું જોઈએ કે એક વાર લાજશરમ અને માણસાઈ નેવે મૂક્યા પછી, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ.

 

ગુજરાતવિરોધીઓ તો આ નિર્ણયનો વિરોધ કરવાના. દુષ્ટ સેક્યુલરિસ્ટો, હિંદુવિરોધીઓ, દેશદ્રોહીઓ, ડાબેરીઓ, અર્બન નક્સલો વગેરે પણ બળાત્કારીઓને સજામાફીની ટીકા કરશે. પણ ગુજરાતના બોલકા વર્ગનો નોંધપાત્ર હિસ્સો કંઈ એમ શરમાય કે દોરવાય એમ નથી. તે બરાબર સમજતો હશે કે એમ શરમાઈને બેસી રહ્યે થોડું વિશ્વગુરુપદ મળે? અને વિશ્વગુરુપદ જેવું ગૌરવશાળી માન મફતમાં ન મળે, એ તો દેખીતું છે. તેના માટે ભોગ આપવો પડે અને જાતે ભોગ ન આપવો હોય તો કોઈનો ભોગ લેવો પણ પડે. તે વખતે ન્યાય-અન્યાય, કાયદોબાયદો ને એવી બધી ચૂંથ કરવા ન બેસાય. ભોગ લઈને આપવાની પ્રક્રિયાનો વિરોધ કરવાનો હોય? કે તે પ્રક્રિયાના સાક્ષી બનવા મળ્યું, તે બદલ ગૌરવ અનુભવવાનું હોય?

 

અત્યાર સુધી ગુજરાતના પ્રતાપે ભારત વિશ્વગુરુ બનવાનું સમર્થ દાવેદાર હતું, પણ આ નિર્ણય પછી તો વિશ્વગુરુપદે તેનું સત્તાવાર તિલક થઈ જવું જોઈએ. કેમ કે, તે નિર્ણય વિવિધતામાં એકતાના ભારતીય મિજાજનું પ્રતિબિંબ છે. તે માટે વિવિધતા શબ્દનો નવો અર્થ એક વાર સમજી લેવો પડે. એક તરફ વડાપ્રધાન પરદેશોમાં ગાંધીજીની દુહાઈ આપતા હોય, ભારતમાં લોકશાહી પરંપરા  કેટલી જૂની છે, તેની કથા કરતા હોય, ભારતમાં મહિલાઓના અધિકારોની વાતો કરતા હોય અને તેમની જ એક ડબલ એન્જિન સરકાર બળાત્કારીઓની બાકી સજા માફ કરી દે, તો આ વિચારોની વિવિધતા થઈ કે નહીં? જુદા જુદા લોકોના વિચારોમાં હોય એ જ વૈવિધ્ય કહેવાય? એક જ વ્યક્તિના એક જ વિષયના વિચારોમાં પ્રચંડ અને વિરોધાભાસી લાગે એ હદનું વૈવિધ્ય હોય, તેની કોઈ કદરકિંમત નહીં? એવું કોણે નક્કી કર્યું?

નહેરુના જમાનાથી નક્કી થયેલા એવા બધા નિયમો હવે નહીં ચલાવી લેવાય. આ નહેરુનું નહીં, ગોડસેનું...એટલે કે ગોડસેએ જેમનો વધ...એટલે કે ગોડસેએ જેમની...એટલે કે ગોડસેના હાથે જેમનું...એટલે કે 30મીએ જેમનું અવસાન થયું હતું તે ગાંધીજીનું ભારત છે. 

Wednesday, August 24, 2022

ઉપવાસ અને બફવડાં

ગુજરાતમાં ઘણાં ઠેકાણે જન્માષ્ટમી પર...ના, જુગારની વાત નથી, આ વાત છે ઘણાં ઠેકાણે બનતાં-વેચાતાં બફવડાંની. ક્યારેક એવો વિચાર આવે કે જુગાર અને બફવડાં ન હોત તો અમુક લોકો જન્માષ્ટમી શી રીતે ઉજવતા હોત? કાકાસાહેબ કાલેલકરે તહેવારો વિશે મનનીય નિબંધો લખ્યા છે, પણ વર્તમાન સમયમાં દરેક તહેવારનો અનુબંધ નવેસરથી, નવા સમયની ખાદ્યસામગ્રી સાથે જોડવો પડે એમ છે. (જાહેર નીતિમત્તાને અને જેવા છે તેવા કાયદા પ્રત્યેના આદરને ધ્યાનમાં રાખીને પેયસામગ્રીની વાત અહીં ટાળવામાં આવી છે.)

ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાનો ખ્યાલ આપતા ઘણા તહેવારોમાં એક સાથે ઉપવાસ અને ખાણીપીણી, એ બંનેનો મહિમા હોય છે. એક વાર એક પરદેશી મિત્રને ફરાળી વિશે સમજણ પાડતાં ટૂંકમાં કહ્યું કે ફરાળી એટલે ઉપવાસમાં ખાવાનું. ત્યારે તેમણે જવાબ પ્રત્યે ભારોભાર અશ્રદ્ધા વ્યક્ત કરતાં કહ્યું હતું, પહેલાં તું નક્કી કરી લેઃ ઉપવાસ કે ખાવાનું?” ઉપવાસનું ખાવાનું એ વદતોવ્યાઘાત એટલે કે પરસ્પર વિરોધી શબ્દો છે, એ જેટલી હકીકત છે, તેટલી જ હકીકત એ પણ છે કે શ્રાવણ મહિનામાં પિત્ઝાના હિંડોળા અને ફરાળી પિત્ઝા સુધી તો પ્રગતિ થઈ ચૂકી છે. શક્ય છે કે આ માહિતી પણ જૂની હોય અને ફરાળી મંચુરિયન ખાતાં ખાતાં અત્યારે કઈ વિદશી વાનગીને ફરાળી સ્વરૂપ આપવું એનો વિચાર કોઈ ફળદ્રુપ ભેજું કરી રહ્યું હોય.

એક શાયરે કહ્યું હતું કે સુખ એ બીજું કૈં નથી, દુઃખનો ગુલાબી મિજાજ છે. એવી રીતે, બફવડાં એ બીજું કૈં નથી, બટાટાવડાંનો ફરાળી મિજાજ છે. પરંતુ સુખ અને દુઃખ વચ્ચે હોય એટલો જ મોટો ફરક બફ ને બટાટાવડાં વચ્ચે હોય છે. એક માતાપિતાનાં બે સંતાનો સાવ જુદાં હોય, એવું જ સારાં બટાટાવડાં અને બફ વચ્ચેના તફાવતના મામલે બને છે. એ દાવામાં સારાં વિશેષણ ઉમેરવાનું કારણ એ કે ખરાબ બને તે બટાટાવડાં છે કે બફવડાં છે કે બાફેલા બટાટા-મરચાનો મસાલો છે, તે નક્કી કરવું અઘરું હોય છે. પરંતુ બફવડું જો સારું હોય તો એક કિલો બટાટાવડાના ઘાણમાંથી જુદું તરી આવે.

હજુ સુધી ભારત સરકારની કોઈ સંસ્થાએ કયા કદમાપનાં બટાટાવડાં બનાવવાં, તેને લગતું કોઈ ધોરણ નક્કી કર્યું નથી. તેને કારણે લખોટી જેવડાં બટાટાવડાંથી માંડીને નાની તોપમાં ગોળા તરીકે વપરાય એટલા કદનાં બટાટાવડાં લોકો બનાવે છે. તેમની સરખામણીમાં બફનું કદ સામાન્ય રીતે નાનું હોય છે. મહિલા પૂર્તિની ભાષામાં તેમને નાજુક પણ કહી શકાય. તેમની પર પથરાયેલું ફરાળી લોટનું આવરણ પણ પારદર્શક લાગે એટલું પાતળું હોય છે. તેની વચ્ચે વચ્ચેથી અંદર ભરાયેલો બટાટાનો માવો ડોકાં કરતો હોય છે. બટાટાવડાંમાં એવું બનતું નથી. તેમાં માવાની ફરતે ચણાના લોટનું રૂઢિચુસ્ત રીતે અભેદ્ય લાગે એટલું જાડું આવરણ રચાયેલું હોય છે. તેના કારણેં બંને વચ્ચેના તફાવતની શરૂઆત બાહ્ય દેખાવથી જ થઈ જાય છે.

ઘણા લોકો માટે બટાટાવડું રોજ મળતા મિત્ર જેવું હોય છે. તેની કિંમત ઓછી ન હોય, પણ નવાઈ ઓસરી ચૂકી હોય. બફ તેમને ક્યારેક મળતા મિત્ર જેવું લાગે છે. તેને જોઈને ઉમળકો જાગે. સ્વાદિયા ન હોય એવા ઘણા લોકો બફવડાં વર્ષમાં અમુક જ વાર, કેટલાક તો માત્ર જન્માષ્ટમીના દિવસે જ ખાતા હોય તો નવાઈ નહીં. તેના કારણે બફનું આકર્ષણ અને તેના માટેની ઝંખના તેમના મનમાં જળવાયેલાં રહે છે. શહેરોમાં તો હવે તહેવારો નિમિત્તે ખાણીપીણીની સામગ્રી ખરીદવા માટે લાઇનમાં ઊભા રહેવાનો ધારો પડી ગયો છે. ગીરદી તો ગામોમાં પણ હોય. છતાં, ત્યાં ઊભા ઊભા લોકો અરે, આપણાં સાડી સાતસો કરજો, આપણાં પાંચસો-પાંચસોના બે ભૂલતા નહીં—જેવા પોકારો પાડતા હોય છે.

દુકાને બેસીને તળનારા કારીગરના ચહેરા પર એ બધો વખત એવો ભાવ હોય છે કે તમારો ઓર્ડર સાંભળ્યો, પણ હું તો મારે જે કરવું હશે તે રીતે જ કરીશ.

કેટલાક લોકો કારીગરને છોડીને પડીકાં બાંધનાર સાથે જૂની ઓળખાણો કાઢવા કે નવી ઓળખાણો બાંધવા પ્રયાસ કરે છે, જેથી તળાઈ રહેલા ઘાણમાંથી, તેમને વીઆઇપી ક્વોટામાં ફાળવણી થાય. કેટલાક લોકો વફાદારીનો સહારો લેતાં થડા પર બેઠેલા જણને કહે છે, મારા બાપા આઠમ કરે ત્યારે તમારી દુકાનનાં બફવડાં સિવાય બીજા કશાને હાથ પણ ન લગાડે. મારું પણ એવું જ. તમારાં બફ એટલે બાકી...આપણાં કિલો કરજો.

પ્રેમની જેમ બફવડાંનો મસાલો સરખો હોવા છતાં, દરેક કલાકારની અભિવ્યક્તિ તેમાં જુદી જુદી હોય છે અને દરેકને પોતપોતાની અભિવ્યક્તિનું ગૌરવ હોય છે. તેમને લાગે છે કે તેમની દુકાને બને છે, તેવાં બફવડાં વ્હાઇટ હાઉસમાં પણ નથી બનતાં. એક રીતે તેમની વાત સાચી પણ હોય છે. કારણ કે, વ્હાઇટ હાઉસમાં બફવડાં જ નથી બનતાં. 

ગુજરાતમાં બફવડાંનું બજાર આઠમ કે અગીયારસના ઉપવાસ વખતે, પણ બ્લફવડાંનું બજાર બારે મહિના ગરમ હોય છે. બ્લફ કહેતાં ફેંકાફેંકની ફિશિયારીનાં વડાં પ્રજાને એટલાં ભાવે છે કે દરેક પંદરમી ઓગસ્ટે ને એવા બીજા અનેક પ્રસંગે નેતાઓ બ્લફવડાંના ઘાણ ઉતારીને જાય, તો પણ લોકો તેમનો કાંઠલો પકડીને અગાઉ કરેલી ફેંકાફેંકનો હિસાબ માગતા નથી અને હોંશે હોંશે નવા ઘાણની સુગંધથી ડોલવા લાગે છે. 

Friday, August 19, 2022

ન્યાયનો અંત આવો? : બળાત્કારીઓ અને હત્યારાઓને અપાયેલી માફી વિશે પ્રતાપ ભાનુ મહેતાના અંગ્રેજી લેખનો અનુવાદ

પ્રતાપ ભાનુ મહેતા,  ઓગસ્ટ 19, 2022, ધ ઇન્ડિયન એક્સપ્રેસ

જરાય ગાફેલિયતમાં રહેવાની જરૂર નથી. બિલ્કિસબાનુ પર સામુહિક બળાત્કાર કરનારા, તેમની ત્રણ વર્ષની બાળકીની હત્યા કરનારા અને બીજા તેર લોકોની હત્યામાં સામેલ 11 લોકોને ગુજરાત સરકારની સમિતિએ આપેલી માફી કેવળ ન્યાયની વિડંબના નથી. તે ઉશ્કેરણીનો ખતરનાક રાજકીય ખેલ છે. સરકાર કદાચ હજુ તે હુકમ પર ફેરવિચાર કરી શકે. સર્વોચ્ચ અદાલતે માફીની અરજી પર વિચાર કરવાની મંજૂરી આપી હોવા છતાં, તેનાં દ્વાર ખટખટાવવામાં આવે તો, તે પણ સજામાફીનો (સમિતિએ કરેલો) નિર્ણય કદાચ ઉલટાવી શકે. પણ તેનાથી જે નુકસાન થવાનું હતું, તે થઈ ચૂક્યું છે. શું ન્યાયનો અંત આવો હોય?” એવા બિલ્કીસબાનુના મર્મભેદી સવાલે કાળજીપૂર્વક ઊભા કરેલા ભારતીય ગણતંત્રના બાહ્ય ભ્રામક દેખાવને છેદી નાખ્યો છે. રહીરહીને પોકારે એવા આ સવાલ પાછળ રહેલા ચિત્કારનો કોઈ જવાબ નથી. હકીકત તો એ છે કે, તે સવાલની પાછળ રહેલો ચિત્કાર વ્યાપકપણે અનુભવાયો નથી, તે ગણતંત્રના નૈતિક બુઠ્ઠાપણાની અને હડહડતા કોમવાદીપણાની સાહેદી પૂરે છે.  

રાજ્યે આપેલી માફીમાં શું દાવ પર લાગ્યું છે, તે સમજવામાં કાયદાકીય દલીલો આડે ન આવે તે જરૂરી છે. કમભાગ્યે, ભારતીય ન્યાયપ્રણાલિમાં જામીન, સજા અને માફી મોટા પાયે મુનસફી પર ચાલે છે. ડિસેમ્બર 2012માં દિલ્હીમાં થયેલા ગેંગ રેપ અને મર્ડર કેસ જેવા કેટલાક બળાત્કારના કિસ્સામાં ગુનેગારોને મૃત્યુદંડની સજા મળી, જ્યારે એવા બીજા ઘણા કિસ્સામાં એવી સજા નથી મળી. 1992માં અસ્તિત્વ ધરાવતી અને ત્યાર પછી નાબૂદ કરાયેલી માફીનીતિ હેઠળ માફી આપી શકાય કે નહીં, તેની ચર્ચા થઈ શકે; ભયંકર ગુનાઓમાં માફીની જોગવાઈ લાગુ પાડી શકાય નહીં, એવી કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન આ કિસ્સામાં લાગુ પડી શકે કે નહીં, તેની પણ ચર્ચા થઈ શકે. આ પ્રકારના કેસમાં ન્યાયી સજા કેવી હોઈ શકે, તેની વાત થઈ શકે. દંડ અને સજા વિશેની વ્યાપક ચર્ચા પણ અલગથી થઈ શકે. પરંતુ જે રીતે આ કિસ્સામાં મુન્સફી વાપરવામાં આવી છે, તે સાવ જુદી વાત છે. (આગળ જણાવેલા) બધા કાનૂની આટાપાટાની મદદથી સજા માફ થઈ હોય એવું બને. પરંતુ આ કિસ્સામાં રાજ્ય સરકારે પોતાની મુન્સફીનો ઉપયોગ ન્યાયને ઉથલાવી પાડવા માટે અને રાજકીય સંકેત આપવા માટે કર્યો હોય એવું લાગે છે.

બિલ્કિસબાનુનો કેસ એટલો ભયંકર હતો કે તેના વિશે સાંભળવામાત્રથી મગજ અને કલ્પનાશક્તિ બહેર મારી જાય, ચિત્ત ભ્રમિત થઈ જાય. ગુનો એટલો ભયંકર હતો અને તેની વિગતોની અનેક વાર પુષ્ટિ થઈ ચૂકી છે. તેમ છતાં, એવી હિંસાખોરીના વિચારમાત્રથી આપણને હજુ પણ ત્રાસ છૂટે છે કે જેમાં એક સગર્ભા સ્ત્રી પર બળાત્કાર થયો હોય, એક બાળકને પટકીને મારી નાખવામાં આવ્યું હોય, આખા પરિવારની હત્યા થઈ હોય અને આ બધું પાડોશીઓમાંથી જ કેટલાકે કર્યું હોય. તે ધ્યાનમાં રાખતાં, બિલ્કિસબાનુએ જે હાંસલ કર્યું, તે કોઈ ચમત્કારથી કમ ન હતું. તે જુસ્સાથી સક્રિય થયાં. દુશ્મનાવટભર્યું રાજકીય વાતાવરણ, ડરાવતો સમાજ, ખંડિત ન્યાયતંત્ર અને આર્થિક અભાવ જેવી ભારે વિપરીતતાઓ સામે તેમણે અદમ્ય સાહસ દેખાડ્યું, તેમણે પોતાની ઓળખ ગુનાથી (ભોગ બનનાર તરીકે) નહીં, પણ ન્યાયથી (ઝઝૂમીને ન્યાય મેળવનાર તરીકેની) ઊભી કરી. અને દેશભક્તિની ઉચ્ચતમ મિસાલ તરીકે, ભારતીય બંધારણ અને તેની સંસ્થાઓમાં, તેના રખેવાળોને પણ કદી ન હોય એવો ને એટલો, વિશ્વાસ મુક્યો. આપણે જાતને આશ્વાસન આપવું હોય કે હજુ પણ ન્યાય મેળવવાનું શક્ય છે, ત્યારે બિલ્કીસબાનુનો કેસ આપણા માટે એવા તરણાનું કામ કરે છે, જેને વળગીને આપણે એવો સધિયારો મેળવી શકીએ. અને ન્યાયનો અંત કેવો આવ્યો? બિલ્કીસબાનુને એટલી જાણ કરવાનો વિવેક પણ ચૂકાયો કે તમારા અત્યાચારી પાડોશીઓને છોડી મૂકીએ છીએ. રાજ્યના પગલાનો બેપરવાઈભર્યો મતલબ હતોઃ એ ભય અને માનસિક ત્રાસ ફરી અનુભવો.

આ ઘટનાક્રમનાં બે રાજકીય પાસાં નોંધપાત્ર છે. અગાઉનાં ઘણાં રમખાણોની જેમ, 2002નાં રમખાણોના ઘણા આરોપીઓનો ન્યાય હજુ થયો નથી. પરંતુ ગુજરાતમાં વ્યાપક રીતે એવો માહોલ છે કે જે લોકો સામે અદાલતમાં કામ ચાલ્યું અને સજા થઈ તે હકીકતમાં કેટલાંક એનજીઓ, કર્મશીલો, (કેન્દ્રની) કોંગ્રેસ સરકાર અને મિડીયાના કેટલાક હિસ્સાની રાજકીય કાવતરાબાજીનો ભોગ બનેલા લોકો હતા. ન્યાયની સતત માગણી કરતા લોકોના દબાણને હળવું કરવા માટે, કેટલીક વાર નામીચા પણ આ કિસ્સામાં નિર્દોષ હોય એવા લોકોને ઝડપીને, તેમને રાજકીય સંઘર્ષમાં બલિનો બકરો બનાવાયા. એ વાત સાચી છે કે નહીં, તે અહીં અપ્રસ્તુત છે. અસલી મુદ્દો એ છે કે આપણે આવું માની લઈએ, તેમ ભાજપ ઇચ્છે છે. હિંદુઓ કદી ત્રાસવાદી હોઈ શકે નહીં અને હિંદુઓ હંમેશાં ભોગ બનેલા જ હોય—એવા ભાજપના પ્રચારગાનનો તે હિસ્સો છે.

તે મતલબના પ્રચારને વાજબીપણાની દલીલ તરીકે અપનાવીને, સરકાર હવે 2002માં હિંસાપીડિતોને ન્યાય અપાવવાનું કામ કરનારા લોકોની પાછળ પડી ગઈ છે અને તેમણે ન્યાય મેળવવાનો પ્રયાસ કર્યો તે બદલ તેમને દંડી રહી છે. આ પ્રચારમાં ઉશ્કેરણીની અસલી ઘંટડી એવું સૂચવવામાં છે કે ન્યાય મેળવવાનો પ્રયાસ પોતે જ એક કાવતરું હતો. આ કેવળ બદલો નથી. તે હિંદુઓની નિર્દોષતાની તેમણે (ભાજપે) ઊભી કરેલા માન્યતાને ટેકો આપવા માટે પણ છે. બિનભાજપી સરકાર હશે ત્યાં આ પ્રકારની કાવતરાબાજી વધારે શક્તિશાળી બનશે. માફી થકી સગડવપૂર્વક એવું સૂચવી શકાય છે કે ભાજપ ન્યાયપ્રણાલિમાં પણ હિંદુ હિતનું રક્ષણ કરશે. પોલીસ અને ન્યાયતંત્રની વિશ્વસનિયતા સામે સવાલો ઊઠતા હોય એવા માહોલમાં આ પ્રકારનો પ્રચાર માની લેવાનું સહેલું છે. ગુનેગારો સામે પગલાં ન ભરવા માટે પણ (ન્યાય મેળવવાનો પ્રયાસ પોતે એક કાવતરું હતો) તે પ્રપંચ ઉપયોગી બની રહે છે.

વ્યક્તિની ઓળખ સાથે સંકળાયેલા ગુના હકીકતમાં અસલી ગુના નથી, એવા ભયંકર ખ્યાલને કારણે આ પ્રકારની ઉશ્કેરણીજનક ચેષ્ટા વધારે શક્ય બને છે. આ પ્રકારની વિચારસરણીને કારણે જ, બળાત્કારની હિંસાને કોમના સંદર્ભમાં મુકી દેવાતાં તે ધૂંધળી બની જાય છે. કોમી હિંસાના મામલે, જાતીય હિંસાને ઘણા સમયથી રાજકીય હિંસાનું જ એક સાધન ગણવામાં આવી છે. પરંતુ તે જ્ઞાતિઆધારિત હિંસાને પણ લાગુ પડે છે. જ્ઞાતિની તાકાત બનાવવા માટે કે સામુહિક હત્યાકાંડોમાં કે રમખાણોમાં હિંસાનો ભોગ બનતા લોકોને તેમની ઓળખના આધારે પસંદ કરવામાં આવે છે. હિંસા આચરનારા લોકો માટે (ભોગ બનનારની) ઓળખ મુખ્ય બને, એટલે તેમનો પોતાનો અંતરાત્મા કોરાણે મુકાઈ જાય છે અને તેમને સમર્થન આપનારા લોકો પણ તેમને ગુનેગારને બદલે હીરો તરીકે જુએ છે. હિંદુત્વ અને એવી બીજી અંતિમવાદી વિચારસરણીઓ જેના જોરે ફૂલતીફાલતી હોય છે તેવા યુદ્ધના અતિશયોક્તિભર્યા પોકારો આ પ્રકારના વૈચારિક સંકોચનને સહેલું બનાવે છે. એ જ કારણથી, હત્યારાઓને હારતોરા કરવાનું, બળાત્કારીઓનું સન્માન કરવાનું અને તેમના સમર્થનમાં રેલીઓ કાઢવાનું આપણા માટે સહેલું હોય છે.

એટલે, સજામાફીના પગલે હોબાળો ન થયો કે (ગુનો કેવો છે તે નહીં, પણ) ગુનેગાર કોણ છે તેના આધારે નક્કી થતાં આપણાં બેવડાં ધોરણ અંગે કશો ગુંચવાડો અનુભવવા જેવો નથી. આપણે ફક્ત કોમવાદની માત્રા વધી હોય એવા સમયમાં નથી જીવતાં. આપણી કોમી ઓળખ સંપૂર્ણ બની ચૂકી છે, જેમાં સંગીત, ભાષા જેવાં પ્રમાણમાં નાનાં સાંસ્કૃતિક પરિબળો પણ ઓળખના બોજથી મુક્ત નથી. આ પ્રકારના પૂરેપૂરા રંગાયેલા વાતાવરણમાં ગુનો અને ન્યાય, નિર્દોષતા અને અપરાધભાવ જેવા શબ્દોનો પણ, કોમવાદી એજન્ડાના ભાગ બનવા સિવાય, સ્વતંત્ર-પોતીકો અર્થ રહ્યો નથી.

એટલે શું ન્યાયનો અંત આવો હોય?” એવા બિલ્કીસબાનુના સવાલનો જવાબ અકળાવનારો હોઈ શકે છે. તેમના ધીરજપૂર્વકના પ્રયાસથી તેમને ન્યાય મળ્યો ને ન્યાય મેળવવાનું હજુ શક્ય છે—એવા ભ્રમને વળગી રહેવાનું આપણને નિમિત્ત મળ્યું. પરંતુ હવે જણાય છે કે કોમવાદ અને ગુનાનાં માઠાં પરિણામની જવાબદારીમાંથી મુક્તિનો વાયરો વાય, ત્યારે ન્યાયના તંતુઓ ફરી એક વાર હવામાં ઉડી જશે. ન્યાયનો અંત આવો ન હોય, પણ કદાચ સાચો ન્યાય કદી શરૂ જ થયો ન હતો.

મૂળ લેખની લિન્ક

https://indianexpress.com/article/opinion/columns/justice-bilkis-bano-question-should-haunt-indian-republic-8097740/