Wednesday, October 05, 2016

કેટલીક સનાતન સભા-સમસ્યાઓ

(બોલ્યુંચાલ્યું માફ)
કહેવત છે કે ગામ હોય ત્યાં ઉકરડો હોય અને રાજ્ય હોય ત્યાં મુખ્ય મંત્રી હોય. (કહેવતનો ઉત્તરાર્ધ અનુભવીઓએ ઉમેરેલો છે. તેને કહેવતના પૂર્વાર્ધ સાથે જોડવો કે નહીં, એ સૌની મુન્સફીનો વિષય છે.) એવી જ રીતે, સભા હોય ત્યાં સમસ્યા હોય. એ જુદી વાત છે કે ‘સુખદુઃખ મનમાં ન આણીએ’ એવી કવિતા પ્રમાણે આપણા આયોજકો, સંચાલકો, વક્તાઓ અને શ્રોતાઓ સુદ્ધાં સભાનાં સુખદુઃખથી-સભાની સમસ્યાઓથી પર થઇ ગયાં છે.

‘જોયું? ગણતરીમાં અમારો ક્રમ વક્તાઓ કરતાં પહેલો આવ્યો ને? અમે તો ક્યારના કહીએ છીએ...’ એવું સંચાલકો કહી શકે છે. અહીં પહેલાં લખ્યું હતું, ‘મનોમન વિચારી શકે છે.’ પછી થયું, મોટા ભાગના સંચાલકો વિચારી શકતા હોય અને એય પાછું મનોમન અને એ પણ બીજાની મુશ્કેલીઓ વિશે, તો આપણાં ઉઘડી ગયાં ન હોત?

વાત સભાની સમસ્યાઓ પરથી અનાયાસે સીધી સંચાલકો પર પહોંચી ગઇ તે સારું થયું. કારણ કે સભાની સમસ્યાઓ ગણવા બેસીએ ત્યારે, ઘણા કિસ્સામાં શરૂઆત સંચાલકોથી જ થાય છે. સંચાલકોની આદર્શ ભૂમિકા ભારતના રાષ્ટ્રપતિ જેવી હોય છે, પણ સરેરાશ ગુજરાતી સંચાલકો તેને અમેરિકાના રાષ્ટ્રપતિ જેેવી બનાવી દે છે. આ સમજફેરથી સંચાલકો સિવાય બધાને ત્રાસ પડે છે. સભામાં સંચાલનની મુખ્ય જરૂરિયાત એવા સંજોગોમાં જ પડેે, જ્યારે વક્તાઓ તેમને સોંપેલા વિષયથી કે તેમને આપેલી સમયમર્યાદાથી ઘણા બહાર નીકળી જતા લાગે. પત્રકારત્વની ભાષામાં કહીએ તો, સંચાલકોનું કામ સભાનાં કાયદા-ેવ્યવસ્થાની જાળવણી કરવાનું હોય છે. પરંતુ ભૂતકાળમાં કેટલાક પોલીસ અફસરો વિશે સાંભળેલું કે એ પોતે જ ગુંડાઓ રોકીને ખંડણી ઉઘરાવતા હતા. એવી જ રીતે, ઘણા સંચાલકો સભાનાં કાયદો-વ્યવસ્થાની જાળવણી કરવાને બદલે પોતે જ સભાનાં કાયદો-વ્યવસ્થા માટે સૌથી મોટું જોખમ બની જાય છે.

‘સંચાલન’ શબ્દથી તેમને સભાસમારંભનું નહીં, પણ સૃષ્ટિનું સંચાલન કરવા મળ્યું હોય એવી કીક આવે છે. એટલે તે આડેધડ શબ્દોની કીકાકીક કરીને લોકોના કાન અને દિમાગ પર જુલમ ગુજારતા રહે છે. કોઇ કાર્યક્રમના મુખ્ય રજૂઆતકર્તા હોવું તે એક વાત છે, પણ નિમંત્રિત વક્તાઓ બોલવાના હોય અને તેમાં સંચાલક જાતે મુખ્ય રજૂઆતકર્તા બની જાય ત્યારે ખરી દુર્ઘટના થાય છે. એ સભા સુપરમેનના પોશાક જેવી લાગે છે, જેમાં અંદર પહેરવાનું સૌથી ઉપર પહેરેલું હોય. ઘણા સંચાલકો એવી માન્યતાથી પીડાય છે કે દરેક વક્તા બોલી જાય તે પછી--ભલે તે ગુજરાતી ભાષામાં જ બોલ્યો હોય તો પણ--તે શું બોલ્યા છે, તે શ્રોતાઓને સમજાવી દેવું. આમ કરવાથી શ્રોતાઓની સમજ વધે કે ન વધે, પોતાના ફૂટેજ વધે છે. કેટલાક સંચાલકો એવા ભ્રમમાં હોય છે--અને ઘણા આયોજકો તેમને એવા ભ્રમમાં રહેવા દે છે--કે લોકો ખરેખર તો તેમને જ સાંભળવા આવ્યા છે. 'વક્તાઓ-બક્તાઓ તો સમજ્યા હવે.' માણસોને પડતાં દુઃખો જોઇને ઘણા લોકોને થાય છે કે ભગવાન જો આવો જ હોય, તો એનાં કરતાં તે ન હોય તો સારો. ઘણી સભાઓમાં સંચાલકોનો આતંક જોયા પછી મોટે ભાગે આવી જ લાગણી થાય છે.

અલબત્ત, આ તો મુખ્ય અને સૌથી વ્યાપક સમસ્યા થઇ. એ સિવાય નાનીમોટી ઘણી ગૂંચો સભામાં આવી શકે છે. જેમ કે, દગાખોર માઇક. ઘણી વાર માઇક જાણે પહેલેથી નક્કી કરીને બેઠાં હોય કે ‘આજે તો આયોજકોની આબરૂ લઇને જ જંપીશ’, એમ ઘડીકમાં તે ચાલુ થાય છે ને પછી સરકારી સર્વરોની જેમ મનસ્વી રીતે બંધ થઇ જાય છે. શરૂઆતમાં આયોજકોને લાગે છે કે વક્તા નવોદિત હોવાથી તેને માઇકની સ્વિચ વિશે ખબર નથી અથવા ભૂલથી તેનાથી સ્વિચ બંધ થઇ ગઇ છે અથવા સ્વિચ તેને જડતી નથી. પણ એક વાર મોટો અવાજ આવ્યા પછી, ફરી પાછો અવાજ ધીમો થઇ જાય, ત્યારે મંચ પર કે મંચથી દૂર બેઠેલા આયોજક ત્યાં બેઠાં બેઠાં ‘અખિયોંસે ગોલી મારે’  અંદાજમાં સાઉન્ડવાળા સામે જોઇને કાતરિયાં ખાય છે. એકથી વધારે વાર આવું થાય એટલે આયોજક ઘુરકિયાં કરે છે. આ દૃશ્યો જોનારને એવું જ લાગે કે આજના કાર્યક્રમ પછી સાઉન્ડવાળાનું આવી બન્યું. આયોજક સભાના ત્રાસવાદી સંચાલકને સાઉન્ડવાળા પર બે-ત્રણ કલાક સુધી છૂટો મૂકી દેશે.

સાઉન્ડવાળો પણ આવી કોઇ કાલ્પનિક ઘાતકી સજાથી ગભરાયો હોય તેમ દોડતો સ્ટેજ પર આવે છે, માઇક ઠીકઠાક કરે છે અને તેની પર આંગળીના ટકોરા મારીને ‘હેલો, હેલો’ બોલીને માઇક પાછું આપે છે. એ વખતે તેની નજરમાં હળવો ઠપકો પણ વરસતો હોય છે કે ‘ભલા માણસ, માઇક તો બરાબર છે. શું કામ મારી બદનામી કરો છો?’ એક આડવાત : સાઉન્ડવાળો ગમે તેટલો અભણ હોય અને અંગ્રેજી ભાષા ન જાણતા હોય તો પણ તેને ‘હેલો, હેલો, ટેસ્ટિંગ વન ટુ થ્રી’ બોલવા જેટલું અંગ્રેજી તો આવડે જ છે. અંગ્રેજીની આ આવડતને કારણે ભારત અચૂક સુપરપાવર બની શકશે--અને માઇક હવે ફરી નહીં બગડે એવી શ્રદ્ધા સાથે વક્તાઓ અને શ્રોતાઓ આશ્વસ્ત થાય છે.

કેટલાંક માઇક ચાલુ પ્રવચને, જાણે વક્તાનો કે સંચાલકનો ત્રાસ વેઠાતો ન હોય તેમ, ચિત્કારી ઉઠે છે. પ્રેમીના દિલમાંથી નીકળતી આહ આસમાનને ચીરી નાખે છે, એવું કવિઓએ લખ્યું છે. માઇકની ચીસ તરીકે વાગતો સીસોટી જેવો અવાજ એટલો બુલંદ તો હોય છે કે  શ્રોતાઓના કાનમાં ધાક પડી જાય. હોલમાં બેઠેલા પોઝિટિવ થિંકિંગવાળા કે સમજુ લોકો એવું આશ્વાસન લઇ શકે છે કે,‘કાનમાં ધાક પડી જાય અને થોડી સેકન્ડ કે મિનીટ સુધી સંભળાય નહીં, ત્યાં સુધી સાંભળવાના ત્રાસમાંથી જેટલો છૂટકારો મળ્યો તેટલો ખરો.’

જેમ અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા ખૂબ વધી ગઇ હોવા છતાં, તેમાં ભણાવનારા શિક્ષકોની આવડતના ગંભીર પ્રશ્નો છે, તેમ વક્તવ્યો-કાર્યક્રમોનું પ્રમાણ ઘણું વધી ગયું છે, પણ તેને આયોજકોની કે સંબંધિત સંસ્થાની જ્ઞાનપીપાસા ગણી લેવાની જરૂર નથી. જેમને મોટા ઉપાડે કે મોટી ફી ચૂકવીને વક્તવ્ય માટે બોલાવ્યા હોય, તેમણે જીવનમાં જાણીતા થવા ઉપરાંત બીજું શું કર્યું છે, એ વિશે આયોજકો નિર્દોષ હોઇ શકે છે. તેમના માટે વક્તાનું જાણીતા હોવું અથવા તેમના માટે કોઇની ભલામણ હોવી એટલું પૂરતું છે. આવી સ્થિતિમાં જાગ્રત આયોજકો પહેલેથી વક્તાની ‘જીવન ઝરમર’ (એટલે કે બાયો ડેટા) મંગાવી લે છે. કેટલાક આયોજકોને સંચાલકો પર એવો ભરોસો હોય છે કે એ છેલ્લી ઘડીએ વક્તા સાથે વાતચીત કરીને કે શક્ય હોય તો વક્તા પાસે તેમના જ હસ્તાક્ષરમાં લખાવીને તેમનો પરિચય મેળવી લેશે.

પ્રક્રિયાઓ જુદી જુદી હોઇ શકે છે, પણ પરિણામ મોટે ભાગે એક સરખું જ હોય છે : જીવન ઝરમર લખેલી હોય તો વાંચવામાં અને વાતચીતમાં મેળવેલી હોય તો તે બોલવામાં સંચાલકો મૌલિક ભૂલો કરે છે અને એ ભૂલોને તેમની સર્જનાત્મક અભિવ્યક્તિનો ગણવી જોઇએ, એવી આત્મવિશ્વાસભરી અપેક્ષા રાખે છે. થોડા કાર્યક્રમો પછી વક્તા આ બાબતે એટલા રીઢા થઇ જાય છે કે પોતાનો પરિચય વંચાતો હોય ત્યારે તે હોલમાં બંધ રહેલી લાઇટો કે દીવાલ પર બેસાડેલા પંખાની સંખ્યા ગણે છે અથવા સામે દરેક હરોળમાં કેટલી ખુરશીઓ છે, એ મનોમન ગણવાની કોશિશ કરે છે. તેનો એકમાત્ર આશય પરિચયવાળો હિસ્સો દુઃખી થયા વિના વટાવી જવાનો હોય છે.

Tuesday, October 04, 2016

સ્ટ્રાઇકને આવકાર, ઘેલછાને 'નમસ્કાર'

ભારતીય સૈન્યે પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇકના પગલે દેશમાં હરખની હેલી ચઢી. મીઠાઇ વહેંચવાથી માંડીને ચાર રસ્તે દેખાવો યોજવા સુધીનાં લાગણી-પ્રદર્શન થયાં. પરદેશથી આવેલા કોઇને એવું જ લાગે, જાણે ભારતે પાકિસ્તાન સામેનું યુદ્ધ જીતી લીધું છે અથવા કાશ્મીરની-ત્રાસવાદની સમસ્યા કાયમ માટે ઉકલી ગઇ છે. 

લશ્કરી પ્રવક્તાએ કરેલું નિવેદન નાગરિકો માટે આવકાર્ય અને પૂરતું હોવું જોઇએ. તેમણે કહ્યું કે ભારતીય સૈન્યે હાથ ધરેલી સર્જિકલ સ્ટ્રાઇક્સમાં ત્રાસવાદીઓ અને તેમને મદદ કરનારાના પક્ષે ભારે જાનહાનિ થઇ છે. ભારતીય સૈન્યની કમાન્ડો ટુકડી લાઇન ઓફ કન્ટ્રોલમાં ઘૂસી ગઇ કે હેલિકોપ્ટરમાં પેરાટ્રુપર (છત્રીસૈનિકો) મોકલવામાં આવ્યાંએવી કોઇ વિગત સૈન્ય પ્રવક્તાના સત્તાવાર નિવેદનમાં આવતી નથી. કેટલાંક પ્રસાર માધ્યમો તેમનાં ખાસ સૂત્રોને ટાંકીને હેલિકોપ્ટર અને પેરાટ્રુપર્સનાં પરાક્રમી વર્ણનો બેધડક પ્રસારિત કરતાં હતાં, ત્યારે ભારતના માહિતી પ્રસારણ ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી રાજ્યવર્ધનસિંઘ રાઠોડે કહ્યું કે આ સ્ટ્રાઇકમાં હેલિકોપ્ટરનો ઉપયોગ થયો ન હતો. તેમણે એવું કહ્યું કે ભારતીય સૈનિકોએ જમીનરસ્તે લાઇન ઓફ કન્ટ્રોલ ઓળંગી હતી.

સૈન્ય પ્રવક્તાનું નિવેદન બહુ વ્યાપક, ફાંકાફોજદારી વગરનું છેઅને એવું જ હોવું જોઇએ. તેમના નિવેદનમાં એક સંભાવના એવી પણ રહે છે કે લાઇન ઓફ કન્ટ્રોલ ઓળંગ્યા વિના, આ પાર રહીને, ચોક્કસ માહિતીના-ઇસરોએ પૂરી પાડેલી ઉપગ્રહ તસવીરોના આધારે, ફક્ત આર્ટિલરીથી (તોપદળથી) પેલે પારનાં કેટલાંક ઠેકાણાં પર હુમલો કરવામાં આવ્યો હોય ને તેમને નષ્ટ કરવામાં આવ્યાં હોય. આપણા માટે ખરું મહત્ત્વ ભારતીય સૈન્યે કરેલી અસરકારક કાર્યવાહીનું છે. પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં આવેલી ત્રાસવાદી છાવણીઓ પર લાઇન ઓફ કન્ટ્રોલ ઓળંગીને હુમલો થાય કે ઓળંગ્યા વિના, તેમાં હેલિકોપ્ટર-કમાન્ડોનો ઉપયોગ થાય કે ન થાય, નાગરિકોને અસરકારક કાર્યવાહીથી આનંદ થવો જોઇએ. એને બદલે એક્સક્લુઝિવ માહિતીના નામે પ્રસાર માધ્યમોએ મન ફાવે તેમ અહેવાલો ચલાવ્યા. તેમાં રહેલો નક્કર માહિતીનો અભાવ તથા દેખીતી વિસંગતીઓ ભારતીય પ્રસાર માધ્યમોને હાસ્યાસ્પદ બનાવવા ઉપરાંત, ભારતીય સૈન્યના દાવાની ગંભીરતા ઘટાડે છે, એ તેમને કેમ નહીં સમજાયું હોયશું આપણે હાસ્યાસ્પદ દાવા કરવાની હરીફાઇમાં પણ પાકિસ્તાનને હરાવી દેવાનું છે? 

આવું કરવાની શી જરૂર? જવાબ છેઃ ટીઆરપી એટલે કે ધંધો. સર્જિકલ સ્ટ્રાઇક વિશે મુદ્દા પરથી વાર્તા બનાવવાની હરીફાઇમાં પાછળ રહી જવું કોને પોસાય? આતુર ઓડિયન્સ દેશભક્તિની કીક અનુભવવા માટે સાચુંખોટું વિચાર્યા વિના જે મળે તે ગટગટાવી જવા આતુર હોય, ત્યારે ગળણીઓ વાપરવાની પરવા કોણ અને શા માટે કરે? મીડિયાની આ જૂની રીત છે. તેનાથી લોકોમાં દેશભક્તિ તો જાગતાં જાગે, પણ જેમને સવાલ પૂછી ન શકાય અને દેશભક્તિના નામે જેમની ફક્ત આરાધના જ થઇ શકે, એવા નવા ઉદ્ધારકો પેદા થાય છે, લોકશાહીમાં ઉદ્ધારકોની નહીં, પણ જેને સવાલ પૂછી શકાય અને જવાબ મેળવી શકાય એવા નેતાઓની જરૂર હોય છે. સરકારને સ્વાભાવિક રીતે જ આવાં જૂઠાણાં સામે વાંધો ન હોય. કારણ કે, તેનાથી વડાપ્રધાનના નારાજ ચાહકવર્ગને ફરી પાછી ચીઅરલીડરી કરવાની તક પ્રાપ્ત થાય. 

સર્જિકલ સ્ટ્રાઇકની સૈન્ય કાર્યવાહીને આખી ઘટનાને ભારતની પાકિસ્તાનનીતિ સંદર્ભે જોવા અને આવકારવાને બદલે, નરેન્દ્ર મોદીના ઘરમાં ઘૂસીને મારવાનાભૂતકાળના દાવાના સમર્થન તરીકે અને જોયું? સાહેબે કેવું પરાક્રમ કરી બતાવ્યું?’—એ રીતે જોવામાં નકરી બાલિશતા છે. પરંતુ લશ્કરે આપેલા મુદ્દા પરથી મન ફાવે તેવી કહાણીઓ બનાવનાર સરેરાશ મીડિયાએ આ બાલિશતાને પુખ્તતાના માર્ગે વાળવાની કોશિશ કરવાને બદલે, ધંધામાં ધ્યાન આપ્યું છે. 

વડાપ્રધાનના ચાહકોને વાજબી રીતે પ્રશ્ન થઇ શકેઃ શું સર્જિકલ સ્ટ્રાઇકમાં નરેન્દ્ર મોદીનો કોઇ ફાળો નહીં? તેમને કશો જશ ન મળે?’ તેનો જવાબ છેઃ સર્જિકલ સ્ટ્રાઇકના પગલા માટેઅને તેનાથી પાકિસ્તાન અને અમેરિકાને જે સંદેશો મળ્યો હોય, તેના માટે વડાપ્રધાન અભિનંદનના અધિકારી છે. લશ્કરે સંયમિત રીતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકની જાહેરાતથી આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ ખબર પડી છે કે હવે ભારતની ધીરજ ખૂટી છેઅથવા ભારત કમ સે કમ એવો સંદેશો આપવા માગે છે. એટલે, ભૂતકાળમાં ભારતીય સૈન્યે આ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય તો પણ, આ વખતની સ્ટ્રાઇક અને તેની સૈન્ય દ્વારા કરાયેલી જાહેરાતથી જે કંઇ સારી અસર થઇ, તેના જશનો મોટો હિસ્સો વડાપ્રધાનનો છે. 

સમજવાનું એ છે કે લશ્કરની વ્યૂહાત્મક, સંયમિત જાહેરાત પરથી ફિલ્મી કલ્પનાઓ કરીને, વડાપ્રધાન કેવા છપ્પનની છાતીવાળા છે અને પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને કેવો પાઠ ભણાવી દીધો, એવાં ઘેલાં કાઢવામાં દેશનું સારું દેખાતું નથી. આવી વાર્તાઓ બનાવનારા અને માનનારાની આંતરરાષ્ટ્રીય સમુદાયમાં કિંમત થઇ જાય છે અને એવી જ છાપ ઊભી થાય છે કે ભારતમાં મોટા જનસમુદાયને કેટલી સહેલાઇથી ચગડોળે ચડાવી શકાય છે. (અલબત્ત, આ બાબતમાં ભારતીયો એકલા કે અપવાદરૂપ નથી, એ નોંધવું જોઇએ.) 

આ પ્રકારની, શાંત ચિત્તે અને મીઠાઇઓ વહેંચવાના-ફટાકડા ફોડવાના ઉભરા વિના થતી વાત વડાપ્રધાનના ભક્તોને રંગમાં ભંગ પાડનારી લાગે છે. એટલું જ નહીં, તે આને વડાપ્રધાનની ટીકા તરીકે ખપાવે છે. આ પ્રકારના વિશ્લેષણમાં ટીકાનો ભાવ વડાપ્રધાન કે તેમણે લીધેલા નિર્ણય માટે નહીં, પણ પૂરું જાણ્યાસમજ્યા વિના મનગમતી વાર્તાઓ ઉપર હરખપદુડા થઇ જવાની વૃત્તિ વિશે છે, એ તેમને સમજાતું નથી. 

સર્જિકલ સ્ટ્રાઇક થાય તેનો તમને આનંદ કેમ નથી થતો?’, ‘તમે કેમ પાણીમાંથી પોરા કાઢવા બેસો છો?’—એવા સવાલ કેટલાકને થઇ શકે છે. પરંતુ ભક્તિની અને ગુસ્સાની બાદબાકી કરીને કોઇ પણ ભારતીય જાતે વિચારશે, તો તેને આ સવાલનો જવાબ મળી જશે. સર્જિકલ સ્ટ્રાઇકની કાર્યવાહી પાકિસ્તાનનીતિના સંદર્ભે આવકારદાયક હોવા છતાં, તે લાંબા ઘટનાક્રમનો એક પડાવ છે. તે અંતિમ બિંદુ નથી. 1971ના યુદ્ધમાં અઠવાડિયામાં ભારતે પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાનથી સ્વતંત્ર, અલગ દેશ તરીકે છૂટું પાડી આપ્યું, એવી કોઇ આખરી પરિણામલક્ષી આ કાર્યવાહી નથી. માટે તેની પ્રશંસા એ માપમાં, એ પ્રમાણમાં કરવાની હોય. 

સર્જિકલ સ્ટ્રાઇકનું પગલું યોગ્ય અને આવકારદાયક હતું. પરંતુ તેને જે રીતે વડાપ્રધાનની વ્યક્તિગત બહાદુરીના અકાટ્ય પુરાવા તરીકે અને તેમના ટીકાકારોના અત્યાર લગીના સંખ્યાબંધ સવાલોના આખરી જવાબ તરીકે રજૂ કરવાની વૃત્તિ જોવા મળી. એનાથી ફરી એક વાર સિદ્ધ થઇ ગયું કે નાગરિક તરીકેના ઘડતરમાં આપણે કેટલું બધું અંતર કાપવાનું બાકી છે અને નાગરિકત્વની લાઇન ઓફ કન્ટ્રોલ ઓળંગીને ભક્તિના પ્રદેશમાં આપણે કેટલા સહેલાઇથી પહોંચી જઇએ છીએ

Monday, October 03, 2016

‘વુમન ઓફ રોમ’ના ગુજરાતી અનુવાદનો વિવાદ

(full piece)
સાહિત્યમાં શ્લીલ કોને કહેવાય ને અશ્લીલ કોને કહેવાય, શું ક્લાસિક છે ને શું વાંચવાથી સમાજ બગડી જશે, વાસ્તવિકતાનું નિરૂપણ કેટલી હદે કરી શકાય અને એવું નિરૂપણ સાહિત્ય કહેવાય કે નહીં—આવા અનેક સવાલ સાહિત્યજગતમાં દાયકાઓથી ચર્ચાતા રહ્યા છે. મંટો અને ઇસ્મત ચુગતાઇ જેવાં મહાન સાહિત્યકારોની વાર્તા પર અશ્લીલતાના મુકદ્દમા ચાલ્યા. ગુજરાતીમાં ચંદ્રકાંત બક્ષીની વાર્તા કુત્તી પર ચાલેલો મુકદ્દમો અતિ જાણીતો છે. (અલબત્ત, કોઇ પણ કૃતિની મહાનતાનું મૂલ્યાંકન તેની પર ચાલેલા મુકદ્દમા પરથી નહીં, તેમાં થયેલા માનવીય મૂલ્યોના સાહિત્યિક નિરૂપણથી જ કરવું)

આઝાદી પછી તરતના અરસામાં, ગુજરાત મુંબઇ રાજ્યનો ભાગ હતું ત્યારે, સ્ત્રી નવલકથા પર ચાલેલો કેસ ઐતિહાસિક કહેવાય એવો હતો. કારણ કે તેમાં યુવાન લેખિકા જયા ઠાકોર સહિત સંબંધિત લોકોની કામચલાઉ ધરપકડ થઇ હતી અને રાજકારણીઓને વચ્ચે નાખીને માફી માગીને પતાવટ કરવાને બદલે, તેમણે અદાલતમાં લડી લેવાનો જુસ્સો દેખાડ્યો હતો. ગયા સપ્તાહે નોંધ્યા પ્રમાણે, સ્ત્રી એ વિખ્યાત ઇટાલિયન નવલકથાકાર આલ્બર્ટો મોરેવીઆની નવલકથા વુમન ઓફ રોમનો ગુજરાતી અનુવાદ હતો. રવાણી પ્રકાશનના તારાચંદ રવાણી અને જયંતિ દલાલ, ધનવંત ઓઝા જેવા તેમના સાથીદારોએ વિશ્વસાહિત્યની ચુનંદી કૃતિઓ ગુજરાતીમાં રજૂ કરવાનું વિચાર્યું, ત્યારે વુમન ઓફ રોમનો અનુવાદ કરાવવાનું પણ ઠર્યું. સામાન્ય ગૃહિણીજીવન ઝંખતી એક કિશોરીને બીજા વિશ્વયુદ્ધ પછીના ઇટાલીમાં કેવી રીતે દેહવ્યાપારના વ્યવસાયમાં સંકળાવું પડે છે અને સંકળાયા પછીના તેના મનના પ્રવાહ વા છે, તે આ નવલકથાનું મુખ્ય વિષયવસ્તુ હતું. તેમાં કેટલાંક વર્ણન ભારતીય-ગુજરાતી રૂઢિચુસ્ત માનસિકતાને હળવો આંચકો આપી શકે એવાં હતાં. પરંતુ કળાત્મકતા માટે જરૂરી હોય એટલું આવી જાય અને એ ગલગલિયાંપ્રધાન ન બને, તે માટે એમ.એ. થયેલાં જયાબહેનને આ અનુવાદ સોંપવામાં આવ્યો.
Jayaben Thakore / જયાબહેન ઠાકોર
જયાબહેને શિષ્ટ ભાષામાં અનુવાદ કર્યો. તેમ છતાં, 1954માં પુસ્તક પ્રગટ થયા પછી તેની સામે (મોરારજી દેસાઇના મુખ્ય મંત્રીપદ હેઠળની) મુંબઇ સરકારે વડોદરામાં કેસ કર્યો. પુસ્તકમાં ત્રણ ઠેકાણે નિરૂપણો અશ્લીલ હોવાની ફરિયાદ હતી. કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે જુદી જુદી વિચારધારા ધરાવતા ચાર સાહિત્યકારોએ અદાલતમાં સ્ત્રીની તરફેણમાં જુબાની આપી. : ગાંધીવાદના રંગે રંગાયેલા ઉમાશંકર જોશી, સમાજવાદી જયંતિ દલાલ,મુક્ત-મસ્ત ચંદ્રવદન ચી. મહેતા અને વડોદરાના માર્કસવાદી શિક્ષક શાંતારામ સબનીસ. આ પુસ્તકનું નામ રોમની નારી હોવું જોઇતું હતું એવું સૂચવનાર ઉમાશંકરે પુસ્તકનો સમર્થ બચાવ કર્યો. પુસ્તકનો પ્રધાન ધ્વનિ માનવતાવાદી છે. કૃતિ અશ્લીલ છે કે નથી તેનો નિર્ણય સમગ્ર કૃતિને લક્ષમાં લઇને જ આપવો જોઇએ. જે ખંડો સામે તહોમત મુકાયું છે તેમાંનું લખાણ અશ્લીલતાની છાપ ઉપસાવતું નથી...એ કામજીવનની વાત કરે છે એ કારણે જ એ ભ્રષ્ટ કરનારી કે અવનત કરનારી કૃતિ કહેવાય નહીં.

ચારેય સાહિત્યકારોએ આ કૃતિને વાસ્તવલક્ષી ગણાવી. ચં.ચી.મહેતાએ ગુજરાતી સાહિત્યનાં ઉદાહરણ યાદ કરતાં કહ્યું, નરસિંહ મહેતાકૃત સુરતસંગ્રામ આ કૃતિ કરતાં ઘણી વધુ કામોત્તેજક છે. ગુજરાતી સાહિત્યના આરંભકાળથી આ સ્વરૂપનું સાહિત્ય રચાતું રહ્યું છે. દયારામે કૃષ્ણ અને રાધાના પ્રેમનું આલેખન કર્યું છે. ફક્ત અમુક ટુકડાને અલગથી જોઇને કૃતિ શ્લીલ છે કે અશ્લીલ એ નક્કી ન થાય, આ વાત પણ જુબાનીમાં સામાન્યપણે ઉપસી. જયંતિ દલાલે કહ્યું, અશ્લીલતા ગ્રામ્યતાથી ભિન્ન છે. કોઇ લખાણ આંચકો આપે એવું હોય કે ઘૃણાજનક હોય તે અશ્લીલ પણ હોય એવું નથી. ચિત્તને ભ્રષ્ટ કરે અને નીતિને અવનત કરે તે અશ્લીલતા કહેવાય. કૃતિની અશ્લીલતા કે શિષ્ટતા અંગે નિર્ણય કરવામાં તેના વાચક ઉપરના પ્રભાવને લક્ષમાં લેવો પડે. આ ધોરણે સ્ત્રી અશ્લીલ નથી.

Gujarati translation of 'Woman of Rome'
જાહેર જીવન સાથે ગાઢ નાતો ધરાવતા જયંતિ દલાલે તો એટલે સુધી કહ્યું કે લગ્નવિચ્છેદના મુકદ્દમાઓમાંથી, સ્ત્રીઓના આપઘાતોમાંથી અને ગુજરાતની સ્ત્રીઓનાં દુઃખી સામાજિક જીવનમાંથી મને લાગ્યું કે ઇટાલીમાં જેવી પરિસ્થિતિ હતી એવી જ પરિસ્થિતિ ગુજરાતમાં છે. સ્ત્રીનું પુરુષ ઉપરનું આર્થિક પરાવલંબન ઇટાલી અને ગુજરાતની સ્ત્રીઓનું એક સમાન લક્ષણ છે. લગ્ન કરવાનું ગુજરાતમાં વિકટ નથી, પણ સુખમય જીવનમાં સ્થિર થવાનું વિકટ છે...

સાહિત્યકારો તો જાણે સાહિત્યકાર હતા, પણ વડોદરા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.જે.દવેએ સ્ત્રી સામેના આરોપો ફગાવી દેતાં યાદગાર (છતાં ભૂલાઇ ગયેલો) ચુકાદો આપ્યો. ફ્રોઇડના આગમન પછી સ્ત્રી-પુરુષ સંબંધોની ચર્ચાની ધરી બદલાઇ છે અને જાતીય પ્રશ્નના જ્ઞાનનો પ્રસાર ખુદ સરકાર કરે છે, તેનો ઉલ્લેખ કરીને ન્યાયાધીશે કહ્યું, નગ્ન સ્ત્રીનું ચિત્ર કે જાહેર ઉદ્યાનમાં એવી શિલ્પપ્રતિમા નગ્ન હોવાને કારણે જ અશ્લીલ નથી...લૈંગિક સંબંધ વિશેની બધી વાતને ભયજનક લેખવાની વિક્ટોરિયન જમાનાની મનોદશા હવે ચાલે નહીં. એ મનોદશા, ઓછામાં ઓછું કહીએ તો યે, આજના જમાનામા સાહિત્યની વાસ્તવવાદી દૃષ્ટિ સાથે બંધ બેસતી નથી અને સમય સાથે તાલ મિલાવતી નથી.

અત્યારે ઇન્ટરનેટ અને ગ્લોબલાઇઝેશનનો હવાલો આપવામાં આવે છે. સાઠ વર્ષ પહેલાં ન્યાયાધીશે રશિયાના સ્પુતનિક ઉપગ્રહથી ખુલી ગયેલાં ક્રાંતિનાં દ્વારનો ઉલ્લેખ કરીને કહ્યું, સ્પુતનિકના જમાનામાં જગત સાંકડું બની ગયું છે અને અંતર હવે માનવી માનવીને વિખુટાં પાડી શકતું નથી...ઇટાલીમાં જે બને તેની અસર ભારત ઉપર નહીં પડે એમ યથાર્થપૂર્વક કહી શકાય એમ નથી. આખી કૃતિ વાંચીને પછી ચુકાદો આપનારા ન્યાયાધીશે ચોટદાર શબ્દોમાં કહ્યું, દુર્ગુણ-નમ્રતાને સદગુણ લેખે ખપાવતી અથવા સામાન્ય ચિત્તમાં કામવૃત્તિ ઉત્તેજતી આ કૃતિ નથી એવું મારું મંતવ્ય છે. આવી કલાકૃતિમાં સૌંદર્યને બદલે બદસુરતી જોનારાઓની દૃષ્ટિ જ દોષથી ભરેલી છે. અવ્યવસ્થિત કે રોગીષ્ટ ચિત્ત ઉપર આવી કૃતિની અસર માપવાનો કોઇ માર્ગ નથી અને એવાં ચિત્ત ઉપરની અસરના આધારે જો સાહિત્યકૃતિઓનું મૂલ્યાંકન કરવાનું હોય તો આપણા સમગ્ર સાહિત્યમાં થોડીક નીરસ અને શુષ્ક કૃતિઓ જ બાકી રહે...

પછીનાં વર્ષોમાં લાગણીદુભાવ કાયમી કસદાર ધંધો બની ગયો અને તેને રાજકારણ તરફથી આશ્રય મળ્યો. પરિણામે પુસ્તકો પર પ્રતિબંધ મૂકતાં પહેલાં ધોરણસરની ચર્ચાવિચારણા પણ અનાવશ્યક બની ગઇ. પરંતુ સ્ત્રીના ચુકાદામાં ન્યાયાધીશે ભારપૂર્વક કહ્યું હતું, ભારતની સાહિત્ય અકાદમી જેવી સાહિત્યસંસ્થાઓનો અભિપ્રાય અનુકૂળ હોય તો જ સરકાર લેખકો સામે અશ્લીલતાના આરોપસર કામ ચલાવી શકે (એવું હોવું જોઇએ). સરકાર તરફની ફરિયાદનું સમર્થન કોઇ સમર્થ સાહિત્યકારની જુબાની દ્વારા ન થાય અને અનિષ્ણાત અભિપ્રાયને આધારે લેખક સામે કામ ચલાવવામાં આવે, તેથી જાહેર સમયનો બિનજરૂરી વ્યય થાય છે અને લેખકને—જે હાડમારીથી તેને બચાવી શકાય તેવી—હાડમારી ભોગવવી પડે છે.

અદાલતમાંથી નિર્દોષ સાબીત થયા પછી સ્ત્રીને 1959માં ફરી છાપવામાં આવી. તેમાં ધનવંત ઓઝાએ અદાલતી કાર્યવાહીની અને બીજી વિગતો આપીને, કેસ નિમિત્તે આ મહત્ત્વની ચર્ચા ઊભી થયાનો આનંદ વ્યક્ત કર્યો. એ આવૃત્તિમાં જયાબહેન ઠાકોરનું નિવેદન ગરીમા માટે યાદ રહી જાય એવું છેઃ માનવતાની મુક્તિને કાજે ઝઝૂમનારાંઓને કદીક આરોપી બની પિંજરામાં ઊભા રહેવું પડે છે. મને પણ એવી તક મળી એ બદલ હું ગૌરવ અનુભવું છું અને એ ગૌરવ અપાવનાર ફરિયાદપક્ષનો આભાર માનું છું.
(લેખનો પહેલો ભાગઃ http://urvishkothari-gujarati.blogspot.com/2016/09/blog-post_26.html )

Wednesday, September 28, 2016

પાડોશી પાકિસ્તાન જેવા હોય ત્યારે...

(બોલ્યુંચાલ્યું માફ)

માનો કે ન માનો, પાકિસ્તાન જેવા પાડોશીઓનો પ્રશ્ન પાકિસ્તાન કરતાં પણ વધારે જૂનો છે. પાકિસ્તાન ૧૯૪૭માં બન્યું, પણ પાડોશીઓ ત્યાર પહેલાંના અસ્તિત્ત્વ ધરાવે છે. પાકિસ્તાન વિશે જેમ કહેવાય છે કે તેના ઘણા સામાન્ય નાગરિકોને ભારત સાથે કશી દુશ્મની નથી. એવું જ પાડોશીઓની બાબતમાં પણ કહી શકાય. કેટલાક પાડોશી બહુ સારા, પ્રેમાળ, મદદરૂપ, સહનશીલ, ઉપયોગી હોય છે.

-પણ એક મિનીટ. પાડોશી સારા છેએટલું કહી દેવું પૂરતું નથી. પેલા પાડોશીને પણ સામે આવી લાગણી થવી જોઇએ. બાકી, ‘અમારા પાડોશી કેટલા સારા...નો મહિમા આ રીતે પણ થઇ શકે : ગમે તેટલા મોટા અવાજે ગાયનો વગાડીએ, તો પણ બિચારા લડવાનું તો બાજુ પર, કદી બોલે નહીં ને ભૂલથી નજર મળી જાય તો એ નજર ફેરવી લે. પાડોશી ધર્મનું કેટલું ઉત્તમ ઉદાહરણ...બોલો!  રોજ સવારે, સોસાયટીનો (કે ફળિયાનો) કચરો વળાઇ જાય, પછી અમારી સવાર પડે. પછી કચરો નીકળે. એટલે સરકારની સ્વચ્છતા ઝુંબેશમાં ફાળો નોંધાવવાના ઉત્સાહ સાથે એ કચરો એકઠો કરીને તેને પાડોશીના ઘરની દીવાલ આગળ ઠાલવી દઇએ. બને ત્યાં સુધી ધ્યાન રાખીએ કે એમના ઘરનું કોઇ બહાર ઊભું ન હોય. પણ ક્યારેક કોઇ હોય ને જોઇ પણ જાય, તો તે આંખ આડા કાન કરી લે...ખરેખર પાંચેય આંગળીએ પૂજ્યા હોય તો જ આવા પાડોશી મળે. દિવાળી વખતે અમે છેક એમના ઘર પાસે જઇને બોમ્બ ને ટેટા ફોડીએ. એમનાથી અવાજ સહન થતો નથી. એટલે બિચારા બારીબારણાં બંધ કરીને બેસી રહે અને અમારો કાર્યક્રમ પૂરો થાય પછી જ બહાર આવે. એક વાર અમારા બોમ્બથી એમની બેબી દઝાઇ હતી. તો પણ બિચારાએ કશું બોલ્યા વિના, બેબીને અંદર બોલાવી લીધી. એમની સજ્જનતા પર અમને એટલો વિશ્વાસ કે બહાર જવાનું હોય ત્યારે અમારી એક ચાવી ત્યાં જ હોય--અને અમારી એટલી આત્મીયતા કે અડધી રાતે પણ પાછાં આવીએ (મોટે ભાગે અડધી રાતે જ પાછા આવવાનું હોય) તો પણ તે આંખ ચોળતા ચોળતા જાગે, દરવાજો ખોલે ને હસતા મોઢે ચાવી આપે...આવા પાડોશીઓ હવે ક્યાં મળે છે?’

વાત સાચી છે. હવે આવાજ પાડોશીઓ મળે છે, જે ઉપર વર્ણવી છે એવી ને એ સિવાયની બીજી ઘણી અસભ્યતાઓ આચરીને, વખત આવ્યે પાડોશીધર્મની આણ આપે. કોઇ વાર તેમની દીવાલ પાસે વાહન પાર્ક કર્યું હોય કે કચરાની ઢગલીમાંથી થોડો કચરો ઉડતો ઉડતો તેમના દરવાજા લગી પહોંચી જાય, ત્યારે પહેલાં તો એ બૂમરાણ મચાવે. પછી જાણ થાય કે વાહન તેમના આદર્શપાડોશીનું છે કે કચરો એમની ઢગલીમાંથી ઉડ્યો છે, એટલે એ વધારે ખીજાય અને પાડોશીને ઠપકો આપવા બેસે, ‘અમે સુધરેલા-સિવિક સેન્સવાળા નથી. પણ તમે તો સુધરેલા છો ને. તમારાં તો અમે કેટલાં વખાણ કરીએ છીએ...અમારાં સગાંવહાલાંમાં પણ તમને બધાં ઓળખે. કારણ કે અમારા મોઢેથી કોઇનાં વખાણ ભાગ્યે જ નીકળે. પણ આ તો વખાણી ખીચડી દાંતે વળગી. તમે અમારા જેવા થઇ જશો, તો પછી અમે વખાણ કોનાં કરીશું? ને તમારી સજ્જનતાનો ભાવ કેવી રીતે પુછાશે?’

આવા પાડોશીઓને ત્રાસવાદી ગણવાની જોગવાઇ એકેય ત્રાસવાદવિરોધી કાયદામાં હોતી નથી. કાયદામાં ને બંધારણમાં આટઆટલા સુધારાની માગણી કરનારા જાગ્રત નાગરિકોમાંથી કોઇએ પણ હજુ સુધી ઘરઆંગણના ત્રાસવાદ સામે સરકાર ક્યારે જાગશે?’ એવો સવાલ ઉઠાવ્યોે નથી. એકેય અત્યાચારપ્રતિબંધક ધારામાં પણ પાડોશીઓ દ્વારા થતા અત્યાચારનો સમાવેશ કરાતો નથી, એ જ દર્શાવે છે કે આપણા કાયદા કેટલા અપૂરતા છે. હવે વિશ્વ પર્યાવરણ દિવસથી માંડીને પ્રતિબંધિત પુસ્તક દિવસસુધીનાં ઉજવણાં થાય છે, પણ રાષ્ટ્રીય દુષ્ટ પાડોશી હૃદયપરિવર્તન સપ્તાહકે રાષ્ટ્રીય માથાભારે પાડોશીપ્રતિકાર દિનજેવી ઉજવણી હજુ કોઇને સુઝી નથી--અને નકામા પાડોશીઓ પરંપરાગત હર્ષોલ્લાસ સાથે પાડોશીપીડન વર્ષઉજવતા રહે છે.

સારા પાડોશીઓનો એક જ પ્રકાર હોય છે, પણ દુષ્ટ કે ત્રાસદાયક પાડોશીઓના ઘણા પ્રકાર છે. તે શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક ઉપરાંત આધ્યાત્મિક ત્રાસ પણ આપી શકે છે. (મોટેથી ભજનો વગાડીને કે આખા દિવસની કથા લાઉડસ્પીકરનાં ભુંગળાં દ્વારા પ્રસારિત કરીને). તેમાંથી કેટલાક ખરાબ પાડોશીઓ એવા હોય છે, જેમનો સમાવેશ તેઓ શું કરી રહ્યા છે તેની તેમને ખબર નથીમાં કરવાનો થાય, જ્યારે કેટલાક બરાબર જાણે છે કે તે શું કરી રહ્યા છે અને એનાં પરિણામ જાણીને જ એ કરતા હોય છે. એટલું જ નહીં, ધાર્યું પરિણામ ન મળે અને પાડોશી પૂરતી માત્રામાં હેરાન થયો હોય એવું ન લાગે, તો તે નિરાશ થાય છે, ખીજે ભરાય છે અને એ બાબતે પણ ઝઘડો કરી શકે છે.

દુર્લભ પ્રજાતિની જેમ સારા પાડોશી લુપ્ત થવાનો ભય રહે છે, પણ ખરાબ પાડોશીઓ નહીં મળે તો શું થશે?’ એવો વિચાર કદી આવતો નથી--વિચાર તો ઠીક, સપનું પણ આવતું નથી. કેમ કે, કેટલાક ત્રાસવાદી પાડોશીઓ સપનામાં પણ ત્રાસ આપી શકે છે. નિરાશાવાદના પ્રતિક તરીકે નહીં, પણ વાસ્તવિકતાના સ્વીકાર તરીકે કહી શકાય કે, આ જગત છે ત્યાં સુધી ખરાબ પાડોશીઓ કદી ખૂટવાના નથી--અને એવું માનવા માટે આસ્તિક હોવાની પણ જરૂર નથી.

ફિલસૂફો કહે છે કે માણસ નહીં, તેનો સમય ખરાબ હોય છે. પરંતુ માણસની આ વ્યાખ્યામાં ઘણા પાડોશીઓનો સમાવેશ થતો નથી. એમની અનિષ્ટતા સમયની મોહતાજ નથી હોતી. સારા-ખરાબ કોઇ પણ સમયમાં એ સાતત્યપૂર્વક એકસરખા ખરાબ રહી શકે છે. એક કાગડો મરે તો સો ગાયોનાં શિંગ ઠરેએવી કહેણી મુજબ, કેટલાક પાડોશીઓ એકે હજારા પ્રકારના હોય છે. તેમના ન હોવાથી આખા વિસ્તારમાં સભ્યતા અને શાંતિ પથરાઇ શકે. પરંતુ બીજી કહેવત પ્રમાણે, બિલ્લી તાકી રહે એટલે શિંકું ભાંગી જતું નથી. કેવળ ઇચ્છવા માત્રથી ખરાબ પાડોશીઓ એમ ઉચાળા ભરતા નથી. એ તમને પૂર્વજન્મમાં માનતા કરીને જ --અને તેમની પાડોશમાં રહેવું પડ્યું એ પૂર્વજન્મનાં કર્મનું ફળ હોવાથી, એ ભોગવ્યા વિના તમારો છૂટકારો નહીં થાય, એવી ખાતરી કરાવીને જ-- જંપે છે.


કહેવતમાં પાડોશીને પહેલો સગોગણાવાયો છે, તે યથાર્થ છે. કારણ કે સગાંની જેમ પાડોશીઓની પસંદગી પણ આપણા હાથમાં નથી હોતી. જે મળે તેમની સાથે પડ્યું પાનું નિભાવી લેવું પડે છે. પાડોશીઓથી કંટાળીને માણસ ઘર બદલે, તો નવી જગ્યાએ નવા પાડોશીઓ જૂના જેવા નહીં મળે, એવી આશા રાખી શકાય છે, પણ એની કોઇ ખાતરી નથી હોતી. લગ્નની જેમ પાડોશીઓમાં પણ અસલિયતની ખબર પડે ત્યારે બહુ મોડું થઇ ચૂક્યું હોય છે...ને માણસ બિચારો એમ કેટલાં ઘર બદલતો ફરે

Tuesday, September 27, 2016

ડહાપણની દાઢનો દુખાવો

આજકાલ વિચિત્ર સમય ચાલે છે. વડાપ્રધાનની મોટા ભાગની નીતિઓના ટીકાકાર રહેલા લોકોને પાકિસ્તાન મુદ્દે તેમનું સમર્થન કરવાનો પ્રસંગ આવ્યો છે, જ્યારે વડાપ્રધાનની ફિલ્મી ડાયલોગબાજીને તેમનું સામર્થ્ય માની બેઠેલા લોકો વિચારી રહ્યા છે કે આ શું થઇ ગયું? આ એ જ માણસ છે કે તેમનો થ્રી-ડી હોલોગ્રામ?

અગાઉનું પુનરાવર્તન કરીને પણ કહેવાનું થાય કે પાકિસ્તાન સાથેના સંબંધોના મુદ્દે વડાપ્રધાનની વર્તમાન નીતિને સમર્થન આપવામાં તેમના ટીકાકારોને કશો ખચકાટ થવો જોઇએ નહીં (જો તે એમની નીતિના ટીકાકાર હોય તો). જેમનું મગજ ઠેકાણે હોય—એટલે કે એક યા બીજા રાજકીય પક્ષને ગિરવે મુકાયેલું ન હોય—તે સહેલાઇથી સમજી શકશે કે પાકિસ્તાન સાથે યુદ્ધ છેડી દેવું, એ કોઇ રીતે ઇચ્છનીય વિકલ્પ નથી. કેટલાંક યુદ્ધોથી ટૂંકા ગાળે તબાહી ને લાંબા ગાળે શાંતિ સ્થપાય છે, એવું ઇતિહાસના કેટલાક દાખલા ટાંકીને પુરવાર કરી શકાતું હોય તો પણ નહીં. કેમ કે, આવા દાખલા નિયમ નહીં, અપવાદ હોય છે. માટે, યુદ્ધખોર માનસિકતા ન દેખાડવાની નીતિ વડાપ્રધાને અપનાવી હોય તો તેમને ટેકો આપવો પડે. તેમની ટીકા કરનારાને સમજાવવા પણ પડે કે ભાઇ, યુદ્ધ એ મોબાઇલ પર મફતિયા રમવાની ગેમ નથી. એમ યુદ્ધ ન થાય.

પરંતુ ખરી મુશ્કેલી વડાપ્રધાનના સમર્થકોની છે—ખાસ કરીને એવા સમર્થકોની, તેમાંથી ઘણા અત્યારે આઘાતમાં છે. તેમણે ધારેલું કે જે હિંદુહૃદયસમ્રાટ નેતાએ મણિનગર વિધાનસભાની ચૂંટણીમાં ત્યારના પાકિસ્તાની વડા પરવેઝ મુશર્રફની ખબર લઇ નાખી હતી (બોલીને જ વળી), એ દેશના વડાપ્રધાન તરીકે તો પાકિસ્તાનીઓને તેમના ઘરમાં ઘુસીને મારશે. આવી માન્યતા ને અપેક્ષા માટે તેમનો વાંક પણ કેટલો કાઢવો? એક તો ભક્તહૃદય. ઉપરથી સાહેબ પોતે જ બધી હદો વટાવીને પાકિસ્તાનનો વિરોધ કરતા હોય ને પાનો ચઢાવતા હોય. એ વખતે સ્થાનિક મુસ્લિમોને પણ પાકિસ્તાનની હરોળમાં બેસાડીને તેમનો એકડો કાઢી નાખવાનો હોય-તેમની ન્યાયની લડતની ક્રૂર ઉપેક્ષા કરવાની હોય. ત્યારે મિંયા મુશર્રફનો ઉપયોગ કરી લેવામાં શો વાંધો? ભારતવિરોધી લાગણીનો ઉપયોગ પાકિસ્તાનના નેતાઓ પોતાના સ્વાર્થ માટે કરી શકતા હોય, તો પાકિસ્તાનવિરોધી લાગણીનો ઉપયોગ ભારતીય નેતા પોતાના સ્વાર્થ માટે કેમ ન કરી શકે?

પરંતુ હવે વડાપ્રધાન તેમના હોદ્દાની ગંભીરતાને શોભે એવાં નિવેદન કરે છે. ત્યારે તેમના જ ભૂતકાળના પ્રચારના આધારે તેમને સુપરમેન ધારી બેઠેલા લોકોને છેતરાયાનો અનુભવ થાય છે. તેમને લાગે છે, જાણે સુપરમેન હવામાં ઉડવાને બદલે પાણીમાં બેસી ગયો. એટલે તેમની પ્રતિક્રિયા આઘાતની અથવા આઘાતમિશ્રિત રોષની છે. તે ખુલ્લેઆમ વ્યક્ત પણ થઇ રહ્યો છે. બીજો વર્ગ એવો હતો, જે યુપીએના શાસનથી કંટાળીને અને તેની સરખામણીમાં નરેન્દ્ર મોદીએ બતાવેલાં સપનાં પર આશા બાંધીને તેમનો મતદાર બન્યો. એવા વર્ગને પણ નિરાશાનો અનુભવ થઇ રહ્યો છે—અને એ માટે તેમણે કાશ્મીર કટોકટી સુધી રાહ નથી જોઇ. મોંઘવારી અને કાળાં નાણાંથી માંડીને બીજા અનેક મોરચે વડાપ્રધાન બનતાં પહેલાં નરેન્દ્ર મોદીએ જે દાવા કર્યા હતા, તે બોદા પુરવાર થયા છે.

તે દાવા કરતા હતા, ત્યારે આ દાવા અવાસ્તવિક છે એવી ટીકા કરાનારાને મોદીદ્વેષી ગણી લેવાતા હતા. પરંતુ હવે નરેન્દ્ર મોદી દાવા મુજબનો એકેય ચમત્કાર કરી શક્યા નથી, એવું ઝાઝા કકળાટ વગર સ્વીકારી લેવાય છે અને તેનાં તાર્કિક કારણ આપવાનો પ્રયાસ થાય છે. ભારત જેવા વિશાળ અને આર્થિક સહિતની સમસ્યાઓથી ગ્રસ્ત દેશમાં ચમત્કારો શક્ય નથી. એટલે ચમત્કારિક ઝડપે બદલાવ ન આવે, એમાં નરેન્દ્ર મોદીનો વાંક નથી. પણ તેમનો વાંક લોકોને ચમત્કારોની જૂઠી આશા આપીને, બદલામાં મત ઉઘરાવી લેવાનો છે. ગુજરાતીમાં એને છેતરપીંડી કહેવાય. રાજકારણમાં એ બહુ સામાન્ય છે. બધા પક્ષો એ કરે છે. નરેન્દ્ર મોદી તેમાં વિશેષ પ્રતિભાશાળી છે. એટલે તે બહોળું ભક્તવૃંદ અને અનુયાયીવર્ગ ધરાવે છે.

તેમના ભક્તવૃંદમાં કેટલાક એકદમ રીઢા કંઠીબંધા છે. કોઇ પણ સ્થિતિની જેમ અત્યારે પણ તે આક્રમક બચાવ માટે પ્રવૃત્ત થઇ ગયા છે. હવે તે વડાપ્રધાનના રાજદ્વારી શાણપણ પર ઓવારી જાય છે. રાતોરાત તેમને વ્યૂહાત્મક સંયમ (સ્ટ્રેટેજિક રીસ્ટ્રેઇન્ટ)નું મહત્ત્વ સમજાયું છે અને તે બીજાને સમજાવવા લાગી પડ્યા છે. એટલું જ નહીં, તે હવામાં મહેણાં મારે છે કે વડાપ્રધાનના ટીકાકારોને તો ટીકાની ટેવ પડી. પહેલાં યુદ્ધની વાતો કરતા હતા ત્યારે પણ ટીકા ને હવે યુદ્ધ નથી કરતા ત્યારે પણ ટીકા. આ રીઢી પ્રજાતિ એ હકીકત ન સમજવાનો ડોળ કરે છે કે ટીકા વડાપ્રધાનના વર્તમાન ઠરેલપણાની નહીં, તેમનાં બેવડા ધોરણની અને તે વિશે કશો અફસોસ કે પસ્તાવો વ્યક્ત ન કરવાની થઇ રહી છે.

શું વડાપ્રધાન કે શું તેમના ટીકાકારો, ભૂતકાળની ભૂલમાંથી શીખવું એ દરેકનો મૂળભૂત અધિકાર છે. એક વાર કે અનેક વાર ખોટું કર્યું હોય, એટલે ભવિષ્યમાં ફક્ત સાતત્ય ખાતર તેનું પુનરાવર્તન કરવું એ શાણપણ નથી. એ દૃષ્ટિએ વડાપ્રધાને અગાઉ પાકિસ્તાનનું શું કરવું જોઇએ, એ વિશે બેફામ નિવેદનબાજી કરી હોય અને તેના ભરપૂર રાજકીય લાભ ખાટ્યા હોય, તેમ છતાં સત્તા પર આવ્યા પછી તે જવાબદારીપૂર્વક વર્તે તો તે આનંદની વાત છે. પરંતુ તે અને તેમના ભક્તો એવી અપેક્ષા રાખતા હોય કે વડાપ્રધાન હવે યોગ્ય રીતે વર્તે છે, એટલે ભૂતકાળનાં કોઇ નિવેદન માટે તે ઉત્તરદાયી નથી, તો એ તેમની સમજ નહીં, ભક્તિ છે. ગુજરાતની મુસ્લિમવિરોધી હિંસા વખતે પણ, ઘા પર મલમપટ્ટીના પ્રયાસ કર્યા વિના કે એવા પ્રયાસોને મદદરૂપ થયા વિના, એક તબક્કે અચાનક નરેન્દ્ર મોદીએ વિકાસની દિશામાં મોરો ફેરવી દીધો. પછી એવો પ્રચાર શરૂ થયો કે હવે એકની એક વાત ક્યાં સુધી કરશો. જૂનું ભૂલીને આગળ વધો. મુવ ઓન.

વાત સાચી. આગળ તો વધવું જ પડે, પણ ભૂતકાળમાં કરેલી લીલાઓનું શું? એના વિશે કમ સે કમ અફસોસની લાગણી તો અસરકારક રીતે વ્યક્ત કરવી પડે કે નહીં? કમ્યુનિકેશનના નિષ્ણાત ગણાતા વડાપ્રધાનની જીભ એ વખતે કેમ ઝલાઇ જાય છે? પાકિસ્તાન સાથે યુદ્ધ નથી કરતા, એ સારું જ છે. પણ ટ્વિટર પર એવો ટહુકો તો કરી દો કે અગાઉ મેં જે આક્રમકતાની વાતો કરી, તેમાં કોંગ્રેસવિરોધનું રાજકારણ અને વિપક્ષમાં હોવાનો ઉત્સાહ ભળેલાં હતાં. (અંગત મહત્ત્વાકાંક્ષા ભળેલી હતી, એવા પ્રામાણિક એકરારની અપેક્ષા તો લોકોએ પણ છોડી દીધી છે.) પોતાના વાજામાંથી નવા ને કાનને રાહત પહોંચાડે એવા સૂર કાઢતી વખતે એટલું તો કહેવું પડે કે વર્ષો સુધી જે વાજું વગાડ્યે રાખ્યું તે ખોટું હતું ને એનો અહેસાસ હવે થઇ રહ્યો છે.

વડાપ્રધાનને દેર સે આયે, દુરસ્ત આયેનો એકરાર છાજે કે મેરી મરજીની ટપોરીગીરી, એ તેમના ભક્તોએ વિચારવાનું છે.