Thursday, June 04, 2020

પ્રેરણાનાં ખાબોચિયાં

ગયા સપ્તાહે વડાપ્રધાનનું મમરાની ગુણ જેવું, ભરચક છતાં પચવામાં હલકું ભાષણ સાંભળીને થયું કે તે કદાચ સફળ  નેતા ન બન્યા હોત તો સફળ ગુજરાતી ચિંતક જરૂર બન્યા હોત. તે ચિંતક બન્યા હોત તો રાજકારણની સેવા થઈ હોત ને ચિંતક ન બન્યા એટલે સાહિત્યની સેવા થઈ. આમ, તેમને તો દોષ દેવાપણું છે જ નહીં. તેમણે તો સેવા જ કરી છે. (તેમણે લખેલી કવિતાઓ માફ)

વડાપ્રધાન હકીકતમાં સાહિત્યજગતના, બલ્કે વાચનજગતના એક મહત્ત્વના પ્રવાહનું પ્રતિનિધિત્વ કરે છે. એ પ્રવાહ છે પ્રેરણાત્મક, હકારાત્મક, ચિંતનાત્મક સાહિત્યનો. આપણે ત્યાં એવું સાહિત્ય બહુ વેચાય છે. અહીં ‘સાહિત્ય’ શબ્દને ઉદારતાથી, કેવળ છપાયેલાં કાગળિયાંના અર્થમાં, લેવાનો છે. દરિયાથી માંડીને ખાબોચિયાં સાઇઝનાં પ્રેરણાનાં પૅકિંગ બજારમાં ઉપલબ્ધ છે. તે ઉપલબ્ધ છે, માટે વેચાય છે કે વેચાય છે, માટે ઉપલબ્ધ છે—તે મરઘીઈંડુંપ્રશ્ન છે. એક વાર પ્રકાશન વ્યવસાય વિશે સામાન્ય જ્ઞાન આપતાં એક સજ્જને કહ્યું હતું કે ‘આજકાલ ચિંતનનું બહુ ચાલે છે.’ તેમની વાત સાંભળીને થયું કે તે કદાચ આર.આર.શેઠવાળા ચિંતન શેઠની વાત કરતા હશે. પછી તેમણે ચોખવટ કરી કે તે ચિંતનાત્મક સાહિત્યની વાત કરતા હતા. ભરકોરોના વચ્ચે થતાં વડાપ્રધાનની લોકપ્રિયતાનાં સર્વેક્ષણ જેવું એકાદ સર્વેક્ષણ કરીને કે તે કર્યા વિના પણ કહી શકાય કે એ સજ્જનની વાતમાં તથ્ય છે. અંગ્રેજીની તો ખબર નથી, પણ ગુજરાતીમાં લેખન કારકિર્દી શરૂ કરવા ઇચ્છુકો માટે બે જ રસ્તા હોય એવું લાગે છેઃ ફિલ્મ અને ચિંતન. (આ વિધાનને કારકિર્દી માર્ગદર્શનનો ભાગ ગણવું નહીં)

ફિલ્મો વિશે સોશિયલ મિડીયામાં જેટલા લોકો લખે છે, એટલા લોકો ફિલ્મો જોતા હશે કે કેમ, એવો સવાલ ઘણાને થઈ ચૂક્યો છે. પરંતુ છેલ્લા થોડા સમયથી લખ-વાના વિષયમાં ફિલ્મની સાથે ચિંતનનો ઉમેરો થયો છે. એક જમાનામાં ચિંતક બનવા માટે દાઢી વધારવી પડતી હતી. તેમ છતાં દરજ્જો તો નિબંધકારનો જ મળતો હતો. હવે ચિંતક તરીકેની ઓળખ આધારકાર્ડ જેવી બની ગઈ છે. વાંચતા-લખતા ને ભરેલા પેટવાળા મોટા ભાગના લોકો પાર્ટટાઇમ ચિંતક હોય છે અને પોતે ઇચ્છે તો ફુલટાઇમ ચિંતક બની શકે, પણ વ્યાવસાયિક ચિંતકોની દયા ખાઈને તે એવું કરતા નથી—એમ તે માને છે. તથાકથિત ચિંતકોનાં લખાણોની ગુણવત્તા (એટલે કે તેનો અભાવ) ધ્યાનમાં રાખતાં, બીજા લોકોનો આવો આત્મવિશ્વાસ છેક અસ્થાને પણ નથી લાગતો. પરંતુ એ લોકો વધારે મહત્ત્વનાં (એટલે કે રૂપિયા કમાવાનાં) કામમાં એવા વ્યસ્ત હોય છે કે તેમનો ચિંતનપ્રેમ ચિંતકોનાં ભાષણો સાંભળીને કે લખાણો વાંચીને જ પોષી લે છે.

વડાપ્રધાને તો હજુ ગયા અઠવાડિયે આત્મનિર્ભર બનવાનું કહ્યું, પણ ચિંતનલેખકો એ સંદેશ ક્યારનો આત્મસાત્ કરી ચૂક્યા છે. તે અવતરણો સિવાય લગભગ બધી બાબતોમાં આત્મનિર્ભર જોવા મળે છે—પ્રશંસામાં તો સવિશેષ. પ્રશંસા એવી ચેપી ચીજ છે કે કોરોનાની યાદ અપાવી શકે. એક સમુહમાં કોઈની પ્રશંસા શરૂ થાય એટલે દસમાંથી છ-સાત જણ તો તેમાં અચૂક જોડાઈ જ જાય—જાણીને કે પછી રહી જવાની બીકે કે પછી શરમેધરમે. ચિંતકો આ વાત બરાબર જાણે છે અને સફળતાપૂર્વક અજમાવે પણ છે. એમ કરવાથી ટીકાકારોને નજરઅંદાજ કરવામાં કે ‘અમારી લોકપ્રિયતાની ઇર્ષ્યા કરનારા’ તરીકે ખતવી કાઢવામાં સરળતા પડે છે, એવું થૉમસ કાર્લાઇલે કહેલું કે ઓશો રજનીશે, એ યાદ નથી આવતું.

અ-ભોળા વાચકની દૃષ્ટિએ વિચારતાં એવી શંકા જાય કે ચિંતનલેખન રમત હોય કે ન હોય, તેના લેખનમાં આપણી વિસરાયેલી રમતોની ઘણી ટેકનિક વાપરવામાં આવતી હશે. જેમ થપ્પોની રમતમાં ઉસ્તાદ દાવ આપનાર આંખો ઢાંકીને એકથી ત્રીસ બોલે અને ત્યાં સુધીમાં બધા સંતાઈ જાય, એટલે પોતે ચૂપચાપ ઘરે જતો રહે, તેમ લેખક થોડા આંક બોલે એટલે વાંચનારને આશા બંધાય કે ‘હવે જોજો, બહુ મઝા આવશે.’ પણ મર્યાદિત આંક પૂરા થઈ જાય એટલે ચિંતક તો પોતાને ઘેર (હોમ પીચ પર) જતો રહે.

બીજી ટેકનિક છે સાતોડિયાની. એ રીતમાં ચિંતક સરસ ગોઠવાયેલા સાત પથ્થર પર વિચારનો દડો એવો મારે છે કે સાતેય પથ્થર વેરવિખેર. બસ, થઈ ગયો લેખ તૈયાર. વેરવિખેર પથ્થરોને એકબીજા પર સરખી રીતે ગોઠવવાનું કામ વાચક કરી લેશે. બસ, બે વાતનું ધ્યાન રાખવાનું : વાચકને ક્યાંક આઉટ ન થઈ જવાય (લેખ સમજવામાં ક્યાંક પોતાની સમજ ઓછી ન પડે) તેનું હળવું ટેન્શન રહેવું જોઈએ અને બીજું, તેને કદી આઉટ કરવાનો નહીં. તે આઉટ થઈ જશે તો પછી ચિંતક સાથે ‘રમશે’ કોણ? ત્રીજી ટેકનિક કબડ્ડીની છે. તેમાં વાચકને સામેની ટીમમાં રહેલો ખેલાડી કલ્પવામાં આવે છે અને ચિંતક તેના હાથવેંતમાં લાગવાની પણ હાથમાં નહીં આવવાની બધી પ્રયુક્તિઓ અપનાવે છે. છટકવાની કળામાં પાવરધા હોવું ચિંતન લખવાની મુખ્ય શરતોમાંની એક છે.

આટલું વાંચીને કોઈને થાય કે આ ભાઈને ચિંતન લખતાં આવડતું નહીં હોય, એટલે તે ચિંતકોની રીલ ઉતારવા બેઠા છે. તો તેમને જણાવવાનું કે હે વાચકો, આ લેખ પણ ચિંતનલેખ જ છે. મનોમન તમારી મનગમતી ચિંતનકોલમના મથાળા તળે આ લેખ ફરી વાંચી જોજો. તમને એ ચિંતનલેખ જ લાગશે. લાગ્યો ને?
(૧૭-૫-૨૦)

3 comments:

  1. Very nice article Dear Urvish and congratulations.Not only authors but anybody who comes to America in the summer time to escape the unbearable heat of Desh becomes chintak and philosopher and start bombarding all kind of upadesh and teachings, may they are authors or garbawalas or kathakars or bhajaniks. They think people here are in eternal stress so it is their duty to impart chintan to cool the stress, and lighten up their pockets from the burdan of the mighty Dollars. any body whose books are not sold or whom people don't hear their becomes a great chintak here. poor deshis in America.

    ReplyDelete
  2. Ibrahim Panchbhaya3:28:00 AM

    There is another technique the so called chintaks employ. It is called “shuffle the deck” technique. They go through their past articles and select few sentences and paragraphs. In the next step, from this selection they randomly pick few sentences and paragraphs and join them, trying to make any sense out of it. Now they add few new sentences to it and there you have it! A brand-new chintan essay for the public to consume and appreciate. In Gujarati we have one such famous thinker who has become an expert in employing this technique. Every time I read his article in Divaya Bhasker, I realize I have read it before and going through his past write up I find at least 70% of the contents without fail.

    ReplyDelete