Wednesday, June 24, 2020

લદ્દાખના મોરચે ભારત-ચીન સંઘર્ષ : ઇતિહાસનું નાના પાયે, પણ ચેતવા જેવું પુનરાવર્તન

ભારત-ચીન વચ્ચે ઉત્તરી સરહદે લદ્દાખમાં થયેલા ઘર્ષણની વિગતો જાણવાનું નાગરિક તરીકે જરૂરી છે- સત્તાધીશો સંતોષકારક માહિતી આપતા ન લાગે ત્યારે તો ખાસ. સચ્ચાઈની શક્ય એટલી નજીક પહોંચવાના પ્રયાસ તરીકે આ સંકલન. વાતની શરૂઆત કરીએ જૂન ૨૦૧૭ના દોકલામથી. કેમ કે, વર્તમાન સંઘર્ષમાં ચીનનું જે વર્તન છે, તેનું સૌથી નજીકનું પગેરું દોકલામમાં મળે છે.

દોકલામ : દગલબાજી વિ. પ્રચારપ્રેમ
દોકલામ ભૂતાનનો હિસ્સો છે, ચીન તેની પર દાવો ધરાવે છે. ભારતનો દોકલામ પર કોઈ દાવો નથી. પણ દોકલામ પર ભૂતાનનો કબજો રહે, તેમાં ભારતનું હિત હતું. કારણ કે દોકલામ પર ચીનનો કબજો થાય, તો ઈશાન ભારતનાં ‘સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખાતાં રાજ્યોને બાકીના દેશ સાથે જોડતા સિલિગુડી કૉરિડોરના નાનકડા વ્યૂહાત્મક હિસ્સા (‘ચિકન્સ નેક’) પર ચીનનો ખતરો બહુ વધી જાય. ભૂતાન સાથે મૈત્રીસંબંધો-કરારોને કારણે તેને લશ્કરી મદદ કરવામાં પણ ભારતને કશી અડચણ ન હતી. 

અગાઉ દોકલામ વિસ્તારમાં ચીની સિપાહીઓ વર્ષે એકાદ-બે વાર આંટા મારી જતા હતા. પણ જૂન, ૨૦૧૭માં તેમણે દોકલામમાં ધામા નાખ્યા. એટલે ભારતનું સૈન્ય પણ ભૂતાનના—અને સાથોસાથ ભારતના—હિતની જાળવણી માટે દોકલામ પહોંચ્યું. બંને સૈન્યો ૭૨ દિવસ સુધી યુદ્ધ કર્યા વિના, સ્ટેન્ડ ઑફ કે ફેસ ઑફની સ્થિતિમાં આમનેસામને મંડાયેલાં રહ્યાં. દરમિયાન ભારત-ચીન વચ્ચે વાટાઘાટો ચાલુ રહી. છેવટે, ચીને પોતાનું સૈન્ય પાછું ખસેડ્યું. ભારતે પણ પોતાનું સૈન્ય પાછું ખસેડી લીધું. 

સ્ટેન્ડ ઑફની સમાપ્તિ પછી ભારતમાં એ મતલબનો પ્રચાર કરવામાં આવ્યો કે ચીનને આપણે હંફાવી દીધું. તેને ટક્કર આપી. જરાય નમતું ન જોખ્યું, ચીને પીછેહઠ કરવી પડી, વગેરે.. હકીકતમાં ચીને ચોક્કસ પોઇન્ટ પરથી સૈન્ય પાછું ખસેડ્યું, પણ બંને સૈન્યો પાછાં હઠી ગયા પછીથી, બાકીના દોકલામ વિસ્તાર પર કાયમી વર્ચસ્વ જમાવી દીધું. બાંધકામો બનાવ્યાં, રસ્તા બાંધ્યા, હેલિપેડ તૈયાર કર્યાં. એટલે દોકલામ ચીનના સકંજામાં આવી ગયું. તો વિચારો, સરવાળે જીત કોની થઈ?  

નિષ્ણાતોના મતે, ખંધા ચીને આ ઘટના પરથી એવો બોધપાઠ લીધો હશે કે ભારતના પ્રચારઘેલા વડાપ્રધાનને પ્રચારયુદ્ધમાં જીતનો સંતોષ આપી દેવામાં આવે, તો વાસ્તવિક જમીન પર ધાર્યું કરી શકાશે. એટલે કે, નાની પીછેહઠ માટે સંમત થવાથી મોટો ટુકડો હાંસલ કરી શકાશે.  ‘બે ડગલાં આગળ, એક ડગલું પાછળ’ એ આમ પણ ચીનની જૂની પદ્ધતિ છે, જે હજુ એટલી જ અસરકારતાથી વપરાઈ રહી છે. 

સારઃ ચીનની ‘પીછેહઠ’ની વાતો સાંભળીને, આખું ચિત્ર જોયા વિના કદી ઉત્સાહમાં ન આવી જવું. એ અચૂક તપાસી લેવું કે ચીનની નાની પીછેહઠની સામે આપણને વધુ મોટું નુકસાન તો નથી ને? એવું નુકસાન જે ચીન તો બતાવવા ન જ ઇચ્છે-આપણી પોતાની સરકાર પણ પોતાના રાજકીય ફાયદા ખાતર કે ગેરફાયદો અટકાવવા છુપાવી રહી હોય?

ચીની ચાલબાજીનો નવો મોરચો : લદ્દાખ
પૂર્વ લદ્દાખનો ૧૩ હજાર ફીટથી ૧૬ હજાર ફીટ ઊંચો બર્ફીલો, વિષમ પહાડી ઇલાકો. તેમાં વળી વધારાની કઠણાઈ એ છે કે ત્યાં ભારત-ચીન વચ્ચેની સરહદ નથી નકશા પર અંકાઈ કે નથી જમીન પર. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધમાં ભારતની હાર થઈ હતી. ત્યાર પછીના દાયકાઓમાં એ સરહદ નક્કી કરવાના અનેક પ્રયાસ થયા. તેમાંના કેટલાક આગળ પણ વધ્યા. પરંતુ અંત સુધી પહોંચ્યા નહીં. ખરેખર તો ચીને તેમને પહોંચવા ન દીધા. પરિણામે પૂર્વ લદ્દાખમાં બંને દેશો વચ્ચેની વાસ્તવિક અંકુશ રેખા-લાઇન ઑફ એક્ચુઅલ કન્ટ્રોલ (LAC) કાલ્પનિક જ રહી. તેની સ્પષ્ટ વ્યાખ્યા ન થઈ. તેના કારણે ચીનને મનમરજીના વિસ્તારો પર દાવા કરવા માટેનું મેદાન મોકળું રહ્યું. 

હજુ વર્તમાન ઘટનાક્રમમાં જતાં પહેલાં પૂર્વ લદ્દાખનાં કેટલાંક મહત્ત્વનાં સ્થળો વિશે અછડતી જાણકારી. 
Courtesy : Rohit Vats / સૌજન્યઃ રોહિત વત્સ
DSDBO રોડ 
ઉપર આપેલા નકશામાં દેખાતી ભૂરી રેખા ભારતે સરહદ નજીક બાંધેલો રોડ દર્શાવે છે. તે  Darbuk અને Shyok (શ્યોક) ગામને છેક ઉપર દૌલતબેગ ઓલ્ડી (DBO) સાથે જોડે છે. લેહથી છેક બીજા ભારત-ચીન સરહદે દોલતબેગ ઓલ્ડી સુધીની અવરજવર માટે આ રસ્તો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વનો છે. ટૂંકમાં DSDBO તરીકે ઓળખાતો ૨૫૫ કિ.મી. લાંબો આ રોડ બંધાતાં ૧૯ વર્ષ થયાં. એક તો સરકારી કામ અને બર્ફીલા પહાડી વિસ્તારમાં રોડ બાંધવાનું કામ વર્ષમાં ચાર-પાંચ મહિના જ થઈ શકે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યાર પછી આ રોડનું કામ વધુ ઝડપી બન્યું. જુદી જુદી લંબાઈના આઠ પુલ ધરાવતો DSDBO રોડ લગભગ LACની સમાંતરે ચાલે છે. એ દૃષ્ટિએ પણ તેનું મહત્ત્વ ધોરી નસ જેવું છે. 

દૌલતબેગ ઓલ્ડી (DBO) 
છેક ઉપર કારાકોરમ ઘાટ પાસે આવેલું, હવાઈ પટ્ટી ધરાવતું ભારતનું છેલ્લું લશ્કરી થાણું છે. ત્યાંથી ચીનની સરહદ અને LAC સાવ નજીક છે. 

ગલવાન નદી અને ગલવાન વૅલી 
નદી, ખીણ અને પહાડીનો પ્રદેશ. DSDBO રોડ તેની પાસેથી પસાર થાય છે. ગલવાન વૅલી પ્રદેશને DSDBO રોડ સાથે જોડતા કેટલાક કડી-રસ્તા પણ બનાવવામાં આવ્યા છે. ગલવાન નદી અને ગલવાન વૅલીની પહાડી ઊંચાઈઓ પર ભારતીય સૈન્યનો કબજો વ્યૂહાત્મક સરસાઈ માટે જરૂરી છે. ચીનના કબજામાં રહેલા અક્સાઈ ચીન વિસ્તાર ઉપર પણ થોડો દાબ રાખવામાં પણ આ ઊંચાઈઓ ઉપયોગી નીવડે એવી છે.  બીજી તરફ, એ ઊંચાઈઓ પર ચીની સૈન્યનો કબજો DSDBO રોડને ખતરામાં મૂકી શકે છે. અત્યાર લગી ગલવાન વિસ્તાર શાંતિપૂર્ણ રહ્યો હતો. કેમ કે, ચીને આ વિસ્તાર પર સક્રિયપણે પોતાનો દાવો કર્યો ન હતો કે LACથી પોતાની હદના વિસ્તારમાં મોટા પાયે લશ્કરી હિલચાલ પણ કરી ન હતી. પરંતુ કેટલાક અભ્યાસીઓના મતે ભારતે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા પછી અક્સાઈ ચીનને ભારતમાં સમાવવાની વાત કરી, તેના પગલે ભારતને વધુ આગળ વધતું અટકાવવા માટેની ચેતવણીરૂપ આ પ્રતિક્રિયા છે. અલબત્ત, આવાં હિંસક પગલાં પાછળ એક કરતાં વધુ કારણો જવાબદાર હોય છે. તેથી એક ને એક બે જેવું સમીકરણ તેમાં માંડી શકાતું નથી.

પેન્ગોન્ગ ત્સો ઉર્ફે પેન્ગોન્ગ લેક 
ઘણાં વર્ષો સુધી અજાણ્યું રહ્યું ને પછી ‘થ્રી ઇડિયટ્સ’ને કારણે જાણીતું બનેલું આ સરોવર હવે અણગમતાં કારણોસર સમાચારોમાં છે. પેન્ગોન્ગ લેક પાસે પણ બર્ફીલી પહાડી છે, જેમનાં જુદાં જુદાં ટોપકાં ફિંગર-૧થી માંડીને ફિંગર-૮ સુધીનાં નામે ઓળખાય છે. ભારતીય સૈન્ય ફિગર-૧ થી ફિંગર-૪ સુધીના વિસ્તાર પર કબજો ધરાવે છે, પરંતુ ભારતનો દાવો છેક ફિંગર-૮ સુધીના વિસ્તાર પર છે. ફક્ત દાવો જ નહીં, ભારતીય સૈન્યના જવાનો ફિંગર-૮ સુધી પેટ્રોલિંગ કરતા રહ્યા છે. આમ, દાવો ફક્ત શબ્દો પૂરતો મર્યાદિત નથી. જમીન પર તેની ‘બજવણી’ થતી રહી છે. ભારતીય સૈન્યનું છેલ્લું થાણું ફિંગર-૪ના વિસ્તારમાં છે.
***

હવે પછીનો ઘટનાક્રમ સૈન્યમાં અફસર તરીકે કામ કરી ચૂકેલા અને પછીનાં વર્ષોમાં બિઝનેસ સ્ટાન્ડર્ડમાં લખતા સંરક્ષણ નિષ્ણાત અજય શુક્લના બ્લોગ ajaishukla.blogspot.comમાં જે તે સમયે લખેલી જુદી જુદી પોસ્ટના તથા બીજા કેટલાક સમાચારો-અહેવાલોના આધારે.

પૂર્વ લદ્દાખમાં અંકાયેલી સરહદ ન હોવાથી, પેટ્રોલિંગ દરમિયાન એકબીજાના વિસ્તારોમાં જવાના બનાવોની નવાઈ નથી. પરંતુ એપ્રિલ,૨૦૨૦ના મધ્યમાં જે બન્યું તે વધારે ગંભીર હતું. એપ્રિલના ત્રીજા સપ્તાહથી ચીની પક્ષે સૈન્ય હિલચાલ શરૂ થઈ હતી. એપ્રિલના અંતમાં એ વિસ્તારમાં ચાઇનીઝ હેલિકોપ્ટરની ‘એક્ટિવિટી’ હોવાનું એર ચીફ માર્શલ ભદૌરિયાએ સ્વીકાર્યું હતું અને કહ્યું હતું કે ભારતીય વાયુદળ ‘જરૂરી કાર્યવાહી’ કરી રહ્યું છે (૨૩-૫-૨૦), જેનાં આખરી પરિણામ મે, ૨૦૨૦માં જોવા મળ્યાં.

મે ૫, ૨૦૨૦
આશરે પાંચેક હજાર ચીની સૈનિકોનું ધાડું લદ્દાખમાં પાંચ ઠેકાણે ઘૂસી આવ્યું. તેમાં ચાર ઠેકાણાં ગલવાન નદી પાસેના ઇલાકામાં અને એક પેનગોન્ગ લેકનો ઇલાકો. (બીજી ઘણી વિગતોની જેમ સૈનિકોનો આંકડો અજય શુક્લે આપેલો છે. કોઈ ઇચ્છે તો તેને ન માને. પરંતુ તેનાથી પાયાની વાસ્તવિકતામાં ખાસ ફરક પડતો નથી.) ગલવાન નદી પાસેના વિસ્તાર એવા હતા, જેના વિશે અત્યાર લગી કોઈ વિવાદ ન હતો. આ વખતે ત્યાં પણ ચીની સૈનિકો LACથી ભારતની હદમાં ત્રણ-ચાર કિલોમીટર સુધી આવી ગયા. થોડા કિલોમીટર ઘૂસી આવવાની કે કામચલાઉ કબજો જમાવવાની ગુસ્તાખી ચીની સૈનિકો ભૂતકાળમાં કરી ચૂક્યા છે. તે અનિચ્છનીય છતાં સાધારણ છમકલાં તરીકે ગણાતું હોય છે. પણ આ વખતે ત્રણ બાબતો નવી અને ચિંતાજનક હતીઃ 

૧) ગલવાન વિસ્તાર ઘણાં વર્ષોથી ચીની છેડછાડથી મુક્ત હતો. તે આ વખતે ચીની સૈન્યના નિશાન પર આવ્યો.

૨) સૈનિકોની સંખ્યા. આશરે પાંચ હજાર સૈનિકો. 

૩) ચીની સૈનિકોએ ખાઈઓ ખોદવાનું અને બંકરો બનાવવાનું શરૂ કર્યું. એટલે કે લાંબા ગાળાના સંરક્ષણ માટેની તૈયારી. સાથોસાથ, ચીની કબજાના વિસ્તારોમાં ભારે વાહનો અને તોપો પણ તહેનાત કરી.  ગલવાન નદી પાસેના પેટ્રોલિંગ પોઇન્ટ ૧૪ અને ગોગરા વિસ્તાર વચ્ચે સોએક તંબુ બાંધી દીધા. 
ઉપરાંત, પાંચમી મે પહેલાં ભારતીય જવાનો ફિંગર ૮ સુધી પેટ્રોલિંગ માટે જતા હતા. ત્યાર પછી ચીની સૈનિકો તેમને ફિંગર ૪થી જ અટકાવવા લાગ્યા. 
પેન્ગોન્ગ લેકની સાથે ફિંગર ૧ થી ફિંગર ૮ના સ્થળનો ખ્યાલ આપતો નકશો
મે ૯, ૨૦૨૦
ચીને લદ્દાખની સાથોસાથ ઉત્તરી સિક્કિમમાં, સિક્કિમ-તિબેટ સરહદે ઘુસણખોરી કરી. આ વિસ્તારમાં સરહદ અંગે કોઈ વિવાદ કે મતભેદ નથી. છતાં આશરે ૨૦૦ ચીની સૈનિકો ભારતીય વિસ્તારમાં ચડી આવ્યા, કામચલાઉ ધોરણે કબજો જમાવ્યો. થોડા દિવસ પછી તે કબજો છોડીને પાછા જતા રહ્યા અને ચીનની હદમાં તંબુ તાણ્યા.

મે ૧૨/૧૩, ૨૦૨૦
પેનગોન્ગ લેક વિસ્તારમાં હજારો (આશરે પાંચેક હજાર) ચીની સૈનિકો આવી ગયા અને ફિંગર ૮ થી લઈને ફિંગર ૪ સુધીના ભારતીય હદમાં ગણાતા આશરે આઠ કિલોમીટર વિસ્તાર પર કબજો જમાવી દીધો.

૩૦ મે, ૨૦૨૦ સુધીમાં
ચીની સૈન્યે પોતાની પકડ મજબૂત બનાવવા માટે અને સંભવિત ભારતીય જવાબ સામે રક્ષણ માટે ખાઈઓ ખોદવા જેવી કામગીરી ચાલુ રાખી. ગલવાન વિસ્તારમાં ચાર ઠેકાણે અને પેન્ગોન્ગ લેકના ઉત્તરી કાંઠે ભારતની હદમાં ચીની સૈન્ય કોન્ક્રીટનાં બંકર બનાવતું હોવાનું સેટેલાઇટ તસવીરો થકી જાણવા મળ્યું. મળ્યું. ઉપરાંત, પેન્ગોન્ગ લેકના ઉત્તરી કાંઠે ફિંગર પાંચથી ફિંગર આઠ વચ્ચેનો આશરે ત્રણેક કિલોમીટરનો રસ્તો પણ ચીની સૈન્યે બનાવી દીધો અને પોતાની હદમાં બખ્તરિયાં વાહનો અને તોપો ગોઠવ્યાં, જે ભારતની હદમાં ઘૂસેલા ચીની સૈનિકોને મદદ પૂરી પાડી શકે. 

દરમિયાન, ભારતના સરકારી બયાનમાં સરહદે શાંતિ સ્થાપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી અને સૈન્ય નેતાઓ વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે વર્તી રહ્યું હોવાનું જણાવાયું. સાથોસાથ, ભારતના સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય સલામતી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. અહેવાલો પ્રમાણે, પરિસ્થિતિ તેનાથી વિપરીત હતી.

૩ જૂન, ૨૦૨૦
સંરક્ષણ પ્રધાન તરીકે રાજનાથ સિંઘે CNN News 18ને આપેલી એક મુલાકાતમાં સરહદી સ્થિતિને અત્યાર સુધી થયેલી અનેક તંગદિલી જેવી ગણાવી અને વર્તમાન સ્થિતિ વિશે તેમણે કહ્યું, “ફિલહાલકી જો ઘટના હૈ, યહ બાત સચ હૈ કિ ચીનકે લોગ ભી, ઉનકા દાવા હૈ કિ હમારી સીમા યહાં તક હૈ. ભારતકા યહ દાવા હૈ કિ હમારી સીમા યહાં તક હૈ. ઔર ઉસકો લેકર એક મતભેદ હુઆ હૈ ઔર અચ્છીખાસી સંખ્યામેં ચીનકે લોગ ભી આ ગયે હૈં. લેકિન ભારતને ભી અપની તરફસે જો કુછ ભી કરના ચાહિયે, ભારતને ભી કિયા હૈ.’ 

આ નિવેદનમાં દેખીતી રીતે જ રાજનાથ સિંઘે ચીનના સૈનિકોની ઘૂસણખોરીનો એકરાર કર્યો હતો. તેનો વિવાદ થયો. એટલે CNN News 18એ ઔપચારિક ખુલાસો કરતાં જણાવ્યું કે ‘સંરક્ષણ પ્રધાને તેમની વાતમાં પૂર્વી લદ્દાખનો ઉલ્લેખ કર્યો ન હતો.’ સરકારનું વાજું વગાડતી વેબસાઇટ opindiaએ મથાળું ચલાવ્યું, CNN News 18 withdraws fake news misquoting Defence Minister Rajnath Singh on Ladakh standoff. 

પણ ઉપર આપેલી લિન્કમાં ખુદ રાજનાથસિંઘના મોઢેથી સાંભળી લીધા પછી સમજાઈ જશે કે એકેય ખુલાસો કે opindiaનો બચાવ કેમ પોકળ છે. 

મતલબ એ થયો કે સરકારને જૂન ૩ના રોજ પરિસ્થિતિની જાણ હતી. રાજનાથસિંઘે કહ્યું પણ ખરું કે મિલિટરીના સ્તરે વાતચીત થઈ રહી છે અને ૬ જૂનના રોજ મિલિટરીના મોટા અફસરો વચ્ચે વાતચીત થવાની છે. રાજનાથસિંઘે કહ્યું, “ભારતકી એક નીતિ બહુત હી સ્પષ્ટ હૈ. ભારત દુનિયામેં કિસી ભી દેસકે સ્વાભિમાન પર ન ચોટ પહુંચાના ચાહતા હૈ, ન ભારત અપને દેસકે સ્વાભિમાન પર કિસી ભી સુરતમેં ચોટ બરદાશ્ત કર સકતા હૈ. બસ, સ્પષ્ટ નીતિ હૈ. ઇસસે જીસકો જો અર્થ નિકાલના હો, અર્થ નિકાલ લે.” રાજનાથ સિંઘ આ કહી રહ્યા હતા તે પહેલાંથી ચીની સૈન્ય ફિંગર ૮ અને ફિંગર ૪ વચ્ચેનો આઠેક કિલોમીટરનો વિસ્તાર કબજે કરીને બેઠું હતું. એ સિવાય ગલવાન નદીના વિસ્તારમાં પણ ભારતની હદમાં આવી ચૂક્યું હતું.

૬ જૂન, ૨૦૨૦
ભારતીય સૈન્યના લેહ કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંઘ તથા ચીની સૈન્યના મેજર જનરલ વચ્ચે ચુશુલ ખાતે વાતચીત થઈ. (સૈન્યમાં લેફ્ટનન્ટ જનરલનો હોદ્દો મેજર જનરલ કરતાં ઊંચો હોય છે.) ત્યારે ચીને ગલવાન નદીનો વિસ્તાર પોતાનો ગણાવ્યો. બંને અફસરો વચ્ચે કોઈ મુદ્દે એકમતી ન થઈ. એટલે ડેલિગેટ સ્તરની વાતચીત ચલાવવામાં આવી. તેમાં મતભેદનાં પાંચ ઠેકાણાં નક્કી થયાં: પેટ્રોલિંગ પોઇન્ટ ૧૪, પેટ્રોલિંગ પોઇન્ટ ૧૫, પેટ્રોલિંગ પોઇન્ટ ૧૭, પેન્ગોગ લેકનો ઉત્તરી કાંઠો અને ચુશુલ. (આવું અજય શુક્લના અહેવાલમાં છે. તેમાં ચુશુલનો ઉલ્લેખ કેમ હશે, તે સ્પષ્ટ થતું નથી) ચીને ગલવાન ખીણ પ્રદેશમાં કેટલાંક એવાં ઊંચાં સ્થળો પર કબજો જમાવ્યો કે જ્યાંથી DSDBO રોડ પર નજર અને જાપ્તો રાખી શકાય. 
એ સિવાય સિક્કિમમાં નકુ લા અને ઉત્તરાખંડમાં લિપુ લેખમાં ચીની સૈન્યે સતત હરકતો ચાલુ રાખી, જે ધ્યાન બીજે વાળવાની તરકીબ પણ હોઈ શકે. 

૧૩ જૂન, ૨૦૨૦
સૈન્ય વડા જનરલ નરવણેએ કહ્યું કે ગલવાન વિસ્તારમાંથી ભારતીય અને ચીની સૈન્યના તબક્કાવાર ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. બંને દેશો વચ્ચેની લશ્કરી મંત્રણાઓ ઘણી ફળદાયી રહી અને સમય જશે તેમ સ્થિતિ સુધરતી જશે. આ પ્રક્રિયા માટે તેમણે બંનેમાંથી એકેય પક્ષ માટે પીછેહઠ શબ્દ વાપરવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું કે ડિસએન્ગેજમેન્ટ શબ્દ જ યોગ્ય છે. તેની શરૂઆત ઉત્તરે ગલવાન વિસ્તારમાંથી થઈ છે. પેન્ગોન્ગ લેકના ઉત્તરી પ્રદેશ વિશે તેમણે કશી ટીપ્પણી કરી નહીં. 

આ યાદ રાખજો. કારણ કે આજે ૨૪ જૂને પ્રગટ થયેલા સમાચારમાં પણ લગભગ આવી જ વાત છે. અલબત્ત, તે સત્તાવાર જાહેરાત નથી. આજના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, ડિસએન્ગેજમેન્ટ માટે સૈદ્ધાંતિક સંમતિ થઈ છે. હજુ સુધી ચોક્કસ ટાઇમટેબલ નક્કી થયું નથી.

૧૬ જૂન, ૨૦૨૦
ભારતીય સૈન્યે સવારે જાહેર કર્યું કે “ગલવાન વૅલી વિસ્તારમાં ડીએસ્કેલેશન પ્રોસેસ (સૈન્યોની સામસામી મુકાબલાની સ્થિતિમાંથી પાછા હટવાની પ્રક્રિયા) દરમિયાન ગઈ કાલે રાત્રે હિંસક સંઘર્ષ થયો હતો. તેમાં બંને પક્ષને હાનિ પહોંચી છે. ભારતીય પક્ષે થયેલી જાનહાનિમાં એક અફસર અને બે જવાનનો સમાવેશ થાય છે. બંને પક્ષના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ હાલમાં સ્થળ પર વાટાઘાટો દ્વારા પરિસ્થિતિ થાળે પાડવાની કોશિશ કરી રહ્યા છે.”
“During the de-escalation process under way in the Galwan Valley, a violent face-off took place yesterday night with casualties on both sides. The loss of lives on the Indian side includes an officer and two soldiers. Senior military officials of the two sides are currently meeting at the venue to defuse the situation.” (સૈન્યના નિવેદનમાંથી)

એ દિવસે મોડી સાંજે ભારતીય સૈન્ય તરફથી બીજું નિવેદન જારી કરવામાં આવ્યું. તેમાં જણાવાયું હતું કે “સંઘર્ષના સ્થળે ફરજ અદા કરતી વેળા ૧૭ ભારતીય જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઊંચાઈ પર શૂન્યથી પણ ઓછા તાપમાનના સંપર્કમાં આવતાં, તે ઇજાનો ભોગ બનીને મૃત્યુ પામ્યા છે. આ સાથે સંઘર્ષમાં માર્યા ગયેલાઓની કુલ સંખ્યા ૨૦ થઈ છે…ગલવાન ખાતે, જ્યાં ૧૫/૧૬ની રાત્રે સંઘર્ષ થયો હતો ત્યાં, ભારતીય અને ચીની સૈન્યો ડિસએન્ગેજ થઈ ચૂક્યાં છે.”
“17 Indian troops who were critically injured in the line of duty at the stand-off location and exposed to sub-zero temperatures in the high altitude terrain have succumbed to their injuries, taking the total that were killed in action to 20... Indian and Chinese troops have disengaged at the Galwan area where they had earlier clashed on the night of 15/16 June 2020.” (સૈન્યના નિવેદનમાંથી)

નોંધઃ લશ્કરી નિવેદનોમાં ‘માર્ટિયર્ડ’ નહીં, ‘કિલ્ડ’ જ લખાયેલું છે. એટલે અહીં કોઈએ રાજકીય હેતુ ને રાજકીયહિતપ્રેરિત  છાપાંની વ્યાવસાયિક હરીફાઈમાંથી ચગાવાયેલી ‘ફૂંકી માર્યા વિ. શહીદ થયા’ની સ્યુડો-દેશભક્તિ છાંટવા આવી પડવું નહીં—સિવાય કે એવા ‘દેશભક્તો’ નિવેદન તૈયાર કરનાર ભારતીય સૈન્યને પણ દેશવિરોધી ગણતા હોય. 

ધીમે ધીમે ચીની સૈનિકોના ઘાતકીપણાની વિગતો બહાર આવી. ભારતીય સૈનિકો કરતાં ચીની સૈનિકોની સંખ્યા ઘણી વધારે હતી. બંદૂક વિનાની હિંસક લડાઈમાં ચીન સૈનિકો બધી હદો વટાવી ગયા. તેમણે ખીલા બાંધેલા સળીયા વડે ભારતીય સૈનિકો પર હુમલા કર્યા અને તેમને નદીના ઠંડાગાર પ્રવાહમાં ફેંકી દીધા હોવાના અહેવાલો પણ આવ્યા. મૃતકો ઉપરાંત બીજા ઘણા ભારતીય સૈનિકોને ગંભીર નહીં એવી ઇજાઓ પણ પહોંચી. ખંધા ચીને તો રાબેતા મુજબ પોપટપાઠ ચાલુ રાખ્યો કે “ભારતીય સૈનિકો સોમવારે બે વાર ચીનની સરહદમાં ઘૂસી આવીને ચીની સૈનિકો પર હુમલો કર્યો. અમે કડક વિરોધ નોંધાવ્યો છે, પણ તનાવ ઘટાડવા માટેનું કામ ચાલુ છે.” દેખીતી રીતે જ ચીન જૂઠું બોલતું હતું. તે ઘૂસણખોરી કરીને પછી પોતે આક્રમણખોરને બદલે આક્રમણનો ભોગ બનનાર તરીકે રજૂ થતું હતું.

આ સંઘર્ષમાં ચીનના સૈનિકો પણ માર્યા ગયાના સમાચાર પણ આવ્યા. દરમિયાન, જીવલેણ સંઘર્ષ પછી પણ અગાઉની સ્થિતિમાં ફરક પડ્યો નહીં. ફિંગર ૮ થી ફિંગર ૪ વચ્ચેના આઠેક કિલોમીટરના પ્રદેશમાં ચીની સૈનિકો ઘૂસેલા રહ્યા. એ સિવાય પેટ્રોલિંગ પોઇન્ટ ૧૫, પેટ્રોલિંગ પોઇન્ટ ૧૭ અને ગલવાન વૅલીના વિસ્તારમાં જાપ્તો રાખી શકાય એવી ઊંચાઈ પર પણ ચીની સૈનિકોનો કબજો રહ્યો. (અજય શુક્લની માહિતી પ્રમાણે)

૧૮ જૂન, ૨૦૨૦
હિંસક ઝપાઝપી દરમિયાન દસ ભારતીય જવાનો કેદ પકડાયા હતા. તેમને સંઘર્ષ પછીની લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટોના પરિણામે પાછા સોંપવામાં આવ્યા. અલબત્ત, સૈનિકો કેદ પકડાયા હતા તેની જાણ તેમને છોડવાની જાહેરાત વખતે જ થઈ. આ સમાચાર પણ ૨૦ જૂને આવ્યા. 

૧૯ જૂન, ૨૦૨૦
વીસ સૈનિકોની શહીદીને કારણે મોટો હોબાળો થયો. નબળા વિપક્ષોને પણ ટાઢા પાડવા પડે એવી સ્થિતિ પેદા થઈ. એટલે વડાપ્રધાને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ઑલ પાર્ટી મિટિંગ યોજી. મિટિંગના આરંભે તેમણે કહ્યું, 
‘…દેશકી એક એક ઈંચ જમીનકી, દેશકે સ્વાભિમાનકી રક્ષા કરેગા. ભારત સાંસ્કૃતિક રૂપસે એક શાંતિપ્રિય દેશ હૈ. હમારા ઇતિહાસ શાંતિકા રહા હૈ. ભારતકા વૈચારિક મંત્ર હી રહા હૈઃ લોકાઃ સમસ્તાઃ સુખીના ભવન્તુ......હમ કભી કીસીકો ઉકસાતે નહીં હૈ લેકિન અપને દેશકી અખંડતા ઔર સંપ્રભુતાકે સાથ સમજૌતા ભી નહીં કરતે. જબ ભી સમય આયા હૈ હમને દેશકી અખંડતા ઔર સંપ્રભુતાકી રક્ષા કરનેમેં અપની શક્તિકા પ્રદર્શન કિયા હૈ. અપની ક્ષમતાઓંકો સાબિત કિયા હૈ. ત્યાગ ઔર તિતિક્ષા હમારે રાષ્ટ્રીય ચરિત્રકા હિસ્સા હૈ લેકિન સાથ હી વિક્રમ ઔર વીરતા ભી ઉતના હી હમારે દેશકે ચરિત્રકા હિસ્સા હૈ. મૈં દેશકો ભરોસા દિલાના ચાહતા હું હમારે જવાનોંકા બલિદાન વ્યર્થ નહીં જાયેગા. હમારે લિયે ભારતકી અખંડતા ઔર સંપ્રભુતા સર્વોચ્ચ હૈ ઔર ઇસકી રક્ષા કરનેસે હમેં કોઈ રોક નહી સકતા. ઇસ બારેમેં કિસીકો જરા ભી ભ્રમ યા સંદેહ નહીં હોના ચાહિયે. ભારત શાંતિ ચાહતા હૈ લેકિન ભારત ઉકસાને પર હલ હાલમેં યથોચિત જવાબ દેનેમેં સક્ષમ હૈ. ઔર હમારે દિવંગત શહીદ વીર જવાનોંકે વિષયમેં દેશકો ઇસ બાત કા ગર્વ હોગા કે વે મારતે મારતે મરે હૈં.’

આવી ગળી ગળી ને બડી બડી વાતો પછી મિટિંગનું સમાપન કરતાં તેમણે કહ્યું, ‘સાથીયોં, પૂર્વી લદ્દાખમેં જો હુઆ ઉસકો લેકર આપને રક્ષામંત્રીજી ઔર વિદેશમંત્રીજીકો સુના ભી ઔર પ્રેઝન્ટેશનકો ભી દેખા. ન વહાં કોઈ હમારી સીમામેં ઘુસ આયા હૈ, નહીં કોઈ ઘુસા હુઆ હૈ ન હી હમારી કીસી પોસ્ટ કોઈ દૂસરે કે કબજેમેં હૈ લદ્દાખમેં હમારે બીસ જાંબાઝ શહીદ હુએ પર જિન્હોને ભારતમાતાકી તરફ આંખ ઉઠાકર દેખા થા ઉનકો સબક સીખાકર ગયે.’ 

વડાપ્રધાનનો આ દાવો દેખીતી રીતે જ વિસંગતીથી ભરેલો હતો. તેમના દાવા પ્રમાણે આપણી સીમામાં કોઈ ઘુસી આવ્યું ન હોય કે હજુ ઘૂસેલું ન હોય, તો હિંસક ઝપાઝપીમાં ભારતના વીસ જવાનો શહીદ થયા હોય-દસ જવાનો પકડાઈને પછી છૂટ્યા હોય એવું શી રીતે બને? તેમ છતાં વડાપ્રધાન આવું કહેતા હોય તો તેના બે સંભવિત અર્થ થાયઃ 
૧) ચીની સૈન્ય ભારતીય સીમામાં નહીં, ભારતીય સૈન્ય ચીની સીમામાં ઘૂસ્યું હતું. 
૨) ચીન હાલમાં જે વિસ્તારોનો કબજો ધરાવે છે તે ભારતીય હદમાં નથી. એટલે કે એ વિસ્તારો ચીની હદમાં હોવાનો દાવો ભારતને માન્ય છે.

વડાપ્રધાને તો તેમની રાબેતા મુજબની શૈલીમાં જુમલો ગબડાવ્યો અને વિપક્ષોને લાઇનમાં કરી દીધા. પણ તેમના જુમલાનાં અણધારેલાં અર્થઘટનો મોટા પાયે ચર્ચાનો અને ચિંતાનો વિષય બન્યાં. એટલે વક્તૃત્વકળા માટે વખણાતા વડાપ્રધાનના આ નિવેદન પછી સરકારે બે પાનાંનો ખુલાસો જારી કરવો પડ્યો. તેમાં ભારતની સરહદની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી. અલબત્ત, યાદી સરકારી હોય એટલે એમ થોડી કહે કે ‘સાહેબ તો કહે...તમારે બહુ મન પર લેવું નહીં.’? એટલે તેમાં એવું કહેવામાં આવ્યું કે કેટલાક લોકોએ વડાપ્રધાનના  નિવેદનનું અવળચંડું (મિશ્ચિવિયસ) અર્થઘટન કર્યું છે. હકીકતમાં, અર્થઘટન અવળચંડું નહીં, વિધાન આપવડાઈભર્યું હતું. 

૧૯૬૨માં પંડિત નહેરુએ કરેલી ભૂલની વાતો કરી કરીને આટલે પહોંચેલા ભાજપ અને નરેન્દ્ર મોદી પોતે જ એ ભૂલનો બોધપાઠ ભૂલી જાય, તે ઇતિહાસની વક્રતા અને વડાપ્રધાનની વાસ્તવિકતા. બોધપાઠ લેવા માટે ૧૯૬૨ દૂર પડતું હોય તો ૨૦૧૭-દોકલામ હતું જ. તેમાંથી પણ વડાપ્રધાને કશો બોધપાઠ લીધો હોય એવું લાગ્યું નથી.

ઉલટું, તેમની પ્રચલિત છબી પ્રમાણે, શહીદોના સમાચારોની શાહી સુકાય તે પહેલાં, ૨૦ જૂને બિહારમાં ચૂંટણીપ્રચારના ભાગરૂપે, વીડિયો દ્વારા ગરીબકલ્યાણ રોજગાર અભિયાનનો પ્રારંભ કરતાં તેમણે કહ્યું,
“દેશ તો સેના પે ગર્વ કરતા હી હૈ, પર આજ મૈં જબ બિહારકે લોગોંસે બાત કર રહા હું તો મૈં ગૌરવકે સાથ ઇસ બાત કા જિક્ર કરનાચાહુંગા કે યે પરાક્રમ બિહાર રેજિમેન્ટકા હૈ. હર બિહારીકો ઇસકા ગર્વ હોતા હૈ ઔર જિન વીરોંને દેશકે લિયે બલિદાન દિયા હૈ ઉનકે પ્રતિ નમન કરતા હું ઔર બિહારકે ભી હમારે સાથી જિન્હોંને બલિદાન દિયા હૈ ઉનકે પ્રતિ મૈં અપને શ્રદ્ધાસુમન અર્પણ કરતા હું ઔર ઉનકે પરિવારજનોંકો ભી આજ જબ બિહારસે બાત કર રહા હું તો વિશ્વાસ દિલાના ચાહતા હું કે દેસ આપકે સાથ હૈ, દેશ સેનાકે સાથ હૈ, દેશ ઉસકે ઉજ્જવલ ભવિષ્યકે લિયે કૃતસંકલ્પ હૈ.”  https://youtu.be/5lmofK5JM7c

આ ભાષણમાં જેમને બિહાર રેજિમેન્ટના શહીદોના નામે બેશરમીભર્યો ચૂંટણીપ્રચાર ન દેખાય, તેમણે એકાંતમાં શાંતિથી બેસીને નરેન્દ્ર મોદી વિશે નહીં, પોતાના વિશે જરા વિચાર કરવો રહ્યો. 
***

દેશ પ્રત્યે સાચો ભાવ ધરાવતા સૌએ દેશભક્તિના નામે માહિતી છુપાવવાની નેતાઓની અને પ્રસાર માધ્યમોની તરકીબોથી સાવધાન રહેવા જેવું છે. સત્તાધીશો ઉપરાંત માહિતી છુપાવનારાના કે ખોટેખોટો પાનો ચડાવનારાના મુખ્ય બે પ્રકાર છેઃ 

૧) સરકારપ્રેમીઓ, જે સરકાર અને દેશ વચ્ચેનો ફરક ધરાર સમજવા માગતા નથી, સરકારની ટીકાને દેશની ટીકા સમજે છે અને દેશહિત કરતાં સરકારહિતને ઊપર મુકે છે. 

૨) દેશભક્તિનો સ્વાંગ ધરીને રજૂ થતા ધંધાદારીઓ, જે માને છે કે આવું બધું બહુ વેચાય અથવા આવું બધું કરવાથી આપણો દેશભક્ત તરીકે છાકો પડી જાય. તેના જોરે ધંધાકીય હરીફાઈમાં બહુ ફાયદો થાય. 
ઘણા ધંધાદારીઓ સરકારપ્રેમી પણ હોય છે. એટલે તેમના માટે ‘એક પંથ, દો કાજ’ જેવું થાય છે. 

આ ઉપરાંત એક નાનો વર્ગ એવો પણ છે, જે વડાપ્રધાનની ગફલતો બરાબર સમજતો હોવા છતાં, તેમની પ્રગટ ટીકા કરવા ઇચ્છતો નથી. તે ભક્તો નથી. પણ તેમને લાગે છે કે આવા વખતે સરકાર સાથે ઊભા રહેવું જોઈએ. પોતાની આવી માન્યતાની પોકળતા કે નક્કરતા ચકાસવા માટે તેમણે પોતાની જાતને એક જ સવાલ પૂછવાનો છેઃ તેમની આ ભાવના બીજી કોઈ સરકાર હોત, તો પણ આવી જ હોત? 
***

આટલી લાંબી કથા છતાં ચીનની દાંડાઈનાં કારણોથી માંડીને વ્યૂહાત્મક રીતે કેવાં પગલાં લેવાની જરૂર હતી તથા ચીનના આર્થિક બહિષ્કારથી કેટલો ફરક પડશે—એવા ઘણા મુદ્દાની ચર્ચા બાકી રહે છે. પરંતુ અત્યારે આટલું પૂરતું છે. 

છેલ્લે કેટલાક નોંધવાલાયક મુદ્દા અને પૂછવાલાયક સવાલ 
  1. દોકલામમાંથી સરકાર-વડાપ્રધાન કશો બોધપાઠ કેમ ન શીખ્યાં?
  2. જાસુસી તંત્ર અને સેટેલાઇટ મોનિટરિંગ છતાં ભારતીય સૈન્ય કેમ અસાવધ ઝડપાયું?
  3. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલની આ ઘટનાક્રમમાં શી ભૂમિકા રહી?
  4. ડિસએન્ગેજમેન્ટ અને ડિસઅગ્રીમેન્ટ (મતભેદ) જેવા શબ્દોથી ચેતવું. હિંસક સંઘર્ષ થયો તેના ઘણા વખત પહેલાંથી ડિસએન્ગેજમેન્ટનો દાવો કરવામાં આવતો હતો. એવી જ રીતે, ‘સરહદ બાબતે ભારત અને ચીન વચ્ચે મતભેદ છે’—એમ કહેવાનો મતલબ થાયઃ ‘ચીન એનો દાવો કરે છે, અમે અમારો કરીએ છીએ. જોઈએ શું થાય છે.’ હકીકતમાં, ભારતના પ્રદેશ પર ચીન દાવો કરે તો તેને ‘મતભેદ’ નહીં, ‘ઘૂસણખોરીનો પ્રયાસ’ ગણવાનો હોય. 
  5. બંને દેશો વચ્ચે સરહદી તનાવને કાબૂમાં રાખવાના ભાગરૂપે થયેલી સંધિ મુજબ, હિંસક અથડામણ વખતે બંને દેશોના સૈનિકોએ બંદૂકો ન વાપરી. તેનાથી પણ ખરાબ સ્તરની મારામારી થઈ. હવે સરકારે સૈન્યને અસામાન્ય સંજોગોમાં યથાયોગ્ય કાર્યવાહીની છૂટ આપી છે. સારી વાત છે અને આશા રાખીએ કે ભવિષ્યમાં આવું કંઈ ન થાય. પણ જો થાય તો સરકાર નૈતિક જવાબદારી લેશે? કે પછી ‘સૈન્યને બધી છૂટ આપેલી છે’ એમ કહીને છૂટી પડશે?
  6. ચીન ફક્ત ડિસએન્ગેજ થાય એટલું પૂરતું નથી. એ દોકલામના દાખલા પરથી તો સમજાઈ જ જવું જોઈએ. એ પીછેહઠ કરીને કયા પોઇન્ટ સુધી પાછું જાય છે, તેનું ધ્યાન રાખવાનું અને તે બે ડગલાં આગળ આવ્યું હોય તો તેને એક નહીં, બે ડગલાં પાછળ પાછું મોકલવાનું વધારે મહત્ત્વનું છે.
  7. કેટલાક લોકો ટેકનિકલ મુદ્દો આગળ ધરીને એવી દલીલ કરે છે કે ફિંગર ૪થી ફિંગર ૮ સુધીના વિસ્તારો પર ચીનનો કબજો એ ભારતની જમીન પર ઘુસણખોરી ન કહેવાય. કેમ કે, એ વિસ્તારોમાં ભારતનું એકેય થાણું ન હતું. આ દલીલ માન્ય રાખીએ તો પણ એ હકીકત છે કે ભારતીય સૈનિકો ફિંગર ૮ સુધી પેટ્રોલિંગ માટે જતા હતા. મતલબ, ફિંગર ૪ થી ફિંગર ૮ સુધીનો વિસ્તાર ભારતના કબજામાં નહીં, તેમ ચીનના કબજામાં પણ ન હતો. એ બફર જેવો હતો. વર્તમાન ઘટનાક્રમથી એ બફર જતું રહ્યું છે અને હવે ચીનનો કબજો ફિંગર ૪ સુધી વિસ્તર્યો છે.
  8. આગળ જણાવ્યું તેમ, ભારત પંદર દિવસ પહેલાં પણ ‘ડિસએન્ગેજમેન્ટ ચાલુ છે’ની માળા જપતું હતું અને આજના સમાચાર પ્રમાણે હજુ પણ એ જ માળા ચાલુ છે. એવું જ વડાપ્રધાનની શબ્દાળુ હૈયાધારણોનું. તેની પર ભરોસો મૂકવા માટે વડાપ્રધાન પર અંધવિશ્વાસ જોઈએ. આ વડાપ્રધાન પર સાદો વિશ્વાસ મુકવાનાં ફાંફાં હોય ત્યાં અંધવિશ્વાસ ક્યાંથી મુકવો?
  9. રામચંદ્ર ગુહાએ માત્ર ચોક્કસ મુદ્દા પૂરતી જવાહરલાલ નહેરુ અને નરેન્દ્ર મોદીની સરખામણી કરીને લખ્યું કે બંને નેતાઓ ચીની શાસકો સાથેનાં વ્યક્તિગત સંબંધોથી સમીકરણો બદલાઈ શકશે, એવા ભ્રમમાં રહ્યા. વડાપ્રધાન મોદીનો એ ભ્રમ હવે દૂર થઈ ચૂક્યો હશે. ફક્ત ચીન સાથે જ નહીં, અમેરિકા કે બીજા કોઈ પણ દેશના વડા સાથે ભેટંભેટી કરવાથી પ્રચારમોરચે જયજયકાર થઈ જાય છે, પણ વાસ્તવમાં તેની કશી અસર થતી નથી, તે અમેરિકાના મામલે પણ એકથી વધુ પ્રસંગે પુરવાર થયેલું છે.
થોડુંક મીડિયા અને સોશિયલ મીડિયા વિશે
  1. કેટલાંક પ્રસાર માધ્યમોએ એવી લાઇન ચલાવવાની કોશિશ કરી કે ‘આ તો સૈન્યનો પ્રશ્ન કહેવાય, સરકાર થોડી પેટ્રોલિંગ કરવા જાય છે?’ મતલબ, જશ સરકારનો અને અપજશ સૈન્યનો. 
  2. સર્વપક્ષીય મીટિંગ પૂરી થાય તે પહેલાં જ તેનો વડાપ્રધાનને એકદમ અનુકૂળ આવે એવો અહેવાલ ફરતો થઈ ગયો હતો. માત્ર મુશ્કેલી એ થઈ કે તેમાં ઓરિસ્સાના મુખ્ય મંત્રી નવીન પટનાયકને પણ ટાંકવામાં આવ્યા હતા, જેમણે આ મિટિંગમાં ભાગ જ લીધો ન હતો. સાયબરસેલનાં આવાં કંઈક કારસ્તાનો ચાલતાં હતાં.
  3. ઢાંકપિછોડા કરવાના સરકારી પ્રયાસોમાં અડચણ નાખતી અને ચીનને કશો ફાયદો ન થાય એવી માહિતી આપતા રહેલા-એવા સવાલ કરતા રહેલા નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ એચ. એસ. પનાગ, ભૂતપૂર્વ ફૌજી અફસર અજય શુક્લ જેવા લોકોની વાત સાંભળવાને બદલે, તેમાં દેશહિત જોવાને બદલે તેમનું ટ્રોલિંગ કરવામાં આવ્યું.
  4. કેટલાંક પ્રસાર માધ્યમોએ વીસ જવાનોની શહીદી સામે ૪૩ ચીની સૈનિકો માર્યા ગયાના સમાચાર એવી રીતે છાપ્યા કે તેનાથી વીસ જવાનોની શહીદી અને તેનાં કારણોની જવાબદારી સરકારના માથે ન આવે. લોકો સવાલો પૂછવાને બદલે ૪૩ ચીની સૈનિકોના મોતના સમાચારથી સંતોષ અનુભવીને બેસી જાય.
  5. ચીન તો બદમાશ છે ને ચીન તો દુષ્ટ છે—એવું લખી કાઢવાનું પૂરતું નથી. ચીન તો આ જ છે. તેની સામે વડાપ્રધાનના અત્યાર લગીના દાવા અને વાસ્તવિક દેખાવ કેવા રહ્યા, એ પણ કહેવાવું જોઈએ. બાકી, ચીનને ધોકા મારીને સાહેબને સાચવી લેવામાં દેશપ્રેમ નહીં, કેવળ ધંધાપ્રેમ કે સાહેબપ્રેમ રહેલો છે. 
  6. બઢાવેલાંચઢાવેલાં ભવ્ય મથાળાં મારવાં, લોકોના મિથ્યાભિમાનને પોષવું અને આડકતરી રીતે સરકારને મદદરૂપ થવું એ પણ દેશપ્રેમ નથી. એ તો વાચકોને વાસ્તવિકતાથી અંધારામાં રાખવાની છેતરપીંડી છે. એટલે એવાં કવિતાશાઈ ને એકદમ હાઇપર પ્રકારનાં મથાળાંથી ચેતવું. તે વાસ્તવિકતા ભૂલાવવા માટે વાચકોને નશાનાં ઇન્જેક્શન આપનારાં હોઈ શકે છે.
મૂળ પોસ્ટ પછીનો ઉમેરો 
તા. ૨૫ જૂન
સમાચાર પ્રમાણે ચીને ભારત-ચીન સરહદના છેલ્લા ભારતીય લશ્કરી મથક દૌલતબેગ ઓલ્ડીથી 30 કિલોમીટર દૂર, ડેસ્પાંગ પાસે વાય-જંક્શન તરીકે ઓળખાતા હિસ્સામાં સૈનિકો અને ભારે વાહનો સાથે ઘૂસણખોરી કરી છે. વાય-જંક્શન LACથી ભારતીય હદમાં આવેલું છે. ધોરી નસ જેવા DSDBO રોડ પર આવતા એક લદ્દાખી ગામથી તે સાત કિલોમીટર દૂર છે અને ભારતીય સરહદની 18 કિ.મી. અંદર. 

9 comments:

  1. આટલું સ્પષ્ટ લખાણ અન્યત્ર ક્યાંય વાંચવામાં નથી આવ્યું. આને 'ભક્તિનિવારણ પાઠ' તરીકે ઉપયોગે લેવાની ભક્તગણને ભલામણ છે.

    ReplyDelete
  2. વાસુદેવ પટેલ10:00:00 PM

    સટીક...

    ReplyDelete
  3. સચોટ અને પોઈન્ટ ટુ પોઈન્ટ વિવરણ..

    ReplyDelete
  4. ખૂબજ ઉપયોગી અને મહેનત કરી ને માહિતી આપી બદલ આભાર

    ReplyDelete
  5. સાહેબ, આ લાંબા લેખ માટે એટલુંજ કહેવાનું કે વાંચનાર કેટલા છે?અને તેમને આ લેખ પરથી શું કરવું તે જાણે! તમે મહા મહેનત,જહેમત ઉઠાવીને લેખ તૈયાર કર્યો અને તે તમારાવાંચકો સમક્ષ રજુ કર્યો તેથી વાંચનારા જે મારા જેવા સાધારણ વાંચક હશે તે તમારી
    જય બોલાવશે!
    તમેં લેખ માટે આભાર.
    ('જય' નો મતલબ કટાક્ષમાં નથી કદર કરવાનો છે )

    ReplyDelete
  6. LAP. Lines of Actual Pucture. સાચા ચિત્રની રેખાઓ.

    ReplyDelete
  7. આત્રર રાષ્ટ્રીય મુદ્દો પણ દરેકના દિલને સ્પર્શે એવા મુદાની સરળ અને સહજ રીતે છણાવટ કરવા બદલ આભાર,ગુજરાતીઓ થોડું સાહસ કરીને સૈન્યમાં જોડાતા થાશે તો ઘણું સારું રહેશે, જોકે છેલ્લા વર્ષોમાં ગુજરાતીઓ સૈન્ય તરફ પણ વળ્યા છે.લીપુલેખનો આપે ઉલ્લેખ કર્યો છે જે નેપાળ અને ભારત માટે સીમા વિવાદનું મૂળ છે.લિખતે રહે એવી શુભેચ્છાઓ સાથે જય હિન્દ

    ReplyDelete
  8. Hiren Joshi USA8:02:00 PM

    This article is based on facts, research and your hard work. Anyone in the Indian government or military could utilize this writing to plan and implement their future actions against the aggressive dragon like China. That will provide a better service to the nation than praising/promoting only the PM and spreading false patriotism fantasy around the masses and media.

    ReplyDelete
  9. "એ દેશની ખાજો દયા" કાવ્ય આપણા દેશના સંદર્ભમાં સાચું પડતું લાગે છે.

    ReplyDelete