Tuesday, March 20, 2018

વાદનો વિવાદ, વાસ્તવિકતાની તપાસ

સંસ્કૃત કહેણી એવી છે કે વાદે વાદે જાયતે તત્ત્વબોધ (વાદસંવાદમાંથી તાત્ત્વિક સમજ અને બોધ પેદા થાય છે) પણ રાજકીય વાદોમાંથી તત્ત્વબોધ ઓછો ને તકરારો વધારે પેદા થઈ. માણસ પહેલો કે વાદ? એ સદભાગ્યે ‘પહેલી મરઘી કે પહેલું ઇંડું?’ એવો સવાલ નથી. તેનો જવાબ સ્પષ્ટ છેઃ પહેલાં માણસ અને પછી વાદ. તેનો એક અર્થ એ કે વાદ કરતાં માણસ (માણસાઈના અર્થમાં) વધારે મહત્ત્વનો છે. બીજો અર્થઃ માણસે વાદ બનાવ્યો છે. માણસ કોઈ વાદ અપનાવવા જેટલો મોટો થાય ત્યાં સુધીમાં તેની મૂળભૂત પ્રકૃતિને અનેક પરિબળો ઘણી હદે ઘડી ચૂક્યાં હોય છે. એટલે, કોઈ પણ વ્યક્તિ પોતે અપનાવેલા વાદ જેટલી નહીં, પણ પોતાની મૂળભૂત પ્રકૃતિ જેટલી જ સારી કે ખરાબ હોય.

પણ એવું બનેઃ ચોક્કસ વાદ સાથે વ્યક્તિ પોતાની જાતને એટલી હદે સાંકળી લે કે વાદની મર્યાદાઓમાં વ્યક્તિની મર્યાદાઓ ઉમેરાઈ જાય. અને વાદ સર્વાંગસંપૂર્ણ હોય તો પણ, વાદીઓની મર્યાદાને લીધે તેની આબરૂમાં ઘસરકા પડે. જેમ કે, બ્રહ્મચર્યનો આગ્રહ ગાંધીવાદની સંભવતઃ સૌથી જાણીતી અને ટીકાસ્પદ બાબત ગણાય છે. એમાં વળી કોઈ દંભી કે અસ્વાભાવિક ગાંધીવાદી બ્રહ્મચર્યપાલક સાથે આપણો પનારો પડે, ત્યારે બ્રહ્મચર્યનો આગ્રહ પહેલાં લાગતો હોય એના કરતાં પણ વધારે અકારો લાગી શકે. કારણ કે, મૂળ સિદ્ધાંતની મર્યાદામાં તેના અનુયાયી હોવાનો દાવો કરનારાની વ્યક્તિગત મર્યાદા ભળી ગઈ હોય. ડાબેરીઓનો મિલકતની સમાન વહેંચણીનો આગ્રહ કોઈને આદર્શવાદી અને અવ્યવહારુ લાગતો હોય, તો માલદાર ડાબેરીના મોઢેથી એ આદર્શની વાત સાંભળ્યા પછી અકળામણ વધી શકે. રાષ્ટ્રવાદના નામે ચાલતું કોમવાદનું જમણેરી રાજકારણ આકરું લાગતું હોય. પણ જેમની ગુંડાગીરી વિશે ખાતરી હોય એવા કોઈ રાષ્ટ્રવાદ કે ગોરક્ષાની વાત કરે ત્યારે, એ મૂળ ‘સિદ્ધાંત’ કરતાં પણ વધુ અસહ્ય લાગે.

મતલબ, જેમ વાદના અનુયાયીઓ પોતાની મૂળભૂત તથા સંજોગોથી ઘડાયેલી પ્રકૃતિ કરતાં ઝાઝાં સારાં કે ખરાબ નથી હોઈ શકતાં, એવી જ રીતે વાદ પણ વ્યવહારમાં તેમના બહુમતી અનુયાયીઓની ખૂબીખામીઓ જેટલો જ સારો કે ખરાબ નીવડે છે.

ભારતના, ખાસ કરીને ભારતના ઉત્તર ભાગના, રાજકારણની વાત કરીએ તો, શરૂઆત કૉંગ્રેસના સર્વસમાવેશક રાજકારણથી થઈ હતી. કેમ કે, કૉંગ્રેસમાં ડાબેરી-જમણેરી બધાં પરિબળો-પ્રવાહો હતા. છતાં તેનું ચાલકબળ શંકા કે ધીક્કાર ન હતું. એટલે, ઘણા લોકો શુદ્ધ કોમવાદને બદલે દંભી બિનસાંપ્રદાયિકતાને નાનું દૂષણ ગણીને લાંબા સમય સુધી તેની સાથે સંકળાયેલા રહ્યા. પરંતુ સમય જતાં બિનસાંપ્રદાયિકતાની વાત કોંગ્રેસ માટે જમણેરી પરિબળોનો રાજકીય વિરોધ કરવાનો ચૂંટણીનારો માત્ર બની ગઈ. ‘અમને મત આપો. નહીંતર કોમવાદીઓ સત્તામાં આવી જશે.’ એવા પ્રચાર હેઠળ પોતાની મોટી મર્યાદાઓ છુપાવવાની કોંગ્રેસને ટેવ પડી.

કોમવાદ સામે તેનો આ વિરોધ રાજકીય અને સગવડીયો હતો. સામાજિક સ્તરે જમણેરી અંતિમવાદની સામે સર્વસમાવેશકતા-સર્વધર્મસમભાવ ફેલાવવા માટે કોંગ્રેસે જોશભેર પ્રયાસ ન કર્યા. ‘આપણને ચૂંટણી જીતાડી આપે એટલા લોકો તો પ્રકૃતિગતરીતે મધ્યમમાર્ગી-કોમવાદવિરોધી રહેશે જ અને તેમના જોરે આપણે, આપમેળે (બાય ડીફૉલ્ટ) ચૂંટણી જીતી જવાના છીએ. તો મધ્યમ માર્ગને-સાચા સમભાવને દૃઢ બનાવવામાં મહેનત શા માટે કરવી?

બીજી તરફ, સામાજિક રીતે મધ્યમમાર્ગી વલણ ધરાવતા લોકોને કોંગ્રેસની નકલી-વોટબેન્કલક્ષી-અક્રિય બિનસાંપ્રદાયિકતા સામે વાંધો પડી જ શકે. પણ તેની પ્રતિક્રિયા તરીકે અસલી બિનસાંપ્રદાયિકતા ખપે કે કોમવાદ? કૉંગ્રેસની દંભી બિનસાંપ્રદાયિકતાની ટીકા કરતી વખતે આપણો વાંધો ‘દંભી’ સામે હોવો જોઈએ—’બિનસાંપ્રદાયિકતા’ સામે નહીં. પરંતુ બન્યું તેનાથી અવળું. ભાજપ કાગળ પર અને ડાહ્યાંડમરાં નિવેદનોમાં ગમે તે કહે, તેના અને કોંગ્રેસ વચ્ચેના રાજકારણનો એક મુખ્ય તફાવત કોમવાદનો હતો. ભાજપે દંભી બિનસાંપ્રદાયિકતાના વિરોધ અને (તેની વ્યાખ્યા પ્રમાણેના) રાષ્ટ્રવાદની હિમાયતના નામે ખુલ્લેઆમ કોમવાદનું રાજકારણ આદર્યું. ત્યારે કોંગ્રેસની દંભી બિનસાંપ્રદાયિકતાથી દુઃખી ઘણા લોકો જાણે કે અજાણે કોમવાદી વિકલ્પના ખોળામાં જઈ પડ્યા.

એક રાજકીય વિકલ્પ તરીકે કોંગ્રેસના બદલે ભાજપને મત આપવો એક વાત છે અને ભાજપને તેના કોમવાદ સહિત સ્વીકારવો-રાષ્ટ્રવાદના અંચળા હેઠળના તેના કોમવાદી અભિગમનો બચાવ કરતા રહેવું- તેના હિમાયતી બનવું, તે બીજી વાત છે. કોંગ્રેસની જે કંઈ દંભી બિનસાંપ્રદાયિકતા છે તેનો વિરોધ સામાજિક સ્તરે સાચી બિનસાંપ્રદાયિકતા ઝંખીને અને બતાવીને થઈ શકે--પ્રગટ કે પ્રચ્છન્ન કોમવાદના તરફદાર બનીને નહીં.

જાડી સમજ લેખે કહીએ તો, કોંગ્રેસના વંશવાદ સામે કે દંભી બિનસાંપ્રદાયિકતા સામે કે તેના રાજમાં થયેલા ભ્રષ્ટાચાર સામે વિરોધ હોય એવી વ્યક્તિ ભાજપને મત આપે એ સમજી શકાય છે.  પણ તે ભાજપના કોમવાદી એજેન્ડાની કે વડાપ્રધાન મોદીનાં સગવડીયાં અર્ધસત્યોની કે ઠાઠઠઠારા તળે છુપાયેલી કરુણ વાસ્તવિકતાઓની પણ પ્રેમી બની જાય, તેનો વિરોધ કરનાર વિરુદ્ધ ઝેર ઓકે, એ સમજી શકાય એવું નથી. તેમણે એ વિચારવાનું છે કે કોમવાદ (અથવા તથાકથિત રાષ્ટ્રવાદ) સિવાય બીજી કઈ બાબતમાં ભાજપ કોંગ્રેસથી અલગ છે? અને હા, કોંગ્રેસના ભ્રષ્ટાચારની સામે ભાજપની સ્વચ્છતાના દાવા કરનારાને વિનંતી કે વડાપ્રધાન મોદીએ જ્યાંથી ‘ખાતો નથી અને ખાવા દેતો નથી’નું આભાસી સૂત્ર ઉભું કર્યું એ ગુજરાતમાં સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારી કેવી સ્થિતિ છે, તેની જાણકાર માટે ગાંધીનગરના કોઈ અંદરના માણસને પૂછી જોજો. એ લખવા માટે સ્ટીંગ ઓપરેશન કરવાં પડે, પણ જાણવા માટે એવી જરૂર નથી. ઘણા લોકો પાસેથી અડધી ચાની સાથે એ માહિતી મેળવી શકાશે.

આ ચર્ચાનો આશય ધ્રુવીકરણને દૃઢ બનાવવાનો નહીં, પણ ફરી એક વાર બિનઝનૂની, ‘મિશ્ર’, સામાજિક રીતે મધ્યમમાર્ગી ઓળખ પાછી મેળવવાનો અને તેને દૃઢ બનાવવાનો છે. ચોતરફ ફુંકાયેલા ઓળખના ધ્રુવીકરણના વાવાઝોડામાં આપણે કોઈ એક પક્ષ સાથે છેડાછેડી બાંધી ન બેસીએ, તેના માનદ્ પ્રવક્તા બની ન બેસીએ, તેના મુગ્ધ અને એટલે જ આક્રમક બચાવકાર ન બની જઈએ, આપણે રોજિંદા જીવનમાં નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી સાથે રહેવાનું નથી, એ યાદ રાખીએ.

સાદી વાત આટલી છેઃ માણસાઈ કરતાં વાદ મોટો છે, એવું તમે માનતા હો તો તમે ‘વાદી’ હો--ડાબેરી કે જમણેરી અંતિમવાદી હો-- એવી શક્યતા પૂરેપૂરી છે.

અને બધા વાદની ઉપર માણસાઈ, માનવીય પ્રેમ-હૂંફ અને સહઅસ્તિત્ત્વ એવું તમે માનતા હો તો તમે મધ્યમમાર્ગી, ‘નૉર્મલ’ના અર્થમાં સામાન્ય માણસ છો. અંતિમવાદી નથી. એવા હોવા બદલ તમને અભિનંદન.

નોંધઃ વાદ-વિચારધારા વિશે અગાઉના બે લેખની લિન્ક
લેખ ૧
લેખ ૨

No comments:

Post a Comment