Tuesday, February 06, 2018

વિચારહીનતા: વેદના અને ક્લોરોફૉર્મ

ભારત હવે સુપરપાવર બનું બનું કરી રહ્યું છે, એવું કેટલીક બાબતોમાં વિદેશી એજન્સીઓ કહે છે. ધંધો કરવાની સુવિધાની બાબતમાં ભારતે પ્રગતિ કરી છે, મોબાઈલ ફોન અને ઇન્ટરનેટધારકો ભારતમાં કેટલા બધા છે. સરકારી દાવા પ્રમાણે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર નોંધ લેવાતી થઈ છે, બુલેટ ટ્રેન, રો રો ફેરી સર્વિસ અને સી પ્લેન સહિતનાં કેટકેટલાં વાહનવ્યવહારનાં સાધન ભારતવર્ષના દરવાજે દસ્તક દઈ રહ્યાં છે. નોટબંધી-જીએસટી નડ્યાં ન હોત તો ભારતનું અર્થતંત્ર સડસડાટ આગળ વધીને ક્યાંનું ક્યાં નીકળી ગયું હોત, ભ્રષ્ટાચારીઓ પર કડક તવાઈ આવી છે (અને તેના પુરાવા તરીકે અગાઉ ઘણો જેલવાસ ભોગવી ચૂકેલા લાલુપ્રસાદ યાદવનું ઉદાહરણ અપાય છે)...બસ, ‘ભારતમાતાકીઈઈઈઈ...’ ની ચિચિયારી સાથેનો બુલંદ જયઘોષ કરી દઈએ એટલે પાર આવે.

દેશને અંધકારયુગમાંથી અજવાસયુગમાં, કહો કે ‘બૂરે દિન’માંથી ‘અચ્છે દિન’માં લઈ આવવાનો જશ જેમને હોંશે હોંશે આપવામાં આવે છે, તે વડાપ્રધાનનો પણ જયજયકાર થઈ રહ્યો છે. એ કેટલો પેઇડ છે અને કેટલો વાસ્તવિક, કેટલો મુગ્ધ છે ને કેટલો પુખ્ત, એ બધી ચર્ચા અસ્થાને છે. વડાપ્રધાનમહિમા સત્ય છે, અાસપાસ દેખાતી વાસ્તવિકતા મિથ્યા છે અને જો તમે ‘સંશયાત્મા’ છો--ઉપર કરાયેલા દાવા માનતા નથી, તો તમારી ખેર નથી: તમે રિલીઝ થવા મથતી એક ફિલ્મ છો ને સામે છે આંખ મીંચીને હિંસા અાચરતી જાતજાતની સેનાઓ; તમે નહીં મળેલું એક ડિગ્રી પ્રમાણપત્ર છો કે પછી એમ.એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની સળગી ગયેલી ઑફિસ અને સામે છે ભડભડતો આક્રોશ, જેને ટાઢો પાડવાની કુનેહ કે કાબેલિયત કે દાનત ગેરહાજર જણાય છે.

ટૂંકમાં, તમે સંશયાત્મા છો તો તમારી ખેર નથી. કારણ કે તમે એવા ‘રાષ્ટ્રવિરોધી’ છો જેને ફક્ત ‘નકારાત્મક’ જ દેખાય છે. પોઝિટિવ થિંકિંગનાં પડીકાં નાસ્તાનાં સાદાં પડીકાં કરતાં અનેક ગણાં વધારે મોટાં અને ઘણી વધારે હવા ધરાવતાં હોય છે. રાષ્ટ્રવાદનું પડીકું ખરીદો એટલે સાથે મિથ્યાભિમાનની અઢળક અને નકરી હવા મફત... મફત... મફત.

‘બિચારા નરેન્દ્ર મોદીનો શો વાંક? આગળથી કૉંગ્રેસે એટલું બગાડી મૂક્યું છે કે તેમને સમારકામ કરતાં-સુધારતાં વાર તો લાગે ને’ એવું વડાપ્રધાન તરીકે અતૂટ નિષ્ઠા, અખૂટ આશા અને અછૂટ (ગમે તેવી વાસ્તવિકતા જોયાજાણ્યા પછી પણ ન છૂટે એવી) મુગ્ધતા ધરાવતા લોકો સમજાવે છે. વિચિત્ર જોગાનુજોગ એ છે કે કૉંગ્રેસના કામની સૌથી વધારે ટીકા અને તેના કામની સૌથી વધારે ‘પ્રશંસા’ પણ વર્તમાન એનડીએ સરકારે કરી છે. ટીકા તો ખેર, બહુ જાણીતી છે, પણ પ્રશંસા કઈ? એક કહેણી પ્રમાણે, અનુકરણ એ પ્રશંસાનું સૌથી સીધું ને ચોખ્ખું રૂપ છે--અને આ સરકારના ચોપડે એવી અનેક ચીજો નોંધાયેલી છે, જે તેણે યુપીએ સરકાર પાસેથી મેળવી હોય, તેની પર રહેલું પાટિયું બદલી નાખ્યું હોય અને તેને પોતાના નામે-પોતાની સિદ્ધિ તરીકે ચલાવવાનું શરૂ કર્યું હોય. (બે નમૂના: આધાર કાર્ડ, મહાત્મા ગાંધી રોજગાર યોજના)

વર્તમાન સરકારે ‘યૂ ટર્ન’ લેવાની--એટલે કે પોતાના અગાઉ જાહેર કરેલા વલણથી ફરી જઈને સાવ સામા છેડે બેસવાની--પ્રવૃત્તિનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું છે. અગાઉની સરકાર વખતે આજના શાસકો જે મુદ્દાઓની ઉગ્રતાથી ટીકા કરતા હતા, એવા ઘણા મુદ્દા વર્તમાન સરકારની પૉલિસી બની ગયા છે. એક સાદો નમૂનો છે: બળતણના ભાવ. પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વિશે વર્તમાન શાસકોનાં ભૂતકાળનાં નિવેદન યૂ ટ્યૂબ પર કૉમેડીની આખી ચેનલ ચાલુ કરી શકે, એવાં મજબૂત હોય છે. સરકાર તો ખેર, સરકાર છે. પણ નાગરિકો આવી હકીકતોને નજરઅંદાજ કરે અને ઉપરથી તેને યોગ્ય ઠરાવવા બેસે ત્યારે હસવું કે રડવું એ સમજાતું નથી.

શાસકો અને તેમના સમર્થકો ઇચ્છે છે કે આપણે હકારાત્મક રહીએ --ભલે તે કડવી, વ્યક્તિગત અને ઘણીબધી વાર તો સદંતર જૂઠી ટીકાઓ કરીને આટલે સુધી પહોંચ્યા હોય. એ ઇચ્છે છે કે આપણે સરકારની કામગીરી વિશે સદા ‘કીક’ અનુભવતા રહીએ. ‘કીક’ કહેતાં ચોક્કસ પીણાં કે દ્રવ્યોના સેવન પછીની ‘ઉચ્ચ અવસ્થા’ બધાને ન પરવડે. એટલે આમજનતા માટે, વિશાળ જનસમુદાય માટે તો બેહોશ કરનારું-વિચારશક્તિ હરી લેનારું ક્લોરોફૉર્મ જોઈએ. એ ક્લોરોફૉર્મનાં અનેક સ્વરૂપ છે: તથાકથિત રાષ્ટ્રવાદના નામે કોમવાદનું ઝેર, જ્ઞાતિ-જાતિના ભેદભાવોને પ્રત્યક્ષ કે પરોક્ષ સમર્થન-પ્રોત્સાહન અથવા તેના પ્રત્યે આંખ આડા કાન, ટોળાનાં ન્યાયને લોકશાહી તરીકે સ્થાપિત કરવાના પ્રયાસ, તેને મૂક કે બોલકું પ્રોત્સાહન, કાયદાના શાસનનું અવમૂલ્યન... અને આ બધું કર્યા પછી ગાંધી-સરદાર-આંબેડકર જેવાં નામોના જોરે ચરી ખાવાની બેશરમ તત્પરતા.

ક્લોરોફૉર્મની અસર હેઠળ જ આપણે ગૌરવ લઈ શકીએ કે આપણા દેશમાં સેન્સર બોર્ડે મંજૂરી આપેલી અને સર્વોચ્ચ અદાલતે જેનો માર્ગ મોકળો કરી આપ્યો હતો એવી એક ફિલ્મનો તદ્દન જોરજુલમીથી અટકાવવામાં આવે છે, રાજ્ય સરકારો તેમાં તોફાની તત્ત્વોની લાગણી જાળવવાના બહાને તેમને તાબે થઈ જાય છે, વિપક્ષો પણ મોઢામાં મગ ભરીને બેસી જાય છે. પણ મતના રાજકારણની વાત આવે ત્યારે આ જ લોકો એકબીજા સામે આંગળીઓ ચીંધીને આપણને, નાગરિકોને મૂરખ બનાવે છે. અગત્યનું એ છે કે આપણે રાજકીય નેતાઓએ ધરેલી નિસરણીઓ પર ચડી જઈને હોંશે હોંશે મૂરખ બનીએ છીએ અને હિંસક પણ બની શકીએ છીએ. એ વખતે આપણા મનના અરીસામાં તો આપણી છબી મહાન રાષ્ટ્રપ્રેમી, સંસ્કૃતિરક્ષક કે સમાજની (વાંચો: જ્ઞાતિ સમુદાયની) આબરૂના ધ્વજધારી તરીકેની જ ક્યાં નથી હોતી?

એક તરફ જ્ઞાતિવાદ-કોમવાદ અને કથિત ગોરક્ષા જેવા મુદ્દે રાજનેતાઓના મૂક કે બોલકા આશીર્વાદ ધરાવતી હિંસા વકરી રહી છે, ત્યારે જાહેર જીવનમાંથી પ્રતિકારનું શાસ્ત્ર જાણે સાવ લુપ્ત થયું છે. સરકાર પાસે પ્રતિકારના નામે પોલીસબળ અને રાજકીય સ્વાર્થ હેતુ કરાતા આંખ આડા કાન--આ બે વાનાં જ રહ્યાં છે. લોક સાથે, સમાજ સાથે સંવાદ સાધીને, સમસ્યાઓનો કુનેહપૂર્વક ઉકેલ કાઢી આપતી નેતાગીરી શોધી જડતી નથી. લોકપ્રિયતામાં બાણું લાખ માળવાના ધણી લેખાનારા ‘પદ્માવત’ જેવા ઘણા મુદ્દે હિંસાનો માહોલ સર્જાતો અને ફેલાતો અટકાવી શક્યા નથી. સરકારની આ સ્થિતિની સામે, રાજકીય-બિનરાજકીય વિરોધનાં પણ ઠેકાણાં નથી. તે દિશાવિહીન શક્તિપ્રદર્શનોમાં અને લાખોનાં ટોળાં ભેગાં કરીને વડાપ્રધાનની ઝાટકણી કાઢ્યાનો સંતોષ લઈને છૂટાં પડી જાય છે. તેમની પાસે પણ ભવિષ્યનું દર્શન કે આયોજન નથી. ઓવરહેડ ટાંકીમાં કચરો હોય તો આપણા નળમાં શી અપેક્ષા રાખીએ?

3 comments:

  1. સાહેબ આપનો લેખ વાંચ્યો,તમે ઘણી વાતો કરી અને મોદી સાહેબને ઉધડા લીધા ! હું નિયમિત રીતે તમારી આ કોલમ નો વાંચક છું.મને ગમે છે કે કોઈકે તો વાતો કરવી જોઈએ કે હિન્દુસ્તાનનું રાજકારણ કેમ ચાલે છે,નહિતર લોકોને કેમ જાણ થાય, પત્રકારો,દૈનિકો અને અન્ય 'મીડિયા'એ રાજવહીવટ અને અમલની ચર્ચા કે ટીકા
    જરૂર કરવીજ જોઈએ,તેમાં ભાજપની કે મોદીની સાડીબાર પણ નાં રાખવી જોઈએ. સામે એરીતે પણ બધાજ ટીકાકારોએ સરકારે લોકોને કેટલા ફાયદા અને લાભો આપ્યા છે તેની વાતો સંતાડવી પણ નાં જોઈએ.પણ એવું ઓછું જોવા મળે છે. અમે રહ્યા એક સાધારણ વાંચક એટલે અમારી પાસે માહિતીઓના ભંડાર ના જ હોય.
    તમે તમારા લેખમાં ઘણું લખ્યું છે અને બળાપો પણ એટલોજ કાઢ્યો છે, એક સામાન્ય સવાલ ત્યારે પૂછવો પડે કે વિરોધ પક્ષો દેશના હિત માટે જે વિરોધ કરે છે તે અત્યારે 'પાકિસ્તાન'ની જેમ સરકાર સામે વર્તાવ કરી રહ્યા છે તેમના વિષે તમે કેમ મૂંગા છો ?
    તમે સરકાર સામે થતા દેખાવોની વાત દર્શાવી છે એ રીતે તમે તમારા લેખમાં એવો પ્રભાવ આપવાની કોશિશ કરી છે કે લોકો સરકારનો સરેઆમ વિરોધ કરે છે.
    તમને પણ ખબર છે કે હિન્દુસ્તાનનાં રાજકારણમાં નાત, જાત અને ધર્મનું દુષણ જે ઘુસી ગયું છે તેને કોઈજ પક્ષ એમ સહેલાઇથી છોડી શકે તેમ નથી અને જે લોકો નબળા અને પછાત વર્ગના નામે તેમના 'મસીહા' બની નેતાગીરી કરે છે તેમનું પાણી પણ થોડા સમયમાં મપાય જાય છે,
    અને માટીપગા થઇ જતા હોય છે તેના બેશુમાર દાખલા છે.
    આખરમાં એટલું કહીશ કે તમારો લેખ વાંચ્યો અને પછી લગભગ તેજ દરમ્યાન મોદી સાહેબને રાજ્યસભામાં સાંભળ્યા અને તેમણે જે કોન્ગ્રેસ્ પક્ષની પટકી પાડી છે તે પણ તમે સાંભળશો અને જોઈ લેશો.
    મોદી સાહેબના ઘણા વિરોધી/દુશ્મનો તેમના વક્તવ્યને ભાષણબાજી કહે છે કેમકે તેઓને મોદી જેવું ભાષણ કરવાની 'આવડત' નથી.
    લોકો દેશની બીનસ્વાર્થી અને કૌટુંબિક પરંપરાની સ્થાપનાની પરવા કર્યા વિના દેશસેવા કરવા માટે રાજકારણમાં આવે
    તે બહુ જરૂરી બની રહે છે.
    અગર તે લોકોને વિખ્યાત થઇ નામના કે લોકપ્રિયતા મેળવવી હોય તો 'ભેખ'(યોગદાન) લેવો પણ જરૂરી બને છે.

    ReplyDelete
  2. પ્રભુલાલજી, હુ શ્રી ઉર્વીશભાઈના લેખ તથા તમારા એ લેખ સામેના વાંધાવચકા દર્શાવતી કૉમેંટ્સ નિયમિત રીતે વાંચુ છુ.આજના જમાનામા ઉર્વીશભાઈ જેવા નીડર તથા પ્રમાણિક લેખક આંગળીના વેઢે ગણાય એટલા જૂજ છે. મારા જેવા કેટલાયે તટસ્થ લોકોને તેમની નીડરતા તથા લેખમા રહેલી સચ્ચાઈનો રણકો માણવો ગમે છે. બાકી નહિવત્ સાચુ અને મહદ્અંશે જૂઠ ફેલાવનારા મોદીભક્તોની ભક્તિગાથાના રસપાનમા તરબોળ થવાની મજા માણવી હોય તો કોઈપણ વોટ્સએપ ગ્રુપમાં દાખલ થઈ જાવ અને મોદી ગુણગાનની મજા માણો.અમારા જેવા સાધારણ વાંચક જેની પાસે માહિતીઓના ભંડાર ના હોય પરંતુ મોદીસાહેબ નહી પરંતુ વડાપ્રધાનની ગરીમાને લજવતા અને જૂઠ,અહંકાર તથા આગલી સરકારોને ભરપૂર ગાળો દઈને તેમનીજ પોલીસીની નકલ કરીને પોતાના નામે કરી દેવાની ચાલાકી કરનાર એક રાજકારણીને ઉઘાડા પાડનાર એવા લેખકના લેખ વાચવાનો એક અવસર જ છે જેનો ખ્યાલ રાખવા વિનંતી. શ્રી ઉર્વીશભાઈ પર તેઓ તટસ્થ નથી એ પ્રકારનુ લખતા પહેલા તેઓ કેમ મોદીનો વિરોધ કરે છે તે અંગેનો થોડા વખત પહેલાનો તેમનો લેખ વાંચી જવા વિનંતી

    ReplyDelete