Sunday, November 16, 2014

નેહરુની હત્યાના પ્રયાસો વિશે કદી સાંભળ્યું છે?

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુના જીવનકાર્ય વિશે કશું સારું ન સાંભળ્યું હોય એવી આખી પેઢી તૈયાર થઇ ચૂકી છે. જમણેરી રાજકારણના ખેલાડીઓએ નેહરુની મોટી ભૂલોમાં પોતીકી વિકૃતિઓ ઉમેરીને તેમની છબી બેહદ ખરડી મૂકી છે. નેહરુની વાજબી ટીકા કરવા માટે સચ્ચાઇ પૂરતી છે. છતાં, આઝાદી પહેલાંના હિંદુત્વના રાજકારણની શાખાઓ-પ્રશાખાઓ જેવાં રાજકીય-બિનરાજકીય બળોએ નેહરુ વિશે બેફામ જૂઠાણાં ફેલાવવાનું ચાલુ રાખ્યું છે. ઇન્ટરનેટના જમાનામાં તે ઓર આસાન બની ગયું છે.

સહેજ સર્ચ કરતાં ઇન્ટરનેટ પર નેહરુને સંડોવતી, માગો તેવી ‘કૉન્સ્પીરસી થિયરી’ (કાવતરાંકથાઓ) મળે છે : ગાંધીજીની હત્યા માટે નેહરુ જવાબદાર હતા, સુભાષચંદ્ર બોઝના મૃત્યુ પાછળ નેહરુની કાવતરાબાજી હતી, શ્યામાપ્રસાદ મુખર્જીનું મોત નેહરુના કારણે થયું...આ બઘું વાંચીને થાય કે શિવાજીના મૃત્યુની જવાબદારી નેહરુના માથે ઢોળવામાં નથી આવી એટલી આ કથા-કારોની દયા છે.

શાસ્ત્રીય નહીં, પણ પોતાનાં સગવડ-સ્વાર્થ પ્રમાણેના હિંદુ ધર્મનો ઝંડો લઇને નીકળેલા લોકોને ઇતિહાસ જાણવા-સમજવામાં રસ નથી. તેમને ઉપરથી કોઇએ ‘બત્તી’ પકડાવી દીધી કે ‘નેહરુ આઝાદ ભારતના સૌથી મોટા ખલનાયક હતા. તેમને યેનકેનપ્રકારે હીન ચીતરો. તેમને નીચા પાડો.’

એટલે થઇ રહ્યું. સેના મચી પડી છે. બત્તી પકડાવનારાની પેઢીઓ, તેમનાં લક્ષ્ય અને સ્વાર્થ બદલાતા રહે છે. બત્તી પકડનારાની પેઢીઓ પણ બદલાય છે. નથી બદલાતી ‘બત્તી’. એમાં તો જમાના પ્રમાણે ‘સુધારાવધારા’ થતા રહે છે. આવી ‘બત્તીઓ’ના અજવાળે નજીકનો ભૂતકાળ જોવાનાં પરિણામ કેવાં આવે, તે નેહરુ વિશે ફેલાવવામાં આવેલી - અને હવે વ્યાપક બની ચૂકેલી- અનેક ગેરસમજો પરથી સ્પષ્ટ થઇ જાય છે.

કયા નેતાઓના મૃત્યુના કાવતરામાં નેહરુની સંડોવણી હતી, એવું હોંશેહોંશે કહેનારા ઇન્ટરનેટ-બહાદુરો કે થિયરીબાજો પાસેથી કદી નેહરુની હત્યાના કાવતરા વિશે કે તેની સંભાવના વિશે સાંભળવા મળ્યું છે?

શક્યતા ઓછી છે. પરંતુ હકીકત એ છે કે ગાંધીજીની હત્યા કરનારાં અંતિમવાદી પરિબળોને નેહરુ પણ એટલા જ ખટકતા હતા. હિંદુ-મુસ્લિમ સહઅસ્તિત્ત્વ અને સૌહાર્દ ઇચ્છતા નેહરુને ‘દેશદ્રોહી’ ગણીને તેમનો ફેંસલો લાવી દેવા માટે અમુક વર્ગ આતુર હોય, તેમાં કશું નવાઇ પામવા જેવું નથી.



આ ટાઢા પહોરની અટકળ નથી. પરંતુ કોમવાદીઓ જેમનો ઉપયોગ મુખ્યત્વે નેહરુને નીચા પાડવા માટે કરતા રહ્યા છે, એવા સરદાર પટેલની ચિંતા હતી. તેમના જીવનના અંતિમ વર્ષ ૧૯૫૦ના એપ્રિલ માસમાં પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકતઅલી ખાન ભારત આવીને અઠવાડિયું રોકાયા હતા. સરદાર પટેલના આધારભૂત ચરિત્રકાર રાજમોહન ગાંધીએ નોંઘ્યા પ્રમાણે, ‘દિલ્હીમાં રહેલા લિયાકતઅલી ખાને નેહરુ સાથે અનેક વખત વાટાઘાટો કર્યા પછી વલ્લભભાઇને મળવાની ઇચ્છા દર્શાવી. સરદાર તેમની જોડે વાત કરવા બહુ આતુર ન હતા. આગળના ત્રણ મહિનામાં પૂર્વ પાકિસ્તાનમાંથી અઢી લાખ હિંદુ નિરાશ્રિતો બંગાળમાં આવ્યા હતા. પણ નેહરુના અતિશય આગ્રહ પછી વલ્લભભાઇએ લિયાકતઅલી ખાન જોડે એપ્રિલની પાંચમી તારીખે બપોરે જમવાનું રાખ્યું.’

બન્ને દેશો વચ્ચે ભરપૂર તનાવ હતો ત્યારે સરદારે પાકિસ્તાનના વડાપ્રધાન આગળ શાની ચિંતા વ્યક્ત કરી? તેમણે લિયાકતઅલી ખાનને કહ્યું, ‘જવાહરલાલજી દિવસરાત મુસલમાનોના હક માટે જહેમત ઉઠાવે છે. ગાંધીજીનું થયું તેવું તેમનું પણ થશે, તેવા ફફડાટમાં હું ઊંઘી શકતો નથી.’

Sardar Patel, Liaqat ali Khan, Pandit Nehru 

સરદારને ઓળખનારા જાણે છે કે તે ‘મુખમેં રામ, બગલમેં છૂરી’ પ્રકારના નેતા ન હતા. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘની શિસ્તનાં વખાણ કરતા હોવા છતાં સરદારે સંઘ પરિવાર પર પ્રતિબંધ લાદવામાં  ખચકાટ અનુભવ્યો ન હતો. પાકિસ્તાનના મુસ્લિમ રાજની તરાહ પર ભારતમાં હિંદુ રાજ સ્થાપવાના હિંદુવાદીઓના સ્વપ્નને સરદારે ‘પાગલ ખ્યાલ’ ગણાવ્યો હતો. એટલે જવાહરલાલ નેહરુની ચિંતા તેમને ખરેખર થતી હતી. તેમનો આ સંવાદ મણિબહેનની ડાયરી (૫-૪-૧૯૫૦)માંથી  રાજમોહન ગાંધીએ ઉતાર્યો છે. માટે તેની અધિકૃતતા વિશે પણ શંકા નથી. સરદાર-નેહરુના મતભેદની વાત બઢાવીચઢાવીને કરનારા કેટલા સરદારની આ ચિંતાની વાત કરે છે?

સરદારની આ ચિંતાના ચાર મહિના પછી, ઑગસ્ટ, ૧૯૫૦માં પંડિત નેહરુની હત્યાનું કાવતરું ઉઘાડું પડ્યું. આ માહિતી પણ નેહરુની છાવણીના ગણાતા કોઇ નેતાઓએ નહીં, ગૃહમંત્રી તરીકે સરદાર પટેલે આપી હતી. હિંદુ મહાસભાના ભૂતપૂર્વ પ્રમુખની ધરપકડ કરવા બદલ સરકારની ટીકા થઇ, તેના જવાબમાં સરદાર પટેલે સંસદમાં  નેહરુની હત્યાના કાવતરાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગાંધીજીના હત્યાના આયોજન માટે જે જૂથ જવાબદાર હતું, તેમણે જ પંડિત નેહરુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જેની ધરપકડ કરવામાં આવી હતી એ નેતાના કોઇ સાગરીતે બાતમી આપી દેતાં કાવતરું ઉઘાડું પડી ગયું હોવાનું સરદારે  ગૃહમાં જણાવ્યું.

Plot to Kill Nehru : a news item, august 1950

સરદારના મૃત્યુ પછી, ૧૯૫૩માં વડાપ્રધાન નેહરુની હત્યાનો વઘુ એક પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો. પંડિત નેહરુ અમૃતસર એક્સપ્રેસ દ્વારા મુંબઇ આવી રહ્યા હતા ત્યારે મુંબઇથી આશરે ૫૫ કિલોમીટર દૂર કલવન પાસે પાટા પર બોમ્બ મૂકવામાં આવ્યો હતો. પરંતુ ટ્રેક પર પેટ્રોલિંગ કરતા પોલીસની નજર બોમ્બ અને એ મુકનાર પર પડતાં તેમણે ગોળીબાર કર્યો હતો. કાવતરાબાજને પકડવામાં પોલીસને સફળતા ન મળી, પણ સંભવતઃ દબાણથી ફાટે એવો બોમ્બ સલામતીપૂર્વક પાટા પરથી હટાવી દેવામાં આવ્યો. પછીથી અંબરનાથ ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બોમ્બની ચકાસણી કરીને તેને મુંબઇ મોકલી આપવામાં આવ્યો હોવાનું અખબારી અહેવાલમાં જણાવાયું હતું. (તા.૫-૫-૧૯૫૩)

Plot to Kill Nehru : a news item, may 1953

નેહરુની હત્યાનો સૌથી જાણીતો પ્રયાસ ૧૯૫૫માં નાગપુરમાં થયો. માર્ચ ૧૨,૧૯૫૫ના રોજ એક રિક્ષાચાલક બાબુરાવ કોહલીએ તેમની પર ચપ્પુથી હુમલાનો પ્રયાસ કર્યો. નેહરુના સહાયક રહી ચૂકેલા એમ. ઓ. મથાઇએ ‘માય ડેઝ વિથ નેહરુ’માં નોંઘ્યું છે કે કોહલી એક પ્રકારનો ‘પોલિટિકલ થિન્કર’ હતો. તે દૃઢતાપૂર્વક માનતો હતો કે ‘કોંગ્રેસની સરકાર બહુમતીથી રાજ કરી રહી છે. એટલે તેનામાં શાણપણ નથી.’ કોહલીની ધરપકડ અને અદાલતી કાર્યવાહી પછી જુલાઇ ૨૮,૧૯૫૫ના રોજ વડાપ્રધાનની હત્યાના પ્રયાસ બદલ તેને આઇ.પી.સી.ની કલમ ૩૦૭ અંતર્ગત છ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી.

ગયા મહિને  સંઘ પરિવારના મલયાલમ મુખપત્ર ‘કેસરી’માં એક લેખકે એવું સૂચવ્યું હતું કે ગોડસેએ ગાંધીને બદલે નેહરુને માર્યા હોત તો સારું હતું. વિવાદ થયા પછી સંઘ પરિવાર અને ‘કેસરી’ના સંચાલકોએ હાથ ખંખેરી નાખ્યા અને આ અભિપ્રાયને લેખકનો અંગત મત ગણાવ્યો. પરંતુ એ લેખક- બી.ગોપાલકૃષ્ણન્‌ કોઇ અજાણ્યા માણસ નહીં, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હતા. સામાન્ય સંજોગોમાં આવા બખાળા હસી કાઢવાના હોય, પરંતુ ભાજપનું રાજ હોય અને સંઘ પરિવાર દેશના શાસક પક્ષનું અમુક હદે માર્ગદર્શક બળ બન્યો હોય, ત્યારે તેની છાવણીમાંથી ઉઠતા આવા અવાજ  સૌ નાગરિકોને ચેતવણી આપે છે : ‘બત્તી’ઓથી દૂર રહેવાની અને ઇન્ટરનેટ પર કે અન્યત્ર ચાલતો ગમે તેવો પ્રચાર આંખી મીંચીને માની ન લેવાની ચેતવણી.

4 comments:

  1. Fantastic piece Urvish... as usual. This is the only way I think... we have to keep at it, keep at it, keep at it!!! And ensure that the younger generation understands them well enough to criticise them (if and when they do) wisely and with perspective. These ridiculous rants should be truly worrying for all of us.

    ReplyDelete
  2. નહેરુ વિઝનરી નેતા હતા. આપણા બાપદાદાએ ખોબલે ખોબલે વોટ આપી અમસ્તા વડાપ્રધાન નહોતા બનાવ્યા.. IIT જેવી ઇન્સ્ટીટયુટ નહેરુના પ્રતાપે હતી. હોમી ભાભા ને પણ નહેરુ ખેંચી લાવેલા.. નહેરુ એડવિનાનાં ફોટા મૂકી કમઅક્કલો દુષ્પ્રચાર કરે રાખતા હોય છે.

    ReplyDelete
    Replies
    1. IIT ઉપરાંત પણ બીજું ઘણું બધું છે નહેરુના પ્રતાપે
      લિસ્ટ ખુબ લાંબુ છે રાઓલ સાહેબ

      Delete
  3. Anonymous7:54:00 PM

    The panchshill shidhant only proves him international leader, India is proud of him.

    ReplyDelete