Thursday, August 16, 2012

ગુજરાત અને લંકાયણ


ગુજરાતમાં બે રાજકીય પક્ષો છેઃ કોંગ્રેસ (આઇ) અને ભાજપ (કેપિટલ આઇ). તેમાં કેશુભાઇ પટેલના ‘પી ફોર પટેલ’...ના..ના.. ‘પી ફોર પરિવર્તન’ માટેના નવા પક્ષનો ઉમેરો થયો. રાજકારણમાં (હૃદય)પરિવર્તન કરતાં (પક્ષ)પલટો વધારે કારગત નીવડે છે એવું સલામત રીતે કહી શકાય. જરૂર પડ્યે તેમાં શંકરસિંહ વાઘેલાનો ટેકો પણ મેળવી શકાય, પરંતુ કેશુભાઇએ નવો પક્ષ રચી દીધો છે. તેના જન્મસમયે વાગેલું વાદ્ય ભવાઇ શરૂ થતાં પહેલાં વાગતું ભૂંગળ હતું કે યુદ્ધ શરૂ થતાં પહેલાંની રણભેરી, એ થોડા મહિનામાં નક્કી થઇ જશે.

કેશુભાઇએ ભાજપ છોડીને નવો પક્ષ રચ્યો એટલે ક્યાંક તેમની સરખામણી વિભીષણ સાથે થઇ. રાવણના ભાઇ વિભીષણ, જે રાવણની અનીતિથી કંટાળીને રામના પક્ષે જોડાયા હતા. ‘રામાયણ’ની વાત આવી એટલે પહેલાં રામાનંદ સાગર યાદ આવ્યા. પછી થયું કે આપણે હપ્તા પર હપ્તા ખેંચવાના નથી. ઝડપથી અને મુદ્દાસર પતાવવાનું છે. એટલે વાલ્મિકી ૠષિનું સ્મરણ કર્યું. તેમણે પ્રગટ થઇને સાંપ્રત ગુજરાતના સંદર્ભે ‘રામાયણ’નું આઘુનિક સ્વરૂપ લખવાની પ્રેરણા આપી. સાથે એમ પણ કહ્યું કે એ પદ્યમાં નહીં, ગદ્યમાં લખવું. જે પ્રદેશના મુખ્ય મંત્રીથી માંડીને એન્કાઉન્ટરબાજ અફસરો સુધીના બધા કવિ હોય અને બાકીના ઘણાખરા, પારકાં કપડે વટ મારતા છેલબટાઉ લોકોની જેમ, ઉછીની કવિતાથી તાળીઓ ઉઘરાવતા હોય, તે ઠેકાણે આપણે કવિ ન થવું. એમાં જ કવિતાની શોભા છે.

‘મને નહીં ફાવે’ એવી વિનંતીઓ અને આગ્રહ પછી વાલ્મિકી નવું રામાયણ લખવા તો નહીં, પણ લખાવવા તૈયાર થયા. તેમણે કહ્યું કે આને રામાયણનું ‘નવું, બગડેલું સ્વરૂપ’ જાહેર કરવું. તેમાં રામ સદંતર ગેરહાજર હોવાથી તેનું નામ પણ ‘રામાયણ’ને બદલે ‘લંકાયણ’ પણ રાખી શકાય.
***

લંકા નામનું એક રાજ્ય હતું. લોકો એને ‘સોનાની લંકા’ કહેતા હતા. એટલા માટે નહીં કે એ બહુ સમૃદ્ધ હતું. હકીકતમાં લંકાના રાજાએ પ્રજાને એવું વચન આપેલું કે ‘તમે સૂઇ જાવ, હું જાગીશ.’ આ અભયવચનને કારણે સરકારી પ્રચારસાહિત્યમાં રાજ્યનો ઉલ્લેખ ‘સોનેકી લંકા’ તરીકે કરવામાં આવતો હતો- એવી લંકા જ્યાં નાગરિકો સૂતા હોય અને રાજા જાગતો હોય. પરંતુ પ્રસાર માઘ્યમોમાં રાબેતા મુજબ થતી અનુવાદોની ભૂલથી, કોઇએ તેનું ગુજરાતી ‘સોનાની લંકા’ કરી નાખ્યું.

દરેક રાજ્યમાં રાજના ટીકાકાર હોય. લંકામાં પણ હતા. ‘સોનેકી લંકા’ની તેમની વ્યાખ્યા હતીઃ એવી લંકા જ્યાં નાગરિકો ગાફેલ થઇને ઘસઘસાટ ઉંઘતા હોય ને રાજા આખા જંબુદ્વીપના રાજપાટની લ્હાયમાં જાગતો-પડખાં ઘસતો હોય.

ગમે તે હોય, પણ રાજાને ‘સોનાની લંકા’ એ શબ્દપ્રયોગ બહુ ગમી ગયો. તેણે લંકામાં અને લંકાની બહાર, સમસ્ત જંબુદ્વીપમાં સોનાની લંકાનાં હોર્ડિંગ ચીતરાવ્યાં. જાહેરખબરો આપી. લંકાનરેશ પોતાની જાતને બહુ પ્રેમ કરતો હતો અને માનતો હતો કે ‘હું જ લંકા છું.’ આ વાતનો સીધો અર્થ એવો ન થાય કે લંકાનરેશ લંકાને બહુ પ્રેમ કરતા હતા? પણ અવળચંડા લોકો તેની ટીકા કરતા હતા. ‘લંકાની ટીકા એ મારી ટીકા અને મારાં વખાણ એ લંકાનાં વખાણ’ એવું સમીકરણ રાજાએ લોકોના મનમાં બરાબર ઉતારી દીઘું હતું.

લંકાનાં દરેક હોર્ડિંગમાં લંકાનરેશનો ફોટો સૌથી મોટો અને મુખ્ય રહેતો. લંકાનરેશને પોતાના ફોટા જોવાનો એટલો શોખ હતો કે બધાં  હોર્ડિંગમાં માથે જુદા જુદા મુગટ પહેરીને એ ફોટા પડાવતો. દરેક  હોર્ડિંગમાં રાજાનો જુદો દેખાવ જોઇને તેમના ભક્તોએ એવી વાત વહેતી કરી કે લંકાનરેશને દસ માથાં છે.

લંકાનો વહીવટ સંભાળવા માટે એમ તો આખું પ્રધાનમંડળ હતું, પણ બધાં ખાતાં લંકાનરેશ જાતે સંભાળતો હતો. બીજા પ્રધાનો ફક્ત સમ- અને ક્યારેક વઢ- ખાવા પૂરતા હતા. એટલે લોકો કહેતા કે લંકાનરેશને વીસ-વીસ હાથ છે. એ સિવાય આટલાં ખાતાં એકલે હાથે શી રીતે સંભાળી શકાય? રાજાએ લંકામાં ઠેકઠેકાણે પીળો પ્રકાશ પાથરતી લાઇટો મુકાવી હતી. તેના અજવાસમાં રસ્તા, ફ્‌લાયઓવર, મોલ, મલ્ટીપ્લેક્સ, ફેક્ટરીઓ બઘું સોનેરી લાગતું હતું અને બાકીનું એ પ્રકાશમાં દેખાતું જ ન હતું. તેને લીધે આખા જંબુદ્વીપમાં લંકાના વિકાસનો જયજયકાર થતો હતો. લંકાની સમસ્યાઓ વિશે વાત કરનારા લંકાના વિરોધી હતા.

એક વાર લંકામાં જોરદાર આગ લાગી. આખી લંકા ભડકે બળી. પણ લંકાના શબ્દકોશમાં ‘નૈતિક જવાબદારી’ જેવો શબ્દ ન હતો.  રોમ ભડકે બળતું હતું ત્યારે તેનો રાજા ફીડલ વગાડતો હતો, એવું કહેવાય છે. લંકાના રાજાને પોતાની વાણીમાં ફીડલના સૂર સંભળાતા હતા. એટલે તેને ફીડલ વગાડવાની પણ જરૂર ન હતી. એ બોલતો અને વિભીષણ સહિત બધા સાંભળતા. સંમતિમાં માથાં ઘુણાવતા. આગથી થયેલું નુકસાન ભૂલાવી દેવા રાજાએ બમણા જોરથી પીળી લાઇટો લગાડવાના આદેશ આપ્યા. જોતજોતાંમાં તેને ખાતરી થઇ ગઇ કે લાઇટોના પ્રકાશમાં આગના વિનાશને ઢાંકી શકાય છે.

છેવટે લંકાના માથે યુદ્ધના ભણકારા વાગવા લાગ્યા. અત્યાર સુધી લંકાનરેશને યુદ્ધમાં એકેય વાર પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો ન હતો. પણ આ વખતની વાત જુદી હતી. બહારના યુદ્ધથી પણ પહેલાં આંતરિક સંઘર્ષ થવાનો હતો.

કુંભકર્ણ જાગીને સામે લડે તો ભારે પડી જાય, પણ તેને ઉંઘવાનું માફક આવી ગયું હતું. લંકાનરેશ તેને સુખેથી ઉંઘવા માટેની તમામ સુવિધાઓ પૂરી પાડતો હતો.  છતાં કુંભકર્ણ ઉંઘમાં ગબડે તો પણ થોડીઘણી ખુવારી થાય, એવી બીક આ વખતે હતી. વિભીષણ ક્યારનો આઘોપાછો થતો હતો. કોઇ રામ આવે તો તેની સાથે જોડાઇને, તેના જોરે લંકાનરેશને હરાવીને, લંકાની ગાદી મેળવી લેવાની ફિરાકમાં વિભીષણે બહુ રાહ જોઇ. પણ કોઇ રામ આવ્યા નહીં. એટલે એ પોતાની રીતે લંકાનરેશથી અલગ થયો અને વાનર, રીંછ, ખિસકોલી જે મળ્યાં તેમનું સૈન્ય બનાવવાનું કામ ચાલુ કર્યું.

લંકાનરેશના સૈન્ય આગળ આ બધાની શી વિસાત? છતાં લંકાનરેશને ઉચાટ થતો હતો. કારણ કે લશ્કરમાં કાયમી સૈનિકોને બદલે ટૂંકા પગારવાળા સૈનિકસહાયકોની ભરતી કરવામાં આવી હતી. કુપોષણથી પીડાતા સૈનિકસહાયકો લંકા માટે યુદ્ધ જીતી લાવશે, એવી ગોળી લંકાનરેશે લંકાના નાગરિકોને પીવડાવી દીધી હતી, પણ એ પોતે અંદરથી સચ્ચાઇ જાણતો હતો. અઘૂરામાં પૂરું, ઇન્દ્રજિત લંકામાં આવી શકે એમ ન હતો. તેના કેટલાય વફાદાર સિપાહીઓ ઇન્દ્રજિત અને લંકાનરેશને રાજી કરવા માટે સોનેરી મૃગનાં એન્કાઉન્ટર કરવા જંગલમાં ગયા, ત્યાં એવા ઘાયલ થયા હતા કે તે કવિતા લખવા સિવાય બીજા કોઇ કામના રહ્યા ન હતા.

આખરે યુદ્ધ છેડાયું ત્યારે શું થયું? કુંભકર્ણ જાગ્યો? વિભીષણની પરચૂરણ સેના કેવું લડી? અને લડાઇ પછી જંબુદ્વીપનું રાજપાટ મેળવવાના લંકાનરેશના સ્વપ્નનું શું થયું?

આ સવાલોનો જવાબ મળે તે પહેલાં આંખ ખુલી ગઇ. એ સાથે જ વાલ્મિકી અદૃશ્ય અને લંકાયણ અઘૂરું રહી ગયું.

25 comments:

  1. નીરવ પટેલ3:47:00 PM

    "લશ્કરમાં કાયમી સૈનિકોને બદલે ટૂંકા પગારવાળા સૈનિકસહાયકોની ભરતી કરવામાં આવી હતી"
    વાહ......વાહ.......જોરદાર સિક્સર!! શતં જીવો. અમારા જેવા નિર્બળ અને લંકાનરેશની થપાટો ખાધેલા સહાયકોની વેદનાને વાચા આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
    લખી રાખો...આ "સહાયક સિસ્ટમ"ને લીધે જ લંકાનરેશનો નાશ થવાનો છે.

    ReplyDelete
    Replies
    1. હું વિચારમાં પડી ગયો કે આ કોમેન્ટ મેં લખી નથી તો ક્યાંથી મારા નામે પ્રગટ થઇ ? પણ હવે સમજાયું કે ઉર્વીશના ફોલોઅર્સમાં બીજા પણ એક ' નીરવ પટેલ ' ઉમેરાયા છે અને કોમેન્ટ પણ લખે છે.

      Delete
  2. કા...શ આંખ ખુલી ન હોત!
    ખેર, વાલ્મિકીને ગમ્યું તે ખરું,પણ ક્યારેક સપનું જ્યાંથી અટક્યું ત્યાંથી જ ફરી શરૂ થતું હોય છે.


    ReplyDelete
  3. Khub saras Urvishbhai,,,saru 6 sapna ma to sapna ma sachi vastu to najare aave 6,

    ReplyDelete
  4. ઉર્વિશભાઇ, વિષયોનો અભાવ સર્જાયો છે કે? હવે તો આ વિષય સાંભળીને બોર થવાય છે. મને તો હતું કે દેશમાં બે વાર પાવરકટ થયો, મમતા બેનર્જીની સરમુખત્યારશાહી, મુંબઇનિ હીંસા, ઓલંપિક વગેરે વિવિધ વિષય પર તમારો કટાક્ષ માણવા મળશે. હવે કંઇક નવું તો આપો.!!!

    ReplyDelete
  5. Anonymous10:21:00 PM

    Its SUperb Sir......Lanka Naresh should under stand..

    ReplyDelete
  6. vipul shah10:52:00 PM

    સરસ ,, આર્ટીકલ ,,

    ReplyDelete
  7. ati sundar...kashh valmiki rushi blogspot par hot ane aa vachat to jarur thi fari sapna maa aavi ane lankayan ne ATAH thi ETI sudhi pahochadi aapat....

    sir aaje pan gujarat samachar. ek sikhar sar kare che... kem ke.. gujarat samachar pase tamara jeva lekhak che je....hakikat ne swach paani ni jem shabdo maa darshavi batave che... hats off.

    ReplyDelete
  8. Amit Chauhan9:10:00 AM

    મેં જયારે સીસ્ટમ માં વિધિવત પગ મુક્યો ત્યારે વિભીષણ નું રાજ હતું. નર્સિંગ માં એડ્મીસન સાથે જ સરકાર સાથે કરાર હતા કે ભણવાનું પૂરું થાય એટલે સરકાર માટે કામ કરવાનું નહિ તો બોન્ડ ભરવાનું. ૫૦૦રુ તો રોકડા જ લઇ લીધા હતા. જે ૧૯૯૯ માં મારા માટે તો બહુ મોટી રકમ હતી. બીજા વર્ષમાં ભૂકંપ માં કામ કર્યું અને ત્રીજું વર્ષ પૂરું થતા સુંધી માં તો રાવણરાજ આવી ગયું. જેમાં પોસ્ટ ગોધરા માં ઘાયલો ને માત્ર જોયા જ નહિ પણ હાથે થી સારવાર પણ આપી. સ્ટેટ મેરીટ માં હોવા છતાં તરત તો જોબ ના મળી, કારણ કે રાવણ તો બધા કરારો ને ઘોળીને પી ગયોતો. પછી ચાલુ થયું સહાયક સૈનિક નું વિષચક્ર, આખરે લંકા છોડે જ છૂટકો થયો. પાસ આઉટ થયા પછી છ વર્ષ સુધી નો જોબ સેતિસ્ફેક્ષન. બદનસીબે, જુવાની ના ૧૦ વર્ષ બગડ્યા પછી હજી પણ મારા કેટલાય સહાયક સૈનિક મિત્રો રાવણરાજ પર ગૌરવ લે છે. આતો બળતા દિલ નો બળાપો.
    "એટલે એ પોતાની રીતે લંકાનરેશથી અલગ થયો અને વાનર, રીંછ, ખિસકોલી જે મળ્યાં તેમનું સૈન્ય બનાવવાનું કામ ચાલુ કર્યું."
    બાકી આ એક જ વાક્ય વાંચી હસી હસી ને આંખ માં પાણી આવી ગયું ને પેટ દુખી ગયું. મસ્ત લેખ.

    ReplyDelete
  9. I can not read as in between the words a square is seen which obstruct reading. What is the problem?

    ReplyDelete
  10. Anonymous9:41:00 AM

    ઉર્વીશભાઈ .. ભલે વિષય જુનો હોય.. પરંતુ મને તો તમારી આ રચના ખરેખર ગમી..કારણકે આમાં ઘણું નવું વિચારી ને લખેલું છે... જુના વિષય ઉપર નવો લેખ ( પુરાની બોટલ નવી શરાબ )

    મને તમારા ઘણા લેખ માં રામાયણ માં ફેસબુક એ પણ ખુબ જ પસંદ આવીયો હતો...

    ખુબખુબ અભિનંદન ભાઈ

    આશિષ શાહ
    તમારો ફેસબૂક મિત્ર

    ReplyDelete
  11. આ લંકાપતિ ને હટાવવા કોણ હનુમાન બનશે ?

    ReplyDelete
  12. Looking forward for remaining part...

    ReplyDelete
  13. Bharatkumar zala4:35:00 PM

    Nice satire. actualy people don't dare to face the reality, so in these situation using comic sense is the best way. Good analysis too. keep it up.

    ReplyDelete
  14. Niraj Chinai6:47:00 PM

    Creative 'Lankayan'...

    ReplyDelete
  15. Anonymous10:43:00 PM

    Urvish bhai, Saro lekh che.

    Pan jojo tamne Mar na pade, aa Unghva vada ni ungh bagadso to kese "unghva do ne" tamaru su jay che. Baki godio(unghni) pivadva vada to pivdavej jase ne aa loko unghij rehvana che

    Astu.

    ReplyDelete
  16. Anonymous12:02:00 AM

    ''પારકા કપડે વટ મારતા છેલબટાવું'' સુપર્બ.એક જ લેખમાં બધાની ફીરકી ઉતારી દીધી છે.ઉર્વીશભાઈ એક વાર દશેરા પર પણ તમે રાવણનો ઈન્ટરવ્યું હોય છે એવો એક લેખ લખ્યો હતો એ મને અતિશય પસંદ પડેલો .એ લેખ મેં ફરીથી વાંચવા ઘણો શોધ્યો પણ સાઈટ પર મળ્યો નહિ.કદાચ સાઈટ શરુ કરી હોય એ પહેલા તે છપાયો હશે.જો તમારી પાસે તે હોય તો બ્લોગ પર તે મુકવા નમ્ર વિનંતી છે.

    ReplyDelete
  17. Brilliant satire! The parable fits perfectly to the situation described in your article. What a shame that the dream was shattered! The complete story would have made another epic. I admire your courageous style in calling a spade exactly what it is.

    ReplyDelete
  18. @anonymous, pl. give me your mail id here or mail it to me on uakothari@gmail.com. will send u the piece.

    ReplyDelete
    Replies
    1. Anonymous11:59:00 PM

      thanx urvishbhai.my email account is ''harin.chauhan54@gmail.com'' we also are friend on f.b.

      Delete
  19. Anonymous12:16:00 PM


    "ખુદા જબ હુસ્ન દેતા હે તો,
    નઝાકત આહી જાતી હૈ."

    ગુજરાત ની પ્રજાએ પરસ્પર અનુભવ 'હુસ્ન' અને 'નઝાકત' કેટલા સમય સુધી કરવો છે, તેની સમજણ માટે ઉપરોક્ત લેખ બહુજ રસપ્રદ છે.

    બીજી એક રસપ્રદ પંક્તિ:

    "સોતે જો જગાનાં બહુત આસાન હૈ,
    મગર, જો સોને કા ઢોંગ કર રહ હે ઉસે જગાનાં બહુત મુશ્કિલ હૈ."

    ReplyDelete
  20. THIS IS REALLY TERRIBLE AND PAINFUL THAT STILL LANKA PEOPLE ARE SLEEPING AND THEY DO NOT HV ANY BOTHERATION EXCEPT THEIR SERVICE AND FAMILY.THE PEOPLE WHO ARE BOTHERING , ARE WORRYING ONLY TO GET CROWN.THEY KNOW BY CORRUPTING PEOPLE'S MIND THEY WILL GET WHAT THEY WANT."JANTA AE POTANI JATNE BAHU SASTI BANAVI DIDHI CHHE".THEY NEED TO REALIZE WHAT POWER THEY ARE HAVING .

    GARGI

    ReplyDelete
  21. The modern parable fits and how!

    ReplyDelete
  22. Anonymous12:44:00 PM

    Urvishbhai have bas karo yar tame keshubapa ne vibhishan kidhu tya sudhi pan Namo jeva kadvu pan sachu bolta neta ne ravan nu lebal api ne kya sudhi tamari jat ne secular kehvdava mango 6o. have kok var to sonia nam ni dakan nu pan lakho yar to bhagavan tamaru bhalu karse ane have please pani mathi pora khadhvana bandh kari n face the reality.

    Ha ane please tame j goli pivdavani vat karo 60 e sabit kari ne batavo are e to chodo atar sudhi ane bolelo koi 1 shabd khoto 6 avu sabit kati batvo pa6i ravan nu label marjo.

    ReplyDelete
  23. Anonymous3:59:00 PM

    ઉર્વીશભાઈ એક હાસ્ય લેખક તરીકે પણ તમે જામો એવા છો
    .....ઘણા સમય પછી આટલો સારો ''રીચ'' કટાક્ષમય લેખ વાચવા મળ્યો। હેટ્સ ઓફ યુ .........
    હું તો હસી હસી ને બેવડ વળી ગયો।।।।।

    ગુજરાત સમાચાર ને અશોક ભટ્ટ નહિ હોય ત્યારે એની જગ્યા તમે જરૂર પૂરી કરી દેશો

    રાહુલ મસ્કત

    ReplyDelete