Wednesday, November 25, 2009

અમદાવાદનો નવો-જૂનો વારસો

હેરીટેજ સપ્તાહ નિમિત્તે અમદાવાદના જૂના વારસાની ઘણી ચર્ચા થઇ, પણ ભવિષ્યની પ્રજા માટે ‘વારસો’ બનવાની ક્ષમતા ધરાવતી વર્તમાનની ખૂબીઓ વિશે હજુ એટલી વાત થતી નથી. ભાવિ અમદાવાદ માટે હેરીટેજની ભાવિ યાદીમાં ઉમેરી શકાય એવી કેટલીક સાંસ્કૃતિક - માનવસર્જીત- કુદરતી ચીજો.
ધરતીમાંથી ઉગેલાં ધર્મસ્થાન
વારસો એટલે વારસો. એમાં ફક્ત ભવ્ય બાંધણી અને વિશાળ જગ્યા પર બંધાયેલાં ધર્મસ્થાનો જ આવે એવું કોણે કહ્યું? અમદાવાદમાં પ્રત્યેક ચોરસ કિલોમીટરે કેટલું ‘પવિત્ર દબાણ’ છે તેના આંકડા ઉપલબ્ધ નથી. પણ પેરિસમાં જેટલા રોડસાઇડ બાર-કમ-રેસ્ટોરાં હશે, એનાથી અનેક ગણાં વધારે અમદાવાદમાં રોડસાઇડ ધર્મસ્થાન છે, એવું અનુમાન સહેજે લગાડી શકાય. રસ્તાની બાજુ પર કે વચ્ચોવચ, લગભગ ઉગી નીકળેલાં હોય એવાં લાગતાં ધર્મસ્થાનો આઘુનિક અમદાવાદનો ગૌરવપૂર્ણ વારસો છે, જેને ટકાવી રાખવા માટે ‘યુનિસેફ’ની મદદની જરૂર નથી. ફક્ત મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ વિભાગનો સહકાર અને સાહેબોના આશીર્વાદ પૂરતા છે.
રહી વાત તેમની આર્થિક સ્થિતિની. એ બાબતમાં ‘યુનિસેફ’ને તકલીફ જેવું લાગતું હોય તો એ અમદાવાદનાં રોડસાઇડ ધર્મસ્થાનનો સંપર્ક કરી શકે છે. સરનામું? એ જ ! રસ્તા વચ્ચે, અમદાવાદ, ગુજરાત!

બ્રેધલેસ ડાઇનિંગ હોલ
સારી ગુજરાતી માઘ્યમની નિશાળો ભલે અમદાવાદમાં લુપ્ત થવાની અણી પર હોય, પણ સારી ગુજરાતી થાળી પીરસતા ડાઇનિંગ હોલની આબાદી સતત વધી રહી છે. ગુજરાતની સંસ્કૃતિ ધીમે ધીમે ગુજરાતી થાળી પૂરતી સીમિત થઇ જશે, એવું ધારીએ તો સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ડાઇનિંગ હોલનું મહત્ત્વ ‘રોયલ આલ્બર્ટ હોલ’થી જરાય ઓછું નહીં હોય. ડાઇનિંગ હોલ આગળ લગાડેલું વિશેષણ ‘બ્રેધલેસ’ શ્વાસ રોકીને ગાતા કલાકારોની ગાયકી માટે વપરાય છે, પણ ગુજરાતી થાળી જમવા જનારા ડાઇનિંગ હોલ માટે ‘બ્રેધલેસ’નો પ્રયોગ સમજી શકશે. કેમ કે, ત્યાં શ્વાસ સિવાય બઘું જ ખાવા મળે છે! જમતા માણસને બે ઘડી પણ પોરો ખાવાનો કે વિચારવાનો ટાઇમ આપવો નહીં અને તેને સતત ‘હોટ સીટ’ પર - વિકલ્પો ટીક કરવાની અવસ્થામાં રાખવો, એ બ્રેધલેસ ડાઇનિંગ હોલની ખૂબી છે.
પહેલાં વેઇટિંગ રૂમ ફક્ત રેલવે સ્ટેશન પર જોવા મળતા હતા. હવે ગુજરાતી ડાઇનિંગ હોલમાં પણ વેઇટિંગ રૂમની સુવિધા રાખવી પડે છે. જેટલો પોરો ખાવો હોય એટલો પહેલાં ખાઇ લો. એક વાર જમવા બેઠા પછી એવો મોકો નહીં મળે!

ગુજરાતી માઘ્યમની શાળાઓ
અમદાવાદનાં અને ગુજરાતનાં નવી પેઢીનાં ઘણાં માતાપિતા ગુજરાતી માઘ્યમની શાળાઓને પોતાના માનસિક પછાતપણા માટે જવાબદાર ગણે છે અને એ જ માનસિકતાના જોરે વિચારે છે કે ‘મારા સંતાનને હું પછાત નહીં રહેવા દઊં.’ એટલે ગુજરાતી માઘ્યમની શાળાઓ બહુ નજીકના ભવિષ્યમાં ‘સાંસ્કૃતિક’ જ નહીં, ‘લુપ્ત થવાના આરે ઉભેલો વારસો’ ગણાવા લાગે એવી સ્થિતિ પેદા થઇ છે. સરકારી ગુજરાતી નિશાળોનાં મકાનોની હાલત પાંચસો-છસ્સો વર્ષ પહેલાં બંધાયેલી ઇમારતો કરતાં વધારે જર્જરિત છે. ‘યુનિસેફ’ને અમદાવાદમાં ઓફિસ ખોલવામાં રસ હોય, તો એકાદ ગુજરાતી નિશાળનો ‘જીર્ણોદ્ધાર’ કરવાનું વિચારી શકાય.

કાંકરિયા તળાવ
કોઇને થશે, કાંકરિયા ક્યાં નવું છે? એ તો સદીઓ જૂનું છે. ખરી વાત. પણ સદીઓથી બાદશાહો-શહેનશાહો-પેશ્વાઓને કાંકરિયા ફરતે દીવાલો ચણવાનું અને પ્રજા પાસેથી પ્રવેશ ફી ઉઘરાવવાનું સૂઝ્યું ન હતું. વર્તમાન શાસકોએ તે અમલમાં મૂકી બતાવ્યું છે. પ્રવેશ ફીના મુદ્દે ‘કાંકરિયા લેક ફ્રન્ટ’ તરીકે ઓળખાતો પ્રોજેક્ટ બીજા અર્થમાં પણ ‘ફ્રન્ટ’ (મોરચો) બન્યો છે. નવા કાંકરિયામાં ભાજપના ‘હેરીટેજ નેતા’ અટલબિહારી વાજપેયીના નામની ટ્રેન ચાલુ થઇ છે. એ ટ્રેન અને કાંકરિયાનાં તોતિંગ પ્રવેશદ્વાર ભવિષ્યમાં કાંકરિયા જેટલો જ મહત્ત્વનો વારસો બની રહેવાની શક્યતા ધરાવે છે.

ભારાડી ભૂવા
કુદરતી-માનવસર્જિત અને સાંસ્કૃતિક વારસાનો સમન્વય એટલે દરેક ચોમાસે અમદાવાદની સડકો પર પડતા ભૂવા. મહાજન યુગના અમદાવાદમાં એટલા પાકા રસ્તા જ ક્યાં હતા કે જે બાંધવામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ભેગા મળીને ખાયકી કરી શકે અને રાજનગર અમદાવાદના ચરણે કેટલાક વઘુ ભૂવાની ભેટ ધરી શકે! સડકો વધવાની સાથે ભૂવાનું પ્રમાણ વઘ્યું. માટે કહી શકાય કે ભૂવા અમદાવાદની પ્રગતિના પ્રતીક છે. પાકી સડકો છે ત્યારે ભૂવા પડે છે. સડકો જ ન હોય તો ભૂવા ક્યાં પડે? તર્કશાસ્ત્રના આ સિદ્ધાંત પ્રમાણે ભૂવાથી અમદાવાદમાં પાકા રસ્તા હોવાનું સિદ્ધ થાય છે. ભૂવાને કાયમી ધોરણે હેરિટેજ તરીકે રાખવામાં કેટલીક વ્યવહારૂ મુશ્કેલીઓ છે, પણ સ્થાનિક વહીવટીતંત્ર શક્ય એટલા લાંબા સમય સુધી તેને જાળવી રાખવાના પ્રયાસ કરે છે. આમજનતાને એવું દર્શાવવામાં આવે છે કે ભૂવાની ચારેબાજુ વાડ બાંધીને તેને પૂરવાનું કામ ચાલી રહ્યું છે, પણ એ કામમાં લાગતો સમય જોઇને કેટલાકને એવી શંકા જાય છે કે એ લોકો ભૂવાની ફરતે આડશ ઉભી કરીને તેનું સ્મારક ચણાઇ રહ્યું છે.

પોળયુદ્ધ અને પોળપંચાત
હેરીટેજની વાત આવે એટલે અમદાવાદની પોળોમાં આવેલી હવેલીઓનો જયજયકાર થાય છે, પણ એ હવેલી કરતાં વઘુ જૂની અને તેના કરતાં વધારે અડીખમ એવી પોળની કેટલીક લાક્ષણિકતાઓનો હેરીટેજમાં સમાવેશ કરવામાં આવતો નથી. પોળમાં થતાં હિંસક શાબ્દિક યુદ્ધો અને ‘આજ તક’- ‘ઇન્ડિયા ટીવી’ને શરમાવે એવી પંચાતીયા ન્યૂઝસર્વિસ પોળનો ખરો વારસો છે. પોળના ઇતિહાસની અહોભાવ છલકતી ગૌરવગાથાઓ સાંભળીને લાગે કે દુનિયાભરના મહાપુરૂષો અહીં આવ્યા અથવા અહીંથી બહાર ગયા. છતાં પોળોની તાસીર બદલાઇ નહીં.

ભૂખ્યાંજનોની લાઇન
ના, ભૂખથી ટળવળતાં ગરીબ લોકોની આ વાત નથી. એવા લોકો વિશ્વમાં સર્વત્ર છે અને એમની ગરીબી જાણે બહુમૂલ્ય વારસો હોય એટલી ચીવટથી જળવાઇ રહી છે. અમદાવાદની ખૂબી તો રૂપિયા ખર્ચીને ભોજન કે નાસ્તા માટે લાઇન લગાડતા લોકો છે. ખમણ હોય કે ખાખરા, દાબેલીની લારી હોય કે ડાઇનિંગ હોલ, ભજિયાં હોય કે ભેળપુરી- લાઇનમાં ઉભા રહ્યા વિના અમદાવાદીઓને એનો સ્વાદ આવતો નથી. એક સમયે અમદાવાદનાં થિયેટરની બહાર જોવા મળતી લાંબી કતારો હવે રેસ્ટોરાં અને ડાઇનિંગ હોલમાં ભીડ તરીકે ઉભરાય છે. દશેરા જેવા તહેવારોના દિવસે ફાફડા-જલેબીનું અને તેની લાંબી લાઇનનું માહત્મ્ય રામ-રાવણ કે શસ્ત્રપૂજા કરતાં ઘણું વધારે હોય છે.
ઉમાશંકર જોશી અમદાવાનો આ હેરીટેજ જોવા હયાત હોત તો એમણે કદાચ લખ્યું હોત, ‘ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગશે, જંક ફુડની એક કણી ન લાધશે’

4 comments:

  1. Anonymous6:12:00 PM

    Very well written

    ReplyDelete
  2. Shailesh Modi11:11:00 AM

    Am a regular reader of your blog and like it a great deal
    I attended the music fest at Sarkhej Roza;so well organised. But an irony and an amusing incident.The anchoring was done-quite competently-largely in English and to a limited extent in Hindi by an anchor from Delhi. No Gujarati.The Gurubani segment meant mandatory covering of head for all;and for the benefit of those who did not possess any cover,crisp and fresh scarves were distributed on the spot.Guess the colour.Pure saffron!Instead of being tied round the neck in the saffronwala style,the scarf covered the head the Islamic/Sikh way.

    On a serious note,there are issues which remain unaddressed,notwithstanding the festival.First, the precipitate degeneration of walled city over the years.I can write at great length on this.What is our vision for the walled city where one fourth of city population lives? The festival hypes a glamorous and excessively romantic view of it because of its content,design and positioning.I grew up in the walled city and my link with it in terms of social interaction,shopping,recreation or eating out is almost dead.I am embarrased about it.The idea of donning a tourist hat-at least metaphoriclly-and going round architectural hotspots in the belief that I care for the heritage seems utterly dishonest and distateful. I would rather look for other avenues to raise the feel good or recreation quotient in my daily life.I am not condemning the festival;one needs to begin somewhere but it is time to rethink its content and target audience.Thirdly,the walled city,in its heydays, stood for some positive values-egalitarinisn,pluraliy,uncalculated philanthropy.I went to a school whose principal claimed that he wanted the son of a textile mill owner and textile mill worker-both-in his school and succeeded in getting both.Is there scope for the whole of Ahmedabad to recapture some of the positive values? Shailesh Modi

    ReplyDelete
  3. Shaileshbhai, you said it. With great clarity.
    These were precisely the issues debated on 'Drishtikon' (DD-11, SAT, 7:30 pm) where Esther David & Kabir Thakor(architect) raised points and discussed them with heritage-professional Debashish Nayak, I also had some pointed issues as a compere of the show.
    I wish you'd seen that

    ReplyDelete