Wednesday, November 11, 2009

સ્વાઇન ફ્લુમાંથી સાજા થયેલા મુખ્ય મંત્રીને પત્ર

ગુજરાત રાજ્યની સાડા પાંચ કરોડ (માઇનસ અમુક કરોડ) જનતાના લાડીલા મુખ્ય મંત્રીશ્રી,

નમસ્તે.

સાદા નમસ્તે, હોં. પેલા ‘નમસ્તે સદા વત્સલે..’વાળા નહીં.

આજકાલ બીમારીના બહુ વાવર છે. ‘ડોક્ટર’ મોહન ભાગવતે ભાજપને કેન્સરનું નિદાન કર્યું અને એ અરસામાં તમને સ્વાઇન ફ્લુ થયાના સમાચાર સાંભળ્યા એટલે ચિંતા થઇ. ભાજપવિરોધી એટલે કે હિંદુવિરોધી એટલે કે દેશદ્રોહીઓનું આ કાવતરૂં નથી ને? જેની ટીકા કચરાટોપલીમાં નાખીને વખાણ મેડલની માફક લટકાવવામાં આવે છે એ ઈંગ્લીશ મીડિયાનાં કરતૂત તો નથી ને? એવી શંકાકુશંકાઓ મનમાં જાગી.

શંકાની જ વાત નીકળી છે તો તમને ખ્યાલ હશેઃ તમને ખરેખર સ્વાઇન ફ્લુ થયો છે, એ બાબતે તમારા ઘણા પ્રશંસકો અને ટીકાકારોના મનમાં શંકા હતી. તમે સ્વાઇન ફ્લુમાંથી બહાર આવી ગયા, પણ ઘણા લોકો એ શંકામાંથી બહાર આવી શક્યા નથી. તમારા પ્રશંસકો કહે છે,‘જોયું? એકલા અમેરિકાને નડનારો બિન લાદેન શી ચીજ છે? આખી દુનિયાને નડી જનારા સ્વાઇન ફ્લુને સાહેબે કેવો પોતાની સેવામાં લગાડી દીધો!’ છેલ્લાં સાત-આઠ વર્ષમાં તમારી અભિનયપ્રતિભાથી અંજાઇ ચૂકેલા ટીકાકારો ઇર્ષ્યાથી કહે છે કે ‘આ તો બધું નાટક છે’. તમારા લોહીના સેમ્પલનો ટેસ્ટ ‘રમેશ’ નામથી થયો, એ જાણીને કવિ રમેશ પારેખના ચાહકો એક શેર યાદ કરે છેઃ ‘કેટલી કાચી ઊંમરમાં જ્ઞાન આ પામ્યા ‘રમેશ’ /દર્દને સમજી શકો તો એ બની જાતું જણસ.’

સૌથી વઘુ મનોરંજન પૂરૂં પાડનાર કોઇ હોય તો એ તમારા ‘તટસ્થ ભક્તો’નો સમુદાય. એ લોકો કહી શકે છે, ‘સાહેબને સ્વાઇન ફ્લુ એટલે કે સુવ્વર ફ્લુ થયો એટલે સેક્યુલરિસ્ટોની જીભ પર કેવાં તાળાં લાગી ગયાં? હમણાં ‘મેડ કાઉ ડીસીઝ’ થયો હોત તો એ લોકો ગાયો અને હિંદુઓ પર માછલાં ધોવા બેસી જાત! પણ કોઇ સેક્યુલરિસ્ટની મજાલ છે કે સુવ્વરની ટીકા કરે? ગોબરૂં સેક્યુલરિઝમ સાડા પાંચ કરોડ વાર મુર્દાબાદ. અમારી તટસ્થ ભક્તિ ઝિંદાબાદ. મહાત્મા ગાંધી ઝિંદાબાદ. મુખ્ય મંત્રી મોદી ઝિંદાબાદ.’

આપણી સંસ્કૃતિમાં બીમારની ખબર કાઢવા જવાનો અને એ રીતે તેના દુઃખમાં સહભાગી બનવાનો રિવાજ છે. બીમારનું દુઃખ હળવું કરવાની સૌથી પ્રચલિત પદ્ધતિ છેઃ એ કેવી રીતે બીમાર પડ્યા તે પૂછવું. દા.ત. તમને પૂછી શકાય કે ‘અરર, કેમ કરતાં થયું? અચાનક જ? હજુ અઠવાડિયા પહેલાં તો તમને રશિયામાં હરતાફરતા જોયા હતા! એ વખતે તમારા મોં પરથી જરાય લાગતું ન હતું કે તમને સ્વાઇન ફ્લુ થશે. ખરેખર, વાતાવરણ બહુ સાચવવા જેવું છે. આજકાલ ડબલ સીઝન છે. રાતે ઠંડી ને દિવસે ગરમી લાગે છે.’

તમને જો કે સવાલો ગમતા નથી એવી તમારી છાપ છે. એટલે તમારા પક્ષના કે વિપક્ષના સાથીદારો ‘કેમ કરતાં થયું?’ એવો વ્યવહારિક સવાલ પણ નહીં પૂછી શકે. વ્યવહારિક અને બિનવ્યવહારિક બધા સવાલો નાગરિકોએ જ પૂછવાની ટેવ પાડવી પડશે.

તમારા કિસ્સામાં ખબર નથી, બાકી બીમાર માણસોની સૌથી મોટી તકલીફ એ હોય છે કે ‘કેમ કરતાં થયું?’ એવા ટૂંકા સવાલનો જવાબ એ અઢાર અઘ્યાયમાં આપે છે. એકતા કપૂરના એપિસોડ જેવો એમનો જવાબ શરૂ થાય, એટલે ખબર જોવા આવનારની તબિયત બગડવા લાગે છે. ઘણા લોકોને ‘જામ-એ-સેહત’ને બદલે ‘જામ-એ-બીમારી’ના ધુંટડા ભરવામાં એટલી ‘કીક’ આવે છે કે બીમારી મટી જાય છે, પણ એની કથાઓ મટતી નથી. ‘હજારો વર્ષ ચાલે એટલી બીમારી કથાઓ’ વારેતહેવારે પુનઃપ્રસારિત થતી રહે છે.

બીમારીની ખરી સાર્થકતા તેમાંથી પેદા થતા મહત્ત્વમાં છે. પરિવારનો ગમે તેટલો અણમાનીતો સભ્ય પણ બીમાર પડે એટલે તેનો ભાવ આવી જાય છે. તેની ‘લાઇન’ સીધી છે કે નહીં એ વિશે હંમેશાં શંકા અને ચિંતા સેવતાં માતાપિતા, સહેજ છણકો કરીને પણ ‘દવા લેજે બરાબર ટાઇમસર અને હમણાં રખડીશ નહીં. ક્યારેક અમારે કહ્યું પણ સાંભળતો જા.’ એટલું કહ્યા વિના રહી શકતાં નથી.

સ્વજનો સેવાની સાથે સલાહ આપતા હોવાથી તે પાણીની સાથે અપાતી ગોળી જેવું કામ કરે છે, પણ ખબર જોવા આવનારા પાણી વગરની કેપ્સૂલ જેવી કોરી સલાહો આપ્યા કરે છે. એ ગળે ઉતારી શકાતી નથી ને કચરાટોપલીમાં ફેંકી શકાતી નથી. કેટલાક અનુભવીઓને આશંકા છે કે ખબર જોવા આવનારાની સલાહોમાંથી બચી શકાય એ માટે જ તમે સ્વાઇન ફ્લુ જેવા, એકાંત માગી લેતા રોગ પર પસંદગી ઉતારી. હા, ‘પસંદગી ઉતારી’- કારણ કે તમારા પ્રશંસકો માને છે કે ગુજરાતમાં તમારી ઇચ્છા- અને તમારાં હોર્ડિંગ- વિના પાંદડું પણ હાલતું નથી. ક્યારેક બોમ્બ ફૂટી જાય, પણ એવું તો ક્યાં નથી થતું?

રૂબરૂ તમારી ખબર કાઢવા ન આવી શકેલા લોકોએ પાઠ અને યજ્ઞો કરાવીને સંતોષ માન્યો છે. યજ્ઞો સ્થાનિક ધોરણે હતા એટલે પ્રજાને બહુ રાહત રહી હતી. કારણ કે એસ.ટી.ની એક પણ બસ ચાલુ રૂટ પરથી ખસેડીને યજ્ઞના સ્થળે દોડાવવી ન પડી.

‘સાહેબના આરોગ્ય માટે સુંદરકાંડના પાઠ રાખ્યા છે’ એવું પહેલી વાર એક કાર્યકરે કહ્યું ત્યારે બીજો કાર્યકર ઉત્સાહથી બોલી ઉઠ્યો હતો,‘શું વાત છે? ગોધરાકાંડના પાઠ રાખ્યા છે? જોરદાર આઇડીયા છે.’ પણ પહેલા કાર્યકરે તરત આંખો કાઢીને તેનું મોં બંધ કરી દીઘું અને કહ્યું,‘મનમાં હોય એ બઘું બોલવાની શી જરૂર છે? આવું ને આવું કરશો તો આખી જિંદગી કાર્યકર જ રહી જશો અને તમારા માટે ગરૂડપુરાણ સિવાય બીજા કોઇ પાઠ નહીં થાય.’

બીમારી દરમિયાન તમારા એકાંતવાસ વિશે જાણીને ઘણાને ચિંતા થતી હતી. કોઇ ખબર જોવા ન આવે તો સમય શી રીતે જાય? એ વિચારે તમારા ઘણા પ્રશંસકોનો જીવ કચવાતો હતો. ‘નવરૂં મગજ શયતાનનું કારખાનું છે’ એ કહેણી યાદ કરીને પણ ઘણા લોકો ચિંતા કરતા હતા.

અમારા એક પરિચિત કાર્યકરને સ્વાઇન ફ્લુ થયો ત્યારે ફ્લુને તો એ જીરવી ગયા, પણ એકાંતમાં રહેવાનું એમને આકરૂં લાગતું હતું. તેમને ફોન પર એકાદ રાજકીય વડીલે સમજાવ્યા કે ‘તમારી અને સાહેબની એક જ બીમારીને લીધે તમારો વટ પડી જશે. વિધાનસભાની ટિકીટની પણ તૈયારી કરવા માંડજો. દિલ્હી હાઇકમાન્ડ નહીં તો ગાંધીનગર ‘આઇ’કમાન્ડ સ્વાઇન ફ્લુમાંથી ઉભા થયેલાને પહેલી પસંદગી આપે એવી શક્યતા છે.’

સત્તાવાર અહેવાલમાં એવું કહેવામાં આવ્યું કે એકાંતમાં તમે બીજા દેશોના વિકાસની ડીવીડી જોઇને સમય પસાર કરો છો. હશે ભાઇ. ભવિષ્યમાં બીમારી સિવાયના કોઇ કારણસર પણ સમય પસાર કરવાનો થાય ત્યારે તમે બીજા દેશોને બદલે ગુજરાતના જ વિકાસની- ફ્લાયઓવર, બીઆરટીએસ, કિલ્લેબંધ કાંકરીયા ઉપરાંતના વાસ્તવિક વિકાસની- ડીવીડી જોઇને સમય પસાર કરી શકો એવી હાર્દિક શુભેચ્છા.

લિ.સાડા પાંચ કરોડમાંનો એક ગુજરાતી

9 comments:

  1. હા હા હા... આખરે આતુરતાનો અંત આવ્યો ખરો! ;)

    ReplyDelete
  2. Urvish, for last some time,I have stopped commenting on your blogs.
    But, I do visit for reading regularly, so today after reading your latest blog here, I thought to write something.
    As long time reader of your writing and having met you once for few minutes, I like your style of writing and some of your views.
    I have read your views on NaMo for long. Today, after reading this piece I felt that you are going too far in finding a chance to hit at him and his works. This seems to have become a illness in your thinking and mind too.
    I do not question your right to oppose him but, if you do it repeatedly without ever showing any positive side of someone ( and I think there are some points, you will also agree) then it becomes a negative aspect of you.
    You are more intelligent than me so you know better and please be informed, that I am not blind follower of NaMo.
    P.S. As mentioned earlier, I have wrtitten this as your reader only. If you feel bad for my views, you can delete my comment.I will not be commenting again on your blog as It is my decision, due to some personal reasons.Wish you best in literary life.:)

    ReplyDelete
  3. Anonymous9:27:00 PM

    Well, I don't understand your love of targeting Mr. Modi every now n then.
    I agree with you on Kankaria issue but it seems you have a problem with Flyovers n BRTS as well. Why?
    Why you are so curious about what Mr. Modi did during his isolation?
    At least clarify your blind (I feel so) opposition to Mr. Modi sometimes through your posts. That will be better for all readers.

    ReplyDelete
  4. Really great thinking and writing ability you have. I dont agree with krunal or envy, everyone has own rights to express feelings. Urvish ji has his own vision towards things which I admire alot. Keep writing and keep smiling...

    ReplyDelete
  5. i agree with kunal and envy..

    ReplyDelete
  6. jawab aave to e pan blog par mukajo. e patr vyavhar bhavishyama kok pustakma sthan pame em pan bane!

    ReplyDelete
  7. કેટલીક વાર ઉર્વીશ શું કહેવા માંગે છે એ જ ખબર નથી પડતી.
    આ પત્રને સમજીને કશુક કન્ક્લુંડ કરવું એ જ એટલું અઘરું કામ લાગે છે.

    ReplyDelete
  8. "writer, researcher, humorist turned blogger. Believe in no 'vaad' (ism) except Mahemdavad-my native."
    aavo parichay potani jaate j aapva thi koi neutral na bani jaay. tame neutral chho ke nahi e loko ne nakki karva devu joie. ahi aapela, aavela pratibhavo e vaat saabit kare chhe ke vaachako murkh nathi hota.

    ReplyDelete
  9. Mohammed Sheikh6:52:00 PM

    Yes, saransh well done. I like ur comments. and i also appreciate envy and krunalc. There is no dought that Urvish is is so called 'neutral' journalist (Aur woh bhi khud ban betha hua). He is only ‘psudo secularist’ journalist who cant see other side of Namo. I am Muslim student from London but m also can see other side of CM Modi.

    ReplyDelete