Monday, September 28, 2009

ફાધર વાલેસ માટેનો ઉમળકો તાજો કરી આપતો અવસર

L to R: Dr. Meeta Peer, Devendra Peer, Sudarshan Ayangar, Father valles, Narayan Desai, (last) Raghuveer Chaudhari

L to R: Sudarshan Ayangat, Dr. Meeta Peer, Father Valles, Narayan Desai


L To R : Dr. Meeta Peer, Devendra Peer, Sudarshan Ayangar, Father Valles, Narayan Desai, Raghuveer Chaudhari, Chimanlal Trivedi, Prof.Mahavir Vasavada


‘ગયા જન્મના ભારતીય’, ‘સાચા વૈષ્ણવ’, ‘માનદ્ (ઓનરરી) જૈન’, ‘એન-ઇન્ડિયન-એન્ડ- એ- હાફ’ જેવાં અનેક વિશેષણો જેમના માટે અનુક્રમે કિશનસિંહ ચાવડા, કરસનદાસ માણેક, પરમાનંદ કાપડીયા, ઉમાશંકર જોશી જેવા લોકો પ્રયોજી ચૂક્યા છે એ ફાધર વાલેસ/Father Vales નું શનિવારે 26 સપ્ટેમ્બરની સાંજે ગૂજરાત વિદ્યાપીઠમાં અભિવાદન થયું. 84 વર્ષના ફાધર વાલેસ તેમના અમેરિકન સ્નેહી પીર દંપતિ- દેવેન્દ્ર પીર અને ડો.મીના પીર- સાથે ઉપસ્થિત હતા. ફાધરના નવા અંગ્રેજી પુસ્તક ‘ટુ કન્ટ્રીઝ, વન લાઇફ’નું નારાયણભાઇ દેસાઇના હાથે વિમોચન પણ થયું.
ફાધરને અને નારાયણભાઇના અધ્યક્ષીય પ્રવચનને સરખામણીમાંથી બાકાત રાખીએ તો, આખા કાર્યક્રમમાં સૌથી સારું વક્તવ્ય ગણિતના અધ્યાપક મહાવીરભાઇ વસાવડાનું હતું. તેમણે ગુજરાતના શિક્ષણજગતની કેટલીક વાતો અને તેમાં ફાધરની સંકળામણ તથા સંકડામણ રસાળ ભાષામાં યાદ કર્યાં. મહાવીરભાઇએ કહ્યું કે 1961થી 1970નો દાયકો ગુજરાતમાં ગણિત માટે ગૌરવવંતો હતો. શાળાથી અનુસ્નાતક કક્ષા સુધી અભ્યાસક્રમ અને અભિગમમાં ક્રાંતિકારી ફેરફારો આવી રહ્યા હતા. ડો.પી.સી. (પ્ર.ચૂ.) વૈદ્ય, એ.આર.રાવ અને ફાધર વાલેસે ગણિતની જવાબદારી સંભાળી હતી. નવા ગણિત સામે ભારે વિરોધ હતો. બધા કહેતા હતા કે ગણિતમાં વળી શું નવું હોય? એક ને એક બે જ થાય ને? વર્ષોથી ઘરેડમાં ભણાવતા શિક્ષકોને પણ નવા ગણિત સામે વાંધા હતા. એ વખતે 1973માં ફાધર વાલેસે ગણિતના સામયિક ‘સુગણિતમ્’ના એક અંકમાં શિક્ષકોને ઉદ્દેશીને એક પત્ર લખ્યો હતો.
એ પત્ર આખો વાંચવાની લાલચ ટાળીને મહાવીરભાઇએ કહ્યું કે ફાધરે ગણિત જેવા બુદ્ધિના વિષયમાં હૃદયની લાગણી સાંકળી લીધી હતી. કન્યા પરણીને આવે તે પહેલાં જ એના વિશે માથાભારેની છાપ ઉભી થઇ ગઇ હોય એટલે કન્યા સીધીસાદી હોય તો પણ, તેને સાસરીમાં તકલીફ પડે. આવું ઉદાહરણ આપીને ફાધરે કહ્યું હતું કે ‘નવું ગણિત બિલકુલ અઘરૂં નથી. એ નવોઢાના શરમ-સંકોચ લઇને આવે છે. તેને પનોતાં પગલાં પાડવા દઇએ.’ મહાવીરભાઇએ કહ્યું’ફાધરે અહિંસાપૂર્વક એક કાંકરે બે પક્ષી માર્યાં.’
ગણિતનાં પાઠ્યપુસ્તકોમાં ગુજરાતી પરિભાષા નક્કી કરવાના મહાકાર્યમાં ફાધર વાલેસનું મહત્ત્વપૂર્ણ પ્રદાન યાદ કરીને તેમણે કહ્યું કે હવે ફાધરનાં લખેલાં ગણિતનાં પુસ્તકો ભલે નહીં ચાલતાં હોય, પણ ગણિતના ગમે તે પુસ્તકમાં જે પરિભાષા વપરાઇ હશે તે ફાધરની દેન છે. ગણિત જેવા વિષયમાં ભાષા સાથે ફાધર કેવી રીતે કામ પાડતા હતા તેનો એક દાખલો મહાવીરભાઇએ આપ્યો. ગણિતની પરિભાષામાં ‘વન ટુ વન’ અને ‘વન ટુ મેની’ એવા બે અંગ્રેજી શબ્દપ્રયોગ આવ્યા, ત્યારે ફાધરે ‘વન ટુ વન’ માટે ‘સતીસંબંધ’ અને ‘વન ટુ મેની’ માટે ‘દ્રૌપદીસંબંધ’ જેવા શબ્દો સૂચવ્યા હતા. ‘આ સૂચવતી વખતે ફાધર કેટલા ગંભીર હતા એ જાણતો નથી. પણ મિત્રોને લાગ્યું કે ગણિતમાં પહેલેથી ઘણાં મહાભારત છે. તેમાં આ મહાભારત ઉમેરવાની જરૂર નથી. એટલે એ સૂચન આગળ ન ચાલ્યું.’ ફાધરલિખિત ગણિતના ગ્રંથોને અને જ્ઞાનગંગોત્રી શ્રેણીના છઠ્ઠા પુસ્તક ‘ગણિતદર્શન’ને મહાવીરભાઇએ ઉત્કૃષ્ટ સાહિત્ય ગણાવ્યું.
પોતાનું લખેલું પોતાના જ લમણે આવે ત્યારે કેવો ખેલ થાય તેની ફાધરની વાત કરતાં પહેલાં મહાવીરભાઇએ ઉમાશંકર જોશીને યાદ કર્યા. ઉમાશંકર કુલપતિ હતા ત્યારે કર્મચારીઓની હડતાળ પડી. કર્મચારીઓનાં બે જૂથ હતાં. તેમાંથી એક જૂથ નારાબાજીમાં ઉમાશંકરની પંક્તિનો પૂર્વાર્ધ બોલે, ‘ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગશે’ એટલે બીજું જૂથ બરાડે, ‘ખંડેરોની ભસ્મકણી ન લાધશે’. ફાધરનો અનુભવ પ્રમાણમાં ઘણો હળવો હતો. ‘ચાલશે’ ગુજરાતી ભાષાનો કેટલો ભયંકર શબ્દ છે, એવો એમનો એક પાઠ અભ્યાસક્રમમાં હતો. એ પાઠ ભણાવ્યા પછી પિરીયડના નીયત સમય કરતાં એકાદ મિનીટ મોડું થઇ ગયું, એટલે પિરીયડ પૂરો થયે લેવાની હાજરીનું રજિસ્ટર ખોલીને બંધ કરતાં ફાધરે કહ્યું, ‘ચાલશે.’ પછી શું થયું હશે તે કલ્પી શકાય છે.

***

કાર્યક્રમનું પહેલું વક્તવ્ય વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગારે આપ્યું. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત ભણાવતા અલગ નિવાસસ્થાનમાં રહેવાને બદલે વિદ્યાર્થીઓ સાથે હોસ્ટેલમાં રહેતા હતા. તેમનો રૂમ નંબર 48 અને ઝેવિયર્સમાં ભણતા સુદર્શનભાઇ તેમની સાવ બાજુમાં 49 નંબરમાં રહે. ફાધરનાં લખાણો વિશે વાત કરીને સુદર્શનભાઇએ એટલી ટકોર કરી કે ફાધર બહુ યોગ્ય સમયે પાછા આવ્યા છે. હવે બધું બદલાઇ ગયું છે. ત્યારે ફાધરનાં લખાણોને ફરી નવી પેઢી સુધી પહોંચાડવાની જરૂર છે. ‘નવી પેઢી સુધી તેમનો શબ્દદેહ પહોંચે એ જ તેમનું સૌથી મોટું સન્માન છે.’
ફાધર સાથે ઝેવિયર્સમાં 31 વર્ષ સહઅધ્યાપક રહેલા ચીમનભાઇ ત્રિવેદીએ ફાધર વાલેસની સાથે ફાધર લોબોને પણ યાદ કર્યા, જેમની પરથી રાવજી પટેલે પોતાની ‘અશ્રુઘર’ નવલકથામાં એક ફાધરનું પાત્ર બનાવ્યું હતું. ચીમનભાઇએ કહ્યું,‘ફાધર યુવાનોના હૃદય સુધી પહોંચીને, તેમની લાગણીને સ્પર્શીને બોધ આપે છે’. તેમણે ફાધરનું ભાષા વિશેનું પુસ્તક ‘શબ્દલોક’ યાદ કર્યું અને કહ્યું કે નામને કારણે કે ગમે તેમ પણ એ પુસ્તક બહુ ઉપડ્યું નહીં. તેની બીજી આવૃત્તિ વખતે નામ બદલીને ‘વાણી જેવું વર્તન’ રાખવામાં આવ્યું. આ પુસ્તક ગમે ત્યાંથી મેળવીને વાંચવાની ભલામણ કરી. ફાધર વિશે કાકાસાહેબની પ્રસન્નતા સંભારીને તેમણે કાકાના ઉદગાર યાદ કર્યા. કાકા કહે, ‘હું તો મરાઠી છું. ગુજરાતી મારી ભગિનીભાષા છે. આ માણસ યુરોપિયન છે ને ગુજરાતી પર આટલી પકડ ધરાવે છે એ મોટી વાત છે.’
ચીમનભાઇના વક્તવ્ય પછી ફાધરના શિષ્યો કંઇક બોલશે એવો ઉપક્રમ હતો, જે ઠેકાણા વગરનો રહ્યો. બોલવા આવનારા ત્રણ જણમાંથી કોઇ પાસે ફાધર વિશેની કશી ખાસ વાત ન હતી. ત્રણમાંથી એક- રેડિયોજોકી ધ્વનિત તો ફાધરના શિષ્ય પણ ન હતા. ‘ત્રણ વિદ્યાર્થીઓ’વાળો સમયગાળો એવો હતો કે એ દરમિયાન એક-બે ફોન આવ્યા ત્યારે આજુબાજુ બેઠેલા મિત્રોએ ગમ્મત કરતાં કહ્યું, ‘અમારે તો ફોન પણ નથી આવતા (કે ઉઠીને બહાર જઇ શકીએ)’.
વચ્ચે પુસ્તક વિમોચન, ચરખાની પ્રતિકૃતિ અર્પણ કરીને તથા શાલ ઓઢાડીને સન્માન કરવાના કાર્યક્રમ તસવીરકારોના ઝુંડની હાજરીમાં આટોપાઇ ગયા. એક વાતની હંમેશાં નવાઇ લાગે છેઃ તોતિંગ ઝૂમ લેન્સ લટકાવીને ફરતા તસવીરકારબંધુઓ સ્ટેજને અડીઅડીને ઉભા રહેવાને બદલે દૂરથી તસવીરો પાડી નહીં શકતા હોય? આ બ્લોગ સાથે મૂકેલી તમામ તસવીરો મેં મારા 7 મેગા પિક્સેલના કેમેરાથી પાડી છે અને હું એ ઝુંડથી ક્યાંય દૂર, સલામત અંતરે હતો. છતાં, નિરાંતે છાપી શકાય એવી ગુણવત્તાની તસવીરો મળી છે. સ્ટેજ નજીક ગીરદી કરવાનું વૈજ્ઞાનિક કારણ કંઇ હોય તો એ સમજવામાં મને ચોક્કસ રસ છે. વિવેક દેસાઇ કે સંજય વૈદ્ય જેવા ઉત્તમ ફોટોગ્રાફર-મજબૂત મિત્રો કે બીજું કોઇ પણ પ્રકાશ પાડે તો આનંદ થશે.
ફાધરનું બીજી રીતો ઉપરાંત શાલ અર્પણ કરીને સન્માન થયું. (રજનીકુમાર પંડયા કહે છે કે ‘શાલ ઓઢાડી’ એ શબ્દપ્રયોગ ‘ફૂટપાથ પર રહેનારા ધાબળા ઓઢાડ્યા’ જેવો લાગે છે. ભારતીય પરંપરાઓના ભાગ્યે જ કોઇને ખબર હોય તેવા ઉંડા, અર્થસભર અને લોકો જેનાથી સાવ અજાણ્યા છે એવા અર્થો શોધી કાઢનાર ફાધર, શાલથી સન્માન કરવાની પરંપરા વિશે કંઇક લખે, તો કંઇક થાય.
સન્માન અને વિમોચન પછી મહાવીરભાઇ બોલ્યા. તેમના પછી કાર્યક્રમના ‘યજમાન’ દેવેન્દ્રભાઇ અને મીતાબહેન પીર બોલ્યાં. તેમના પછી રઘુવીર ચૌધરી. રઘુવીરભાઇએ તેમની ‘એક યહાં ગીરા, એક વહાં ગીરા’ સ્ટાઇલમાં કહ્યું કે ‘ફાધરે 1960માં પહેલી ચોપડી ‘સદાચાર’ ગાંઠના ખર્ચે છપાવી હતી. અમેરિકા આવતા લેખકોને સાચવતા દેવેન્દ્રભાઇ-મીતાબહેનને તેમણે કહ્યું કે ‘હવે તમે ઉઘાડા પડી ગયાં. વલ્નરેબલ થઇ ગયાં. હવે લેખકો તમને છોડશે નહીં.’ આ કાર્યક્રમ જ્યાં યોજાયો હતો એ વિદ્યાપીઠના નવા હોલનાં વખાણ કરીને, ‘વીજળી ઓછી બળે છે ને ગરમી લાગતી નથી’ એમ કહીને પરિષદના હોલના રીનોવેશન માટે દેવેન્દ્રભાઇનો સહકાર માગ્યો. વિદ્યાપીઠના ‘ઇકો-ફ્રેન્ડલી’ હોલમાં ગરમી તો લાગતી જ હતી, પણ એકંદરે તે સારો હતો ને પરિષદના હોલની સરખામણીમાં તો કોઇ પણ હોલ સારો લાગે. રઘુવીરભાઇની વાતના જવાબમાં દેવેન્દ્રભાઇએ કહ્યું, ‘અમારી મદદ જોઇતી હોય તો અમને કહેવાની જ વાર. અમે તૈયાર છીએ, પણ તમેય તૈયારી રાખજો.’ એમનો કહેવાનો ધ્વનિ એ માન્યતાની પૂર્તિ કરે એવો હતો કે રૂપિયા આપનારા તો છે, પણ રસ લઇને દૃષ્ટિપૂર્વક કામ કરનારા સંસ્થાઓ પાસે નથી હોતા.

***

ફાધર વાલેસના પાંત્રીસેક મિનીટના વક્તવ્ય પછી નારાયણભાઇ દેસાઇએ અધ્યક્ષીય પ્રવચન આપ્યું. એમણે ફાધરને ‘વિશ્વનાગરિક’ અથવા ઉપનિષદના શબ્દ પ્રમાણે ‘વિશ્વમાનુષ’ ગણાવતાં ‘ટુ કન્ટ્રીઝ, વન લાઇફ’ પુસ્તકને શાંતિસેનાની ટેક્સ્ટબુક જેવું ગણાવ્યું. ફાધરની ભાષા ‘સત્યના અનુભવોમાંથી ઉત્પન્ન થયેલી પ્રેમની ભાષા છે’ અને ‘એમની સરળ ભાષા અનુભૂત સત્યને કારણે સરળ બની છે’ એવું પણ તેમણે કહ્યું. ‘ગુજરાત ટાઇમ્સ’ના તંત્રી અને આ કાર્યક્રમના આયોજનમાં દેવેન્દ્રભાઇ પીર સાથે સક્રિય રીતે સંકળાયેલા રમેશ તન્નાએ આભારવિધી કરી. તેમણે આપેલી સહભાગી સંસ્થાઓની લાંબી યાદીમાં પ્રકાશક ગૂર્જર ગ્રંથરત્નનું નામ કદાચ ચૂકાઇ ગયું, એવું પણ કેટલાક કીડાઓએ નોંધ્યું. (હજારના ઓડિયન્સમાં આવા પાંચ-પચીસ કીડા તો રહેવાના રમેશભાઇ:-)
હોલમાં સ્ટેજની બન્ને પડખે મોટા સ્ક્રીન લગાડેલા હતા, જેની પરથી કાર્યક્રમનું જીવંત પ્રસારણ થતું હતું. તેમાં સ્ટેજ સિવાયનાં દૃશ્યો અને એકના એક ચહેરા- ગમે તેટલા મુખ્ય કેમ ન હોય તો પણ- વારંવાર બતાવાતા હોવાથી, જેમના ચહેરા બતાવાતા હોય એમને પણ મૂંઝવણ થતી હશે અને જોનારને તો થતી જ હતી. લગ્નની વિડીયોકેસેટમાં સૌ પોતાના ચહેરા શોધે અથવા સમારંભમાં કોણકોણ આવ્યું છે એ જોતા રહે, એવી કસરતની તક આવા સમારંભોમાં ન અપાય તો વધારે સારું એવું આ કાર્યક્રમ દરમિયાન પહેલી વાર લાગ્યું.
કાર્યક્રમ પછી સૌ માટે ભોજનની વ્યવસ્થા હતી. હું કાર્યક્રમ પૂરો થતાં ટ્રેન પકડવા નીકળી ગયો, પણ બિનીતે કેટલાંક બિનીત જ કરી શકે એવાં કામ કર્યાં. પ્ર.ચૂ.વૈદ્યે બિનીતને કહ્યું હશે, એટલે બિનીતે પોતાના મોબાઇલ ફોન પરથી ફાધર વાલેસની વૈદ્યસાહેબ સાથે વાત કરાવી. ફાધર સાથેની અલપઝલપ મુલાકાતમાં બિનીતે એ પણ યાદ કર્યું કે બકુલ ત્રિપાઠીનું ઘર બદલવાનું હતું ત્યારે ફાધર બાકાયદા સામાન પેકિંગ કરવાથી માંડીને નવા ઘરના ધાર્મિક પ્રસંગો સુધી હાજર રહ્યા હતા. રવિવારે ફાધર ઝેવિયર્સ કોલેજ જવાના છે. બાજુમાં આવેલો બકુલભાઇનો બંગલો હજુ છે કે કેમ એ વિશે પણ તેમણે પૃચ્છા કરી.
***
પાંત્રીસેક મિનીટના વક્તવ્યમાં ફાધરે પુસ્તકમાંથી અને પુસ્તક સિવાયની ઘણી વાતો કરી. પોસ્ટની લંબાઇને કાબૂમાં રાખવા માટે ફાધરના વક્તવ્ય અંગેની અને બીજી થોડી વાતો-તસવીરો હવે પછી ભાગ-2માં.

9 comments:

  1. વારંવાર વાંચવો ગમે તેવો અહેવાલ.
    ‘શાલ ઓઢાડી’ એ શબ્દપ્રયોગ ‘ફૂટપાથ પર રહેનારા ધાબળા ઓઢાડ્યા’ જેવો લાગે છે.
    મજા આવી ગઈ.

    ReplyDelete
  2. બીજો ભાગ જડપથી મુકો!!

    ReplyDelete
  3. i am curious to know what urvish has to say about 'two countries, one life' - the book narayan desai eulogised as 'shantisena ni textbook'.

    looking to the types of visitors the blog has, i am sure the post on this topic would provoke interesting comments.


    neerav patel
    29 sept, 2009

    ReplyDelete
  4. સમારંભનો અહેવાલ ઘણો સારો લાગ્યો. અત્યાર સુધી પરદેશથી પરદેશ ભટકતા આ જણે ફાધર વાલેસનું નામ તથા તેમના વિશે વાંચ્યું હતું, પણ તમે ૭ મેગાપિક્સેલના કૅમેરા વતી પાડેલ સુંદર ફોટામાં ફાધરના પહેલી જ વાર દર્શન થયા. ખરેખર આનંદ થયો અને તે માટે તમારો આભાર માનું છું.
    એક વિનંતી પણ કરી લઉં? પરદેશના એક એવા ખુણામાં રહેનાર આ'જણ'નો દેશના અખબારો તો ઠીક, ગુજરાતી બોલનાર માણસનો પણ સંપર્ક ન હોવાથી ફાધર વિશેના અહેવાલમાં ફાધરના ૩૫ મિનીટના વક્તવ્યના પાંત્રીસેક શબ્દોનો લાભ મળ્યો હોત તો મજા બેવડી થઇ ગઇ હોત!

    ReplyDelete
  5. Urvishbhai, I am glad to read your blog.

    I strongly feel that the camera makers should either organise workshops for camerapersons (specially for photojournalists and cameramen of electronic media). Press photographers gherao stage only when dignitaries lighting lamp or releaseing book or distributing awards or ARPANING showl. But electronic media representatives will ensure to grab the centre stage through out the event despite having most sophisticated technology. With increasing number of cameramen covering centre stage and blocking others view, sometimes it look as if the event is organised for the benefit of TV channels only. Its very irritating...... rgds, Mitul

    ReplyDelete
  6. its very intresting blog.give such a inmportant informations.

    ReplyDelete
  7. so nicely narrated !!

    I was der but like to read again & again !

    ReplyDelete
  8. Father Valles દ્વારા લખાયેલા પુસ્તકો કે પછી લેખો ક્યાં ઉપલબ્ધ હશે? Would you be able to share that with me? Thank You.

    ReplyDelete
  9. urvish kothari5:23:00 PM

    @mihirbhai: 'Gurjar' (Ahmedabad) is publisher of Father's books.
    contact no.: 079-22144663

    ReplyDelete