Wednesday, September 16, 2009

નેતાઓની સાદગીઃ ફકીરીથી ફાઇવ-સ્ટારી

સરેરાશ ભારતીય નેતાઓના શબ્દકોશમાં ‘સાદગી’ ભૂતકાળસૂચક શબ્દ છે. મંદીના જમાનામાં, ભારત જેવા ગરીબ દેશના બે પ્રધાનો- શશિ થરૂર અને એસ.એમ.કૃષ્ણ- ત્રણ-ત્રણ મહિનાથી ફાઇવ-સ્ટાર હોટેલમાં રહે છે, એ સમાચારથી સાદગી ફરી એક વાર ચર્ચાના કેન્દ્રમાં છે.

નેતાઓના સંદર્ભે ‘સાદગી’નો અર્થ છે ‘સાદગીનો અભાવ’. પક્ષ ગમે તે હોય, પણ સાદગીથી જીવન વ્યતીત કરતા નેતાઓ શોધવાનું કામ અશક્ય લાગે એટલું અઘરૂં છે. કોઇ લાલુ ગ્રામ્ય નેતાનો વેશ ધારણ કરીને આવે કે કોઇ શશિ થરૂર મહાનગરી પરિવેશમાં પેશ થાય, કોઇ જ્યોતિ બસુ જિંદગી આખી સામ્યવાદનો ધંધો કરે કે કોઇ અડવાણી હિંદુત્વની વાત કરે, એ બધાની જીવનશૈલીમાં સહજ અને અંતરમાંથી સ્ફુરેલી સાદગી માટે ભાગ્યે જ સ્થાન જોવા મળે છે.

એનો અર્થ એવો પણ નથી કે ભૂતકાળમાં સૌ સારૂં હતું અને હવે બઘું બગડી ગયું.

ગાંધીયુગ પહેલાં

નેતાઓએ સાદગી રાખવી જોઇએ, એવો ખ્યાલ ભારતના રાજકારણમાં ગાંધીજી લાવ્યા એમ કહી શકાય. ત્યાર પહેલાંના નેતાઓ મોટે ભાગે સમાજના ઉપલા વર્ગમાંથી આવતા, વકીલ-બેરિસ્ટર અને અંગ્રેજી કેળવણી ધરાવતા હતા. મોટા ભાગના નેતાઓને મન રાજકારણ બૌદ્ધિક ટાઇમપાસની પ્રવૃત્તિ હતું.

ભારતીય સંસ્કૃતિના પ્રચલિત અર્થઘટન પ્રમાણે સાદગીથી જીવવાની જવાબદારી શિક્ષકો અને તપ કરનાર ઋષિઓની હતી. બાકીના લોકો પૂર્ણપણે સંસારસુખો ભોગવતા. ઓગણીસમી સદીમાં અને વીસમી સદીના આરંભ સુધી નેતાઓ પાસેથી સાદગીની અપેક્ષા પણ રાખવામાં આવતી ન હતી. નેતા પ્રજા કરતાં બધી બાબતમાં- ખર્ચની બાબતમાં પણ - ચાર આંગળ ઊંચો હોય એવો ખ્યાલ હતો. એ ખ્યાલ પાછળ વર્ષોથી ચાલ્યું આવતું રાજાશાહીનું મોડેલ પણ થોડુંઘણું કારણભૂત હશે. કારણ કે મોટા નેતામાં પ્રજાને અમુક અંશે રાજસી તત્ત્વોનાં દર્શન થતાં હતાં.

દક્ષિણ આફ્રિકા ગયેલા બેરિસ્ટર ગાંધી તેમાં અપવાદ ન હતા. પરંતુ ગાંધી ભારત આવ્યા ત્યારે બેરિસ્ટરની સત્તાવાર અને સત્તાસૂચક ઓળખ તજી ચૂક્યા હતા. ભારતભ્રમણ દરમિયાન ભારતની ગરીબી અને વાસ્તવિકતાના સંપર્કમાં આવેલા ગાંધીએ ‘દરિદ્રનારાયણ’ની વાત મૂકી અને સાદગી તેમ જ ગરીબીનો મહિમા કર્યો. જે દેશના લાખો લોકોને બે ટંક ભોજન કે તન ઢાંકવા માટે પૂરતું કપડું ન મળતું હોય, તેમનું પ્રતિનિધિત્વ થ્રી-પીસ સૂટ પહેરીને ન થઇ શકે, એવું ગાંધીને લાગ્યું. અગાઉ ટોલ્સ્ટોય અને રસ્કિનના વિચારોથી આકર્ષાઇને દક્ષિણ આફ્રિકામાં આશ્રમજીવનના પ્રયોગો કરી ચૂકેલા ગાંધીએ ભારતની કારમી વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરવાના પ્રયાસરૂપે, એક દરિદ્ર ભારતીય જેવો પોશાક અપનાવ્યો.

ગાંધીની સાદગીનાં ત્રણ પરિમાણ

ફક્ત પોશાક જ નહીં, જીવનજરૂરી ઘણી બાબતોમાં કડક કરકસરથી કામ લીઘું. પેન્સીલનો ટુકડો સાવ નાનો થઇ જાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવાની જિદ અને એ ટુકડો કોઇ સાથીદારે ફેંકી દીધો ત્યારે ટુકડો ન મળે ત્યાં સુધી ચેન ન લેવાની એમની જીદ બહુ જાણીતાં છે. ગાંધીજી પર આવતા પત્રોમાંથી કવર ફાડીને તેની કોરી બાજુ એ પત્ર લખવા માટે ઉપયોગમાં લેતા હતા. જેલમાં લીમડાનું દાતણ કરે તો પણ એક દાતણ આગળનો કૂચાવાળો ભાગ કાપીને બીજા દિવસે ચલાવે. એમ દાતણ છેક સુકાઇ ન જાય ત્યાં સુધી વાપરે. બીજી તરફ, વહીવટી બાબતોમાં કે ચોક્સાઇમાં ખર્ચની પરવા કરતા ન હતા. સૂચનાઓ કે સલાહ આપવા માટે લાંબા તાર કરવામાં બાર-પંદર રૂપિયા ખર્ચવામાં તેમને સંકોચ ન થાય. એક વાર માર્ગ અકસ્માતને કારણે જાહેર કાર્યક્રમમાં સમયસર પહોંચાય એવી સંભાવના ઉભી થઇ ત્યારે બંગાળના પાર્વતીપુરથી ગોઆલંદો સુધી તેમણે સ્પેશ્યલ ટ્રેન કરી હતી, જેનું ભાડું રૂ.૧,૧૪૦ રૂ. ચૂકવવું પડ્યું. પરંતુ ગાંધીજીની દલીલ હતી,‘વાઇસરોયને આપેલો સમય હું જેટલી સખતાઇથી પાળું છું, તેટલી જ સખતાઇથી આપણા લોકોને આપેલો સમય પાળવો જોઇએ.’

ગાંધીજીની સાદગીની સાથોસાથ વ્યવહારૂતાની આ બન્ને બાજુઓ પ્રમાણમાં જાણીતી છે, પણ તેમની સાદગીનું એક ત્રીજું પરિમાણ હતું. તેમનો પ્રભાવ વઘ્યા પછી તેમની સાદગીનું ઘ્યાન રાખવા માટે અનુયાયીઓ ઘણી મહેનત કરતા હતા. સરોજિની નાયડુ જેવાં તો કહેતાં પણ ખરાં કે થર્ડ ક્લાસના ડબ્બામાં મુસાફરી કરીને સાદગીનો સંતોષ લેતા ગાંધીજીને ખબર નથી કે તેમની સાદગી ખરેખર કેટલી મોંઘી છે. સરોજિની નાયડુનો સંદર્ભ ગાંધીજીની સલામતી માટે રાખવી પડતી ચીવટ અને તેમાં થતા ખર્ચ અંગે હતો. ગાંધીજીના સેવક અને અંતેવાસી બ્રિજકૃષ્ણ ચાંદીવાલાએ નોંઘ્યું છે કે ૧૯૩૭માં લોર્ડ લિનલિથગોને મળ્યા પછી ગાંધીજી પાછા દિલ્હી સ્ટેશને જતા હતા ત્યારે તેમની મોટરના પૈડામાં પંક્ચર પડ્યું. પાછળ આવતા એક અંગ્રેજે પોતાની મોટરમાં તેમને બેસાડી લીધા. ત્યારથી ગાંધીજી જ્યાં જતા ત્યાં ઘણુંખરૂં તેમની મોટરની સાથે એક વધારાની મોટર રાખવામાં આવતી હતી. દિલ્હીમાં એ વખતે ભંગી કોલોની તરીકે ઓળખાતા દલિત મહોલ્લામાં ગાંધીજી રહેવા આવે તે પહેલાં કેવી ખર્ચાળ તૈયારીઓ થઇ હતી, તેનો ચિતાર અમેરિકન પત્રકાર-લેખિકા માર્ગારેટ બોર્ક-વ્હાઇટે પોતાના પુસ્તકમાં આપ્યો છે.

આ ત્રીજા પરિમાણ છતાં સાદગી અને ગાંધીજી એકબીજાથી અભિન્ન રહ્યાં. આઝાદી મળ્યા પછી રાજવહીવટમાં વધેલા ખર્ચ વિશે તેમણે બ્રિજકૃષ્ણ ચાંદીવાલા સમક્ષ ટીપ્પણી કરી હતી,‘જેમની પાસે લાખો ખરચવાના નહોતા તેમને કરોડો ખરચવા મળી ગયા પછી શું થાય?’

ગાંધીવાદીઓની સાદગીઃ પ્રકૃતિ અને વિકૃતિ

ગાંધીના પગલે ભારતના જાહેર જીવનમાં સાદગીનો આખો સંપ્રદાય ઉભો થયો. સાચા દિલની સાદગીથી લઇને નિર્માલ્ય, અહંકારથી છલકાતી અથવા દંભનીતરતી સાદગી સુધીની છાયાઓ ગાંધીવાદીઓ સાથે સંકળાઇ. સાદગીની બાબતમાં ગાંધીજીની હરોળમાં મૂકી શકાય એવાં જૂજ નામમાં સરદાર પટેલ અને રવિશંકર મહારાજને ગણી શકાય. સરદાર પરંપરાગત અર્થમાં ‘ગાંધીવાદી’ ન હતા. તે કદી આશ્રમમાં ન રહ્યા કે ગાંધીટોપી પણ ન પહેરી. બેરિસ્ટર વલ્લભભાઇનું પૂર્વજીવન વૈભવી હતું, પણ ગાંધીના સંસર્ગમાં આવ્યા પછી તેમણે સાદગીને કાયમી જીવનમૂલ્ય તરીકે સ્થાન આપ્યું. આખી જિંદગી તેમણે મણિબહેને કાંતેલી ખાદીનાં વસ્ત્રો પહેર્યાં. કોંગ્રેસના લાખો રૂપિયાનો વહીવટ કર્યા છતાં કદી મોજશોખમાં મહાલ્યા નહીં. ૧૯૪૬માં પહેલી વાર વચગાળાની સરકારમાં મંત્રી બન્યા પછી ઓફિસે જતી વખતે સરદારને મણિબહેને ઘડિયાળ-પેન લેવાનું યાદ કરાવ્યું, ત્યારે સરદારનો જવાબ હતો,‘ઘડિયાળ તો ત્યાં હશે જ ને જે સહી કરાવવા આવશે તેની પાસે પેન પણ હશે.’

અમેરિકાથી પાછો ફરેલો પૌત્ર વિપીન ભેટમાં મળેલો રેશમી ખાદીનો તાકો લઇને સરદારને બતાવવા ગયો, ત્યારે સરદારે તેને કહ્યું હતું,‘તું દસ રૂપિયે વાર ખાદી પહેરશે?શાના ઉપર? બાપકમાઇ ઉપર? કમા પહેલાં!’ પોતે દેશના નાયબ વડાપ્રધાન હતા, એ હકીકત પોતાના વારસદારો માટે વિશેષાધિકારનો મુદ્દો ન બને તેની સરદારે સતત કાળજી રાખી. સંતાનો ભવિષ્ય માટે દલ્લો કે સલામતી છોડીને જવાના મોહમાંથી પણ તે મુક્ત રહી શક્યા. તેમના અંતકાળ વિશે મણિબહેને નોંઘ્યું છે,‘છેલ્લી ઘડી સુધી અર્ધજાગ્રત અવસ્થામાં પણ મારૂં નહીં દેશનું સ્નેહરટણ- હૈદરાબાદ, કાશ્મીરનું રટણ કરતા રહ્યા. મને ફિકર રહ્યા કરતી કે કંઇ મારી ચિંતા ન કરે. પણ તેમને એટલો વિશ્વાસ હતો કે વખત આવ્યે છોકરી વાસણ માંજીને પણ સ્વમાનથી દિવસો કાઢે એમ છે. ’

સરદારના સાથી અને સ્વામી આનંદ જેવાએ જેમને પુણ્યશ્વ્લોક ગણાવ્યા હતા, તે રવિશંકર મહારાજ પણ નિર્ભાર સાદગીનો મૂર્તિમંત નમૂનો હતા. તેમનાં ૯૦ વર્ષ નિમિત્તે પ્રગટ થયેલા ગ્રંથમાં પિંડવળનાં કાંતાબહેન-હરવિલાસબહેને કરેલી નોંધ પ્રમાણે, જિંદગીનાં પચીસ વર્ષ તે ફક્ત એક ટંક જમ્યા. તેમાં દસ વર્ષ ફક્ત દાળચોખાની ખીચડી. સાથે શાક કે દૂધ-દહીં પણ નહીં. પચાસેક વર્ષ ખાંડ અને મધ વિના ચલાવ્યું. માથામાં કદી તેલ નાખ્યું નહીં. આખા વર્ષમાં પોતે ૮૦ વાર ખાદી કાંતે. તેમાંથી પોતાના માટે ૧૩ વાર રાખીને બાકીની મિત્રોને આપી દે. તેમની ધોતી દોઢ વર્ષ અને બંડી-ટોપી બે-અઢી વર્ષ ચાલે.

સરદાર અને મહારાજની શુદ્ધ સાદગી સામે ગાંધીવાદીઓના એવા કિસ્સા પણ જાણ્યા છે, જેમાં કોઇ ભાવિકે ભૂલથી તેમનાં જૂતાં પોલિશ કર્યાં હોય તો ગાંધીવાદી મહાનુભાવ પોલિશ કરેલાં જૂતાં પર મુઠ્ઠી ભરીને ઘૂળ ઠાલવી દે અને પોતાની હિંસક સાદગીથી સામેવાળાને આતંકિત કરી નાખે. ગાંધીના નામે સાદગીની દુહાઇ આપતા અને દંભ પોષતા લોકો એ ન સમજી શક્યા કે સાદગી સ્વતંત્રપણે બહુ મોટું મૂલ્ય નથી. સાદગી સાથે સમાજની સેવા કરવાની સાચી ભાવના અને ગાંધી જેને દરિદ્રનારાયણ કહેતા હતા તેમની સાથે તાદાત્મ્ય અનુભવવાની, તેમના અન્યાય સામે લડવાની તાકાત હોય તો જ એ સાદગી શોભી ઉઠે છે. બાકી, બીજી બધી રીતે નબળા લોકોની સાદગીનું મૂલ્ય અનૈચ્છિક અવિવાહીતોના બ્રહ્મચર્ય કરતાં વધારે નથી.

અરીસા સામે ઉભા રહીને...

જાહેર જીવનમાં સાદગી અને ભપકાની વાત નીકળે, એટલે નેતાઓના માથે માછલાં ધોવાની સૌને મઝા પડે છે. નેતાઓની ટીકા એક હદ સુધી બરાબર છે, પણ કવિઓ જેને ‘ખૂની ભપકો’ કહે છે, એ કરવામાં પ્રજા તરીકે આપણે પણ બહુ પાછળ રહેતા નથી. આ દેશમાં ફક્ત નેતાઓ જ પ્રજાના પૈસા વેડફે છે અથવા નેતાઓ વેડફે એટલા રૂપિયા જ પ્રજાના છે એવું માની લેવાની જરૂર નથી. બાકીના માલેતુજારો રૂપિયા ક્યાંથી પેદા કરે છે? તેમના રૂપિયા ઝાડ પર તો ઉગતા નથી. છેવટે આ સમાજમાંથી જ તે સમૃદ્ધ બને છે. તો પછી નેતાઓની જેમ માલેતુજારોના ભપકાનો પણ સામાજિક હિસાબકિતાબ શા માટે ન થવો જોઇએ? તેમણે સમાજને શું આપ્યું અને પોતાનો વટ પાડવા માટે કેટલા રૂપિયા વેડફી નાખ્યા, તે શા માટે ન ચર્ચાવું જોઇએ? અને ઉજવણીના નામે પાંચસો-હજાર રૂપિયાની ડીશ રાખીને લગ્નસમારંભોમાં કરોડો રૂપિયા ખર્ચનારા લોકોનાં ગુણગાન ગાવાને બદલે, નેતાઓની માફક તેમની પણ ટીકા શા માટે ન થવી જોઇએ?

એટલા માટે કે એ લોકો આપણામાંના એક છે? અથવા આપણે પણ એમના જેટલા રૂપિયાવાળા હોઇએ તો એવું જ કરીએ?

8 comments:

  1. Urvish,
    To tell you fact...first time I feel that this article is not of Urvish. You have missed many points or in other way slipped some places,just to avoid using too much space I feel it more appropriate to discuss this some time in person. I disagree today, almost to the total.

    ReplyDelete
  2. i was in the middle of this post and was thinking to write the first comment for this post in admiration of such a good piece, but at the end i find that ENVY has already done her/his natural duty.

    something is really amiss with ENVY, for she/he misses to put her/his points of disagreement on the pretext of space constraint - forgetting fully that the blog is not an exclusive URVISH-ENVY affair but can be visited by anybody and not all will take her/his envy blindly.

    neerav patel
    sept 16, 2009

    foot note :

    may i request ENVY to at least put his/her real name at the end of his/her comment so that others can use correct grammar while referring him/her.

    ReplyDelete
  3. Matrio/MLAs/MPs etc. potana pagar ma swaischhik ghatado swikare ena jevi hasyaspad vaat kai hoi sake. badha ne khabar che ke govt salary thi aa loko ni pocket money pan na nikale evo kharch kare che aa loko. aa loko ni main income to corruption thi aave che, jeno koi hisab ke sabiti nathi. Baki salary deduction thi desh ni koi seva nathi thavani. Ane kharekhar salary deduction ke sadgi karviu j hoy to aatli publishity karvi e to sadgi ni virrudh babat j che. Baki Mahendra Mashru ni jem Varso thi Kharekhar sadgi ma jive ane koi publicity ni apeksha na rakhe evo neta gujarat ma j nahi desh ma pan jova male eva chance bahu occha che.

    ReplyDelete
  4. Dear friend Neerav...sorry to creat some confusions.
    1. my name is Narenda V mistry so for many yrs I use Envy for me
    2. Still, I believe that what I have to say will eat up much of space/memory and may be, my comment might go to look like article too, so i avoid (for your eyes, I will mail you my feeling, just give me ur ID...mine is nv_mistry@yahoo.com)
    3. Each visitor has right to know who comments what but, as my comment wont be just comment...this issue (of simplicity) is going on for centuries now and needs some light on its hind side too.
    See u and Urvish when I come there in Diwali..:D thnx always

    ReplyDelete
  5. brindamehul@gmail.com11:37:00 AM

    Urvishbhai,
    very well thought out and scripted article. Gandhiji's simplicity was still not that expensive, but today's politicians and their guards need so much of space, seats while travelling and then hassle they cause to cotravellers - sometimes i feel its better they travel alone though it may be expensive. living low profile is no longer a fashion among politicians or us. we all want to show how special/elite we are! i liked the article very much!

    ReplyDelete
  6. Anonymous7:57:00 PM

    આ પોસ્ટમાં લખાયેલ ગાંધીજીની સાદગી વિશેની વાતોની ખરાઇ હું જાણતો નથી એટલે એના ઉપર કઇ ટિપ્પણી કરવી મારા માટે અઘરુ છે. પણ દરેક વ્યક્તિના સારા અને નરસા પાસા હોય છે. હું ગાંધીજીને જેટલા મહાન બતાવાય છે એટલા મહાન માની નથી શક્યો. કદાચ ભારતને સ્વરાજ્ય અપાવવામાં એમનો ફાળો હશે પણ એમની અહિંસાની જીદ્દે ભારત માટે કેટલીય વિકરાળ સમસ્યાઓ પણ કાયમ માટે ઉભી કરી છે.

    છેલ્લા ફકરામાં લખાયેલ માલેતુજારોને અપાયેલી સાદગીની શિખામણ મારા ગળે ના ઉતરી. મારી જોડે પૈસા હોય તો હું શા માટે એને મારી ખુશી માટે ના વાપરી શકું? ઘણા NRI લોકો પાસે એકદમ ટેક્ષે ધોયેલા પૈસા હોય છે અને 10-15 વર્ષ બહાર મહેનતે કમાયેલા પૈસા પોતાની ખુશી માટે ના વાપરી શકે તો મહેનત કરવાનો શું ફાયદો? સામાજીક અસમાનતા તો દરેક દેશમાં રહેવાની જ છે પણ એનો મતલબ એ નથી કે ધનિકોએ પણ ગરીબ થઇને રહેવું.

    ReplyDelete
  7. krunal
    You R on track. If V just C the lifestyle of some our own communist leaders, it will become clear how hollow & shallow their teaching is plus they R just using it 4 their benefit,glory & falsehood (Ex-W).But, anyway-its a fashion still to talk simplicity-equality in theory, which is keeping people aim-less,non-productive,non-performer..this is why despite India being so forward in medical,engg,science,computer,pharmacy education yet,we dont C any patent in our name!!

    ReplyDelete
  8. Bharat.zala1:51:00 PM

    Urvishbhai.good article.I would like to say something about Gandhi-I think he managed persons well,thats it,but I Like Ravishankar maharat,he was really a great man.

    ReplyDelete