Wednesday, September 02, 2009

યુરેનસ બુક્સની વણનોંધાયેલી વાચનયાત્રા


ગુજરાતીમાં પુસ્તકોના વેચાણ અને પ્રસારની વાત નીકળે ત્યારે (યોગ્ય રીતે જ) અડધી સદીની વાચનયાત્રા અને મહેન્દ્રભાઇ મેઘાણીને યાદ કરવામાં આવે છે. અઢળક સાત્ત્વિક વાચનસામગ્રી ઉપરાંત ઓછી કિંમતનું ભારે આકર્ષણ ધરાવતી અરધી સદીની વાચનયાત્રાના કે પછી સુધા મૂર્તિ ટાઇપ- પ્રેરણાનું ઝરણું ટાઇપ પુસ્તકોનો મહિમા થાય છે. પ્રકાશકો કહે છે, 'ચિંતન ને પોઝિટીવ લાઇફ ને એવું બધું બહુ વેચાય છે.' પરંતુ ગણિત અને વિજ્ઞાન જેવા નક્કર વિષયોમાં આશ્ચર્યજનક વેચાણ ધરાવતાં યુરેનસ બુક્સનાં પુસ્તકોની વાત ક્યાંય સાંભળવા મળતી નથી.

યુરેનસ બુક્સના તાજા પ્રકાશન 'આસાન અંગ્રેજી' નિમિત્તે ફરી એક વાર આ તીવ્ર અહેસાસ તાજો થયો. એમ થવાનાં કેટલાંક નક્કર આંકડાકીય કારણઃ ઓછી કિંમતના કોઇ આકર્ષણ વિના, ગણિત જેવા પરંપરાગત રીતે અઘરા ગણાય એવા વિષય અંગેનું રૂ.180ની કિંમતનું ગુજરાતી પુસ્તક કેટલું વેચાય? અને એ પુસ્તક જ્યારે નગેન્દ્રવિજય લખે, હર્ષલ પુષ્કર્ણાનો તેને ટચ મળે, પછી તે કેટલું વેચાય?

'માનો યા ન માનો' જેવી હકીકત એ છે કે યુરેનસ બુક્સનાં તમામ પુસ્તકોમાં સૌથી વધુ વેચાણ મેથેમેજિકનું છેઃ 16 હજાર નકલ.

છતાં, ગુજરાતીની ચિંતા કરનારા કોઇ પાસેથી સાંભળ્યું છે કદી આ પુસ્તક કે તેને મળેલી આંખ ઉઘાડી નાખનારી સફળતા? ખગોળશાસ્ત્રને લગતા પુસ્તક કોસ્મોસની રૂ.180ની કિંમતની 12 હજાર નકલ વેચાઇ ચૂકી છે. પ્રકૃતિ અને પ્રાણીજગત વિશેનાં પુસ્તકોની નકલો પ્રમાણમાં ઓછી. પણ ઓછી એટલે? 8 હજાર. (વિજયગુપ્ત મૌર્ય લિખિત જિંદગી જિંદગીની અત્યાર સુધીમાં 30-35 હજાર નકલો જુદા જુદા સ્વરૂપે વેચાઇ ચૂકી છે એ પણ નોંધવું રહ્યું.)

ગુજરાતી પુસ્તકજગતમાં આવાં સીમાચિહ્નોની નોંધ પણ ન લેવાય અને બીજી તરફ ભાષા બચાવવાના ઉધામા થાય, એનું નામ ગુજરાતી સાહિત્યજગત.
( તા.ક.- યુરેનસ બુક્સનાં પ્રકાશનો એવાં હોય છે કે તે વાંચીને ખરીદવાને બદલે ખરીદીને વાંચવામાં જરાય જોખમ નહીં. છતાં, જેને ખરીદતાં પહેલાં તેની વિગતો મેળવવી હોય તે સફારીની વેબસાઇટ પરથી મેળવી શકે છે. ઉપરની તસવીરમાં પુસ્તકનું ટાઇટલ અને બેકટાઇટલ મૂક્યાં છે)

7 comments:

  1. You have a point here but....i believe that, if qyality is given and maintained (ala Safaari) people will find out the product even without any supporting ad for it. Since old times, I was so facinated with these publication coz it carried no ad and to sustain without it?? tremendous qualtiy, strength, self confidence and faith on readers.
    Mahendra Meghaniji is also doing proper work (I am guessing till date, how he does) to promote Gujarati literature. People have eye, ear and brain too, writers and publishers should only have faith in themselves, rest will fall in line!!:D

    ReplyDelete
  2. Anonymous8:23:00 PM

    'સફારી' સામયિક અને તેનાં તમામ પ્રકાશનો એવાં માતબર છે કે જેટલી વાર વાંચીએ એટલી વાર ગેટેની માફક માથે મૂકીને નાચવાનું મન થાય. શેરખાનની બાળસુલભ શૈલી હોય કે જિંદગી જિંદગીનો થીજાવી દેતો રોમાંચ, કોસમોસનું કૌતુક હોય કે મેથેમેજિકની જ્ઞાનગમ્મત, 'સફારી'એ કદીપણ એક અક્ષર સુધ્ધાં વધારે કે ઓછો, અમસ્તો કે નકામો લખ્યાનું લાગતું નથી.
    મારા જેવા અનેક નવોદિત પત્રકારો સીધી કે આડકતરી રીતે 'સફારી'નું જ સર્જન છે. અલબત્ત, સાડા પાંચ કરોડના ગુજરાતમાં આવા બેનમૂન પુસ્તકોની સોળ,વીસ કે પચ્ચીસ હજાર નકલો વેચાય અને તેનો ય આનંદ લેવો પડે એને શું કહીશું??
    એની વે, "સફારી" પરિવારને બેય હાથે સલામ.
    - Dhaivat Trivedi

    ReplyDelete
    Replies
    1. તમારી આ વાત સાથે હું બિલકુલ સહમત છુ કે "'સફારી'એ કદીપણ એક અક્ષર સુધ્ધાં વધારે કે ઓછો, અમસ્તો કે નકામો લખ્યાનું લાગતું નથી."

      હું સફારી છેલ્લા 3 વર્ષ પહેલા થી વાંચું છુ અને આ વાત દરેક વખતે સાચી પડી છે - અને એકલા "સફારી" મેગેઝિન માટે જ નહીં પણ સર નગેન્દ્ર વિજય દ્વારા લખાયેલા દરેકે દરેક પુસ્તક માટે પણ એ જ વાત લાગુ પડે છે.

      બીજી એક વાત એ પણ ગણા સમય થી કહવા માગતો હતો કે એક વાર જ્યારે મે તમારો નેશનલ જયોગ્રાફિક વિષે નો લેખ દિવ્ય ભાસ્કર ની "કળશ" પૂર્તિ માં વાંચ્યો ત્યાર થી હું તમારો ફેન બની ગયો છુ. એ લેખ મે જેવો વાંચવાનો શરૂ કર્યો અને જેમ જેમ વાંચતો ગયો એમ જ લાગ્યું કે વાહ સફારી ની શૈલી માં અને સફારી ની જેમ કોઈ માહિતી પીરસનારું તો મળ્યું અને એટલા માટે તમારી આ વાત સાથે પણ સહમત છુ કે "મારા જેવા અનેક નવોદિત પત્રકારો સીધી કે આડકતરી રીતે 'સફારી'નું જ સર્જન છે".
      એવો જ એક બીજો લેખ અત્યારે યાદ આવે છે "એડગર એલાન પો" વિષે લખેલો.

      એ પછી તો મે તમારા બધા લેખ - જેટલા મળ્યા એટલા, શોધી ને વાંચી નાખ્યા અને ખૂબ મજા પડી ગઈ. પણ પછી કોણ જાણે કેમ તમે એમાં આટલી સરસ કૉલમ લખવાની બંધ કરી દીધી - અને આજે પણ હું રાહ જોઉ છુ કે એ જ કૉલમ ફરીથી સારું કરવામાં આવે.

      મને એ કૉલમ નું સૌથી વધૂ ગમતું પાસું એ હતું કે એમા તમે દરેક વખતે એકદમ ઓફબીટ વિષય પર "સફારી" ની જેમ લેખો આપતા..આ કમી એવા લેખો(એક્ચુઅલ્લી એવા લેખો આવતા જ નથી "કળશ" મા અત્યારે) માટે કળશ પૂર્તિ માં તમારા સિવાય કોઈ પૂરી કરી શક્યુ નથી.

      Delete
  3. ક્યાય કશી જાહેરાત કે રીવ્યુ છપાયા વગર આટલી બધી કોપીના વેચાણનું એક માત્ર કારણ ઉમદા અને ઉપયોગી સાહિત્ય વ્યાજબી કીમતે. યુરેનસ બુક્સ હજુ આ રીતે વધુ ને વધુ ઉચાઇ એ પહોચતું જ રહેશે. કેમ કે તેના વાચકો વધતા જ રહેવાના.

    ReplyDelete
  4. યસ્સ! હર્ષલ પબ્લીકેશન જે રીતે કામ કરી રહ્યું છે, એ રીતે તો વેચાણના નવા નવા વિક્રમો સર્જાતા જ રહેવાના.
    મજાની વાત એ છે કે પુસ્તક વેચાણમાં એક્કા ગણાતા પ્રકાશકોની મદદ વગર એ લોકો પોતાની ગુણવત્તાસભર પ્રોડક્ટ વેચે છે!

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. Bharat.zala1:05:00 AM

    Good article..I have Read most of the books published by urenas pualication.they have best knowledge with best language.

    ReplyDelete