Thursday, July 23, 2009

દાદા ધર્માધિકારીઃ વૈચારિક સ્વતંત્રતાના આશક-આરાધક

વક્રતા લાગે, છતાં હકીકત છેઃ ગાંધી - અને ખાસ તો ગાંધીવાદીઓ- હવે દારૂબંધી અને લઠ્ઠાકાંડ સંદર્ભે જ યાદ આવે છે. ગાંધી પ્રત્યે આદર અને ગાંધીવાદીઓની એલર્જી ધરાવનારા લોકોની કમી નથી. કેટલાક ગાંધીવાદીઓ ઢળતી ઊંમરે પોતાની અને પોતાના ‘સહધર્મીઓ’ની નિષ્ફળતાઓ જોતા-સ્વીકારતા પણ થયા છે. ગાંધીવાદીઓના આ સામાન્ય સમુહમાંથી જુદું તરી આવતું એક નામ એટલે દાદા ધર્માધિકારી.

ત્રણ પેઢીના સંગ્રામના સાક્ષી

શંકર ત્ર્યંબક ધર્માધિકારી તરીકે જન્મેલા દાદા વીસમી સદીનાં એવાં જૂજ પાત્રોમાં સ્થાન ધરાવે છે, જે ભારતની આઝાદીના તેમ જ આઝાદી પછીના જનસંઘર્ષોમાં પણ ઉંડા રસથી અને વિચારધારાઓના વહેણમાં તણાયા વિના સંકળાયા.

કોંગ્રેસી નેતાઓ આઝાદી પછી સત્તા સેવવામાં પડી ગયા ત્યારે રામમનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણ જેવા સમાજવાદીઓ અને વિનોબા જેવા ગાંધીના ઉત્તરાધિકારી ઠરીને બેસે નહીં એ સમજાય, પણ ગાંધીના આગ્રહથી ધારાસભાની ચૂંટણી લડેલા અને બંધારણસભાના સભ્ય બનેલા દાદા ધર્માધિકારીમાં એવું તે શું હતું કે તે સત્તાની સુંવાળપથી દૂર રહ્યા?

સીધોસાદો જવાબ છેઃ સ્વતંત્ર બુદ્ધિ અને કોઇના અનુયાયી બન્યા વિના, પોતાની બુદ્ધિને જે ઠીક લાગે તે દિલથી અપનાવવાની તત્પરતા. એ જ કારણથી વિનોબાએ તેમને (પંડિત મંડનમિશ્રના નામ પરથી) ‘ખંડનમિશ્ર’ જેવું ઉપનામ આપ્યું હતું! આ ગુણને કારણે જ ૧૯૨૦ના નાગપુર કોંગ્રેસ અધિવેશન વખતે ૨૧ વર્ષના, બીજા યુવાનો જેવા જ તોફાની, હોસ્ટેલની દીવાલ કૂદીને રાત્રે નૌટંકી જોવા જનારા, મેટ્રિકમાં બે વાર નાપાસ થયેલા, ઉત્તમ વક્તા તરીકે જાણીતા શંકર ધર્માધિકારી ગાંધીજીથી ચળ્યા નહીં. મિત્રો સાથે ગાંધીજના ઉતારે ગયેલા શંકર ધર્માધિકારી સાથે ગાંધીજીએ ઘણી વાતો કરી. પણ શંકરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીઘું,‘તમે મને સમજાવવામાં અને મારૂં પરિવર્તન કરવામાં સફળ થયા નથી. છતાં, તમે કહો છો કે તલવાર વિના સ્વરાજ્ય આવી શકે અને અસહકાર સફળ થઇ શકે, તો હું તમારી પાછળ આવવા તૈયાર છું. મારી જિંદગીનું કંઇ એટલું બઘું મહત્ત્વ નથી કે તેને હું સાચવતો ફરૂં.’

ત્યાર પહેલાં એક પરિચિતના ઘરે શંકરની મુલાકાત ક્રાંતિકારી રાસબિહારી બોસ સાથે થઇ હતી. બોસ હિંસાની ફિલસૂફીમાં માનતા હતા અને એક વાઇસરોય પર બોમ્બ ફેંકવામાં તે સામેલ હતા. તેમણે આઘ્યાત્મિક સંસ્કારની વાત કરી અને ‘અમારા એક હાથમાં બોમ્બ છે, તો બીજા હાથમાં ગીતા છે’ એવી વાત કરી, ત્યારે પણ શંકરે આદરપૂર્વક કહી દીઘું હતું કે ‘બોમ્બનો પ્રયોગ આઘ્યાત્મિક ચીજ નથી અને એ બાબતમાં હું તમારી સાથે સંમત નથી.’ એ વખતે શંકરની ઊંમર માંડ ૧૫ વર્ષની હતી.

દાદા ધર્માધિકારીનાં આત્મકથાનક લખાણોના કાન્તિ શાહે કરેલા ગુજરાતી અનુવાદ ‘મનીષીની સ્નેહગાથા’માં નોંધાયા પ્રમાણે, દાદા ગાંધીજીની સાથે દાંડીકૂચમાં સામેલ થવા પણ ઇચ્છતા હતા. ગાંધીજીએ તેમને સામેલ કર્યા નહીં. એટલે તેમની ઇચ્છા અધૂરી રહી.

વર્ધા (મહારાષ્ટ્ર) બજાજવાડીમાં ગાંધીજીના કેટલાક સાથીદારો સાથે રહેતા દાદા ધર્માધિકારીએ આઝાદી પછી વિનોબાના ભૂદાનયજ્ઞમાં સક્રિય સહયોગ આપ્યો અને ‘લોકનાયક’ જયપ્રકાશ નારાયણ સાથે પણ સતત સંપર્કમાં રહ્યા.

વર્ષો પહેલાં એક કાર્યક્રમમાં લોકમાન્ય તિલકને તેમણે પૂછ્યું હતું,‘લોકમાન્ય બનવા માટે શું કરવું જોઇએ?’ ત્યારે તિલકે જવાબ આપ્યો હતો,‘લોકમાન્ય બનવાનો એક જ રસ્તો છે. લોકમાન્ય બનવાની આકાંક્ષા છોડી દો!’ દાદા ધર્માધિકારીએ જાણેઅજાણે એ શબ્દોનું પાલન કર્યું. શક્ય હોય ત્યાં સુધી હોદ્દાથી અને સત્તાથી દૂર રહ્યા. સ્વરાજ મળતાં પહેલાં ૧૯૪૬ની ચૂંટણીમાં તેમનું નામ મૂકાયું, ત્યારે દાદાએ ગાંધીજીને એક લાંબો પત્ર લખીને પોતાની ઉમેદવારી રદ કરવા જણાવ્યું, પણ ગાંધીજીએ તેમને લખ્યું,‘બધા મિત્રો કહે છે એટલે વગર મહેનતે એસેમ્બલીમાં જઇ શકતા હો તો ચાલ્યા જાવ- એમ સમજીને કે મખમલની ગાદી પર બેસવા નહીં, પણ કાંટાની ગાદી પર બેસવા માટે...’ આટલેથી સમાધાન ન થતાં તેમણે દાદાને રૂબરૂ બોલાવીને કહ્યું કે ‘તું જવા નથી માગતો, તેને તો હું તારી યોગ્યતા માનું છું. આવા લોકોએ તો જરૂર જવું જોઇએ.’

લોકશાહીના વિરોધાભાસનો અહેસાસ

દેશનું બંધારણ રચનારી સભામાં દાદા ધર્માધિકારી સભ્ય બન્યા, પરંતુ તે લોકશાહી કે આઝાદી વિશે ગુલાબી ખ્યાલોમાં ન હતા. સ્વરાજ અંગ્રેજોના રાજ કરતાં ચડિયાતું હશે એવું તેમને ત્યારે પણ લાગતું ન હતું. અંગ્રેજો દ્વારા આ દેશમાં આવેલાં શિક્ષણના અધિકાર, બંધારણીય સમાનતા અને લોકશાહીની ચેતના જેવાં તત્ત્વ ભારતમાં પાંગરી શક્યાં નહીં તેનો તેનો તેમને પૂરો અહેસાસ હતો. તેમના શબ્દો ટાંકીએ તો, ‘આપણા દેશનો કંગાળ, નિઃશસ્ત્ર અને મામૂલી માણસ દિલ્લીના સિંહાસનનો માલિક બની ગયો તેની ખુશી હતી, પણ દિલ્લીનો શહેનશાહ બનવા છતાં તે લાચાર, વિવશ અને અભાવગ્રસ્ત જ રહી ગયો’ તેનો ખટકો પણ હતો. તેનું કારણ દાદાને એ લાગતું હતું કે ‘હકૂમત એની થઇ ગઇ, પણ દોલત એની થઇ નહીં. એ રાજા બની ગયો, પણ માલિક ન બન્યો. તખ્ત અને તાજ એનાં થઇ ગયાં, પણ જમીન એની ન થઇ.’

સંસદીય પ્રકારની લોકશાહીમાં લોકસભાને સર્વોપરી ગણવા અંગે પણ દાદાને કચવાટ હતો. તેમણે લખ્યું હતું કે ‘લોકસભા સર્વસત્તાધીશ સંસ્થા છે તે વિચાર મારી દૃષ્ટિએ ખતરનાક છે. આ તો બહુમતિ પણ નથી...પરંતુ સર્વાનુમતિ પણ હંમેશાં ન્યાયોચિત જ હોય એમ થોડું કહી શકાય? ...સંસદમાં સર્વાનુમતિએ માન્ય કરવામાં આવેલો પ્રસ્તાવ પણ જો માનવીય મૂલ્યોથી વિપરીત હોય તો એ બાબતમાં હું સંસદની સત્તા આખરી માનવા હું તૈયાર નથી...સર્વાનુમતે પણ જો અન્યાયકારી હોય તો તે પ્રમાણરૂપ નથી, એ ગાંધીજીના સત્યાગ્રહનું તત્ત્વજ્ઞાન છે.’

દાદાની કલ્પનાના બંધારણમાં 3 બાબતોનું મહત્ત્વ સૌથી વઘુ હતું ૧) જ્ઞાતિસત્તાનો અંત ૨) સંપ્રદાયવાદનો અંત. આ મુદ્દે તે પાછળથી વિનોબાનું એક પ્રવચન ટાંકતા હતા. વિનોબાએ કહ્યું હતું કે કોઇ પણ વ્યક્તિનો જન્મજાત ધર્મ ન હોવો જોઇએ. જેમ ૧૮ વર્ષે માણસને મતાધિકાર મળે છે, તેમ ૧૮ વર્ષની ઊંમરે માણસને પોતાની ઉપાસનાનો માર્ગ પસંદ કરવાનો અધિકાર મળવો જોઇએ. ૩) ગરીબ-અમીરના ભેદનો અંત. દારૂબંધી વિશે દાદા માનતા હતા કે ‘જ્યાં સુધી સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો ન થાય, ત્યાં સુધી દારૂબંધી જેવા સુધારાઓને પોષણ મળતું નથી અને તેમનાં મૂળીયાં ઉંડાં ઉતરતાં નથી.’

લોકશાહીના ‘લોક’ને માલિક બનાવવાની ઝુંબેશ

ગાંધીજીની વિદાયનાં ચાર વર્ષ પછી વિનોબાએ ગાંધીવિચાર પોતાની રીતે અને બદલાયેલા સંદર્ભે આગળ વધારવા માટે ભૂદાનયજ્ઞ જેવો મૌલિક કાર્યક્રમ હાથ ધર્યો. તેમાં ભૂમિહીનોને જમીનની માલિકી અપાવવાની વાત હતી. ભૂદાનયજ્ઞથી ગરીબોને જમીનની માલિકી મળતાં લોહી રેડાયા વિના કે ખટરાગ થયા વિના અહિંસક અને પ્રેમાળ ક્રાંતિ સર્જાશે, એવો વિશ્વાસ દાદા ધર્માધિકારી જેવા સ્વતંત્ર બુદ્ધિ ધરાવતા માણસોને પણ બંધાયો હતો. વિનોબા પગપાળા ચાલીને યાત્રા કરતા, ગામેગામ જમીનો મળતી, વિનોબાનાં પ્રવચનો થતાં. તેમાં રામાયણ-ભાગવત અને વેદ-પુરાણથી માંડીને શેક્સપિયર-વર્ડ્ઝવર્થ સુધીના વિષયો આવી જાય. વિનોબાનો અભ્યાસ ઉંડો અને વ્યાપક હતો, પણ તે કેવળ પાંડિત્ય ડહોળવા માટે ન હતો. વર્ષો પહેલાં દાદા ધર્માધિકારી બીજી પ્રવૃત્તિ છોડીને વેદાંત અને ભારતીય સંસ્કૃતિના આધારરૂપ ગ્રંથોનો બાકાયદા અભ્યાસ કરવા ગયા, ત્યારે વિનોબા તેમને વારંવાર પત્રમાં લખતા,‘બધા તત્ત્વજ્ઞાનનો વિચાર જીવનની દૃષ્ટિએ કરો. પાંડિત્ય માટે અઘ્યયન કરવામાં ફાયદો નથી.’ તેમણે દાદાને સમાજથી અળગા બનીને પોતાના એકદંડિયા મહેલમાં કેદ થઇ જતા પંડિત બનતાં અટકાવ્યા હતા.

કોઇ પણ અસાધારણ વ્યક્તિને ‘દૈવી’ સ્વરૂપ આપવાની ખાસિયત ધરાવતા ભારતીય જનસમાજમાં વિનોબાની સરખામણી જમીન માગનાર વામન અવતાર સાથે થઇ રહી હતી. બીજી તરફ, સર્વોદયીઓને મહેણાંટોણાં મારનારા પણ ઓછા ન હતા. એક મિત્ર દાદા ધર્માધિકારીને કહેતા,‘તમારે તો ઠીક છે! જીતો તો મિનિસ્ટર, હારો તો ગવર્નર, નિવૃત્ત થાવ તો વાઇસ ચાન્સેલર અને કંઇ ન બચે તો સર્વોદય તો છે જ!’

દાદા ધર્માધિકારી ૧૯૩૮થી ‘સર્વોદય’ માસિકનું સંપાદન કરતા હતા. તે માનતા હતા કે સર્વોદય કોઇ ધર્મગ્રંથ કે મહાપુરૂષ (ગાંધી/વિનોબા)થી સ્વતંત્ર એવો જીવનદર્શનનો સંદેશ હતો. છતાં, તેનું સંગઠન થવાને કારણે સર્વોદય જાણે અલગ સંપ્રદાય હોય એવી છાપ ઉભી થઇ. પોતાની લાખ અનિચ્છાએ પણ ‘ગાંધીવાદના ભાષ્યકાર’ તરીકે જાણીતા બનેલા દાદાએ લખ્યું હતું,‘મારે મન સર્વોદય એટલે જીવનનું સમગ્ર, સંવાદી અને સમન્યવયાત્મક દર્શન’. એ માનતા હતા કે વિનોબા ગાંધીના અનુયાયી નહીં, ઉત્તરાધિકારી હતા. તેમણે ગાંધીનો વિસ્તાર કર્યો અને પ્રસ્તુત કર્યા.

વિનોબા પ્રત્યે અપાર આદર ધરાવવા છતાં ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેમણે પત્ર લખીને પોતાનાં મંતવ્યો જણાવ્યાં હતાં. વિનોબાએ કટોકટીને ‘અનુશાસન પર્વ’ ગણાવ્યું હતું, પણ દાદાએ તેને ‘આતંક પર્વ’ અને ‘દમન પર્વ’ તરીકે ઓળખાવ્યું. જયપ્રકાશ નારાયણની મર્યાદાઓથી પણ તે પરિચિત હતા. છતાં મતભેદોએ તેમની વચ્ચેના આદરમાં ઘટાડો કર્યો નહીં.

સ્વતંત્ર વિચારસરણીને લીધે અનેક યુવક-યુવતીઓના પ્રિય બની રહેલા દાદા ધર્માધિકારી ઉત્તરાવસ્થામાં ઓળખનું વઘુ એક છોગું ઉમેરાયું. તેમના પુત્ર ન્યાયાધીશ ચંદ્રશેખર ધર્માધિકારીના પિતા તરીકે તે ઓળખાવા લાગ્યા. દાદાનાં પત્ની આઝાદીના આંદોલનમાં જેલવાસ દરમિયાન દિમાગી સંતુલન ખોઇ બેઠેલાં. છતાં, દાદાએ પોતાના જીવનનું અને વિચારોનું સંતુલન ખોરવાવા દીઘું નહીં.

દાદા રમૂજમાં પોતાની જાતને મઘ્યમપદલોપી તરીકે ઓળખાવતા હતા. એ કહેતા કે ‘મારા પિતા ન્યાયાધીશ, પુત્ર ન્યાયાધીશ. પણ મારી બાબતમાં ન્યાયાધીશપદનો લોપ છે!’ હકીકતે, દાદા પરાધીન અને સ્વતંત્ર ભારતની અનેક પેઢીઓને જોડતી કડી સમાન બની રહ્યા. ૧૯૮૫માં તેમની વિદાયથી ગાંધીવાદ-ભૂદાન-વિનોબા-જયપ્રકાશને વર્તમાન સાથે સાંકળતી મહત્ત્વપૂર્ણ કડીનો લોપ થયો.

5 comments:

  1. agree. if there wud b more dada in india...

    ReplyDelete
  2. દાદા ધર્માધિકારી વિશે સુંદર અને રસપ્રદ ઈતિહાસ-માહિતી આપવા બદલ આભાર. એમના જેવા વિરલાઓ હવે આંગળીના વેઢાં ઘસાઈ જાય તો પણ નથી દેખાતાં !

    ReplyDelete
  3. 1. gyatisatta no ant

    2. sampradayvad no ant

    3. garib ameer na bhed no ant


    hats off to dada dharmadhikari !

    what a diagnosis and what a prescription ! alas, we have lost those gandhians forever. and together with them the hope for shining or vibrant india.

    neerav patel
    july 24, 2009

    ReplyDelete
  4. salil dalal8:15:00 AM

    Since last so many days I have not been able to see any blogs..not even Amitabh Bachchan's. But today once again I started with this and afer reading about Dada first thing I am doing is posting this comment.
    Though many things about Dada must have been known to old timers, such a long and informative article would serve as an eye opener to the new generation of constructive workers.
    Fine piece.. keep up the good work, man!

    ReplyDelete
  5. yes excellent article read first time and learnt a lot

    ReplyDelete