Saturday, July 18, 2009

ગુજરાતની દારૂબંધીઃ પાટા વગરનું એન્જિન

ગુજરાતની પ્રજાને-નેતાઓને ઇતિહાસમાં કોઇ એક ફેરફારની તક આપવામાં આવે તો? સંભવ છે કે ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદરથી બદલીને પટણા કે પહાડગંજ- મુદ્દે, ગુજરાતની બહાર- લઇ જવાનો ‘સુધારો’ સર્વાનુમતે મંજૂર થાય! કારણ?

‘ગાંધીના ગુજરાતમાં...’ થી શરૂ થતાં મોટા ભાગનાં વાક્યોમાં છેલ્લા ઘણા સમયથી અફરપણે એક જ ઘ્વનિ સાંભળવા મળે છેઃ ટીકાનો અને ‘ક્યાસે ક્યા હો ગયા’નો.

બિચારું ગુજરાત! અહીંની તાજી તવારીખમાં કોમી હિંસા છે, સર્વોદય અને અંત્યોદયને બદલે ‘સેઝોદય’ અને ‘નેનોદય’ની બોલબાલા છે, સ્ત્રીઓની સ્વતંત્રતા મહદ્ અંશે દ્વિચક્રી વાહન ચલાવવામાં જ સમાઇ ગઇ છે, આભડછેટ અડીખમ છે, મંદિરપ્રવેશ જેવા મામુલી મુદ્દે હજુ દલિતોને સંઘર્ષ કરવા પડે છે... ગાંધી સાથે ગુજરાતને કશી લેવાદેવા નથી અને ગાંધી ગુજરાતમાં જન્મ્યા એ કેવળ ભૌગોલિક સંયોગ હતો, એવું સાબીત કરવા આનાથી વધારે શું થઇ શકે?

એટલે જ, ગુજરાતમાં દારૂબંધી માત્ર ને માત્ર ગાંધીજીના કારણે હોય તો તેને વહેલામાં વહેલી તકે ઉઠાવી લેવી જોઇએ.

દારૂઃ બંધી અને છૂટ્ટી

દારૂબંધી વિશેની ચર્ચામાં ભૂમિકાઓની ભેળસેળને કારણે ભારે ગુંચવાડો થાય છે. દારૂબંધીનાં ઘણાં પાસાં છેઃ

વ્યક્તિસ્વાતંત્ર્યઃ આ આદર્શ પ્રમાણે, માણસને (પૂરતા ‘જો’ અને ‘તો’ સાથે) અમુક ઊંમર પછી જેમ સ્વેચ્છામૃત્યુની, તેમ દારૂ પીવાની પણ આઝાદી હોવી જોઇએ. યાદ રહે. ફક્ત દારૂ પીવાની આઝાદીની વાત છે. તેમાં દારૂ પીને જાહેરમાં કે પોતાના ઘરમાં પણ દુર્વ્યવહાર કરવાની કે દારૂ પીને વાહન ચલાવવાની ‘આઝાદી’નો સમાવેશ થતો નથી. વ્યક્તિગત સ્વાતંત્ર્ય અન મુક્ત વિચારસરણીમાં બીજાને નુકસાન ન થતું હોય એવું કંઇ પણ કરવાની સ્વતંત્રતાની વાત છે. એ વ્યાખ્યામાં ફક્ત દારૂનો જ નહીં, બીજા નશાનો પણ સમાવેશ કરવો પડે.

ભારતનો કાયદો વ્યક્તિસ્વાતંત્ર્યને તેના પૂર્ણ સ્વરૂપે માન્ય રાખતો નથી. સમાજમાં વ્યવસ્થા જાળવવાના સત્તાવાર હેતુસર, વ્યક્તિના અંગત જીવનમાં કાયદાના પગપેસારા માટે ઘણાં બારીબારણાં ખુલ્લાં રાખવામાં આવ્યાં છે. તેના થકી નૈતિકતાના અને હિતરક્ષણના બહાને વ્યક્તિસ્વાતંત્ર્ય પર તરાપ પડે છે. (જાતીય વૃત્તિ જેવી નિતાંત અંગત બાબતમાં પણ આટલા વર્ષે કાયદો રૂઢિચુસ્તતા તજીને ‘માનવીય’ બન્યો!)

દારૂબંધી કેવળ ભૌગોલિક ગુનો હોય- ગુજરાત સરહદની આ પાર દારૂ પીવો ગુનો ગણાય ને પેલી પાર પીવો સ્વાભાવિક, એ સામાન્ય બુદ્ધિને ગળે ન ઉતરે એવી વિસંગતી છે. પ્રતિબંધ ન હોય તો દારૂ એ બીડી કે તમાકુની જેમ વ્યક્તિગત વ્યસન છે, પરંતુ દારૂબંધી હોય ત્યાં દારૂ વ્યક્તિગત ટેવ મટીને કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન બને છે.

નૈતિકતાઃ ગાંધીવાદીઓ અને અઘ્યાત્મવાદીઓ માને છે કે દારૂ પીવાથી માણસનું નૈતિક અધઃપતન થાય છે અને તેનું ચારિત્ર્ય શિથિલ થાય છે. હદ બહારનો દારૂ પીનાર જાત પરનો કાબૂ ગુમાવીને ગેરવર્તણૂંક કરી બેસે એવી સંભાવના હોવા છતાં, એક નિયમ લેખે આ માન્યતા સાથે સંમત થઇ શકાય નહીં. મુંબઇ જેવા પરપ્રાંતમાં (કે ગુજરાતમાં પણ) વસતા અનેક લોકો નિયમિતપણે મર્યાદિત માત્રામાં દારૂનું સેવન કરે છે. તેમની સામાન્ય વર્તણૂંક કે ‘ચારિત્ર્ય’ પર દારૂની માઠી અસર પડતી નથી. કોઇ વ્યક્તિ માત્ર દારૂ પીતી હોવાથી દુર્જન બની જાય એવું સાદું ગણિત સ્વીકારી શકાય નહીં. એ માટે બીજાં ઘણાં પરિબળ ઘ્યાનમાં લેવાં પડે. સત્તાવાર દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ધર્મ-સંપ્રદાયો અને સત્તાનો નશો લઠ્ઠાને પણ ભૂલાવી દે એવો ઝેરી નીવડી શકે છે.

કૌટુંબિક પાયમાલીઃ આગળ મૂકેલી દલીલો પરથી સ્પષ્ટ છે કે દારૂ પીવો જોઇએ કે નહીં એ વ્યક્તિગત નિર્ણય હોવો જોઇએ. પરંતુ એ તારણ જીવનની આદર્શ સ્થિતિમાં, પેટ ભરેલું હોય ત્યારે, લાગુ પડે છે.

ગુજરાતમાં અને ભારતમાં દારૂ પીનારાના મુખ્ય બે પ્રકાર છેઃ ૧) મોજશોખ-મસ્તી માટે દારૂ પીનારા ૨) જીવનનાં દુઃખ-હાલાકી-પશુવત્ જિંદગી અને ગરીબીના અનંત બોગદામાંથી ઘડી-બે ઘડી પલાયન થવા માટે દારૂ પીનારા. મોજમસ્તી માટે દારૂ પીનારા કાયદાની લપેટમાં ભાગ્યે જ આવે છે. તેમાંના કેટલાક પ્રતાપીઓ પોલીસ અફસરો સાથે બેસીને પીવામાં ગૌરવ લેનારા પણ મળે છે. એ લોકો દેશી દારૂ પીતા નથી. તેમને પ્રમાણમાં મોંઘો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કે શુદ્ધ વિદેશી દારૂ પોસાય છે. એટલે એ કદી લઠ્ઠાકાંડનો ભોગ બનતા નથી. આવા લોકો દારૂ પીને ઘરના સભ્યો સાથે કેવી ને કેટલી ગેરવર્તણૂંક કરે છે, તેની વાતો પણ ઘરની ચાર દિવાલની બહાર ભાગ્યે જ આવે છે. ધારો કે આવું બને તો માણસે દારૂ પીધો હોય કે ન પીધો હોય, ઘરેલુ હિંસા (ડોમેસ્ટિક વાયોલન્સ)ના કાયદા મોજૂદ છે. ફરિયાદ કરવાની હિંમત ધરાવતાં ઘરનાં સ્ત્રી સભ્યો એ કાયદાની મદદ લઇ શકે છે. તેના માટે દારૂબંધીના અલાયદા કાયદાની જરૂર પડતી નથી.

દારૂની સૌથી ઘાતક અને વ્યાપક અસરો ગરીબ માણસો પર થાય છે. સસ્તો અને ગુણવત્તામાં હલકો દારૂ પીવાને કારણે તેમને જીવનની કારમી વાસ્તવિકતાઓથી ઘડી-બે ઘડી છૂટકારો મળતો હશે, પણ તેમના આરોગ્યનો દાટ વળી જાય છે. લાંબા ગાળે દારૂમાં જાય છે, એટલા જ કે તેનાથી પણ વધારે પૈસા દવામાં જાય છે. સરકારી આરોગ્ય સુવિધા ખાડે ગયેલી હોય એવા સંજોગોમાં દારૂ પીનાર ગરીબનો બન્ને બાજુથી મરો થાય છે. ઉપરાંત, વખતોવખત દેશી દારૂની બનાવટમાં ગોટાળા કે મિલાવટને કારણે જિંદગી ગુમાવવાનો કે આંખ જેવાં શરીરનાં મહત્ત્વનાં અંગ ગુમાવવાનો ખતરો પણ ગરીબ દારૂ પીનારાએ વહોરી લેવો પડે છે. આમ, ગુણવત્તા વગરનો સસ્તો દેશી દારૂ પીનાર ગરીબ ટુકડે ટુકડે આત્મહત્યા કરતો હોય એવું લાગે છે.

દારૂ પીનાર ગરીબ હોય, ત્યારે દારૂની પાયમાલી પીનાર પૂરતી મર્યાદિત રહેતી નથી. તેનું કુટુંબ પણ બરબાદીનો ભોગ બને છે. દારૂ પીનાર ગરીબોમાંથી ઘણા પોતાનાં પત્ની-બાળકોની મહેનતના અથવા તેમના હકના રૂપિયા દારૂમાં વાપરી ખાય છે અને ઉપરથી એમની મારઝૂડ કરે છે. પરિવાર માટે મુસીબતો ઓછી હોય તેમ દારૂ વધારાનું અને સૌથી મોટું દુઃખ બનીને આવે છે. ગરીબ વર્ગની સ્ત્રી ઘરેલુ હિંસા જેવી ફરિયાદ લઇને પોલીસ સ્ટેશનમાં જાય તો તેને કોઇ ઉભવા પણ ન દે. એ વખતે દારૂબંધીનો કાયદો તેનો એકમાત્ર આધાર બને છે. પોતાના પરિવારજન સામે પોલીસમાં ફરિયાદ કરવી પડે એ ખરાબ સ્થિતિ છે, પણ માણસ રોજ દારૂ પીને મારઝૂડ કરતો હોય ત્યારે તેને પાઠ શીખવવા માટે દારૂબંધીનો કાયદો કામમાં લાગે છે. ખરેખર તો, પહેલાં લાગતો હતો. હવે ઘણા કિસ્સામાં દારૂવાળા અને પોલીસ વચ્ચેની સ્નેહગાંઠ એટલી મજબૂત હોય છે કે પોલીસ ગરીબ દારૂડિયાના કેસમાં હાથ નાખતી નથી. બહુ વિનવણી થાય તો તે ગરીબ દારૂડિયાને બે-ચાર ડંડા ફટકારે છે. તેની ચાકરી કરવાનું તો પરિવારના ભાગે જ આવે છે.

તેમને જોઇને એક તરફ લાગે કે આ પરિવારને પાયમાલ થતો અટકાવવા દારૂબંધી હોવી જ જોઇએ અને બીજી તરફ એવો વિચાર પણ આવે કે ફક્ત દારૂબંધી લાદીને બેસી રહેવાનું કેટલું યોગ્ય છે?

મજબૂરી અને મહાત્મા

દારૂ ગરીબોના જીવનને વઘુ પશુવત્ બનાવે છે. છતાં, દલિતોના માથે પડેલું સફાઇકામ કે મૃતદેહોની ચીરફાડનું કામ કે એ પ્રકારનાં કામ એવાં હોય છે કે કોઇ પણ સ્વસ્થ માણસ પૂરા હોશમાં હોય તો એ કરી શકે નહીં. એ કામ કરવા માટે હોશનો થોડો અંશ ગુમાવવો જ પડે. લઠ્ઠાકાંડ માટે ફાંસીની સજાનાં બણગાં ફુંકતી સરકાર આ પ્રકારની કામગીરીમાં યંત્રોનો મહત્તમ ઉપયોગ કેમ કરતી નથી? દારૂબંધીથી થતા નુકસાન પેટે બેશરમીપૂર્વક કેન્દ્ર સરકાર પાસે રૂ.૩૦૦૦ કરોડ માગનારા ગુજરાતના મુખ્ય મંત્રી સફાઇકામદારો માટેની કેન્દ્ર સરકારની યોજનાઓમાં મળતી રકમમાંથી કેટલી રકમ અસરકારક રીતે વાપરે છે? અને કેટલી રકમ વણવપરાયેલી પડી રહે છે?

દારૂબંધીના પ્રખર હિમાયતી ગાંધીજીએ પણ કહ્યું હતું કે ‘દારૂબંધીના કાયદાની સાથે જ તેનું રચનાત્મક કાર્ય પણ ચાલવું જોઇશે. દારૂબંધીને અંગેનું રચનાત્મક કાર્ય, દારૂ પીવાની આદતવાળા લોકોને માટે તેમને તંદુરસ્તી અને નિર્દોષ મનોરંજન આપનારાં સાધનોનું અવેજી આકર્ષણ પૂરૂં પાડવામાં રહેલું છે.’ લઠ્ઠાકાંડમાં પોતાની નીચે આવેલો રેલો બીજી બાજુ વાળવા ફાંસીની સજાની વાતો કરતી ગુજરાત સરકાર નિર્દોષ મનોરંજન આપનારાં સાધનો પૂરાં પાડવાનું તો બાજુ પર, જે મોજુદ છે તે પણ છીનવી રહી છે. અમદાવાદના કાંકરિયા તળાવમાં દસ રૂપિયાની પ્રવેશફી રાખવાના નિર્ણયને બીજું શું કહીશું? હવેના સમયમાં બનનારી તમામ મનોરંજન સુવિધાઓ પર મેઇન્ટેનન્સના નામે સરકાર એવી ફી રાખશે કે ગરીબ માણસને તે પરવડે નહીં. પણ સરકારને તેની પરવા નથી. ‘દસ રૂપિયાની ફીમાં શું વાંધો છે? ફીને લીધે અમુક પબ્લિક આવતી અટકશે’ એવું કહેનારા સરકારને મળી રહેવાના છે.

દાદા ધર્માધિકારી જેવા ગાંધીપ્રેમી છતાં મુક્ત વિચારકે કહ્યું હતું કે ‘જ્યાં સુધી સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી દારૂબંધી જેવા સુધારાઓને પોષણ મળતું નથી અને એ જડ પકડતા નથી.’

બાકીનાં પાસાં ઉપર ઘ્યાન આપ્યા વિના કેવળ દારૂબંધીના કડક અમલની વાતો કરવી, એ પાટા બિછાવ્યા વગર એન્જિનની ઝડપની વાતો કરવા જેવું છે. દારૂનો યોગ્ય કારણસર પ્રચંડ વિરોધ કરતાં સ્વૈચ્છિક સંગઠનો- ખાસ કરીને મહિલા સંગઠનો - એન્જિન જેટલું જ ઘ્યાન પાટા ઉપર પણ આપે, તે જરૂરી છે. અંગ્રેજોના રાજમાં દારૂબંધી ન હતી. છતાં ગાંધીચીંઘ્યા માર્ગે બહેનો મોટી સંખ્યામાં સફળતાપૂર્વક દારૂના અડ્ડા પર પિકેટિંગ કરવા જતી હતી. ગુજરાતમાં છૂટાછવાયા એવા પ્રયોગ થયા છે, પણ એ દિશામાં ઘણું કામ બાકી છે. પરદેશી ફંડિંગ સંસ્થાઓમાંથી પિકેટિંગનો ‘પ્રોજેક્ટ’ જાહેર થાય ત્યાં સુધી રાહ જુઓ!

આખી ચર્ચામાં બીજાં દૂષણ- દારૂનો ગેરકાયદે ધંધો, તેમાંથી ઉભા થતા અને રાજનેતા બની બેસતા બૂટલેગર, પોલીસ તથા નેતાઓ સાથેની તેમની સાંઠગાંઠ, પોલીસનો અમર્યાદ ભ્રષ્ટાચાર- ઉલ્લેખ્યાં નથી. કારણ કે પ્રાથમિકતામાં તે બીજા ક્રમે આવે છે.

એકલી દારૂબંધી પાટા વગરના એન્જિન જેવી, દેખાવમાં આકર્ષક છતાં વાસ્તવમાં નિરર્થક બનીને રહી જાય એમાં શી નવાઇ? એવી દારૂબંધીની તરફેણ કરનારા બીજી બાબતોમાં સરકારની નિષ્ક્રિયતા સામે આંખ આડા કાન કરીને સરકારને મદદરૂપ થાય છે અને તેનો વિરોધ કરનારા, સરકાર અને ગરીબો વચ્ચેના એક ક્ષીણ તંતુનો વિચ્છેદ કરીને, ‘ગરીબોને એમના હાલ પર છોડી દો’ની સરકારી નીતિનું આડકતરૂં સમર્થન કરે છે.

એવી દારૂબંધીની તરફેણ થાય કે વિરોધ, ગરીબ નાગરિકોની કાળજી લેવા ન માગતી સરકારને એકેય વલણથી નુકસાન નથી. સરકાર માટે, દારૂબંધી રહે તો મહાત્મા ગાંધીની જય છે અને ન રહે તો માલ્યાની!

6 comments:

  1. Anonymous10:23:00 PM

    ગાંધીજીના નામે ગુજરાતના લોકોને દારૂથી વંચિત રાખવા એ યોગ્ય નથી. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને ફ્રીડમ ઓફ એક્સપ્રેસનનો હક્ક ભારતીય નાગરિક પાસે છે. (દિલ્હી હાઇકોર્ટે વ્યક્તિ સ્વાતંત્ર્યના નામે જ સમલૈંગિક સંબંધોને ગેરકાયદે ગણવાનો ઇન્કાર કરતો ચૂકાદો હમણાં આપ્યો છે.)
    તબક્કાવાર દારૂબંધી ઉઠાવી લઇ ફાયદા ગેરફાયદા જોઇ શકાય. બાકી ગાંધીજી કરે એ દરેકે કરવું એ લોકો પર ઠોકાડી ના શકાય.

    ReplyDelete
  2. Anonymous2:27:00 AM

    though i don't agree wid som points,
    its good read.
    atleast sombody explored human-ness of 'daru' rather then just expressing som 'modern-ness'.

    -prarthit

    ReplyDelete
  3. Anonymous2:50:00 AM

    very good artical, Urvishbhai your thoughts are powerful and neutral but without revolution(from hungry and backward people themselves)I do not see any positive result.
    Manhar Sutaria

    ReplyDelete
  4. http://maarikalpanaa.blogspot.com/2009/07/blog-post.html

    ReplyDelete
  5. Anonymous12:57:00 PM

    Hi,

    Thank You Very Much for sharing this informative article here.

    -- Health Care Tips | Health Tips | Natural Health Articles | Junagadh

    -- Nice Work Done!!

    Paavan

    ReplyDelete
  6. દારૂબંધી હોવી જોઈએ કે નહિ તેનાં કરતા વ્યક્તિ ની જવાબદારી નો મુદો વિશેષ આવે છે. ગુજરાત માં દારૂબંધી છે તેની અસરકારકતા કેટલી છે તે દરેક જાણે છે... પરંતુ આ પ્રક્રિયા માં ખાસ કરીને મહિલાઓ અને બાળકોને વેઠવું પડે છે... તે ન ભૂલવું જોઈએ.

    ReplyDelete