Friday, November 26, 2021

બે મિનિટનું મૌન

 મૌન વિશે લોકો બહુ બોલ્યા છે. કેમ કે, મૌનનો મહિમા ગમે તેટલો મોટો હોય, પણ એ વ્યક્ત તો બોલીને જ કરવો પડે છે. ગાંધીજી ફક્ત પેટના નહીં, જીભના પણ ઉપવાસ કરતા હતા એટલે કે દર સોમવારે મૌન પાળતા હતા. તેમનું મૌન આત્મમંથન માટે હતું. કોઈની સ્મૃતિમાં ક્યારેક આદરથી ને મોટે ભાગે ફરજિયાત બે મિનિટ મૌન પાળવાનું તો ઘણાને આવ્યું હશે. એવું મૌન ઉગેલું નહીં, પણ લાદેલું હોય છે. એટલે તે મર્યાદિત લોકોમાં આદરની અને બાકીના લોકોમાં ટાઇમપાસની લાગણી જગાડે છે.

આખો હોલ ભરાયેલો હોય અને અચાનક, ઓડિયન્સને સુવાંગ પોતાના ભોગવટાનું સમજનારો કોઈ ગુજરાતી કોડીલો સંચાલક, કોઈના માનમાં બે મિનિટ મૌન પાળવાની જાહેરાત કરી દે તો? હોલમાં પહેલાં સૌ એકબીજા સામે જોવા લાગે છે, પછી હોલમાંથી મૌનના પૂર્વરંગ તરીકે ખુરશીઓના ઉંચી થવાના વૈવિધ્યપૂર્ણ અવાજો સંભળાય છે. સંચાલકે બે મિનીટ મૌન પાળવાનું કહ્યું કે અડધી મિનીટ ઘોંઘાટ કરવાનું કહ્યું?’ એવો સવાલ પણ હોલમાં ઉપસ્થિત લોકોને થઈ શકે. આવી રીતે બધાં ઊભાં થાય ને જગ્યા પર સેમી-સાવધાન મુદ્રામાં ઉભાં રહે એટલે મૌનની બે મિનીટનો પ્રારંભ થાય છે.

જેમના માનમાં મૌન પાળવાનું હોય તેમના પ્રત્યે લાગણી ધરાવતાં લોકો આર્દ્ર થઈને આંખ મીંચીને મૌન થઈ જાય છે. તેમને દિવંગત સ્નેહી યાદ આવે છે અને બાકીના લોકોને આલ્બર્ટ આઇન્સ્ટાઇન. વધુ ચોક્સાઈથી કહીએ તો આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ. તેમને સમજાય છે કે સંચાલકે બે મિનીટનું મૌન પાળવાનું કહ્યું, ત્યારે તો એમ લાગ્યું હતું કે એંહ, બે મિનીટમાં શું માન આપી દેવાય? માન જ આપવું હોય તો કલાકનું મૌન જાહેર ન કરી દઈએ? અરે, કલાક નહીં, તો કમ સે કમ, અડધો કલાક તો રાખવો જોઈએ કે નહીં?’

પરંતુ મૌનકાળ શરૂ થાય, તે સાથે જ તેમને લાગવા માંડે છે કે સમય જાણે થંભી ગયો છે, ઘડિયાળના સેકન્ડ કાંટાની ઝડપ ધીમી પડી ગઈ છે. સમય સાપેક્ષ છે, એવું કહેનાર આઇન્સ્ટાઇન સાંભરે છે, પણ એમની યાદ તો પાંચ સેકન્ડમાં યાદ આવીને જતી રહે છે. બાકીની સોએક સેકન્ડ ખાલીખમ અને સામે મોં ફાડીને ઉભી છે. તે બોલ્યા વિના પસાર કરવાની છે. એટલે પછી આસપાસના બીજા મૌનપાલકોના નિરીક્ષણની પ્રવૃત્તિ શરૂ થાય છે.

મોટા ભાગના લોકો મૌન પાળતી વખતે એવી રીતે આંખ મીંચી દે છે, જાણે તે મોંથી નહીં, આંખથી બોલતા હોય. તેમને સતત એવી બીક હોય એમ લાગે છે કે તેમની આંખ સહેજ ખુલી જશે, તો મોંમાંથી બે-ચાર વાક્યો ગબડી પડશે. બીજા પ્રકારના, વ્યવહારુ લોકો મૌન પાળવાની બાબતમાં અનુભવી કે રીઢા હોય છે. તેમના મનમાં શું ચાલે છે તેની કોઈને ખબર પણ ન પડે, એવી રીતે બે મિનિટ મૌન પાળતાં એટલે કે મૌનની બે મિનીટ પસાર કરતાં તેમને આવડી ગયું હોય છે. તે સ્વસ્થતાપૂર્વક પોતાની જગ્યાએ ઊભા રહી જાય છે અને ક્યારે સંચાલકનું ઓ..મ સંભળાય એની રાહ જુએ છે. નવોદિતો આટલા સ્થિરચિત્ત હોતા નથી. મૌનની જાહેરાત થાય ત્યારથી તે આસપાસની સૃષ્ટિ જોવામાં ચિત્ત પરોવે છે. આસપાસ, દૂરનજીક ઉભેલાં લોકો, તેમની ઊભા રહેવાની શૈલી, આંખ બંધ કરવાની રીત, ચહેરા પરના હાવભાવ, ચહેરા પર વ્યક્ત થતી ને અદૃશ્ય થઈ જતી અકળામણ...આવું બધું કળવાનો પ્રયાસ તે કરે છે. આસપાસના મૌનીઓનો અભ્યાસ કરવાની તેમની નિષ્ઠા જોઈને ઘડીભર એવું લાગે, જાણે કોઈ સર્વેક્ષણ કંપનીએ તેમને રૂપિયા આપીને, મૌનપાલકોના સર્વેક્ષણ માટે રોક્યા હશે. સર્વેક્ષણકર્તા મૌનપાલકોને જોયા પછી મૌન પાળતી વખતે આંખો બંધ રાખવાના રિવાજનો મહિમા સમજાય છે. આંખ બંધ હોય તેથી મન, કમ સે કમ, બહાર ભટકતું બંધ થાય છે અને અંદર ભટકે છે, જે બીજું કોઈ જોઈ શકતું નથી.

કેટલીક વાર સંચાલક વધુ પડતો લાગણીવશ થઈ જાય અથવા તેની બે મિનીટની ગણતરીમાં ગોટાળો થાય, ત્યારે મૌન છોડાવતાં સહેજ વધુ સમય લાગે છે. સંપૂર્ણ શાંતિ વચ્ચે કંઈ જ કર્યા વિના ઉભેલાં બધાં લોકોના મનમાં એક-એક સેકન્ડનો હિસાબ થતો હોય, ત્યારે થોડો વિલંબ પણ અતિશય આકરો નીવડે છે અને લોકો બેચેન થવા લાગે છે. વ્યવહારુ-અનુભવી મૌનીઓ પણ આંખ ખોલીને સંચાલક તરફ જોવાનું શરૂ કરે છે. સંચાલક જાગ્રત અવસ્થામાં છે કે પછી નિદ્રાસમાધિમાં સરી પડ્યો, એવો અશોભનીય વિચાર તેમને આવી જાય છે. પહેલી લાઇનમાં ઉભેલા અને અકળાતા કેટલાક આત્માઓ પાછળ જોઈને, બીજા લોકો પણ અકળામણ અનુભવે છે કે નહીં, તેની ખાતરી જુએ છે. એવી રીતે નજર કરતાં બીજા કોઈ સાથે નજર એક થઈ જાય, ત્યારે પાછળની લાઇનમાં ઉભેલો જણ આગળ ઉભેલાને ઈશારાથી ઉપર જઈને, સંચાલકને ઢંઢોળવા કહે છે. ત્યાં તો સંચાલક ઓ...મ બોલે છે અને ફરી એક વાર મૌનનું સાટું વાળી નાખવાનું હોય એટલો અવાજ કરીને બધા જગ્યા પર બેસે છે.

બધા બરાબર ગોઠવાય, ત્યાર પછી સંચાલક બોલવાનું ચાલુ કરે છે. ત્યારે ઘણાખરા કિસ્સામાં સુજ્ઞ શ્રોતાઓને થાય છે કે શ્રોતાએ ભલે મૌન છોડ્યું, પણ સંચાલકે મૌન ચાલુ રાખવા જેવું હતું.

Monday, November 22, 2021

રજાના દિવસે સ્નાન

કેટલીક ક્રિયાઓ રોજિંદી હોવાને કારણે તેના પૂરા મહત્ત્વથી ઘણાખરા લોકો અજાણ રહે છે. જેમ કે, સ્નાન. અહીં સ્નાન કરાવવાની—એટલે કે કોઈને નવડાવવાની—નહીં, જાતે નહાવાની વાત છે. મોટા ભાગના લોકોને મન સ્નાન એટલે ‘બે ડબલાં આમ ને બે ડબલાં તેમ’. હકીકતમાં. ‘બાથરૂમનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને’ એવી પંક્તિ કોઇ આધુનિક કવિ લખી શકે છે. કેમ કે, રજાના દિવસે નહાવા જવાની વાત આવે એટલે લખનવી વિવેકચાળો ફાટી નીકળે. મહિલા સભ્યોએ તો જવાબદારીપૂર્વક, શક્ય હોય ત્યાં સુધી આવતા પાણીએ, નાહી લીઘું હોય, પણ પુરૂષસભ્યો નહાવાનો વારો આવે એટલે એકબીજા તરફ આંગળી ચીંધે છે. બધાથી પહેલા નહાવા જવું ન પડે એ માટે ‘મારે હજુ દાઢી કરવાની બાકી છે’ જેવા દેખીતા કારણથી માંડીને ‘હજુ મૂડ નથી આવતો’ એવાં શાયરાના કારણો અપાય છે. વધુ દલીલબાજ લોકો ‘રોજ શું નહાવાનું? નહાવામાં આટલો સમય બગાડાતો હશે?’ એવી દલીલ સાથે રોજ ભારતમાં કેટલા માનવકલાકો નહાવામાં વેડફાય છે અને એટલા કલાકો શ્રમમાં વપરાય તો દેશના જીડીપીમાં કેટલો વધારો થાય તેની ગણતરી રજૂ કરી દે છે. યુરોપ-અમેરિકામાં નાગરિકો રોજ નહાતા નથી એટલે જ એ દેશો આટલા આગળ છે, એવી થીયરી પણ તે સમજાવે છે.

કોઇને થાય કે નહાવામાં મૂડની શી જરૂર? પણ રજાના દિવસની સવારે, આઇસક્રીમના ખાલી કપમાં ચોંટી રહેલા આઇસક્રીમની જેમ, જાગ્યા પછી પણ મનમાં થોડીઘણી ઊંઘ ચોંટેલી હોય છે. ત્યારે સુસ્ત થઈને બેસી રહેવાની પણ મઝા હોય છે. એ વખતે કોઈ એમ કહે કે ‘જા, બીજા રૂમમાં ભગવાન પ્રગટ થયા છે’ તો પણ સુસ્તીમાં સેલારા લેતો જણ કહેશે,‘તમે જઈ આવો ને એમને ચા-પાણી કરાવતા થાવ. હું પહોંચ્યો..’ આવા માહોલમાં ‘જા, તારૂં પાણી ગરમ થઈ ગયું છે. નાહી આવ.’ એવો આદેશ સાંભળીને સુસ્તીના સિંહાસન પરથી પદભ્રષ્ટ થવાનું ફરમાન મળ્યું હોય એવું લાગે છે. ઊંઘને ‘લાખ રૂપિયાની’ ગણીએ તો ઉંઘ પછીની સુસ્તી હજારો રૂપિયાની તો ગણાય—અને તેને ‘પાણી થયું છે’ કે ‘મોડું થાય છે’ એવાં મામૂલી કારણસર સુસ્તી લૂંટાવી દેવાની?

ઘણાં ઘરમાં રજાના દિવસે પુરૂષવર્ગ છાપું છોડતો નથી. બધાં બેસણાં અને બધા સમાચાર એ જ ક્રમમાં વાંચી ન લેવાય ત્યાં સુધી તે સ્નાન માટે પ્રેરિત થતા નથી. વચ્ચે વચ્ચે ‘નહાવા જા. ક્યાં સુધી આવો ને આવો અઘોરી રહીશ?’ એવા ઠપકા અપાય છે, પણ તેની અસર થતી નથી. બધું વાંચી લીધા પછી ‘છાપામાં કશું વાંચવા જેવું આવતું જ નથી’ એવો ચુકાદો વધુ એક વાર જાહેર કરીને, જાણે છાપાના નામનું નાહી નાખવાનું હોય એવી રીતે, તે નહાવા જવા તૈયાર થાય છે.

રજાના દિવસે નહાવાની બાબતમાં ઘણા લોકો અંતરના અવાજને અનુસરવાનો દાવો કરે છે. તે કહે છે, ‘મને મન થશે, ત્યારે કોઈનાય કહેવાની રાહ જોવા નહીં રોકાઉં’. આ વાક્યનું ગુજરાતી એવું થાય કે ‘મને મન નહીં થાય, ત્યાં સુધી ગમે તેવી મોટી તોપ હશે, તો પણ એનું કહ્યું નહીં માનું અને નહાવા નહીં જઊં.’ રોજ વહેલા નહાવું પાપ હોય અને તેના અઠવાડિક પ્રાયશ્ચિત તરીકે તે રજાના દિવસે મોડા નહાવાનું હોય, એવો ભાવ એમની વાતમાં સંભળાય છે.
રજાના દિવસે નહાવાનું બાકી હોય એટલું પૂરતુ નથી. પોતાને નહાવાનું બાકી છે અને પોતે રજા ભોગવી રહ્યા છે એ બીજાને દેખાવું પણ જરૂરી છે. એ માટે ઘણા લોકો રજાના દિવસે અગિયાર-બાર વાગ્યા સુધી ચડ્ડા કે બીજા પ્રકારના નાઇટડ્રેસ પહેરીને ફર્યા કરે છે. તેનાથી જોનારને ખબર પડે છે કે આ મૂર્તિએ હજુ સ્નાન કર્યું નથી. ઘડિયાળનો કાંટો આગળ વધે તેમ ‘હજુ’ શબ્દ પર મુકાતું વજન વધે છે અને એક સમય એવો આવે છે, જ્યારે માણસે કચવાતા મને, ‘જે જન્મે છે તેનું મૃત્યુ અને જે ઉઠે છે તેનું નહાવાનું નક્કી છે’ એવી ફિલસૂફી સ્વીકારીને બાથરૂમગમન કરવું પડે છે.

શિયાળામાં આકરી ઠંડી હોય, પહેલો વિચાર કપડાં પહેરીને નહાવાનો આવતો હોય, પણ પીઠ પર મસ્ત ગરમ પાણીનું પહેલું ડબલું પડે ત્યારે શરીરમાં હળવી કંપારી સાથે સ્વર્ગીય સુખની અનુભૂતિ થઇ શકે છે. પીઠ પર પડતા ગરમ પાણીના પહેલા ડબલાનો રોમાંચ મનના તાર ઝણઝણાવી મુકે છે--પાણી વધારે ગરમ રહી ગયું હોય તો એકાદ તાર તૂટી પણ જાય --છતાં નહાવાનું મુખ્ય કામ બાકી હોવાથી લોકો એ વખતે ‘પહેલા ડબલાની યાદમાં’ કે ‘પહેલા ડબલાનો છાંટો’ જેવી કવિતા લખતા નહીં હોય. ઉનાળામાં બફારો-પરસેવો-ઉકળાટ થતો હોય અને એક ડબલું ઠંડા પાણીનું રેડાય એટલે તેની ટાઢક અંતર સુધી પહોંચે છે. પાણી યોગ્ય રીતે ગરમ કે ઠંડું હોય તો પહેલાં બાથરૂમમાં જવા માટે અખાડા કરતો માણસ પછી બાથરૂમમાંથી જલ્દી બહાર નીકળતો નથી.

નહાવાની મઝાથી પુલકિત થયેલો માણસ મનોમન નક્કી કરે છે કે આવતી વખતે રજા આવે ત્યારે વેળાસર બાથરૂમમાં ધૂસી જઇને નિરાંતે નહાવું છે. પણ રજાનું પરોઢ ઉગતાં સુધીમાં એ સંકલ્પો રાજકીય પક્ષના ચૂંટણીઢંઢેરાની જેમ ભૂલાઇ જાય છે.

Tuesday, November 16, 2021

પેટ્રોલ-ચિંતન

કોઈ સમાજશાસ્ત્રીએ હજુ સુધી ભલે કહ્યું નથી, પણ સરેરાશ ગુજરાતીઓ ચિંતનપ્રિય પ્રજા છે. એક સમયે ગુજરાતી હાસ્યકલાકારો ગમે ત્યાંથી હાસ્ય શોધી કાઢવાનો દાવો કરતા હતા (એ હાસ્ય મોટે ભાગે ‘ગમ્મે તેવું’ જ રહેતું એ જુદી વાત છે.) એવી રીતે સરેરાશ ગુજરાતી લેખકો ગમે ત્યાંથી ચિંતન શોધી શકે છે. પરંતુ છેલ્લા થોડા સમયમાં થયેલો પેટ્રોલનો ભયંકર ભાવવધારો એકેય ચિંતનલેખનું કારણ બન્યો નથી. તેનાથી ગુજરાતી ચિંતનવાચકોમાં વિદ્રોહની લાગણી જન્મે અને વિદ્રોહસ્વરૂપે તે જાતે જ ચિંતવાનું શરૂ કરી દે, તેવી ચિંતા રહે છે.
સરકાર પ્રત્યેની વફાદારી જેવા મહત્ત્વના મુદ્દાને બદલે, પેટ્રોલ-ચિંતનના અભાવ જેવી ફાલતુ બાબત માટે ગુજરાતી લેખકોની પ્રતિભા સામે કોઈ આંગળી ચીંધે તે ઠીક નહીં. આ વાક્યમાં કોઈને ‘ગુજરાતી ચિંતક’ને બદલે ‘ગુજરાતી લેખક’ એવો શબ્દપ્રયોગ ખટકે, તે પહેલાં ચોખવટઃ ગુજરાતીમાં કંઈ પણ લખનાર લેખક આપોઆપ ચિંતક, વિચારક ગણાઈ જાય છે—સિવાય કે તેમણે સરકારમાં સોગંદનામું કરીને ગેઝેટમાં જાહેરખબર આપી હોય કે ‘આજ પછી મને ચિંતક યા વિચારક તરીકે ઓળખાવનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવી.’

તો ચિંતનનો લીલો દુકાળ ધરાવતી ગુર્જર ભૂમિમાં એન્કાઉન્ટરો વિશે ચિંતન થઈ શકે છે, પણ પેટ્રોલના ભાવવધારા વિશે ચિંતન થતું નથી—આવું મહેણું વહેલી તકે દૂર કરી દેવું જોઈએ. ‘પેટ્રોલ પમ્પની પાળેથી’, ‘પેટ્રોલની નોઝલને દૂરથી જોતાં’, ‘પેટ્રોલના ભાવનું હાઇ-કુ’ એવાં કાવ્યો કે ‘પેટ્રોલના પમ્પ ઉપર સાયબાનો ફોટો/સાયબો છે મારો છેક નફ્ફટ ને ખોટો’—એવી ‘ગીઝલ’ (ગીતનુમા ગઝલ) રચવાની શક્તિ તો નથી. ઉપરાંત, સરકાર દુઃખી ન થાય એવી રીતે કાવ્યસર્જન કરનારા પૂરતી માત્રામાં છે. એટલે થયું કે ગદ્ય ચિંતન પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
તો શરૂ કરીએ?

સપનાંની જેમ પેટ્રોલને પણ ઉડવા માટે પાંખોની જરૂર નથી પડતી. તેની હળવાશ એવી તે હળવી હોય છે કે તેને પીંછાનો પણ ભાર લાગે. પીંછાં સાથે તો સૌ કોઈ ઉડે. વગર પીંછે ઉડે તે પેટ્રોલ. ભલે ને તે રસાયણ ગણાતું, પણ તેને ઑર્ગેનિક ન ગણવામાં ઑર્ગેનિકનું અપમાન છે. એમ તો ચિત્તના વ્યાપારો પણ છેવટે રસાયણ જ છે. તેને ‘રાસાયણિક’ તરીકે ઉતારી પાડવાની ધૃષ્ટતા કોઈ દેખાડશે?

ઉડતું પંખી જોઈને આદિમાનવને વિસ્મય થયું હશે, પણ આધુનિક મનુષ્યને તેમાં કશી નવાઈ નથી લાગતી. પેટ્રોલ પહેલી વાર અસ્તિત્ત્વમાં આવ્યું, ત્યારે તેની ઉડ્ડયનશીલ અને જ્વલનશીલ પ્રકૃતિ વિસ્મિત મનુષ્યને દૈવી લાગી હશે, પણ પછી તેનો ઉપયોગ દૈવી તેમ જ આસુરી કાર્યોમાં સામાન્ય થઈ પડ્યો. વર્તમાનમાં સર્જાયેલો પ્રશ્ન તેની સ્વભાવગત નહીં, પણ ભાવગત ઉડ્ડયનશીલતાનો છે.

આપણી સંસ્કૃતિમાં ભાવનું બહુ મહત્ત્વ છે. નાટ્યશાસ્ત્ર હોય કે કાવ્યશાસ્ત્ર, ભાવ, ભાવપલટા, ભાવભંગિમાઓ અને ભાવવિરેચન તેનાં મહત્ત્વનાં અંગો છે. સંસ્કૃત આચાર્યોએ ભાવનો મહિમા કરતાં કહ્યું છે કે ‘જે ભવ તારે છે, તે ભાવ છે.’ (આચાર્યનું નામ યાદ નથી આવતું. કદાચ મેં પણ આવું કહ્યું હોય.) પરંતુ રસશાસ્ત્ર અને ભાવશાસ્ત્ર જનસામાન્યને દુર્બોધ ભાસે છે. તેમનો સીધો સંબંધ અર્થશાસ્ત્ર જેને ‘ભાવ’ તરીકે ઓળખાવે છે અને અંગ્રેજીમાં જેને પ્રાઇસ કહેવામાં આવે છે, તેની સાથે હોય છે. પ્રિયતમાના લહેરાતા કેશ જેવી કાળી ભમ્મર સડક પર પડેલા પેટ્રોલની સપ્તરંગી ઝાંયના સૌંદર્યનો આસ્વાદ માણવાને બદલે જનસામાન્ય પેટ્રોલના ભાવવધારાથી ચકિત થાય છે. વિદ્વજ્જનોની પેઠે પેટ્રોલના સ્થાયી ભાવનું ચિંતવન કરવાને બદલે અથવા પેટ્રોલની પ્રકૃતિગત ઉડ્ડયનશીલતાથી મુગ્ધ થવાને બદલે, તે એક લીટર પેટ્રોલના ભાવને ચિત્ત ધરે છે અને પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ પુરાવતી વખતે, પમ્પ પર દેખાતા પેટ્રોલના ઊંચા ભાવને (શબ્દાર્થમાં) તાકે છે.  

સંસ્કૃતિના અધઃપતનની ચિંતા અને તેના પુનઃસ્થાપનના પ્રયાસ કેટલા ઔચિત્યપૂર્ણ અને વાજબી છે, તે જનસામાન્યના પેટ્રોલ-વિષયક મનોવ્યાપારોથી એવી રીતે ઉપસી આવે છે, જાણે પેટ્રોલ પમ્પ પર વડાપ્રધાનની તસવીર. ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો મહિમા ધરાવતી આપણી સંસ્કૃતિમાં પેટ્રોલના ઊંચા ભાવ ‘અર્થ’નો આવશ્યક હિસ્સો છે. ઋષિમુનિઓએ તેને જીવનનો અનિવાર્ય ભાગ ગણ્યો છે, ત્યારે જનસામાન્યે પેટ્રોલના ભાવવધારાને જીવનનો અર્થયોગ ગણીને તેની ઉજવણી કરવી જોઈએ. જીવતરની રોજિંદી ઘટમાળમાં અર્થયોગની કસોટી જેટલી આકરી, એટલી જ મોક્ષની શક્યતાઓ વધારે. આવું ભારતીય સંસ્કૃતિની પરંપરાનો તલસ્પર્શી અભ્યાસ કરનારા એક અમેરિકન ચિંતકે અમેરિકામાં મારા પ્રવચન પછી મને કહ્યું, ત્યારે આપણી સંસ્કૃતિના મહિમાથી મારી આંખ ભીની થઈ હતી. જેટલી વાર પેટ્રોલના ભાવવધારા વિશે કશોક ઊહાપોહ ધ્યાને ચડે છે, ત્યારે મને એ અમેરિકન ચિંતક યાદ આવે છે.

પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ પુરાવતી વખતે ઘણાને બુદ્ધક્ષણોનો અનુભવ થાય છે. આપણા વડાપ્રધાનશ્રી પોપને મળી આવ્યા, ત્યારે તેમના ચહેરા પર જે ચમક હતી, તે લાખો દેશવાસીઓની આંખોમાં પેટ્રોલ પુરાવતી વખતે, પેટ્રોલનો ભાવ જોઈને આવતી ચમકનું પ્રતિબિંબ હતી. એક લીટરના ભાવ ત્રણ આંકડામાં પહોંચી ગયા પછી કેટલાક દેશવાસીઓને આધ્યાત્મિક વિરક્તિની કામચલાઉ અનુભૂતિ થાય છે, જે મેળવવા માટે પહેલાં ગિરનાર કે હિમાલય જવું પડતું હતું. સરકારશ્રીની આવી અસીમ આધ્યાત્મિક કૃપાનો જગતમાં જોટો જડે એમ નથી. દેશને તેની અસલની, પ્રાચીન આધ્યાત્મિક ઊંચાઈ પર પહોંચાડવા માટે અને વિશ્વગુરુના સ્થાને પુનઃપ્રતિષ્ઠિત કરવા માટે જરૂર છે પેટ્રોલના ભાવવધારાનું અધ્યાત્મ સમજવાની.

Tuesday, September 28, 2021

ખાડાનું અધ્યાત્મ

ભારત આધ્યાત્મિક દેશ છે. કમ સે કમ પશ્ચિમી દેશોમાં ઘણા લોકો એવું માને છે. પશ્ચિમવાળા ટીકા ન કરે ત્યાં સુધી, તે લોકો આપણા વિશે જે કંઈ માને તે આપણને બહુ ગમતું હોય છે. કેટલાક લોકો માને છે કે ભારતમાં અધ્યાત્મ—એટલે કે તેનું બજાર—ખાડે ગયું છે. પરંતુ ખાડા અધ્યાત્મે ગયા છે કે નહીં? તે પણ ચર્ચવા જેવું છે. તેના માટે પાયાનો સવાલ એ છે કે આધ્યાત્મિક એટલે શું?

ભારતીય અધ્યાત્મના જેટલા શેડ છે, એટલા તો કોઈ રંગની કંપનીના શેડકાર્ડમાં પણ નહીં હોય. તેમાંથી કયા શેડનું અધ્યાત્મ સાચું? આ સવાલના જવાબથી અધ્યાત્મની શરૂઆત થાય છે. કારણ કે ખરો આધ્યાત્મિક જણ કહેશે, ’કયું સાચું ને કયું ખોટું, એ નક્કી કરનારો હું કોણ? જેને જે સાચું લાગે તે સાચું.’ આવા ઉચ્ચ વલણને કારણે, નામીચા બદમાશ અને ગુંડા પુરવાર થઈ ચૂકેલા કથિત ધાર્મિક-આધ્યાત્મિક નેતાઓનો પણ વિશાળ અનુયાયી વર્ગ હોય છે.

કેટલાક ઉત્સાહીઓ પોતપોતાના ધર્મ વિશે કહેતા ફરે છે, ’અમારો ધર્મ એ કંઈ નકરો ધર્મ નથી. એ તો જીવન જીવવાની રીત છે.’ મતલબ, ધર્મ અને અધ્યાત્મ જીવનની દરેક બાબતમાં લાગુ પાડી શકાય—અને જો એમ જ હોય તો પછી રસ્તા પર પડતા ખાડાની ચર્ચામાં પણ તેને કેમ ન સાંકળી શકાય? અધ્યાત્મમાં કહ્યું છે કે કોઈ પણ કર્મ થાય, એ સાથે જ તેનું કર્મફળ પેદા થાય છે. એ રીતે જોતાં, ખાડાને રસ્તાનું કર્મફળ ગણી શકાય. જેમ જન્મ એ મૃત્યુનું કારણ છે, તેમ નવા રોડ બનવા એ ખાડા પડવાનું મૂળ કારણ છે. પાકો રસ્તો જ ન હોત અને આખો રસ્તો ખાડાખૈયાવાળો હોત, તો ‘ખાડો પડ્યો’ એવું કોણ કહી શકત? એવા સંજોગોમાં રસ્તા પરનો ખાડો પણ બ્રહ્મની જેમ અનાદિ અને અનંત ગણાત—અનાદિ કાળથી પડેલો અને અનંત કાળ સુધી રહેનારો. તેમાં કશો ફેરફાર કરવો—એટલે કે પાકો રસ્તો બનાવવો—એ સૃષ્ટિના ક્રમમાં, અથવા ચિંતનખોરો કહે છે તેમ કૉસ્મિક લયમાં, ભંગ પાડવા જેવું ગણાત.

સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે કંઈ ડામરના કે આરસીસીના રસ્તા હતા? કદી સાંભળ્યું કે તોફાને ચડેલાં ડાયનોસોરોએ દોઢ-બે કિલોમીટરનો પાકો રસ્તો તેમનાં શીંગડાં-ભીંગડાંથી તહસનહસ નાખ્યો? ક્યારેય એવું વાંચવામાં આવ્યું કે પૃથ્વી પર એક લઘુગ્રહ ખાબકતાં દસ કિલોમીટરના વ્યાસમાં આવેલા બધા પાકા રોડ ખાડામાં ફેરવાઈ ગયા? પૃથ્વીનું સૌથી પ્રાકૃત કહો કે પ્રાકૃતિક, તે સ્વરૂપ ખાડાવાળું છે. રસ્તા તો ‘સુધારા’નું પરિણામ છે અને રસ્તા પર પડેલા ખાડા વિશે ફરિયાદ કરવી, એ દુષ્ટ સુધારાવાળાઓનું લક્ષણ છે. આવું ભદ્રંભદ્રે પહેલાં ભલે ન કહ્યું, પણ તે અત્યારે વિદ્યમાન હોત તો જરૂર કહેત.

ખાણીપીણીથી માંડીને સૌંદર્યલક્ષી ચીજવસ્તુઓની બાબતમાં ઘણા લોકો ‘ઑર્ગેનિક’નો આગ્રહ રાખતા હોય છે, એટલે કે, જેમાં કશી અકુદરતી-રાસાયણિક પદાર્થોની ભેળસેળ ન હોય. એ દૃષ્ટિએ જોતાં, થોડું સાહસ એકઠું કરીને કહી શકાય કે ખાડા એ રસ્તાનું ઑર્ગેનિક સ્વરૂપ છે. ઑર્ગેનિક ચીજવસ્તુઓના પ્રેમીઓને આ વાત સૈદ્ધાંતિક રીતે તરત સમજાઈ જશે. જોકે, સિદ્ધાંત સમજ્યા પછી પણ, તેનો જાહેરમાં ખુલ્લા મને સ્વીકાર કરવો-રસ્તાની ‘ઑર્ગેનિક અવસ્થા’ વિશે ફરિયાદ-તકરાર ન કરવી, એ સાવ અલગ બાબત છે. તેના માટે ઉપદેશ અને આચરણ વચ્ચેની એકરૂપતા જેવા, કહેવાતી આધ્યાત્મિક પરંપરામાંથી લગભગ ગાયબ એવા ગુણની જરૂર પડે. તે ગુણની ગેરહાજરીને કારણે દેશની સરેરાશ જનતા અધ્યાત્મવાદી હોવા છતાં અને સંભવતઃ રસ્તા પરના ખાડાનો આધ્યાત્મિક, પૌરાણિક મહિમા સમજતી હોવા છતાં, તેમના વિશે કકળાટ કરી શકે છે. જેમ જેમ માણસની ભૂમિકા ઉચ્ચ થતી જાય અને તે ‘ભક્ત’, ‘પરમ ભક્ત’ જેવાં પગથિયાં ચડતો જાય, તેમ તેને રસ્તાના ખાડામાં આધ્યાત્મિક સંદેશ અને ‘બૅક ટુ નેચર—કુદરત ભણી પાછા વળો’નું આહ્વાન દેખાતું થાય છે. ત્યાર પછી તે ખાડાને તિરસ્કારથી નહીં, કુદરતની લીલા અને પૃથ્વીના આદિ સ્વરૂપ તરીકે જોવાનું શરૂ કરે છે.

કેટલાક અસંતુષ્ટો એવી ફરિયાદ કરે છે કે સરકાર રોડનું બરાબર ધ્યાન રાખતી નથી. બધા જાણે છે કે આ વાત સદંતર ખોટી છે. હકીકતમાં દર વર્ષે સરકારો એકથી વધારે વાર રસ્તા પરના ખાડાનાં સમારકામના લાખો-કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ કાઢે છે અને દર વર્ષે નિયમિત રીતે ખાડા પુરાવે છે. ‘સરકાર દર વર્ષે રસ્તાનો જીર્ણોદ્ધાર કરાવે છે કે ખાડાનો?’ એવો સવાલ પણ કંઈક ભાળી ગયેલા જીવોને થઈ શકે છે.

પરંતુ સરકારની આધ્યાત્મિક વૃત્તિ સતેજ છે અને નાગરિકોની આધ્યાત્મિક વૃત્તિની ચિંતા પણ તેના હૈયે વસેલી હોય છે. એટલે ખાડા જેવી આધ્યાત્મિક ઘટનાથી નાગરિકોને વંચિત રાખવાનું પાપ તે વહોરતી નથી. તેના બદલામાં ખાડા પુરવાના અને તેમની ઉપર નવા રસ્તાનું આવરણ કરાવવાના કામમાં કરોડો રૂપિયા ખર્ચવાનું અને લોકનિંદા વેઠવાનું તેને મંજૂર છે. આ કામ કરાવતી વખતે ખર્ચાયેલા રૂપિયાના અભિમાનમાં સરકારો ખાડાની મહત્તા અવગણતી નથી અને એટલી સાવધાની રાખે છે કે બે-ચાર વરસાદી ઝાપટાંમાં ખાડાખૈયાવાળા રોડ પર બનાવેલું નવું આવરણ ઉખડી જાય અને રસ્તો ફરી તેના અસલ, ઑર્ગેનિક સ્વરૂપે આવી જાય એટલે કે તેની પર ઠેરઠેર ઠેકઠેકાણે ખાડા ખીલી ઉઠે.

Tuesday, September 21, 2021

રાજીનામું આપવાની કળા

લેખનું શીર્ષક ખરેખર તો ‘રાજીનામું અપાવવાની કળા’ એવું હોય તો લોકોને વધારે રસ પડે. પણ હકીકત એ છે કે રાજીનામું અપાવવામાં કોઈ કળાની જરૂર હોતી નથી. એમાં તો, આંખ કાઢીને એક લીટીમાં કહી દેવાય તો પણ કામ થઈ જાય. પછી બાકીના પુસ્તકમાં લખવાનું શું? રાજીનામું અપાવનારને જાહેરમાં કેવો મહાન કહેવો પડે છે અને તેના વિશેનો સાચો અભિપ્રાય કેમ ખાનગી રાખવો પડે છે, તેની મજબૂરીભરી મૂંઝવણ?

કળા જેવી કળા જેને કહેવાય એ તો છે રાજીનામું આપવાની કળા. જાણતલો કહેશે કે ઘણા સમયથી આજ્ઞાંકિતતાનો મહાસાગર બની રહેલા લોકોને છેલ્લો કટોરો ઝેરનો પીવામાં એટલે કે રાજીનામું આપવામાં શી તકલીફ પડે? તેમને તો ‘લાઈ હયાત આયે, કઝા લે ચલી ચલે/ અપની ખુશી ન આયે, ન અપની ખુશી ચલે’—એ શેર પ્રમાણે, પોતાની ઇચ્છાથી આવવાનું નથી હોતું ને પોતાની ઇચ્છાથી જવાનું પણ નથી હોતું. તો પછી હાયહાય શાની ને એવા કામમાં કળા પણ કેવી?

વાસ્તવમાં સાવ એવું નથી. લોકો ગમે તે માને, નેતાઓ, સત્તાધીશો—ખાસ કરીને રાજીનામું આપનારા-- આખરે માણસ હોય છે. ચેનલોનાં માઇકની સામે પક્ષની શિસ્ત અને સંગઠનની શક્તિની ચ્યુંઇંગ ગમો ચાવ્યા પછી તેમનું પણ મોં દુખી જાય છે અને થાક લાગે છે. એ વખતે મોં હસતું રાખવા માટે અને હૃદયભંગથી બચવા માટે પણ રાજીનામું આપવાની કળા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આર્ટ ઑફ લિવિંગના વર્ગો ચાલતા હોય, તો આર્ટ ઑફ રિઝાઇનિંગના ક્લાસ, ભલે મર્યાદિત વિદ્યાર્થીઓ માટે, ભલે કોઈ પણ વયજૂથના લોકો માટે, ભલે ખાનગી રાહે, પણ કેમ નહીં?

વિવેચકો અને ઝીણું કાંતનારા પૂછશેઃ રાજીનામું આપવાની કળા એ ‘કળા ખાતર કળા’ છે કે ‘જીવન ખાતર કળા’? તે પાશ્ચાત્ય પ્રભાવથી પ્રેરિત છે કે ભારતીય સંસ્કૃતિથી? પહેલા સવાલનો જવાબ સ્પષ્ટ છેઃ આ જીવન ખાતર, વધુ ચોખવટથી કહીએ તો રાજકીય જીવન ટકાવી રાખવા ખાતરની કળા છે. રાજીનામું આપ્યા પછી સત્તા અને પદ તો જતાં રહે છે, પણ ત્યાર પછીનું જીવન સાવ રાજકીય વનવાસમાં ન જાય રાજીનામા પછી પણ રાજકીય જીવન શેષ રહે, તેના માટે સૂચના મળ્યે રાજીનામું ધરી દેવું જરૂરી છે. તેના આધારે ભવિષ્યમાં બીજા કોઈ હોદ્દાની સંભાવના રહે છે. પરંતુ ઉપરથી કહેવા છતાં રાજીનામું આપવાનો ઇન્કાર કરવાનો તો ઠીક, તે માટેનાં કારણ જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવે, તો તે ગેરશિસ્ત લેખાઈ શકે છે. ત્યાર પછી અડવાણીની જેમ અનંત પ્રતિક્ષા પ્રાપ્ત થાય છે. રાજીનામું આપવાની કળા આવડતી હોય તો ગાલ લાલ રાખી શકાય છે અને તે લાલીને તમાચાની અસર નહીં, પણ તંદુરસ્તીનું પ્રતીક ગણાવી શકાય છે. પાળીતાઓ આવા ફરજિયાત આપવા પડેલા રાજીનામાને પણ નૈતિક જીત કે એવું કશું નામ આપીને, પીછેહઠને આગેકૂચ તરીકે વર્ણવી શકે છે.

રહી વાત પ્રભાવને લગતા સવાલની. તો પાશ્ચાત્ય વડાઓ ભલે પોતાની માલિકીની કંપનીઓમાંથી વેળાસર નિવૃત્ત થઈ જતા હોય, પણ એ પરંપરાનાં મૂળ વાનપ્રસ્થાશ્રમની પરંપરામાં રહેલાં છે. રાજીનામું આપીને, દૂરના ભવિષ્યમાં ફરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાની આશા જીવતી રાખીને, કામચલાઉ વાનપ્રસ્થમાં જવાનું પગલું ભારતીય પરંપરાને પણ શોભાવનારું છે. આમ, શિસ્તની શિસ્ત, સંસ્કૃતિની સંસ્કૃતિ ને ઉજળી સંભાવનાઓ—આવા ત્રિવિધ ફાયદા રાજીનામું આપવાની કળા દ્વારા મેળવી શકાય છે.

કેટલીક વાર માણસને રાજીનામું લખવાની તક સુદ્ધાં મળતી નથી. રાજીનામું આપવાની કળા ત્યારે પણ ઉપયોગી નીવડે છે. તેના પ્રતાપે ત્યાગ, વિરક્તી, વૈરાગ્ય, નિઃસ્વાર્થ સેવા, સમર્પણ, વફાદારી, કર્મણ્યેવાધિકારસ્તે... વગેરે શબ્દો સાથેની વાતો કરીને પોતાની ઉચ્ચ નૈતિક ભૂમિકા દર્શાવી શકાય છે. તેમના પગ નીચેથી જાજમ ખેંચાઈ ગઈ હોવાને કારણે શારીરિક ભૂમિકા તો અમસ્તી પણ, જમીન પરથી ઉછળીને પટકાતાં પહેલાં હોય એવી ‘ઉચ્ચ’ જ હોય છે.

કેટલાક લોકો એવા હોય છે, જે બીજા પાસેથી રાજીનામું લઈ લેવા અંગે ઉત્સાહી હોય અને રાજીનામું આપવાની પવિત્ર ચેષ્ટાનું પુણ્ય હંમેશાં બીજા કમાય એવું જ ઇચ્છતા હોય છે. તે પોતે કદી રાજીનામું આપતા નથી. એટલું જ નહીં, તેમણે રાજીનામું આપવું જોઈએ એવો વિચાર સુદ્ધાં જેના મનમાં આવતો જણાય, તેનું રાજીનામું તે પહેલી તકે પડાવી લે છે. પહેલાંના સમયમાં નેતાઓનું એટલું વજન રહેતું કે નેતાઓ રાજીનામાની ધમકી આપીને ધાર્યું કામ કઢાવી શકતા હતા. એ વખતે, સ્વીકાર ન થાય એવી રીતે રાજીનામું આપવાની કળાની બોલબાલા હતી. પરંતુ ઘણા સમયથી એ કળાનાં વળતાં પાણી છે.

હવે તો સત્તાધારી પક્ષના બે સિવાયના નેતાઓને હંમેશાં ટેન્શન રહેતું હશે કે ગમે ત્યારે તેમની પાસેથી રાજીનામું લઈ લેવામાં ન આવે. સત્તાધારી પક્ષનો હાઇકમાન્ડ જે રીતે રાજ્યોના મુખ્ય મંત્રીઓનાં રાજીનામાં માગી લે છે તે જોતાં, સરકારમાં ક્યાંક એક નવું રાજીનામા મંત્રાલય ઊભું કરવું પડે તો પણ નવાઈ નહીં. એ મંત્રાલયના મંત્રી પોતે દાખલો બેસાડવા માટે દર મહિને રાજીનામું આપે અને નવા નેતાને એ મંત્રીપદની તક આપે. એવું થાય તો રાજીનામા સાથે સંકળાયેલો ખોફનો માહોલ હળવો થશે અને ભારતીય પ્રજા જેમ પેટ્રોલના તોતિંગ ભાવવધારા સાથે જીવતાં શીખી ગઈ, તેમ નેતાઓ રાજીનામા માગી લેતા હાઇકમાન્ડ સાથે હસીખુશીથી જીવતાં શીખી જશે. એ જ તો છે જીવન જીવવાની ખરી કળા.

Monday, September 06, 2021

સ્મારકોનું નવનિર્માણ

સરકારો અને શાસકો ઇચ્છે કે ન ઇચ્છે, ઇતિહાસ થવાનું તેમના લમણે લખાયેલું હોય છે. શાસકો તે બરાબર જાણતા હોય છે. એટલે તેમનો પ્રયાસ ઇતિહાસની નહીં, પણ પોતાની મરજી પ્રમાણે પોતાનું પ્રકરણ લખીને જવાનો હોય છે. વર્તમાન શાસકો આ બાબતમાં એકદમ આત્મનિર્ભર છે. એટલે તે પોતાનો જ નહીં, પહેલેથી લખાઈ ચૂકેલો ઇતિહાસ પણ પોતાની મરજી પ્રમાણે ફરી લખવા તલપાપડ હોય છે. ગયા સપ્તાહે થયેલું જલિયાંવાલા બાગ સ્મારકનું નવનિર્માણ તેમની એ તલપાપડગીરીનો વધુ એક નમૂનો છે.

વર્તમાન શાસકોને ન્યાય ખાતર કહેવું જોઈએ કે આ વૃત્તિ નાના પાયે શાસિતોમાં-લોકોમાં પણ રહી છે. ઐતિહાસિક સ્થળો, સ્થાપત્યો, ઇમારતો જેવાં સદીઓ જૂનાં સ્થળોએ કે ઇમારતો પર, હાલમાં કોણ કોને પ્રેમ કરે છે, તેને લગતાં લખાણ લખવાં એ આપણી પ્રજાકીય ખાસિયત રહી છે. તેની પાછળનો પવિત્ર આશય પોતાના પ્રેમને ઇતિહાસમાં અમર કરી દેવાનો જ હશે, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્મારકોમાં સામાન્ય લોકો આવું કરે તો તેનાથી સ્મારકને નુકસાન થયું ગણાય. પણ કાયદો બનાવનારા શાસકો પોતે આવું કરે તો તે સ્મારકોનું નવનિર્માણ કહેવાય. વર્તમાન શાસકોની સ્મારક-નવનિર્માણ પદ્ધતિ એવી છે કે તેમના દ્વારા ‘વિકાસ પામેલાં’ સ્મારકોને મનની આંખથી જોતાં ‘આઇ લવ આઇ’ અથવા ‘મોદી લવ્ઝ મોદી’ લખેલું તરત વંચાઈ જાય. મામલો તો આખરે ઇતિહાસમાં અમરત્વ મેળવવાનો છે. તે પોતાની કામગીરીથી ન મળે તો કોઈની કામગીરી પર પોતાનાં લેબલ મારીને પણ હાંસલ કરી લેવું.

નવાં સ્મારક બનાવવાં અને જૂનાં સ્મારકોને જાળવી રાખવાં એ કળા છે. શાસકોને તે કળા આવડવી જરૂરી નથી. તેમનું કામ આવી કળા આવડતી હોય તેવા લોકોને કામ સોંપવામાં છે. વર્તમાન સરકારમાં આવા લોકો નક્કી છે. એટલે આવાં સ્મારકોની જાળવણીનું કે નવા બાંધકામનું કોઈ પણ કામ નીકળે તો તેના આર્કિટેક્ટ કોણ હશે અને કઈ એજન્સી તે સ્મારકનું ઇતિહાસનું, સુશોભનનું તેમ જ ઇતિહાસના અનુકૂળ સુશોભનનું કામ કરતી હશે, એની ધારણા સહેલાઈથી કરી શકાય અને મોટે ભાગે તે ધારણા ખોટી ન પડે. કોઈ તેને મળતીયાઓને લાભાન્વિત કરવાની નીતિ કહી શકે, તો કોઈ સાતત્ય પણ કહી શકે. પરંતુ અંતે નવનિર્મિત સ્મારકની જે દશા થાય છે તે જોતાં એટલું ચોક્કસ સમજાય છે કે ઘણાં નવનિર્માણ ખંડન કે તોડફોડ કરતાં પણ વધારે ખતરનાક હોય છે. કારણ કે તેમાં જૂના સ્મારકની ગરીમાનું-ઐતિહાસિકતાનું-વાતાવરણનું પૂરેપૂરું ખંડન થઈ ગયું હોવા છતાં, તે કહેવાય છે નવનિર્માણ. તેને ‘ખંડન’ તરીકે ઓળખાવનારા સરકારવિરોધી અને એવાં બીજાં વિશેષણો મેળવે છે.

ઘણાંખરાં રેસ્તોરાંની પંજાબી સબ્જી માટે કહેવાય છે કે તેમાં રસો તો એકસરખો જ હોય છે, ફક્ત ઉમેરણ બદલાય છે. વર્તમાન સરકારના નવનિર્માણ પ્રોજેક્ટોનો મામલો પણ કંઈક એવો જ લાગે છે. સ્થળ ગમે તે હોય, પણ તેનું નવનિર્માણ કરવાની કે નવા સ્મારકનું નિર્માણ કરવાની તેની પદ્ધતિ એવી છે કે મુલાકાતી પર સ્મારક કરતા સ્મારકના નવનિર્માણની અને તે પ્રોજેક્ટનો હુકમ આપનાર શાસકની અસર વધારે પડે. જેમ કે, ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’ના પ્રવાસે ગયેલા લોકો પાછા ફરીને બગીચાની, લાઇનોની, તોતિંગપણાની, રેલવે સ્ટેશનની, સ્પેશિયલ ટ્રેનોની, ભૌતિક સુવિધાઓની કે તેમાં પડતી મુશ્કેલીઓની વાત કરશે. સરદાર પટેલના જીવનકાર્ય વિશે ભાગ્યે જ કોઈના મોઢેથી કશું સાંભળવા મળશે. એ છે અસલી ટૅક્નિક, જેમાં સરદારના નામે સ્મારક થઈ ગયું, પણ જયજયકાર જેનું સ્મારક છે તેના કરતાં ઘણો વધારે જેણે સ્મારક બનાવ્યું, તેનો થાય. આ થઈ નવા નિર્માણની વાત. જૂની જગ્યાના નવનિર્માણમાં ‘સરદાર પટેલ સ્ટેડિયમ’નું નામ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ થઈ જાય અને સરદાર પટેલનું નામ આખા રમતગમત સંકુલને આપી દેવામાં આવે. ભક્તો તેને સરદાર પટેલનું પ્રમોશન સાથેનું બહુમાન ભલે ગણાવે, પણ જેમણે સમજ ગીરવે નથી મુકી એવા લોકોને તરત સમજાઈ જાય કે આ તો સિનિયર નેતાઓને માર્ગદર્શક મંડળમાં મુકવા જેવું પ્રમોશન છે.

વર્તમાન સરકારનું સ્મારક નવનિર્માણ તંત્ર બીજી રીતે પણ પંજાબી સબ્જી જેવું છે. નવનિર્માણની તેમની વ્યાખ્યામાં અઢળક ખર્ચ, ટૅક્નોલોજિનો ઔચિત્યભાન વગરનો ઉપયોગ, સ્મારકનો આત્મા હણી નાખે એવી ચકાચૌંધ અને ભવ્યતા, લેસર શો-લાઇટિંગ...ટૂંકમાં ઐતિહાસિક સ્થળને પિકનિક માટેના સ્થળના દરજ્જે ઉતારી દેવું અને ધ્યાન રાખવું કે બને ત્યાં સુધી લોકો ઇતિહાસને બહુ અડે નહીં અને અડે તો પણ માત્ર સરકારને અનુકૂળ થાય એવા ઇતિહાસના ટુકડાને જ. સબ્જીની જેમ સ્મારક ગમે તે વ્યક્તિ કે બાબતનું હોય, નવનિર્માણની રીત તો આ જ.

તૂટેલાં કપ-કીટલી-કાચનાં વાસણમાં ફૂલછોડ ઉગાડનારાને આખા કપ-કીટલી-વાસણો જોયા પછી એવો વિચાર આવી જાય છે કે તેને તોડી નાખીએ તો સરસ પૉટ થઈ શકે. વર્તમાન સરકારની સ્મારકો વિશની મનોદશા કંઈક એવી જ છે. જ્યાં જીવનનો-આત્માનો સળવળાટ હોય તેવાં ઠેકાણાંને જોઈને પણ તેમને થતું હશે કે જૂનાને ખતમ કરી દઈએ, તો નવું સરસ બનાવી શકાય. ઔચિત્યનો વિચાર કર્યા વિના સરકાર સ્મારકોને જે રીતે બાહ્ય ઝાકઝમાળની જરીમાં ઝબકોળી રહી છે, તે જોતાં વર્તમાન શાસક અને સરકારને તેમનું અલાયદું સ્મારક બનાવવાની ભાગ્યે જ જરૂર પડે. તેમના દ્વારા નવનિર્મિત સ્મારકોમાં તેમનાં વિચારસરણીની-શાસનકાળની-કાર્યપદ્ધતિની-મથરાવટીની સાચી રજૂઆત થઈ ચૂકી છે.

Saturday, August 28, 2021

મેઘાણી વિશે બે દહાડામાં ઘણું બધું લખાઈ ગયા પછી...

ઝવેરચંદ મેઘાણી ('ઊર્મિ અને નવરચના' મેઘાણી સ્મૃતિ અંકમાંથી)

ઝવેરચંદ મેઘાણી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, લોકસાહિત્યના સંશોધક, નાટ્યકાર, વિવેચક, આસ્વાદક, અનુસર્જન કરનાર, પત્રલેખક, પત્રકાર, કટારલેખક, તંત્રી, ગાયક, સ્વતંત્રતા સેનાની...આ બધું જ હતા. ગુજરાતી સાહિત્ય-લેખનમાં આટલી બધી વૈવિધ્યપૂર્ણ સર્જકતા જૂજ લોકોને મળી હશે. બે-એક દિવસથી તેમના વિશે ઘણી વાત થઈ અને થઈ રહી છે ત્યારે, તે શું ન હતા તે પણ નોંધવા જેવું છે. કદાચ તેમના વિશેની સમજમાં થોડા વધુ મુદ્દા ઉમેરાય.

  • ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ અને ગાન ગાંધીજીને ખૂબ પસંદ હતાં. પરંતુ તેમણે ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રિય શાયર’ કહ્યા હોય એવો કોઈ અધિકૃત ઉલ્લેખ ગાંધીસાહિત્યમાંથી કે ગાંધીજીના નિકટના સાથીદારના લખાણમાંથી હજુ સુધી જોવા મળ્યો નથી. તેમના અવસાન પછી સરદારે દિલ્હીથી લખેલા પત્રમાં પણ 'રાષ્ટ્રિય શાયર'નો કોઈ ઉલ્લેખ નથી. હકીકતમાં મેઘાણીની મહાનતાને ‘રાષ્ટ્રિય શાયર’ જેવા કોઈ છોગાની જરૂર નથી. આવાં છોગાં અખબારી મથાળાં માટે ઉપયોગી બને, પણ તેનાથી મેઘાણીની બીજી ઘણી પ્રતિભાઓ અનાયાસે ઢંકાઈ જાય છે. 
    ઝવેરચંદ મેઘાણીના અવસાન નિમિત્તે સરદાર પટેલનો પ્રતિભાવ

  • ‘મેઘાણી એટલે ચારણી-કાઠિયાવાડી સાહિત્ય-તળ સૌરાષ્ટ્રના શબ્દો’—એ માન્યતા પણ બહુ અધૂરી છે. તેનો એક જ નમૂનો છે 'માણસાઈના દીવા'માં મેઘાણીએ આત્મસાત્ કરેલી મહી કાંઠાના ભાષા. રવિશંકર મહારાજ જેવા મહાન સેવકની કામગીરી મેઘાણીએ જે રીતે ઝીલી છે, તેમાં નકરું આલેખન, રિપોર્ટિંગ, દસ્તાવેજીકરણ કે ભાષાના ભભકા નથી. તેમાં માનવમનનાં ઊંડાણની અને તેના પ્રવાહોની સમજ તથા સમસંવેદન છે. આ પુસ્તકની 1947થી 1967 સુધીમાં ત્રણ આવૃત્તિ અને પછી દસ પુનઃમુદ્રણ થયાં હતાં. કારણ કે ત્યારના ગુજરાતની રવિશંકર મહારાજ અને શ્રી શ્રી રવિશંકર વચ્ચે ગોટાળો થાય એવી અવદશા ન હતી.
  • મેઘાણી મુખ્યત્વે મધુર ગીત-કવિતાઓ, ભભક ધરાવતી શબ્દાવલિના કવિ-લેખક કે શૌર્ય પ્રેરતાં કાવ્યોના રચયિતા—એવી માન્યતા પણ યોગ્ય નથી. આપણા સમાજનાં છેવાડાનાં ગણાતા લોકોના જીવનસંઘર્ષને વ્યાપક સ્વરૂપે રજૂ કરતી તેમની ઘણી કવિતાઓ અને કૃતિઓ છે, જે યાદ કરાતી નથી.
  • મેઘાણી એટલે હિંદુ-મુસલમાન એકતાના પ્રખર સમર્થક અને ધાર્મિક લાગણીના આટાપાટા વીંધીને અંદરના માણસનું દર્શન કરાવનાર. સંઘર્ષને બદલે સહઅસ્તિત્વના ઇતિહાસમાંથી બોધ ખેંચનાર અને તેની સુદૃઢતા માટે કોશિશ કરનાર જણ. તેમના આ પાસા વિશે આપણા કહેવાતા રાષ્ટ્રવાદીઓ જાણે કે વાંચે, તો મેઘાણી તત્કાળ ડાબેરી, સેક્યુલર, લિબરલ, હિંદુવિરોધી વગેરેમાં ખપી જાય. (તસવીરમાં ફૂલછાબની ભેટ પુસ્તિકા તરીકે તેમણે તૈયાર કરેલી કેટલીક પુસ્તિકોનાં પૂંઠાં મૂક્યાં છે.) 
    મેઘાણી અને સતીકુમારે તૈયાર કરેલી 'ફૂલછાબ'ની કેટલીક ભેટ પુસ્તિકાઓ
  • મેઘાણી એટલે સાહિત્યમાં અને સાહિત્ય થકી, સામાન્ય માણસમાં રહેલી અસામાન્યતા પ્રગટાવવાની મથામણ કરનાર, તેમનામાં ટમટમતા માણસાઈના દીવાની વાટ સંકોરનારા સર્જક. મુદ્દે, મેઘાણી એટલે લોકના માણસ. તેમનું સાહિત્ય અઘરું નહીં. લોકને સમજાય એવું. લોકભોગ્ય ખરું, પણ લોકરંજક નહીં. લોકને ગલગલિયાં કરાવે એવું બિલકુલ નહીં.
  • ગઈ કાલે એવું વાંચવામાં આવ્યું કે ‘આપણે જે ભાષા બોલીએ છીએ, આપણી નવગુજરાતી પેઢી જે ભાષા સમજે છે એનો પાયો ઝવેરચંદ મેઘાણી, ચંદ્રકાંત બક્ષી જેવા અનેક લેખકોએ નાખ્યો. ન સમજાય એવું ભદ્રંભદ્રિય ગુજરાતી બોલવાને બદલે એમણે આપણને શીખવ્યું કે આપણી જ ભાષાના ભૂલાઈ ગયેલા શબ્દપ્રયોગો અને અન્ય ભાષાઓના સારા શબ્દોને આપણી ભાષામાં ઉમેરવાથી ભાષાનું શબ્દભંડોળ અને સમૃદ્ધિ વધે છે.’ 
  • આ વિશ્લેષણમાં બે-ત્રણ પાયાના પ્રશ્નો છે.
    . (1) ભદ્રંભદ્રિય ન હોય એવી ભાષાના અસંખ્ય પેટાપ્રકાર છે. તેમાં ગલગલિયાંથી ગહન ઊંડાણ સુધીનું વૈવિધ્ય છે. ગાંધીયુગના અને ત્યાર પછીના મોટા ભાગના લેખકો ભદ્રંભદ્રિય ન હોય એવી ભાષામાં જ લખતા રહ્યા છે. તેમાં મેઘાણીને અલગ તારવી શકાય નહીં. અને એવા બહુ બધા લેખકો હોય તો 'બે અને બીજા ઘણા' એવું કહેવાથી કશો અર્થ ન સરે. વિશેષ ઉલ્લેખ હોય વિશેષતાનો જ હોય. (2) તેમને, ભલે આ બાબત પૂરતા પણ, બક્ષીની હરોળમાં મુકવાની ચેષ્ટા વિશે કંઈ ન કહેવામાં જ સાર છે. (3) આપણી ભાષાના ભૂલાઈ ગયેલા શબ્દપ્રયોગો વાપરવાનું મેઘાણીમાંથી કયા ‘નવગુજરાતી’ શીખ્યા? છેલ્લા બે-ત્રણ દાયકાથી તો લખનારામાં પ્રચલિત-રૂઢ શબ્દોની જગ્યાએ અંગ્રેજી ઠઠાડવાની હોડ જામેલી હતી અને હવે તો એ પ્રક્રિયા લગભગ પૂરી થવાના આરે છે. (4) મેઘાણી પ્રચંડ સર્જકતા ધરાવતા હોવાથી, અભિવ્યક્તિની તાલાવેલીમાં તે ઘણા મૌલિક શબ્દો નીપજાવતા હતા. 
  • નકરા શબ્દોના સાથિયા પૂરનારાં, શબ્દાળુ, દૂધમાં ને દહીંમાં પગ રાખનારાં, અપ્રામાણિક, શાસકોની-સત્તાસ્થાનોની ચાપલૂસી કરનારાં લખાણ ન લખવાં, એ મેઘાણીની એક મોટી ખાસિયત હતી. એવાં લખાણ સામેનો તેમનો આક્રોશ અને અભિપ્રાય તેમના અનેક પત્રો-લેખોમાં જોવા મળે છે.

મેઘાણીની અનેકવિધ પ્રતિભાઓ અને વિશાળ પ્રદાન મૂકીને તે જે નથી અને તેમણે જે નથી કર્યું, તે આગળ કરવામાં આવે, ત્યારે કમ સે કમ આટલું યાદ કરવું રહ્યું.

'ઊર્મિ અને નવરચના' (એપ્રિલ 9, 1947) ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ અંકમાં પ્રગટ થયેલી મેઘાણીનાં 83 પુસ્તકોની યાદી 



Tuesday, August 24, 2021

જાહેરખબરમાં ફોટો

કાર્યક્રમોમાં હદ બહારનો સમય બગાડતા સંચાલકો વિશે સુરેશ દલાલે તેમની શૈલીમાં કહ્યું હતું કે આ તો ડ્રોઇંગ રૂમ કરતાં બાથરૂમ મોટો હોય એવી વાત છે. પરંતુ કેટલાક લોકો જેને ન્યૂ ઇન્ડિયા કહે છે તે નવા, પોસ્ટ ટ્રુથ, સત્યને આખરી ગણવાને બદલે તેને ક્યાંય પાછળ છોડીને નીકળી ગયેલા ભારતમાં બાથરૂમ ફક્ત ડ્રોઇંગ રૂમ કરતાં જ નહીં, બધા રૂમ કરતાં મોટો હોય, તે ન્યૂ નૉર્મલ છે. એટલું જ નહીં, આખા ઘરમાં બીજો એકેય રૂમ જ ન હોય અને જ્યાં જ્યાં નજર તમારી ફરે, ત્યાં ઘરમાં ફક્ત ને ફક્ત બાથરૂમો જ જોવા મળે એવી પરિસ્થિતિ છે. લોકોના એક મોટા વર્ગે સચ્ચાઈના નામનું નાહી નાખ્યું છે અને તેમને વારંવાર સચ્ચાઈના નામનું નાહી નાખવાની જરૂર પડે છે, એટલે આવું હશે? એ સંશોધનનો વિષય છે—અને અધ્યાપક આલમનો આંતરિક-અંતરંગ પરિચય ધરાવતા લોકો જાણતા હશે કે લખાણોમાં જેમના માટે આ તો અલગ સંશોધનનો વિષય છે—એવું જાહેર કરવામાં આવે, તે વિષયો પર કદી સંશોધન થતું હોતું નથી.

ન્યૂ ઇન્ડિયાની ડ્રોઇંગ રૂમ કરતાં બાથરૂમ મોટો—એ સ્કીમ સરકારી જાહેરખબરોનાં હોર્ડિંગને પણ લાગુ પડે છે.  તેનો તાજો પરચો ઑલિમ્પિક વિજેતાઓના અભિવાદન અને સન્માન માટે યોજાતા કાર્યક્રમોમાં જોવા મળ્યો. પરદેશથી આવેલાને તો એવો જ સવાલ થાય કે તમારા બધા ઑલિમ્પિક મૅડલ વિજેતા ખેલાડીઓ અને મહિલાઓ સુદ્ધાં એક સરખા કેમ લાગે છે અને બધા આટલી લાંબી સફેદ દાઢી કેમ રાખે છે?’ થોડા વખત પહેલાં વૅક્સિન સર્ટિફિકેટના મામલે આવું થયું હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. તે ખરેખર બન્યો હતો કે નહીં, તેની ખબર નથી, પણ તે બન્યો હોય તો નવાઈ કે આશ્ચર્ય ન ઉપજાવે એટલો તાર્કિક હતો.

થયું એવું કે પરદેશના એક એરપોર્ટ પર ભારતીય પ્રવાસી માટે વૅક્સિન સર્ટિફિકેટ માગવામાં આવ્યું. તેમણે એ બતાવ્યું, તો પ્રમાણપત્રો તપાસનાર અધિકારીએ કહ્યું કે તમારો પાસપોર્ટનો ફોટો અને વૅક્સિન સર્ટિફિકેટ ઉપરનો ફોટો મળતા આવતા નથી, માટે તમારું પ્રમાણપત્ર માન્ય નહીં ગણાય. ત્યાર પછી પ્રવાસીએ તેમને ધીરજથી, વિશ્વગુરુની અદાથી જ્ઞાન આપવું પડ્યું કે વૅક્સિન સર્ટિફિકેટ પર તમે જેમનો ફોટો જુઓ છો, તે દાઢિયલ જણ તો અમારા સ્વનામધન્ય વડાપ્રધાનશ્રી છે. ત્યાર પછી, કહે છે કે, એરપોર્ટ પરના અધિકારીએ પોતાનાં બીજાં સહકાર્યકરોને ભેગાં કર્યાં અને આપણું વૅક્સિન સર્ટિફિકેટ બતાવીને તેમને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું. 

એવું જ ઑલિમ્પિકમાં વિજેતા ભારતીય ખેલાડીઓ માટે પણ થઈ શકે એમ હતું. સન્માન સમારંભ ગોલ્ડ મૅડલ જીતનાર ખેલાડી નીરજ ચોપરાનો હોય અને ચોતરફ મોટી મોટી તસવીરો વડાપ્રધાનની જોવા મળે. ખેલાડીઓના ફોટા તો નાનાં ગોળાકારમાં મુકી દીધા હોય. સીધી વાત છે ભાઈ. તમે ગમ્મે તેવા મૅડલ જીતો, કંઈ દેશથી મોટા થોડા થઈ જાવ? અને દેશ એટલે વડાપ્રધાન, એવું ફક્ત સાયબર સૅલ જ નહીં, ભક્તો પણ માને છે. તેમાં ઔચિત્યની વાત વચ્ચે લાવવી નહીં. કેમ કે, ન્યૂ ઇન્ડિયામાં ઔચિત્યભંગની વાત કરનારા માટે હળવામાં હળવો ઠપકો છેઃ તમે તો બહુ નૅગેટિવ છો. તેનાથી આગળ તો લિબરલથી માંડીને અર્બન નક્સલ સુધીની લાંબી યાદી છે.

વડાપ્રધાન જો દિખતા હૈ વો બિકતા હૈના સિદ્ધાંતમાં માને છે, એવું તેમની વીસ વર્ષની કાર્યપદ્ધતિના આધારે કહી શકાય. છેલ્લાં એક-બે વર્ષમાં તે જો દિખતા હૈ, વહ બેચતા હૈનું સૂત્ર ચરિતાર્થ કરવા લાગ્યા હોય એવું પણ લાગે છે. તેમની દેખાવાની શક્તિ વધારે છે કે જોઈ લેવાની, તે વિશે તેમને નજીકથી જાણનારા લોકો અવઢવમાં છે. પરંતુ એ બંને તેમના રસના વિષયો અને આવડતનાં પ્રિય ક્ષેત્રો છે, એ વિશે સર્વસંમતિ છે. બંને પ્રકારનાં કામ વચ્ચે એક સામ્ય એ પણ છે કે તેમને જાહેર ધોરણે કરવામાં આવે, તો જ તેમની મહત્તમ અસર નીપજે છે. કોઈને જોઈ લેવાના થાય, ત્યારે તે કામ એવી રીતે કરવામાં આવે છે કે જેથી બીજા લોકો બીએ અને તેમની નજરમાં ન આવી જવાય, એ માટે આઘાપાછા થઈ જાય. એવી જ રીતે, દેખાવાનું કામ પણ લાજશરમ મુકીને જ કરવું પડે. ક્રેડિટ છીનવવા જવું ને દોણી સંતાડવી—એ જમાનો વીતી ગયો. હવે બીજા કોઈનો ફોટો ન છૂટકે મૂકવો પડે, તો પોતાનો ફોટો તેનાથી બે-ત્રણ ગણો મોટો તો મૂકી જ દેવો પડે. દૂરથી જોનારને સમજાઈ જવું જોઈએ કે આ દેશમાં જે કંઈ (ખાનાખરાબી સિવાયનું) થઈ રહ્યું છે તેના કર્તા કોણ છે. ખાનાખરાબીનો કર્તા કોણ છે, એ જણાવવા માટે તો ફોટો મુકવાની પણ ક્યાં જરૂર છે?

એકનો એક ફોટો જોઈને લોકોને કંટાળો આવશે ત્યારે સાહેબના જુદાં જુદાં પશુપંખીઓ સાથેના ફોટા પણ આવશે. જુદા જુદા પોશાકમાં, દરેક વખતે અલગ માસ્ક સાથે, દાઢીની અલગ અલગ પ્રકારની કર્તનકલા સાથેના, વિવિધ મુદ્રાના એમ કંઈક ફોટા આવી શકે છે. હા, એક બાબતે પ્રજા આશ્વસ્ત રહી શકે છેઃ આ વૈવિધ્યમાં બીજા કોઈ માણસનો ફોટો કદી નહીં આવે અને તે ધારો કે અનિવાર્ય કારણોસર આવે તો પણ તે એવી રીતે આવશે કે જેથી કોનો ફોટો રાષ્ટ્રહિત માટે વધારે અનિવાર્ય છે તે પ્રજાને તરત સમજાઈ જાય.

Monday, August 16, 2021

તાલિબાનો વિશેની શ્રેણી : વીસ વર્ષ પહેલાં

(ફેસબુક પરની પોસ્ટ- જૂના લેખના કટિંગ સાથે)

 અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પહેલી વાર ઉપાડો લીધા પછી, 2001માં 'સંદેશ'માં તેમના વિશે ત્રણ ભાગની લેખમાળા લખી હતી  તેના બે ભાગનાં કટિંગ અહીં નમૂના ખાતર મુક્યાં છે. (ત્રીજો ભાગ સચવાયો હોત તો સારું થાત. પણ તે કોઈ કારણસર સચવાયો નથી.) ત્યારે તાલિબાનો વિશે થોડુંઘણું વાંચ્યા પછી જે અભિપ્રાય હતો, તે 2021માં પણ બદલાયો નથી--તે બદલવા માટેનું કોઈ કારણ મળ્યું નથી.

ઇસ્લામનું સૌથી વરવું-સૌથી ભયંકર અર્થઘટન અમલમાં મુકતા તાલિબાનો ખરેખર તો ઇસ્લામના અને માનવ અધિકારના નામે કલંકરૂપ છે. તેમની લોહીયાળ રૂઢિચુસ્તતા કમકમાટી ઉપજાવે એવી રહી છે.  અમેરિકાની ગમે તેટલી દુષ્ટતાથી તાલિબાની આતંકવાદ વાજબી કે ક્ષમ્ય ઠરતો નથી.

'તાલિબાનોને એક તક આપવી જોઈએ' અથવા 'અમેરિકાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું, ત્યાર પહેલાં તે શાસકો હતા. એટલે તે પણ અફઘાનિસ્તાની શાસનના પક્ષકાર (સ્ટેક હોલ્ડર) છે'--આવી દલીલો ગમે તેટલા પાંડિત્ય સાથે કરવામાં આવે તો પણ, તેમાં તાલિબાની આતંક સામે અફઘાનિસ્તાનના સ્થાનિક લોકોની દુર્દશા નજરઅંદાજ થઈ જાય છે. તાલિબાનોની ભયંકરતાનો કોઈ પણ ફુદડી વિના, જો અને તો વિના, બિનશરતી વિરોધ જ કરવાનો હોય. તેમના ખૂણાખાંચરાના ગુણ શોધી કાઢવા, એ તો હિટલરના શાકાહારીપણાના વખાણ કરવા જેવું થાય.

ધર્મનાં વરવાં અર્થઘટન કરતાં, ધાર્મિક લાગણીઓ બેફામ બહેકાવતાં તત્ત્વોના હાથમાં રાજસત્તા આવે, તો કેવું પરિણામ આવે, સતેનો બોધપાઠ તાલિબાનમાંથી લઈ શકાય છે. તાલિબાનો જે શીખરે પહોંચી ચૂક્યા છે, તે દિશાની ધીમી ગતિ પણ આપણા માટે ઉજવણાંનું અને ગૌરવનું નહીં, ચિંતાનું અને આત્મખોજનું કારણ હોવી જોઈએ. સવાલ માત્રાભેદ કરતાં વધારે પ્રકારનો અને દિશાનો હોય છે. એ દિશામાં ગતિ શરૂ થાય અને આગળ વધે, ત્યારે યોગ્ય પગલાં ન લેવાય તો ઘણી વાર બહુ મોડું થઈ જતું હોય છે. પછી થતી દુર્દશામાં કોઈ મદદ કરી શકતું નથી.

 

Tuesday, August 10, 2021

એક જંગલની વાર્તા

એક જંગલ હતું. તેમાં એક શિયાળ રહેતું હતું. તેને જંગલના રાજા થવાના બહુ કોડ હતા. એ જંગલમાં વાઘ-સિંહની વસ્તી ન હતી. થોડા ઉંમરલાયક હાથીઓ હતા. તેમાંથી કેટલાક ઉંમરને કારણે ધોળા થઈ ગયા હતા. તે થોડુંઘણું કામ કરતા હતા. તેમને પાલવવાનો ખર્ચ બહુ મોટો હતો. છતાં, તેમનાથી વધારે તાકાતવાન કોઈ ન હોવાથી, બીજાં પ્રાણીઓ સાથે મળીને તે જંગલનો વહીવટ ચલાવતા હતા.  શિયાળોને હાથીરાજ સામે બહુ વાંધો હતો. તેમને થતું હતું કે પહેલેથી શિયાળવાંની ઉપેક્ષા થતી આવી છે. તેમને લુચ્ચાં, કિન્નાખોર, દુષ્ટ ગણવામાં આવ્યાં છે. વર્ષોથી તે જંગલમાં પોતાની હાજરી—જે ઘણાને ન્યૂસન્સ વૅલ્યુ લાગતી હતી—પુરાવતાં રહ્યાં છે. છતાં જંગલમાં તેમના પ્રદાનની કોઈએ કદર કરી નથી. કેટલાંક વૃદ્ધ શિયાળ જંગલના ઇતિહાસમાં પોતાના વડવાઓના પ્રદાન વિશે—એટલે કે પ્રદાન ન હોવા વિશે--શરમ અનુભવતાં હતાં. પણ બદલાયેલાં સમયનાં શિયાળો એમ ગાંજ્યાં જાય એવાં ન હતાં. તેમાંથી એક શિયાળને થયું કે હાથીઓ સાથે તેમની પીચ પર રમવા જઈશું, તો સાત જનમેય આપણો વારો નહીં આવે. એને બદલે હાથીઓ આપણી શરતે રમવા આવે, એવું કંઈક કરવું જોઈએ.  

મુખિયા બનવા માગતા શિયાળે પસંદ કરેલા કેટલાક સાગરીતો સમક્ષ આ વાત મૂકી, ત્યારે પહેલાં તો સન્નાટો છવાઈ ગયો. કારણ કે ત્યાર પહેલાં શિયાળાઓએ એક જ દિશામાં કામ કર્યું હતું. જંગલમાં વિવિધ પ્રાણીઓ વચ્ચેની દુશ્મનાવટ કેમ કરીને વધે, તે માટે તે પ્રયત્નશીલ રહેતાં. આમ કરવામાં તેમને ફાયદો એ હતો કે ધીમે ધીમે પ્રાણીઓનો એક સમુહ કાળા-ધોળા હાથીઓની નેતાગીરી પ્રત્યે અવિશ્વાસ સેવતો થઈ ગયો હતો. તેમને થવા લાગ્યું હતું કે હાથીઓ નકામા છે. એટલું જ નહીં, ઘણા પ્રાણી સમુદાયોની અવદશા માટે તે સીધેસીધા જવાબદાર છે. તેમના કારણે જંગલની દશા બેઠી છે અને આવું જ ચાલ્યું તો જંગલમાંથી અમુક પ્રાણીઓની પ્રજાતિઓનું નામોનિશાન એવી રીતે મટી જશે, જેમ ડાયનોસોર પૃથ્વીના પટ પરથી ભૂંસાઈ ગયાં.

આમ, વાતાવરણ થોડુંઘણું તૈયાર થયેલું હતું. તેમાં મુખિયા બનવા માગતા શિયાળે આયોજન રજૂ કર્યું, એટલે શિયાળો વિચારમાં પડી ગયાં. પ્લાન અત્યંત મહત્ત્વાકાંક્ષી હતો અને સફળ થાય તો જંગલમાં શિયાળરાજ સ્થપાઈ જાય, તે નક્કી હતું. પણ તેના માટે જંગલના જે કંઈ ધારાધોરણો છે તે બધાં સદંતર નેવે મૂકી દેવાં પડે. શિયાળ સમુદાયને અમસ્તો પણ ધારાધોરણો માટે ખાસ પ્રેમ ન હતો. છતાં, તેમને લાગતું હતું કે તેમને સાવ નેવે મૂકી દેવાય? મુખિયા થવા માગતા શિયાળે સમજાવ્યું કે આ તો થોડા સમયનો સવાલ છે. એક વાર જંગલમાં શિયાળરાજ થઈ ગયા પછી આપણે નવેસરથી, આપણને અનુકૂળ પડે એવી રીતે ધારાધોરણો લાવીશું અને તેનો કડકાઈથી અમલ પણ કરાવીશું.

એક વૃદ્ધ શિયાળ આ બધું સાંભળી રહ્યું હતું. તેણે વર્ષોથી મુખિયા થવાનું સપનું જોયું હતું, પણ તે કદી પૂરું થયું ન હતું. તેને લાગ્યું કે કદાચ શિયાળરાજ આવી જાય તો તેનું સપનું સાકાર થાય. એટલે તેણે પણ મહત્ત્વાકાંક્ષી શિયાળને ટેકો આપ્યો. ત્યારે તેને ખ્યાલ ન હતો કે શિયાળ સમુદાયની અને જંગલના હિતની વાત કરી રહેલા શિયાળના મનમાં શી ગણતરી હતી. મુખિયા બનવા થનગનતા શિયાળે પણ પોતાની મુખિયાગીરી જાહેર કરવાને બદલે, શિયાળ સમુદાય વતી, તેના હિત માટે આખું આયોજન હોવાનો ડોળ ચાલુ રાખ્યો. ઝરખ જેવાં કેટલાંક હિંસક પ્રાણી સમુદાયોનો શિયાળ સમુદાયને બિનશરતી ટેકો હતો. કારણ કે તેમને લાગતું હતું કે જંગલમાં હાથીરાજ જશે અને શિયાળરાજ આવશે તો તેમના પણ સારા દિવસો શરૂ થશે.

કેટલાંક જિજ્ઞાસુ શિયાળોએ મુખિયા બનવા માગતા શિયાળને પૂછ્યું કે આ બધું તો બરાબર, પણ આપણે કરવાનું શું? તેનો જવાબ હતોઃ આપણે જે કંઈ કરીએ તે જંગલના હિતમાં છે, એવું ગાઈવગાડીને કહેતા રહેવું પડશે. હાથીઓએ જંગલને કેટલું બરબાદ કર્યું છે અને જંગલમાંથી હાથીઓને શા માટે હાંકી કાઢવા જોઈએ, તે સમજાવવા મચી પડવાનું રહેશે. તે માટે હજારોની સંખ્યામાં પોપટોને કામે લગાડવા પડશે, જે આખો દિવસ આપણું પઢાવેલું રટ્યા કરે. આપણે ભૂલથી કે ઉંઘમાં પણ, કોઈ પણ હિસાબે સાચું ન બોલી જઈએ તેનું ધ્યાન રાખવું પડશે અને જૂઠાણું શક્ય એટલા વધારે જોરથી બોલવાનું રહેશે. આ કામ માટે અઢળક સામગ્રીની અને સાગરીતોની જરૂર પડશે. જંગલમાં જુદા જુદા ઠેકાણે શિયાળ-ઝરખ-વરૂ જેવાં પ્રાણીઓની ટુકડીઓ ઊભી કરવી પડશે, જે જંગલના કોઈ પણ ખૂણે આપણા વિશે વાત થતી હોય ત્યાં જઈને આતંક મચાવે અને આપણો કક્કો ખરો કરાવીને જંપે. કોઈ વાત ન કરતું હોય ત્યાં જઈને પણ તેમણે દરેકેદરેક બાબતમાં શિયાળોનું મહિમાગાન કરવું પડશે. જંગલમાં વરસાદ પડે તો શિયાળોને કારણે પડ્યો અને દુકાળ પડે તો તે હાથીઓને કારણે, એવું બધું લોકોને સતત ઠસાવ્યા કરવું પડશે. જંગલનાં બધાં પ્રાણીઓને લાગવું જોઈએ કે શિયાળ જ ઉદ્ધારક છે અને શિયાળરાજ આવશે તો જંગલનો ઉદ્ધાર થઈ જશે. પણ એવું ન થયું તો જંગલનું નામોનિશાન મટી જશે.

આ પ્રમાણેનું આયોજન સફળતાપૂર્વક અમલમાં મુકાયું. ત્યાર પછી શિયાળની વાર્તા ચાલુ છે, પણ જંગલની વાર્તા પૂરી થઈ ચૂકી છે.