Tuesday, April 26, 2022

વિરોધ અને તરફેણઃ કેટલીક પ્રાથમિક સમજ

'આપ'ની કિન્નાખોરીને કારણે પંજાબ પોલીસ કુમાર વિશ્વાસના ઘરે પહોંચી અને મહારાષ્ટ્રની શિવ સેના સરકારે સાવ ફાલતુ કેસમાં સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની ધરપકડ કરીને તેમની સામે રાજદ્રોહ જેવો ગંભીર ગુનો ઠોકી દીધો.

એટલે જિજ્ઞેશ મેવાણીની એવી જ ધરપકડના મુદ્દે 'કાયદો કાયદાનું કામ કરશે'ની સુફિયાણી હાંકતા મોદીભક્તો આવી ગયા અને કહેવા લાગ્યા કે કુમાર વિશ્વાસ અને રાણા દંપતિ વિશે કેમ નથી બોલતા?

***

આ બહુ જૂનો દાવ છે. છતાં, જેમના માટે તે નવો હોય, તેમણે એ સમજી લેવા જેવો છે, જેથી ભક્તોની છેતરામણી, તર્કાભાસી દલીલથી ગુંચવાડો પેદા ન થાય.

દરેક વ્યકિતને બધા પક્ષ કે બધી ઘટનાઓ એકસરખી અનિષ્ટ લાગે એ જરૂરી નથી. જેમ કે, કોઈને ભાજપ સૌથી મોટું અનિષ્ટ લાગે, કોઈને કોંગ્રેસ સૌથી મોટું અનિષ્ટ લાગી શકે, તો કોઈને 'આપ' કે બીજા પક્ષ.

દરેક વ્યક્તિ દરેક કિસ્સા-પ્રસંગ-ઘટના પર પ્રતિક્રિયા આપે તે જરૂરી નથી. તે શક્ય પણ નથી.  તેની (ઉપર જણાવેલી) પ્રાથમિકતા, તેને મળતી માહિતી, સમયની અનુકૂળતા વગેરે બાબતોના આધારે તે કોઈ ઘટનાની પ્રતિક્રિયા આપે કે ન પણ આપે.

ધારો કે, મેવાણીની ધરપકડનો વિરોધ કરનાર કોઈએ કુમાર વિશ્વાસ કે રાણા દંપતિ વિશે પ્રતિક્રિયા ન આપી. 

- ત્યારે તે કુમાર વિશ્વાસની નોટિસ કે રાણા દંપતિની ધરપકડ વાજબી ઠરાવવા બેસી જાય છે?

- ‘આપ'નો-શિવ સેનાનો બચાવ કરવા દોડી જાય છે?

-  ‘કાયદો કાયદાનું કામ કરશે'--એવું ડહાપણ ડહોળવા બેસી જાય છે?

-  જો ના, તો તેનો અર્થ એ છે કે તેમની પ્રાથમિકતા મેવાણી સાથેના અન્યાયનો વિરોધ છે. 

તેનો અર્થ એવો નથી કે તેમને બીજા અન્યાય મંજૂર છે અને તે અન્યાયકર્તાઓના બચાવમાં છે.

- એવી જ રીતે, કોઈની પ્રાથમિકતા રાણાની ધરપકડ હોઈ શકે. એટલા માત્રથી તે મોદીભક્ત ન બની જાય.

પણ રાણાની ધરપકડ થઈ તે પહેલાં સુધી અને ત્યાર પછી પણ, ભાજપ સરકાર દ્વારા થતા અન્યાય વખતે તે સરકારના બચાવમાં ઉતરે, ‘કાયદો કાયદાનું કામ કરશે’—એવી માળા જપે, તેમને પાકા ભક્ત જાણવા. તેમના સગવડીયા સવાલોનો તાર્કિક જવાબ આપવાની તસ્દી લેવી નહીં.

કોઈ પણ પક્ષ કે સરકારની અન્યાયનો બચાવ કરવા અને બચાવ માટે વળતો હુમલો કરવા દોડી જનારા લોકો પાકા ભક્ત હોય છે. તેવા ભક્તો ભાજપમાં સૌથી મોટી સંખ્યામાં છે. તે સિવાયના તમામ પક્ષોમાં પણ ભક્તો છે. 

એક ઉદાહરણથી વાત કરુંઃ હું ભક્તોની કે નેતાઓની જેમ સામસામા અન્યાયના છેદ ઉડાડતો નથી. કોઈ ભાજપવાળાને રાણા સામેના અન્યાયનો વિરોધ કરવો હોય તો હું તેમાં ટેકો આપું જ અને ઇચ્છું કે મેવાણી સામેના અન્યાયના વિરોધમાં એ પણ જોડાય.

એવું થાય તો અન્યાયનો ભોગ બનેલાને ન્યાય મળે, નાગરિકો એક થાય અને નાગરિકધર્મનો જય થાય. 

***

આ સમજ બિનભક્તો માટે છે. ભક્તો આ રીતે વિચારવા રાજી હોત તો તે ભક્તો થોડા હોત? 

No comments:

Post a Comment