Monday, July 13, 2020

સીમાવિવાદ અને વડાપ્રધાન : ઇન્કાર, ઢાંકપિછોડો, જૂઠાણું, જાતપ્રસિદ્ધિ, આશ્વાસન ઉર્ફે જીત

ડિજિટલ સાપ્તાહિક નિરીક્ષક, ૧૩-૦૭-૨૦

સરહદી સમસ્યા વિશે સાવ ટૂંકમાં વડાપ્રધાનની વર્તણૂકનો હિસાબ મથાળામાં આપી દીધો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દોભાલના પરચા બરકરાર રાખવા માટે એવું પણ કહેવાયું કે ‘જોયું? દોભાલે ચીનના વિદેશી બાબતોના મંત્રી સાથે વાતચીત કરી, એટલે કેવું કોકડું ઉકલી ગયું ને ચીની સેના પાછી હઠવા લાગી.’ વિચારો, દોભાલની છબિની આટલી ચિંતા હોય, તો વડાપ્રધાનના મહિમાની ચિંતા કેટલી હશે? 

લદ્દાખ સરહદે સરકાર માટે સૌથી મોટો સવાલ વડાપ્રધાનની આબરૂનો હતો. આક્રમક રાષ્ટ્રવાદના ડિમડિમ વગાડીને અને મુખ્ય મંત્રી તરીકે ચીન સામે ચીપિયા પછાડીને આટલે પહોંચેલા વડાપ્રધાનના રાજમાં ચીની સૈન્ય સરહદે અવળચંડાઈ કરી જાય અને લાઇન ઑફ કન્ટ્રોલથી ભારતની બાજુએ ઘુસી આવે તે પહેલો ફટકો. ત્યાર પછી પણ મહિનાઓ સુધી તેમની સામે એવો કોઈ ખેલ પાડી ન શકાય કે જેથી વડાપ્રધાનને સુપરમૅન ગણતું ઑડિયન્સ રાજી થઈ જાય, એ બીજો ફટકો. વીસ ભારતીય જવાનોની શહીદીનો ડાઘ તો ચીની સૈનિકોનાં મૃત્યુનો આંકડો ચગાવીને ધોવાનો પ્રયાસ થયો. ક્યાંકથી ચાળીસ, તો ક્યાંકથી સો ચીની સૈનિકો માર્યા ગયાના સમાચાર વહેતા થયા. આ સમયગાળાની બીજી તાસીરઃ સત્તાવાર રીતે સરકાર કશું કહે જ નહીં. સૂત્રો થકી તે ગમે તેવા દાવા કરાવી શકેઃ દાવા ચાલે તો જશ ખિસ્સામાં ને દાવા જૂઠા પુરવાર થાય તો ‘અમે ક્યાં કશું કહ્યું જ છે?’

સૈન્યમાં અફસર તરીકે સેવાઓ આપી ચૂકેલા પત્રકાર અજય શુક્લે ૧૧ જુલાઇ,૨૦૨૦ના તેમના લેખમાં જે ચિત્ર આપ્યું છે તેનો સારઃ સમજૂતીની ફૉર્મ્યુલા પ્રમાણે, ગલવાન વૅલી વિસ્તારમાં બંને સૈન્યો તેમના વર્તમાન સ્થાનથી એક-એક કિ.મી. પાછાં ખસશે. મતલબ, ભારતની હદમાં આવેલા પેટ્રોલિંગ પોઇન્ટ ૧૫ પાસે ચીની સૈનિકો બેથી ત્રણ કિલોમીટર જેટલા અને પેટ્રોલિંગ પોઇન્ટ ૧૭-એ પાસે ઓછામાં ઓછા એક કિલોમીટર જેટલા ભારતની હદમાં રહેશે. એવી જ રીતે, પેન્ગોન્ગ લેક પાસે ચીની સૈનિકો ફિંગર-૪ની પહાડીથી પાછા ખસીને ફિંગર-૫ સુધી જશે, જ્યારે ભારતીય સૈનિકો ફિંગર-૪થી પાછા ખસીને ફિંગર-૩ સુધી આવશે. યાદ રહે કે અત્યાર લગી ભારતીય ચોકી ફિંગર-૪ સુધી હતી અને ભારતીય સૈન્ય ફિંગર-૮ સુધીના વિસ્તાર પર દાવો ધરાવતું હતું. નવી સમજૂતી પછી ભારતે ફિંગર-૮થી ફિંગર-૩ સુધી લગભગ દસેક કિ.મી.નો વિસ્તાર હાલપૂરતો જતો કરવાનો આવ્યો છે અને સંઘર્ષ પહેલાં જ્યાં ભારતની ચોકી હતી તે ફિંગર-૪ને બંને દેશો વચ્ચેના બફર ઝોન તરીકે સ્વીકારવો પડ્યો છે. 

નવાઈની તો નહીં, છતાં નોંધવા જેવી બાબત એ છે કે સરહદી મુદ્દે પણ વડાપ્રધાને તેમની રાબેતા મુજબની શૈલીથી જ કામ લીધું છે, જેમાં જમીની વાસ્તવિકતા કરતાં પ્રચારની જીત મહત્ત્વની ગણાતી હોય.

No comments:

Post a Comment