Sunday, March 01, 2020

દિલ્હીની કોમી હિંસા અને આપણે

એક મિત્રે પૂછ્યું કે દિલ્હીમાં મુસલમાન હિંસા કરતા હોય, એના વિડીયો પણ હોય, તો એ સંજોગોમાં આપણે શું કરવાનું? અથવા આપણું વલણ શું હોવું જોઈએ?

કોમવાદનો વિરોધ કરનારા ઘણા લોકોને પણ આ પૂછનાર જેવો સવાલ થઈ શકે. એટલે તેની જાહેરમાં જ વાત કરવી જોઈએ, એવું લાગતાં મારો જવાબ અહીં લખું છું.

- પહેલી વાત તો એ છે કે હિંસા કોઈ પણ કરે,  તે મને માન્ય નથી. કોમી હિંસાને બહુ તો સમજાવી શકાય, પણ તેને કોઈ કાળે વાજબી ઠરાવી શકાય નહીં.  હિંસા એ હિંસા જ છે--તે હિંદુની હોય કે મુસલમાનની, જમણેરીની હોય કે ડાબેરીની, આઘાતની હોય કે પ્રત્યાઘાતની. એકેય હિંસાને હું સમર્થન આપી શકતો નથી, વાજબી ઠરાવી શકતો નથી.

- 'તો પછી તમે મુસલમાનોની હિંસાની કેમ વાત કરતા નથી?’ એવો સવાલ દિલ્હીના સંદર્ભે થઈ શકે.  'તમે મુસલમાનોની હિંસાની ટીકા કરતા નથી અને ફક્ત હિંદુઓની હિંસાને વખોડો છું એ બરાબર ન કહેવાય. ન્યાય ખાતર તમારે બંનેની હિંસાને એકસરખી વખોડવી જોઈએ.’ એવું કોઈ કહી શકે. સાંભળવામાં બહુ તાર્કિક લાગે, એવી આ દલીલ થાય, ત્યારે સૌ પહેલાં એટલું વિચારવું પડે કે આ દલીલ કરનારનો આશય શો છે? બીજી શબ્દોમાં, મારી પ્રાથમિક ભૂમિકા જેમ કોઈ પણ હિંસાને અમાન્ય ગણવાની છે,  તેવી જ રીતે આ દલીલ કરનારને પણ બંને પક્ષોની હિંસા અસ્વીકાર્ય છે?

દિલ્હીની વાત કરીએ, તો 'તમે મુસલમાનોની હિંસાની કેમ વાત કરતા નથી?’ એવું કોણ પૂછે છે?
- જે લોકોને આટલા વખતથી ચાલતા શાહીનબાગના આંદોલનમાં જળવાયેલો સંયમ દેખાતો નથી તે?
- જે લોકો બે-ચાર મુસલમાનોના બેફામ બખાળાની સાથે બે મહિનાના શાહીનબાગના અહિંસક દેખાવોને કે સીએએના ટીકાકારોને દેશદ્રોહી કે દેશહિતવિરોધી કે હિંદુવિરોધી ગણાવવા તત્પર છે તે?
-સત્તાધારી પક્ષના નેતાઓ તથા જવાબદાર મંત્રીઓ તરફથી સતત થયેલા હિંસા ભડકાવવાના ભયંકર પ્રયાસ જેમને દેખાતા નથી અથવા તેમાં જેમને કશું વરવું લાગતું નથી, તે?

જો ઉપર જણાવ્યા છે એવા લોકો પૂછતા હોય,  તો તેમના સવાલને સવાલ તરીકે લેવાની અને તેનો જવાબ આપવામાં પડવા જેવું નથી.  કેમ કે, એવા ઘણાખરાને મન તે સવાલ નથી, હથિયાર છે. એ જાણવા માટે નહીં, પ્રહાર કરવા માટે વપરાય છે. તેનો આશય સત્તાધારી પક્ષપ્રેરિત હિંસાના આપણા દ્વારા થતા વિરોધને મોળો પાડવાનો હોય છે.

એવા સવાલનો ગમે તેટલો પ્રામાણિક જવાબ આપો, તેમાંથી કશો સંવાદ નીપજશે નહીં. કેમ કે, તે સવાલ ન્યાયવૃત્તિમાંથી પેદા થયેલો નથી. તેનો આશય સંવાદ નીપજાવીને સમજ અને શાંતિ સ્થાપવાનો નથી. આવો સવાલ ફેંકનારામાંથી કોઈ વડાપ્રધાનપ્રેમી હશે, કોઈ મુસ્લિમદ્વેષી, કોઈ કોંગ્રેસવિરોધી હશે, કોઈ 'આપ'વિરોધી, તો કોઈને ઉદારમતવાદી વલણ સામે વાંધો હશે. આ બધાનું ઓછુંવત્તું મિશ્રણ હોય એવા પણ ઘણા.

આવા લોકોમાંથી કોઈ આપણા માટે 'હિંદુવિરોધી' કે 'દેશહિતવિરોધી'  જેવાં પ્રમાણપત્રો ફાડે તો બચાવની મુદ્રામાં આવી જવું નહીં કે પોતાની તટસ્થતા વિશે શંકામાં ડૂબી જવું નહીં.  (આવા સવાલ પૂછનારામાંથી ઘણાને ગાંધીજી પણ હિંદુવિરોધી લાગતા હોય છે. એટલે, ચાલ્યા કરે.)

- 'પણ મૂળ સવાલ ઊભો રહ્યો. વિડીયોમાં હિંસા કરતા ઝડપાયેલા મુસલમાનોનું શું?’
એનો જવાબ બહુ સાદો છેઃ હિંસા કરતા કોઈ પણ માણસનું કાયદાના રાજમાં શું થવું જોઈએ?  એ જ વિડીયોમાં ઝડપાયેલી વ્યક્તિનું થવું જોઈએ. તે મુસલમાન હોય કે ન હોય, તેનાથી મને કશો ફરક નથી પડતો. મારી અપેક્ષા એટલી જ છે કે હિંસા ફેલાવનાર-ધીક્કાર ફેલાવનાર વ્યક્તિ કયા પક્ષની છે, તે જોયા વિના સરકાર તેની સામે એકસરખાં કડક પગલાં ભરે.

આવું ન થાય અને
- સરકાર ધરાર પોતાના પક્ષની ભયંકર કક્ષાની ઉશ્કેરણીઓ પ્રત્યે આંખ આડા કાન કરતી રહે,
- સરકાર અને તેના કોમવાદના સમર્થકો રાહ જોતા હોય કે ક્યારે મુસલમાન તોફાન કરતા ઝડપાય ને તેમને આગળ કરીને, અત્યાર સધી આપણા પક્ષે ફેલાવેલો બધો ધીક્કાર વાજબી ઠરાવી પાડીએ- હિંસાને 'પ્રતિકાર' તરીકે ખપાવી દઈએ.
- વાજબી જ શા માટે,  આવા ધીક્કારને અગમચેતીભર્યો ઠરાવવાની કોશિશો પણ થાય છે ('જોયું? અમે નહોતા કહેતા? આ લોકો તો છે જ એવા')

આવા સંજોગોમાં, ઉપર જણાવેલી માનસિકતા ધરાવતા લોકો આપણી પાસેથી મુસલમાનોની હિંસાની ટીકાની અપેક્ષા રાખે, ત્યારે આપણે શા માટે બચાવની મુદ્રામાં આવવું જોઈએ?

આપણી ભૂમિકા સ્પષ્ટ છેઃ હિંસા ફેલાવનાર-ધીક્કાર ફેલાવનાર વ્યક્તિ કયા પક્ષની છે, તે જોયા વિના સરકાર તેની સામે એકસરખાં કડક પગલાં ભરે.  અને તે એવું ન કરે,  ઉપરથી પોતે જ ધીક્કાર ફેલાવવામાં કારણભૂત બને, તો આપણે એ સરકારની ટીકા કરવી જ પડે.

તે વખતે મુસલમાનોની હિંસાની અલગથી ટીકા કરવાથી, સરકારપ્રેમીઓને તમને 'તટસ્થ' ગણશે એવા ભ્રમમાં ન રહેવું.  તમે તેમને કદી સંતોષી નહીં શકો. કારણ કે તેમની ભૂમિકા ન્યાયની નથી.

આપણે આપણી જાતને, આપણી નૈતિકતાને, થોડો મોટો શબ્દ વાપરીને કહું તો આપણા અંતરાત્માને જવાબદાર છીએ. તેમાં કોઈની હિંસા માટે કૂણી લાગણીને સ્થાન નથી--તરફેણ કરવાની તો બહુ દૂરની વાત છે.  આપણા મનમાં આટલી સ્પષ્ટતા હોય, ત્યાર પછી દિલ્હીમાં મોટા પાયે અને આક્રમક રીતે સરકારી રાહે ફેલાવાયેલા ધીક્કારની ગંભીર નોંધ લીધા વિના કેમ ચાલે?

4 comments:

  1. આભાર, દરેક સામાન્ય દુઃખી માણસોનાં વિચારો ને શબ્દો આપવા માટે

    ReplyDelete
  2. દિલ્હી હિંસા, પેટીયું રળતા પર હુમલો

    ReplyDelete
  3. Anonymous3:08:00 AM

    ખૂબ જ સ્પષ્ટ વાત કરી, પરંતુ તમે દર્શાવ્યુ તેમ આવા લોકો ને ભારત ને પાકિસ્તાન મોડેલ બનાવવું છે. એટલે એમને પસંદ હોય એવું જ જોવું કે સાંભળવું છે.એવા લોકો થી દૂર રહેવું અથવા ખોટી ચર્ચામાં પડવું નહીં તેજ યોગ્ય છે.
    ખૂબ ખૂબ આભાર ઉર્વીશભાઈ.
    મનહર સુતરિઆ

    ReplyDelete
  4. ઘણા લોકો એવું માને છે કે તમને મુસ્લિમ પ્રત્યે નફરત નથી તો તમે હિન્દૂ વિરોધી છો કે દેશ વિરોધી છો. આવા લોકો ને "ગોલી મારો " વાળા નારા લાગે એની સામે કોઈ વાંધો જ નથી. "સાહેબ" ને પાકિસ્તાન ના હિંદુઓ ની ચિંતા છે પણ ભારત ના જ મુસ્લિમો કે દલિતો ની ચિંતા નથી. તમારી વાત સાથે 100% સહમત છું કે હિંસા કોઈ પણ કરે એને આકરી સજા મળવી જ જોઈએ

    ReplyDelete