Wednesday, October 04, 2017

પ્રચારનાં બાવાજાળાં વચ્ચે સફાઈઝુંબેશ

વડાપ્રધાનની તસવીરો કે વડાપ્રધાનના ભાષણના ટુકડા સાથે સરકારી સ્વચ્છતા ઝુંબેશનો પ્રચારમારો છેલ્લાં ત્રણ વર્ષથી જોરદાર ચાલે છે. 2014ની ગાંધીજયંતિથી શરૂ થયેલી અને ગાંધીને બાહ્ય સ્વચ્છતામાં ખતવી નાખતી આ ઝુંબેશમાં વડાપ્રધાનને ચમકાવતી જાહેરખબરો પાછળ કેટલા રૂપિયાનો ધુમાડો થયો, તે અલગ મુદ્દો છે. પણ આટલા પ્રચારમારા અને ખર્ચ પછી પરિણામ શું આવ્યું?

આ સવાલના ત્રણ રીતે જવાબ આપી શકાયઃ ૧) સ્વચ્છતાના મામલે કેટલી પ્રગતિ થઈ? ૨) આખેઆખા ગાંધીને સ્વચ્છતા પૂરતા સીમિત કરી નાખવામાં કેટલી સફળતા મળી? ૩) સ્વચ્છતાપ્રેમી તરીકે વડાપ્રધાનનું બ્રાન્ડિંગ કેવું થયું?

જવાબ ૧ઃ કેટલાક અહેવાલ પ્રમાણે, શૌચાલયો બનાવવામાં યુપીએ સરકારની સરખામણીમાં વર્તમાન સરકારના રાજમાં સારી પ્રગતિ થઈ છે. અલબત્ત, ખુલ્લામાં શૌચક્રિયા બંધ કરવાના મામલે ધારી (અને દાવા પ્રમાણેની) સફળતા મળી નથી. શૌચાલય બંધાયાં તે આવકાર્ય છે, પરંતુ તેમની ગુણવત્તાથી માંડીને તેના ઉપયોગ અંગે લોકોની ટેવોને બદલવાની બાબતમાં હજુ ઘણા પ્રશ્નો છે. ટેવ બદલવાનું સહેલું નથી--અને કેવળ અઢળક જાહેરખબરોના મારાથી એ સિદ્ધ થઈ શકે તેમ નથી.

'વેસ્ટ મેનેજમેન્ટ' કહેતાં કચરાના અસરકારક નિકાલની ગંભીર સમસ્યા હજુ ઉભી છે. અમદાવાદ જેવાં મોટાં શહેરોથી માંડીને નાનાં ગામમાં કચરાના પહાડ જેવડા ઢગ જોવા મળે છે. સ્વચ્છતા ઝુંબેશની ઝાકઝમાળમાં તેમને શી રીતે નજરઅંદાજ કરી શકાય?

વર્તમાન સરકારની એક ખાસિયત એ છે કે તે અશક્ય વાયદા કરે છે-આંબાઆંબલી બતાવે છે, પછી તે પૂરા કરવામાં નિષ્ફળ જાય છે અને તે નિષ્ફળતાને ઢાંકવા માટે ઝાકઝમાળ, અર્ધસત્યો, જૂઠાણાં તથા લોકોનું ધ્યાન બીજી તરફ ખેંચવા જેવી તરકીબો અજમાવે છે-- પછી તે કાળાં નાણાંની વાત હોય કે સ્વચ્છતાની.
જાહેરમાં ગંદકી કરવાની ટેવ ભારતમાં લગભગ પરંપરા અને સંસ્કૃતિનું સ્થાન ભોગવે છે. તેમાં એમ શી રીતે સુધારો થાય? પણ વડાપ્રધાન એવું માનવા પ્રેરે છે કે હવે એમણે પ્રચારમોરચો સંભાળી લીધો હોવાથી અસ્વચ્છતા દેશમાંથી ગઈ સમજો.

સાઠના દાયકાના ગ્રામ્ય ભારતનું આબાદ ચિત્રણ કરતી વિખ્યાત હિંદી વ્યંગ નવલકથા 'રાગ દરબારી'માં એક દૃશ્ય છેઃ ગામમાં મેલેરિયાનો ઉપદ્રવ ફેલાય ત્યારે સરકારી ખાતું ભીંતો પર મચ્છરવિરોધી સૂત્રો લખીને રાજી થઈ જાય છે-ફરજઅદાયગીનો સંતોષ માની લે છે. આ શૈલી વિશે ગામલોકો કહે છે, ‘લિખે દેખ અંગરેજી અચ્છર (અક્ષર), ભાગે મલેરિયાકે મચ્છર’. વર્તમાન વડાપ્રધાનના પ્રચારતંત્રને ભીંત સુધી જવું પડતું નથી. ટીવી ચેનલો અને સોશ્યલ મિડીયા હાજર છે. વડાપ્રધાન કે તેમના મંત્રીઓ હાથમાં ઝાડુ પકડીને ફોટા પડાવે તેવાં પ્રચાર-ગતકડાંને પ્રેરણાદાયી તરીકે ખપાવવામાં આવે છે. વડાપ્રધાન તેમનાં ભાષણોમાં મનનીય ચિંતન રજૂ કરે, તેનાથી નાગરિકોએ સ્વચ્છતા વિશે વડાપ્રધાન કેટલા ગંભીર, ઉત્સાહી અને લગભગ ક્રાંતિકારી છે, તે માની લેવાનું છે --અને વડાપ્રધાન કેટલા ગાંધીપ્રેમી છે એ પણ.

જવાબ ૨ઃ ગાંધીજયંતિ કે ગાંધીહત્યાદિવસે સામાન્ય રીતે એટેનબરોની 'ગાંધી' કે ‘લગે રહો મુન્નાભાઈ’ જેવી ફિલ્મો ટીવી ચેનલો પર આવતી હતી. આ ગાંધીજયંતિએ વડાપ્રધાનના સ્વચ્છતા મિશનના પ્રયાસ ફળ્યા. એક ચેનલ પર 'ટોઇલેટઃ એક પ્રેમકથા' રજૂ થઈ. હા ભાઈ, હવે ગાંધી એટલે સ્વચ્છતા ને સ્વચ્છતા એટલે વડાપ્રધાને ઉપાડેલી સ્વચ્છતા-ઝુંબેશ.  કોંગ્રેસે ગાંધીજીને દારૂબંધી પૂરતા સીમિત કરી નાખવાનું પાપ કરેલું. રચના અને સંઘર્ષનાં કામ એકસરખી તીવ્રતાથી કરતા તથા પ્રવૃત્તિઓને માપવા માટે 'સાધનશુદ્ધિ'નો આકરો છતાં અસરકારક ગજ આપીને ગયેલા ગાંધી કોઈને ખપતા નથી. એટલે રાજકીય પક્ષો પોતાની બોન્સાઈ સાઇઝના ગાંધી શોધી કાઢે છે ને તેને અસલી ગાંધી તરીકે ખપાવે છે. વર્તમાન વડાપ્રધાન તેમાં એક નહીં, ઘણાં ડગલાં આગળ છે. ગુજરાતના મુખ્ય મંત્રીના હોદ્દે હતા ત્યારે સરદારને ઉંચા અને ગાંધીજીને નીચા પાડવાથી તેમણે શરૂઆત કરી હતી. પછી ભારતના અને આંતરરાષ્ટ્રીય ફલક પર ગાંધી એમ પીછો નહીં છોડે એવું લાગતાં, તેમણે સ્વચ્છતામાં ગાંધીજીને પૂરી દીધા અને એ પણ સ્વચ્છતાની કામગીરીમાં નહીં, સ્વચ્છતાની ઝુંબેશના આક્રમક પ્રચારમાં, જેની પર ગાંધી કરતાં વધારે મોટી છાપ વડાપ્રધાનની પોતાની હતી.

જવાબ ૩ઃ વર્તમાન વડાપ્રધાન માટે કોઈ પણ કામગીરીનું અંતિમ ધ્યેય પોતાનો છાકો પાડી દેવાનું હોય છે. એટલે જ, અગાઉથી જાહેર કરેલાં બીજાં ધ્યેય પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે. નોટબંધી જેવી કાળાં નાણાંના વિરોધની આખી ઝુંબેશમાં ધ્યેય બદલાઈને છેવટે ડિજિટલ પેમેન્ટ ઉપર ઊભું રહે છે. આવાં પગલાં આખરે ગમે તેટલી અંધાધૂંધીમાં પરિણમે, તેનાથી વડાપ્રધાનને કશો ફરક પડતો નથી કે તેના વિશે એ કદી કબૂલાતના મૂડમાં હોતા નથી. તેમને મન પોતાનો વટ અને કંઇક અંશે પોતાની 'મૌલિકતા'ની ધાક બેસી જાય, એટલે એ પગલું સફળ થયેલું ગણાય છે. પછી લોકોનું જે થવાનું હોય તે થાય. તેમના કોથળામાં એટલાં બધાં અવનવાં બિલાડાં ભરેલાં છે કે તે એક પછી એક બિલાડાં અવિરતપણે કાઢી શકે છે. લોકોની ટૂંકી યાદશક્તિ અને તેમના પ્રત્યેનો અપ્રમાણસરનો અહોભાવ તેમાં મદદરૂપ નીવડે છે, તો સોશ્યલ મિડીયા પર વ્યવસ્થિત રીતે ફેલાવાતાં જૂઠાણાં-અર્ધસત્યો અને જયજયકારો તેમના દરેક પગલાને માસ્ટર સ્ટ્રોક જાહેર કરે છે.

કામ થાય એ માટે નહીં, પણ પોતાનો જયજયકાર થાય એ માટે વડાપ્રધાન કોઈ પણ હદે જતાં અચકાતા નથી. રામચંદ્ર ગુહાએ એક લેખમાં બે સમાચારો ટાંકીને નોંધ્યું છે તેમ, સ્વચ્છતા ઝુંબેશને સફળ દેખાડવા--હા, બનાવવા નહીં દેખાડવા--માટે તેમણે સૈન્યને અને પોલીસતંત્રને પણ તેમાં સંડોવતા ફતવા કાઢ્યા છે. પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓ કચરો પાડીને જાય તે સાફ કરવાની જવાબદારી સૈનિકોને સોંપવામાં આવી છે. 'ગુજરાત મોડેલ'થી પરિચિત લોકોને આ જાણીને નવાઈ નહીં લાગે. કારણ કે, ગુજરાતમાં સરકારી કર્મચારીઓ અને ખાસ કરીને શિક્ષકોના માથે એટલાં કામ નાખવામાં આવ્યાં હતાં કે તેમનું મુખ્ય કામ રઝળી પડે અથવા તેના માટેની વૃત્તિ જ ન રહે. બસ, તત્કાલીન મુખ્ય મંત્રી મોદીનો વટ પડી જવો જોઈએ. ગુજરાતના શિક્ષણની ઘોર ખોદવામાં સરકારની છત્રછાયા હેઠળ થયેલા બેફામ ખાનગીકરણની સાથે આ મુદ્દો પણ જવાબદાર છે. પરંતુ પ્રચારનો મારો અને ગુજરાત મોડેલનો જૂઠો જયઘોષ એવો ચાલતો હોય કે બીજા તો ઠીક, ભોગ બનેલાની આંખો પણ અંજાઈ જાય.

ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં (ઘાંઘા થયેલા) ભાજપે 'આભાર નરેન્દ્રભાઈ’ની ટેગલાઇન ધરાવતી જાહેરખબરો છૂટી મૂકી છે. તેમાંથી એકમાં સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવા માટે (ગુજરાતની જનતા વતી) 'નરેન્દ્રભાઈ'નો આભાર માનવામાં આવ્યો છે. વડાપ્રધાનના હોદ્દાજોગને બદલે નામજોગ અાભાર માનતાં પાટિયાં સૂચવે છે કે ગુજરાત ભાજપ પાસે નરેન્દ્રભાઈના નામ સિવાય બીજું કશું બતાવવા જેવું રહ્યું નથી. 'આભાર નરેન્દ્રભાઈ’નું 'ગુજરાતી' થાય છેઃ (ગુજરાત ભાજપને) ‘બચાવો નરેન્દ્રભાઈ’.

સ્વચ્છતાઝુંબેશ જેવાં નાટકોની રાજકારણમાં નવાઈ નથી હોતી. પણ ભાજપની મુશ્કેલી એ છે કે તેનાં નાટકોને બીજા લોકો રાષ્ટ્રસેવા કે રાષ્ટ્રવાદ ગણે એવો આગ્રહ તેના નેતાઓ રાખે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે નાટકને-તેની તૈયારી, આયોજન, સ્ક્રીપ્ટ, અભિનય, રજૂઆત જેવી બાબતોને બહુ ગંભીરતાથી લે છે અને દેખાડે છે એવું કે તેમણે એ મુદ્દાને બહુ ગંભીરતાથી લીધો છે. સ્વચ્છતા ઝુંબેશમાં પણ ઘણે અંશે આવું જ બન્યું છે.

2 comments:

  1. આંખની સાથે મગજ અને ખાસ તો મન ખુલ્લું રાખીને વાંચનારાઓને આ લેખમાં Between the lines' ઘણું જડે એમ છે.

    ReplyDelete
  2. Hiren Joshi USA11:19:00 PM

    We agree and concur with your analysis of govt. machinery making 'Modi Media Movement'. But looking at the current opposition (if any) in Gujarat or at center what alternative a common man has except to join the BJP hoopla-procession-one man show with all its drawbacks. Also past misruling by Congress has given an opportunity to BJP which is not utilized properly except to project Modi as a master Messiah!

    ReplyDelete