Monday, June 06, 2016

નંદશંકર મહેતાના ‘જીવનચિત્ર’માં ઝીલાયેલું દોઢસો-બસો વર્ષ પહેલાનું શિક્ષણ

ભારતના પ્રાચીન જ્ઞાનનું વાજબી-ગેરવાજબી બધી જાતનું ગૌરવ લેતી વખતે એ ઘણી વાર ભૂલાઇ જાય છે કે ભારતમાં નવેસરથી શિક્ષણનો અમલ અંગ્રેજી રાજમાં શરૂ થયો. પહેલી ગુજરાતી નવલકથા કરણઘેલોના લેખક નંદશંકર તુળજાશંકર મહેતા (૧૮૩૫-૧૯૦૫)ની જીવનકથામાંથી એ સમયની શિક્ષણરીતિ વિશે ઠીકઠીક જાણવા મળે છે. નંદશંકરના પુત્ર વિનાયક મહેતાએ પહેલી વાર ૧૯૧૬માં પ્રગટ થયેલા પુસ્તક નંદશંકરનું જીવનચિત્રમાં નોંધ્યું છે, ‘તે વેળા છોકરો ચારેક વર્ષનો થાય, એટલે મુંડન કરાવી ઘોડે ચડાવી વાજતેગાજતે તેને નિશાળે મૂકવામાં આવતો...માત્ર તે જ દહાડે ખુશીથી તે શાળામાં જતો. તે દિવસ તહેવારનો ગણવામાં આવતો. છૂટ્ટી મળતી ને છાત્રગણને મીઠાઇ પણ મળતી...નારણ મહેતાને શાલ પામરી કે પાઘડી અને દક્ષિણા મળતી..અમે (નંદશંકરનો ક્લાસ) રોજા ઇચ્છતા કે નવો નિશાળિયો આવે. શિક્ષણમાં રસ પડતો નહિ. મારનો ત્રાસ ભારે. લાંબો વખત બેસી રહેવાનું ને એકનું એક જ પીંજણ. આ તો ઘરમાં છોકરું રહે તો મસ્તી કરે, પડે, આખડે, માને કનડે, પજવે, તે કરતાં શાળામાં જાય તો રીતભાત તો શીખે, ને કાંઇ નહિ તો કાયર કરતું તો રહે એ જ ખ્યાલથી ગામઠી નિશાળે ભરતી થતી.

અંગ્રેજી રાજમાં સરકારી શાળાઓ ખુલી એટલે શિક્ષણની કામગીરી વ્યવસ્થિત રીતે ગોઠવાવા લાગી અને ગામઠી નિશાળોનાં માનપાન ઘટી ગયાં. પુસ્તકમાં નોંધાયા પ્રમાણે, અંગ્રેજ સરકાર તરફથી ઇ.સ.૧૮૨૬માં પહેલવહેલી ગુજરાતી શાળાઓ ખોલવામાં આવેલી. તેના શિક્ષકોમાં ગામઠી નિશાળના સંસ્કાર પૂરેપૂરા ગયા ન હતા. પણ વિષયોનો, કામગીરીનો અને જવાબદારીનો વિસ્તાર થયો. સો વર્ષ પહેલાં વિનાયક મહેતાએ લખ્યું હતું,‘હાલની મેટ્રિક્યુલેશનથી પણ ચઢતું ગણિત ગુજરાતી શાળામાં શીખવવામાં આવતું.ગણિતશિક્ષક ત્રિપુરાશંકર એવી રીતે શીખવે કે શિષ્યો ગણિતને અને ગુરુજીને આજીવન ભૂલે નહીં. આગળ જતાં નંદશંકર નવલકથાકાર ઉપરાંત ગણિતના વિદ્વાન બન્યા અને કરણઘેલોલખવાની સાથોસાથ તેમણે ત્રિકોણમિતિ (ટ્રિગ્નોમિટ્રી)ના પુસ્તકનો અનુવાદ પણ કર્યો. પિતાના એ ગણિતરસનું શ્રેય લેખકે પિતાના ગુરુ ત્રિપુરાશંકરને આપ્યું છે.

નિશાળ સરકારી, એટલે દેશી ઉપરાંત વિદેશી ગુરુઓ પણ હોય. ૧૮૪૦માં બૉર્ડ ઑફ એજ્યુકેશનસ્થપાયું અને ૧૮૪૨માં અંગ્રેજી શાળા શરૂ થઇ. સુરતમાં અંગ્રેજી શાળાના મુખ્ય અધ્યાપક ગ્રીન વિદ્યાર્થીપ્રિય શિક્ષક તરીકે જાણીતા. તે અંગ્રેજી સાહિત્યનો જે સ્વાદ શાળાના વિદ્યાર્થીઓને લગાડતા હતા, એવો સ્વાદ હાલના સમયમાં મોટા ભાગની કૉલેજના વિદ્યાર્થીઓને નસીબ થતો નહીં હોય. એ વખતે ઇતિહાસ અને સાહિત્યની કેળવણી સાથે ચાલતી. એટલે નામી વિદેશી લેખકોનાં ઇતિહાસવિષયક પુસ્તકો બેવડું શિક્ષણ પૂરું પાડતાં.

અંગ્રેજી કેળવણીની સમાંતરે ખ્રિસ્તી ધર્મપ્રચારની આશંકા પણ રૂઢિચુસ્તોના મનમાં સતત રહેતી હતી. એટલું ઓછું હોય તેમ, સુરતમાં એક વિદ્વાન પાદરી મોન્ટગોમરીના પ્રભાવમાં આવીને એક પારસી યુવક નસરવાનજી માણેકજીએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો. પરિણામે, હિંદુ રૂઢિચુસ્તો તો ઠીક, પારસીઓ પણ પોતાનાં બાળકોને અંગ્રેજી નિશાળમાં મૂકતાં ડરવા લાગ્યા. અંગ્રેજી શિક્ષણનું માંડ જામેલું વાતાવરણ બગડી ન જાય, એ માટે મુખ્ય શિક્ષક ગ્રીનસાહેબે સુધારક દુર્ગારામ મહેતાજી અને બીજાઓ સાથે મળીને પારસી યુવકને સમજાવ્યો. વીસ દિવસની માથાકૂટ પછી એ તેનો પારસી ધર્મમાં પુનઃપ્રવેશ થયો. પરંતુ પાદરીઓની ધર્મપરિવર્તન પ્રવૃત્તિ સામે ગ્રીનસાહેબે દેશવિદેશનાં અખબારોમાં લખાણો કરેલાં. દેવળમાં ન જતા અને ભારતીયોની લાગણી જાણતા ગ્રીન કોઇ નેટિવછોકરીના ફંદામાં ફસાયા છે, એવા આરોપ પણ તેમની ઉપર થયેલા. છતાં ગ્રીને ડગ્યા વિના કામ ચાલુ રાખ્યું. એક વર્ષમાં ત્રણ ધોરણ પાસ કરી નાખનાર નંદશંકર તેમના પ્રિય વિદ્યાર્થી હતા. વિદ્યાર્થીઓ માટે ગ્રીનસાહેબનું ખાનગી પુસ્તકાલય સદા ખુલ્લું હોય.

તેમના થકી સુરતમાં રહેતા નૌકાસૈન્યના કૅપ્ટન સ્કૉટ સાથે નંદશંકરનો પરિચય થયો. સ્કૉટ તેમને નંદકહેતા અને જ્ઞાનની અવનવી દુનિયાનો પરિચય કરાવતા. તેમના પુસ્તકાલયમાંથી અનેક સફરનામાં અને જીવનચરિત્રો નંદશંકરે વાંચ્યાં. તેમની અગાસીમાં ગોઠવેલાં અનેક પ્રકારનાં દૂરબીનથી તેમણે નંદને શબ્દાર્થમાં આકાશ બતાવ્યું. નંદશંકરે લખ્યું છે,‘આ બે વ્યક્તિઓના સંસર્ગથી અંગ્રેજ-જાતના સદ્‌ગુણ ઉપર મારો પક્ષપાત વધ્યો. શિષ્ય-શિક્ષક સંબંધ હોવા છતાં સામાન્ય વ્યવહારમાં વર્ણભેદનો ઓળો સરખો પણ પડતો નહીં...એમનું મન એટલું સાનુકંપ હતું કે પોતાનાથી જુદી જાતના અન્ય લોકોની રીતભાત પણ સુઘડ હોઇ શકે, એવી તેમને પ્રતીતિ   થયેલી. નેટિવશબ્દ વપરાતો ખરો, પણ તે સાથે જૅન્ટલમૅનશબ્દ ઉમેરાતો. નેટિવશબ્દમાં જે તુચ્છકારનો ધ્વનિ કલ્પાય છે, તે તો બંગાળમાં જ પહેલવહેલો પ્રગટ થયો.

૧૮૫૭ના સંગ્રામ વખતે બન્ને પક્ષોની હિંસાખોરી હદ વટાવી ગઇ. સત્તાધીશ અંગ્રેજોને કે તેમનાં સ્ત્રીબાળકોને જેટલું વેઠવું પડ્યું તેનાથી અનેક ગણા વધારે અમાનવીય અત્યાચાર તેમના સૈન્યે હિંદીઓ પર ગુજાર્યા. એ વખતે ગ્રીને અંગ્રેજી ઘાતકીપણાની ટીકા અને હિંદીઓનો બચાવ કરતાં લખ્યું,‘અપરાધીઓનો ઇન્સાફ કરી તેમને સજા કરો, પણ નિરપરાધીને શામિલ ન કરશો.૧૮૫૭ હોય કે ૧૯૮૪ હોય કે ૨૦૦૨, આ સાદું સત્ય દરેક વખતે ભૂલાઇ જાય છે અને તે યાદ કરાવનારના માથે પસ્તાળ પડે છે. ગ્રીનના નાસ્તિકપણાથી દુઃખી પાદરીઓમાં સત્તાધીશ અંગ્રેજ વર્ગ ભળ્યો. એટલે, પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, ગ્રીન સામે રાજદ્રોહનો આરોપ પણ મુકાયો હતો અને તેમને ઘણા હેરાન કરવામાં આવ્યા.

ગ્રીન પછી આવેલા ગ્રેહામનો પણ નંદશંકરના ચરિત્રમાં બહુ ભાવથી ઉલ્લેખ મળે છે. ગણિતમાં ગ્રેહામ સાહેબ બહુ પ્રવીણ હતા. છ ફીટ ઊંચા, ચૌડા, મજબૂત બાંધાના, દુર્વાસા જેવા ક્રોધી છતાં તેમનું હૈયું મીણ જેવું મુલાયમ હતું. આ ઉદાર દિલના આયરિશમેનની મહોબ્બત કોઇ દિવસ એમનાથી (નંદશંકરથી) ભૂલાઇ નહીં.તેમણે બધાં શિષ્યોનાં નામ ટૂંકાં કરી નાખેલાં : નંદશંકરનું નેન્ડ’, મહીપતરામનું માઇપઅને પાર્વતીશંકરનું પૉર્વટી’.

આવા શિક્ષકો પાસે તૈયાર થયેલા નંદશંકર ૧૮૫૪માં ૧૯ વર્ષની વયે આસિસ્ટન્ટ માસ્ટર થયા અને  ૧૮૫૮માં પોતે જે શાળામાં  ગરીબ વિદ્યાર્થી તરીકે દાખલ થયેલા, એ જ શાળામાં રૂપિયા અઢીસોના માસિક પગારે મુખ્ય શિક્ષક બન્યા. અંગ્રેજી નિશાળમાં કોઇ દેશી માણસ હેડ માસ્તર બન્યો હોય, એવો આ કદાચ પહેલો બનાવ હતો. એટલે કરણ ઘેલોના લેખક જેટલા જ, કદાચ એનાથી પણ વધારે ગૌરવથી તે પહેલા દેશી હેડ માસ્તરતરીકે આજીવન ઓળખાતા રહ્યા. હોપ વાચનમાળાથી અમર બનેલા કેળવણીખાતાના સર થિયોડોર હોપે નંદશંકરની પ્રતિભા પારખીને તેમને શિક્ષણમાંથી મુલ્કી ખાતામાં નાખ્યા. આગળ જતાં તે વિવિધ દેશી રજવાડાંના અંગ્રેજ સરકારે નીમેલા વહીવટદાર બન્યા, પરંતુ તેમનો મૂળ જીવ શિક્ષકનો રહ્યો.


સો વર્ષ પહેલાં વિનાયક મહેતાએ આલેખેલું પિતા નંદશંકરનું જીવનચિત્રફક્ત ગુજરાતના સાંસ્કૃતિક-સામાજિક ઇતિહાસમાં રસ ધરાવતા જ નહીં, ભૂતકાળની રોમાંચક સફર ખેડવા માગતા સૌને અત્યંત રસ પડે એવું  છે.

No comments:

Post a Comment