Thursday, July 23, 2015

(વાતોનાં) વડા-પ્રધાનની સંભવિત નવી યોજનાઓ

જૂના વખતની કહેવત હતી કે સત્ય મોજાં પહેરવા રહે ત્યાં સુધીમાં જૂઠાણું પૃથ્વીના દસ ચકરાવા લગાવી દે છે. સમય પ્રમાણે કહેવતમાં પણ ફેરફાર કરવો પડે : સરકારી રાહે જાહેર થયેલી એક યોજનાના અમલનું ઠેકાણું પડે, તે પહેલાં સરકાર બીજી દસ મહત્ત્વાકાંક્ષી (તેનું ‘ગુજરાતી’ : અવાસ્તવિક) યોજનાઓ જાહેર કરી પાડે છે. ગયા સપ્તાહે વડાપ્રધાને તેમની જાહેરાત-કારકિર્દીની વઘુ એક યોજના જાહેર કરી. યોજનાઓ અને કાર્યક્રમો જાહેર કરવામાં તેમનો ઉત્સાહ ભારે છે. વાસ્તવિકતાની કે પાલનની ચિંતા નથી કરવાની, તે એક કારણ હોઇ શકે. પણ એ જુદી વાત છે. કારણ કે ‘લખાણું તે વંચાણું’ની જેમ, સરકારી જાહેરખબરોમાં ‘બોલાણું તે સંભળાણું’નો નિયમ લાગે છે. રૂપિયા અમલના નહીં, આક્રમક માર્કેટિંગના હોય છે. ખાનગી કંપનીઓ ‘ટૂથપેસ્ટમાં નમક છે’ પ્રકારની જાહેરખબરો પાછળ લાખો રૂપિયા ખર્ચીને લોકોને ચગડોળે ચડાવી શકતી હોય, તો સર્વસત્તાધીશ સરકાર વધારે ભવ્ય અને વધારે લૉલીપૉપી હેતુઓ માટે એ જ કામ ન કરી શકે?

વડાપ્રધાનની કલ્પનાશકિત આ જ રીતે કામ કરતી રહે, તો ભવિષ્યમાં કેવી યોજનાઓ અને જાહેરાતો આવી શકે?


શ્યામજી કૃષ્ણવર્મા વૈશ્વિક બેરોજગારીનિવારણ યોજના

વડાપ્રધાનને ઓળખતા સૌ જાણે છે કે તેમની મહત્ત્વાકાંક્ષાઓને હવે ભારતનું ફલક નાનું પડે છે. તેમના ટીકાકારો કહે છે કે તે વિશ્વસ્તરની સમસ્યાઓ ઊભી કરે શકે છે. એ દાવો ચર્ચાસ્પદ હોવા છતાં, એટલું નક્કી છે કે અમેરિકાના પ્રમુખને નામથી (‘બરાક’ કહીને) બોલાવનાર વડાપ્રધાન વૈશ્વિક બેરોજગારી દૂર કરવાનો દાવો કરી શકે. એમ કરવા માટે જરૂરી ‘હિંમત’ તેમનામાં છે. સ‘હું ભારતની બેરોજગારી દૂર કરીને બેસી રહેવાનો નથી.

હું આખા વિશ્વની બેરોજગારી દૂર કરીને જ જંપીશ.’ એવો નિર્ધાર વડાપ્રધાન પહેલા નૉરતે, માતાજીની ઉપાસના કર્યા પછી વ્યક્ત કરે તો ચોંકવું નહીં. તે કહી શકે છે,‘એક વાર મને વિશ્વનો વડાપ્રધાન બનાવી દો--હસવાની જરૂર નથી. હું ભારતનો વડાપ્રધાન બનવાની વાત કરતો હતો ત્યારે પણ તમે આમ જ હસતા હતા--હા, તો મારા માટે ખાસ વિશ્વના વડાપ્રધાનની પોસ્ટ ઊભી કરો, અમિતભાઇ (શાહ)ને યુનોના સૅક્રેટરી જનરલ બનાવી દો અને મૅડિસન સ્કૅવરમાં મારું લાઇવ પર્ફોર્મન્સ જોઇને ધન્ય થયેલા એકાદ જણને અમેરિકાનો પ્રમુખ બનાવી દો. પછી જુઓ, હું દુનિયાભરના બેરોજગારોને રોજગારી અપાવું છું કે નહીં. જો પૃથ્વી પર તેમની નોકરીઓનું ઠેકાણું નહીં પડે, તો છેવટે મંગળ પર ને ત્યાં નહીં પડે, તો હવે પ્લુટો પણ આપણી પહોંચમાં આવી ગયો છે, ત્યાં...અને એ લોકો પ્લુટો પર પહોંચશે, ત્યાં સુધીમાં હું વિશ્વનો નહીં, બ્રહ્માંડનો વડાપ્રધાન બની ગયો હોઇશ.’

તા.ક. કૉંગ્રેસના એક જૂથે વડાપ્રધાનને બિનસત્તાવાર વિનંતી કરી હતી કે આ યોજના સાથે રાહુલ ગાંધીનું નામ જોડવામાં આવે. પરંતુ તેમની વિનંતીનો સ્વીકાર થયો જણાતો નથી.

જયલલિતા નારી-સશક્તિકરણ યોજના

જયલલિતા સાથે વડાપ્રધાનના સંબંધ મૈત્રીપૂર્ણ છે કે નહીં, તેનો આધાર વડાપ્રધાનની સગવડ કે જરૂરિયાત પર હોય છે. એક સમયે શરદ પવાર સાથે હાથ ન મિલાવવા બદલ નરેન્દ્ર મોદીનાં વખાણ કરતા ભક્તજનોને જયલલિતા સાથે હસી હસીને ફોટા પડાવતા મોદી વિશે કશું કહેવાનું ન હતું. (અલબત્ત, એમાં નરેન્દ્ર મોદીનો શો વાંક? અને ખરું પૂછો તો ભક્તોનો પણ શો વાંક? સૌ પોતપોતાનું કામ કરતા હતા.) ભવિષ્યમાં તક ઊભી થાય અને જયલલિતાના ટેકાની જરૂર પડે, ત્યારે જયલલિતા દક્ષિણ ભારતની ભવ્ય પરંપરા પ્રમાણે, પોતાની પાછળ પોતાના નામની યોજના થાય ત્યાં સુધી રાહ જુએ એવાં નથી. વડાપ્રધાન ગમે તેટલા આગ્રહપૂર્વક સુષ્મા સ્વરાજનું, વસુંધરારાજે સિંધીયાનું કે સ્મૃતિ ઇરાનીનું નામ આગળ ધરે, જયલલિતા ન માને તે બિલકુલ બનવાજોગ છે. એવું થાય તો પછી તેમના નામની યોજના જાહેર કરવી પડે. તેમાં વડાપ્રધાનથી એટલું થાય કે એ યોજનાની પેટાયોજનાઓને વસુંધરારાજે, સ્મૃતિ ઇરાની કે સુષ્મા જેવી પ્રતાપી ભાજપી મહિલાઓનાં નામ સાથે જોડી શકે.

‘કાઉ બેલ્ટ’ ગણાતા ઉત્તર ભારતમાં મહિલાઓ અત્યાર લગી મહદ્‌ અંશે આર્થિક કૌભાંડોનાં શીખરો સર કરી શકી ન હતી. સૂચિત યોજનાથી એ મહેણું ભાંગશે. આ યોજના બિનધાસ્ત રીતે નાણાંકીય કે અન્ય ગોટાળા કરવાની રાષ્ટ્રિય પ્રવૃત્તિને પ્રોત્સાહન પૂરું પાડશે અને એ ક્ષેત્રે પાછળ રહી ગયેલી મહિલાઓને પુરૂષસમોવડી બનાવવાની દિશામાં પ્રયાસ કરશે.

લલિત મોદી પ્રવાસન યોજના

વિદેશોને ભારત સાથે જોડવા આતુર વડાપ્રધાન લલિત મોદી પ્રકરણ પછી ‘આફતને અવસરમાં પલટી નાખવાની’ તેમની જૂની પદ્ધતિ પ્રમાણે, યુરોપના કેટલાક દેશો સાથે પ્રવાસનને લગતા એમઓયુ કરી શકે છે. તેમાં લલિત મોદીએ પોતાના ટિ્‌વટર અકાઉન્ટ પર યુરોપનાં જે સ્થળોની તસવીરો મૂકી હતી, એ તમામ સ્થળો આવરી લેવાય, એ સ્થળોએ ખિચડી-કઢી સહિતનું ઉત્તમ ગુજરાતી ભોજન આપે એવાં હૉટેલ-રેસ્તોરાં ખુલે અને ભોજનસામગ્રીના ‘નો-હાઉ’ (જાણકારી) માટે યુરોપની કંપનીઓ તેમના માણસોને તાલીમ માટે ગુજરાતમાં- ભારતમાં મોકલી આપે, એવું ગોઠવી શકાય. લલિત મોદી પ્રકરણથી દેશને થયેલું સંભવિત આર્થિક નુકસાન આ રીતે સરભર થઇ શકશે અને વિદેશોમાં ભારતીય સંસ્કૃતિના ઝંડા ફરકશે એ નફામાં.

આંતરરાષ્ટ્રિય મૌન દિવસ

દિલ્હીમાં ચાઇનીઝ ચટાઇઓ પર દબદબાભેર ઉજવાયેલા આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ભવ્ય સફળતા પછી વડાપ્રધાન બીજી ભારતીય બાબતોના આંતરરાષ્ટ્રિયકરણ માટે પ્રેરાઇ શકે છે. વડાપ્રધાન બન્યા પછીનો તેમનો રેકોર્ડ જોતાં હવે પછી તે મૌનને ભારતીય સંસ્કૃતિના સર્વોત્તમ પ્રતિક તરીકે પ્રસ્થાપિત કરે અને પોતે વડાપ્રધાન બન્યા હતા એ દિવસને ‘આંતરરાષ્ટ્રિય મૌન દિવસ’ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂકે, એ શક્ય છે. આવું થાય તો વિરોધપક્ષો પણ તેમના પ્રસ્તાવને વધાવી લેશે.

જેવી રીતે ગાંધીજીને સ્વચ્છતાના સગવડીયા ખાતે ખતવી દેવાયા, એવી રીતે મૌનના મામલે પણ ગાંધીજીના ખભે અહિંસક બંદૂક ફોડવામાં આવશે. મુગ્ધ કે ભોળા જનો મૌન કેટલી મહાન બાબત છે, તે વિશે બોલબોલ કરીને કકળાટ મચાવી મૂકશે. આત્મખોજ માટેના મૌન અને આત્મવંચના કે આત્મરક્ષા માટેના મૌન વચ્ચેનો ફરક તે રાબેતા મુજબ, સહેલાઇથી ભૂલાવી દેશે.

યોગદિવસ અને મૌનદિવસનો મહિમા વિશ્વભરમાં પ્રસાર્યા પછી ભારતના વૈશ્વિક જયજયકાર માટેના દરવાજા ખુલી જશે. આંતરરાષ્ટ્રિય વાયદાદિવસથી માંડીને આંતરરાષ્ટ્રિય એન્કાઉન્ટરદિવસ જેવા અનેક નવા દિવસો ભારતે આઘુનિક વિશ્વને આપેલી ભેટ ગણાશે.  વિશ્વ કટોકટીદિવસ ઉજવવા અંગે વડાપ્રધાન ઉત્સાહી તો હશે, પણ કોઇ તેમાં વર્તમાનકાળનો સંદર્ભ ન સમજે એટલા ખાતર, એ વિચાર તે ‘ભવિષ્યમાં ફરી ક્યારેક’ પર મુલત્વી રાખી શકે છે. 

3 comments:

  1. Anonymous8:05:00 PM

    Reminds one Hindi Proverb; 'Kehta bih diwana, Sunta bhi Diwana, Ancient Arabic Proverb; "There is No-Tax on Language".

    Tax-Payers and Tax-Sayers both community(ies) are enjoying honey-moon of developing economy.

    ReplyDelete
  2. Anonymous10:17:00 PM

    As per thinking of urvish
    Manmohan's silent and remote government was ok.

    ReplyDelete
  3. આપના તમામ લેખ પરથી લાગે છે કે આપને નરેન્દ્ર મોદી(વડાપ્રધાન, ભારત) ખરેખર કોઈ પૂવાઁગ્હ છે......
    કોઇ રાજકારણી પૂર્ણ ન હોઇ શકે પણ 125 કરોડ ની વસ્તી ધરાવતા આ દેશ ના વડાપ્રધાન આ દેશ ની "બહુમતિ " જનતા એ જ પસંદ કરી ને બનાવયા છે....
    માટે કયારેક સાહસ કરીને નરેન્દ્ર મોદી (વડાપ્રધાન, ભારત) નો કોઇ એક સારો ગુણ શોધો......
    કોઇક ને એકવાર મૂખઁ બનાવી શકાય કાયમ નહીં.... (આ વાત તેમના સૌથી વધુ સમય ગુજરાતના મુખ્યમંત્રી ના રેકડઁ ને અનુલક્ષીનેધ્યાન માં લેવી)


    તા. ક.
    નરેન્દ્ર મોદી ને વોટ આપવાવાળા ને તેમની વાત માં દમ લાગે છે તે કંઇ તેમનો ભક્ત નથી હોતો.......
    માટે "મોદી ભક્તો" આ શબ્દ વિચારીને વાપરો

    ReplyDelete