Saturday, July 11, 2015

કટોકટી વખતે તેના મુખ્ય સૂત્રધાર સંજય ગાંધીનો પહેલો ઇન્ટરવ્યુ (2)

કટોકટી દરમિયાન સંજય ગાંધીએ ઉમા વાસુદેવને આપેલા ટેપ રેકોર્ડેડ ઇન્ટરવ્યુમાં એવું તે શું કહ્યું કે જેથી સરકારી સેન્સરે પાસ કરેલા એ ઇન્ટરવ્યુ પર વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ પ્રતિબંધ મૂકી દેવો પડે? 

‘કૉંગ્રેસ સર્વત્ર છવાયેલી છે અને એને કોઇ હરાવી શકતું નથી, તેનું મુખ્ય કારણ બેજવાબદાર વિપક્ષો છે. મને ખબર છે કે ઘણા લોકો કહે છે,‘અમે સામ્યવાદી નથી એટલે સામ્યવાદીઓને મત નહીં આપીએ. બીજા વિપક્ષો એવા અસ્તવ્યસ્ત ટોળાછાપ છે કે એમને પણ મત ન અપાય. એટલે અમારી પાસે કૉંગ્રેસને મત આપવા સિવાય બીજો વિકલ્પ રહેતો નથી.’ જો કોઇ બીજો જવાબદાર પક્ષ હોય તો મને લાગે છે કે બહુ બધા લોકો એને મત આપે.’

કૉંગ્રેસ વિશેનાં આવાં ઉચ્ચારણ વિરોધપક્ષના કોઇ નેતાનાં નહીં, પણ કટોકટીના મુખ્ય સૂત્રધાર મનાતા ઇંદિરાપુત્ર સંજય ગાંધીનાં હતાં. ઇંદિરા ગાંધીએ સરમુખત્યારશાહી સમકક્ષ કટોકટી લાગુ કર્યાના   માંડ દોઢેક મહિના પછી સંજય ગાંધીએ અંગ્રેજી સામયિક ‘સર્જ’/ Surgeનાં ઉમા વાસુદેવ/ Uma Vasudev સાથે ખુલીને વાતચીત કરી. માતા પર પ્રચંડ પ્રભાવ ધરાવતા ૨૯ વર્ષના સંજય ગાંધી ઘણી બાબતોમાં સ્વતંત્ર --એટલે કે ઇંદિરા ગાંધીના જાહેર વિચારો કરતાં સાવ સામા છેડાના--વિચાર ધરાવતા હતા.
Sanjay Gandhi / સંજય ગાંધી
ઇંદિરા ગાંધીએ ૧૯૬૯માં કૉંગ્રેસના જૂના-વરિષ્ઠ નેતાઓથી છેડો ફાડ્યો અને કૉંગ્રેસનો નવો ફાંટો રચ્યો, ત્યારે તેમના માટે સ્વતંત્ર ઓળખનો પ્રશ્ન ઊભો થયો. એ વખતે, કેટલાક અભ્યાસીઓના મતે, ઇંદિરા ગાંધીના સલાહકાર પી.એન.હક્સરે ઇંદિરા ગાંધીને સમાજવાદી અને ગરીબતરફી વિચારસરણી અપનાવવાની સલાહ આપી. ‘લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સ’માં ભણેલા હક્સરનો સમાજવાદ પ્રત્યેનો ઝુકાવ સૈદ્ધાંતિક અને નક્કર હતો, પણ ઇંદિરા ગાંધીએ તેનો સંપૂર્ણપણે રાજકીય હેતુ માટે ઉપયોગ કર્યો. બૅન્કોના રાષ્ટ્રિયકરણ અને રાજવીઓને અપાતાં સાલિયાણાંની નાબૂદી જેવાં વિવાદાસ્પદ પગલાં ઇંદિરા ગાંધીએ પોતાની સમાજવાદી અને ગરીબતરફી છબી દૃઢ કરવા માટે ભર્યાં. કટોકટી આવતાં સુધીમાં ઇંદિરા ગાંધીએ સ્થાનિક તથા વૈશ્વિક સ્તરે સામ્યવાદી-સમાજવાદી જૂથો અને દેશોમાં પોતાની મજબૂત છાપ ઊભી કરી દીધી હતી.

પરંતુ તેમના પુત્ર સંજય ગાંધીએ ઉમા વાસુદેવને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ શબ્દોમાં રાષ્ટ્રિયકરણ જેવી સમાજવાદી નીતિઓનો વિરોધ કર્યો. નરેન્દ્ર મોદીના કથિત આર્થિક વિચારોને ‘મોદીનૉમિક્સ’ તરીકે બિરદાવવામાં આવે છે. પરંતુ તેમના આર્થિક વિચારો સ્પષ્ટતાપૂર્વક આજ સુધી જાણવા મળ્યા નથી. (ભક્તો, લાભાર્થીઓ અને રાજનેતાઓમાં ‘ચંદ્રગુપ્ત’ શોધતા અર્થશાસ્ત્રના ‘ચાણક્યો’ માટે ‘મોદીનૉમિક્સ’ શ્રદ્ધાનો વિષય છે.) તેની સરખામણીમાં સંજય ગાંધીએ  સ્પષ્ટતાપૂર્વક ઉમા વાસુદેવને કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની સરકારી કંપનીઓ ખાનગી કંપનીઓ સાથે હરીફાઇ કરી શકે, ત્યાં સુધી જ તેમને ચાલુ રાખવી જોઇએ. એ ટકી શકે તો ઠીક, નહીંતર સરકારે મૂળભૂત બાબતોમાં પોતાનો કાબૂ રાખીને કંપનીઓ ચલાવવાનું કામ ખાનગી ક્ષેત્રને સોંપવું જોઇએ. કાર્યક્ષમતા અને કાર્યનિષ્ઠાની બાબતમાં સરકારી કંપનીઓ કોઇ કાળે ખાનગી કંપનીઓની બરાબરી નહીં કરી શકે, એવો તેમનો સ્પષ્ટ મત હતો.

સંજય ગાંધીએ ઉદાહરણ આપીને કહ્યું કે કોલસાની ખાણોનું રાષ્ટ્રિયકરણ થયું, તે પહેલાં કોલસો પાંત્રીસ રૂપિયે ટન વેચાતો હતો. હવે સરકારી વહીવટમાં કોલસા નેવુ રૂપિયે ટન વેચાય છે અને છતાં કોલસાના વહીવટમાં સરકાર કરોડો રૂપિયાની ખોટ કરે છે. એનો મતલબ એ થયો કે નાગરિકોને કોલસા મોંઘા પડે છે અને એના વહીવટમાં પડતી ખોટ પણ નાગરિકોને ભરપાઇ કરવાની આવે છે. જાહેર ક્ષેત્રમાં સારા ઊંચા હોદ્દે સારા માણસો આવતા નથી, એ બાબતનું સીધું કારણ આપતાં સંજય ગાંધીએ કહ્યું હતું,‘મોટે ભાગે બદમાશો જ ખાનગી કંપની છોડીને સરકારી કંપનીમાં આવવા તૈયાર હોય છે. બાકી મહિને બાર હજાર રૂપિયાનો પગાર છોડીને ત્રણ હજાર રૂપિયાના પગારથી સરકારમાં કામ કરે એવા દેશભક્ત થોડા જ હોય છે. એવા લોકો પગારની ઘટ અને વધારાની આવક બીજી રીતે પૂરી કરવાની ગોઠવણો કરી લે છે.’

ખાનગીકરણમાં કામદારોનું હિત જાળવવા માટે સંજય ગાંધીએ સૂચન કર્યું કે તેમને બીજી સુવિધાઓ આપવાને બદલે કે એ ઉપરાંત કંપનીના શેર કે કંપનીના નફામાં સીધી હિસ્સેદારી આપવી જોઇએ- કંપનીના હિત સાથે તેમનું હિત સીધી રીતે સાંકળી લેવું જોઇએ, જેથી તે કંપનીને નુકસાન થાય એવી (હડતાળ જેવી) પ્રવૃત્તિઓથી દૂર રહે અને દિલ દઇને કામ કરે.
Sanjay Gandhi /સંજય ગાંધી

ઇંદિરા ગાંધીના રાજમાં કરવેરાનું ધોરણ અકલ્પનીય લાગે એટલું ઊંચું હતું. સમાજવાદી નીતિના નામે ઉદ્યોગપતિઓ પર ૧૦૮ ટકા ટેક્સ લાગતો હતો. એટલે કે, એ લોકો ૧૦૦ રૂપિયા કમાય તો તેમણે સરકારને ૧૦૮ રૂપિયા ચૂકવવાના, જેનો ઉપયોગ સરકાર ગરીબોના કલ્યાણ માટે કરે (એવું ધારી લેવાનું). કટોકટી વખતે વેરા ઘટીને ૯૮ ટકા સુધી પહોંચ્યા હતા. એ વિશે સંજય ગાંધીએ કહ્યું કે વેરાનો આવો ઊંચો દર સારા માણસોને પણ ટેક્સની ચોરી કરવા પ્રેરે છે. જે લોકો વેરા ભરે તેમને એવું જ લાગવાનું કે તેમના રૂપિયા અણઘડ સરકારી કંપનીઓની ખોટ ભરપાઇ કરવામાં જ વપરાવાના છે.

સમાજવાદના નામે અર્થતંત્ર પર મુકાયેલા અંકુશોનો વિરોધ કરતાં સંજય ગાંધીએ કહ્યું કે આવા અંકુશોથી સરવાળે મોટા ઉદ્યોગપતિઓને જ ફાયદો થાય છે. કારણ કે તેમની પાસે આવા અંકુશોને ઠેકાડવા જેટલી પહોંચ હોય છે. નાના ધંધાદારીઓ માટે એ શક્ય નથી. તેમણે આઝાદી પછીનો અનુભવ ટાંકીને કહ્યું કે અંકુશોને કારણે મોટા ઉદ્યોગપતિઓ જ તગડા થયા છે. તેમણે અંકુશો હટાવીને, આજની પરિભાષામાં જેને ‘લેવલ પ્લેયિંગ ફિલ્ડ’ કહેવાય, એવી સમાન હરીફાઇનું વાતાવરણ સર્જવાની વાત કરી.

સમાજવાદનાં કંઠીધારી ઇંદિરા ગાંધીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવા માટે આટલું ઓછું હોય તેમ, સંજય ગાંધીએ કેટલાંક રાજકીય નિવેદનો પણ કર્યાં. ઇંદિરા ગાંધીની કટોકટીને સમર્થન આપનાર સામ્યવાદી પક્ષ (કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા)ની ઝાટકણી કાઢતાં સંજયે કહ્યું કે ‘સામ્યવાદી પક્ષના મોટા અને બહુ મોટા નહીં એવા નેતાઓથી વધારે સમૃદ્ધ કે વધારે ભ્રષ્ટ લોકો તમને બીજે ક્યાંય નહીં મળે.’  જનસંઘને તેમણે ‘કેડર બેઝ્‌ડ પાર્ટી’ (કાર્યકર-કેન્દ્રી)ને બદલે ‘ફેવરબેઝ્‌ડ’ (લાભ-કેન્દ્રી) પાર્ટી કહી.

આવાં અનેક ‘વિચારરત્નો’ ધરાવતા ઇન્ટરવ્યુ પરથી ઉમા વાસુદેવે ‘મૅન, મિથ એન્ડ મારુતિ’/ Man, Myth & Maruti એવું મથાળું ધરાવતો લેખ ‘સર્જ’ મેગેઝીન માટે તૈયાર કર્યો. સંજય ગાંધીએ લેખ વાંચ્યો અને રિવાજ મુજબ ડાઇનિંગ ટેબલ પર ઇંદિરા ગાંધી સાથે એ ઇન્ટરવ્યુના કેટલાક વિવાદાસ્પદ હોઇ શકતા મુદ્દા વિશે વાત પણ કરી. ઇંદિરા ગાંધીએ ઇન્ટરવ્યુ વાંચ્યો ન હતો, પણ સંજય ગાંધીની વાત પરથી તેમણે કેટલીક બાબતોની ધાર ઓછી કરવાની સૂચના આપી. એ પ્રમાણે મૂળ ઇન્ટરવ્યુની ધાર થોડી ઓછી કરવામાં આવી. પરંતુ ઇંદિરા ગાંધીએ છપાતાં પહેલાં એ ઇન્ટરવ્યુ વાંચ્યો ન હતો. સંજય ગાંધીની કૃપાથી સરકારી સેન્સરે લેખને લીલી ઝંડી આપી દીધી. કટોકટી પછી સંજય ગાંધીના પહેલવહેલા ઇન્ટરવ્યુ જેવા ‘સ્કૂપ’નો ભરપૂર ફાયદો મેળવવા માટે તેના કેટલાક અંશ પીટીઆઇ, યુએનઆઇ અને રોઇટર્સ જેવી સમાચારસંસ્થાઓને પૂરા પાડવામાં આવ્યા. પરંતુ ઇન્ટરવ્યુના અંશ પ્રગટ થતાંની સાથે જ ખળભળાટ મચ્યો. સમાજવાદનાં ઠેકેદાર ઇંદિરા ગાંધીના  જમણા હાથ જેવા સંજયના ખાનગીકરણતરફી અને સામ્યવાદવિરોધી વિચારો દેશ ઉપરાંત વિદેશોમાં પણ ગરમાગરમ ખબર તરીકે છપાયા. ઇંદિરા ગાંધી બચાવની મુદ્રામાં આવી ગયાં. તેમના સચિવ પી.એન.ધરે શક્ય એટલાં ભારતીય અખબારોમાં આ સમાચાર છપાતા અટકાવ્યા. ઉમા વાસુદેવને પણ કહી દેવામાં આવ્યું કે તમારે ઇન્ટરવ્યુ ધરાવતા મેગેઝીનનો અંક પ્રકાશિત કરવાનો નથી.

રાજકીય હોબાળો એવો થયો કે કટોકટી હોવા છતાં, ઇંદિરા ગાંધી અને તેમના સલાહકારોના દબાણથી સંજય ગાંધીએ ખુલાસો આપવો પડ્યો. તેમાં સામ્યવાદીઓને ભ્રષ્ટ અને પૈસાદાર ગણાવવાના મામલે તેમણે વાત વાળી લેવાનો પ્રયાસ કર્યો હતો. ઉમા વાસુદેવે તેમના પુસ્તક ‘ટુ ફેસીસ ઑફ ઇંદિરા ગાંધી’/ Two faces of Indira Gandhiમાં નોંઘ્યા પ્રમાણે, ખુદ સંજય ગાંધીને બોલેલું વાળવાનું થયું એનો બહુ ગુસ્સો ચડ્યો હતો, પણ બીજી રીતે જોઇએ તો, કટોકટી દરમિયાન કદાચ પહેલી અને છેલ્લી વાર ખુદ સંજય ગાંધીને સરકારી સેન્સરશીપનો સ્વાદ ચાખવા મળ્યો

1 comment:

  1. સંજય ગાંધીનું રાજકારણ પણ જો અગર હિન્દુસ્તાનમાં ચાલ્યું હોત તો કોઈજ કંઈ જ લોકોના જીવનમાં ધોરણમાં ફર્ક નાં પડતે,હિન્દુસ્તાનના રાજકારણીઓ,સરકારી અમલદારો,પોલીસ, અને પૈસાદારોએ પોતાનોજ સ્વાર્થ જોયો છે તેમના કુટુંબીઓ,સગાઓમાંજ અને મીત્રોમાંજ રાષ્ટ્ર ધન કરોડોનું ધન ઉસેડીને ઠાલવ્યું છે! બોડી બામણીનું ખેતર સમજીને લણે રાખ્યું છે,આ કોઈ નવી વાત
    નથી કરી,
    ઉર્વીશભાઈ, તમે ખોળી ફંફોળીને આ એક દસ્તાવેજ જેવો લેખ રજુ કરીને સંજય ગાંધીના વિચારો કેવા હતા તે અત્યારની પેઢીને માહિતગાર કરવાનો સારો પ્રયત્ન કહેવાય,પણ અગર જો તેને કોઈ સંજોવાશત સત્તા પ્રાપ્ત થી હોત તો કોઈજ ક્રાંતિ પણ આ આવી જાત! પણ કેવી હોત તેની તે માટે કલ્પના જ કરવાની
    હાલની અબજથી વધુ (ત્યારની કરોડોની) વસ્તીનું એક હથ્થુ સત્તા પરનું કેન્દ્રિત સ્થાનેથી રાજ ચલાવવું એ એક કપરી સમસ્યા છે અને હાલ લોકશાહીને નામે જે લોકો પર રાજ ઠોકી બેસાડવામાં આવ્યું છે તેમાં પણ નબળા અને ગરીબ વર્ગનો તો કોઈજ ભાવ નથી પૂછતું. જે કોઈ ફાવેલા નજરે પડે છે તે બધા લાંચરુશવતની આડશ લઈને લીલા લહેર કરે છે.
    સદનાગરિક ધર્મ (ફરજ)ની કોઈજને નથી પડી,તે કોઈને યાદ્દ્જ નથી! શું કહેવું ? ધર્મના નામે કૈક ધતિંગ,ધોખેબાજીના ખેલ અને તમાશા રોજબરોજ નીતનવા જોઈએ છીએ.
    અરે ખબરોના માધ્યમો ને પ્રસારણો પણ પોતાનું 'politics' ચાલવતા રહે છે. सभी अपने अपने तानपुरा बजाने में मशगुल है!
    દુનિયાના બીજા દેશોમાંતો બેહદ પરિસ્થિતિ બેકાબુ બનતી જાય છે. નબળા ને ગરીબ લોકોના જીવન ધોરણો નીચાં પડતાં જાય છે.
    આપણે તો હિન્દુસ્તાનની વાત કરતા હતા, આજે ૬૮ વર્ષો પછી ક્ષિતિજ્ની દિશાઓ ધૂંધળી નજરે પડે
    છે! ક્યારે આવશે ઉજાસ? તેનીજ રાહ જોતા રહેવાનું છે.

    ReplyDelete