Tuesday, July 29, 2014

ઇઝરાઇલ-પૅલેસ્ટાઇન લડાઇ (૨) : અંતિમવાદનાં માઠાં ફળ

ગાઝા પટ્ટી વિસ્તારમાં ઇઝરાઇલે કરેલા હવાઇ અને જમીની આક્રમણમાં ગાઝાના ૮૪૦ લોકો માર્યા ગયા. ઇઝરાઇલના પક્ષે ખુવારી : ૩૫ સૈનિકો, બે ઇઝરાઇલી નાગરિકો અને થાઇલેન્ડનો એક કામદાર. કુલ ૩૮. (૨૫-૭-૧૪ સુધીનો આંકડો)

ગાઝામાં ‘હમાસ’ના લોકોની સાથોસાથ મોટી સંખ્યામાં નિર્દોષોનાં-બાળકોનાં મૃત્યુ બાબતે ઉહાપોહ થઇ રહ્યો છે, ત્યારે ‘વૉલસ્ટ્રીટ જર્નલ’માં એક લેખકે એવી દલીલ કરી કે ‘જે લોકો હમાસ જેવા ત્રાસવાદી સંગઠનને ચૂંટીને સત્તા સોંપે, રક્તરંજિત ત્રાસવાદીઓને ભેળા બેસાડીને જમાડે અને પોતાના ઘરમાં તેમના અડ્ડા સ્થાપવા દે એવા લોકો ‘સિવિલિયન’ (નિર્દોષ નાગરિક) ગણાવાનો અધિકાર ગુમાવી બેસે છે...આવું કરનારા પોતે જ પોતાની જાતને નિશાન બનાવે છે.’ ટૂંકમાં, ઇઝરાઇલી હુમલામાં એ લોકો મરે તો મરે. એમાં કકળાટ કેવો? આ લેખકે ન્યાયના આભાસ ખાતર એટલું કહ્યું કે ‘કેટલાક નિર્દોષો મરે છે ખરા- અને તેમનું શું કરવું એ ઇઝરાઇલ માટે ‘ડીપેસ્ટ મૉરલ ડાયલેમા’ -ગંભીરતમ નૈતિક અવઢવ છે.’ પણ મોટા ભાગના મૃતકો તેમને ‘હમાસ’ના મળતિયા અને એ કારણથી મોતને લાયક લાગ્યા.

શીરાની જેમ ગળે ઉતરી જાય એવી દલીલનો પાયો કાચો છે. ગાઝાના લોકોએ હિંસાવાદી સંગઠન ‘હમાસ’ને ૨૦૦૬માં ચૂંટ્યું એ ખરું. ગાઝામાં રહેતા ઘણા લોકો ‘હમાસ’ પ્રત્યે છૂપી કે પ્રગટ સહાનુભૂતિ ધરાવતા હશે એ પણ સાચું. પરંતુ આ બધા વચ્ચે માત્રાભેદ પાડ્યા વિના, તેમનાં મોતને લગભગ વાજબી ઠરાવવામાં ન્યાયબુદ્ધિ તો ઠીક, પ્રમાણભાનનો પણ અભાવ લાગે છે.

વધારે મહત્ત્વનો મુદ્દો : ૧૯૭૦ના દાયકાના અંતમાં ‘હમાસ’ની માતૃસંસ્થા ‘મજમા અલ-ઇસ્લામિયા’નો ઉદ્‌ભવ અને વિકાસ થયો. તેને ઇઝરાઇલનું સમર્થન હતું. એ વખતે યાસર અરાફતની આગેવાની હેઠળના ધર્મનિરપેક્ષ સંગઠન ‘ફતહ’ (‘હરકત અલ-તહરીર અલ-વતની અલ-ફિલિસ્તિની’ની અવળી ટૂંકાક્ષરી)નું વર્ચસ્વ હતું. તેની સામે ઇઝરાઇલે ‘મજમા અલ-ઇસ્લામિયા’ અને તેના વડા શેખ યાસીનને પ્રોત્સાહન આપ્યું. આગળ જતાં એ જ સંગઠનની ધાર્મિક કટ્ટરતામાંથી હિંસાખોર ‘હમાસ’નો જન્મ થયો. આજની તારીખમાં શેખ યાસીન ‘હમાસ’ માટે પ્રેરણામૂર્તિ છે. એટલું જ નહીં, ‘હમાસ’ના કેટલાંક દેશી રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડનું નામ ‘યાસીન’ આપવામાં આવ્યું છે.

(અફઘાનિસ્તાનમાં ઘુસેલા રશિયન સૈન્ય સામે લડવા માટે અમેરિકા ઓસામા બિન લાદેનને પાંખમાં લે અને રશિયાની અફઘાનિસ્તાનમાંથી વિદાય પછી એ જ લાદેન વખત જતાં અમેરિકાનની સામે પડે, કંઇક એવો ઘાટ ઇઝરાઇલ અને શેખ યાસીનની બાબતમાં થયો.)

તો લેખકના તર્ક પ્રમાણે, હમાસની માતૃસંસ્થાને પોષણ-ઉત્તેજન આપવું, એ હમાસને ચૂંટવા કરતાં વધારે મોટો ગુનો ન ગણાય?  અને એ સંસ્થાનું ફરજંદ ‘હમાસ’ રોકેટો છોડીને નિર્દોષ ઇઝરાઇલીઓના જીવ જોખમમાં મૂકે તો, નિર્દોષ ઇઝરાઇલીઓ એ જ દાવના ન કહેવાય?

પણ આ તારણ વાજબી કે ન્યાયી નથી. તર્કને સગવડ પ્રમાણે મરોડવાથી કેવું પરિણામ આવે, એ દર્શાવવા પૂરતું જ તેને અહીં મૂક્યું છે. ખેદની વાત એ છે કે કુતર્ક લડાવવામાં અને હિંસાખોરી આચરવામાં ‘હમાસ’ અને ઇઝરાઇલી સરકાર એક સિક્કાની એક જ બાજુએ છે.

છેલ્લો મુદ્દો ઇઝરાઇલના કથિત ‘ડીપેસ્ટ મૉરલ ડાયલેમા’નો. પૅલેસ્ટાઇન મુદ્દે આરંભથી ઇઝરાઇલનું વલણ કોઇ પણ ભોગે પોતાનું ધાર્યું કરવાનું રહ્યું છે. હા, આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા કેટલાક યહુદીઓ અલાયદા યહુદી રાષ્ટ્રની તરફેણમાં હોવા છતાં, ‘આરબોની બાદબાકીવાળા, સુવાંગ યહુદી રાજ્ય’ બાબતે ‘મૉરલ ડાયલેમા’ અનુભવતા હતા. ઇઝરાઇલતરફી હિંસાવાદીઓએ નિર્દોષ આરબો પર કરેલા હુમલા અને હત્યાકાંડથી તેમને દુઃખ થતું હતું. તેમનો ઝુકાવ આરબો સાથે શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વ તરફ હતો, જે તત્કાલીન ઇઝરાઇલ અને આરબો- બન્નેનેે નામંજૂર હતો.

સંકુચિત ઘ્યેયનિષ્ઠા

ગયા સપ્તાહે આપણે જોયું કે સદીઓથી જ્યાં આરબો વસતા હતા, એ ભૂમિમાં યહુદીઓએ ધીમે ધીમે અને આયોજનપૂર્વક વસવાનું શરૂ કર્યું. ધાર્મિક કારણથી તે પેલેસ્ટાઇનને હજારો વર્ષ પહેલાંની પોતાની ભૂમિ માનતા હતા અને તેને હસ્તગત કરવાનો પોતાનો અધિકાર સમજતા હતા. આરબો વગરનું ઇઝરાઇલ કેટલાક અંતિમવાદી યહુદીઓનું આખરી ઘ્યેય હતું. પોતાના સૈન્યબળ અને બ્રિટન-અમેરિકા જેવી વૈશ્વિક સત્તાઓના આશીર્વાદથી તેમણે એ ઘ્યેય ઘણી હદે પાર પાડ્યું અને ૧૯૪૮માં ઇઝરાઇલની સ્થાપના કરી. પૅલેસ્ટાઇનમાં સદીઓથી રહેતા લોકો એ જ ભૂમિમાં પરાયા બન્યા.

ઇઝરાઇલના સળંગ નકશામાં વચ્ચે આવતા બે વિસ્તાર- વેસ્ટ બેન્ક અને ગાઝા સ્ટ્રીપ- ત્યારે અનુક્રમે જોર્ડન અને ઇજિપ્તના તાબામાં હતા. બાકીના પૅલેસ્ટાઇન પર ઇઝરાઇલે બળથી કબજો જમાવી દીધો, એટલે આરબોનો મોટો સમુહ ગાઝા અને વેસ્ટ બેન્કમાં પહોંચ્યો અને ત્યાં વસ્યો. તેમાંના ઘણાખરાને ઇઝરાઇલી આક્રમણના પગલે પોતાનાં અસલનાં ઘરબાર છોડીને ભાગવું પડ્યું હતું અને ગાઝા સ્ટ્રીપ- વેસ્ટ બેન્કના પ્રમાણમાં નાના વિસ્તારમાં ખીચોખીચ ભરાવું પડ્યું હતું. તેમના મનમાં ઇઝરાઇલીઓ માટે કેવો ધીક્કાર હતો અને એ શા માટે હતો, તેનો અંદાજ ઇઝરાઇલના લશ્કરી વડા અને યુદ્ધનાયક મોશે દાયાનના શબ્દો પરથી જાણી શકાય છે.

૧૯૫૬માં યહુદીઓની એક સામુહિક વસાહત (કિબુત્ઝ) પર પેલેસ્ટાઇન-તરફીઓએ કરેલા હુમલામાં એક સલામતી રક્ષક મૃત્યુ પામ્યો. તેને અંજલિ આપતાં મોશે દાયાને કહ્યું હતું,‘દોષનો ટોપલો આપણે હત્યારાઓના શિરે ન ઢોળીએ...એ લોકોના (આરબોના) મનમાં આપણા માટે રહેલા ભડભડતા ધીક્કારને શા માટે વખોડવો? આઠ-આઠ વર્ષથી એ લોકો ગાઝાની શરણાર્થી વસાહતોમાં રહે છે. જે જમીન અને ગામમાં એ લોકો અને તેમના બાપદાદા વસતા હતા, એને તેમની નજર સામે આપણે આપણી જાગીરમાં તબદીલ કરી રહ્યા છીએ.’ અલબત્ત, મોશે દાયાનની વાતમાં અન્યાયનો આડકતરો સ્વીકાર હોવા છતાં, અફસોસનો અંશમાત્ર ન હતો. ‘આપણી પેઢીની આ નીયતી છે’ અને ‘સજ્જ-મજબૂત નહીં રહીએ તો રહેંસાઇ જઇશું’ એવું તે દૃઢપણે માનતા હતા અને એ જ પ્રમાણે વર્તતા રહ્યા.

ઇઝરાઇલ અસ્તિત્ત્વમાં આવ્યું ત્યારથી જ એક સમીકરણ એવું બેસાડી દેવામાં આવ્યું કે ‘ઇઝરાઇલ માટે દરેક લડાઇ અસ્તિત્ત્વની લડાઇ છે. એ લડે નહીં તો ખતમ થઇ જાય. માટે, એની પર યુદ્ધખોરીનો આક્ષેપ ન મૂકી શકાય.’

આ દલીલમાં તથ્ય છે. છતાં, એ સંપૂર્ણપણે સાચી નથી. આ દલીલ થાય ત્યારે એ કદી ભૂલાવું ન જોઇએ કે ઇઝરાઇલે બીજાના અધિકારો પર તરાપ મારીને પોતાનું અસ્તિત્ત્વ ઊભું કર્યું છે. પહેલી નજરે નિર્દોષ લાગતો એવો સવાલ પૂછવામાં આવે છે કે ‘શું કોઇ દેશને પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખવાનો અધિકાર પણ નથી?’ પરંતુ તેની પહેલાં અચૂકપણે પૂછાવો જોઇતો- અને મોટે ભાગે ન પૂછાતો- સવાલ એ છે કે ‘શું કોઇ પ્રજાને સદીઓથી પોતે જ્યાં રહેતા આવ્યા છે એવી જગ્યા પર અગાઉની જેમ જ, પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખવાનો અધિકાર નથી?

રહી વાત ઇઝરાઇલની ‘મર્દાનગી’ અને તેના યુદ્ધકૌશલ્યની. તેને આ સંદર્ભો બાજુ પર રાખીને કેવળ યુદ્ધકથા તરીકે જોતાં, એ પ્રશંસનીય કે જોરદાર લાગી શકે. પરંતુ એ વાર્તારસની વાત થઇ. તેના આધારે ઐતિહાસિક ઘટનાક્રમનું કે ન્યાય-અન્યાયનું મૂલ્યાંકન કરી ન શકાય.

એક દલીલ એવી થાય છે કે આરબો પૅલેસ્ટાઇનમાં સદીઓથી રહેતા હતા, તો યહુદીઓ પણ પાંચેક પેઢીથી પૅલેસ્ટાઇનમાં રહેવા લાગ્યા હતા. એ દૃષ્ટિએ પૅલેસ્ટાઇન જેટલું આરબોનું, એટલું જ પાંચ પેઢીથી વસતા યહુદીઓનું પણ ન કહેવાય?  બેશક કહેવાય. પરંતુ યહુદીઓનો પૅલેસ્ટાઇન પરનો દાવો પાંચ પેઢીના વસવાટને આધારે નહીં, એ હજારો વર્ષ પહેલાં પોતાનું વતન હતું, એ કારણથી હતો.

પૅલેસ્ટાઇનમાં યહુદીઓના વસ્તીવધારાના આંકડા જોવાથી આ હકીકત સ્પષ્ટ થઇ જશે. ત્યાં યહુદીઓનો વસ્તીવધારો સ્વાભાવિક ક્રમમાં નહીં, પણ પૅલેસ્ટાઇનને પોતાનું હજારો વર્ષ પહેલાનું વતન ગણીને, ત્યાં ઠલવાતા યહુદીઓને આભારી હતો. ૧૯૨૨માં પૅલેસ્ટાઇનમાં આશરે ૮૦ હજાર યહુદીઓ હતા, પરંતુ ૧૯૩૯ સુધીમાં તેમાં બીજા ૩.૭૦ લાખ યહુદીઓ ઉમેરાઇ ચૂક્યા હતા. ૧૯૩૯થી ૧૯૪૮ સુધીના ગાળામાં વઘુ ૩.૦૮ લાખ યહુદીઓ પૅલેસ્ટાઇન આવ્યા. ૧૯૪૮થી ૧૯૫૧ સુધીમાં બીજા ૬.૪૫ લાખ યહુદીઓ ઇઝરાઇલ પહોંચ્યા. (તમામ આંકડા : જ્ઞાનગંગોત્રી શ્રેણી, ભાગ-૮, વિશ્વદર્શન- અદ્યતન ઇતિહાસ, પૃ. ૩૧૯-૨૦) તેમનું આખરી ઘ્યેય આરબો સાથેનું શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વ નહીં, આરબરહિત યહુદી રાષ્ટ્રનું હતું, જે સ્વાભાવિક રીતે આરબોને નાકબૂલ હતું.

આરબોએ અપનાવેલા હિંસાખોરીના રસ્તાને લીધે કાતીલ વિષચક્ર સંપૂર્ણ બન્યું. હિંસાનો આશરો લઇને ઇઝરાઇલનું અસ્તિત્ત્વ ભૂંસી નાખવાના આરબોના અને ઇજિપ્ત, સિરીયા, જોર્ડન જેવા પાડોશી રાષ્ટ્રોના પ્રયાસો સદંતર નિષ્ફળ ગયા. ઇઝરાઇલ સામે યુદ્ધમાં તેમને કારમા પરાજય વેઠવા પડ્યા. એ નિષ્ફળતાથી આરબોને હિંસક કાર્યવાહીની વ્યર્થતા સમજાઇ હોત તો, લાંબા ગાળે વિષચક્ર અટકી શક્યું હોત. પરંતુ એવું બન્યું નહીં. માટે, વર્તમાન સંજોગોમાં કોઇ એક પક્ષ સદંતર નિર્દોષ અને કોઇ એક પક્ષ સદંતર દોષી, એવા સ્પષ્ટ ભાગ પાડી શકાય એમ નથી. 

5 comments:

  1. સ્નેહી ઉર્વીશભાઈ,

    તમારી વાત વાંચીને એક નવો દ્રષ્ટિકોણ મળ્યો ને મારા વિચારોને વેગ પણ મળ્યો. સાથે સાથે કેટલાક પ્રશ્નો પણ ઉદભવ્યા એમાંનો એક છે ઇઝરાયેલનો ઈતિહાસ શું છે? એ જાણવા માટેનો કોઈ પ્રમાણભૂત દસ્તાવેજ ખરો કે નહિ?

    આ પ્રશ્ન એટલા માટે ઉદભવે છે કે મેં જે જે સ્ત્રોતમાંથી ઈતિહાસ જાણવાનો પ્રયત્ન કર્યો એ દરેક જગ્યાએ બાઈબલને સંદર્ભ તરીકે ટાંકવામાં આવે છે. જો બાઈબલને સંદર્ભ તરીકે ન લઈએ તો પછી બીજા કયા અધિકૃત દસ્તાવેજો જ્યાંથી ઈઝરાયેલના ઈતિહાસ વિશેની જાણ મળી શકે.

    ReplyDelete
  2. Sorry Urvishbhai for encroaching your space to answer Kamalbhai's query for authentic documents on history of Israel. It is difficult to obtain and go through thousands of documents hence we may take benefit of such research by others. Some popular authors have written books on how Israel came into being, notable are Exodus by Leon Uris and O Jerusalem by Larry Collins & Dominique Pierre. You can get these books any library or street vendor of popular fictions.

    ReplyDelete
  3. Anonymous8:39:00 AM

    "પૅલેસ્ટાઇનમાં યહુદીઓના વસ્તીવધારાના આંકડા જોવાથી આ હકીકત સ્પષ્ટ થઇ જશે. ત્યાં યહુદીઓનો વસ્તીવધારો સ્વાભાવિક ક્રમમાં નહીં, પણ પૅલેસ્ટાઇનને પોતાનું હજારો વર્ષ પહેલાનું વતન ગણીને, ત્યાં ઠલવાતા યહુદીઓને આભારી હતો. " thalvata - bahu ayaogya word che ahi...they are forced to leave europe becasuse of hitler e bahu sagvadta thi bhuli javayu che..

    Rahi vat nirdosh citizen ni to 2-3 days old NDTV video joi levo..hamas was assembling and firing rockets from civilian area.

    ReplyDelete
    Replies
    1. ’ઠલવાતા’ શબ્દ સામેનો તમારો વાંધો વાજબી છે. પણ એ ’સગવડતા’થી ભૂલવાનું કોઇ કારણ નથી. એની જગ્યાએ ’મોટી સંખ્યામા આવેલા’ એવું લખવું જોઇતું હતું.

      ’સગવડતા’થી ભૂલવું એટલે શું, એ કહું? તમારે આખા લેખમાં એક શબ્દના પ્રયોગની અયોગ્યતા અને તમારો પક્ષ રજૂ કરતી એક વિડીયો સિવાય બીજી બધી હકીકતો વિશે કશું જ કહેવાનું નથી.
      હમાસ ને ઇઝરાઇલ બન્નેની હિંસા સામે મને એકસરખો જ વાંધો છે. એટલે મને બન્નેની હિંસાની વિડીયો જોવા મળે છે અને એકેયને હું વાજબી ઠરાવી શકતો નથી. જ્યારે તમે હમાસની વિડીયો આગળ કરીને ઇઝરાઇલની હિંસા સગવડતાથી ભૂલી જાવ છો

      Delete
    2. Anonymous7:07:00 PM

      Urvish, Nice reply to Mr. Annonymous as an observer of both side(s), which would help and lead for an honest study of both side's account(s).

      Delete