Monday, June 16, 2014

પ્રશાંતના ચાર સાથી પત્રકારો પ્રતિકારના માર્ગે, ગાંધીધામ બ્યુરોચીફની ઝારખંડ બદલી

’મજિઠીયા પગારપંચનો અમલ અમારે જોઇતો નથી એવી સહીઓ કર્મચારીઓ પાસેથી ઉઘરાવવાની દિવ્ય ભાસ્કરની નીતિનો ચીફ રીપોર્ટર તરીકે પ્રશાંત દયાળે વિરોધ કર્યો,  ત્યારે તેણે પોતાના સાથી પત્રકારો પર સહી કરવા કે ન કરવા અંગે કોઇ જાતનું દબાણ કર્યું ન હતું. તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તમે પોતપોતાની રીતે વિચારીને, સ્વતંત્ર રીતે નિર્ણય લેજો.

શરૂઆતમાં ઘણા પત્રકારોને લાગ્યું હતું કે સહી ન કરવી. પરંતુ ૧૦ જૂન, ૨૦૧૪ની રાત્રે પ્રશાંતની ધનબાદ બદલીનો હુકમ જાહેર થયો. બીજા દિવસે, ૧૧ જૂનના રોજ, રીપોર્ટર્સ મિટિંગમાં ત્રણ પત્રકારોએ તંત્રી પાસેથી પ્રશાંતના મુદ્દે જાણકારી મેળવવાનો અને એ વિશે ચર્ચાનો પ્રયાસ કર્યો. તંત્રીએ પ્રશાંતના મુદ્દે કોઇ પણ વાત કરવાનો ઇન્કાર કરતાં ત્રણ પત્રકારો એ મિટિંગમાંથી ઊભા થઇ ગયા. 

તેમનાં નામઃ જિજ્ઞેશ પરમાર, તેજસ મહેતા અને નિમેષ ખાખરિયા. 

આ ત્રણેએ મજિઠીયા પંચને લગતા અન્યાયી સંમતિપત્રક પર સહી કરવાની પણ ના પાડી દીધી. બિમારીને લીધે એ મિટિંગમાં ગેરહાજર ચોથી પત્રકાર લક્ષ્મી પટેલને આ વાતની જાણ થતાં, તેણે પણ સહી ન કરવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો. આ ચારે પત્રકારોએ સ્પષ્ટ કર્યું છે કે સહી કરવાના દબાણને કારણે તેમણે ઓફિસે જવાનું બંધ કર્યું છે. આ લખાય છે ત્યાં સુધી તેમની સામે કોઇ કાર્યવાહી થઇ નથી.

પોતે જેની સાથે સંમત નથી એવા કાગળિયા પર સહી ન કરાય એવું વલણ લેનાર અને પોતાને લાગતા અન્યાય સામે અવાજ ઉઠાવવા બદલ જિજ્ઞેશ પરમાર, તેજસ મહેતા, નિમેષ ખાખરિયા અને લક્ષ્મી પટેલને અભિનંદન.  (તેમના વિશે આનંદ અને શુભેચ્છા પ્રગટ કરનાર સૌ, જરૂર પડે તો અને ત્યારે, તેમને જાહેર કે અંગત ધોરણે સહકાર આપવાની તૈયારી રાખે તો તેમના શબ્દો વધારે નક્કર લાગશે.)

દરમિયાન ~
  • દિવ્ય ભાસ્કરના ગાંધીધામના બ્યુરો ચીફ જયેશ શાહે સંમતિપત્ર પર સહી કરવાની ના પાડતાં તેમની પણ ઝારખંડ બદલી કરવામાં આવી છે. તે હવે કાનૂની લડાઇમાં પ્રશાંતની સાથે જોડાશે.
  • પ્રશાંતને લગતી બ્લોગપોસ્ટના પ્રતિભાવમાં ભૂજ આવૃત્તિના પત્રકાર ઇમરાન દલે આ પ્રમાણે કમેન્ટ લખી છે. તેને કશી વધારાની ટીકાટીપ્પણ કે કાપકૂપ-સુધારાવધારા વિના શબ્દશઃ અહીં મૂકી છેઃ
 પ્રિય, મારા પર પણ ભારે દબાણ હતું, છેવટે તા.12 જુને છેલ્લી ધમકી મળી. મજબુરીથી સહી કરવી પડી. રડ્યો, બે રાત થી મોડે સુધી ઊંઘ નથી આવતી, ખુબ મોટા અવાજે કહેલું કે બળજબરીથી કોઈ સહી લઇ જ કેમ શકે? પણ હવે શું? ખુદ સાથે થતા અન્યાય માટે પણ ના લડી શક્યો ! પ્રશાંત અમે તમારી સાથી છીએ. જરૂર પડે ત્યારે અવાજ દેજો,
  • પ્રશાંતે અગાઉ કહ્યું હતું તેમ, સહી કરનારા મિત્રો વિશે તેના મનમાં લેશમાત્ર ખરાબ લાગણી નથી. તેમની સ્થિતિ એ બરાબર સમજે છે. એટલે સહી કરી દેનારા મિત્રો વિશે કોઇએ કશો દુષ્પ્રચાર કરવો નહીં કે તેમની પર દબાણ લાવવા પ્રયાસ કરવો નહીં. 
અગાઉની બે નોંધોની લિન્ક


2 comments:

  1. Anonymous12:49:00 PM

    પ્રશાંતભાઈ આજે હું અહીં ફરી લખું છું ચિંતા ન કરશો અમે તમારી સાથે જ છીએ. એફબી પર એક વખત ખાલી મેસેજ મુકજો બધા સાથે આવી જશે. આર્થિક ચિંતા પણ ન કરતા.

    ReplyDelete
  2. Completely proud of prashant bhai and another 4 reporters. Best wishes.

    ReplyDelete