Saturday, June 14, 2014

'હું હારીશ તો એ હાર મારા એકલાની હાર હશે, પણ જો હું જીતીશ તો ‘ભાસ્કર’ જૂથના દરેક કર્મચારીની એ જીત હશે.' : પ્રશાંત દયાળ

સર્વોચ્ચ અદાલતે અખબારોને મજિઠીયા પંચ/ Majithia Wage Boardની ભલામણ પ્રમાણે કર્મચારીઓને પગાર આપવાનો આદેશ કર્યો. બીજાં અખબારોએ હજુ તેનો અમલ કર્યો નથી, પણ ‘દૈનિક ભાસ્કર’ જૂથે બે ડગલાં આગળ વધીને, ‘અમારે મજિઠીયા પંચની ભલામણો પ્રમાણે પગાર જોઇતો નથી’ એવી સહી કર્મચારીઓ પાસેથી ઉઘરાવવાનું શરૂ કર્યું. ‘દિવ્ય ભાસ્કર’ (અમદાવાદ)ના ચીફ રીપોર્ટર પ્રશાંત દયાળે આવા ‘સંમતિપત્ર’  પર સહી કરવાની ના પાડી અને કહ્યું કે સાથી રીપોર્ટરોને પણ તે સહી કરવાની ફરજ નહીં પાડે. તેના પગલે પ્રશાંતની બદલી અમદાવાદથી ધનબાદ કરવામાં આવી. (વઘુ વિગત માટે જુઓ : http://urvishkothari-gujarati.blogspot.in/2014/06/blog-post_12.html )

પ્રશાંત અને ‘દિવ્ય ભાસ્કર’ના મેનેજમેન્ટ વચ્ચે નોટિસોની આપ-લે થયા પછી હવે કાનૂની રાહે આગળની લડત ચાલશે. પરંતુ આખા ઘટનાક્રમ અને તેમાં લોકોના વિવિધ પ્રતિભાવો વિશે પ્રશાંત પોતે શું માને છે? આજે પ્રશાંત સાથે થયેલી વાતચીતનો ટૂંકસારઃ

Prashant Dayal / પ્રશાંત દયાળ
ઘણા લોકો એવું કહે છે કે મિત્રોએ પ્રશાંતને દગો કર્યો કે મિત્રો છોડી ગયા. તેમણે સાથ ન આપ્યો. 

પ્રશાંતની સમજ : આમાં કોઇ મિત્રોના દગાનો પ્રશ્ન જ નથી. જેટલા મિત્રો જેટલું સાથે ચાલી શક્યા તેનો આનંદ છે. જે સાથે ચાલી નથી શક્યા, તેમના વિશે હું એવું નથી માનતો કે તેમણે દગો કર્યો છે. હું માનું છું કે તેમને પણ મારા માટે લાગણી છે અને મારી વાતમાં રહેલી સચ્ચાઇ તે સમજે છે. પણ તે પોતપોતાનાં કારણોસર બંધાયેલા છે. આ બઘું બન્યું ત્યારે તરત થોડું એવું લાગ્યું હશે, પણ ત્યાર પછી કદી મને કોઇ મિત્રો માટે ખરાબ લાગ્યું નથી, પછી તે ‘ભાસ્કર’ના મેનેજમેન્ટના મિત્રો હોય કે બીજા પત્રકાર-બિનપત્રકાર મિત્રો. મારી લડાઇ વ્યક્તિઓ સામેની નહીં, ‘ભાસ્કર’ તરફથી પરાણે સંમતિપત્રક પર કરાવાતી સહી સામે હતી અને છે. સંમતિપત્રક પર સહી કરનારા, ‘ભાસ્કર’માં કામ કરતા તમામ મિત્રોને હું કહેવા ઇચ્છું છું કે મહેરબાની કરીને તમારા મનમાં અપરાધભાવ (ગિલ્ટ) ના રાખતા. તમારી લાગણી મારી સાથે છે એ દર્શાવવા માટે તમારે કશી સાબિતી આપવાની જરૂર નથી. તમારી લાગણી મારી સાથે છે એની મને ખાતરી છે.

ઘણા શુભેચ્છકો ચિંતાથી કહે છે કે આ લડાઇમાં તમે હારી જશો...

પ્રશાંતની સમજ : આ લડાઇ હાર-જીતની નથી. અન્યાય સામેની લડાઇમાં નોકરીની કે રૂપિયાના નુકસાનની ચિંતા મેં રાખી નથી. વર્ષો પહેલાં હું નવોદિત હતો અને મારો પગાર રૂ.૫૦૦માંથી વધારીને રૂ.૧,૨૦૦ કરવામાં આવ્યો (જે ત્યારે મોટી રકમ હતી). પછી મને કહેવામાં આવ્યું કે તમારે રૂ.૨,૦૦૦ના વાઉચર પર સહી કરવાની છે, ત્યારે મેં સાફ ના પાડી હતી અને કહ્યું હતું કે આવી ખોટી રીતે હું સહી નહીં કરું. મારો પગાર રૂ.૫૦૦ જ રહ્યો. એનો મને વાંધો ન હતો, પણ ખોટી રીતે સહી કરવાનું મને મંજૂર ન હતું.

ખોટી રીતની સામે લડવું મારા માટે અગત્યનું છે. મારી ‘ભાસ્કર’ની નોકરી તો ગઇ જ છે. કોર્ટમાં હું  હારીશ તો એ હાર મારા એકલાની હાર હશે, પણ જો હું જીતીશ તો ‘ભાસ્કર’ જૂથના દરેક કર્મચારીની એ જીત હશે. આ સોદો મને મંજૂર છે.

ઘણા મિત્રો લાગણીથી પૂછે છે કે અમે કેવી રીતે મદદરૂપ થઇ શકીએ? 

પ્રશાંતની સમજ : હાલ તો કાનૂની લડાઇ વકીલના સ્તરે શરૂ થઇ છે, પણ હાઇકોર્ટમાં જવાનું થશે ત્યારે ફી જેવા ખર્ચ માટે રૂપિયાની જરૂર પડશે. આ લડાઇ નોકરી માટેની નહીં, પણ અન્યાય સામેની અને હક માટેની છે. એટલે એમાં બહુ પ્રેમથી આર્થિક મદદ સ્વીકારવામાં આવશે. પણ આર્થિક મદદની ક્યારે જરૂર છે, એની યોગ્ય સમયે જાણ કરીશું.

9 comments:

  1. शरीक ए जश्ने ए नाकामी भी जिगर की बात है,
    जो भी बेदाग कामियाब हो, वो सामने आए !

    ReplyDelete
  2. Anonymous3:52:00 PM

    પ્રશાંતભાઈ અમે તમારી સાથે જ છીએ. ગમે ત્યારે અહીં કમેન્ટ મુકજો. રૂપિયાની ચિંતા ન કરતા.

    ReplyDelete
  3. prashantbhai keep it up. mari bless aapni sathe che. himat e marda to madade khuda. ..

    ReplyDelete
  4. પ્રશાંતભાઈ, શોષણ અને અન્યાય સામે છેવટ સુધી નમતું ન મેલવું એ તમારા લોહીમાં છે ને એમાં કોઈ બાંધછોડ ના હોઈ શકે. આગળ વધતા રહો ને અન્યાયના મૂળિયાંને મૂળસોતાં ઉખેડવામાં સફળ રહો એવી શુભેચ્છાઓ!

    ReplyDelete
  5. પ્રિય, મારા પર પણ ભારે દબાણ હતું, છેવટે તા.12 જુને છેલ્લી ધમકી મળી. મજબુરીથી સહી કરવી પડી. રડ્યો, બે રાત થી મોડે સુધી ઊંઘ નથી આવતી, ખુબ મોટા અવાજે કહેલું કે બળજબરીથી કોઈ સહી લઇ જ કેમ શકે? પણ હવે શું? ખુદ સાથે થતા અન્યાય માટે પણ ના લડી શક્યો ! પ્રશાંત અમે તમારી સાથી છીએ. જરૂર પડે ત્યારે અવાજ દેજો,

    ReplyDelete
  6. Anonymous1:12:00 PM

    David and Golliath story is every where. One thing is there, constant fight, continuity, honesty always pay for a cause.

    A good picture could be estimated.

    ReplyDelete
  7. Anonymous3:55:00 PM

    ઉર્વીશભાઈ, ગુજરાતના તમામ પત્રકારો તમને આ માટે ખૂબ શુભેચ્છા પાઠવી રહ્યા છે. તમે આ કામ ખૂબ સારું કર્યું છે. પ્રશાંત દયાળે તો જે હિંમત દાખવી છે તે ખરેખર સલામીને પાત્ર છે. તેઓ પોતે હવે જીવતી વારતાનું પાત્ર બન્યા છે ત્યારે તેમને ચોક્કસ ગુજરાતી પત્રકારો અને ગુજરાતી વાચકોનો સાથ-સહકાર મળશે જ એમાં કોઈ બેમત નથી.

    ReplyDelete
  8. પ્રશાંત ભાઈને એમની નિષ્ઠા અને નીતિ માટે નમન !

    ReplyDelete