Tuesday, May 06, 2014

તરફીઓ-વિરોધીઓની બહુધ્રુવી દુનિયા

રાજકીય પક્ષો અને નેતાઓ વચ્ચે શાબ્દિક કુસ્તીની નવાઇ નથી, પરંતુ એ લડાઇ મોટે ભાગે ડબલ્યુડબલ્યુએફની ફાઇટ જેવી લાગે છે : હાકલાપડકારા વધારે અને (બન્ને પક્ષોને) નુકસાન ઓછામાં ઓછું. તેમાં જો કોઇના ‘પૈસા પડી જતા હોય’ તો એ નાગરિકોના. કારણ કે તેમનામાંથી ઘણા પોતપોતાના પ્રિય પક્ષ સાથે ભાવનાત્મક રીતે જોડાઇ જાય છે, તેમની પર લાગણીના દાવ લગાડે છે, પ્રિય નેતાઓમાં અતિમાનવીય શક્તિઓનું આરોપણ કરે છે (‘અરે, મારાવાળો પહેલવાન તારા પહેલવાનને એક ફૂંકમાં ઉડાડી મૂકશે.’), એમ કરવામાં ઘણી વાર  હૂંસાતૂંસીમાં ઉતરી પડે છે અને પોતાના તથા જગતના તનાવમાં વધારો કરે છે.

ચૂંટણીટાણે આ પ્રકારની ખેંચતાણ ચરમસીમાએ પહોંચે છે. એમાં પણ ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી જેવા વિવાદાસ્પદ નેતા હોય ત્યારે નાગરિકોનું મોટા પાયે ઘુ્રવીકરણ થાય છે. આખું રાજકારણ જાણે મોદીતરફી અને મોદીવિરોધી એવી બે છાવણીઓમાં વહેંચાઇ જાય છે. એવું વાતાવરણ સર્જાય છે, જાણે નેતાઓને બાજુ પર રાખીને, નાગરિક ભૂમિકાએ રાજકારણનો વિચાર શક્ય જ ન હોય.

સહેલાં સમીકરણ

‘સપનામાં સપનું અને એમાં પણ એક સપનું’- એવું વિશિષ્ટ કથાવસ્તુ ધરાવતી ફિલ્મ ‘ઇન્સેપ્શન’ની વાર્તામાં હીરો કોઇ વ્યક્તિના સ્વપ્નમાં (એટલે કે તેની શારીરિક કે માનસિક તંદ્રાવસ્થામાં) જઇને તેના મનમાં એક વાત રોપી આવે. પછી એ વ્યક્તિ જાગે અને પેલી વાત વિશે વિચારે તો એને એવું જ લાગે કે એ તેનો મૌલિક વિચાર છે. આખી વાત બીજા કોઇએ તેના મનમાં રોપેલી છે, એવો અંદેશો સુદ્ધાં તેને ન આવે.

નરેન્દ્ર મોદીના ચાહકોમાંથી ઘણા માને છે કે દુનિયા બે ધ્રુવમાં વહેંચાયેલી છે : મોદીતરફી અને મોદીવિરોધી. ઘણા મોદીચાહકો એવું પણ માને છે કે ‘જે મોદીના વિરોધી, તે આપણા દુશ્મન.’ આવો અંતિમવાદી વિચાર તેમને એટલો સ્વાભાવિક- એટલો પોતાનો લાગે છે કે તેમના મનમાં એ કોણ અને ક્યારે રોપી ગયું એવો ખ્યાલ સુદ્ધાં તેમને આવતો નથી. સોશ્યલ નેટવર્કિંગ જેવાં માઘ્યમો આ પ્રકારની અંતિમવાદી-ધીક્કારકેન્દ્રી વિચારસરણી આગળ ધપાવવા માટે, બે આંખની શરમ વગરનું, આદર્શ માઘ્યમ પૂરું પાડે છે. રાજકીય બાબતમાં વિરોધી વિચાર ધરાવનાર સાથે સાત પેઢીનું વેર હોય એવી વર્તણૂંકની સોશ્યલ નેટવર્કિંગ પર બિલકુલ નવાઇ રહી નથી.

આવું બનવા પાછળ વ્યક્તિપૂજાના સંસ્કાર અને પ્રગટ-પ્રચ્છન્ન કોમવાદી માનસિકતાથી માંડીને અભાનપણે પીધેલાં પ્રચારનાં અફીણ જેવાં પરિબળ જવાબદાર હોય છે. તેમની અસર એવી થાય છે કે  ‘મોદીતરફી એટલે સુશાસનપ્રેમી એટલે વિકાસપ્રેમી એટલે ગુજરાતપ્રેમી એટલે દેશપ્રેમી’ એવું સમીકરણ બેસાડીને ઘણા લોકોને સંતોષ થતો નથી. કારણ કે આટલે સુધીની માન્યતા અંતિમવાદ અને ઘુ્રવીકરણનું આરંભબિંદુ છે. કેટલાક લોકો એ ભૂમિકા પર રહીને અંતિમવાદી બનવામાંથી ઉગરી જાય છે. મોદીની ટીકા સાથે તે સંમત થતા નથી અને ટીકાકારો સાથે ખુન્નસભર્યું વર્તન પણ કરતા નથી.

પરંતુ રાજકીય પક્ષો માટે ધ્રુવીકરણ સૌથી ઇચ્છનીય અને આદર્શ સ્થિતિ છે. એ સિદ્ધ ન થાય અને વ્યક્તિના મનમાં શંકા, સ્વતંત્ર વિચાર કે મૂળભૂત સભ્યતા પ્રેરતું તત્ત્વ દૂર ન થઇ જાય, ત્યાં સુધી રાજકીય પક્ષોનું કામ પૂરું થતું નથી. તેમનો સીધો-આડકતરો મારો એવો હોય છે કે ‘મોદીવિરોધી એટલે કોંગ્રેસતરફી એટલે ભ્રષ્ટાચારતરફી એટલે સુશાસનવિરોધી એટલે વિકાસવિરોધી એટલે ગુજરાતવિરોધી એટલે દેશદ્રોહી.’ આવું સમીકરણ (‘ઇન્સેપ્શન’ની જેમ), મોદીપ્રેમીઓના મનમાં ‘પોતાની’ રાજકીય સમજણ તરીકે ક્યારે પ્રસ્થાપિત થઇ ગયું, એનો ઘણી વાર તેમને પોતાને ખ્યાલ રહેતો નથી. પરંતુ એક વાર એવું થઇ જાય, એટલે રાજકીય પક્ષનું કે નેતાનું- આ કિસ્સામાં નરેન્દ્ર મોદીનું- કામ પૂરું થઇ જાય છે.

ત્યાર પછી તેમના આક્રમક બચાવ માટે અને એટલા જ આક્રમક પ્રચાર માટે ભાડૂતી વિચારના જોરે થનગનતી આખી ફોજ તૈયાર હોય છે, જે મોદીની ટીકા કરનારા સાથે કશી મુદ્દાસર ચર્ચા કરવાને બદલે, હીન કક્ષાના શાબ્દિક હુમલા કરે છે અને તેને પોતાની પવિત્ર ફરજ ગણે છે. એમાં પોતે માણસ તરીકે કેટલા નીચે ઉતરી જાય છે એનો અહેસાસ તેમને રહેતો નથી.

પ્રકારભેદ

વડાપ્રધાનપદના ઉમેદવાર  નરેન્દ્ર મોદીના તરફદારોમાં ઘણાં સન્માનજનક નામ છે અને તેમાં ઉમેરો પણ થતો રહ્યો છે. કોઇની કંઠી ન બાંધી હોય એવા માણસને તેનાથી બે જાતના વિચાર આવી શકે :

૧) આવા બૌદ્ધિક લોકો નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદ માટે યોગ્ય ગણતા હોય, ત્યારે મોદીના ટીકાકારો ક્યાંક ભીંત ભૂલતા નથી ને? ક્યાંક એવું તો નથી કે મોદીની ટીકાનું પૂંછડું પકડાઇ ગયા પછી આદતવશ કે આબરૂવશ છૂટતું ન હોય?

૨) મોદીની ટીકામાં રહેલાં સીધાંસાદાં છતાં ખતરનાક તથ્યોને તેમના તરફદારો શી રીતે અવગણી શકતા હશે?  નરી આંખે દેખાય છે એવી હકીકતો અને મોદીના દાવા વચ્ચેના ઉઘાડા વિરોધાભાસ પ્રત્યે તેમના જૂના કે નવા, બૌદ્ધિક કે અબૌદ્ધિક તરફદારો શી રીતે આંખ આડા કાન કરી શકતા હશે?

પહેલી શક્યતા વિશે વિચારતી વખતે મોદીના (પક્ષીય સિવાયના) ટીકાકારોને કેટલાક મુખ્ય પ્રકારમાં વહેંચી દેવા પડે.

૧) થોડો પરમાર્થ- સારો એવો સ્વાર્થ સાધીને માનવ અધિકારનાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ
૨) મોદીવિરોધ બદલ કોંગ્રેસ તરફથી સીઘું કે આડકતરું, નાણાંકીય કે અન્ય પ્રકારનું પ્રોત્સાહન મેળવતી સંસ્થાઓ કે વ્યક્તિઓ
૩) વૈચારિક ભૂમિકાએ જમણેરી વિચારધારાનો અને ફાસીઝમનો વિરોધ કરતા, વિવિધ વાદોની શાસ્ત્રીય ચર્ચામાં રસ લેતા લોકો
૪) નૈતિકતાની- શું થાય અને શું ન થાય તેની- સાદી સમજ ધરાવતા અને આક્રમક પ્રચારમારામાં વહી જવાને બદલે સ્વસ્થ રહીને જાતે વિચારી શકતા નાગરિકો.

મોદી કે તેમના પ્રેમીઓ આવા કોઇ પ્રકારભેદ પાડતા નથી. આ બધા તેમને મન ‘સામેની છાવણી’ છે. તેમને હિંદુવિરોધી, દંભી સેક્યુલર કે ડાબેરી કે વિકાસવિરોધી જેવાં લેબલ મારી દેવામાં જ મોદી કે તેમના ઝનૂની પ્રેમીઓની સલામતી છે. કારણ કે, જરા ઊંડા ઉતરીને જોવામાં આવે તો તરત દેખાઇ આવે કે નરેન્દ્ર મોદીની ટીકા કરનારા લોકોમાં ચોથા પ્રકારના, નૈતિકતાની સાદી સમજ ધરાવતા લોકોનું પણ ઠીક ઠીક મોટું પ્રમાણ છે. આવા ટીકાકારોનું કોઇ સ્થાપિત હિત નથી, કોંગ્રેસ પ્રત્યે તેમને કોઇ સહાનુભૂતિ નથી કે મોદી સાથે તેમને કોઇ પ્રકારનું વેર નથી. પરંતુ મોદીના કાતિલ દંભ સામે તેમને વાંધો છે.

સાવ સામાન્ય દાખલા લઇએ તો, શિક્ષિત યુવાધનના શોષણ માટે ગુજરાતમાં વિદ્યાસહાયકની વ્યવસ્થા ઊભી કરનાર મુખ્ય મંત્રી દેશમાં રોજગાર આપવાની વાત કરે, એની સામે તેમને વાંધો પડે છે. હજુ નાનો મુદ્દો લઇએ : રાજકોટ જેવા મુખ્ય શહેરમાં પાણી માટે ટેન્કર મંગાવવાં પડતાં હોય કે અમદાવાદના બોપલ જેવા નવવિકસિત વિસ્તારમાં રોજ બપોરે વીજળી ગુલ થઇ જતી હોય, પણ દાવા ટેન્કરરાજની નાબૂદી અને ચોવીસ કલાક વીજળીના થતા હોય. એ સાંભળીને એ વિસ્તારના લોકોને ત્રાસ ન ઉપજે? આવા અસંખ્ય મુદ્દે મોદીની ટીકા કરનારા માટે પૂંછડું પકડાઇ ગયાનો પ્રશ્ન રહેતો નથી. એ લોકો ખુલ્લી આંખે જુએ છે- વિચારે છે. તેમની સામાન્ય બુદ્ધિ એટલી ઠેકાણે છે કે પોતે દસ-બાર વર્ષ નોકરી કે ધંધો કર્યા પછી ટુ વ્હીલરમાંથી ફોર વ્હીલર લાવ્યા, તેનો જશ નરેન્દ્ર મોદીના રાજને આપતા નથી.

મોદીના ટીકાકારોની જેમ તેમના તરફદારોને પણ કેટલાક મુખ્ય પ્રકારોમાં વહેંચી શકાય :

૧) જૂના પ્રેમીઓ. તેમાં ઘણા પેટાપ્રકાર છે. પણ નરેેન્દ્ર મોદી માટેની તેમની પરમભક્તિ એક જ બાબત પર ટકેલી છે : આ માણસે મુસલમાનોને પાઠ શીખવી દીધો. રાષ્ટ્રિય સ્તરે પણ એ પાઠ શીખવવાનું ‘ગુજરાત મૉડેલ’ અપનાવશે, તો મઝા પડી જશે. બૌદ્ધિકતાનું નામ પડતાં જ ઘૂંધવાતા મોટા ભાગના લોકો આ પ્રકારમાં આવે.

૨) નવા ભક્તો. તેમાંથી મઘુ કિશ્વર જેવાં કેટલાંક તો ‘પરમ ભક્ત’ની કક્ષામાં આવે છે. મોદી વડાપ્રધાન બની જાય અને પાંચ વર્ષ મઘુ કિશ્વર એવું લખે કે ગુજરાતમાં કોમી હિંસા કોંગ્રેસે કરાવી હતી, તો નવાઇ નહીં લાગે. એમ.જે.અકબર હજુ પરમ ભક્તની અવસ્થાએ પહોંચ્યા નથી. પણ વર્ષો સુધી મોદીની નક્કર-વિશ્લેષણાત્મક ટીકા કર્યા પછી તેમને જ્ઞાન લાઘ્યું છે કે મોદી તો દેશના ઉદ્ધારક છે.

૩) બૌદ્ધિકો-અઘ્યાપકો. જગદીશ ભગવતી-અરવિંદ પાનાગરિયા જેવા ઘણા અર્થશાસ્ત્રીઓ અને અઘ્યાપકોને લાગે છે કે તેમના આર્થિક દર્શનને અમલમાં મૂકે એવા કોઇ નેતા હોય તો એ મોદી છે. અને આર્થિક સિવાયની બાબતોમાં અમે ‘મોદીને બદલી (વાંચો : સુધારી) શકીશું.’ ટૂંકમાં, એ લોકો મોદી કરતાં વધારે પોતાની થિયરીના પ્રેમમાં છે. મોદીની બધી મર્યાદાઓ તે અવગણવા તૈયાર છે. બસ, નવી સરકારમાં તેમને સલાહકાર તરીકે યોગ્ય સ્થાન મળવું જોઇએ.

૪) નવા તરફદારો. તેમાં દિલ્હીના તંત્રીઓ-પત્રકારોનો પણ સમાવેશ થાય છે. કેટલાક એવા છે, જે કોંગ્રેસનો વાજબી વિરોધ કરતાં કરતાં ક્યારે મોદીના કંઠીબંધા પ્રેમી બની ગયા, એની તેમને સરત રહી નથી. બીજા કેટલાક મોદીમાં ભાવિ વડાપ્રધાનનાં દર્શન કરીને, તેમની જોડે ગોઠવી લેવા ઉત્સુક છે.

૫) થોડા લોકો એવા પણ છે, જેમને લાગે છે કે ગુજરાતમાં મોદીનાં શાસનનાં આટલાં બધાં વખાણ થાય છે, તો કેન્દ્રમાં પણ તેમને એક તક મળવી જોઇએ. આ પ્રકારના લોકો મોદીની ટીકા થાય ત્યારે શાબ્દિક હિંસામાં ઉતરી પડતા નથી અને માણસ તરીકેની સભ્યતા જાળવી રાખે છે. કહેવાની જરુર છે કે આ લોકો દેશમાં સૌથી લઘુમતીમાં છે? 

7 comments:

  1. પર્ફેક્ટ..ઉર્વીશભાઇ....આપનું મોદી ઓપરેશન.....બિલકુલ સાચું છે.....મને 3 અથવા 4 માં મૂકી શકો..યુવક મહોત્સવમાં માર્ચ પાસ્ટ..વખતે એક વાસ્તવિક થીમ રજૂ કરી હતી ..જેમાં મોદીની વિઘ્ન દોડ...272 સીટો નું ટાર્ગેટ.....અંતે પીએમ ,લખેલી,, ખુર્શી.....દોડ દરમ્યાન વચ્ચે નડતાં નેતાઓ ને કૂદી આગળ વધતાં ...મોદી .....આ થીમ નજરે જોનાર ઘણા મોદી પ્રેમીઓ સહન કરી શક્ય નહીં ...યુવક મહોત્સવમાં તોડફોડ કરી ટીકાઓ કરી અને દેખાવો પણ કર્યા ....થોડી શાબાશી મળી.....આપના આ લેખ બદલ આભાર,

    ReplyDelete
  2. Excellent analysis Urvish, as always.

    ReplyDelete
  3. Great stuff... some of these articles should be a book by itself! :)

    ReplyDelete
  4. Bas aa vastu yuvano na magaj ma utri jai to desh vechata bachi jase... Keep going Urvishbhai..

    ReplyDelete
  5. Anonymous2:51:00 PM

    બોપલમાં UGVCL વીજળીનું વિતરણ કરે છે. તેનું હેડક્વાર્ટર મહેસાણા ખાતે છે અને અમદાવાદમાં તેમનું ચાંદખેડા ખાતે કંઈક કાર્યાલય છે તેવું જણાવે છે. ગયા મહિના સુધીના લાઇટબિલમાં બોપલના લોકોને હેલ્પલાઇન નંબર મહેસાણાના કાર્યાલયનો આપવામાં આવતો હતો. અમદાવાદમાં હમણાં વાવાઝોડું આવ્યું ત્યારે લાઇટ ક્યારે આવશે તેવો ફોન કર્યો તો ફોન મહેસાણા લાગ્યો. મહેસાણા UGVCLના કર્મચારીભાઈએ કહ્યું કે તેમની પાસે અમદાવાદમાં UGVCLનું ચાંદખેડામાં ઠેકાણું છે તેની ખબર છે પણ હેલ્પલાઇન નંબર શું છે તેની ખબર નથી. UGVCL ભાઈએ આ વખતના બિલમાં અહીંનો હેલ્પલાઇન નંબર મૂકવાનું શરૂ કર્યું છે.

    ReplyDelete
  6. Anonymous8:03:00 PM

    बनारस में मोदी के ढोंग का पर्दफाश
    http://blogs.navbharattimes.indiatimes.com/rabbitpunch/entry/narendra-modi-is-a-big-time-hypocriteh

    नरेंद्र मोदी ने टाइम्स नाउ को जो इंटरव्यू दिया, उसमें अपने ऊपर लगे सारे आरोपों का एक ही जवाब दिया, संवैधानिक संस्थाओं से बड़ा कोई नहीं है, उन पर भरोसा कीजिए, वे दूध का दूध और पानी का पानी कर देंगी। वही संवैधानिक संस्थाएं जब उनके खिलाफ फैसला सुनाने लगती हैं तो पक्षपाती कैसे हो जाती हैं?

    यही चुनाव आयोग जो आज बीजेपी के लिए सबसे बड़ा विलन बना हुआ है, तब पक्षपाती क्यों नहीं था जब अमित शाह को क्लीन चिट दी गई और आजम खान पर सख्त बैन लगा दिया गया? इसी चुनाव आयोग पर जब यूपी के मुजफ्फरनगर में वोटिंग में धांधली के आरोप लगते हैं तो उसका काम संदिग्ध नहीं होता? यही चुनाव आयोग जब कांग्रेस उम्मीदवार इमरान मसूद को जेल भेज देता है तो उसका काम ठीक कैसे हो जाता है?

    मोदी और उनकी टीम कांग्रेस पर आरोप लगाती रही है कि उसने संवैधानिक संस्थाओं का नाम खराब कर दिया। चुनाव आयोग की अपील के बावजूद बनारस में इन लोगों ने जो हंगामा किया, उससे क्या इस संस्था विश्वसनीयता को धक्का नहीं पहुंचा?

    ReplyDelete
    Replies
    1. Anonymous1:18:00 PM

      Nation would experience proverb into reality now, When an harbinger becomes sailor.

      Delete