Saturday, May 24, 2014

વાસ્તુદોષ : ‘શાસ્ત્રી’નું તરભાણું ભરો...

એશિયાના દેશો અઘ્યાત્મ અને ગરીબીમાં બહુ આગળ પડતા  ગણાય છે. આ બન્ને બાબતો વચ્ચે કાર્યકારણનો સંબંધ છે કે નહીં, એ જુદી ચર્ચાનો વિષય છે. પણ આમ થવાનું એક સંભવિત કારણ : ભારત-ચીન જેવા દેશોની વસતી એટલી પ્રચંડ છે કે તેમાં અનુયાયીઓની ક્યારેય ખોટ પડતી નથી. અઘ્યાત્મ કે ‘તાઓ’ના નામે ગમે તેવી દુકાન ખોલીને બેસનારને પણ  માખીઓ મારવાનો વારો ન આવતો નથી. પૂરતી સંખ્યામાં માણસો મળી રહે છે.

ભેંસ ખરીદતી વખતે તેની પીઠે ચોંટેલી બગાઇ ‘ફ્રી’માં આવે છે, એમ અઘ્યાત્મની સાથે અંધશ્રદ્ધા ‘પેકેજ’માં આવતી હોય છે. ‘આપણે અંધશ્રદ્ધામાં નહીં, અઘ્યાત્મમાં  માનીએ છીએ છે’, એવું દેખાડવા આતુર વિશાળ વર્ગના લાભાર્થે ‘વાસ્તુશાસ્ત્ર’ જેવાં કેટલાંક સ્યુડો-શાસ્ત્રોેની વ્યવસ્થા મોજુદ છે. ભારતીય વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં જેમનું સ્ટેટસ જોખમાતું હોય, તેમના માટે ચીની વાસ્તુશાસ્ત્ર ‘ફેંગ શુઇ’ પણ છે.સવાસ્તુશાસ્ત્ર અને ફેંગ શુઇમાંં સ્થાપત્યકળા અને તેના સિદ્ધાંતો વિશે નહીં, પણ ઘરની આંતરિક રચના, રુમોની વ્યવસ્થા અને ચીજવસ્તુઓની ગોઠવણ વિશે લંબાણથી સૂચન કરવામાં આવ્યા છે. નવું ઘર બનાવતી વખતે કે જૂના ઘરમાં રિપેરિંગ કરાવતી વખતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ફેરફારો કરવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે અને સુખશાંતિનું વાતાવરણ ફેલાય છે,એવું કહેવાય છે. અલબત્ત, કોના ઘરમાં આવું વાતાવરણ પેદા થાય છે, એ વિશે શંકા પ્રવર્તે છે.

મુંબઇની ચાલીમાં રહેતા એક ભાઇના ઘરમાં સતત કંકાસ રહ્યા કરતો હતો. કંકાસ દૂર કરવા માટે તેમણે (આત્મખોજ  સિવાયના) બધા જ રસ્તા અપનાવી જોયા. પણ દરેક અખતરામાં રુપિયા પડી ગયા અને તેને કારણે સરવાળે કંકાસમાં વધારો થયો. છેવટે તેમને કોઇએ વાસ્તુશાસ્ત્રીના શરણે જવા કહ્યું. મિત્રનું ગુજરાતી પાકું અને સમાજશાસ્ત્ર કાચું. એટલે ‘વાસ્તુશાસ્ત્રી’નો અર્થ તેમણે ‘વાસ્તુ કરાવી આપનાર શાસ્ત્રી (ગોર મહારાજ)’ કર્યો હતો. પરંતુ ‘વાસ્તુ કન્સલટન્ટ’ નો સંપર્ક થયા પછી તેમને જ્ઞાન થયું કે આ શાસ્ત્રીઓ ધર્મે ગમે તે હોય, પણ કર્મે તો બ્રાહ્મણ હરગિઝ નથી.

‘વાસ્તુશાસ્ત્રીની સલાહ લીધા પછી તેને મુઠ્ઠી વાળીને દક્ષિણા આપી દઇશ’- એવી મિત્રની ગણતરી હતી. તેમની આર્થિક તૈયારી પણ એવી જ હતી. એટલે વાતચીતના અંતે દક્ષિણાને બદલે બિલ ચૂકવવાનો વારો આવતાં મિત્રના ચહેરા પરનું કુદરતી રાચરચીલું અસ્તવ્યસ્ત થઇ ગયું. તેમની બન્ને આંખો એકબીજાથી વિરુદ્ધ દિશામાં પોપચાંની જેલ તોડીને બહાર નીકળવા મથતી હોય એમ ચકળવકળ થવા લાગી, સહરાના રણમાં વગર પાણીએ દસ કિલોમીટર ચાલ્યા હોય તેમ એમનું મોં સુકાઇ ગયું અને ડોક ધરી પરની પૃથ્વીની માફક ત્રાંસી થઇ ગઇ. વાસ્તુશાસ્ત્રી જ્ઞાની હતો કે નહીં, એ તો વાસ્તુપુરુષ જાણે, પણ તે દયાળુ અવશ્ય હતો. એણે ક્લાયન્ટ પાસે રહેલા થોડા રુપિયા ખિસ્સામાં મુકીને બાકી રુપિયા ઉધાર રાખ્યા.

વાસ્તુશાસ્ત્રીએ મિત્રને ઉધાર ઉપરાંત સલાહો પણ આપી, ‘ઘરમાં ફ્રીઝની જગ્યાએ ઘરઘંટી, ટીવીની જગ્યાએ વોશિંગ મશીન, નૈૠત્ય દિશામાં સોફા, વાયવ્ય દિશામાં બેડરુમ, રસોડું પૂર્વાભિમુખ, ટોઇલેટ ઉત્તરાભિમુખ... અને મારું બાકી રહેલું બિલ તમને રોજ દેખાય એવી રીતે તમારા ટેબલ પર ગોઠવજો.’

મુંબઇનાં સરેરાશ(એટલે કે સાંકડાં) ઘરો માટે વાસ્તુશાસ્ત્ર ભાગ્યે જ કામ લાગે છે. વાસ્તુશાસ્ત્રમાં જે આઠ દિશામાં ગોઠવણો કરવાનું સૂચવ્યું છે, એ દિશાઓ ઓળખી શકાય એટલી જગ્યા તો હોવી જોઇએ કે નહીં? કેટલાંક ઠેકાણે તો નાનકડા રુમની દિશાઓ છૂટી પાડવામાં ખુદ હોકાયંત્ર ગૂંચવાઇ જાય એવી સ્થિતિ હોય છે. આ રુમોમાં રહેનારાને દુઃખી થવા માટે વાસ્તુશાસ્ત્રની જરુર પડતી નથી- એના માટે બીજા ઘણા મુદ્દા હોય છે- અને સુખી થવાના પ્રયાસ કરવા માટે વાસ્તુશાસ્ત્ર પોસાતું નથી.સઆર્થિક રીતે સંપન્ન એવા એક ભાઇએ વાસ્તુશાસ્ત્ર વિશે જાણ્યા પછી વિશુદ્ધ જિજ્ઞાસાથી વાસ્તુશાસ્ત્રીને પૂછ્‌યું હતું,‘ઘરમાં સુખશાંતિ લાવવા માટે બીજી બધી ઘરવખરીની જેમ તમે કોઇને પતિ કે પત્ની બદલવાની સલાહ આપો ખરા?’

વાસ્તુશાસ્ત્રીએ કહ્યું, ‘તેનો આધાર કુટુંબજીવનમાં પતિ કે પત્નીની ‘ગોઠવણ’ પર છે. એ જો માથા પર હોય તો તેને ખભા સુધી લાવીને, પૂર્વાભિમુખ કે પશ્ચિમાભિમુખને બદલે તમારી બાબતોમાંથી માત્ર વિમુખ રાખવાથી ઘણો સુધારો થઇ શકે છે.’સવાસ્તુશાસ્ત્ર મુખ્ત્વે મોટા ફ્‌લેટ અને બંગલાવાળા માટે જ પ્રસ્તુત અને ઉપયોગી છે. એ હકીકત  સૂચવે છે કે વાસ્તુશાસ્ત્રના ઉપયોગનો વિચાર આટલો બરકતવાળો હોય, તો તેનો અમલ કેટલો ફાયદાકારક હશે? રાજકારણમાં વાસ્તુશાસ્ત્ર ઘણું લોકપ્રિય છે. ખુરશી ટકાવવા માટે રાજકારણીઓ ગમે તેવાં પવિત્ર શાસ્ત્રોનો પણ શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકતા હોય તો વાસ્તુશાસ્ત્રનો અમલ કરવામાં છોછ કેવો? દરેક નવા પ્રધાનો- મુખ્ય પ્રધાનો તેમના વાસ્તુશાસ્ત્રીઓના તરંગ પ્રમાણે ખર્ચા કરીને ઓફિસમાં અને ઘરમાં ફેરફારો કરાવે છે. તેમનું કહેવું છે કે પ્રધાનો તેમના ફર્નિચર અને આર્કિેટેક્ચરને ગમે તેટલા રૂપિયાના ખર્ચે ગમે તે દિશામાં અભિમુખ કરવા તૈયાર હોય છે, પણ તે પોતે કોઇ પણ ભોગે લોકાભિમુખ થવા રાજી હોતા નથી.

અન્ય શાસ્ત્રોની માફક વાસ્તુશાસ્ત્રનો પણ સૌથી વધારે ફાયદો (વાસ્તુ)શાસ્ત્રીઓને જ થયો છે. દુઃખની ફરિયાદ કરનારા મોટા ભાગના લોકો પોતે સુધરવા માગતા નથી, એ વાત સમજી ચૂકેલા વાસ્તુશાસ્ત્રીઓ તેમને શાસ્ત્રના નામે જાતજાતના ટુચકા દેખાડે છે. એક જમાનામાં ક્રિકેટપ્રેમ અને દેશપ્રેમ સમાનાર્થી શબ્દો લાગતા હતા, ત્યારે ટીવીની સામે ચોંટીને ભારતની આખી વન ડે મેચ જોવામાં ગૌરવ લાગતું હતું. એવી મેચોમાં વિરોધી ટીમના બેટ્‌સમેનોની કોઇ જોડી કેમેય કરીને આઉટ ન થતી હોય ત્યારે કેટલાક ઉત્સાહીઓ કહેતા,‘હું પંદર મિનીટ માટે સુઇ જઉં છું. પાછો ઉઠીશ ત્યાં સુધીમાં ચોક્કસ આ પેર તૂટશે.’ કોઇક વળી એ જોડી તોડવા માટે પોતાની જગ્યા બદલતા, તો કોઇ ચોક્કસ ઘૂંટડા પાણી પીતા કે માથે રૂમાલ ઓઢીને બેસતા. તેમ છતાં જોડી ન તૂટે તો શું થઇ શકે? પણ આવું કરવાથી તેમને  માનસિક આશ્વાસન મળતું હતું કે ‘આપણે તો બહુ પ્રયાસ કર્યો, પણ તકદીરે સાથ ન આપ્યો.’ બીજાના ઘર કે ઓફિસમાં સુખસમૃદ્ધિ લાવવાના વાસ્તુશાસ્ત્રીઓના પ્રયાસ વિશે જાણીને ક્રિકેટમેચના એ ટુચકાબાજ દર્શકો યાદ આવી જાય છે. ફેર એટલો જ છે કે દર્શકો દેશદાઝ (અને મૂર્ખામી)થી પ્રેરાઇને પોતાના પર ટુચકાબાજી કરતા હતા, જ્યારે વાસ્તુશાસ્ત્રીઓ આવા અખતરા બીજા લોકો પર કરે છે અને પોતે રૂપિયા કમાય છે.

વાયવ્ય દિશામાં મોં રાખીને અને ઇશાન દિશામાં રહેલા સ્વીચ બોર્ડમાં લેપટોપનો ચાર્જિંગ કેબલ નાખ્યા પછી લખાયેલો આ લેખ કેવો લાગ્યો? વાંચતાં કંટાળો આવ્યો હોય તો શક્ય છે કે જ્યાં બેસીને આ લેખ વાંચ્યો તેની વાસ્તુશાસ્ત્રીય ગોઠવણ બરાબર નહીં હોય. કેટલાંક નકારાત્મક પરિબળો તમારી પ્રજ્ઞાનું પ્રાગટ્‌ય અટકાવતાં હશે. તેના નિવારણ માટે ઘરના ઇશાન ખૂણે રાખેલું રેફ્રિજરેટર પૂર્વ ખૂણે રાખેલા ટીવીની જગ્યાએ ગોઠવશો, રસોડાની જગ્યાએ ડ્રોઇંગ રુમ બનાવશો અને છાપું વાંચવા માટે પૂર્વ દિશામાં નહીં, પણ ઉત્તર દિશામાં મોં રાખીને બેસશો તો તમને આ લેખમાં મઝા આવે એવી પૂરી શક્યતા છે.

3 comments:

  1. સિમ્પલી સુપર્બ....અમારા એક મિત્રએ ઘર બનાવવા આર્કિટેક્ટ પાસે તેનો નકશો બનાવ્યો...કોઈ એક (અ)શુભ ચોઘડિયે તેના મનમાં વાસ્તુશાસ્ત્રીનો સંપર્ક કરવાનો (કુ)વિચાર આવ્યો...થવાનું હોય તેને નિયતિ પણ રોકી શકતી નથી...તેણે વાસ્તુશાસ્ત્રીનો સંપર્ક કરીને પેલા નકશા(કે જે નકશો તેણે પોતાના 'સારા'સમયમા;તદ્દન બિનકેફી હાલતમાં અને પુરા હોશ-ઓ-હવાસમાં બનાવેલો) પર એવા નકશા પર વાસ્તુશાસ્ત્રીની સલાહ મુજબ એવાએવા તો ઓપરેશન્સ કર્યા; કે છેવટે રસોડામાં ટોઈલૅટ બબાવવું; કે ટોઈલૅટમાં રસોડું?- એવા યક્ષપ્રશ્ન પર આવીને ઉભારહ્યા...

    ReplyDelete
  2. Ronak Patel6:35:00 PM

    Superb!

    ReplyDelete
  3. Anonymous7:13:00 PM

    Awesome

    ReplyDelete