Monday, May 12, 2014

શેષનનું ચૌદમું રતન : ગરબડ-ગોટાળા કર્યા છે? તો ચૂંટણી રદ

‘કોંગ્રેસના માણસ’ ગણાતા ટી.એન.શેષને મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા પછી કોઇની અને કશાની- ક્યારેક તો શિષ્ટાચારની પણ- સાડા બારી રાખ્યા વિના ભારતીય લોકશાહીની ગંગોત્રી જેવી ચૂંટણીપ્રક્રિયાને મહદ્‌ અંશે સ્વચ્છ અને સ્વતંત્ર બનાવી.

બે દાયકા પહેલાં ભાજપના ટોચના નેતા અડવાણીએ કહ્યં હતું, ‘(આઇ હેવ) ફેઇથ ઇન નેશન, બટ નોટ ઇન શેષન.’ (મને દેશ પર તો ભરોસો છે, પણ શેષન પર નથી.) તેમની અને બીજા ઘણા લોકોની એવી છાપ હતી કે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે મૂકાયેલા શેષન  કોંગ્રેસના માણસ છે.

એવી શંકા રાખવાનાં કારણ પણ હતાં : શેષન વડાપ્રધાન રાજીવ ગાંધીના સમયમાં કેબિનેટ સેક્રેટરી અને આંતરિક સલામતીને લગતી બાબતોના સેક્રેટરી રહી ચૂક્યા હતા. રાજીવ ગાંધી પ્રત્યે તેમને ઘણો આદર હતો. ગયા સપ્તાહે વિગતે નોંઘ્યું હતું તેમ, મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો હોદ્દો સ્વીકારવો કે નહીં, એ માટે તેમણે શબ્દાર્થમાં અડધી રાતે રાજીવ ગાંધીની સલાહ લીધી હતી. પરંતુ એક વાર હોદ્દે બેઠા પછી શેષને બહુ ઝડપથી બતાવી આપ્યું કે તે કોઇના ‘માણસ’ થઇ શકે એમ નથી.

ચૂંટણી પંચની ઓફિસમાં બેઠા પછી તેમણે સૌથી પહેલું ઘ્યાન ચૂંટણીમથકોની સલામતી પર આપ્યું. એ વખતે ફક્ત ઉત્તર પ્રદેશ-બિહાર જ નહીં, ગુજરાતમાં પણ બૂથ કેપ્ચરિંગની ઘટનાઓની નવાઇ ન હતી. શેષને ચૂંટણીપંચના અધિકારીઓને ચૂંટણીમથકોની સલામતી અને યોગ્યતાની તપાસ કરવા મોકલ્યા. તેમના ચરિત્રકાર કે.ગોવિંદન કુટ્ટીએ નોંઘ્યા પ્રમાણે, દેશભરમાં સાત લાખ ચૂંટણીમથક હતાં. પણ શેષન માનતા હતા કે માણસ જ્યાં મત આપવા જાય છે એ જગ્યાની સલામતી સાથે કશી બાંધછોડ થઇ શકે નહીં. શેષન પહેલાંના ચૂંટણી કમિશનરો ચૂંટણીમથકના રિટર્નિંગ ઓફિસરોની ભરતી માટે પણ સરકાર તરફથી આવેલી યાદી પર મત્તું મારી દેતા હતા. એવી સ્થિતિમાં રિટર્નિંગ ઓફિસર તરીકે ફરજ અદા કરનાા ઘણા સરકારી કર્મચારીઓ પ્રાથમિક નિયમોથી અજાણ રહેતા અને જાણેઅજાણે ગેરરીતિઓને ઉત્તેજન આપવામાં નિમિત્ત બનતા હતા. ન્યાયી ચૂંટણી આડે રહેલી આ પ્રાથમિક મર્યાદા શેષને એક ઝાટકે દૂર કરી અને રિટર્નિંગ ઓફિસરોની નિમણૂંક તથા તાલીમની કામગીરી ચૂંટણીપંચને હસ્તક લઇ લીધી. (ગયા સપ્તાહે નોંઘ્યું હતું તેમ, ચૂંટણીખર્ચની વિગતો ન આપવા બદલ પણ શેષને ૧૪ હજાર ઉમેદવારોની ઉમેદવારી રદ કરી નાખી હતી.)

અડવાણીએ તેમની કુખ્યાત (સમર્થકોના મતે, વિખ્યાત) સોમનાથ-અયોઘ્યા રથયાત્રા કાઢી. તેમાં ભાજપના ચૂંટણીચિહ્ન કમળનો ભરપૂર ઉપયોગ થયો હતો. રાષ્ટ્રિય સ્તરે ભાજપના ઉદયની એ શરૂઆત હતી. આરંભે જ ભાજપના રથનું પૈડું ખેરવી નાખવાના આશયથી, કોંગ્રેસી નેતા અર્જુનસિંઘે ચૂંટણીપંચમાં ભાજપ સામે ફરિયાદ કરી. તેમનો મુદ્દો હતો : ભાજપે ધર્મ અને રાજકારણની ભેળસેળ કરીને તેમાં ચૂંટણીપ્રતિકનો દુરુપયોગ કર્યો છે. એટલે પક્ષ તરીકેની તેની માન્યતા રદ થવી જોઇએ.

આ ફરિયાદ પાછળનો આશય કાનૂનનો સહારો લઇને ભાજપને રાજકીય પછડાટ આપવાનો હતો. શેષનના આવતાં પહેલાં આ ફરિયાદ પંચ સમક્ષ આવી ચૂકી હતી, પણ અગાઉના કમિશનર તેને અડ્યા ન હતા. શેષને આવીને એક જ મહિનામાં આ સળગતું લાકડું હાથમાં લીઘું. એ સાથે જ ભાજપી નેતાગીરીના પેટમાં તેલ રેડાયું. અધૂરામાં પૂરું, થોડા મહિના પછી શેષને ઠરાવ્યું કે અર્જુનસિંઘ આ જાતની રજૂઆત (ફરિયાદ) કરી શકે છે અને તેમની ફરિયાદ દાખલ કરવાને પાત્ર છે.

આટલી કાર્યવાહીમાં ભાજપી નેતાઓને પોતાના રાજકીય ભવિષ્યના માથે તલવાર તોળાતી લાગી. શેષનના નિર્ણયો તેમને કોંગ્રેસના ખાંધિયાની ચાલબાજી જેવા લાગ્યા. ચૂંટણીપંચ પાસે આટલી સત્તા હોય એ તેમની કલ્પના બહારની વાત હતી. પરંતુ શેષને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ટાંકીને કહ્યું કે બંધારણ એ ચૂંટણીપંચની સત્તાની ગંગોત્રી છે. સંસદે પસાર કરેલો કાયદો મૌન હોય એવી બાબતોમાં ચૂંટણી કમિશનર હાથ જોડીને દૈવી પ્રેરણાની રાહ જોતો બેસી રહેવાને બદલે, પોતાની રીતે નિર્ણય લઇ શકે છે.

અર્જુનસિંઘ અને કોંગ્રેસી છાવણીને લાગ્યું કે તેમના પાસા પોબાર પડી રહ્યા છે. પરંતુ શેેષનની વફાદારી માત્ર ને માત્ર બંધારણ અને કાયદા પ્રત્યે હતી. તેમણે ઊંડા અભ્યાસ પછી ચુકાદો આપ્યો કે લોકપ્રતિનિધિ કાનૂનની કલમ ૨૯-એ હેઠળ ચૂંટણીપંચ પક્ષની નોંધણીની સત્તા ધરાવે છે, પણ (પક્ષ પોતે વિખેરાઇ ગયા પછી સામેથી વિનંતી ન કરે ત્યાં સુધી) પક્ષની નોંધણી રદ કરવાની સત્તા ધરાવતું નથી. આ કાયદાની મર્યાદા છે અને ચૂંટણીપંચ તેની ઉપરવટ જઇ શકે નહીં. આવી સત્તા પંચ પાસે નહીં, પણ સંસદ કે અદાલત પાસે જ હોવી જોઇએ, એવું પણ તેમણે કહ્યું. કેમ કે, ચૂંટણીપંચ પાસે આવી સત્તા હોય તો એ બારે મહિના ને ચોવીસે કલાક રાજકીય પક્ષોની ગતિવિધિઓ પર નજર રાખવામાંથી જ ઊંચું ન આવે.

આ ચુકાદા પછી અડવાણી સહિત તમામ ભાજપી નેતાઓની શેષન વિશેની શંકા દૂર થઇ. પરંતુ શેષન દ્વારા લેવાયેલા સ્પષ્ટ અને બંધારણીય સત્તાનું બળ ધરાવતા નિર્ણયો મોટે ભાગે રાજકીય પક્ષો માટે અસંતોષકારક નીવડતા હતા.
કડક આચાર્યની ભૂમિકામાં શેષન (કાર્ટૂનઃ સુધીર તેલંગ/Sudhir Tailang)
શેષનની સૌથી ભારે ધાક ચૂંટણી રદ કરવાની બાબતમાં ઊભી થઇ. રાજીવ ગાંધીની હત્યા પછીના અરસામાં સરકાર પંજાબમાં ચૂંટણી થઇ જાય તેમ ઇચ્છતી હતી, પણ શેષનને મળેલા અહેવાલ સૂચવતા હતા કે પંજાબની સ્થિતિ ખરાબ હતી. સ્થળ પર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ તેમને ચૂંટણી યોજવાયોગ્ય લાગી નહીં. એટલે પૂરતી તપાસ અને વિચાર પછી તેમણે પંજાબની ચૂંટણી મોકૂફ રાખી દીધી. સત્તાધારી જનતાદળને એ નિર્ણય ખટક્યો હતો, પણ સરકારોની-સત્તાધીશોની નારાજગીની પરવા કરવાનું શેષનના સ્વભાવમાં ન હતું. પટણા (બિહાર)માં તો તેમણે થઇ ગયેલી ચૂંટણી રદ કરી નાખી હતી.

બન્યું એવું કે ૨૦ મે, ૧૯૯૧ના રોજ પટણામાં ચૂંટણી થઇ. કેન્દ્રમાં જનતાદળની સરકાર. તેમાં લાલુપ્રસાદ યાદવની બોલબાલા અને પટણા બેઠક પરથી આઇ.કે.ગુજરાલ ચૂંટણી લડે. ૨૦ મેના રોજ ચૂંટણી તો થઇ, પણ મુખ્ય ચૂંટણી અધિકારી, રિટર્નિંગ ઓફિસર અને તટસ્થ નિરીક્ષકોએ શેષનને એવો અહેવાલ આપ્યો કે મતદાન દરમિયાન મોટા પાયે ગોટાળા થયા હતા. બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ બની હતી. ચૂંટણીપંચના સ્ટાફ પાસેથી મતપત્રકો આંચકી લેવાયાં હતાં. આખેઆખાં મતદાનમથક કબજે કરી લેવાયાં હતાં અને લોકોને મુક્ત રીતે મત આપતાં અટકાવાયા હતા. ચૂંટણી પહેલાં લાલુપ્રસાદ યાદવે શેષનને કહ્યું હતું, ‘મુઝે સેન્ટ્રલ પુલીસ કી જરૂરત નહીં હૈ. મૈં સબ અપને આપ કર લુંગા.’ તેનો ખરો અર્થ પોતાના સ્ટાફના અહેવાલો પરથી શેષનને સમજાઇ ગયો.

બીજા જ દિવસે તેમણે વિગતવાર કારણો આપીને પટણામાં યોજાયેલી ચૂંટણી મુક્ત અને ન્યાયી ન હોવાથી, તેને રદ જાહેર કરી. તેમના આ નિર્ણયથી ગુજરાલ અને જનતાદળની બળતરામાં ઉમેરો થયો, પણ ‘બંધારણની ગંગોત્રીમાંથી સત્તા મેળવતા ચૂંટણી કમિશનર’ સામે તેમનું કશું ચાલે એમ ન હતું. રાજ્યસભાની ચૂંટણી વખતે ધારાસભ્યોએ મત આપવાના હોય, પરંતુ બિહારમાં બીજી ધાંધલ ઉપરાંત લાલુપ્રસાદ યાદવે ધારાસભ્યોના હાથમાંથી મતપત્રકો છીનવી લીધાના અહેવાલ આવ્યા. તેની તપાસ કરાવ્યા પછી શેષને એ ચૂંટણી પણ રદબાતલ જાહેર કરી. યાદવ અને જનતા દળના બીજા નેતાઓએ ‘લોકશાહીની કતલ’નું બૂમરાણ મચાવ્યું, પણ શેષનને તેનાથી કશો ફરક પડતો ન હતો.

ચૂંટણી રદ કરવાનું ચૌદમું રતન ઉગામતા શેષનની ધાકનો એક કિસ્સો લગભગ બે દાયકા પછી પણ યાદ છે. મોટે ભાગે બી.બી.સી. (હિંદી) રેડિયોના સંવાદદાતા ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના અહેવાલ માટે ધૂમી રહ્યા હતા. તેમનો ભેટો એક ગુંડા ઉમેદવાર સાથે થયો, જે ચૂંટણીનો દિવસ હોવા છતાં પોતાના ઘરમાં ભરાઇને બેઠો હતો. અનુભવી પત્રકારને એ દૃશ્ય જોઇને બહુ આશ્ચર્ય થયું : બૂથ કેપ્ચરિંગ જેવાં પરાક્રમો કરવાના દિવસે આ ભાઇ ડાહ્યાડમરા થઇને ઘરમાં કેમ બેઠા છે? પૂછતાં જવાબ મળ્યો, ‘આજે હું ઘરની બહાર પગ પણ મૂકું, તો પેલો માણસ (શેષન) ચૂંટણી રદ કરી નાખે.’

છેલ્લા થોડા વખતથી આઝમખાન- અમિત શાહ સહિતના નેતાઓને ચૂંટણી પંચ ચીમકીઓ આપીને જવા દે છે. છેલ્લે છેલ્લે તો નરેન્દ્ર મોદી પણ તેમના અસલ રાજાપાઠમાં આવી ગયા અને ચૂંટણી પંચને પોતાની સામે કાર્યવાહી કરવા માટે ખોટેખોટા પડકારો ફેંકી રહ્યા છે. આવા વખતે શેષન મુખ્ય ચૂંટણી કમિશનર હોત તો શું થાત, એ કલ્પવું અઘરું નથી. શેષને ઊભી કરેલી ચૂંટણી પંચની ધાક હજુ છેક ઓસરી ગઇ નથી, પણ પંચ શિક્ષાત્મક પગલાં લેવાને બદલે ચીમકીઓ અને વારંવાર તકો આપતું થઇ જશે, તો ધીમે ધીમે નેતાઓ પંચને ગણકારવાનું ઓછું કરી નાખશે.

રાજકીય દબાણો સામે ન ઝૂકવાને કારણે અને સત્તાધીશોને નારાજ કરવાને કારણે શેષનને હટાવવાની રાજકીય પક્ષોની હાર્દિક ઇચ્છા હોય, પણ તે બંધારણીય સંસ્થાના વડા હતા. એટલે તેમની સામે સંસદમાં મહાભિયોગ (ઇમ્પીચમેન્ટ)ની દરખાસ્ત લાવવી પડે. જનતા દળ- ડાબેરી પક્ષોના સભ્યો એ માટે તૈયાર પણ થયા. તેમની એ યોજનાનું કેવું સૂરસૂરિયું થયું તેની વિગતો અને શેષનની બીજી યાદગાર કામગીરીની વાતો આવતા સપ્તાહે.
(ક્રમશઃ)
મુખ્ય આધાર : શેષન - એન ઇન્ટીમેટ સ્ટોરી, લેખક- કે.ગોવિંદન કુટ્ટી

3 comments:

  1. મસ્ત... feel good લેખ...

    ReplyDelete
  2. Anonymous10:57:00 PM

    2002: We wish he would have been Chief Secretary of Gujarat!!! Or his micro-person(s), only such brave committed Officer(s) could serve Bureacracy, else, other Officers serve His Master's Voice. See Mr. Ajit Ninan's cartoon in Times of India May 12, 2014, caricaturing the race of retired officers.

    ReplyDelete
    Replies
    1. Anonymous6:12:00 PM

      UA:

      Mr. Annonymous's comments on your blog about the administrative mechanism of Mr. Sheshan, if copied, in Gujarat State, could have averted the lacunas by 'good governance' instead of 'philosophical governance' to appease majoratarian versus minority, merely for political space.

      Any reform in Administration, Police and Judiciary is transferred by Government's will.

      Definitely, Dehradun and other Academic Centres are not giving training for HMV (His Master's Voice), but, option, exercised by Officer him/ herself.

      aj

      Delete