Tuesday, April 08, 2014

કેટલીક ચૂંટણીલક્ષી ગેરમાન્યતાઓ

વાંક મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓનો નથી. એમનો (હવે  સર્વસ્વીકૃત) ધંધો છે લોકોને છેતરવાનો. ચૂંટણીટાણે તો ખાસ. કમનસીબી એ છે કે તેમની ભ્રમજાળમાં ફસાવા મોટો વર્ગ આતુર, ઉત્સુક અને થનગનતો હોય છે. નેતાશ્રી ખોંખારીને દિવસને રાત કહે, તો એ વર્ગ તેમની મર્દાનગી પર મુગ્ધ થઇને તારા ગણવા મંડી પડે છે. નેતાશ્રી કહે કે ‘હું જ ઉદ્ધારક છું. મારો કોઇ વિકલ્પ નથી.’ એટલે ભાવિક વર્ગ ડાયરામાં ડોલતા ઑડિયન્સની પેઠે ‘હા, બાપલા, હા’ની મુદ્રામાં ડોકાં ઘુણાવવા લાગે છે.

લોકશાહીમાં મૂર્ખ બનવાનો હક સૌને મળેલોે છે, પણ મૂર્ખ બનાવવાનો અધિકાર હોતો નથી. ભક્તહૃદયી લોકો ઠીક પડે તેને ઉદ્ધારક ગણી શકે છે, તેના નામના ‘ચાલીસા’ કે (કેટલાક નેતાઓનાં લક્ષણ જોતાં) ચારસોવીસા ગાઇ શકે છે. પરંતુ ‘ચાલીસા’ને વાસ્તવિકતા તરીકે રજૂ કરવામાં આવે, ત્યારે નક્કર હકીકતો સ્થાપિત કરવાનું જરૂરી બની જાય છે.

દરેક ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ કેટલાક ભ્રમ ફેલાવવામાં આવ્યા છે. તેના વિશે સિદ્ધાંતચર્ચાને બદલે નક્કર હકીકતોની મદદથી સચ્ચાઇ જાણવાનો પ્રયાસ કરીએ.

ગેરમાન્યતા : દેશહિત માટે નરેન્દ્ર મોદી સિવાય કોઇ વિકલ્પ નથી

પહેલાં થોડો ઇતિહાસ. આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન અને ત્યાર પહેલાં સ્વાતંત્ર્ય સેનાની તરીકે જવાહરલાલ નેહરુની દેશને એવી ટેવ પડી ગઇ હતી કે ‘નેહરુ પછી કોણ?’ એવો પ્રશ્ન ચિંતાતુર થઇને પૂછવાની ફેશન હતી. નેહરુ જેવી આંતરરાષ્ટ્રિય પ્રતિભાનો કોઇ વિકલ્પ ન હોઇ શકે - તેમના વિના દેશનું શું થશે, એવું બધાને લાગતું હતું. સનેહરુના અવસાન પછી વડાપ્રધાન બનેલા લાલબહાદુર શાસ્ત્રીએ કશા બૂમબરાડા વગર કે છપ્પનની છાતીનાં ભાષણ આપ્યા વિના, પાકિસ્તાન સામેના યુદ્ધ વખતે દેશને અસરકારક નેતાગીરી પૂરી પાડી. એ વખતે ‘નેહરુ પછી કોણ?’નો સવાલ કોને યાદ આવ્યો હશે? કોઇને નેહરુ યાદ આવ્યા પણ હશે તો કદાચ એ રીતે કે ‘આવું તો નેહરુ પણ ન કરી શક્યા હોત.’

બીજું ઉદાહરણ ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિંહરાવનું છે. રાજીવ ગાંધીના મૃત્યુ પછી ગાંધીપરિવારઆશ્રિત કોંગ્રેસમાં નેતાગીરીનો શૂન્યાવકાશ સર્જાયો. પતિના કરુણ મૃત્યુ પછી શોકભવનમાં જતાં રહેલાં સોનિયા ગાંધીએ રાજકારણમાં પ્રવેશનો સાફ ઇન્કાર કર્યો. એ વખતે કોણે કલ્પ્યું હશે કે પી.વી.નરસિંહરાવ જેવા બિનગાંધી અને લો પ્રોફાઇલ નેતા વડાપ્રધાન તરીકેનો વિકલ્પ હોઇ શકે છે? અને વડાપ્રધાન બન્યા પછી તે કેવળ ટાઇમ પાસ કરવાને બદલે, આર્થિક પરિવર્તનના નવા યુગના મંડાણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે? છતાં, એ બન્યું અને આઝાદ ભારતના ઇતિહાસમાં નરસિંહરાવનું નામ અમીટ રીતે અંકાઇ ગયું.

ભાજપની વાત કરીએ તો, તેની લોકસભામાં બે બેઠકથી સરકાર રચવા સુધી મજલમાં અનેક નેતાઓનો ફાળો હતો. ભાજપમાં વાજપેયી સક્રિય હતા ત્યારે એવું લાગતું હતું કે તેમનો કોઇ વિકલ્પ નથી. એવી જ રીતે, પ્રમોદ મહાજન જીવીત હતા ત્યારે નવી પેઢીના અને રાજકારણના ખેલ ખેલી જાણતા નેતા તરીકે એ પણ નિર્વિકલ્પ લાગતા હતા.

સાર એટલો કે રાજકારણમાં ‘ફલાણાનો વિકલ્પ નથી’ કે ‘ઢીકણા વિના ચાલે એમ જ નથી’- એવી માન્યતાઓ સાચી હોતી નથી. ઘણુંખરું સંબંધિત પક્ષ કે નેતાઓનાં પ્રચારયંત્રો ગોબેલ્સ-ઝુંબેશથી એવી છાપ ઊભી કરે છે. લોકોનો મોટો સમુદાય એ વાત માનવા માંડે એટલે પ્રચારપુરૂષે પોતાના પ્રચાર માટે- કહો કે, ‘નિર્વિકલ્પ’ બનવા માટે- ખર્ચેલા અઢળક નાણાં અને કરેલા માર્કેટિંગના પ્રયાસ સફળ.

આટલું વાંચ્યા પછી પણ જેમના મનમાંથી એવો અવાજ ઉઠે કેે, ‘બધી વાત બરાબર, પણ નરેન્દ્ર મોદીનો કોઇ વિકલ્પ ક્યાં છે? હોય તો બતાવો’ તો એમના સવાલનો કોઇ જવાબ નથી.

(આખું રામાયણ પૂરું થયા પછી) ‘હરણની સીતા થઇ કે નહીં?’ એવા સવાલનો શો જવાબ હોય?

ગેરમાન્યતા : તરફી કે વિરોધી મોજું રાષ્ટ્રવ્યાપી હોય છે

ચૂંટણી જેવી બાબતમાં ભૂતકાળની વિગતોના આધારે ભવિષ્યની આગાહી કરવાનું બિલકુલ સલાહભરેલું નથી. સાથોસાથ, ભૂતકાળની ચૂંટણીઓના અભ્યાસ થકી મળતી માહિતી દેશનો એકંદર રાજકીય પ્રવાહ સમજવામાં કામ લાગી શકે છે- ભારત જેવા વૈવિઘ્યપૂર્ણ દેશમાં ‘દેશવ્યાપી’ જેવા શબ્દ છૂટથી ફેંકાતા હોય ત્યારે તો ખાસ.

‘વ્હાય વેવ ડોન્ડ મેટર’ એ મથાળા સાથે પ્રવીણ ચક્રવર્તીએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ (૨-૪-૦૪)માં રસપ્રદ માહિતી આપી છે. તેમણે ૧૯૭૭થી શરૂ કરીને પાંચ કથિત ‘ચૂંટણી-મોજાં’ની અસરોનો અભ્યાસ કર્યો છે : ૧૯૭૭માં કટોકટીવિરોધી (કોંગ્રેસવિરોધી, લોકદળતરફી) મોજું, ૧૯૮૪માં ઇંદિરા ગાંધીની હત્યા પછી કોંગ્રેસતરફી સહાનુભૂતિનું મોજું, ૧૯૮૯માં બોફર્સકાંડ જાહેર થયા પછી ભ્રષ્ટાચારવિરોધી (કોંગ્રેસવિરોધી, મોરચાતરફી) મોજું, ૧૯૯૯માં તેર મહિનાની સરકાર ચલાવનારા વાજપેયીને કારણે ભાજપતરફી મોજું અને ૨૦૦૪માં ‘ઇન્ડિયા શાઇનિંગ’ ઝુંબેશ થકી ઊભું થયેલું ભાજપતરફી મોજું.

લોકસભાની ૮૦ ટકાથી વઘુ બેઠકો દેશનાં બાર રાજ્યોમાં છે. એટલે પ્રવીણ ચક્રવર્તીએ એ રાજ્યોનાં પરિણામ પર ‘મોજાં’ની અસરના આંકડા તપાસ્યા. તેમાંથી જાણવા મળ્યું કે દેશવ્યાપી તીવ્રતા ધરાવતું કટોકટીવિરોધી (કોંગ્રેસવિરોધી) મોજું હોય કે પછી બોફર્સમુદે પેદા થયેલું મનાતું ભ્રષ્ટાચારવિરોધી (કોંગ્રેસવિરોધી) મોજું, દક્ષિણ ભારતનાં રાજ્યોમાં અને બંગાળમાં ચૂંટણી માટે સ્થાનિક મુદ્દા જ મહત્ત્વના પુરવાર થયા છે. ત્યાં મતદાન પણ એ પ્રમાણે જ થયું છે. ઇંદિરા ગાંધીની હત્યા જેવા બિનરાજકીય-લાગણીભીના મુદ્દાને ગણતરીમાં ન લઇએ તો, કટોકટી પછીનું કોંગ્રેસવિરોધી મોજું સૌથી શક્તિશાળી હતું. કેમ કે, આખા દેશમાં લોકોના નાગરિક અધિકાર છીનવાયા હતા. તેનાથી વધારે મજબૂત મુદ્દો બીજો કયો હોય? છતાં, કટોકટી પછી થયેલી ૧૯૭૭ની ચૂંટણીમાં ૧૨ મોટાં રાજ્યોમાંથી પાંચ રાજ્યોમાં કોંગ્રેસની જીત થઇ હતી. આ રાજ્યો હતાં : તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્ર.

અભ્યાસનું એક તારણ એ પણ નીકળ્યું કે પ્રસાર માઘ્યમોમાં રાષ્ટ્રિય સ્તરના મોજાની ગમે તેટલી વાતો ચાલતી હોય, પણ આગળ જણાવેલાં બધાં મોજાં વખતે તામિલનાડુ, આંધ્ર, કર્ણાટક, કેરળ અને બંગાળ જેવાં (લોકસભાની ૩૧ ટકા બેઠકો ધરાવતાં) રાજ્યો જાણે જુદા પ્રદેશો હોય એવી રીતે જ વર્ત્યાં હતાં. એ રાજ્યોમાં ‘રાષ્ટ્રિય’ મોજાની અસર જોવા મળી ન હતી. સ્થાનિક પક્ષો અને તેમને લગતા મુદ્દા ત્યાં સૌથી અગત્યના બન્યા. એટલે જ, કોંગ્રેસ-ભાજપ જેવા સત્તાવાર રીતે રાષ્ટ્રિય કહેવાતા પક્ષોને દક્ષિણ ભારતમાં કાયમી થાણું જમાવવાનું કઠણ પડે છે અને સ્થાનિક પક્ષો સાથે ઘરઘર રમીને ગાડું ગબડાવવું પડે છે.

ગેરમાન્યતા : અરવિંદ કેજરીવાલ ભરોસાપાત્ર નથી

રાજકારણના પ્રકારનો મોટો ભેદ ખરો, છતાં બીજા પક્ષો કે નેતાઓની જેમ અરવિંદ કેજરીવાલ અને આમઆદમી પક્ષ પ્રશ્નોથી કે ટીકાઓથી પર નથી. હોવા પણ ન જોઇએ. હોઇ શકે પણ નહીં. એટલું ખરું કે ટીકા કરનારાએ પહેલાં પોતાનું ધોરણ જાહેર કરવું પડે - અને એ જ ધોરણ બાકીના નેતાઓને-પક્ષોને પણ લાગુ પાડવું પડે.

કેજરીવાલની વર્તણૂંકને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોતા લોકો નરેન્દ્ર મોદીની વાત આવે ત્યારે આંખે પાટા બાંધીને પછી દલીલ કરે છે કે ‘તમે જ કહો, અમે મોદીને નહીં તો બીજા કોને મત આપીએ? કેજરીવાલને? એ માણસનું કશું ઠેકાણું નથી. દિલ્હીમાં લોકોએ સરકાર ચલાવવાની તક આપી, ત્યારે તો એ સરકાર ચલાવી શક્યા નહીં.’

મત કોને આપવો એ પોતાની મુન્સફીની વાત છે. પણ હકીકતની વાત કરીએ તો, દિલ્હીના મતદારોએ સૌથી વઘુ બેઠકો - એટલે કે સરકાર ચલાવવાની તક - ભાજપને આપી હતી. ભાજપે સિદ્ધાંતના બુરખા તળે રાજકીય સ્વાર્થ સાધવા માટે ચાલબાજી કરી. કહ્યું કે ‘અમારી પાસે સ્પષ્ટ બહુમતી નથી. એટલે અમે સરકાર બનાવીશું નહીં.’ ભાજપની કુટિલ ગણતરી એવી હશે કે પોતે સરકાર બનાવે નહીં અને કેજરીવાલ કદી કોંગ્રેસનો ટેકો લેશે નહીં. એટલે ડેડલૉક સર્જાશે અને નવેસરથી ચૂંટણી કરવાનો વારો આવશે. એવું થાય એટલે ‘જુઓ, જુઓ, કેજરીવાલ સરકાર ચલાવવાથી ભાગે છે’ એવું બૂમરાણ મચાવીને તેમના પ્રભાવને ઉગતો દાબી શકાશે.

ભાજપની અપેક્ષાબહાર કેજરીવાલે સરકાર બનાવી. એટલે ટીકાકારોએ દાવ બદલ્યો. એ કહેવા લાગ્યા, ‘જુઓ, જુઓ, આ માણસે કોંગ્રેસનો ટેકાથી સરકાર બનાવી.’ હકીકત એ હતી કે ભારતના રાજકારણમાં પહેલી વાર સરકાર રચનાર પક્ષે શરતો મૂકી હતી અને ટેકો આપનારે નીચી મૂંડીએ શરતોનું પાલન કરવાનું કબૂલ્યું હતું. બીજી હકીકત એ હતી કે ‘આપ’ સરકારને પાડવા માટે કોંગ્રેસ અને ભાજપ મળી ગયાં હતાં. એ લોકો પોતાની સગવડે, વ્યૂહાત્મક સમયે ચાદર ખેંચી લે અથવા વિધાનસભામાં ડગલે ને પગલે અવરોધો ઊભા કરીને સરકારને નકામી-અળખામણી બનાવી મૂકે એ ચાલબાજીનું બીજું પગથીયું હતું. પરંતુ પહેલી ફૂંક કેજરીવાલે મારી. લોકપાલ જેવા વાજબી મુદ્દે કોંગ્રેસ-ભાજપની મેળાપી અસહકારના વિરોધમાં રાજીનામું આપી દીઘું.

‘આપ’ને ગાળો આપવાથી તબિયત સારી રહેતી હોય તો જુદી વાત છે. બાકી, હકીકતની વાત કરવી હોય તો, ૪૯ દિવસના ટૂંકા ગાળામાં ‘આપ’ની સરકારે જેવું અને જેટલું કામ કર્યું તે અરવિંદ કેજરીવાલને બીજા કોઇ પણ વર્તમાન નેતા કરતાં વધારે ભરોસાપાત્ર અને કાર્યક્ષમ ઠેરવે એવું છે. આ કામની યાદી ઇન્ટરનેટ પર સહેલાઇથી મળી શકે છે, પણ એ ધરાર ઘ્યાને ન લેવી હોય તો શું થઇ શકે?

5 comments:

  1. ગુજરાત સમાચારમાં આપના અભ્યાસ લેખ વાંચવા યોગ્ય હોય છે .

    ReplyDelete
  2. Anonymous10:57:00 AM

    Lets play some logic game:

    1. Would AAP get 272 seats to form govt? (say yes and be happy you need not proceed to next question)

    If no, then go for next Question

    2.would he take or give support to form Govt? (if you really get good no. of seats)

    If yes would AK (Arvind Kejriwal) be able to apply his agenda when he could not deal with just 2 parties in Delhi? (say yes and be happy you need not proceed to next question UPA -3 mubarak ho!)

    If No ,then go for next question

    3- there would be re-election or unstable govt.; would you let this happen?

    If yes (as AK says there would be re election and then again reelection and on till he gets 272), seriously? Is this your plan? Is this what you offer as a strategy? Is this how you want to make India corruption free? Is this how you would make India developed?

    If No then Vote for Modi, form a stable govt. This man has caliber. (dont give Modi the excuse that he could not perform because he did not got majority as Arvind Kejriwal is claiming now a days)

    Reserve AAP and AK for 2019 give them time to perform something solid. their Delhi failure has already dented their credibility a lot and has made people apprehensive of the revolution itself.

    ReplyDelete
    Replies
    1. in fact, you need only half the clarity & logic not to vote for modi :-)
      'this man has caliber' sums up your 'logic' . but anyway, it's your opinion & you are entitled to it.

      Delete
  3. Anonymous11:36:00 PM

    'પ્રમોદ મહાજન જીવીત હતા ત્યારે નવી પેઢીના અને રાજકારણના ખેલ ખેલી જાણતા નેતા તરીકે એ પણ નિર્વિકલ્પ લાગતા હતા.'

    and '

    ‘આપ’ની સરકારે જેવું અને જેટલું કામ કર્યું તે અરવિંદ કેજરીવાલને બીજા કોઇ પણ વર્તમાન નેતા કરતાં વધારે ભરોસાપાત્ર અને કાર્યક્ષમ ઠેરવે એવું છે. આ કામની યાદી ઇન્ટરનેટ પર સહેલાઇથી મળી શકે છે, પણ એ ધરાર ઘ્યાને ન લેવી હોય તો શું થઇ શકે?'

    ReplyDelete
  4. Anonymous10:29:00 PM

    Whoever forms government they always work for 1% ( most privileged people). Why do political parties have to spend $5 billion on election? This is true in India and any other democracy in world.

    ReplyDelete