Wednesday, April 16, 2014

ભારત વિશે કેટલાક નિબંધ

અંગ્રેજી પુસ્તકોમાં ‘આઇડીયા ઑફ ઇન્ડિયા’ની ઘણી ચર્ચા કરવામાં આવે છે, પણ આપણા ઘણાખરા નેતાઓની ક્ષમતાને ઘ્યાનમાં રાખતાં એવું અઘરું કામ તો તેમને સોંપાય નહીં. તો પછી, દસમા-બારમા ધોરણના પેપરમાં પુછાતા નિબંધની શૈલીમાં તેમન ભારત વિશે એક નિબંધ લખવાનો કહ્યો હોય તો? કેટલાક કાલ્પનિક નમૂના.
***

નરેન્દ્ર મોદીનો નિબંધ

મિત્રો, ભારત મારો દેશ છે. અહીં ‘મારો’ શબ્દ પર ભાર મૂકીને વાંચવું. કારણ કે ટૂંક સમયમાં હું આ દેશનો વડાપ્રધાન બનવાનો છું. અત્યારે તો હું આ દેશનો મુખ્ય મંત્રી છું.

કોઇને થશે કે દેશનો મુખ્ય મંત્રી કેવી રીતે હોઇ શકે? નાગરિકશાસ્ત્ર પ્રમાણે એ શક્ય નથી. કારણ કે તેમાં લખ્યું છે કે દેશના તો વડાપ્રધાન જ હોય. પણ મિત્રો, મારા ટીકાકારો માને છે કે હું નાગરિકશાસ્ત્રમાં માનતો નથી. આવો પ્રચાર ગુજરાતને - અને થોડા સમય પછી હું વડાપ્રધાન બનીશ તો દેશને- બદનામ કરવાનું કાવતરું છે. (આગળના વાક્યમાં ‘તો’ લખાયું હોય, તો એ પણ દેશને બદનામ કરવાનું દેશવિરોધી તત્ત્વોનું કાવતરું છે. વડાપ્રધાન બનવા જેવી બાબતમાં હું ‘તો’ લખતો હોઇશ? મેં તો લખ્યું હતું, ‘હું વડાપ્રધાન બનીશ ત્યારે’.)

તો મિત્રો, હું નાગરિકશાસ્ત્રમાં માનું કે ન માનું, પણ વડાપ્રધાનપદમાં માનું છું. હમણાંથી નહીં, મુખ્ય મંત્રી હતો ત્યારથી વડાપ્રધાનપદમાં માનું છું. મુખ્ય મંત્રી તરીકે મેં આપેલાં ભાષણ લાલ કિલ્લા પરથી અપાયેલાં ભાષણને હંફાવે એવાં હતાં. એક વાર તો મેં લાલ કિલ્લાનો સેટ ઊભો કરાવીને તેની પરથી મુખ્ય મંત્રી તરીકે ભાષણ આપ્યું હતું અને પાકિસ્તાનના ભુક્કા બોલાવી દીધા હતા.  બોલો, હવે હું દેશનો મુખ્ય મંત્રી ખરો કે નહીં?

આ દેશ મને બહુ વહાલો છે. કેટલો વહાલો છે એનું માપ તો કેવી રીતે બતાવવું? પણ એના વડાપ્રધાનપદ માટે મેં અત્યાર સુધી જેટલા પ્રયાસ અને જેટલો ખર્ચ કર્યા છે, જેટલી કુરબાનીઓ આપી છે અને જેટલાં યુદ્ધ લડ્યો છું, એની પરથી મારો દેશપ્રેમ કોઇ પણ માણસ નક્કી કરી શકે છે- જો એ દંભી સ્યુડો સેક્યુલરિસ્ટ દેશદ્રોહી ન હોય તો. દંભીઓ કહે છે કે મેં કુરબાનીઓ આપી નથી, લીધી છે. પણ મેં પહેલાં જ કહ્યું હતું- અને ન કહ્યું હોય તો હવે કહી દઉં- કે મારા માટે દેશહિત સર્વોપરી છે અને દેશહિત તો જ સાધી શકાય, જો હું વડાપ્રધાન બનું.

મિત્રો, હું એ જ પવિત્ર દેશનો વડાપ્રધાન બનવાનો છું, જ્યાં શ્રીરામની જન્મભૂમિ આવેલી છે. તેણે મારી જ નહીં, લાખો દેશવાસીઓની અને ખાસ તો મારા પક્ષની શ્રદ્ધા પોષી છે. કઇ શ્રદ્ધા તેની વિગતમાં પડવાની જરૂર નથી. એ તો જેવી જેની શ્રદ્ધા. પણ એટલું કહીશ કે મારી શ્રદ્ધા ફળી છે. એટલે ભારતના બંધારણની હદમાં રહીને બોલો, જય શ્રી રામ.

હું જે દેશનો મુખ્ય મંત્રી છું અને ટૂંક સમયમાં જેનો વડાપ્રધાન થવાનો છું, એ દેશની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં કોમી હુલ્લડોમાં મરે છે કોઇક ને ફાયદો કોઇકને થાય છે. કોમી હિંસામાં રાજકર્તાઓને કદી નુકસાન થતું નથી. અદાલતો તેમનું કશું બગાડી લેતી નથી. તપાસસમિતિઓ પહેલી નજરે ગાળિયા લઇને ઊભેલી લાગે, પણ પછી નેતા નજીક જાય એટલે તે ગાળિયો ભીંસવાને બદલે પહોળો કરીને તેમને આખેઆખા અંદરથી પસાર થઇ જવા દે છે અને નેતા પ્રતાપી હોય તો એ ગાળિયો ક્યારે ફૂલનો હાર બની જાય એની પણ ખબર પડતી નથી.

તમને થશે કે મને આ બધી ક્યાંથી ખબર? પણ બઘું થોડું લખાય છે? બોલો, ભારતમાતાકી...જય.

રાહુલ ગાંધીનો નિબંધ

ભારત મારો દેશ છે. બધાં ભારતીયો મારાં ભાઇબહેન છે. (હું કુંવારો છું તેને આ બાબત સાથે કશો સંબંધ નથી.) આ મહાન દેશ પર સદીઓથી મારા વડવાઓ રાજ કરતા રહ્યા છે. હું તેમનો વંશજ છું અને મારો વારો આવે એની રાહ જોઉં છું. હા, આ મહાન દેશ પર રાજ કરવા માટે પહેલાંના વખતમાં ખૂનખાર યુદ્ધ ખેલવાં પડતાં હતાં. હવે ફક્ત રાહ જોવાનું પૂરતું છે. ખાસ કરીને મારા જેવા, મોઢામાં અને આસપાસ ચાંદીના ચમચા લઇને જન્મેલા માણસ માટે.

આ દેશમાં કુતુબમિનાર અને તાજમહાલ આવેલો છે. ગંગા અને જમુના નદી આવેલી છે. હિમાલય આવેલો છે- અને એટલું કહી દઉં કે એમાં નરેન્દ્ર મોદીનો કોઇ ફાળો નથી. (આ તો કદાચ એ વડાપ્રધાન બની જાય અને પછી આવો કોઇ દાવો કરવા લાગે, તો પહેલેથી કહી રાખ્યું.) આ દેશ ગોળ નથી, પણ મને તે ઘણી વાર મારી આસપાસ ગોળ ગોળ ફરતો લાગે છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોની ચૂંટણીમાં મેં મોટા ઉપાડે નેતાગીરી લીધી હોય અને પછી પક્ષ હારી જાય ત્યારે ખાસ એવું લાગે છે. પણ એમાં દેશનો વાંક નથી.

ભારતને મેં અનેક સ્વરૂપે જોયો છે. ટીવી પર જોયો છે, ઇન્ટરનેટ પર જોયો છે, પુસ્તકોમાં જોયો છે ને અખબારોમાં પણ જોયો છે. પછી મમ્મીના કહેવાથી હેલિકોપ્ટરમાં ફરીને પણ જોયો છે ને ગાડીમાં બેસીને પણ જોયો છે. ફાઇવસ્ટાર હોટેલમાંથી પણ જોયો છે અને દલિતની ઝૂંપડીમાંથી પણ જોયો છે. આખરે મને એટલું સમજાયું છે કે...આજે નહીં તો કાલે આ દેશ પર રાજ કરવામાં ખાસ વાંધો નહીં આવે. કારણ કે અહીંના લોકોમાંથી રાજાશાહીના વખતના સંસ્કાર હજુ ગયા નથી.

આ દેશની વાત કરીએ અને તેના સંસ્કાર-તેની પરંપરાની વાત ન કરીએ, તે કેમ ચાલે? આ દેશ પરિવારભાવનાથી છલકાતો છે. કુટુંબ દેશના કેન્દ્રસ્થાને છે. કુટુંબના વડાની સૌ કોઇ આમન્યા રાખે છે. કુટુંબના વડાના ગુણદોષ જોયા વિના કે તેમની વાતની ખરાઇની પંચાત કર્યા વિના, તેમની આજ્ઞાઓનું પાલન થાય છે. ઇકબાલે કહ્યું છે કે ‘કુછ બાત હૈ કિ હસ્તી મીટતી નહીં હમારી’ (એક ગાઇડે મને કહ્યું હતું કે નિબંધમાં એકાદ કાવ્યપંકિત નાખવી). મને તો લાગે છે કે દેશની હસ્તી કુટુંબભાવનાને કારણે જ ટકી રહી છે. કુટુંબ ભારતીય સંસ્કારની ધરી અને ભારતીય સભ્યતાનું કેન્દ્રબિંદુ છે. હું સૌને ચેતવવા માગું છું કે કુટુંબ વેરવિખેર થશે તો આ દેશ સલામત નહીં રહે.

હું કયા કુટુંબની વાત કરું છું, એ કહેવાની જરૂર છે?

અરવિંદ કેજરીવાલનો નિબંધ

મૈં તો બ્હોત છોટ્ટા આદમી હું, લેકિન યે દેશ બ્હોત બડા હૈ.  આ દેશ કેવો છે એ હું તમને નહીં કહું. મારા પક્ષનો કોઇ માણસ નહીં કહે. એ તમારે નક્કી કરવાનું છે. કારણ કે દેશ મારો એકલાનો નથી, દેશ આપણા બધાનો છે. એ કેવો છે ને કેવો બનાાવવો છે, એ પણ આપણે બધાએ નક્કી કરવાનું છે. આ દેશ ગાંધીની ભૂમિ તરીકે ઓળખાશે કે અંબાણી-અદાણીની ભૂમિ તરીકે, એ પણ તમારે નક્કી કરવાનું છે. આ દેશ આદર્શ કૌભાંડોથી ઓળખાશે કે આદર્શ માટે થતા આંદોલનથી એ પણ તમારે નક્કી કરવાનું છે. એટલે આ નિબંધ તમે જાતે જ લખજો અને જાતે જ એના માર્ક આપજો. મૈં તો બ્હોત છોટ્ટા આદમી હું, લેકિન યે દેશ બ્હોત બડા હૈ.  

1 comment:

  1. સોરી સાહેબ !! વાંચ્યા પછી સાહિત્યિક અપચો થઇ ગયો હોય એવી લાગણી થઇ...તમે ચોક્કસ હવે ગુજરાત ના "નેટવર્ક" માં લખી શકો છો, એ લોકો ગાડી પણ વર્ષોથી કોઈક ચોક્કસ વિષયો પર જ અટકેલી છે. વધારે લખી ગયું હોય તો માફી માંગું છું..પણ આ બધા સેટાયર વાંચી ને હવે ખરેખર ઉબકા આવે છે.

    ReplyDelete