Saturday, March 08, 2014

ડો. કનુભાઇ કળસરીયા વિશે વિજયસિંહ પરમારના પુસ્તક નું અરવિંદ કેજરીવાલની હાજરીમાં વિમોચન

(વધુ તસવીરો આવે ત્યાં સુધી આટલાથી કામ ચલાવી લો :-)

ડૉ.કનુભાઇ કળસરીયાને તમે કેવી રીતે ઓળખવા માગો છો એનો આધાર તમારી પસંદગી ઉપર છે : એક સેવાભાવી તબીબ, જાહેર જીવનમાં પડેલી સ્વચ્છ વ્યક્તિ, પક્ષની લાઇન ખોટી લાગતાં તેની સામે બાંયો ચડાવનાર નેતા, ગુજરાતમાં છેલ્લા દાયકામાં સફળ થનારાં જૂજ જનઆંદોલનોમાંથી એકના નેતા, સજ્જનો સ્થાપિત પક્ષોના ચૂંટણીને લગતા દાવપેચમાં ફાવતા નથી તેનું મૂર્તિમંત પ્રતીક, સરળ-નિખાલસ-કાઠિયાવાડી લહેકો ધરાવતા હૂંફાળા જણ...

તેમનાં આ અને આવાં અનેક પાસાં આલેખતા પુસ્તક ‘પીડ પરાઇ જાણે રે’નું આજે બપોરે વિમોચન થયું. ટેક્‌નિકલી, નામાંકિત ધારાશાસ્ત્રી અને વંચિતોના કેસ લડનાર તરીકે જાણીતા ગિરીશભાઇ પટેલના હસ્તે અને વાસ્તવમાં ગિરીશકાકા ઉપરાંત અરવિંદ કેજરીવાલના હસ્તે.
L to R : Pranav Adhyaru, Arvind Kejriwal, Vijaysinh Parmar releasing a
book depicting life stroy of Dr.Kanubhai Kalasariya
મિત્ર અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં પત્રકાર તરીકે કામ કરતા વિજયસિંહ પરમાર (‘બાપુ’) છેલ્લા ઘણા સમયથી આ પુસ્તક પર કામ કરી રહ્યા હતા. જુદા જુદા તબક્કે તેમના કારણે પુસ્તકની પ્રગતિ વિશે જાણવા મળતું હતું. પુસ્તકનું પ્રકાશન પહેલાં નાના પાયે પ્રકાશન શરૂ કરનાર એક મિત્ર કરવાના હતા. પણ લાંબા સંઘર્ષ પછી મળેલી સરકારી નોકરીને ઘ્યાનમાં રાખીને તેમને, ‘મોદીવિરોધી’ એવા ડૉક્ટર વિશેનું પુસ્તક પ્રકાશિત કરવામાં જોખમ લાગ્યું. (આ માહિતી પ્રકાશક મિત્ર વિશે ઓછું અને શાસક વિશે વધારે કહે છે.) ત્યાર પછી આર.આર.શેઠની કંપનીએ આ પુસ્તક પ્રકાશિત કરવાનું સ્વીકાર્યું અને રંગેચંગે આજના કાર્યક્રમમાં તેનું પ્રાગટ્ય થયું.

ગૂજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ ખંડમાં બપોેરે સાડા બાર વાગ્યે કાર્યક્રમ શરૂ થવાનો હતો. ગિરીશકાકા તેમની નાદુરસ્ત તબિયતને લીધે મોડા પડ્યા હતા. પણ હવા એવી હતી કે આજકાલ ગુજરાતમાં આવેલા અરવિંદ કેજરીવાલની રાહ જોવાય છે. કેજરીવાલ આ સમારંભમાં હાજર રહે એ નક્કી ન હતું. પણ છેલ્લી ઘડીએ, અડધા કલાકનો સમય કાઢીને કેજરીવાલ આવ્યા, બડી શાલિનતાથી મંચ પર બેઠા, પ્રસંગને અનુરૂપ બોલ્યા અને અડધા કાર્યક્રમે વિદાય લીધી. પરંતુ તે આવ્યા ત્યારથી કેમેરાની ફ્‌લેશો અટકતી ન હતી. તેમની થોડી વાર પહેલાં ડૉ.કનુભાઇ આવ્યા ત્યારે થોડી વાર ફ્‌લેશો ઝબકી. કનુભાઇ આવીને બીજી હરોળમાં બેઠેલાં મલ્લિકા સારાભાઇ સહિત બીજા લોકોને મળ્યા. વિજયસિંહ અને કાર્યક્રમનું સંચાલન કરનાર પ્રણવ અઘ્યારુ પણ તેમને મળ્યા.

કેજરીવાલ આવતાંની સાથે જ નાના પાયે તોફાન મચ્યું. કેમેરાધારીઓ કેમે કરીને ખસે નહીં અને ધરાય નહીં. પરંતુ તોફાનના કેન્દ્રમાં રહેલા કેજરીવાલ એકદમ શાંત જણાતા હતા. તેમને રૂબરૂ જોતાં સૌથી પહેલી નોંધ તેમનાં સાધારણ કદ-કાઠીની લેવાય. પત્રકાર મિત્ર આશિષ અમીન (‘મેજર’)ની યાદ અપાવે એવી મૂછો, પણ બાંધો એકવડો, ખુલ્લું શર્ટ, પેન્ટ, સેન્ડલ..બાજુમાં બેઠેલા મિત્ર સંજય ભાવેએ કહ્યું તેમ, ‘આ માણસ આશ્રમ રોડ પરથી જતો હોય તો કોઇ તેને સહેલાઇથી ધક્કો મારીને આગળ નીકળી જાય.’ આ સાદગીમાં કે ચહેરા પરના શાંતરસમાં અહમ્‌જનીત ઉપેક્ષા નહીં, પણ નિસબત સહિતની નિર્લેપતા (‘બાઝારસે નીકલા હું, ખરીદાર નહીં હું’ ટાઇપની) જણાય. એ મંચ પર બેઠા તો પણ છેક છેડે, વિજયસિંહની બાજુમાં. બન્ને વચ્ચે પરિચય ન હતો, એટલે કનુભાઇએ ઉભા થઇને સજ્જનતાપૂર્વક વિજયસિંહનો કેજરીવાલ સાથે પરિચય કરાવ્યો. (આટલો સાદો વિવેક આપણે ત્યાં થોડા લોકોને સૂઝતો હોય છે.) પછી કેજરીવાલ અને વિજયસિંહ વાતો કરવા લાગ્યા, એટલે ફ્‌લેશકાંડનો વઘુ એક અઘ્યાય શરૂ.
Kanubhai Kalsaria introducing Vijaysinh Parmar to Arvind Kejriwal
(photo : Ramesh Tankaria)
પ્રણવે તેની નર્મમર્મયુક્ત અને નો નૉનસેન્સ છટામાં કાર્યક્રમનો આરંભ કરીને કહ્યું કે કેજરીવાલ આવ્યા, એટલે નક્કી થયેલો ક્રમ બદલાય છે અને સૌથી પહેલાં વિમોચન કરી લઇએ. ‘કેજરીવાલ આવવાના હતા, એવી અમને તો પહેલેથી ખબર હતી’ એવી વાત પણ કેટલાક જાણભેદુ મિત્રો તરફથી સાંભળવા મળી. પણ વિચાર આવ્યો કે ખરેખર એવું હોત તો પ્રણવે તેની સંચાલન-સ્પીચ અચૂક હિંદીમાં તૈયાર કરી હોત. વચ્ચે કનુભાઇની વિનંતીથી તે કેજરીવાલના લાભાર્થે થોડું હિંદીમાં પણ બોલ્યો.

કેજરીવાલ સૌથી પહેલા વક્તા હતા. તે ટૂંકું અને પુસ્તકને અનુરૂપ બોલ્યા. કાર્યક્રમ રાજકીય રંગનો ન બને એ માટે આયોજકોએ પણ પૂરતી ચીવટ રાખી હતી. કેજરીવાલ આવ્યા ત્યારે થયેલા સૂત્રોચ્ચાર પછી સંચાલક તરીકે પ્રણવે કહ્યું હતું કે હવે આવા સૂત્રોચ્ચાર ન થાય એનું ઘ્યાન રાખીએ. કેજરીવાલે કહ્યું કે કનુભાઇ વિશે- નિરમા આંદોલન વિશે બહુ સાંભળ્યું હતું, પણ આ વખતે પહેલી વાર મળવાનું થયું. વિજયસિંહને બે-ત્રણ વાર અભિનંદન આપીને તેમણે વક્તવ્ય ટૂંકમાં પૂરું કર્યું.
Arvind Kejriwal at book launch function, Ahmedabad 
ત્યાર પછી વિજયસિંહ બોલવા ઊભા થયા. ક્રમ એવો હતો કે પુસ્તકનું કોપી એડિટિંગ કરનાર મિત્ર કેતન રૂપેરા બાપુનો પરિચય આપે. પણ કેજરીવાલના અડધો કલાકને પાવરપેક્ડ બનાવવા માટે બાપુ બોલવા ઊભા થયા. એ તેમની મુક્ત શૈલીમાં બોલ્યા. થોડું હિંદી પણ. સામાન્ય રીતે વ્યક્તિત્વોની સરખામણી મને બહુ ગમતી નથી, પણ બાપુએ સરસ કહ્યું : ‘રવિશંકર મહારાજ મારું પ્રિય પાત્ર છે અને હું ઘણી વાર વિચારું છું કે મહારાજ ડોક્ટર હોત તો કેવા હોત? તો લાગે છે કે એ કનુભાઇ જેવા હોત.’  કનુભાઇની ઠીક ઠીક અનિચ્છા છતાં બાપુએ તેમની પાછળ પડેલા રહીને પુસ્તકનું કામ પાર પાડ્યું. કનુભાઇની છાપ કેટલી ઉજળી છે એની વાત કરતાં બાપુએ કહ્યું કે નિરમા આંદોલનમાં ખેડૂતો કરતાં પણ બીજા ઘણા લોકો જોડાયા હતા- એમ વિચારીને કે ‘કનુભાઇ જોડાયા છે તો વાતમાં સચ્ચાઇ હશે.’ પછી કેજરીવાલના લાભાર્થે તેનો હિંદી અનુવાદ કરીને બાપુએ ફટકાર્યું, ‘આપ (કેજરીવાલ) કનુભાઇકે સાથ હૈ ઇસ લિયે સજ્જન હૈ.’ એ વખતે કેજરીવાલના ચહેરા ઉપર પણ સંમતિસૂચક સ્મિત આવ્યું. બાપુએ પોતાના વક્તવ્યમાં સૌમ્ય જોશી અને સંજય ભાવે જેવા અઘ્યાપકોને તેમના ઘડતરમાં પ્રદાનને ભાવપૂર્વક અને યથાયોગ્ય રીતે યાદ કર્યું.

કેજરીવાલની હાજરીમાં કનુભાઇ હિંદીમાં સાવ થોડું બોલ્યા અને થોડા લોકો કરી શકે એવી ચેષ્ટા કરતાં, પોતાના સાથીદાર ડૉ.પ્રવીણ બગદાણિયાને યાદ કર્યા. તેમની વાત સાંભળીને લાગે કે તેમની જ ઉંમરના કોઇ જોડીદાર હશે. પણ કનુભાઇએ પ્રવીણભાઇને મંચ પર બોલાવ્યા ત્યારે સમજાયું કે આ તો માંડ પાંત્રીસ-ચાળીસ વર્ષનો જણ છે, જેને કનુભાઇ પોતાના કરતાં પણ વધારે સન્નિષ્ઠ ગણાવે છે. કનુભાઇએ કેજરીવાલના હાથે પ્રવીણભાઇને પુસ્તક અપાવ્યું. પછી કેજરીવાલે રજા લીધી અને કાર્યક્રમમાં વર્તાતો એક પ્રકારનો ઉત્તેજનાપૂર્ણ તનાવ ઓસર્યો.
ડો.પ્રવીણ બગદાણિયા, ડો.કનુભાઇ કળસરિયા અને અરવિંદ કેજરીવાલ
(ફોટોઃ બિનીત મોદી/ Binit Modi)
ત્યાર પછી ‘નવજીવનનો અક્ષરદેહ’ના સંપાદક મિત્ર કેતન રૂપેરાએ વિજયસિંહનો પરિચય આપ્યો અને પ્રણવની અનૌપચારિકતાનો દોર આગળ ધપાવતાં કહ્યું કે આમ તો નવ પાનાં લખ્યાં હતાં, પણ બદલાયેલા ક્રમને લીધે પાંચ પાનાં રદ કર્યા છે. કેતનનું વક્તવ્ય પૂરું થયા પછી પ્રણવે હળવેકથી એ મતલબનું કહ્યું, ‘વિજય, કંઇ રહ્યું હોય તો કહી દેજે. આપણું ઘરનું જ છે. અને હવે કેજરીવાલ નથી એટલે કશી ચિંતા નથી.’

કનુભાઇએ શુદ્ધ કાઠિયાવાડી લહેકા સાથે પોતાની વાત કરી. સ્ટેજ પર બેઠેલાં પત્નીના જબ્બર સાથસહકારને યાદ કરી-બિરદાવીને, બ્રહ્મચર્યના ઉબડખાબડ પ્રયોગો અને વિપશ્યના પછી તેમાં નૈસર્ગિક ધોરણે મળેલી સફળતા જેવા જરા વિશિષ્ટ મુદ્દાથી તેમણે વાત શરૂ કરી અને તેમણે પુસ્તકના પ્રસંગોનું પુનરાવર્તન કરવાને બદલે, એવો એક પ્રસંગ કહ્યો જે પુસ્તકમાં નથી. આ પ્રસંગ પુસ્તકમાં નથી એની ખાતરી તેમણે સ્ટેજ પર જ કરી લીધી. પરંતુ લેખકને ક્ષોભમાં નાખવા માટે નહીં, પોતે પુસ્તકના કામ માટે કેવા અસહકારી હતા એ દર્શાવવા માટે. કનુભાઇ અને બીજા બે ડોક્ટર વિદ્યાર્થી અવસ્થામાં એક હોસ્પિટલમાં કામ કરતા હતા, ત્યારે અઢળક કામ કરવા છતાં, તે પહોંચી વળતા ન હતા. તેમણે ઓપરેશન જેવાં ભારે કામ ઉપરાંત તેમના બ્લડ અને યુરીનના રીપોર્ટ અને કાર્ડિયોગ્રામની નોંધો પણ વચ્ચે વચ્ચે કરતા રહેવાનું. ત્રણે મિત્રોને તે ચોવીસ કલાક કામ કરવા છતાં અશક્ય લાગતું હતું. એક વાર તો મેડમે દર્દીઓના બ્લડ-યુરિનના રીપોર્ટ ખાલી જોઇને ત્રણે જણને ‘ગેટ આઉટ’ પણ કહી દીઘું. અલબત્ત, એકાદ કલાક પછી બોલાવીને વાત વાળી પણ લીધી અને કહ્યું કે તમારા સિનિયર કરી શકતા હતા, તો તમે કેમ ન કરી શકો? સિનિયરોને પૂછી લો.

સિનિયરોને પૂછતાં માલુમ પડ્યું કે ટેસ્ટ-બેસ્ટ સમજ્યા. અડસટ્ટે કામ ચલાવી લેવાનું. દર્દીની જીભ બહાર કઢાવવાની. લાલ હોય તો હિમોગ્લોબિન બાર-તેર, લાલ ન હોય તો દસ ને ફિક્કી હોય તો આઠ-નવ. એના માટે બ્લડ ટેસ્ટ કરવાની ક્યાં જરૂર? પણ મેડમ એટલું પૂછશે કે ‘પંક્ચર કર્યું?’ એટલે સોય લઇને દર્દીઓના હાથે કાણાં તો પાડી દેવાનાં. એવી જ રીતે, છ-સાત નોર્મલ કાર્ડિયોગ્રામ તૈયાર રાખવાના. મેડમ માગે ત્યારે ‘ટેબલમાં પડ્યા છે’ એમ કહીને રૂમમાં જઇને, દર્દીનું નામ લખીને આપી દેવાના. મેડમને પણ આ બધી ખબર. છતાં, પ્રોસિજરના નામે આ બઘું ચાલતું હતું. શું અને કેવી રીતે ન કરવું તેના પાઠના સંદર્ભમાં કનુભાઇએ આ કિસ્સો યાદ કર્યો.
L to R : Ketan Rupera, Pranav Adhyaru, Girish Patel, Dr.Kanubhai Kalasariya,
Vijaysinh Parmar, Chintan Sheth (photo : Binit Modi)
નિરમા આંદોલનનો અછડતો ઉલ્લેખ કરતાં ડોક્ટરે કહ્યું કે તેમાં બે પરિબળો (શાસકો અને કંપની) વચ્ચે વેલ્ડિંગ થયેલું છે. એમ છૂટું પડે નહીં. કાર્યક્રમમાં મહુવાની વાત વારંવાર આવી. કનુભાઇ પહેલાં બોલેલા પ્રકાશન સંસ્થા આર.આર.શેઠના ચિંતન શેઠે પણ મહુવા પોતાનું વતન હોવાનું કહ્યું. (પોતાના વ્યવસાય અને વ્યાવસાયિકો વિશે રમૂજ કરતાં ચિંતનેે કહ્યું, ‘આ પુસ્તક વિશે જાણીને ઘણાએ નવાઇથી પૂછ્‌યું, ‘તમે આવાં પુસ્તકો પણ કરો છો?’) પરંતુ યથાયોગ્ય રીતે જ મહુવાના અન્ય નામી જણ અને પુસ્તકોના કાર્યક્રમોમાં જેમને અકારણ સદેહે કે વિડીયોદેહે ઢસડી લાવવામાં આવે છે, એવા મોરારીબાપુને કોઇએ યાદ ન કર્યા. એટલે કાર્યક્રમની ગરીમા જળવાઇ રહી.

અનિવાર્ય કારણોસર જવું પડે એમ હોવાથી, ગિરીશભાઇ પટેલનું પ્રવચન સાંભળવાનો લોભ જતો કરવો પડ્યો. કોઇ સ્નેહી મિત્ર ગિરીશભાઇના પ્રવચનના મુખ્ય મુદ્દા અહીં કમેન્ટમાં નોંધી આપશે તો બહુ આનંદ થશે. એ મુદ્દાને હું મુખ્ય પોસ્ટમાં (લખનારના નામ સાથે) ઉમેરી દઇશ. 

2 comments:

  1. Kanubhai is Gandhian Activist believe in Political Revolution.

    ReplyDelete
  2. બહુ જ સરસ લેખ , આ પુસ્તક જેમને ઘેર બેઠા મંગાવવું હોય એમના માટે અમારી વેબસાઈટ ધૂમખરીદી.કોમ ઉપર ઉપલબ્ધ રહેશે , લીંક : http://dhoomkharidi.com/books/pid-parayi-jane-re-detail

    ReplyDelete