Friday, March 28, 2014

ચૂંટણીડાયરીનાં પાનાં

ઉનાળાની અને લોકસભાની ચૂંટણીની ગરમીમાં તાપ અને અસલામતીથી પરસેવે રેબઝેબ થતા નેતાઓ કમ સે કમ એક બાબતમાં- ડાયરી લખવામાં- પ્રામાણિક હોય તો કેવાં લખાણ વાંચવા મળે?
***

સોનિયા ગાંધીની ડાયરી 

આજે જાગવામાં બહુ મોડું થયું. ઘણા બધા લોકો મારા વિશે અને કોંગ્રેસ વિશે પણ આવું માને છે કે અમે મોડાં જાગ્યાં છીએ... બટર લેટ ધેન નેવર. હા, ‘બેટર’ નહીં, ‘બટર’ જ લખ્યું છે. અમારી પાર્ટીને બ્રેડ મળે કે ન મળે, અમને કદી બટરની તંગી પડવાની નથી. કારણ કે અમને હજુુ એવું જ કહેવામાં આવે છે કે ‘આપણને ૩૦૦ સીટ આરામથી મળી જશે.’ મેં ઇન્ડિયન માયથોલૉજી વાંચી છે. આફ્‌ટરઑલ, આય એમ એન ઇન્ડિયન બહુ. ‘નરો વા, કુંજરો વા’ વિશે મેં સાંભળ્યું છે. એટલે ૩૦૦ સીટની વાત કરનારાને જેવી હું સહેજ કડકાઇથી પૂછું કે ‘કઇ સીટની વાત કરો છો?’ એટલે એ તરત ગેંગેંફેંફેં થઇને કહે છે,‘હું તો મલ્ટીપ્લેક્સમાં ગ્રુપ શોના બુકિંગની વાત કરતો હતો.’

મને ખુશામત જરાય ગમતી નથી. મેં કેટલી વાર લોકોને કહ્યું છે કે ‘તમે મને ખરાબ લાગવાની ચિંતા કર્યા વિના સાચી વાત કરો.’ તો એ લોકો કહે છે, ‘મૅડમ, અમે સાચું જ કહીએ છીએ. જરાય મસકા મારતા નથી, પણ હકીકત એ છે કે આ નરેન્દ્ર મોદી તમારાથી ગભરાય છે.’ આ સાંભળીને મેં ડોળા કાઢ્‌યા. એટલે એ કહે, ‘હું જરાય ખુશામત કરતો નથી, પણ તમે જ વિચારો. મોદી તમારાથી ગભરાતા ન હોત અને તમારી લોકપ્રિયતાથી ચિંતિત ન હોત તો એ રાયબરેલીમાં તમારી સામે કે અમેઠીમાં રાહુલબાબા સામે ન ઊભા હોત?’

મેં એમને પૂછ્‌યું, ‘પક્ષ માટે તમે શું કરવા ધારો છો? એ થોડી વાર મારી સામે જોઇ રહ્યા. પછી ઘડીકમાં અહમદભાઇ સામે, તો ઘડીકમાં મઘુસુદન મિસ્ત્રી સામે જોવા લાગ્યા અને પછી ધીમે રહીને કંઇ ગણગણીને જતા રહ્યા. એમના ગયા પછી અહમદભાઇએ મને કહ્યું કે મેડમ, તમારો સવાલ બહુ અદ્‌ભૂત હતો- ‘કેબીસી’માં એક કરોડ રૂપિયા માટે પૂછાય એવો, પણ હમણાં આવા સવાલ ન પૂછતાં. પેલો એવું કહીને ગયો કે ‘મારી ભાજપ સાથે વાટાઘાટો ચાલે જ છે. તમે ટિકિટ નહીં આપો તો અસંતુષ્ટ બનીને, અંદર રહીને ભાંગફોડ કરવાની આપણી પરંપરા આગળ ધપાવવાને બદલે, પક્ષના હિતમાં મારે ભાજપમાં જોડાઇ જવું પડશે.’

રાહુલ ગાંધીની ડાયરી

મારું નામ રાહુલ ગાંધી છે. હું કોંગ્રેસનો વડાપ્રધાનપદનો ઉમેદવાર નથી...એટલે કે છું...એટલે કે આમ છું, પણ આમ નથી...

આટલાં વર્ષે આ બઘું લખવું પડે એ શોભાસ્પદ ન કહેવાય, પણ સાલું, સોરી, મને હમણાનું કોઇ પૂછતું જ નથી. સમાચારોમાં મફલર ને દાઢી બે જ દેખાય છે. મેં કરાંજી કરાંજીને બોલી જોયું, આક્રમક નિવેદન કર્યાં, દાઢી વધારી જોઇ, છપ્પનની છાતીવાળા કુર્તા મંગાવી જોયા, પણ કોણ જાણે કેમ, મીડિયાને મારામાં રસ પડતો નથી. સમારે શું કરવું જોઇએ? એવું પૂછ્‌યું, તો એક જણે કહ્યું, ‘શેઠ, આપણી પાસે સખ્ખત આઇડીયા છે. તમે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરો અને એ પાછું ખેંચવાની છેલ્લી તારીખે તમે ઉમેદવારી પાછી ખેંચી લો. પછી જુઓ. દેશવિદેશમાં મીડિયા કેવી તમારી નોંધ લેશે. ઇન્ટરવ્યુ પર ઇન્ટરવ્યુ...

‘ઇન્ટરવ્યુ’ સાંભળીને મને અર્નબ ગોસ્વામી યાદ આવ્યો. ના, મારે ઇન્ટરવ્યુ નથી આપવો. ના, મારે પણ મોદી થવું છે. મારે ઇન્ટરવ્યુ નથી આપવો. મારે પણ મોદી જેવા પ્રીફેબ્રિકેટેડ ઇન્ટરવ્યુ જ આપવા છે. પરંતુ મારા અંતરનો આર્તનાદ કોઇ મીડિયાવાળા સાંભળતા નથી અને ઉમેદવારી પાછી ખેંચી લેવાની સલાહ આપે છે.

એ માણસે તો એવું પણ કહ્યું કે તમારા કુટુંબમાં બલિદાનની ઉજ્જવળ પરંપરા છે. તમારા પિતાએ જીવનનું બલિદાન આપ્યું, તમારાં માતાએ ચૂંટાયા પછી વડાપ્રધાનપદનો ત્યાગ કર્યો, તો તમારે ચૂંટાતા પહેલાં- ચૂંટણીનો જ ત્યાગ કરીને, સર્વોચ્ચ બલિદાન આપવું જોઇએ. ત્યાર પછી તમારી તરફેણમાં સહાનુભૂતિનું એવું મોજું ઊભું થશે કે વારાણસીમાંથી મીરા કુમાર પણ મોદી સામે ઊભાં રહે તો એ જીતી જાય.

ખરેખર આવું હોય? કે કોઇ મને ચગડોળે ચડાવી રહ્યું છે? મિસ્ત્રીઅંકલને પૂછવું પડશે. પણ એવું હોય તો કરી જોવા જેવું ખરું. મારા ત્યાગથી આખા દેશમાં કોંગ્રેસ જીતી જતી હોય, તો પછી છ મહિનામાં પેટાચૂંટણી લડીને લોકસભામાં ચૂંટાઇ જતાં મને ક્યાં નથી આવડતું? પણ લાગે છે કે મારી આટલી તીવ્ર પ્રતિભાની હજુ ભારતના લોકોને પરખ નથી. એ નરેન્દ્ર મોદી ને અરવિંદ કેજરીવાલ પર એટલા મોહાઇ ગયા છે કે તેમને અમે દેખાતા જ નથી.

કંઇ વાંધો નહીં. એક વાર અમારી સરકાર બની જવા દો. પછી હું પણ રાડિયા ટેપનો કેસ કાઢીને એકે એકને જોઇ લઇશ.

નરેન્દ્ર મોદીની ડાયરી

મેં ચોખ્ખું કહ્યું હતું કે મારા લખવા માટેની ડાયરી ૫૬ સેન્ટીમીટરની લાવજો અને એના દરેક પાના પર ૫૬ લીટી હોવી જોઇએ. પરંતુ બધા હવે અડવાણી થવા જાય છે. વાતે વાતે વાંધા ને વાંકાં. આવી રીતે દેશ કેમ ચાલશે? હું જ્યારે પણ દેશની ચિંતા કરું ત્યારે કેટલાક લોકો ગુસપુસ કરે છે કે ‘સાહેબ, તમે હજુ વડાપ્રધાન થયા નથી.’ આ મને ગમતું નથી, પણ સારું છે. કારણ કે હું ઘણી વાર આ વાત ભૂલી જાઉં છું.

મારા ટીકાકારો કહે છે કે મારી છાતી છપ્પનની નથી. એટલે હું માત્ર વારાણસીથી ચૂંટણી લડવાને બદલે બબ્બે ઠેકાણેથી ચૂંટણી લડી રહ્યો છું. પરંતુ ભારતના સવા અબજ લોકો ભારતનું આવું અપમાન નહીં ચલાવી લે...હવે ‘છ કરોડ’ને બદલે ‘સવા અબજ’ બોલવાની ટેવ પાડવી પડશે...ટીકાકારો કોઇ રીતે સમજવા માગતા નથી. બાકી, હું સૌથી મોટા સલામતીકાફલા સાથેનો સૌથી બહાદુર મુખ્ય મંત્રી ગણાતો હોઉં, તો બે ઠેકાણે લડીને છપ્પનની છાતીવાળો કેમ ન ગણાઉં? કોઇ પત્રકારને ખુલ્લમખુલ્લો ઇન્ટરવ્યુ આપ્યા વિના, ‘મારી સામે લડવાની કોઇની હિંમત નથી’ એવું કહી શકતો હોઉં અને લોકો સ્વીકારી પણ લેતા હોય, તો હું બે જગ્યાએથી લડું તેમાં શો પ્રોબ્લેમ છે?

કેટલાક લોકો કહે છે કે હું અરવિંદ કેજરીવાલથી બીઉં છું અને મેેં એને ગાંધીનગરમાં ઑફિસથી પાંચ કિલોમીટર દૂર રોકી લેવાને બદલે એને બોલાવીને ‘ચાય પે ચર્ચા’ કરી હોત, તો એ આટલો બગડત નહીં.  પણ એ મફલરવાળાનું ઠેકાણું નહીં. ક્યારે પોતાના માથેથી મફલર કાઢીને આપણા ગળામાં વીંટાળી દે...પછી એનડીએની સરકાર બને તો પણ આપણે ક્યાંક રાજ્યપાલ બનવાનો વારો આવે. હું દેશની બહુ બધી સેવા કરવા ઇચ્છું છું. રાજ્યપાલ બનવાથી મારો મોક્ષ થાય એમ નથી ને વડાપ્રધાન બનું નહીં તો પછી સીબીઆઇ ને ન્યાયતંત્ર મારો પીછો છોડે એમ નથી. લોકો અમથા કહે છે કે પાપો ધોવા માટે ગંગા વારાણસીમાં વહે છે. હાથમાં વડાપ્રધાનપદું આવે તો પછી ગંગા જ ગંગા હોય છે.

અરવિંદ કેજરીવાલની ડાયરી

???
??? ???
??? ??? ???
??? ??? ??? ???
(પ્રશ્નો પૂછ્‌યા વિના આ દેશનો ઉદ્ધાર થવાનો નથી, એ બધાને સતત યાદ કરાવવું. બહારના પ્રશ્નો એટલા થવા જોઇએ કે પાર્ટીમાં કોઇ પ્રશ્ન થવાની શક્યતા ન રહે.)

1 comment:

  1. Anonymous9:51:00 PM

    saheb ne kadatch samay male na male, aaj kal, patrakaro ane lekhako ma mandi chale che, tya pan market economy no funda gothwai gayo che. atle mj akbar, diary lakhva ni seva api shake. likhne vala aur padhne wala dono diwane!!!

    ReplyDelete