Tuesday, March 25, 2014

ચૂંટણીમુદ્દો : ગુજરાત મૉડેલ

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી કયા મુદ્દે લડાશે? ખાતરીપૂર્વક કહી શકાય નહીં. ભારતમાં લોકસભાની ચૂંટણીઓ એક કે વઘુ કેન્દ્રિય મુદ્દાની આસપાસ લડાતી હોય છે, એવું માની લેવું પણ ભૂલભરેલું છે. કેટલીક ચૂંટણીઓ એવી હતી ખરી. જેમ કે, કટોકટી દૂર થયા પછીની ચૂંટણીમાં લોકશાહીની પુનઃસ્થાપનાની વાત મુખ્ય હતી. જનતા સરકારના પતન પછી કોંગ્રેસે સ્થિર શાસન પર ભાર મૂક્યો. બોફર્સ કૌભાંડ બહાર પડ્યા પછી ભ્રષ્ટાચારના વિરોધની હવા હતી. તેમ છતાં, નેતાઓ કહે છે તેમ, ‘કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધી’ કોઇ એક મુદ્દે લોકસભા ચૂંટણી લડાય એવું ભાગ્યે જ બને છે. છેલ્લા બે-એક દાયકામાં આવો કોઇ એક, મજબૂત મુદ્દો ઉભર્યો નથી.

ગઇ ચૂંટણી સુધી કોંગ્રેસ ‘આમઆદમી’ના અધિકારોનું ગાણું ગાતી હતી અને વિવિધ કલ્યાણયોજનાઓ આગળ કરીને મત માગતી હતી, પરંતુ આ ચૂંટણીમાં ‘આમઆદમી’ની વ્યાખ્યા બદલાઇ ચૂકી છે. નવી સમજણ પ્રમાણેનો ‘આમઆદમી’ કોર્પોરેટ જગતનાં મીરા સન્યાલ હોઇ શકે છે અને દાદાનું નામ નહીં વટાવનારા સન્નિષ્ઠ-સજ્જ રાજમોહન ગાંધી પણ હોઇ શકે છે. આશિષ ખૈતાન જેવા હિંમતવાન પત્રકાર કે યોગેન્દ્ર યાદવ જેવા જયપ્રકાશ આંદોલનના સંસ્કાર ધરાવતા અભ્યાસી પણ આમઆદમી છે. આ બધા ઉપરાંત અરવિંદ કેજરીવાલ તો ખરા જ. ‘આમઆદમી’ની નવી વ્યાખ્યા વર્ગઆધારિત કે જ્ઞાતિ-ધર્મઆધારિત નહીં, પણ સત્તાઆધારિત હોય એવું અત્યાર સુધી લાગ્યું છે : રાજકારણ કે જાહેર જીવનમાં સત્તાધીશ હોવા છતાં લોકહિતની ઉપેક્ષા કરતા હોય એ ‘ખાસ’ અને બાકીના સૌ ‘આમ’.

ભાજપે તેના વડાપ્રધાનપદના ઉમેદવાર મોદીની આક્રમક-અસરકારક પ્રચારઝુંબેશ અને મેક-અપ (કે પછી મેક-ઓવર?) પર દાવ ખેલ્યો છે. મોદીની ‘વિકાસપુરૂષ’ તરીકે પ્રાણપ્રતિષ્ઠા કરનારાં પ્રચારમાઘ્યમો અને તેમના ‘મૉડેલ’ના પ્રેમીઓ માને છે કે મોદીબ્રાન્ડ વિકાસનું ગુજરાત મૉડેલ મુખ્ય ચૂંટણીમુદ્દો છે -  એ મૉડેલ આખા ભારતમાં લાગુ પાડવાની તક આ ચૂંટણીએ પૂરી પાડી છે.

મોદીબ્રાન્ડ ‘વિકાસ’ના સ્તુતિગાનમાં જગદીશ ભગવતી જેવા આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા અર્થશાસ્ત્રીથી માંડીને ‘જુઓ, જુઓ, અમારા રસ્તા કેવા સરસ છે’નું સમુહગાન ગાતા પ્રેમીજનો સામેલ છે. તેમાં બૌદ્ધિકતાનો બાધ નથી. પ્રખર બુદ્ધિશાળી સજ્જનોથી માંડીને દસ વર્ષની નોકરી પછી પોતે ખરીદેલા વાહનનો જશ મોદીબ્રાન્ડ વિકાસને આપનારા- એવા તમામ પ્રકારના લોકો તેમાં હોઇ શકે છે.

ગુજરાતનો વિકાસ થયો જ નથી, એવું ન કહી શકાય - અને આવું કોઇ કહે તો એ દલીલ પ્રાથમિક ચર્ચામાં જ ઉડી જાય. સાથોસાથ, સરખામણી અને ન્યાય ખાતર કહેવું પડે કે આ જ વાત બિહાર માટે પણ - અને સમગ્ર ભારત માટે પણ - કહી શકાય. કારણ કે રસ્તા-ઇન્ટરનેટ-વીજળી જેવી ઘણી બાબતોમાં ગુજરાત અને ભારત છેલ્લાં દસ-બાર વર્ષમાં આગળ વઘ્યાં છે. એ ગતિ ધીમી અને અસંતોષકારક છે, પરંતુ ગતિ છે એનો ઇન્કાર થઇ શકે નહીં.

માત્ર ગુજરાતની વાત કરીએ તો, તેના વિકાસને ૪૦૦ મીટરની ‘રીલે રેસ’ સાથે સરખાવી શકાય. (અહીં મુખ્યત્વે ‘વિકાસ’ના સમાનાર્થી ગણાતા ઔદ્યોગિક વિકાસની વાત છે.) ‘રીલે રેસ’ની સ્પર્ધામાં પહેલેથી છેલ્લે સુધીનું અંતર એક દોડવીર કાપતો નથી. એ માટે ચાર જણની ટીમ હોય છે. પહેલા ૧૦૦ મીટર ટીમનો એક ખેલાડી દોડે. પછી તે પોતાના હાથમાં રહેલું ‘બેટન’ ટીમના બીજા ખેલાડીને આપે, એટલે એ દોડવાનું શરૂ કરે. એમ કરતાં, છેલ્લા ૧૦૦ મીટર ચોથોે ખેલાડી પૂરા કરે. એટલે ‘ફિનિશ’ લાઇન પાસેે બેઠેલા લોકોેને એવું દેખાય કે છેલ્લા ૧૦૦ મીટર દોડનાર જ વિજેતા છે. પરંતુ પરિણામ જાહેર થાય ત્યારે છેલ્લા ૧૦૦ મીટર દોડનાર નહીં, આખી ટીમ વિજેતા ગણાય.

ગુજરાતનો મોટા ભાગનો વિકાસ રીલે પદ્ધતિથી થયો છે, પણ વિજેતા ઘોષિત કરવાની વાત આવી ત્યારે જરા જુદું બન્યું. ગુજરાતમાં આઇ.પી.સી.એલ., ગુજરાત રિફાઇનરી જેવા તોતિંગ ઉદ્યોગો અને ‘અમૂલ’ જેવી નમૂનેદાર સહકારી  પ્રવૃત્તિથી માંડીને કંડલા પોર્ટ જેવી સુવિધાઓ નરેન્દ્ર મોદીના શાસનકાળ પહેલાં ઊભી થઇ હતી. એ વખતે મુખ્ય મંત્રીપદે કોણ હતું, એ અત્યારે ભાગ્યે જ કોઇને યાદ હશે. પરંતુ છેલ્લા ૧૦૦ મીટર દોડનારા ખેલાડી તરીકે નરેન્દ્ર મોદી આવ્યા અને હવે તેમનો આગ્રહ છે કે ગુજરાતના વિકાસના વિજેતા તરીકનો ચંદ્રક ફક્ત એમને એકલાને જ મળવો જોઇએ. તેમનો આ દાવો સ્વીકારવો કે નહીં, એ સૌએ ખુલ્લી આંખે અને ખુલ્લા મને, ‘મર્દાનગી’ જેવા મુગ્ધ  ખ્યાલો બાજુ પર રાખીને વિચારવાનું છે.

શક્યતા અને  સચ્ચાઇ 

આગળ જણાવ્યું તેમ, મુખ્ય મંત્રી તરીકે મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો, એ હકીકત છે. સીધી વાત છે : ગુજરાત ૨૦૦૨માં જેવું હતું, એવું ૨૦૧૪માં નથી જ. તેના રસ્તાથી માંડીને વીજળી સુધીની ઘણી બાબતોમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે.

વિચારવાનો મુદ્દો એ છે કે શું મોદીની જગ્યાએ બીજા કોઇ મુખ્ય મંત્રી હોત તો પણ રસ્તા, વીજળી જેવી સુવિધાઓની બાબતમાં ગુજરાત ૧૨ વર્ષ સુધી ઠેરનું ઠેર રહ્યું હોત? ના, મોટા ભાગની બાબતોમાં એ સ્વાભાવિક ક્રમમાં આગળ વઘ્યું જ હોત. હા, તેમણે પોતાની પ્રસિદ્ધિ માટે સરકારી ખર્ચે આટલો બધો પ્રચાર ન કર્યો હોત .

તો બીજો સવાલ : મુખ્ય મંત્રી તરીકે મોદીના હોવાનો ફરક ક્યાં પડ્યો? તેમણે બીજું એવું શું કર્યું, જે તેમના કોઇ પૂર્વસૂરિ કરી ન શક્યા? અને તેમની જગ્યાએ બીજો કોઇ મુખ્ય મંત્રી હોત તો એ પણ ન કરી શક્યો હોત? તેના મુખ્ય બે જવાબ છે : ૧) નક્કર કામગીરીને ક્યાંય ટપી જાય એવા, ઘૂમ ખર્ચાળ અને ઝાકઝમાળભર્યા તાયફા ૨) ભૂતકાળના ડાઘ ધોઇને,પોતાની છબી ઉજળી કરવા માટે ઉદ્યોગપતિઓને ગુજરાતમાં ખેંચી લાવવાની તત્પરતા. આ બન્ને બાબતો મોદી સ્પેશ્યલ છે. તેને મોદીનું વિકાસમૉડેલ પણ કહી શકાય, જેમાં ફેમિલી પ્લાનિંગની કિટથી માંડીને રાહતસામગ્રીનાં પેકેટ પર, મુખ્ય મંત્રીની ખાસ ફોટોસેશન કરીને પડાવેલી રળિયામણી તસવીરો શોભતી હોય.

‘પોતાની છબી ઉજળી કરવા માટે તો એમ, પણ મોદી ઉદ્યોગપતિઓને લાવે, એમાં ગુજરાતને ફાયદો નથી?’ એવો સવાલ વાજબી કહેવાય. પરંતુ તેનો જવાબ આપતી વખતે એ વિચારવું પડે કે મુખ્ય મંત્રી ઉદાર શરતોએ ઉદ્યોગોને લઇ તો આવ્યા, પણ ત્યાર પછી ઉદ્યોગપતિઓને કેટલો ફાયદો થયો, મુખ્ય મંત્રીની છબીને કેટલો ફાયદો થયો, તેમની ઘૂમ ખર્ચા કરવાની ક્ષમતામાં કેટલો વધારો થયો...અને શિક્ષણ-આરોગ્ય-રોજગારી માટે ઝઝૂમતા ગુજરાતના સામાન્ય લોકોને કેટલો ફાયદો થયો. આનું સરવૈયું કાઢ્‌યા વિના રોકાણોના તોતિંગ આંકડા વાંચ-વાંચ કે સાંભળ-સાંભળ કરીએ તો આંખો એવી અંજાઇ જાય કે સામે હોય તે પણ દેખાતું બંધ થઇ જાય.

કોની કોની છે ગુજરાત?

મુખ્ય મંત્રીના વિકાસમૉડેલ સંદર્ભે વાત કરતી વખતે પાયાનો જવાબ જાણી લેવો પડે કે ‘ગુજરાત એટલે શું?’ અથવા ‘ગુજરાત એટલે કોણ?’ જો આપણી સમજણ એવી હોય કે ગુજરાત એટલે સાબરમતીના પટમાં નર્મદાનું પાણી ઠાલવીને નદીકાંઠે કરોડો રૂપિયાના ખર્ચે બનતો રિવરફ્રન્ટ, ગુજરાત એટલે મૉલ-મલ્ટીપ્લેક્સ-રસ્તા-ફ્‌લાયઓવર અને અમિતાભ બચ્ચનની જાહેરખબરો, ગુજરાત એટલે નામી કંપનીઓની ફેક્ટરીઓ અને તેના માલિકોની સમૃદ્ધિ, ગુજરાત એટલે અદાણી...તો આ ગુજરાતનો ‘સર્વાંગી’ વિકાસ થયો છે અને વિકાસના દાવાનો વિરોધ કરનારા ખોટા છે.

પરંતુ જો આપણી સમજણ એવી હોય કે ગુજરાત એટલે તેના સેંકડો સામાન્ય માણસો, છેલ્લા દોઢેક દાયકાથી વીજળીનું કનેક્શન મેળવવાની જેમની એક પણ અરજી મંજૂર કરવામાં આવી નથી એવા ખેડૂતો, ગુજરાત એટલે ખાનગી કંપની અને સરકારની મિલીભગત સામે લડત આપતા-જીતતા મહુવા લડતના લોકો, ગુજરાત એટલે સંતાનોના શિક્ષણની ગુણવત્તા સતત નીચી અને ખર્ચ સતત ઊંચે જતો જોઇ રહેલા લોકો, ગુજરાત એટલે મસમોટી કંપનીઓ આવવા છતાં પૂરતી રોજગારી ઊભી ન થવાને કારણે બેકારીમાં પિસાતા લોકો, ગુજરાત એટલે વિદ્યાસહાયક અને અઘ્યાપકસહાયકના નામે સરકારી રાહે શોષણનો ભોગ બનતા લોકો...

...તો ઇમાનદારીથી જાતને પૂછી જોજો : આ ‘ગુજરાત’નો વિકાસ થયો છે? અને શું આ લોકો ‘ગુજરાત’ નથી? સમુખ્ય મંત્રીએ કરેલો સૌથી મોટો સામુહિક સંમોહનનો પ્રયોગ એ છે કે ઘણાબધા લોકો મુખ્ય મંત્રી બતાવે એ જ ગુજરાતને અસલી ગુજરાત ગણે છે અને તેનો વિકાસ જોઇને પોરસાય છે. સામુહિક સંમોહનની એ મર્યાદા છે કે તે કદી સો ટકા ઑડિયન્સ પર કામ કરતું નથી. સંમોહનમુક્ત હોય એવા લોકોને મુખ્ય મંત્રી કે અમિતાભ બચ્ચન બતાવે એ સિવાયનું ગુજરાત પણ દેખાય છે- અને એ પણ એટલું જ અસલ છે.

તો, મુખ્ય મંત્રીની વિકાસવાર્તામાં પંક્ચર ન પડે એ માટે, અસલી ગુજરાતને એટલે કે તેના સેંકડો રહેવાસીઓની અવગણના કરવાની? તેમની વાસ્તવિકતાનો અને તેમના અસ્તિત્ત્વનો સ્વીકાર જ નહીં કરવાનો? અને એવું સગવડીયું, હકીકતોને તોડીમરોડીને સગવડીયો ઘાટ આપીને રજૂ કરતું ‘ગુજરાત મૉડેલ’ રાષ્ટ્રિય સ્તરે લાગુ પાડવાથી દેશનો ઉદ્ધાર થઇ જશે, એવાં સ્વપ્નાં જોવાનાં?

ભ્રમ પોષતાં સ્વપ્નાં જોવાં કે પછી આંખો ખોલતી વાસ્તવિકતા? પસંદ અપની અપની. 

14 comments:

  1. Good
    4 thi 6 mahina vahelo avvo joito hato

    ReplyDelete
  2. Very well written article !

    ReplyDelete
  3. Too Good... Urvishbhai....

    ReplyDelete
  4. Anonymous8:20:00 PM

    Good article. Your article and Election demand vision to differentiate between gobbles and truth, which would definitely show us most unpredictable events.

    ReplyDelete
  5. Anonymous10:43:00 PM

    એક વ્યક્તિ કેટલી વાર જનતાને મૂર્ખ બનાવે છે તેની સંભવતઃ યાદી જુઓ. 1. ગ્રામ પંચાયતનો સભ્ય ચૂંટાય ત્યારે, 2. ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ બને ત્યારે, 3. ગ્રામ પંચાયતમાં સરપંચ બને ત્યારે, 4. તાલુકા પંચાયતમાં સભ્ય, ઉપપ્રમુખ, પ્રમુખ, 5. જિલ્લા પંચાયતમાં સભ્ય, ઉપ્રપ્રમુખ, સ્થાયી સમિતિ અને પછી જિલ્લા પ્રમુખ, 6. ધારાસભ્ય, રાજ્ય કક્ષાના મંત્રી અને પછી કેબિનેટ મંત્રી, 7. મુખ્યમંત્રી અથવા સાંસદ, કેન્દ્રમાં રાજ્ય કક્ષાના મંત્રી અને કેબિનેટ મંત્રી અને છેલ્લે વડા પ્રધાન.

    ફાંકા ફોજદારી કરવા આ લોકો રાષ્ટ્રીય મુદ્દાઓ ઉછાળી રહ્યા છે. જનતાએ વિચારવું રહ્યું કે તેને મૂર્ખ બનવું છે કે કેમ.

    ReplyDelete
  6. Anonymous4:01:00 PM

    What you are saying is 100% true

    ReplyDelete
  7. Anonymous8:40:00 AM

    We, Gujarati are economic oriented. Can one of us think about the Debt of State Government of Gujarat, what is the figure of Debt? Why agricultural land is sold for industries? What about farming? Why inequality of poor classes of Gujarat, whether he / she a member of Schedule Caste, Schedule Tribe and Minority. Under-weight of children, education scenerio is not good in the State

    ReplyDelete
  8. Anonymous10:59:00 PM

    Urvish bhai tamare bodyguard ni jarur hoy to kehjo, tamara blog ane facebook ni post ni comment vachi ne offer kari...free ma karish kam tamara mate

    ReplyDelete
  9. Anonymous11:15:00 PM

    "Sahebji hu koi party taraf thi nathi bolto. Pan ha kadach aap na shabdo pramane Modi Saheb na sammohan ma avashya aavi gayo 6u. Ane tame ena thi bachi ne rahya te mate aap ne pan Abhinandan. Saheb 1 Nani Vaat Karvi 6..!!"
    Man no doubt about it that the things which have been done By Mr. Modi are 100% Blunder..!! But do you have any better option other than that..!!?? Kejrival has come. But he has not become a ripe fruit till today..!! And to give him the hold of the whole nation will be another bluff! Although congress had given us a nice GDP growth in UPA - 1 but in UPA -2 they have been naked and they have thrown india in the most Disastrous Situation. And come on man if Modi had not done these things than we all might also surely say..!! "Aa modi Aavyo ne kasu karya vagar gayo..!! Shu faydo thayo..??". And if someone does it than we are criticizing...!! Yes no doubt about that that Mr. Modi has done all that things by harming us only. But if he has harmed us that much than dose our leaving standerds has gone down? Man it very simple to criticize someone..!! Yes Modi is not at all a perfect option or the acute choice to be the prime minister of India! But do you have any other option..?? Again Congress.? Or Mr. Kejrival Who’s government done a Confusing performance at their debut..!! Or else if we can make India or Gujarat better than come on let's stop Criticizing and let us build a new party which will have all the people to do the best for the country and all the countrymen...!!
    Sorry If I have hurt anyone's feeling but this is what I feel about the dirty indian Politics where I see a comman man just be a criticizer and not an initiator..!! No hard feelings for anyone man..!! And expecting the same from other side too..!!!

    ReplyDelete
  10. Urvish, your incredible stamina on two fronts - a) Calling the bluff on the Gujarat government again and again and by doing so saving us all from the curse of collective forgetting b) Taking on the fanatic hordes of Namo without descending to their level of logic - is staggering. I have only the highest admiration for you in this regard.

    The tragedy of Gujarat is that some of its so-called finest including some so-called legends have lost their moral compass and have become inadvertent ambassadors of our great leader. People will easily know who I am referring to. So while it's very easy to say criticising Namo is a great way to earn popularity or be respected in intellectual circles as some worthies have extolled here, those who know, know in their heart of hearts that the real truth is exactly the opposite. That you yet display the guts to call the spade a dastardly shovel makes you one of the most treasured and valued commentators of our times. And to that part of the proud and robust Gujarati in you, I say with all my heart, Jai Jai Garvi Gujarat.

    ReplyDelete
  11. એકદમ સાચી વાત છે ઉર્વિશભાઇ।.......
    મોદી તો સરકારી કર્મચારીઓ નું શોષણ જ કરે છે.

    ReplyDelete
  12. Anonymous2:00:00 PM

    ભારત નાં ભાવી વડાપ્રધાન જ્યાંથી ચુંટણી લડવા માટે ઉભા રહેવાના છે એવા વડોદરા મહાનગર નો એક નાગરિક છુ. મારે ભાવી વડાપ્રધાન ને શા માટે અને કયા કારણોસર વોટ આપવો જોઈએ એ નીચેના સામાન્ય મુદ્દાઓ નાં જવાબ દ્વારા નક્કી કરવું જોઈએ।

    1. મહાનગર નાં રસ્તા ઓ તો ભાઈ વિશ્વ ની તોલે આવી શકે એમ નથી.જ્યાં ત્યાં થીંગડાવાળા રોડ કે રોડ્વાલા થીંગડા એજ સમજાતું નથી. પાછુ ગટર નાં ઢાકાના નો સ્પીડ બ્રેકર તરીકે ઉપયોગ થતો હોય.
    2.રસ્તા ની બંને બાજુ એ ખાણીપીણી ની લારીઓ કરેલા દબાણો દ્વારા જ્યાં સામાન્ય નાગરિક ને ચાલવાના ફાફા છે। પાછુ સેવાદનની ફૂટપાથો પર દબાણો કરી સેવ-ઉસળ ની, આમલેટની, વડાપાવ,અને ચાઇનીઝ ની લારીઓ દ્વારા અઢળક કામની કરી ને ઓડી કાર માં ફરવા વાળા ઓછા નથી.
    3.રસ્તા ઉપર ટ્રાફિક નું એટલું સરસ નિયમન થાય છે કે સાલું સમજાતું જ નથી કે જમણી બાજુ ગાડી ચલાવી કે ડાબી બાજુ।.રસ્તા ઉપર વાહન ચલાવતા એવું લાગે છે કી સાલું પોળ ની અંદર વાહન પાર્ક કરીએ છે. પાછા અકસ્માતો અને એમાં રોજ મરનારા નાગરિકો જુદા।
    4.ન્યાયમંદિર વિસ્તાર માં માનનીય જજ સાહેબો અને વકીલો ની ગાડી મસ્તી થી એવી રીતે પાર્ક કરવામાં આવે કે જાને બારડોલી નો ઓટો મેળો જ જોઈ લો.પાછુ ટોઈંગ વાળાની ખાતરી હોય કે તમારા વાહન ને જરા પણ હાથ નહિ લગાડવામાં આવે.
    5.જ્યાં-ત્યાં ગંદકી જોઈ ની એવું લાગે કે સંસ્કારી નગરી વડોદરા માં નહિ પણ કોઈ મજુર લત્તામાં આવી ચડ્યા હોય.
    6.કર લેવા માં શુરા અને સેવા ઓ આપવામાં ભૂરા એવા સેવા સદન માં ભાવી વડાપ્રધાન નાં પાર્ટી નું જ શાસન છે. એમાં એ શું સુધારો વધારો કરશે ?
    7.સાંજ પડે ને પોલીસ ની જીપો સામાન્ય નાગરિક ની સુરક્ષા છોડી ને ખાણી -પીણી ની લારી ઓ પર અડ્ડો જમાવતી હોય. (કયા કારણોસર એ ભાઈ એમને જ પૂછવું પડે)
    8.શિક્ષણ નાં નામે મસમોટી ફી તફડાવતી કોર્પોરેટ શાળાઓ નું કાઈ થશે કે પછી અમારે એ બધી ફી ભરવા માટે પલ્સર બાઈક લઇ ને અછોડા તોડવા નીકળવું પડશે। ?

    ReplyDelete
  13. ઉત્પલ6:43:00 PM

    બે જ વિકલ્પો છેઃ
    (૧) 'આપ' ને તક આપવી અથવા
    (૨) 'નોટા' નું બટન દબાવવું

    ReplyDelete