Thursday, August 22, 2013

સાવનકા મહિના, ‘બાવન’ કરે જોર

જન્માષ્ટમી નિમિત્તે જુગારની એટલી બોલબાલા છે કે  ‘કૃષ્ણજન્મની ઉજવણીનો તહેવાર છે’ એવું યાદ કરાવવું પડે. ઇંગ્લીશ મીડિયમમાં ભણતાં બાળકોનાં માતાપિતા તેમના સંતાન સમક્ષ પોતાના  જ્ઞાનનું પ્રદર્શન કરતાં કહી શકે, ‘આ દિવસે લોર્ડ ક્રિશ્નાનો હેપ્પી બર્થ ડે છે.’ ભારતીય-ગુજરાતી સંસ્કૃતિની મીઠાશ આવી અંગ્રેજી સમજૂતીમાં ક્યાંથી આવે? એટલે જ તેમાં જન્માષ્ટમી અને જુગારના અભિન્ન સંબંધનો કશો ઉલ્લેખ આવતો નથી.

મનુષ્યજીવન કેટલું ફાની છે, એ વિશે અનેક ફિલસૂફો અને જ્ઞાનીજનો ઘણું કહી ગયા છે. તેમાંથી કોઇકે વાતને ચબરાક વળાંક આપતાં કહ્યું હશે,‘જિંદગી એક જુગાર છે.’ આ પારંપારિક ફિલસૂફી જન્માષ્ટમી નજીક આવતાં ઊલટાવા લાગે છે. ઘણા શોખીન ‘ખેલીઓ’ માટે જિંદગી જુગાર નહીં, જુગાર જ જિંદગી બની જાય છે. ‘ફેસબુક’ કે અવનવી કમ્પ્યુટર ગેમ્સ પહેલાંના સમયમાં ઘણા લોકોને નવાઇ લાગતી હતી કે કોઇ રમતનો આટલો ચસ્કો કેવી રીતે હોઇ શકે? પરંતુ કમ્પ્યુટરયુગના બંધાણીઓને જોયા પછી, કમ સે કમ આ બાબતે ખુલાસો કરવાની જરૂર રહી નથી.

કેટલાક સિદ્ધ લોકો જુગાર રમવા માટે જન્માષ્ટમીના મોહતાજ હોતા નથી. એ ભીંત ફાડીને ઉગી નીકળતા પીપળા જેવા હોય છેઃ ગમે ત્યાંથી, ગમે તે રીતે, ગમે તે મોસમમાં પોતાનો રસ્તો શોધી લે. પરંતુ ઘણા લોકો આ બાબતમાં વરસાદ પછી ઉગી નીકળતા કામચલાઉ ઘાસ જેવા હોય છે. વરસાદ આવે ત્યારે થોડા દિવસ ઘાસ ઉગે, તેમ જન્માષ્ટમી આવે એટલા પૂરતું, થોડા કલાક કે થોડા દિવસ તે જુગાર રમે. બસ.

એવા લોકોને જુગારી કહી શકાય? ‘જુગારી’ શબ્દમાં રહેલી નકારાત્મક અર્થચ્છાયા ઘ્યાનમાં રાખતાં આ વિચારવા જેવો પ્રશ્ન છે. ખરેખર તો, જેમ ઇતિહાસના દરેક અઘ્યાપક ઇતિહાસકાર નથી હોતા, વિજ્ઞાનના દરેક અઘ્યાપક વિજ્ઞાની નથી હોતા અને સમાજશાસ્ત્રના દરેક અઘ્યાપક ‘સમાજશાસ્ત્રી’ નથી હોતા, એવી જ રીતે દારૂ પીનારા બધા ‘દારૂડિયા’ નથી હોતા અને  જુગાર રમનાર દરેક ‘જુગારી’ નથી હોતા.

વાતમાં અતિશયોક્તિ લાગતી હોય તો વિચારી જુઓ : યુધિષ્ઠિરને કોઇ જુગારી કહે છે? અથવા કેટલા લોકો તેમને ‘જુગારી’ કહે છે? ને કેટલા ધર્મરાજ? જુગાર ઉર્ફે જુગટું ભારતની પરંપરા સાથે એટલો ગાઢ સંબંધ ધરાવે છે કે હજુ સુધી તેને ‘હેરિટેજ’નો દરજ્જો આપવાની હિલચાલ કેમ થઇ નથી, એ નવાઇની વાત છે. ભારતીયોને પોતાના સાંસ્કૃતિક વારસાની કદર હોત તો લાસ વેગાસ અમેરિકામાં નહીં, ભારતમાં હોત. વિદેશીઓ આપણી નકલ કરીને માલામાલ થઇ ગયા, તેનું સૌથી ઓછું જાણીતું છતાં સૌથી જ્વલંત ઉદાહરણ જુગારનગરી લાસ વેગાસ ગણાવું જોઇએ.

ભારતીયો સજાગ ન રહ્યા, એટલે તેમને આલીશાન કેસિનોને બદલે પોળ-મહોલ્લાના ઓટલે કે ખુલ્લી જગ્યાઓમાં બેસીને પોતાના સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન કરવાનો વારો આવ્યો. અંગ્રેજ કાયદાએ વળી આ પ્રવૃત્તિને ગેરકાયદે ઠેરવી. છતાં મોડે મોડેથી વારસા બાબતે જાગેલા ભારતીયો કાયદાથી દબાયા-કચડાયા નથી અને ઉત્સાહભેર આ મુદ્દે સવિનય કાનૂનભંગની લડત ચાલુ રાખી છે. મુઠ્ઠીભર સમૃદ્ધ લોકો ક્લબમાં બેસીને જુગાર રમે છે, પરંતુ સમૃદ્ધિના દોરદમામમાં સંસ્કૃતિની ખુશબુ ખોવાઇ જાય છે. તેનો સાચો પરચો પોળોમાં ખુલ્લામાં રમાતા જુગારમાં મળતો હતો.

પોળમાં સ્ટ્રીટ લાઇટ નીચે છાપાંનો સૌથી ઉત્તમ ઉપયોગ કરીને- એટલે કે તેમને જમીન પર પાથરીને- રમતનો તખ્તો ગોઠવાયો હોય, એક-બે ખેલીઓ હાથમાં પત્તાંની ગડી સાથે કેન્દ્રસ્થાને હોય, તેમની આસપાસ સમરસીયાઓનું ઝુંડ, વીઆઇપીઓની ફરતે વીંટળાયેલા સલામતી રક્ષકોની જેમ વીંટળાયેલું હોય. દરેક જણનાં શરીર અલગ અલગ હોવા છતાં, તેમનું આઘ્યાત્મિક અસ્તિત્ત્વ એકાકાર અને એકરૂપ બની ચૂક્યું હોય, સૌનું ઘ્યાન કેવળ પત્તાં પર કેન્દ્રીત થયેલું હોય, વાતાવરણમાં પત્તાંની ચીપ અને ફરકડીના અવાજ યુદ્ધભૂમિમાં થતા શંખ-દુદુંભિના નાદની જેમ ગાજતા હોય- આ દૃશ્ય એવું દિવ્ય રહેતું  કે જતાંઆવતાં પોલીસ પણ રેડ પાડવાનું ભૂલીને - કે પછી રેડમાંથી મળેલા પૈસામાંથી- ત્યાં દાવ લગાડવા ઉભા રહી જતા હતા. ભારતીય પ્રજાના હૃદયમાં પોલીસ પ્રત્યે આટલી હદે મિત્રાચારીનો ભાવ ક્યારે જાગતો હશે? જુગારમય બનેલા જીવો પોલીસ અને ચોર વચ્ચેનો, સજ્જન અને દુર્જન વચ્ચેનો ભેદ ભૂલીને સૌને એક જ દૃષ્ટિએ જોતા હતાઃ તમારી પાસે કઇ ગેમ આવી છે?

લખચોરાશીના ફેરામાં અટવાતા સંસારી જીવોની માફક અઠંગ જુગારપ્રેમીઓ બાવન પત્તાના ચક્કરમાં અટવાય છે. ટમેટાં જોઇને તેમને લાલનો એક્કો અને રીંગણ જોઇને કાળીનો એક્કો યાદ આવે છે. પોતાની ‘રાણી’ કરતાં અનેક ગણી વધારે ચિંતા એ પત્તાંની રાણીની કરે છે. પોતાના પક્ષમાં હોય તો ઉપયોગી અને સામેના પક્ષમાં હોય તો જોખમી એવા નેતાઓની વાત કરતાં તેમને ‘જોકર’ યાદ આવે છે. ભગવદ્‌ ગીતાની વાત કરતાં એ લોકોનો ચહેરો ચમકી ઉઠે છે. ‘તમને ખબર છે, ભગવાન કૃષ્ણે કહ્યું હતું, હે પાર્થ, શંખોમાં હું પાંચજન્ય છું અને તીન પત્તીમાં હું ટ્રાયો છું.’

ભારતના મોટા ભાગના તહેવારો સાથે ઘોંઘાટનું દૂષણ જોડાયેલું છે. એ બાબતમાં જન્માષ્ટમી એક સુખદ અપવાદ છે. ગણેશ ઉત્સવમાં દસ માણસો ભેગા થઇ કરે, તેનાથી દસમા ભાગનો અવાજ પણ એક રૂમના જુદાં જુદાં ‘ટેબલ’ પર બેઠેલા સો માણસો વચ્ચેથી આવતો નથી. ‘ટેબલ’ જુગારની જૂની પરિભાષાનો એક હિસ્સો છે. જુગારીઓ જ્યાં ભેગા મળીને બાવન પત્તાં દ્વારા આઠમ ઉજવતા હોય એ જગ્યાએ ‘ટેબલ બેઠું છે’ એવો શબ્દપ્રયોગ થાય છે. ‘ટેબલ’ને બદલે ‘બોર્ડ’ શબ્દ પણ વપરાય છે. (એસ.એસ.સી./એચ.એસ.સી. બોર્ડનાં જુગારછાપ પરિણામોને કારણે જુગાર રમાય અને હારજીત થાય એ જગ્યા માટે ‘બોર્ડ’ શબ્દ પ્રચલિત બન્યો હશે?)

કળિયુગની આઠમે કૃષ્ણ જન્મે કે ન જન્મે, પણ આ તહેવાર નિમિત્તે અનેક નવા જુગારીઓ જન્મે છે. ઘણા સજ્જનો એવા હોય છે, જે આઠમ સિવાય પત્તાંની સામે પણ જોતા નથી, પણ ‘આઠમના દિવસે હું પત્તા સામે નહીં જોઉં તો ભગવાન મારી સામે નહીં જુએ’ એવી કોઇ ભાવનાથી પ્રેરાઇને ખંતથી ‘ટેબલ’ પર બેસી જાય છે. અલબત્ત, તેમની મુદ્રા સતત રક્ષણાત્મક રહે છે. તેમને કોઇ પૂછે કે ‘શું? આઠમ કેવી રહી?’ એટલે તે દરેક સ્ટેશને થોભતી લોકલ ગાડીની જેમ કહેશે,‘હું તો અમસ્તો...ખાલી આઠમ પૂરતો...મિત્રો સાથે જ...અને આપણો કન્ટ્રોલ એટલે? નક્કી કર્યું ત્યારે ઉભો...હારજીત માટે નહીં...બે ઘડી મઝા (સ્કેલમાપ : એક ઘડી = બાર કલાક)...રાતે બાર વાગે એટલે દર્શન કરીને સીધો ઘેર...આવતી સાલ તમે પણ આવોને? આપણે સરખેસરખા હોઇએ તો શું છે કે મઝા આવે...’.

આઠમ નિમિત્તે જુગાર રમનારા ‘ભક્તો’ ઘણી વાર પોલીસના સપાટે ચડી જાય ત્યારે પોલીસ એમને ‘કૃષ્ણજન્મસ્થળ’ ભેગા કરે છે. એ રીતે જોતાં, કૃષ્ણને ભજવાની બાબતમાં જુગાર રમનારા ભજન કરનારા કરતાં પણ વધારે નિષ્ઠાવાન ન કહેવાય?

2 comments:

  1. મહાભારતથી ઠીક શરુઆત કરી. કથાનો યુધીષ્ઠીર ખરેખર જુગારી હતો. હારે ગયેલો છેવટે દ્રૌપદીને દાવમાં મુકે છે. વ્યાસે આખી મહાભારત ઉપર જુગાર ખેલ્યું અને લોકો જુગારી બની ગયા...

    ReplyDelete
  2. ઉર્વિશભાઇ,

    ભૈ વાહ! તમે અને તમારો વ્યંગ બંને એકદમ જોરદાર અને જાનદાર. આખો લેખ ભૈ મસ્ત રહ્યો. લાગ્યું કે જાણે આ તો મારા જ ડાયલોગ્ઝ તમે ક્યાંક સાંભલી ગયા અને આ રહ્યા બધા.

    આ વાંચક પણ જરા તરા આ ગેમની મજા કરી લે છે. અહીં જુગારની સાથોસાથ છાંટોપાણી ને પણ સાથે ઉમેર્યું હોત તો બાપુ જલસો પડી જાત હોં...

    ReplyDelete