Thursday, August 01, 2013

મહાભારત : ચર્ચાપત્રીઓની નજરે

‘ફેસબુક’-‘ટ્‌વીટર’ પહેલાંના જમાનામાં લોકોને ખાલીપીલી લડવાનું, ચોવટ કરવાનું કે લંગરિયાં નાખવાનું મન થાય, ત્યારે એ શું કરતા હશે? આવો સવાલ અત્યારે ઘણા વાચકોને થઇ શકે છે. પરંતુ આગળ જણાવેલી પ્રવૃત્તિ માણસજાતના હાડમાં છે. એટલે ફેસબુક-ટ્‌વીટર હોય કે ન હોય, માણસ પોતાનો રસ્તો કાઢી લે છે. આઇટી ક્રાંતિ પહેલાં કેટલાંક અખબારો-સામયિકોમાં ચર્ચાપત્રો (વાચકોના પત્રો)ની જગ્યા ફેસબુક-ટ્‌વીટરની ગરજ સારતી હતી. ત્યાં જુદા જુદા મુદ્દે સામસામી રમઝટ અને આક્રમક તડાફડી ચાલતાં હતાં. ‘ફેસબુક’ પરની મોટા ભાગની ગરમાગરમીઓની જેમ, ચર્ચાપત્રોમાં પણ મૂળ મુદ્દો ક્યાંય ભૂલાઇ જતો અને ‘આવી જા, તને બતાવી દઉં’ની મુદ્રા ઉભરી આવતી હતી.

આવી સ્થિતિમાં ચર્ચાપત્રોને મોકળું મેદાન આપનાર કોઇ અખબાર-સામયિકમાં વેદવ્યાસ લિખિત ‘મહાભારત’ હપ્તાવાર નવલકથા તરીકે છપાતું હોત તો? કેટલાક ચર્ચાપત્રીઓ કેવા પ્રતિભાવ આપતા હોત? વાસ્તવિકતાનો રંગ ધરાવતી કલ્પના.

***

રવિવારની પૂર્તિમાં આવતી વેદ વ્યાસની નવલકથા ‘મહાભારત’ જામે છે. તેનું કથાવસ્તુ જોકે ક્યાંક સાંભળેલું હોય એવું લાગે છે. છતાં ભાઇ વ્યાસની લખાવટ સારી છે. મેં પણ આવી એક કથા લખી હતી. અમારા જમાનામાં સારા માણસો લખવાના ધંધામાં પડતા નહીં. એટલે એ કથા હજુ અપ્રગટ જ રહી છે. વ્યાસને રસ હોય તો હું તેમને એ કથા આપી શકું છું. એ સિવાય ‘મહાભારત’માં કોઇ બાબતે વ્યાસને મૂંઝવણ હોય તો હું એમને ખુશીથી માર્ગદર્શન આપીશ. આપણને છાપામાં નામ છપાવવાનો કોઇ મોહ નથી. એટલે વ્યાસ મારો આભાર નહીં માને તો પણ ચાલશે.
- વડીલશંકર સલાહકાર
***

‘મહાભારત’ સારી જાય છે. નવલકથાનું નામ પસંદ કરવામાં થોડી વધારે મહેનત કરી હોત તો સારું થાત. લેખકની પકડ સારી છે. સાથે ચિત્રો આપો તો સારું. દ્રૌપદી કેવી લાગતી હશે, એ જોવાનું મન થાય છે.
- ગુલાબભાઇ ગલગોટાવાળા
***

‘મહાભારત’ની કથામાં કૃષ્ણે કૌરવો પાસે જમીન માગી હોવાનું શ્રી વ્યાસે લખ્યું છે, પણ મજકૂર જમીન ખેતીની હતી કે બિનખેતીની, તેની ચોખવટ કરવામાં આવી નથી. હું નિવૃત્ત તલાટી છું. મને ખબર છે કે જમીનના મામલે મહાભારત થતાં જ હોય છે. ખોટ એ બઘું લખવા નવરા લોકોની જ હોય છે. ચીરહરણનો ઉલ્લેખ કરતી વખતે એક ઠેકાણે વ્યાસે દ્રૌપદીની સાડીની લંબાઇ ૪૦ ફીટ લખી છે અને તેના ચાર ફકરા પછી એ લંબાઇ ૪૦ મીટર છે. કઇ લંબાઇ સાચી માનવી? શ્રી વ્યાસ ખુલાસો કરશે?
- ખુશાલ ખટપટિયા
***

‘મહાભારત’માં એકલવ્યનો પ્રસંગ શ્રી વ્યાસે તેમના ડફોળ દીકરાને એડમિશનમાં થયેલા ખરાબ અનુભવ પરથી લખ્યો હોય એવું લાગે છે. મારી પોતાની દસ સ્કૂલ અને છ કોલેજ ચાલે છે. અમારે ત્યાં આવા કોઇ ભેદભાવો નથી. વ્યાસ જેવા વિધ્નસંતોષી લોકો ગમે તેવું બેજવાબદાર અને પીળું પત્રકારત્વ કરીને ગુરૂશિષ્ય પરંપરાનું અને ભારતીય સંસ્કૃતિનું અપમાન કરે છે. હવે ફરી આવું કંઇ છપાશે તો અમારે ન છૂટકે પગલાં લેવાની ફરજ પડશે તેની નોંધ લેશો. ભારતમાતાકી જય. વંદે માતરમ્‌.
- કમલભાઇ કેસરિયા
***
‘મહાભારત’ અંગે ગુલાબભાઇનો રસ- એટલે કે પત્ર- વાંચીને દુઃખ થયું. વાચક તરીકે તેમણે દ્રૌપદીના શબ્દચિત્રથી જ રાજી થવું જોઇએ. દ્રૌપદીનું ચિત્ર જોવાની એવી તે શી ઘેલછા? અને બહુ મન થયું હોય તો તેમના ઘરમાં મા-બહેન નહીં હોય? એમને દ્રૌપદી તરીકે કલ્પી લે. પુરૂષજાત ક્યારેય સુધરશે ખરી?
- લક્ષ્મી લશ્કરી
***

લક્ષ્મીબહેન લશ્કરીના બળાપા સાથે હું સંમત છું. મહાભારત કરતાં ચાર ચાસણી ચડે એવી મારી કથાને મેં ચિત્ર વગર પ્રગટ કરવાનો જ આગ્રહ સેવ્યો હતો. (હજુ સુધી તે પ્રગટ થઇ નથી એ જુદી વાત છે.) સફળતા ભાઇ વ્યાસના માથે ચડી ગઇ હોય એવું લાગે છે. તેમનાં અઢળક વખાણ કરતાં બે-ચાર ચર્ચાપત્રો લખ્યા પછી પણ તેમણે મને પત્ર લખવાનું જરૂરી માન્યું નથી. તેમની નવલકથા ‘મહાભારત’ સારી હોવા છતાં મારે એટલું કહેવું જોઇએ કે તેમાં ફુલાઇને ફાળકો થવા જેવું કોઇ તત્ત્વ નથી. ખરું સાહિત્ય તો એ જ કહેવાય જે સદીઓ સુધી વંચાય. ‘મહાભારત’ અત્યારે ઠીક છે, પણ પુસ્તક તરીકે તેને કયો પ્રકાશક હાથમાં ઝાલે છે એ જોઇશું.
- વડીલશંકર સલાહકાર
***

વડીલશંકરભાઇ જેવા જૂની પેઢીના લોકોએ જાણવું જોઇએ કે મહિલાઓ ચર્ચામાં ઉતરે એટલે તેમનું ઉપરાણું લેવા વચ્ચે કૂદી પડવું એ હવે જૂની સ્ટાઇલ થઇ. લક્ષ્મીબહેન લશ્કરીને જણાવવાનું કે મારા ઘરમાં મા પણ નથી અને બહેન પણ નથી. હવે?
- ગુલાબભાઇ ગલગોટાવાળા
***

વડીલશંકરભાઇની વાત સાથે હું સંમત છું. વ્યાસની વાર્તા...શું નામ છે? જડભરત? ના...ના.. મહાભારત- હા, એ મહાભારતમાં કશો દમ નથી. અને કોઇ મહિલા વિશે આવા શબ્દોમાં લખવાનું ગુલાબભાઇ માટે તથા આ પ્રકાશન માટે શોભાસ્પદ નથી.  મારા પોતાના ચર્ચાપત્રોના આઠ સંગ્રહો બહાર પડી ચૂકેલા છે. તેમાંના એક પણ સંગ્રહના એક પણ પત્રમાં મહિલાઓ વિશેની અભદ્ર વાત મેં કદી લખી નથી. ‘પ્લેબોય’ને લખેલા અને (મારા ચર્ચાપત્રસંગ્રહ ‘પ્લેબોયથી પરમાર્થ સુધી’માં સામેલ કરાયેલા) પત્રોમાં પણ મેં હંમેશાં મહિલાગૌરવના જ મુદ્દા છેડ્યા છે. આ મુદ્દે હું  કુ.લક્ષ્મીની સાથે છું. વડીલ છગનભાઇ પણ અમને યુવાનોને આશીર્વાદ આપશે એમ માનું છું.
- જુવાન જુસ્સાવાલા
***

ભાઇ જુવાનનો પત્ર સદંતર વાહિયાત અને તેમની હલકી મનોવૃત્તિનો સૂચક છે. મને ‘વડીલ’ અને લક્ષ્મીબહેનને ‘કુમારી’ કહીને તેમણે પોતાના મલિન ઇરાદા છતા કર્યા છે. ચર્ચાપત્રોના સંગ્રહો બહાર પાડવામાં કશી ધાડ મારવાની નથી. એમ તો ‘ચર્ચાપત્રીની ચકોર નજરે : ભાગ ૧-૧૨’ શીર્ષક હેઠળ મારાં ચર્ચાપત્રોના બાર ભાગ પ્રસિદ્ધ થયા છે. તેમાંના એકની ગણતરી બુકર પ્રાઇઝની સ્પર્ધામાં થતી હતી, પણ છેલ્લી ઘડીએ સ્ત્રીદાક્ષિણ્યને કારણે અરુંધતિ રોય માટે મેં માર્ગ મોકળો કરી આપ્યો હતો.
- વડીલશંકર સલાહકાર
***

વડીલશંકરભાઇના પત્રના સંદર્ભમાં જણાવવાનું કે જુવાનીને ઉંમરની સાથે કશી લેવાદેવા નથી. આજે નિવૃત્તિનાં દસ વર્ષ પછી પણ હું જુવાન છું. રોજનાં ઓછામાં ઓછાં સાત ચર્ચાપત્રો લખું છું, જાતે ચાલીને પોસ્ટ ઓફિસે જઉં છું અને દેશવિદેશમાં પોસ્ટ કરું છું. સાથોસાથ, ગુજરાતમાં પત્રકારત્વની યુનિવર્સિટીઓના કોર્સમાં ચર્ચાપત્રોનો વિષય તરીકે સમાવેશ થાય એ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવથી માંડીને  અમેરિકાના પ્રમુખ સુધીના અનેક લોકોને લખતો રહું છું. ચર્ચાપત્ર માટેનું પુલિત્ઝર પ્રાઇઝ ચાલુ કરાવવા માટે અત્યાર સુધી મેં લખેલા પત્રોનું વજન આશરે સત્તર કિલો થવા જાય છે, એવું મારો એક ચાહક અને જોગાનુજોગે પસ્તીનો ધંધો કરતો છોકરો કહેતો હતો. ગમે તે થાય, પણ આ ગુલાબભાઇ હાર માને એવો નથી. મારા આ સ્પિરિટની કુમારી લક્ષ્મી લશ્કરી ઉપરાંત અન્ય ચર્ચાપત્રી મિત્રો નોંધ લેશે, તેમ માનું છું.
- ગુલાબભાઇ ગલગોટાવાળા
***

વડીલશંકરભાઇને હું જવાબ આપું તે પહેલાં જ ગુલાબભાઇએ ચર્ચામાં ઝંપલાવી દીઘું છે. વૃદ્ધોની આ જ તકલીફ છે. એમની પાસે ટાઇમ જ ટાઇમ હોય છે, જ્યારે અહીં સૌથી મોટી રામાયણ ટાઇમની છે. ઘણી વાર જગત આખું સૂતું હોય ત્યારે હું ચર્ચાપત્રો લખવા બેસું છું. જાગ્રત ચર્ચાપત્રી હોવાનો મારો દાવો ખાલી કહેવા પૂરતો નથી. વડીલશંકરના પડકારના જવાબમાં એટલું જ કહેવાનું કે મારી ઉંમર તેમના કરતાં ઘણી ઓછી છે. કુમારી લક્ષ્મીની બાબતમાં વૃદ્ધ ચર્ચાપત્રીઓ આટલા વ્યાકુળ કેમ થાય છે, એ સમજાતું નથી.
- જુવાન જુસ્સાવાલા
***

ચર્ચાપત્રીઓને માલૂમ થાય કે મારું નામ લક્ષ્મીચંદ લશ્કરી છે અને હું કરિયાણાનો વેપારી છું. વ્યાસની નવલકથા ‘મહાભારત’ સારી જાય છે.
- લક્ષ્મી લશ્કરી

7 comments:

  1. ભાઈ ઊર્વીશ-- જલસો પડ્યો... :) :) :)

    ReplyDelete
  2. ધાર-ધાર વ્યંગકથા છે ભાઈ! તમારી કલ્પના-શક્તિ ખરેખર સારી છે.

    ReplyDelete
  3. ભાઇશ્રી, ચર્ચાપત્રીઓ વિશેનો આપનો આ લેખ ગમ્યો. અંતમાં લક્ષ્મી લક્ષ્કરી કુમારી નથી પરંતુ લક્ષ્મીચંદ છે એ વાત થોડાં ગલગલીયા કરાવી ગઇ.. તમારુ હ્યુમર હંમેશા મને આકર્ષે છે.આવતા બુધવારનાં લેખની પ્રતીક્ષા રહેશે…
    -અંકિત દેસાઇ

    ReplyDelete
  4. ખ..ડ....ખ....ડાટ...હસાવવા માટે અભિનંદન.

    ReplyDelete
  5. આવી જા, તને બતાવી દઉં’

    મને તો આમા ભીમ દેખાય છે.

    ReplyDelete
  6. I have been an obsessive, compulsive charchapatri myself for many years (have still preserved my old file of letters) and now a reasonably active social media commentator but I was chuckling away at every sentence with barely concealed glee.

    Letter-writers do take themselves a bit too seriously and we must have the ability to take it on the chin when it's done with a charming sense of humour as in this case. The letter-writers are a unique breed and the serious ones have been legends. I still remember the names from the past of these dedicated writers. In fact, Gujrat Mitra which comes out of Surat has some of the finest, most engaging letter writers you can find anywhere. And the newspaper has nurtured them over many decades to such an extent that that column is one of the most followed feature in that newspaper. They also have their own association and meet offline to discuss issues way before fb came up with the idea of Apna Adda.

    Even today I read Tehelka's letters with a lot of interest. And there was a time when Sunday Observer dedicated half a page to its letter writers. But we are a slightly proud and serious breed, so I guess it's al-right to be poked fun at once in a while.

    ReplyDelete
  7. માસ્ટરપીસ .....એન્ડ માં લક્ષ્મી લશ્કરી માં બહુ મજા આવી ગઈ ...
    ઉર્વીશભાઈ, ....પેટ્રોલ અને ડીઝલ ના દરેક ભાવ વધારા વખતે તમારા આવા લેખો વાંચી ને હસી લઈએ છીએ ...બાકી.....તો પોલીટીક્સ અને જી ડી પી ના દર ના સમાચારો માં આમ પબ્લિક ને શું લાટા લેવાના છે ???

    ReplyDelete