Tuesday, August 28, 2012

કોલસાકૌભાંડઃ ધુમાડો અને આગ (૧)

એકવીસમી સદી આવતાં સુધી ભારતમાં કૌભાંડોની વ્‍યાખ્‍યા બહુ સાદી હતી : ફલાણા નેતાએ અમુક વસ્‍તુની ખરીદીનો ઓર્ડર તમુક કંપનીને આપ્‍યો-અપાવ્‍યો. બદલામાં એ કંપની પાસેથી કટકી ખાધી. રાજીવ ગાંધીની સરકારને ઘેર બેસાડનાર બોફર્સ કૌભાંડમાં પણ પ્રાથમિક મુદ્દો અને આરોપ એટલો જ હતો કે બોફર્સ કંપનીએ પોતાની તોપો ભારતને વેચવા માટે, રાજીવ ગાંધીના મળતીયાને રૂ.૬૪ કરોડની લાંચ આપી.

પરંતુ યુપીએ સરકારની બીજી મુદતમાં બહાર આવેલાં કૌભાંડ એટલાં સીધાંસાદાં નથી. તેમાં મોટા ભાગના લોકોના ભેજામાં ન ઉતરે એવી, અમુક લાખ કરોડ રૂપિયાની રકમો સંકળાયેલી હોય છે. એ રકમો સીધેસીધી એક તિજોરીમાંથી બીજા ખિસ્‍સામાં જતી રહેતી નથી. કૌભાંડોનો નવા પ્રકારમાં, ધારો કે સરકાર પાસે કોઇ ચીજના વેચાણહક છે. બજારભાવ પ્રમાણે એ ચીજ વેચવામાં આવે તો વર્ષે રૂ.૧૦૦ની આવક થઇ શકે એમ છે. પરંતુ સરકાર અમુક ખાનગી કંપનીઓને એ જ ચીજ આગામી દસ વર્ષ સુધી ૬૦ રૂપિયાના ભાવે આપવાનો સોદો કરી નાખે છે. (ઓછી રકમ ફક્‍ત ઉદાહરણ અને સમજણ ખાતર લખી છે.)

આ પ્રકારના ગોટાળામાં કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો એ નક્કી કરવું કપરૂં છે. સાદું ગણિત તેમાં ખાસ કામ લાગતું નથી. કારણ કે તેમાં ઓછામાં ઓછો ત્રણપાંખીયો વ્‍યવહાર હોઇ શકે છેઃ ૧) મંત્રીએ કિંમત નક્કી કરવામાં ભૂલ નહીં, પણ ઇરાદાપૂર્વકની ભૂલ કરી હોય તો, તેમને લાંચ પેટે તોતિંગ રકમ મળે. ૨) ખાનગી કંપનીઓને લાગવગથી પ્રાથમિકતાના ધોરણે અને/અથવા ઓછા ભાવે ચીજ મળે, એટલે તેના નફામાં અઢળક વધારો થઇ શકે છે. ૩) દેશની માલિકીની ચીજનો બજાર કરતાં ઓછા ભાવે સોદો થવાથી, દેશની તિજોરીને નુકસાન થાય છે.

આગળના ઉદાહરણમાં સ્‍પષ્ટ છે કે લાંચની રકમ સિવાયના બાકીના આંકડા વાસ્‍તવિક નહીં, પણ ‘નોશનલ' (ખયાલી- અંદાજિત) છે. તેમાં વધઘટની સંભાવના પૂરેપૂરી હોય છે. કારણ કે નુકસાન કે કૌભાંડની રકમની ગણતરી ‘જો અને તો' પ્રકારે કરવામાં આવે છે. ઓછી કિંમત નક્કી કરવા માટે સરકાર પાસે પણ પોતાનાં કારણો અને ખુલાસા હોઇ શકે છે. સાથોસાથ, ‘કંપનીનો ફાયદો એટલે દેશનું નુકસાન' એવો સીધો હિસાબ પણ બેસાડી શકાતો નથી. છતાં, આખા વ્‍યવહારમાં કંઇક ખોટું કે ન થવા જેવું થયું હોવાની લાગણી સતત રહે છે.

આટલી પ્રાથમિક સમજૂતી સાથે, રૂ.૧.૮૬ લાખ કરોડના મનાતા કોલસાકૌભાંડ વિશે પાયાથી જાણકારી મેળવીએ.

પહેલો તણખો

આ વર્ષના માર્ચ મહિનામાં ‘ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા'એ ‘કેગ'ના તૈયાર થઇ રહેલા અહેવાલનો હવાલો આપીને ધડાકો કર્યો કે કોલસાની ખાણોની ફાળવણીના મુદ્દે સરકારે વર્ષ ૨૦૦૪થી ૨૦૦૯ સુધીમાં ૧૦૦ કંપનીઓને ગેરવાજબી લાભો કરાવી આપ્‍યા. સરકારની એ નીતિને કારણે દેશની તિજોરીને રૂ. ૧૦.૬૭ લાખ કરોડનું નુકસાન થયું હોવાનું જાહેર કરવામાં આવ્‍યું. આ સમયગાળો મહત્ત્વનો છે. કારણ કે યુપીએની પહેલી મુદતમાં, કોલસામંત્રી શીબુ સોરેનની વિદાય પછી વડાપ્રધાન ડો.સિંઘે એ ખાતું સંભાળ્‍યું હતું. એટલે કે, ખુદ વડાપ્રધાનને હસ્‍તક એવા ખાતામાં, ખાનગી કંપનીઓને ખટાવવા માટે સરકારે રૂ,૧૦.૬૭ લાખ કરોડનું અધધ નુકસાન ભોગવ્‍યું.

લાભનો આવો વરસાદ (અંગ્રેજી શબ્દ વિન્‍ડફોલ ગેઇન) પામવા માટે સ્‍વાભાવિક રીતે જ ખાનગી કંપનીઓએ સંબંધિત મંત્રી કે બાબુશાહીને ફોડયા હોય- પલાળ્‍યા હોય. અહેવાલમાં આવા આરોપ કે લાંચની રકમ વિશે ફોડ પાડીને કહેવાયું ન હતું, પણ તેનો અર્થ એ જ થતો હતો.

કૌભાંડની આંકડાની રકમ આ રીતે નક્કી કરવામાં આવી હતીઃ જે તે સમયની કિંમતોને ઘ્‍યાનમાં રાખતાં કંપનીઓને થયેલા ગેરવાજબી ફાયદાની રકમ રૂ.૬.૩૧ લાખ કરોડ થતી હતી. તેમાં  જાહેર ક્ષેત્રની (સરકારી) કંપનીઓને રૂ.૩.૩૭ લાખ કરોડનો અને ખાનગી કંપનીઓને રૂ.૨.૯૪ લાખ કરોડનો લાભ થયો હતો. વર્તમાન ભાવ પ્રમાણે કંપનીઓને થયેલા કુલ લાભનો આંકડો રૂ.૧૦.૬૭ લાખ કરોડે પહોંચતો હતો. એટલે આ કૌભાંડને રૂ.૧૦.૬૭ લાખ કરોડનું ગણાવવામાં આવ્‍યું.

સ્‍પેક્‍ટ્રમ કૌભાંડની સરકારને હજુ કળ વળી નથી, ત્‍યાં એનાથી પાંચ ગણા મોટા કૌભાંડની ગંધથી તરખાટ મચી ગયો. અત્‍યાર સુધીનાં કૌભાંડોમાં વડાપ્રધાન પર આંખ આડા કાન કરવાનો આરોપ મુકાતો હતો, પણ કોલસાકૌભાંડના સમયે એ ખાતું વડાપ્રધાનને હસ્‍તક હતું.   સામાન્‍ય રીતે ‘કેગ' અખબારી અહેવાલ વિશે પ્રતિક્રિયા ન આપે, પણ આ કિસ્‍સામાં વડાપ્રધાનની સીધી સંડોવણીનો આરોપ આવતો હતો એટલે  એટલે ‘કેગ' તરફથી લેખિત સ્‍પષ્ટતા કરવામાં આવી કે ‘અખબારી અહેવાલમાં પ્રસિદ્ધ થયેલી વિગતો સાવ પ્રાથમિક ધોરણે કરાયેલાં નિરીક્ષણો પર આધારિત હતી. કોલસા મંત્રાલય સાથેની બે બેઠકો પછી અમારી વિચારપદ્ધતિ બદલાઇ છે....હકીકતમાં, કંપનીઓને થયેલો ફાયદો એ દેશની તિજોરીને થયેલું સીઘું નુકસાન છે એવું પણ અમે કહેવા માગતા નથી...હિસાબનું કામ હજુ ચાલુ છે.' અખબારમાં લીક થયેલા રૂ.૧૦.૬૭ લાખ કરોડના કૌભાંડના અહેવાલને ‘કેગ' તરફથી ‘મોટા પાયે ગેરરસ્‍તે દોરનારો' જાહેર કરવામાં આવ્‍યો.

એ વાતને માંડ છ મહિના થાય તે પહેલાં ‘કેગ' તરફથી કોલસાની ફાળવણીને લગતો હિસાબકિતાબ પૂરો કરીને, તૈયાર અહેવાલ  આ મહિને સંસદમાં મૂકવામાં આવ્‍યો. તેમાં કોલસા ફાળવણીની સરકારી નીતિને કારણે દેશની તિજોરીને રૂ.૧.૬૭ લાખ કરોડનું નુકસાન થયાનું જણાવાયું હતું. ‘કેગ' દ્વારા ખોટની ગણતરી શી રીતે માંડવામાં આવી, એ તરફ જતાં પહેલાં ભારતમાં કોલસાના ઉત્‍પાદન અને વહીવટ વિશે પ્રાથમિક વિગતો જાણી લઇએ.

સામસામા દાવા

કોલસાના ઉત્‍પાદનની બાબતમાં ચીન અને અમેરિકા પછી, જથ્‍થાના મોટા તફાવત સાથે, ભારત દુનિયામાં ત્રીજું સ્‍થાન ધરાવે છે. આઝાદી પછી પણ કોલસાની ખાણોમાંથી કોલસા કાઢવાનો ધંધો ખાનગી કંપનીઓ અને ટોળકીઓ દ્વારા ચાલતો હતો. અનુરાગ કશ્‍યપની ફિલ્‍મ ‘ગેંગ્‍સ ઓફ વાસૈપુર'માં કોલસાના હિંસક રાજકારણ અને અર્થકારણની કથા ફિલ્‍મી મસાલા સાથે રજૂ કરવામાં આવી છે. કોલસાના ઉત્‍પાદન ક્ષેત્રે ફેલાયેલી અરાજકતા અટકાવવા માટે ૧૯૭૩માં સરકારે કોલસાની ખાણોનું રાષ્‍ટ્રિયકરણ કર્યું. પરંતુ સરકારને બીજી ઘણી બાબતોની જેમ કોલસાનો ધંધો ફાવ્‍યો નહીં. વીજળી ઉત્‍પાદન, સ્‍ટીલ, સિમેન્‍ટ જેવા ધંધામાં વપરાતા કોલસાની માગને પહોંચી વળવામાં સરકારને ફાંફાં પડવા લાગ્‍યાં. બીજી તરફ, રાષ્‍ટ્રની માલિકીના કુદરતી સંસાધન તરીકે કોલસા પરનો કબજો જાળવી રાખવાનું પણ સરકારને જરૂરી લાગતું હતું. એટલે વચલા રસ્‍તા તરીકે ‘કેપ્‍ટીવ માઇન્‍સ'ની પ્રથા દાખલ કરવામાં આવી.

વીજળી, સ્‍ટીલ કે સીમેન્‍ટ- આ ત્રણે ચીજોના ઉત્‍પાદકોને કોલસાની જરૂર પડે. એમની જરૂરિયાતને સરકાર પહોંચી ન વળે. એટલે સરકારે આ ત્રણે ચીજોના ઉત્‍પાદકોને કોલસાની અમુક ખાણો એ શરતે ફાળવી આપી કે આ ખાણમાંથી નીકળતા કોલસાનો ઉપયોગ તેમણે વીજળી, સ્‍ટીલ અને સીમેન્‍ટના ઉત્‍પાદન માટે જ કરવો. (બજારમાં આ કોલસો વેચી શકાય નહીં.) આ ત્રણે બાબતો રાષ્‍ટ્રના વિકાસ માટે જરૂરી હોવાથી, સરકારે આટલી સુવિધા કરી આપી. તેનો લાભ મેળવનારા ઉત્‍પાદકોમાં સરકારી માલિકીની ‘જાહેર સાહસ' (પીએસયુ- પબ્લિક સેક્‍ટર અન્‍ડરટેકિંગ) તરીકે ઓળખાતી કંપનીઓ પણ હોય અને ખાનગી માલિકીની કંપનીઓ પણ ખરી. તેમને ચોક્કસ પ્રોજેક્‍ટમાં વાપરવા માટે ‘બાંધી આપેલી' ખાણો ‘કેપ્‍ટીવ માઇન' તરીકે ઓળખાઇ. ‘કેપ્‍ટીવ' ખાણોની ફાળવણીની બાબતમાં ભ્રષ્ટાચાર અને લાગવગશાહી માટે પૂરતી તકો હતી.

સરકારની આ નીતિ એકથી વધારે બાબતોમાં ટીકાને પાત્ર બની. પહેલો મુદ્દો ભાવફરકનો હતો. છેક ૨૦૦૪માં કોલસા મંત્રાલયના સચિવે રાજ્‍યકક્ષાના મંત્રીને એક લેખિત નોંધ દ્વારા જાણ કરી હતી કે કોલસાની મુખ્‍ય ઉત્‍પાદક એવી સરકારી કંપની ‘કોલ ઇન્‍ડિયા' દ્વારા પૂરા પડાતા કોલસાના અને ‘કેપ્‍ટીવ માઇન'માંથી પેદા  થતા કોલસાના ભાવ વચ્‍ચે મોટો તફાવત છે. તેમનું તારણ હતું કે ‘કેપ્‍ટીવ માઇન'માંથી પેદા થતો કોલસો માલિક કંપનીઓને બહુ સસ્‍તા ભાવે પડે છે. તેના કારણે ‘કેપ્‍ટીવ માઇન' ધરાવતી કંપનીઓને અઢળક ફાયદો (વિન્‍ડફૉલ ગેઇન) થશે.

ટીકાનો બીજો મુદ્દો ‘કેપ્‍ટીવ માઇન'માં કોલસાના ઓછા ઉત્‍પાદન વિશેનો હતો. ધંધાદારી લોકોની એવી દલીલ હતી કે વીજળી - સ્‍ટીલ-સીમેન્‍ટના ઉત્‍પાદનમાં પડેલી કંપનીઓ કોલસાની ખાણનો પૂરો કસ કાઢી શકતી નથી. તેને બદલે, ખાણકામનો જ ધંધો કરતી કંપનીઓ પાસેથી આ કામ કરાવવામાં આવે તો, કોલસાના ઉત્‍પાદનમાં નોંધપાત્ર વધારો થાય. તેનો સીધો ફાયદો નવાં સ્‍થપાનારાં વીજમથકોને અને સરવાળે દેશને થાય. કારણ કે ઘણાં વીજમથકો મુખ્‍ય બળતણ તરીકે કોલસો વાપરે છે.

વર્તમાન આંકડા પ્રમાણે, ભારત વર્ષે ૫૩ કરોડ ટન કોલસો પેદા કરે છે. તેમાંથી ૮૨ ટકા જેટલો મોટો હિસ્‍સો સરકારી કંપની કોલ ઇન્‍ડિયાનો છે. કંપનીઓની માલિકીની ‘કેપ્‍ટીવ માઇન્‍સ'માંથી ફક્‍ત ૧૮ ટકા કોલસો નીકળે છે. કંપનીઓને એક વાર ખાણો કે કોલસાનો જથ્‍થો ધરાવતા મ્‍લોક (જમીનના પટ્ટા) ફાળવી દેવાયા પછી પણ, તેમાંથી ઉત્‍પાદન શરૂ થવામાં ઘણો સમય નીકળી જાય છે. તેના માટે બાબુશાહી પણ ઘણે અંશે જવાબદાર છે.

હાલમાં સરકારે કોલસાના ૧૯૪ બ્લોક ‘કેપ્‍ટીવ' તરીકે વિવિધ સરકારી-ખાનગી કંપનીઓને ફાળવેલા છે. પરંતુ ‘કેગ'ના અહેવાલ પ્રમાણે, ફક્‍ત ૨૮  બ્લોકમાં કોલસાનું ઉત્‍પાદન શરૂ થયું છે. તેમાંથી ૧૫ બ્લોક ખાનગી કંપનીઓની માલિકીના છે. આ બ્લોકમાંથી કોલસા મળવામાં ધાર્યા કરતાં એક વર્ષથી દસ વર્ષ સુધીનો વિલંબ થયો હોવાનું ‘કેગ'ના અહેવાલમાં નોંધાયું છે.

‘કેગ'ના અહેવાલમાં આરોપ એવો છે કે સરકારે ખાનગી કંપનીઓને કોલસાના ‘કેપ્‍ટીવ' બ્લોકનો પરબારો કબજો આપી દેવાને બદલે તેની હરાજી કરી હોત, તો વઘુ ઊંચી કિંમત ઉપજત. એમ ન કરવાને કારણે રૂ.૧.૮૭ લાખ કરોડનું નુકસાન થયાનો ‘કેગ'નો અંદાજ છે. બીજી તરફ, ચિદમ્‍બરમ્‌ જેવા મંત્રીઓ કહે છે કે કંપનીઓને અપાયેલા કેપ્‍ટીવ બ્લોકમાંથી કોલસો હજુ જમીનમાંથી નીકળ્‍યો જ નથી, ત્‍યાં એના વેચાણમાંથી થયેલું નુકસાન કેવું ને વાત કેવી?

આંકડાની સામસામી માયાજાળમાં છુપાયેલી સચ્‍ચાઇ વિશેની વિગતો આવતા સપ્‍તાહે.

4 comments:

  1. Anonymous10:09:00 PM

    "બરબાદ ગુલીસ્તાન કરને કો,
    સિર્ફ એક હી ઉલ્લુ કાફી હૈ,

    યહાં (Parliament) હર શાખ પે ઉલ્લુ બેઠે હે,
    અંજામે ગુલીસ્તાન ક્યાં હોગા.".

    We all parties/citizens are equal in the name of corruption.

    ReplyDelete
  2. Anonymous10:20:00 AM

    Thanks Urvishbhai. Very informative as always. Waiting for next....

    ReplyDelete
  3. કેગ ના આંક્ડા મા કદાચ ૧૯-૨૦ હોઈ શકે પણ કેગ ખોટી છે એવુ ખાસ કોંગ્રેસનુ કે કોઇ પણ રાજ્યનુ કેહવુ ખોટુ છે અને ખાસ કેન્દ્રમાં કે રાજ્ય મા થતા ગોટાલા અને કેગ ન રિપોર્ટ પર થી સીધો ખ્યલ આવે છે કે ગવર્નન્સ કામ કઇ રીતે કરે છે. ૨ રૂપિયા ની વસ્તુ ૧૦ રૂપિયા મા ખરીદે છે અને ૧૦ રૂપિયા ની વસ્તુ ૨ રૂપિયા મા વેચે છે.

    ReplyDelete
  4. Keenly look forward to the next piece. My view before I read this has been oscillating between two extremes: either Vinod Rai is the new Seshan of CAG or he may be biting off way more than he can chew. There is also a case here of not taking to recourse to auctions because of a misplaced socialist mindset. But of course as you rightly say, Corruption, as a simple reason for all this mess, can never be ruled out either. It's a complete conundrum, this one.

    ReplyDelete