Tuesday, August 14, 2012

અન્ના આંદોલન: તળેટીથી નીચે તરફ

(written on 11- 8 - 12)

અમે તો પહેલેથી જ કહેતા હતાઅથવા અમે નહોતું કહ્યું?’ એવું બોલીને, એકબીજાને તાળી આપવા જેવું એમાં કશું નથી. અન્ના હજારેના જનલોકપાલ માટેના આંદોલનનો અંત, રણપ્રદેશમાં દિશાવિહીન બન્યા પછી મોતને ભેટતા મુસાફર જેવો કરુણ આવ્યો. આ કિસ્સામાં તેના માટે રણની નિષ્ઠુરતા કરતાં પણ વધારે જવાબદારી, દિશાભાન વિના નીકળી પડેલા કે દિશા ભૂલી ગયેલા મુસાફરોની ગણાવી જોઇએ.

અન્ના આંદોલનનો કરૂણાંત એક નાગરિક તરીકે મિશ્ર લાગણી પ્રેરે છેઃ ચૂંટાયેલા રાજકારણીઓને ડારો દેવાની- તેમને ઉત્તરદાયી બનાવવાની દિશામાં માંડ ઊભી થનારી એક તક વેડફાઇ ગઇ તેનો ખટકો રહે છે. સાથોસાથ, ટૂંકી દૃષ્ટિ અને ભ્રમણાઓની માયાજાળમાં ગરક અન્નામંડળીને બોધપાઠ મળ્યો તે જરૂરી પણ લાગે છે.

કોરી નિષ્ફળતા
હોલિવુડની ટ્રેઝરહન્ટ પ્રકારની ફિલ્મોમાં મોટે ભાગે એવું બને છેઃ જુદાં જુદાં હિત અને ખાસિયતો ધરાવતા લોકો એક જ સ્વાર્થ માટે ભેગા થાય, ટીમ બનાવે, અભિયાન આદરે, તેની તીવ્રતા વધે તેમ એક યા બીજા કારણસર અમુક માણસો અધવચ્ચેથી ખરતા જાય અને નવા ઉમેરાય પણ ખરા. આખરે ખજાનો હાથવેંતમાં દેખાય - અને ત્યારે જ ખબર પડે કે ખજાનો તો બાજુ પર રહ્યો, જીવ બચાવવો હશે તો આવ્યા હતા એવા ને એવા, કોરાધાકોર, પાછા ફરવું પડશે.

અન્નામંડળની સ્થિતિ કંઇક એવી જ થઇ. મંડળી સાથે (તેમના મતે) છેક સુધી પહોંચ્યા પછી, રહીસહી આબરૂ બચાવવા માટે તેમને ઉપવાસ સંકેલી લેવા પડ્યા અને રાજકીય વિકલ્પ’  પૂરો પાડવાની જાહેરાત કરવી પડી. એ નામોશીથી બચવા માટે ઉતાવળે લેવાયેલું પગલું હતું કે પછી અન્નામંડળ વિકલ્પ પૂરો પાડવા માટે ગંભીર છે, એ હજુ નક્કી કહી શકાય એમ નથી. પરંતુ  મુંબઇ-દિલ્હી એમ બન્ને ઠેકાણે ખત્તા ખાધા પછી નજીકના ભવિષ્યમાં અન્નામંડળ ઉપવાસ માટે હિંમત નહીં કરે એટલું નક્કી લાગે છે.

ઇતિહાસ જોતાં જણાશે કે આંદોલનોની સફળતા કેવળ તેના અંતીમ પરિણામ પરથી નક્કી થતી નથી. ગાંધીજીના ઘણા સત્યાગ્રહોમાં તેમની માગણી પૂરેપૂરી સંતોષાઇ ન હોય એવા દાખલા છે. પરંતુ ગાંધીજીના સત્યાગ્રહોનો એક મુખ્ય આશય પ્રજામાં જાગૃતિ આણવાનો અને તેમને અંગ્રેજી શાસનની બીક છોડીને અહિંસક રીતે અન્યાયની સામે અવાજ ઉઠાવતા કરવાનો હતો. એ હેતુમાં ગાંધીજી ઘણી હદે સફળ થયા. અંગ્રેજ સરકારની ચાપલૂસી કરવામાં ગૌરવ અને તેમનાથી ડરવામાં સલામતી સમજતા સેંકડો સામાન્ય લોકો ગાંધીજીના સત્યાગ્રહોથી પ્રેરાઇને સરકાર સામે ઊભા થયા. ભારતીય સમાજમાં દયનીય સ્થિતિ ધરાવતી અને બેવડી ગુલામી ભોગવતી સ્ત્રીઓ ગાંધીજીનાં આંદોલનોથી ઘરની બહાર નીકળતી થઇ. એ દૃષ્ટિએ ગાંધીજીના નિષ્ફળ સત્યાગ્રહો પણ સફળ હતા. અન્ના હજારેનું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન આ ફુટપટ્ટીથી માપતાં પણ ખાસ કશી ઉપલબ્ધિ હાથ લાગતી નથી.

કેન્દ્ર સરકારનાં સંખ્યાબંધ કૌભાંડ વિશે લોકોના મનમાં તીવ્ર અસંતોષ હતો. અન્ના આંદોલનથી તેને બહાર નીકળવા માટેનો રસ્તો મળ્યો. તેને લીધે અન્ના આંદોલનને બળ અને વેગ મળ્યાં. પરંતુ તેના માટે આમપ્રજાની ભ્રષ્ટાચારવિરોધી લાગણી મુખ્ય હતી. અન્ના આંદોલનની મુખ્ય માગણી જેવા જનલોકપાલની જોગવાઇઓ-મર્યાદાઓ વિશે ઘણાખરા આંદોલનકારીઓની સમજણ નહીંવત્‌ કે સાવ પ્રાથમિક હતી.

ચુનંદો વિરોધ
ભ્રષ્ટાચાર સામે આક્રોશ હોવો એ પણ સારી બાબત છે. અન્નાઆંદોલન એવો નક્કર આક્રોશ ઊભો કરી શક્યું હોત તો એ તેની સિદ્ધિ ગણાત. પરંતુ અન્ના આંદોલન સાથે જોડાયેલા બહુમતી વર્ગની માન્યતા એવી હતી કે ભ્રષ્ટાચાર એટલે બીજા કરે તે.ભ્રષ્ટાચારને તે ફક્ત રાજનેતાઓ સાથે સાંકળતા હતા. એમાં પણ અમુક ઉત્સાહીઓ ભ્રષ્ટાચારને કેવળ પોતાના અણગમતા પક્ષ સાથે જ સાંકળતા હતા. જેમ કે, અન્ના આંદોલનના ગુજરાતી સમર્થકોમાંથી ઘણાખરાને ગુજરાત સરકાર પર થયેલા ભ્રષ્ટાચારના ગંભીર આરોપો વિશે કંઇ કહેવાનું ન હતું. ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક સામે સરકારી રાહે થયેલા અખાડા તેમની પટ્ટીબંધ આંખોને દેખાતા ન હતા. તેમને સૌથી વધારે કીકકોંગ્રેસને ગાળો દેવામાં આવતી હતી અને અન્ના આંદોલન એ માટે તેમને સૌથી હાથવગું લાગ્યું.

લોકશાહીમાં અને ખાસ કરીને કેન્દ્ર સરકારે જે રીતે વહીવટ ચલાવ્યો છે એ જોતાં, કોંગ્રેસને ભાંડવામાં કશું ખોટું નથી. પક્ષીય વફાદારી ન હોય એવા કોઇ પણ નાગરિકને યુપીએ સરકાર સામે અઢળક વાંધા હોય. પરંતુ એવા ગુજરાતી નાગરિકોને ગુજરાત સરકાર પર થયેલા ભ્રષ્ટાચારના આરોપના મુદ્દે પણ સવાલ થવા જોઇએ.

એવું ન હોય તેનો અર્થ એટલો કે એવો લોકો ગુજરાતના મુખ્ય મંત્રીના કે ભાજપના, બિલ્લાધારી કે બિલ્લા વગરના સમર્થક છે. છતાં પોતાનો રાજકીય એજેન્ડા છુપાવવા માટે તે ભ્રષ્ટાચારવિરોધી તરીકેનું મહોરું પહેરીને મેદાનમાં આવ્યા છે અને અન્ના હજારેના આંદોલનમાં ભળી ગયા છે. ભ્રષ્ટાચારનાબૂદીની વાતો તેમના માટે વેશનો હિસ્સો છે.

અન્ના આંદોલન આટોપાઇ ગયા પછી પણ આવા લોકોને ઓળખવાનું બહુ સહેલું છે. કેવળ ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા લોકો અન્ના આંદોલનની નિષ્ફળતા પછી અન્નામંડળે ક્યાં કાચુ કાપ્યું, ક્યાં બાફ્‌યું, ક્યાં અતિવિશ્વાસથી કામ લીઘું, કેવી વ્યૂહાત્મક ભૂલો કરી એ વિશે આત્મમંથન કરતા જણાશે. સાથોસાથ, ભવિષ્યમાં આ પ્રકારના આંદોલનમાં કેવી ચીવટ રખાવી જોઇએ એ સમજવાની કોશિશ પણ કરતા હશે. અન્ના આંદોલન જે કારણસર નિષ્ફળ ગયું એ મુદ્દા પહેલેથી ઊભા કરનારા તમામને કોંગ્રેસીકહીને ઉતારી પાડવામાં ઉતાવળ થઇ એવું, તેમને લાગતું હશે.

પરંતુ જે ભાજપી કાર્યકરોનો કે બિનકાર્યકરોનો એજેન્ડા માત્ર ને માત્ર કોંગ્રેસને ગાળો દેવાનો હતો, એવા લોકો આંદોલનની નિષ્ફળતામાંથી કશું શીખશે નહીં કે ન કોઇ જાતનો વસવસો અનુભવશે. ઊલટું, આ નિષ્ફળતા માટે પણ તે સરકારને અને મીડિયાને જવાબદાર ઠેરવશે. દુષ્ટ રાજકારણીઓ સામે ભલા આંદોલનકારીઓ હારી ગયા’  એવી જાતને છેતરતી ગેરમાન્યતાઓ ફેલાવવાના પ્રયાસ કરશે - અને હા, ગાળાગાળીનો કાર્યક્રમ ઉત્સાહભેર ચાલુ રાખશે.

બાબા-અન્ના શીર્ષાસન

અન્નામંડળના આંદોલનની અવગતિને વધારે તીવ્ર બનાવતી ઘટના છેઃ બાબા રામદેવના ઉપવાસ. યોગના ધંધામાં મોટું સામ્રાજ્ય ઉભું કરીને અઢળક સંપત્તિ અને તેને લગતા વિવાદો ધરાવતા રામદેવ ઘણા સમયથી કાળાં નાણાંની વાત કરે છે. વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાં ભારતમાં આવવાથી ભારતની બધી સમસ્યાઓ હલ થઇ જશે, એવો પ્રચાર-લોલીપોપ તે સૌને આપે છે. યોગથી ભારતની બધી સમસ્યાઓ હલ થઇ જશે, એવું ગમ્મતમાં નહીં પણ ગંભીરતાથી કહેતા બાબા રામદેવને ભ્રષ્ટાચારના મુદ્દે કોઇ ગંભીરતાથી લેતું ન હતું. પરંતુ અન્ના હજારેનું આંદોલન શરૂ થયા પછી બાબાને વગર પ્રાણાયામે નવો પ્રાણવાયુ મળ્યો.

શરૂઆતમાં એવી પણ વાત હતી કે અન્નાના પહેલા આંદોલનને મળેલી સફળતા પાછળ બાબા રામદેવના સમૃદ્ધ આયોજનતંત્રનો મોટો ફાળો હતો. પરંતુ અન્ના હજારે રાષ્ટ્રિય હીરો બની ગયા, એ સાથે જ બાબા રામદેવ ખૂણે ધકેલાવા લાગ્યા. તેમના યોગસામ્રાજ્ય, રાજકીય સંબંધો અને ભગવાં કપડાં છતાં લોકોનાં ટોળાં અને પ્રસાર માઘ્યમો અન્ના હજારેના પક્ષે હતાં અને અન્ના તથા તેમનું મંડળ એ પ્રસિદ્ધિનો ભરપૂર આનંદ માણી રહ્યું હોય એવું જણાતું હતું.

રામલીલા મેદાનમાં બાબા રામદેવ અને તેમના અનુયાયીઓ પર અડધી રાત્રે પોલીસ ત્રાટકી ત્યારે અનુયાયીઓની ચિંતા કરવાને બદલે સ્ત્રીવેશમાં નાસી છૂટેલા બાબા રામદેવ ફરી આંદોલનના ચાળે નહીં ચડે એવું ત્યારે લાગતું હતું. પરંતુ છેવટે અન્નાને મળેલા થોડા સમય માટેના લોકસમર્થનની સામે બાબાના સામ્રાજ્યની તાકાતની જીત થઇ. અન્નાએ બાબા સાથે હાથ મિલાવવા પડ્યા અને તેમની સાથે સંયુક્તપણે પત્રકાર પરિષદ ભરવી પડી.

અન્ના આંદોલન માટે એ ભટકાવનો વઘુ એક મહત્ત્વનો પડાવ હતો. આર્થિક સામ્રાજ્ય-સમૃદ્ધિને કારણે ભ્રષ્ટાચારવિરોધી આંદોલનની નેતાગીરી માટે અયોગ્ય ગણાઇ જાય એવા બાબાની આણ અન્નાએ સ્વીકારવી પડી. બાબા રામદેવ અને અન્ના સમોવડીયા હોય કે બાબા અન્નાના માર્ગદર્શન નીચે કામ કામ કરે એવો કોઇ પ્રશ્ન જ ન હતો. બાબા રામદેવની બોડી લેંગ્વેજમાંથી પ્રગટ થતા સંકેત સ્પષ્ટ હતાઃ બાબાને અન્નામંડળ વગર ચાલશે, પણ અન્નામંડળનો બાબા વગર ઉદ્ધાર નથી.

આવનારા દિવસોમાં આ હકીકતનાં પ્રમાણ પણ મળી રહ્યાં.  અરવિંદ કેજરીવાલ પ્રણવ મુખર્જી સહિત નેતાઓનાં નામ પાડીને આક્ષેપ કરતા હતા ત્યારે બાબા રામદેવ તેમની ચિરપરિચિત ચબરાકી સાથે, સંબંધો બગાડ્યા વિના આંદોલન ચલાવવાના ઉપદેશ આપતા હતા અને અરવિંદ કેજરીવાલ-કિરણ બેદી એન્ડ કંપનીને જાણે સાનમાં સમજાવી રહ્યા હતા કે મારી સાથે કામ કરવું હોય, તો બોલવામાં ઘ્યાન રાખવું પડશે.અન્નાના છેલ્લા ઉપવાસ-ધબડકા પહેલાં કેજરીવાલ સહિત બીજા લોકો ઉપવાસ પર ઉતર્યા ત્યારે લોકોની સાવ પાંખી હાજરી હતી. પરંતુ ઉપવાસના સ્થળે બાબા રામદેવની સવારી આવી એ સાથે જ ચાર-પાંચ હજાર લોકો આવી ગયા. એ સાથે બાબા પર અન્નામંડળની છેલ્લી સરસાઇ પણ જતી રહીઃ  લોકોનાં ટોળાં માટે સુદ્ધાં બાબાને અન્નામંડળની નહીં, અન્નામંડળને બાબાની જરૂર હતી.

આ વળાંક પર આવી ઊભેલું અન્ના આંદોલન આટોપાઇ જાય તેનો વસવસો કેવો?

અફસોસ એ વાતનો છે કે અન્ના અને તેમના સાથીદારો થકી આંદોલિત થયેલા થોડાઘણા સાચકલા લોકોની આશા-અપેક્ષાઓ ચૂર થઇ. ભ્રષ્ટાચારવિરોધી જુવાળને ધીમે ધીમે પ્રજાલક્ષી-પ્રજાકેન્દ્રી આંદોલનોમાં વાળી શકાશે અને લાંબા ગાળે તમામ પક્ષોના નેતાઓની નીતિરીતિ પર કડક જાપ્તો રાખી શકાશે, એવો આશાવાદ નકરો આશાવાદ જ ઠર્યો. દુઃખ એ વાતનું પણ છે કે લોકપ્રિયતાની ટોચે પહોંચેલા આંદોલનમાં જરૂર પ્રમાણે દિશાસુધાર કરવાને બદલે, અન્નામંડળે તેને પોતાની ઘૂનમાં આગળ હંકારીને છેવટે તળેટીભેગું કર્યું. હવે પછીનાં સંભવિત, વ્યાપક સ્તરનાં પ્રજાકીય આંદોલનો માટેનો રસ્તો સાફસુથરો નહીં હોય. તેની પર અન્નાઆંદોલનનો ભંગાર નડતરરૂપ બને એ રીતે વેરાયેલો મળશે.

8 comments:

  1. અભિનંદન ઊર્વીશ, સુક્ષ્મ પુથ્થકરણ.

    ReplyDelete
  2. Anonymous5:37:00 PM

    ખુબ સરસ.... અભિનંદન...

    ReplyDelete
    Replies
    1. Anonymous11:01:00 PM

      kharu, pan utavaliya amba kyarey pakya chhe ?

      Delete
  3. Please don't be negative urvish,Anna is showing very realistic way to fight against corruption and by the way have you another better way ? please go for it show your commitment toward anti corruption movement dear urvish can you tell me what's selfishness and bad intense have you find in team anna?

    ReplyDelete
  4. As far as i recall their principal focus have always been lokpal, and since lokpal can be passed in parliament only which is dominated by congress it makes sense to concentrate all your energy to congress only. In a system where everyone is corrupt you have to be focused rather than fighting on every front. It makes political sense not to antagonize bjp - and keep it in good terms. For example congress didn't oppose zamindari system during freedom struggle despite being committed to cause of peasantry(and for this marxists criticized INC much same way as you criticize anna), why? because they didnt want to antagonize powerful zamindars and loose them completely to british side, so zamindari was acquiesced to in order to remove greater evil first. The same with anna, bjp was tolerated for tactical reasons not because it saw only congress corruption as deplorable- put it differently 300 cr fisheries scam was tolerated to put all muscles behind 1.6k crore scams.

    ReplyDelete
  5. Secondly i find it difficult to believe that baba's organizational strength was used by anna. anna andolan at its peak was several times larger than baba andolan at its peak. in the bill discussion committe no representative of baba was included all were cherry picked by anna only - do you think baba with all his political aspirations could have accepted that if he had been the driving force?

    ReplyDelete
  6. Dear Kamleshbhai,
    this selfishness and bad intense i find in team anna.....
    see this full video :
    http://www.youtube.com/watch?v=KXpC-suUpI8&list=HL1345715035&feature=mh_lolz

    ReplyDelete
  7. ટીમ અન્ના ના જન ચેતના અભિયાન કે અન્ના ના ઉપવાસ થી કઇ જ ફાયદા નથી થયા એવુ કેહવુ ખોટુ છે.

    ReplyDelete