Friday, December 10, 2010

મારા વતન તળાજાના ખેડૂતો પાસેથી સાંભળીને ગુજરાતી શીખ્યો : ‘રાજનીતિ’ના લેખક અંજુમ રજબઅલીઃ

Anjum Rajabali at Nadiad

પરમ મિત્ર-આચાર્ય અને દૃષ્ટિવંત આયોજક હસિત મહેતાના પ્રતાપે નડિયાદમાં બે દિવસનો સાહિત્યકૃતિ પરથી ફિલ્મની રૂપાંતરણ પ્રક્રિયા અંગેનો સેમિનાર યોજાઇ ગયો. હસિત મહેતા જેના આચાર્ય છે તે નડિયાદની યુ.ટી.એસ. મહિલા કોલેજ ઉપરાંત દિલ્હી અને ગાંધીનગરની સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે 4 અને 5 ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમ હતો. તેમાં ભાગ લેવા માટે આવેલા ફિલ્મલેખક અંજુમ રજબઅલી સાથે થયેલી મુલાકાતનો ટૂંકો અહેવાલ.


પ્રકાશ ઝાની હિટ ફિલ્મ ‘રાજનીતિ’ના લેખક અંજુમ રજબઅલી છેલ્લાં 18 વર્ષથી ફિલ્મલેખનમાં સક્રિય છે. ગોવિંદ નિહલાની જેવા પ્રતિષ્ઠિત નિર્દેશકની ફિલ્મ ‘દ્રોહકાલ’થી લેખન કારક્રિર્દીની શરૂઆત કરનાર અંજુમનું વતન છે સૌરાષ્ટ્રનું તળાજા. બાળપણનાં ચાર વર્ષ તળાજામાં વીતાવ્યા પછી અંજુમને તેમના પિતા યાકુબભાઇ રજબઅલીએ મુંબઇ ભણવા માટે મોકલ્યા.

મુંબઇ, બેલગામ અને પૂનામાં અભ્યાસ કરનાર અને સાયકોલોજીમાં એમ.એ. થયેલા અંજુમ રજબઅલીનો ગુજરાત અને ગુજરાતી સાથેનો નાતો જીવંત રહ્યો છે. નડિયાદની યુ.ટી.એસ.મહિલા આર્ટ્સ કોલેજના ઉપક્રમે સાહિત્યકૃતિમાંથી ફિલ્મના રૂપાંતર અંગેના પરિસંવાદમાં ભાગ લેવા માટે આવેલા અંજુમ રજબઅલી ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં કહે છે, ‘બહાર ભણતો હોવા છતાં દર વર્ષે ઉનાળામાં બે મહિના અને દિવાળીમાં એક મહિનો તળાજા આવવાનું થતું હતું. મારા પિતા ખેડૂત હતા. તળાજામાં અમારી ખેતીવાડી. એટલે હું કાઠિયાવાડી ખેડૂતોનું ગુજરાતી સાંભળીને ભાષા શીખ્યો.’

પોતાની જાતને ‘અંગ્રેજી વાંચતા અને ગુજરાતી સાંભળતા’ જણ તરીકે ઓળખાવનાર અંજુમનું સૌથી મોટું પ્રદાન એ છે કે તેમના સતત પ્રયાસ અને પહેલને કારણે વર્ષ 2004માં ભારતમાં પહેલી વાર ફિલ્મલેખન માટેનો અભ્યાસક્રમ (પૂનાની ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં) શરૂ થયો. એ વિશે વાત કરતાં અંજુમ કહે છે, ‘મેં ફિલ્મલેખનની કોઇ તાલીમ લીધી નથી. કારણ કે વિશ્વભરમાં સૌથી વધુ ફિલ્મો બનાવતો દેશ ભારત હોવા છતાં ભારતમાં ફિલ્મલેખન શીખવતી કોઇ વ્યવસ્થા મોજુદ ન હતી. તેની સરખામણીમાં અમેરિકામાં ફિલ્મલેખન શીખવતી 440 સંસ્થાઓ હતી. તાલીમસંસ્થા ન હોવાને કારણે આ ક્ષેત્રમાં આવવા ઇચ્છનારને કેટલી તકલીફ પડે તેનો મને જાતઅનુભવ છે. મને જે મુશ્કેલી પડી તે મારા પછી આવનાર લોકોને ન પડે એ આશયથી મેં સરકાર સાથે પત્રવ્યવહાર કરીને, પાછળ પડીને પૂનામાં ફિલ્મલેખનનો અભ્યાસક્રમ દાખલ કરાવ્યો. ત્યાર પછી મુંબઇમાં સુભાષ ઘાઇની સંસ્થા વ્હીસલવુડમાં પણ મેં એ કોર્સની શરૂઆત કરી.’

અંજુમને ફિલ્મલેખન ક્ષેત્રે આગળ કરનાર હતા તેમના મિત્ર (શબાના આઝમીના ભાઇ) બાબા આઝમી. ‘તેમના આગ્રહના જોરે મેં પહેલી વાર 1992માં ફિલ્મલેખનની શૈલીમાં કંઇક લખ્યું. એ વાંચીને બાબા આઝમીએ મને કહ્યું કે મારી ફિલ્મ બને કે ન બને, પણ તું લખવાનું ચાલુ રાખજે.’ અંજુમ કહે છે, ‘એ બનાવના થોડા મહિના પછી આકસ્મિક રીતે એક મિત્રએ મારી ઓળખાણ ગોવિંદ નિહલાની સાથે કરાવી. એ રીતે તેમની ફિલ્મ દ્રોહકાલમાં સ્ક્રીપ્ટનું સહલેખન કર્યું.’

બાકાયદા તાલીમ ન હોવાને કારણે અંજુમે ફિલ્મલેખન શીખવા માટે દેશી પદ્ધતિ અપનાવી. ‘હું અઢળક ફિલ્મો જોઉં. ફિલ્મ જોઇને મારી રીતે તેની સ્ક્રીપ્ટ લખું અને તેની પર વિચાર કરું કે ફિલ્મના લેખકે આ લખતી વખતે શું ધ્યાનમાં રાખ્યું હશે અથવા અમુક સીન લખતી વખતે તેમના મનમાં શું હશે.’ વિજ્ઞાનની ભાષામાં ‘રીવર્સ એન્જિનિયરિંગ’ કહી શકાય એવી આ પદ્ધતિ પ્રમાણે અંજુમે ઘણી ફિલ્મો જોઇને પ્રેક્ટિસ તરીકે તેની સ્ક્રીપ્ટ લખી. આ પ્રક્રિયામાં તેમને જે ફિલ્મોમાંથી બહુ શીખવા મળ્યું એવી ફિલ્મોમાંથી અંજુમે આપેલાં કેટલાંક નામઃ મધર ઇન્ડિયા, ગંગાજમના, અર્ધસત્ય, આક્રોશ, મંથન, દીવાર, નાયકન.

ગોવિંદ નિહલાની માટે તેમણે ‘દંશ’ અને ‘દહન’ એમ બીજી બે સ્ક્રીપ્ટ પણ લખી હતી. એ પ્રોજેક્ટ પર કામ આગળ ચાલ્યું નહીં, પણ પહેલાં ‘ઝખ્મી’ નામથી તૈયાર થયેલી ફિલ્મ ગુલામ, ચાયના ગેટ, પુકાર, લીજેન્ડ ઓફ ભગતસિંઘ, જેવી ફિલ્મોથી અંજુમ રજબઅલી સફળ ફિલ્મલેખક તરીકે સ્થાપિત થઇ ગયા.

‘કળા અને કસબના મિશ્રણ જેવું ફિલ્મલેખન શીખવી શકાય?’ એવા સવાલના જવાબમાં ભારતમાં ફિલ્મલેખનના શિક્ષણના સ્થાપક એવા અંજુમ નિખાલસતાથી કહે છે, ‘કળાનો ભાગ વ્યક્તિની પોતાની અંદરથી- તેના પોતાના અનુભવોમાંથી આવે છે, જ્યારે ક્રાફ્ટિંગ-કસબના મૂળભૂત સિદ્ધાંતો સમજાવી શકાય છે. ફિલ્મલેખન શીખી શકાય. શીખવાડી ન શકાય. હું વિદ્યાર્થીઓને એ લોકો કેવી રીતે શીખી શકે, એ પ્રક્રિયામાં મદદરૂપ થાઉં છું. તેમને શીખવતો નથી.’

ફિલ્મઉદ્યોગમાં લેખનના મહત્ત્વ અંગે અંજુમ કહે છે, ‘લેખકોનું સ્થાન સૌથી છેલ્લું ગણાતું હતું. બધી તૈયારીઓ થઇ જાય, બાકીના બધા નક્કી થઇ જાય ત્યાર પછી લેખકની શૌધ કરવામાં આવતી હતી. હવે પરિસ્થિતિ બદલાઇ રહી છે અને લેખનનું મહત્ત્વ વધી રહ્યું છે. એટલે જ ફિલ્મલેખનના અભ્યાસક્રમોને સતત વિદ્યાર્થીઓ મળી રહે છે.’

‘ગુજરાતી સાથેનો નાતો જીવંત છે, તો ગુજરાતીમાં ફિલ્મ લખવાની ઇચ્છા ખરી?’ એનો જવાબ આપતાં અંજુમ કહે છે, ‘એ વિશે હું માત્ર પોઝિટિવ જ નહીં, આતુર છું. ચોક્કસ જ મને ગુજરાતી ફિલ્મ લખવાનું મન છે. મારી લિખિત ભાષા કોઇ પાસે થોડીઘણી સરખી કરાવવી પડે. તેમ છતાં ગુજરાતી ફિલ્મ લખવી એવો મારો ઇરાદો તો છે જ.’

6 comments:

  1. ગુજરાતી ફિલ્મ્સના સારા દિવસો આવશે.. જો આવો લેખક ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં કોઈ નિર્માતા લઈ આવશે... એ દિવસની આશાસભર રાહ...

    ReplyDelete
  2. વાહ.. કેટલી રાહ જોઈ આ લેખની..!! મજા પડી.. thanks..

    ReplyDelete
  3. Anonymous10:05:00 PM

    Anjum & like him could well write lot of scripts for Gujarat & Gujarati Film, through literature, social engineering, econo-politics, booking the profit on paper, youth, latest reversal and trends of society.

    ReplyDelete
  4. it's a small oversight
    but since it is in the caption itself,
    it becomes glaring : i would suggest you to please spell the name ANJUM correctly.

    ReplyDelete
  5. and wouldn't it be nice to have only one photograph ?

    particularly when the subject is well identified and the other has little to add to the story ?

    i understand, urvish, it is the blogger's prerogative and we readers must not mind such indulgence. hope you will take it as a friendly suggestion and not as criticism.

    but we must thank you for introducing such GUJARATIS who love the language so much and yet are not counted among '5 crore gujaratis'.

    ReplyDelete
  6. urvish kothari6:43:00 PM

    @neeravbhai: thanx for pointing at the slip.

    ReplyDelete