Wednesday, December 22, 2010

ભાવિ ભારતકથાઃ રાડિયા પછીનું ડહાપણ

આ વાર્તા સદીઓ પહેલાંની નથી. કદાચ અત્યારની પણ હોય. તે ભવિષ્યમાં કહેવાનારી ભારત દેશની વાર્તા છે. એ જ દેશ કે જેના અયોઘ્યા રાજ્યમાં એક જમાનામાં રાજા ભરતે મોટા ભાઇ રામની પાદુકા સિંહાસન પર મૂકીને બાર-બાર વર્ષ સુધી રાજ ચલાવ્યું હતું. આઘુનિક ભારતમાં આ પરંપરા ચાલુ હતી, પણ નવા જમાનામાં સિંહાસન પર શૂઝ મુકવાનું સારૂં ન લાગે, એમ વિચારીને જૂનવાણી રિવાજ પડતો મૂકવામાં આવ્યો હતો.

ભારત એવો દેશ હતો, જ્યાં સ્ત્રીઓને સળગાવવા, વેચવા અને શોષવા ઉપરાંત લખાણોમાં ને વાર્તાઓમાં તેમને પૂજવામાં પણ આવતી હતી. ‘બઘું પહેલાં આપણે ત્યાં જ શોધાયેલું છે’ એ વેદ/ઉપનિષદ/પુરાણ/શાસ્ત્ર/સંહિતાના વાક્ય પ્રમાણે સ્ત્રીનો ઉંચો દરજ્જો ભરતખંડ તરીકે ઓળખાતા ભારતમાં સૌથી પહેલાં સ્થપાયો હતો.
ભરતની પ્રોક્સી-રાજ પરંપરા અને પૌરાણક દેવી પરંપરાના અનુસંધાન તરીકે આઘુનિક ભારતમાં એક ‘ગોડમધર’નું રાજ ચાલતું હતું. ગોડમધર બહુ ત્યાગી સ્વભાવનાં હતાં. એટલે તેમણે સિંહાસન પર પોતાના ચપ્પલ મૂકવાના આગ્રહનો ત્યાગ કર્યો હતો, જેને ભારતની જનતાએ નતમસ્તકે, આંખમાં અહોભાવનાં આંસુ સાથે બિરદાવ્યો હતો.

રામ-ભરત અને ગોડમધરની સ્ટોરીમાં અનેક તફાવત હતા. અયોઘ્યામાં પાદુકા રામની, પણ રાજ ભરતનું ચાલતું હતું, જ્યારે ભારતમાં પાઘડી ગમે તેની હોય, રાજ ગોડમધરની પાવડીનું જ ચાલતું હતું. ઘણાં જનોને પ્રભુમાતા ઉર્ફે ગોડમધરે રસ્તા પર- પથ પર લાવી દીધા હતાં, ઘણાને પદભ્રષ્ટ-પથભ્રષ્ટ કર્યા ને કેટલાકને રસ્તે પણ ચડાવ્યા હોવાથી, ગોડમધરની ‘જગ્યા’ને સૌ ભક્તિભાવથી ‘જનપથ’ કહેતા હતા.

ગોડમધરની અદૃશ્ય પાદુકાઓ માથે લઇને રાજ ચલાવનાર જણ (કૌભાંડો પ્રત્યે) સ્થિતપ્રજ્ઞ હતા. પાદુકા જ્યાં લગી હલાવે નહીં, ત્યાં લગી એ હાલતા પણ નહીં. આ ખૂબીને લીધે તેમને (રામાયણ પરંપરા પ્રમાણે) ભરત ગણવા કે પછી જડભરત, એ વિશે આમજનતામાં ચર્ચા ચાલતી હતી. ગોડમધરના રાજમાં વટવૃક્ષ જેવી ભારતની કૌભાંડ પરંપરાને અનેક નવી વડવાઇઓ ફૂટી, જેની પર હીંચવા માટે વાનરસેનાએ હૂપાહૂપ કરી મૂકી. જોનારને એવું લાગે કે વડનું આખું વૃક્ષ હચમચી ગયું. પણ પાદુકા અને (જડ)ભરત શાંત બેઠા હતા. તેમના પેટનું પાણી પણ હાલ્યું ન હતું.

એક વાત કહેવાની રહી ગઇ. આ વાર્તા જે સમયની છે, તે વખતે ભારતમાં લોકશાહી તરીકે ઓળખાતી શાસનપદ્ધતિ હતી. ‘લોકશાહી’ ત્યારે વ્યાકરણની જ નહીં, રાજકારણની રીતે પણ મઘ્યમપદલોપી સમાસ ગણાતો હતો. ભારતમાં તેનો આખો અર્થ હતોઃ ‘લોકના નામે ચાલતી નેતાઓ-અફસરોની બાદશાહી.’
બ્રિટનની લોકશાહીની જેમ ભારતની લોકશાહીમાં પણ રાજા-રાણી હતાં. રાણીને બિનગુજરાતીઓ ‘રાની’ કહેતાં અને તેમના દોસ્તો, સાથીદારો, સાગરીતોમાં તે ‘રાની’ને બદલે ‘નીરા’ તરીકે ઓળખાતાં હતાં. તેમની એવી રાડ હતી કે તેમની ગેરહાજરીમાં લોકો તેમનો ‘રાડિયા’ તરીકે પણ ઉલ્લેખ કરતા. બ્રિટનની અને ભારતની ‘રાણીશાહી’માં મુખ્ય તફાવત એ હતો કે બ્રિટનમાં રાજા-રાણી સાચાં અને તેમની સત્તા નામની હતી, જ્યારે ભારતમાં રાજા-રાણી નામનાં, પણ તેમની સત્તા અસલી હતી.

‘રાની’ની માયાજાળ આખા દેશમાં ફેલાયેલી હતી. તેમનો પડ્યો બોલ ઝીલાતો, રણક્યો કોલ લેવાતો, ચીંઘ્યું કામ કરાતું. નેતાઓ-પત્રકારો-ઉદ્યોગપતિઓ આ બધા પોતપોતાના ક્ષેત્રના એક્કા ‘રાની’ આગળ પત્તાંની કેટના ગુલામ જેવા લાગતા હતા. ગોડમધરની જેમ ‘રાની’ પણ ત્યાગી પ્રકૃતિનાં હતાં. તેમને પોતાના સુખ કરતાં બીજાના સુખની, પોતાની ઇચ્છાપૂર્તિ કરતાં બીજાની ઇચ્છાપૂર્તિની સતત ખેવના રહેતી હતી. રાજા એવી વ્યક્તિઓમાંના એક હતા, જેમના યોગક્ષેમની જવાબદારી ‘રાની’એ લીધી હતી.

બીજાના કામ માટે ‘રાની’ અડધી રાત્રે પણ ગમે તેવા મોટા માણસને ફોન કરતાં કે તેમને કામ ચીંધતાં શરમાતાં નહીં. કામ પોતાનું ન હોવાથી ‘રાની’ના લહેકામાં કદી અરજદારનો દીન ભાવ સાંભળવા મળતો નહીં. તેમને પ્રસિદ્ધિની બિલકુલ પરવા ન હતી. તે હંમેશાં પરોપકારમાં રમમાણ રહેતાં. એટલે જ તેમના દરવાજે જરૂરતમંદોની કતાર લાગતી. તે કોઇને નિરાશ કરતાં નહીં. તેમનું પ્રિય ભજન હતું: વૈષ્ણવી-જન તો તેને રે કહીએ, જે ‘નીડ’ પરાઇ જાણે રે.

વાર્તાઓમાં આવતાં કેટલાંક પાત્રો માણસ ઉપરાંત પશુ-પંખીઓની ભાષા પણ સમજવાની શક્તિ ધરાવતાં હોય છે. ‘રાની’ રૂપિયાની ભાષા સમજવા અને સમજાવવામાં પાવરધાં હતાં. આ ભાષાના જોરે તે ધીમે ધીમે કરીને છેક ભારત પર રાજ કરતી પાદુકાઓ સુધી પોતાનો પ્રભાવ વિસ્તારી શક્યાં હતાં - અને કોને ખબર? ‘ભવિષ્યમાં આ પાદુકાઓ મારી હશે’ એવો વિચાર પણ કરતાં હોય. રાનીને કોઇ કહેવાવાળું કે રોકવાવાળું ન હતું.

રાની અને ગોડમધરનાં બે જ દૃષ્ટાંત પરથી ધારી શકાય છે કે એ સમયે ભારતમાં નારીશક્તિની કેવી બોલબાલા હશે. નારીતેજને કારણે રાજા અમુક લાખ કરોડ રૂપિયાના ગોટાળા કરવા સક્ષમ હોવા છતાં, લોકોને વધારે રસ ‘રાની’નાં પરાક્રમમાં પડતો હતો. રાની અને ગોડમધર વચ્ચે કેવાં સમીકરણ હશે તે કલ્પનાનો વિષય હતો. પરંતુ મોટાં મંદિરોમાં દર્શન કરવા જનારા લોકો પોતાની મેળે જવાબ શોધી લેતા હતા.

મોટો વિસ્તાર અને ભારે ભીડ ધરાવતાં મંદિરોમાં એવી ગોઠવણ હોય છે કે ભક્ત ભગવાનની મૂર્તિથી અનેક મીટર દૂર ઉભો હોય, પણ પોતાની જગ્યાએ ઉભા રહીને એ નારિયેળ ફોડે એટલે તેનું પાણી ઇલેક્ટ્રિક મોટર અને પાઇપલાઇન દ્વારા વહીને ભગવાનની મૂર્તિ સુધી પહોંચે અને ત્યાં એનો (કે એના જેવા બીજા પાણીનો) અભિષેક થતો ભક્તને દેખાય. આ વિધીમાંથી એક વાર પસાર થયેલા ભક્તોને બ્રહ્મજ્ઞાન થતું કે અર્ઘ્ય કે અભિષેક કરવા માટે ભૌગોલિક રીતે નજીક જવાની કે અડી અડીને ફોટા પડાવવાની જરૂર નથી. એ કામ દૂર રહીને, કોઇની આંખે ચડ્યા વિના પણ થઇ શકે છે.

‘રાની’ના પ્રભાવની આંચ છેક રાજસિંહાસનની પાદુકા સુધી પહોંચી એટલે પાદુકા અને પાદુકાધારક સળવળ્યા. ‘અબ પછતાવે ક્યા હોવત હૈ, જબ રાડિયા ચુગ ગઇ ખેત’ એમ વિચારીને બેસી રહેવાને બદલે તેમણે ‘રાની’-રાજાના સમાંતર સામ્રાજ્ય સામે જંગ આદર્યો. વાર્તા હોય એટલે એમાં લડાઇ તો આવવી જ જોઇએ- ભલે એ ટીવી સિરીયલોમાં આવતી સૈનિકોની તલવારબાજી જેવી નકલી અને હાસ્યાસ્પદ હોય.

લડાઇ થઇ. તેમાં રાજાને ‘જે પોષતું તે મારતું, તે સ્પેક્ટ્રમ દીસે છે કુદરતી’ એ સત્યનું ભાન કરાવવામાં આવ્યું. ‘રાની’ અને તેના કેટલાક ચુનંદા સાથીદારોની (‘વિકિલિક્સ’ની માફક, માહિતી લીક કરીને) ‘ટપક પદ્ધતિથી ખીંચાઇ’ કરવામાં આવી. અંતે, રાજા-‘રાની’ ધંધે લાગ્યાં અને પાદુકાઓએ રાજ કર્યું.

11 comments:

  1. Urvishbhai;I like it;at last; U wrote on my pending"faramaesh"

    ReplyDelete
  2. This is a masterpiece in terms of relating it to the Great Epic. The title alone is worth a medal, if they gave one.

    ReplyDelete
  3. urvish kothari10:20:00 PM

    @parikshit: u r free to believe whatever u want to.
    just remember: this is not a farmaish business.

    ReplyDelete
  4. Simply excellent !!!

    ReplyDelete
  5. Anonymous4:47:00 PM

    parody in thy name.

    ReplyDelete
  6. Anonymous7:27:00 PM

    In every success-behind, there is a character. BUt star behind curtain are men always.

    ReplyDelete
  7. Anonymous12:36:00 PM

    Men is proved gender bias and prevail on top of inequality.

    ReplyDelete
  8. Anonymous3:34:00 PM

    Latest PR = Soft brokering, a tool used by politicians, parties, MNC, a new lesson for students of Business Management.

    Your stimulating article on the method, theory and character used in this pandora of national economy and polity has many views and lessons.

    ReplyDelete
  9. રાડિય પછીનું ડહાપણ...અદભુત ટાઈટલ.....વિનોદ પંડ્યા તંત્રી હતા એ વખતના શ્રેષ્ઠ અભિયાનના દિવસો યાદ આવી ગયા.......

    ReplyDelete
  10. urvish kothari8:15:00 PM

    well remembered! Vinodbhai was master at giving headings.Besides he was the person who choose me for journalism job.

    ReplyDelete
  11. Nothing wrong with Radia. Her fault could be only non payment of income tax.

    ReplyDelete