Tuesday, December 21, 2010

ન્યાયતંત્રઃ ધોવાતી વિશ્વસનિયતા, ધરખમ વિશેષાધિકાર

‘પડે છે ત્યારે સઘળું પડે છે’ એવી જાણીતી ઉક્તિ છેલ્લા થોડા સમયમાં ભારતની હાલત વર્ણવવા માટે યોગ્ય છે. નેતાઓ અને અફસરો તરફથી આશા રાખવાનું લોકોએ ક્યારનું છોડી દીઘું હતું. પોલીસ સહિતનાં સરકારી તંત્રોની એ જ દશા હતી.

પ્રસાર માઘ્યમો, સૈન્ય અને ન્યાયતંત્ર- આ ત્રણની પ્રમાણમાં ઠીક કહેવાય એવી શાખ બચી હતી. સૈન્યમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ અંગે કાનાફૂસી સાંભળવા મળતી હતી, પણ ‘તહલકા’ના સ્ટીંગ ઓપરેશન (ઓપરેશન વેસ્ટ એન્ડ)થી જણાવા માંડેલો સૈન્યનો વરવો ચહેરો ‘આદર્શ સોસાયટી કૌભાંડ’ પછી સંપૂર્ણપણે ખરડાયેલો અને છળી જવાય એવો નજરે પડ્યો. એ જ રીતે પ્રસાર માઘ્યમોની વિશ્વસનીયતાના ગંભીર પ્રશ્નો વર્ષોથી ફૂંફાડા મારતા હતા, પણ નીરા રાડિયાની ટેપ બહાર આવ્યા પછી કરંડિયાનું ઢાંકણ ખૂલી ગયું અને મીડિયાનો ‘વહીવટદાર’ તરીકેનો ચહેરો આમજનતા સુધી પહોંચી ગયો.

પ્રસાર માઘ્યમો અને સૈન્ય કરતાં ન્યાયતંત્રનાં સ્થાન-સ્થિતિ જુદાં છેઃ ભ્રષ્ટાચારમાં કે ખરડાયેલી છબીમાં નહીં, પણ વિશેષાધિકારની બાબતમાં. ભારતમાં ન્યાયતંત્ર વિશે જાહેરમાં ટીપ્પણી કરનારે અદાલતના અપમાન (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ)ના ગુના હેઠળ જેલભેગા થવાની તૈયારી રાખવી પડે છે. આ પ્રકારના કિસ્સામાં અદાલત પોતે જ પક્ષકાર અને પોતે જ ન્યાયકર્તાની ભૂમિકામાં હોય છે.

ન્યાયતંત્રની સરખામણીમાં સૈન્ય કે પ્રસાર માઘ્યમો પાસે આત્મરક્ષણાર્થે પ્રહાર કરી શકાય એવું ‘કન્ટેમ્પ્ટ’નું શસ્ત્ર ન હતું. એટલે તેમની સાચીખોટી કે માંડ ટકી રહેલી પ્રતિષ્ઠા પર ઘા પડ્યા, ત્યારે સમસમીને બેસી રહેવા સિવાય તે બીજું કંઇ કરી ન શક્યાં. પરંતુ છેલ્લા થોડા દિવસના- ખરેખર તો થોડા સમયના- ઘટનાક્રમને કારણે સ્થિતિ બદલાઇ ચૂકી છે. કેટલાક ન્યાયાધીશોની સંદેહાસ્પદ વર્તણૂંકને કારણે ન્યાયતંત્રને એવું નીચાજોણું થયું છે કે ‘કન્ટેમ્પ્ટ’નું શસ્ત્ર હાથવગું હોવા છતાં તેને બહાર કાઢવાપણું રહ્યું નથી.

લેવાય તો તક, વેડફાય તો તકલીફ
ન્યાયતંત્રને સંડોવતા શરમજનક અથવા શંકાસ્પદ ઘટનાક્રમમાં છેલ્લો ઉમેરો છેઃ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ- માનવ અધિકાર પંચના વર્તમાન વડા કે.જી.બાલકૃષ્ણન્. અત્યાર લગી ઉપલબ્ધ વિગતો પ્રમાણે, ભૂતપૂર્વ મંત્રી એ.રાજાના મિત્ર અને તામિલનાડુ બાર કાઉન્સિલના પ્રમુખ ચંદ્રમોહને એક ખૂનકેસના આરોપીને જામીન અપાવવા માટે મદ્રાસ હાઇકોર્ટના જસ્ટીસ રધુપતિ પર દબાણ કર્યું.

જસ્ટિસ રધુપતિએ મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ગોખલે મારફતે સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ બાલાકૃષ્ણનને પત્ર લખ્યો. તેમાં એમણે ન્યાયપ્રક્રિયામાં દખલઅંદાજી અંગે ફરિયાદ કરી. રાજકીય સ્તરે, કેટલાક સાંસદોએ પણ ન્યાયપ્રક્રિયામાં મંત્રી એ. રાજાની દખલઅંદાજી અંગે વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરી. વડાપ્રધાનના કહેવાથી કાનૂનમંત્રી વીરપ્પા મોઇલીએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પાસેથી અહેવાલ માગ્યો.

એક વર્ષ પહેલાંની આ તકરારમાં અત્યારે ઉભો થયેલો સવાલ છેઃ જસ્ટિસ ગોખલેએ તત્કાલીન ચીફ જસ્ટિસ બાલાકૃષ્ણનને લખેલા પત્રમાં મંત્રી એ.રાજાના નામનો સ્પષ્ટ ઉલ્લેખ હતો કે નહીં? અને ચીફ જસ્ટિસે કાનૂનમંત્રીને લખેલા પત્રમાં મંત્રીનું નામ જણાવાયું હતું કે નહીં?

આ પ્રકારના વિવાદોમાં બને છે તેમ, અત્યારે દરેક જણ પોતપોતાનું ‘સત્ય’ જાહેર કરી રહ્યા છેઃ નિવૃત્ત ચીફ જસ્ટિસ બાલાકૃષ્ણન કહે છે કે ‘મને મોકલવામાં આવેલા પત્રમાં મંત્રીનું નામ ન હતું અને જે કંઇ વિગત હતી તેનો ખુલાસો મેં કાનૂનમંત્રી મોઇલી પાસે કર્યો હતો.’

મદ્રાસ હાઇકોર્ટના તત્કાળ ચીફ જસ્ટિસ ગોખલે કહે છે કે જસ્ટિસ રધુપતિનો પત્ર મારા થકી જ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સુધી પહોંચ્યો હતો અને તેમાં જસ્ટિસ રધુપતિએ ચોખ્ખેચોખ્ખો મંત્રી (એ.રાજા)ના નામનો ઉલ્લેખ કર્યો હતો.

નિવૃત્ત ચીફ જસ્ટિસ બાલાકૃષ્ણને કાનૂનમંત્રી વીરપ્પા મોઇલીને સંડોવતાં, મોઇલીએ ખુલાસો કર્યો કે ‘મને મોકલેલા અહેવાલમાં તત્કાલીન ચીફ જસ્ટિસ બાલાકૃષ્ણને મંત્રીના નામનો ઉલ્લેખ કર્યો ન હતો.’

આ ઘટનાક્રમમાં કોણ કેટલી હદે દોષિત છે કે નિર્દોષ એ નક્કી થાય ત્યારે ખરૂં, પણ અત્યારે એક બાબત પાકી છેઃ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની વિશ્વસનિયતા સામે આંગળી ચીંધાતાં ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. અફસોસની વાત એ છે કે આ ફટકો પહેલો નથી.

મોરારજી દેસાઇની જનતા સરકારમાં કાનૂનમંત્રી રહી ચૂકેલા શાંતિભૂષણે સપ્ટેમ્બર, ૨૦૧૦માં સુપ્રીમ કોર્ટમાં ૧૬ ભૂતપૂર્વ ચીફ જસ્ટિસની એક યાદી રજૂ કરી. શાંતિભૂષણનો દાવો હતો કે સુપ્રીમ કોર્ટના આ ૧૬ ચીફ જસ્ટિસમાંથી ૮ ‘ચોક્કસપણે ભ્રષ્ટ’ છે, ૬ જણ ‘ચોક્કસપણે પ્રામાણિક’ છે અને બાકીના ૨ જણ વિશે કહી શકાતું નથી.

અત્યાર લગી ઘણે ભાગે સુરક્ષિત અને પોતાની સુરક્ષા માટે અતિજાગ્રત મનાતા રહેલા ન્યાયતંત્રના સર્વૌચ્ચ સ્થાન પર આનાથી મોટો ઘા બીજો કયો હોઇ શકે? ભૂતપૂર્વ ન્યાયમંત્રી કક્ષાની એક જવાબદાર વ્યક્તિના આટલા મોટા ધડાકા પછી ખરેખર તો સાતેય કામ પડતાં મૂકીને સૌથી પહેલું કામ આરોપોની ખરાઇની ચકાસણી કરવાનું થવું જોઇએ. જો આરોપ ખોટો ઠરે તો આરોપ કરનારને સજા થવી જોઇએ અને આરોપ ખરો ઠરે તો આરોપીઓ સામે કડક પગલાં લેવાવાં જોઇએ.

પરંતુ ભારતીય પરંપરા પ્રમાણે, આ પ્રકારના પ્રસંગોએ નવેસરથી એકડો માંડવાની તક લેવાને બદલે, સડો છુુપાવવામાં સઘળી શક્તિ કામે લાગી જાય છે. પ્રજામાં અને પ્રસાર માઘ્યમોમાં પણ થોડા દિવસની ગરમાગરમી પછી આખો મુદ્દો વિસરાઇ જાય છે.

દરદ અને દવા
સવાલ એકલદોકલ ન્યાયાધીશોની ભ્રષ્ટ કે પ્રામાણિક વર્તણૂંકનો નહીં, પણ આખા તંત્રને તંદુરસ્ત રાખવાનો છે. ગમે તેટલો હટ્ટોકટ્ટો માણસ પણ વઘુ પડતા આત્મવિશ્વાસ અને સુરક્ષાની ભાવનામાં રાચવા માંડે, તો સમય જતાં તેની ગાફેલિયત નબળાઇમાં ફેરવાય. ભારતના ન્યાયતંત્ર સાથે સંકળાયેલી સૌથી મોટી સમસ્યા વ્યક્તિગત ભ્રષ્ટાચારની નહીં, પણ શેરબજારની ભાષામાં કહીએ તો ‘સેલ્ફ કરેક્શન’ના અને તબીબી ભાષામાં કહીએ તો ‘સેલ્ફ હીલિંગ’ના અભાવની છે. ન્યાયતંત્રમાં એવી કોઇ વ્યવસ્થા નથી કે જે પોતાના દોષો સાથે અસરકારક રીતે પનારો પાડીને તેને દૂર કરી શકે અને સડો આગળ વધતો અટકાવે.

ન્યાયતંત્ર, વહીવટી પાંખ અને રાજકીય નેતાગીરી- આ ત્રણે લોકશાહીના સ્તંભ ગણાય છે. તેમાંથી બાકીના બે સ્તંભમાં ગરબડગોટાળા થાય, તો ન્યાયતંત્ર તેમનો કાંઠલો પકડી શકે છે, પણ ન્યાયતંત્રમાં કંઇક ખોટું થાય તો? ન્યાયતંત્રની ઉપર, ન્યાયતંત્રને ટપારી શકે, તેમાં રહેલાં ભ્રષ્ટ તત્ત્વોને ફગાવી શકે, ન્યાયતંત્રની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરી શકે, એવું કોઇ તંત્ર નથી.

હાઇ કોર્ટ-સુપ્રીમ કોર્ટના જસ્ટિસની એક વાર નિમણૂંક થયા પછી તેમને પદ પરથી હટાવવાનું લગભગ અશક્ય છે. ગમે તેવા ભ્રષ્ટ કે ગુનેગાર પુરવાર થયેલા ન્યાયાધીશને દૂર કરવાનો એક જ રસ્તો છેઃ સંસદમાં તેમની પર ઇમ્પીચમેન્ટ (મહાભિયોગ)ની દરખાસ્ત બે તૃતિયાંશ બહુમતિથી પસાર કરવી. ઇમ્પીચમેન્ટની દરખાસ્ત લાવતાં પહેલાં પણ ત્રણ ન્યાયાધીશોની બનેલી તપાસસમિતિ દ્વારા આરોપોની તપાસ કરાવવી પડે છે અને તેમાં આરોપ સિદ્ધ થાય ત્યાર પછી મામલો સંસદમાં આવે છે.

ભારતના બંધારણના સાઠ વર્ષના અનુભવો દર્શાવે છે કે આ દરખાસ્ત કેવળ પોથીમાંનાં રીંગણાં જેવી બની રહી છે. ભારતનું બંધારણ અમલમાં આવ્યું તે પહેલાં, ૧૯૪૯માં ગર્વનર જનરલ સી. રાજગોપાલાચારીની મંજૂરીથી, ‘સત્તાનો દુરૂપયોગ કરીને ન્યાયતંત્રની આબરૂને ઝાંખપ લગાડવા’ બદલ જસ્ટિસ સિંહાને ઇમ્પીચમેન્ટ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ૧૯૫૦ પછી એક પણ ભ્રષ્ટ ન્યાયાધીશને ઇમ્પીચમેન્ટ દ્વારા સજા કરી શકાઇ નથી. જસ્ટિસ વી.રામસ્વામી સામે ૧૯૯૩માં ઇમ્પીચમેન્ટની દરખાસ્ત દાખલ થવા સુધી મામલો પહોંચ્યો હતો, પણ નરસિંહરાવના રાજમાં કોંગ્રેસના સાંસદોએ ઇમ્પીચમેન્ટની દરખાસ્ત પર મતદાન ન કર્યું. તેને કારણે દરખાસ્તનું સૂરસૂરિયું થઇ ગયું અને રામસ્વામી નિર્દોષ ઠર્યા.

અગાઉ ૧૯૭૯માં જસ્ટિસ રામસ્વામીના સસરા અને મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ કે.વીરાસ્વામી સામે અપ્રમાણસરની સંપત્તિનો આરોપ થયો હતો. એ વખતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની મંજૂરી પછી જ તેમની સામે સી.બી.આઇ.ની તપાસ થઇ શકી હતી અને આખા કેસમાં ત્રીસેક વર્ષ જેટલો લાંબો સમયગાળો વીતી જતાં, તપાસનો હેતુ સર્યો નહીં. ગયા વર્ષે કલકત્તા હાઇકોર્ટના જસ્ટિસ સૌમિત્ર સેન સામે ઇમ્પીચમેન્ટની કાર્યવાહી ચલાવવા માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે વડાપ્રધાનને ભલામણ કરી હતી. પરંતુ અત્યાર લગીનો ઇતિહાસ જોતાં ભૂતપૂર્વ જસ્ટિસ સેનને ચિંતા કરવાનું કોઇ કારણ નથી. આવા બીજાં અનેક ઉદાહરણ ટાંકી શકાય.

ભારતીય ન્યાયતંત્રમાં કાર્યવાહીનો અક્ષમ્ય વિલંબ, કેસોનો ભરાવો, ગરીબ માણસ માટે દોહ્યલો બનેલો ન્યાય- આ માળખાગત સમસ્યાઓ હજુ ઊભી છે, બલ્કે વઘુ ગંભીર બની રહી છે અને ‘લો કમિશન’ જેવી સંસ્થાઓનાં સૂચનો અમલ વિના ઘૂળ ખાતાં પડી રહ્યાં છે, ત્યારે વિશ્વસનીયતાના મુદ્દે નવી સમસ્યા ઉભી થઇ છે. ન્યાયાધીશોના ભ્રષ્ટાચાર, ગેરવર્તણૂંક જેવી બાબતોની ફરિયાદોનો નીવેડો લાવવા માટે ન્યાયતંત્રના સહયોગથી, પણ સ્વતંત્ર અસ્તિત્ત્વ અને અડીખમ વિશ્વસનીયતા ધરાવતી કોઇ સંસ્થા રચાય એ દિશામાં ઘણી વાતો અને દરખાસ્તો થઇ છે.

શાંતિભૂષણના પુત્ર અને ધારાશાસ્ત્રી પ્રશાંતભૂષણ જેવા કેટલાક લોકો ન્યાયતંત્રના ઉત્તરદાયિત્વ અને તેની જવાબદેહી વિશે ચળવળ ચલાવી રહ્યા છે. પરંતુ લોકશાહીના ત્રીજા સ્તંભ જેવા ન્યાયતંત્રને લગતી કોઇ પણ બંધારણીય જોગવાઇમાં ફેરફાર કરવાની સત્તા ફક્ત સંસદને છે. સાંસદો અને તેમના રાજકીય પક્ષો પાસે નિવૃત્ત ન્યાયાધીશોને આપવા માટેના હોદ્દા હોય છે. તેને કારણે પણ ન્યાયતંત્રના કેટલાક હિસ્સા પર રાજકારણનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. સૌથી ટોચે સાંસદોનું બેજવાબદાર અને પક્ષકેન્દ્રી રાજકારણ તો ખરૂં જ, જે આવા ગંભીર મુદ્દાને સ્પર્શવાની ત્રેવડ ખોઇ બેઠું છે.

ન્યાયતંત્ર ખોખલું થઇ જશે તો ‘આવ ભાઇ હરખા’ ન્યાયે, સૌથી વધારે આનંદ લોકશાહીના બાકીના બે, પૂરેપૂરા સડી ચૂકેલા સ્તંભોને થશે અને સૌથી મોટું નુકસાન (રાબેતા મુજબ), ન્યાયતંત્રને હજુ પણ છેલ્લો આશરો ગણીને ચાલતા સામાન્ય નાગરિકના ભાગે આવશે.

6 comments:

  1. Anonymous1:41:00 PM

    જ્યારે ખાટલાના ચારેય પાયાને ઊધઈ લાગે છે ત્યારે તેને લાકડીના ફટકા મારી મારીને ખંખેરવામાં આવે છે. જો એમ ના કરવામાં આવે તો સમય જતાં ચારેય પાયા સડી જાય છે અને ખાટલાધારકે નીચે સૂવાનો વારો આવે છે. ભારતમાં ભ્રષ્ટાચાર મુદ્દે પણ કંઇક આવું જ થયું છે. લોકશાહી જનતાનો ખાટલો છે. ત્રણ વત્તા એક એમ કુલ ચાર તેના પાયા છે. જનતા ગાફેલ રહી માટે ચારેય પાયાને ભ્રષ્ટાચારરૂપી ઊધઈએ સડાવી નાખ્યા. નોંધવા જેવી વાત એ છે કે ખાટલાના ચારેય પાયા સાજા તો કરવા છે પણ તેને બાટલા કોણ ચઢાવે? કેમ કે સુથારને આ કામ ફાવતું નથી !
    - સવજી ચૌધરી.

    ReplyDelete
  2. it is not a hearsay now that not only lower courts but a section of high judiciary is also corrupt and practice rampant nepotism.

    it is reported in The Times of India (December 11,2010) that the Supreme Court stuck to its words of strong admonition that 'something is rotten in Allahabad High Court' while refusing to entertain the aggrieved High Court's plea for its expunction.


    on the contrary, the Supreme Court bench reiterated with an illustration that 'some judges of the High Court have their kith and kin practicing in the same court, and within a few years of starting practice, sons or relatives of the judge become multi-millionaires, have huge bank balances, luxurious cars, huge houses and enjoy a luxurious life.'

    this tamasha is for all to see and yet there is no punishment.

    the well-connected 'apnewalas' go scot free and the dispensation of justice remins thus selective. even media stops pursuing such stories, perhaps their bloodline might be making them kith and kin. or their interests must be matching.

    this is India, the most religious -
    and therefore claiming to be most moral and ethical !

    ReplyDelete
  3. Anonymous10:09:00 PM

    The only thing which seems easy is... make corruption a procedural part.. & also part of ethics... people don't follow ethics.. so corruption will be reduced.. atleast from news..

    ReplyDelete
  4. YET ANOTHR WELL RESEARCHED ARTICLE FROM YOU, U.K. WHAT I LIKE MOST ABOUT YOUR ARTICLES IS APPROPRIATE REFERENCES TO THE PAST EVENTS AND THE ANOLOGY WITH A FOLKLORE. KEEP UP THE GOOD WORK.

    ReplyDelete
  5. Very good, again, Urvishbhai.

    In fact the persons in politics and in administration are well aware of our judicial system. They know that nothing can be done by judiciary until former have the power. Power can be of post, position of money.

    Unfortunately our judiciary has not done enough to clean its own house and to set a judicial system that can be trusted by common person. Most people prefer to settle the score outside the court, to the extent possible. Reason is obvious. Our judicial system is not people-friendly. If someone get hold of your property illegally, you need a hell of the time and money even to get beck the possession of your own house/land purchased legally even with a bank loan, if you want to do it legally. Illegally, you have all options opened.

    And again, as I always say, WE are responsible for the situation. We always prefer easy short cuts for getting our work done, at any level. Instead of insisting for our rights, we are purchasing the services by paying bribes in cash or in kind. (Influence is one king of bribe!) We are not ready to follow the rules/regulations. We prefer to drive in wrong-side of the road every day and pay bribe to traffic-police when caught. And then blame the traffic-system.

    You Got What You Deserve !!!

    ReplyDelete
  6. Anonymous4:54:00 PM

    Ample space for modification and change in procedue, law, systems, punishment law. Society is used to criminalization. Unless stricture no way to expect.

    ReplyDelete