Thursday, December 16, 2010

જનતા ‘પાર્ટી’?

રેલવે સ્ટેશનના સ્ટોલ પર ‘જનતા ખાના’નું પોસ્ટર જોઇને નવાઇ લાગી. ફક્ત 10 રૂપિયામાં 7 પુરી, 150 ગ્રામ ભાજી, અથાણું અને એક લીલું મરચું- આ તો ખરેખર સસ્તું કહેવાય, પણ આવું હોય ખરું? ભલું પૂછવું. રેલવેમાં મંત્રીઓને તુક્કા બહુ આવતા હોય છે. મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતવાની તૈયારી તરીકે આખા દેશમાં આવી કોઇ સ્કીમ કાઢી હોય તો કોને ખબર?

મનમાં આવા વિચારો સાથે સ્ટોલના માલિકને જનતા ખાના વિશે પૂછ્યું. એ ચહેરેથી ઓળખે. એટલે ખુલ્લાશથી વાત કરી. ‘આવું જનતા ખાના મળે છે?’ એવું પૂછ્યું, એટલે એ હસીને ‘આવું તે કંઇ હોતું હશે? કેવી વાત કરો છો’ના અંદાજમાં કહે છે, ‘ના રે ના. આ તો રેલવેવાળાને લીધે લગાડવું પડે. બાકી કેવી રીતે પોસાય?’ મને બીજા પણ પેટાસવાલ થયાઃ જનતા ખાના કોને મળે? બહારથી કોઇ પ્લેટફોર્મ પર લેવા આવે તો તેને અપાય?

મેં પૂછ્યું, ‘પોસ્ટર લગાડીને જનતા ખાના આપો નહીં તો કોઇ કકળાટ ન કરે?’ એટલે સ્ટોલના માલિકે ભારોભાર આદર સાથે કહ્યું, ‘આપણી પબ્લિક સમજુ છે. એ પણ સમજે છે કે આટલા રૂપિયામાં તો કંઇ આટલું ખાવાનું મળતું હશે? એટલે કોઇ તકરાર કરતું નથી.’

પબ્લિક ખરેખર બહુ સમજુ છે...

7 comments:

  1. જનતા સમજુ બકરી જેવી છે !! જનતા ખાનાની વસ્તુ ન મળે તો.. પાટીયા નીચે રહેલી કોઈ પણ ચીજ ખાઈને પેટ ભરી લેશે.. બાકી સહેજ કરડી નજરે જુએ તો... ઉલ્લુ બનાવવા મુકેલા આ બોર્ડમાં જ ટોલ ફ્રી નંબર છે.. એ ડાયલ કરી ફરિયાદ કરી શકે.. જો કે, અગેઈન એ જ મુદ્દો આવે કે, જો ફરિયાદ થશે તો સંબંધિત અઘિકારી આવીને 'પેટીયું' રળી લેશે.. આપણાં પેટને તો એનું એ જ.. નાહકનો સમય બગાડવો.. જનતા ખરેખર 'સમજુ' છે..!!

    ReplyDelete
  2. Anonymous1:44:00 AM

    Tame yaar jabarun lai aavo chho.
    Sukumar M. Trivedi

    ReplyDelete
  3. મારા ખ્યાલ મુજબ રેલ્વે સ્ટેશન પર ચા, કોફી, ગરમ ફરસાણ અને બીજા સ્થળ પર બનાવવામા આવતા ખાદ્ય પદાર્થો રેલ્વેએ બાંધી આપેલા ભાવે વેચવાના હોય છે. કોઈ પાસે વધુ જાણકારી હોય તો આપવા વિનંતિ.

    ReplyDelete
  4. :-) આપણી પબ્લિક સમજણ અને મૂર્ખામીની ખૂબ પાતળી ભેદરેખાઓની, સીમાઓની આસપાસ છે, એમાં બધાં આવી ગયા, આ તો સારૂ છે કે સ્ટોલ વાળા સ્વીકારી લે છે, બાકી રાજકારણીઓ તો એવું સ્વીકાર્યા વગર જ ઉલ્લુ બનાવે છે. પેટ્રોલના વધતા ભાવ આપણે કેટલી સહજતાથી સ્વીકારીએ છીએ, કે ખેડૂતોની આત્મહત્યા, કે ખેડૂતોની જમીનોનું ફરજીયાત ઔદ્યોગિકીકરણ....

    ReplyDelete
  5. Binit Modi (Ahmedabad)3:02:00 PM

    અમદાવાદમાં હેવમોરના ચણા – પુરી ખૂબ વખણાય છે. બે મોટી પુરીની સાથે ૯૦ ગ્રામ ચણા પીરસે છે. પુરીના ગ્રામ વજનની માહિતી નથી. ફોટામાંના પુરીના ગ્રામ જોઇને મને આ તાલેવંત રેસ્ટોરન્ટના ગ્રામ – વજનના કાયદા યાદ આવી ગયા. ગ્રાહક સુરક્ષા – હકની જાણકારી ધરાવનાર ઘરાકની આ રેસ્ટોરન્ટ વજનિયુ બાજુ પર રાખીને સરભરા કરે છે એ સહજ સૌની જાણ માટે.
    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  6. વિશાલ પાટડિયા1:42:00 PM

    રેલવેએ બે-ત્રણ વર્ષ પહેલા જનતા ખાના ચાલુ કર્યું ત્યારે તેની ભાવના એ હતી કે ટ્રેનમાં પ્રવાસ કરતાં ગરીબમાં ગરીબ મુસાફરના પેટમાં થોડું વજન પડે. શરૂ કર્યું ત્યારે તે પોસાય તેમ જ હતું, તેમ છતાં બદમાશ સ્ટોલવાળા તે આપતા ન હતા. પબ્લિક સમજુ છે એટલા માટે વિરોધ નથી કરતી એવું નથી, લાચાર છે એટલે લોકો વિરોધ નથી કરતા. સ્ટેશન પર ટ્રેન રાહ જોતી હોય છે, દરેકને ઘેર પહોંચવાનું હોય છે.

    ReplyDelete
  7. આ માત્ર એક જ આવી યોજના નથી. આવી તો ઘણી સરકારી યોજનાઓ ફક્ત કાગળ ઉપર જ ચાલે છે. એટ્લુ જ નહી, એવી યોજનાઓ ના આંકડાઓ પણ સંસદ/વિધાનસભાઓમા રજુ થાય છે અને સરકાર(!) એ આંકડાઓ ખુશી ખુશી પ્રસિદ્ધ પણ કરે છે.

    જય હો !!!

    ReplyDelete