Monday, December 06, 2010

ભ્રષ્ટાચારઃ ફળ, મૂળીયાં અને ખાતર-પાણી

અફાટ બ્રહ્માંડ વિશે વાત માંડવાની હોય તો કેવી મૂંઝવણ થાય! કંઇક એવી જ હાલત ભારતમાં ભ્રષ્ટાચારની વાત કરતી વખતે થઇ શકે છે. આઇપીએલ, કોમનવેલ્થ ગેમ્સ, આદર્શ, સ્પેક્ટ્રમ, મીડિયાની સોદાબાજી, વિવાદાસ્પદ ચીફ વિજિલન્સ ઓફિસર, જમીનગોટાળા, ગેરકાયદે ખાણકામ, કેતન દેસાઇનાં પરાક્રમો...

વાંચનાર થાકે, લખનાર થાકે, પણ કૌભાંડની યાદી અટકે એમ નથી. તેમાં તાજા કલમ તરીકે એલ.આઇ.સી. અને જાહેર ક્ષેત્રની કેટલીક બેન્કની ગેરરીતિઓનો ઉમેરો થયો છે. આ સંસ્થાઓના કેટલાક અધિકારીઓએ નિયમોની ઉપરવટ જઇને મોટી કંપનીઓને તોતિંગ રકમની લોન આપ્યાનો આરોપ છે.
-અને આ લેખ છપાઇને તમારા સુધી પહોંચે ત્યાં સુધીમાં ભ્રષ્ટાચારનો કોઇ નવો કરંડિયો નહીં ખુલે એની શી ખાતરી?

નાણાં મંત્રી કહે છે કે એલ.આઇ.સી.-બેન્કનું કૌભાંડ બહુ મોટું કે ચિંતાજનક નથી. કારણ? એ ‘ફક્ત’ થોડા સો કરોડ રૂપિયાનું છે, જ્યારે ભારતમાં કૌભાંડો હજાર કે લાખ કરોડ રૂપિયાના એકમમાં થાય છે! નાણાંમંત્રીએ ચિંતા ન કરવાના સંકેત સામાન્ય પ્રજાના નહીં, પણ શેરબજારના અને તેની સાથે સંકળાયેલા અર્થતંત્રના લાભાર્થે આપ્યા હશે. કેમ કે, પ્રજા અમસ્તી પણ ચિંતા કરવાની નથી, એ તેમના જેવા રીઢા નેતા જાણતા જ હોય.

ભ્રષ્ટાચારના આરોપો હેઠળ સરકાર જાય એ સમય ક્યારનો વીતી ગયો. બે-અઢી દાયકાથી બેફામ ભ્રષ્ટાચાર અપવાદ નહીં, પણ નિયમ બની ચૂક્યો છે. એ ઘ્યાનમાં રાખતાં, અત્યારે ટપોટપ ખૂલતાં કૌભાંડમાં આશ્ચર્ય પામવા જેવું કે ભોળા ભાવે અરેરાટીપૂર્ણ ડચકારા બોલાવવા જેવું કંઇ નથી. બહુ તો, ભ્રષ્ટાચાર વિશેની કેટલીક ગેરમાન્યતાઓ હજુ દૂર ન થઇ હોય, તો તેમને સમજવટો આપી શકાય.

ભ્રષ્ટાચાર એટલે કૌભાંડો
ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિઝમ/ખોજી પત્રકારત્વની જેમ ભ્રષ્ટાચાર માટે પણ એવી ગેરસમજણ પ્રવર્તે છે કે ભ્રષ્ટાચાર એટલે કેવળ નાણાંકીય કૌભાંડો. નેતાઓ કે અધિકારીઓ કે ‘તંત્ર’ દ્વારા થતી ગેરરીતિ, લાંચ-રૂશવત-કટકીના મામલા, સચિવાલયોમાં ફાઇલો ચલાવવા કે અટકાવવા માટેના કારસા, પોલીસના હપ્તા....ટૂંકમાં, સામાન્ય નાગરિકો જેના વિશે ફક્ત બળાપો કાઢી શકે એવા, ‘બીજા’ દ્વારા- ખાસ કરીને સત્તાધીશો દ્વારા થતા રૂપિયાના ગોટાળા.

આ ગેરમાન્યતા પંપાળવામાં મોટું સુખ એ છે કે તેમાં નાગરિકોની કોઇ જવાબદારી રહેતી નથી. અંદરોઅંદર વાતચીતમાં બીજાની ટીકા કરીને તે જાગૃત હોવાનો સંતોષ મેળવી શકાય છે. ભ્રષ્ટાચારની સંધિ છોડીને, તેના વ્યાપક અર્થ (ભ્રષ્ટ આચાર) વિશે વિચારવાનું લોકો અજાણતાં કે ઘણુંખરૂં તો ઇરાદાપૂર્વક ટાળે છે. કેમ કે, ભ્રષ્ટ આચારની વાત આવે ત્યારે ‘આપણે’ અને ‘બીજા’ વચ્ચેની ભેદરેખાઓ ભૂંસાવા લાગે છે. અલબત્ત, દરેક પ્રકારના ભ્રષ્ટાચારની ગંભીરતા એકસરખી હોતી નથી. પરંતુ ટ્રાફિક સિગ્નલ તોડ્યા પછી પોલીસને દસનું પત્તું પકડાવીને છટકવાની કોશિશથી માંડીને ઓફિસની ખરીદીમાં થતી કટકી અને ધંધામાં કરવામાં આવતા ગોટાળા- આ બધા ભ્રષ્ટાચારનાં જ નાનાંમોટાં સ્વરૂપ છે- અને આ તો ફક્ત આર્થિક ભ્રષ્ટાચારની વાત થઇ.

સામાજિક સંબંધોમાં ભ્રષ્ટ આચારનું ક્ષેત્ર બહુ મોટું બની જાય છે. ગરજાઉ સંબંધોથી માંડીને યેનકેનપ્રકારે ધનિક બની બેઠેલાઓથી અંજાવું- તેમના દાખલા લેવા, એ બધો ભ્રષ્ટ આચાર જ છે. ભ્રષ્ટાચારના એવા સપાટાને કારણે સમાજના આદર્શ/રોલમોડેલ બદલાઇ જાય છે અને ક્યારેક જ્યાં મહાત્મા ગાંધી મહાપુરૂષ ગણાતા હતા, તેમના સ્થાને અબજોપતિ ધનકુબેરોને બેસાડી દેવામાં આવે છે. ‘કોર્પોરેટ કલ્ચર’ના રૂપાળા આવરણ તળે ભલભલા ભ્રષ્ટ આચારોને વાજબી અને વ્યવહારૂ ગણીને હોંશે હોંશે નભાવી લેવામાં આવે છે. આ બધા ભ્રષ્ટાચારો જથ્થાની અને તીવ્રતાની રીતે રાજાના કે કલમાડીના કૌભાંડો કરતાં અનેક ગણા નાના હોઇ શકે, પણ પ્રકારની રીતે એ જરાય જુદા નથી. હકીકતે, ભ્રષ્ટાચારને નભાવી લેવો, તેનાથી રૂંવાડું પણ ફરકવા ન દેવું અને ચા પીતાં પીતાં તેની ચર્ચા કર્યા પછી વરીયાળી ખાઇને કામે વળગી જવું એ પણ એક પ્રકારનો ભ્રષ્ટ આચાર જ ગણાય.

સારા કોલસ્ટેરોલની જેમ ‘સારો ભ્રષ્ટાચાર’ પણ હોય
દુનિયાદારી જોઇ ચૂકેલા અનુભવીઓ પહેલાં મજબૂરીથી, પછી ટેવથી અને અંતે વ્યવહારના ભાગ તરીકે સ્વીકારતા થઇ જાય છે કે ‘માણસ ભલે રૂપિયા લે, પણ કામ તો કરે છે ને!’ આ બાબતને ‘સારો’ અથવા ‘અસરકારક’ ભ્રષ્ટાચાર ગણીને લગભગ હકારાત્મક રીતે સ્વીકારી લેવામાં આવે છે. પરંતુ વિજ્ઞાનના નિયમની પરિભાષામાં કહેવું હોય તો, ભ્રષ્ટાચાર કદી અચળ રહેતો નથી. તે સતત વધતો રહે છે. તેનો એક તબક્કો સંતોષાય એટલે તે ઉપરની તરફ ગતિ કરે છે. એમ કરતાં રકમ મોટી થતી જાય છે અને કહેવાતી અસરકારકતામાં ઘટાડો આવતો જાય છે. કેમ કે, મોટાં કામ કદી એક બેઠકે, એક સહીથી કે એક મુલાકાતમાં પૂરાં થતાં નથી, જ્યારે ભ્રષ્ટાચારીનું મીટર સતત ફરતું રહે છે. પ્રીપેઇડ મોબાઇલના કાર્ડની જેમ ભ્રષ્ટાચારીની તિજોરી પણ વારંવાર ‘રીફિલ’ કરવી પડે છે. સાર એટલો જ કે ‘સારો ભ્રષ્ટાચાર’ એ લેબલ આપનારની મજબૂરી કે લાલચનું બીજું નામ હોય છે.

ભ્રષ્ટાચાર સ્ટાઇલથી થાય તો એ હોંશિયારી કહેવાય
ભ્રષ્ટાચાર સાવ જાડી રીતે કરવામાં આવે અને તેની પાછળ લાલુપ્રસાદ યાદવ હોય તો (યોગ્ય રીતે જ) તેમની પર ભ્રષ્ટાચારીનું, ચારાકૌભાંડીનું લેબલ લાગી જાય છે. રાજીવ ગાંધી જેવા ‘શીખાઉ’ પણ બોફર્સના કટકી કૌભાંડી તરીકેના લેબલ સાથે વિદાય લે છે. પરંતુ ભ્રષ્ટાચારનો પટ અનેક ગણો પહોળો પથરાયેલો હોય, તેમાં ફિલ્મ-રાજકારણ-ક્રિકેટ- કોર્પોરેટ જગત જેવા બોલકા વર્ગોનાં હિત સંકળાયેલાં હોય અને તેના કરનાર લલિત મોદી જેવા કોઇ હોય તો? ‘ગમે તેમ તો પણ માણસ કાબો કહેવાય’ એવા બહુમાનના તે અધિકારી બને છે. પ્રેસ કોન્ફરન્સમાં જેની એક બાજુ શિલ્પા શેટ્ટી ને બીજી બાજુ શાહરૂખખાન હોય, જેની ક્રિકેટમેચ કરતાં મેચની પાર્ટીઓ વધારે લાંબી ચાલતી હોય અને જેનાં આયોજનો ક્રિકેટઘેલી પ્રજા રાષ્ટ્રિય ઓચ્છવની જેમ ઉજવતી હોય, એવો માણસ લાલુપ્રસાદની હરોળમાં ગણાતો નથી. જતે દહાડે ભારતના મંત્રીમંડળમાં બમ્બૈયા ફિલ્મઇન્ડસ્ટ્રીનાં હીરો-હીરોઇનને સ્થાન આપવામાં આવે તો સંભવ છે કે ભ્રષ્ટાચાર વિશેની પ્રજાની અડધી ફરિયાદો દૂર થઇ જાય અથવા તે પ્રજાકીય મનોરંજનભૂખને પોષતો-સંતોષતો ખોરાક બની રહે.

નિષ્ક્રિય પ્રામાણિકતા ભયોભયો
હિંદીની વિખ્યાત વ્યંગનવલકથા ‘રાગ દરબારી’માં એક પાત્ર અંગે કહેવામાં આવે છે કે ‘વો બડે ગઉ (ગાય જેવા) આદમી હૈ.’ તરત સામેનું પાત્ર જવાબ આપે છે,‘ગઉ હૈ તો યહાં ક્યા કર રહૈ હૈં? જાકે ડેરીમેં બંધ જાય. ભૂસા ખાય ઔર દૂધ દે.’

જેટલી વાર કોઇ નિષ્ક્રિય, નબળા અને પ્રામાણિક માણસનાં વખાણ થાય એટલે વાર ‘રાગ દરબારી’નો સંવાદ યાદ આવે છે. સત્તાસ્થાને બેઠા પછી કે જવાબદારી સંભાળ્યા પછી ‘ગઉ આદમી’ હોવું પૂરતું નથી. કેમ કે, પ્રામાણિકતા એ કાર્યક્ષમતા, નીરક્ષીરવિવેક કે ખોટાને પડકારવાની હિંમત જેવા સદ્ગુણોની ખોટ ભરપાઇ કરી શકે એવડો મોટો સદગુણ નથી. બીજા શબ્દોમાં કહીએ તો, આગળ જણાવ્યા છે એવા બીજા ગુણ ન હોય તો સ્વતંત્રપણે પ્રામાણિકતાનું મૂલ્ય એક હદથી વધારે નથી. પરંતુ ચોતરફ ભ્રષ્ટાચારની બોલબાલા હોય ત્યારે એક પ્રતિક્રિયા ‘રૂપિયા લે છે, પણ કામ તો કરે છે’ એવી આવે અને તેનો બીજો અંતીમ છેઃ ‘ગમે તે કહો, ભલે માણસ કંઇ કરતો નથી, પણ તેની ઇમાનદારી વિશે આંગળી ચીંધી શકાય એમ નથી.’ બન્ને અંતીમો મૂળભૂત રીતે હતાશામાંથી ઉદભવે છે.

ભ્રષ્ટાચાર આદિકાળથી અને અત્રતત્રસર્વત્ર છે
ઉપરાછાપરી કૌભાંડોને કારણે અત્યારે ભલે અભૂતપૂર્વ ભ્રષ્ટાચારનો અનુભવ થતો હોય, પણ ભ્રષ્ટાચાર દરેક કાળમાં અને માનવજાતના મૂળભૂત ગુણ- સ્વાર્થ-ની અભિવ્યક્તિ તરીકે ઓછેવત્તે અંશે વિશ્વવ્યાપી છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ જેવી સંસ્થાઓ દર વર્ષે ઠરાવેલાં ધારાધોરણ પ્રમાણેનાં પરિબળોની માપણી કરીને, દુનિયાભરના દેશોને ભ્રષ્ટાચારમાં નંબર આપે છે- જેનો નંબર આગળ હોય તે ઓછા ભ્રષ્ટ અને પાછળ હોય તે વઘુ ભ્રષ્ટ. તેમાં આ વર્ષે ભારતનો નંબર ૮૭મો હતો. આશ્વાસન ખાતર કહેવું હોય તો કહી શકાય કે ભારતથી વધારે ભ્રષ્ટાચાર ધરાવતા હોય એવા ૭૦-૮૦ દેશ આ પૃથ્વીના પટ પર છે. એમ પણ કહી શકાય કે ચીન જેવા દેશમાં ભ્રષ્ટાચારીઓ સામે મોતની સજા સુધીની કાર્યવાહી થાય છે. છતાં ચીન પણ ભ્રષ્ટાચારની યાદીમાં છેક ૭૯મા ક્રમે છે. મતલબ, ભ્રષ્ટાચાર માનવપ્રકૃતિનો હિસ્સો છે.

પરંતુ આ અર્ધસત્ય છે. ભ્રષ્ટાચાર સર્વવ્યાપી અને અનાદિકાળથી હોવાનું સ્વીકારી લઇએ તો પણ ખરો મુદ્દો તેની સામાજિક સ્વીકૃતિનો છે. દારૂ પીનાર માટે ‘કાયદો છોડશે નહીં અને સમાજ સ્વીકારશે નહીં’ એવું સૂત્ર નશાબંધી વિભાગે એક સમયે પ્રચલિત કર્યું હતું. આ સૂત્ર વર્તમાન સમયમાં ભ્રષ્ટાચારીઓને લાગુ પાડી શકાશે? કેમ કે, મોટા ભાગના ભ્રષ્ટાચારીઓને કાયદો અડી શકતો નથી અને સમાજ તેમની આવડતને- તેમની સમૃદ્ધિને બિરદાવે છે અથવા કમ સે કમ, તેમને સામાજિક સ્વીકૃતિ તો આપે જ છે. કોઠાકબાડા કરીને અઢળક રૂપિયા કમાનારનો સમાજે બહિષ્કાર કર્યો હોય એવું ભાગ્યે જ જાણવા મળશે.

મતલબ, ભ્રષ્ટાચાર માનવપ્રકૃતિ સાથે વણાયેલો હોય તો પણ તેને એક મૂલ્ય તરીકે સ્થાપિત કરવામાં અથવા સમાજ સમક્ષ આદર્શ તરીકે રજૂ થતાં વ્યક્તિત્વોના ભ્રષ્ટાચારને નજરઅંદાજ કરવામાં દરેક સમયના સમાજની સહનશક્તિ ઓછીવત્તી હોય છે. એક જમાનો એવો હતો જ્યારે ‘લાખ જજો, પણ શાખ ન જજો’ એવી કહેવત ચાલતી હતી. એ વખતે ભ્રષ્ટાચાર તો હતો જ, પણ સમાજમાં ભ્રષ્ટાચારીઓને ઉંચું આસન અને આબરૂ મળતાં ન હતાં, તેમની ‘હોંશિયારી’નાં લોકો વખાણ કરતા ન હતા અને પ્રામાણિક લોકોને ‘વેદીયા’ની ગાળ પડતી ન હતી. હવે ‘શાખ જજો, પણ લાખ આવજો’નો જમાનો છે. લાખ (કરોડ-અબજ) આવે એટલે શાખ આપોઆપ આવી જ જાય છે. ‘સાધનશુદ્ધિ’ જેવા શબ્દો ચલણમાંથી નીકળી ગયા છે, સ્તર તપાસ્યા વિના કેવળ બજારૂ સફળતાનાં ઉજવણાં અવિરતપણે ચાલે છે.

આ સ્થિતિ માટે ફક્ત કૌભાંડીઓ જ જવાબદાર છે અને તેમાં આપણો કોઇ ફાળો નથી, એ પણ એક દૂર કરવાલાયક ગેરસમજ છે.

7 comments:

  1. sorry urvish, you have CONVIENTLY forgotten to mention corruption in even high judiciary.

    who has the guts to lock horns with the all-powerful judiciary? and hate her or love her, the name of the lone lion-hearted journo-cum-activist comes to mind is : Arundhati Roy.

    afraid of CONTEMPT OF COURT?

    ReplyDelete
  2. urvish kothari5:03:00 PM

    yes, i'm actually shivering out of fear.

    ReplyDelete
  3. and what about the media?

    as everybody by now has come to know about the Radiagate, a part of media is also exposed in the eyes of the people.

    as one senior journalist told in a recent tv interview that there are different types of media dogs, a few indeed are 'watch dogs' but many are 'lapdogs' of the corporates.

    like roy, tarun tejpal of TEHELKA fearlessly carried the shanti bhushan interview that had the most shocking allegation : that at least eight of the 16 chief justices of India (CJIs) were "definitely corrupt".

    it really requires a lot of guts to expose the mighty.

    ReplyDelete
  4. Anonymous9:04:00 PM

    Universal phenomenon and collective character. It's varies from place, state, department & country.

    'Inspite of higher degree, we are stronger. State of hypocricy has replaced the 'shakh - credibility, you are referring.

    ReplyDelete
  5. Yet another great article from U. K. in todays G.S. This time it was about the press itself. (It is not posted on the blog yet!)

    The problem with good articles is that readers expect the same standard every time or even better. That puts you in competition with yourself. Hard to follow. Isn't it Urvish?

    M. Gada.

    ReplyDelete
  6. urvish kothari4:47:00 PM

    :-)thanks murjibhai. will be putting it shortly.
    the 'competition' provides good hedge against "veth" or left hand writing.

    ReplyDelete
  7. vaah...
    yes, we can't run away from responsibilities......

    ReplyDelete