Friday, October 22, 2010

‘પોઝિટિવ થિંકિંગ’ના પેકિંગમાં મૂલ્યહીનતા અને મામૂલીપણાનો મહીમા

પોઝિટિવ થિંકિંગ એટલે શું? માણસનું હીર હણી લે, અન્યાય અને શોષણ સામે લડવાનો તેનો ધગધગાટ ટાઢો પાડી દે, માણસને નિર્માલ્ય, જંતુવત્ બનાવે, તેને પીઠખંજવાળના રવાડે ચડાવે, એક નાગરિક તરીકેના પોતાના કર્તવ્યમાંથી નિવૃત્ત કરીને, તેને ઢાલમાં માથું સંકોરીને બેસી ગયેલા કાચબા જેવો બનાવી દે, એ પોઝિટિવ થિંકિંગ?

સત્યની જેમ શબ્દનો અર્થ પણ સાપેક્ષ હોય છે. પોઝિટિવ થિંકિંગ/હકારાત્મક વિચારસરણી વિશે વાત કરતી વખતે આ સ્પષ્ટતા સૌથી જરૂરી છે. કારણ કે હકારાત્મકતા સૌથી જાણીતા અને સ્વીકૃત સદગુણોમાંનો એક છે. તેનું સૌથી પ્રચલિત ઉદાહરણ એટલે અડધે સુધી ભરેલા પ્યાલાનો ભરેલો હિસ્સો જોવો.

પરંતુ આ તો એક સીઘુંસાદું ઉદાહરણ થયું. જિંદગીની અટપટી પરિસ્થિતિઓ અડધા ભરેલા પ્યાલા જેટલી સરળ નથી હોતી અને તેમાં હકારાત્મક અભિગમ રાખવાનું હંમેશાં આટલું સુવિધાભર્યું, નિર્દોષ અથવા બિનહાનિકારક નથી હોતું.

‘હકારાત્મક અભિગમ’નું વર્તમાન સ્વરૂપ પશ્ચિમમાંથી આયાત થયેલું હોવું જોઇએ. કારણ કે ભારત જેવા ભક્તિપ્રધાન દેશમાં સદીઓથી આ બાબત જુદા નામે પ્રચલિત છે. અહીં તે ‘હકારાત્મક અભિગમ’ને બદલે ‘ઇશ્વરેચ્છા’ તરીકે ઓળખાય છેઃ ભગવાન જે કરે છે તે સારા માટે, જે થાય છે તે સારૂં જ થાય છે, આપ ભલા તો જગ ભલા....

‘ઇશ્વરેચ્છા’ના ફાયદા-નુકસાન વિશે ચર્ચામાં ઉતરવાનો અર્થ નથી. કારણ કે તેમાં વિશ્વાસ ધરાવનારા
ઘણાખરા લોકો ‘આ ચર્ચા પણ ઇશ્વરેચ્છાનો ભાગ છે’ એમ માનીને આગળ વધી જશે. ‘ઇશ્વરેચ્છા’માં માનનારા- તેનો ઉપદેશ આપનારા લોકો ભક્તિમાર્ગી અથવા ધંધાર્થી અથવા અંધશ્રદ્ધાળુ અથવા ત્રણેના મિશ્રણ જેવા હોય છે. ઇશ્વરેચ્છાની વાત કરતી વખતે એ લોકો બૌદ્ધિકતા કે આઘુનિકતાના દાવા કરતા નથી. એટલે જ કદાચ નવી પેઢીને આકર્ષવા માટે કેવળ ‘ઇશ્વરેચ્છા’નું ચુંબક નબળું પુરવાર થાય છે.

તેની મદદે આધુનિકતાના વાઘા પહેરેલું ‘પોઝિટિવ થિંકિંગ’ હાજર છે, જે કહે છેઃ દુનિયામાં કશું ખરાબ નથી, આપણે શા માટે કશું ખરાબ જોવું? બસ, સુવાક્યો વાંચવાં, ફેલાવવાં, પોતાના સ્વ-ભાવમાં ન હોય એવી લાગણીઓ આપણામાં જાગ્યાનો ક્ષણિક આભાસ કરાવી જાય એવી સારી- સારી, સાત્ત્વિક- સાત્ત્વિક ગળચટ્ટી બોધકથાઓ, ઉપદેશકથાઓ, સંવેદનકથાઓ વાંચવી. (રોતલ ફિલ્મો માટે વપરાતા શબ્દ ‘ટીઅરજર્કર’ની જેમ આ પ્રકારના સાહિત્યને ‘ઇમોશનજર્કર’ કહી શકાય.) કોઇના વિશે ખરાબ બોલવું નહીં, કોઇની ટીકા કરવી નહીં, લડાઇઝઘડાથી દૂર રહેવું...

ઉપર જણાવ્યા છે એ જાતના ઉપદેશનો છેલ્લા થોડા વખતથી રાફડો ફાટ્યો છે અને એવા ઉપદેશ આપનારાનું કીડીયારૂં ઉભરાયું છે. કારણ કે તેમાં કહેનારે અને સાંભળનારે ઇન્ટરનેટ પરથી અનુવાદીત કરાયેલી બોધકથાઓ વાંચીને કે લાગણીદદડતી પ્રસંગકથાઓ વાંચીને ઘડીક ભીના થયા સિવાય બીજું કંઇ કરવાનું હોતું નથી. એટલી તસ્દીના બદલામાં આપણું કેટલું મોટું કામ થઇ જાય છે! પોતાની ફરજચૂકનો, ખોટું કર્યાનો, કાયરતાનો, નમાલાપણાનો, અનિષ્ટો સામે મૂંગા મરી રહેવાનો..આવા અનેક અપરાધભાવ થોડાઘણા પણ પીડતા હોય તો એ કહેવાતા સાત્ત્વિક વાચન પચી આપણા મનમાંથી ઓગળી જાય છે- દૂર થઇ જાય છે અને આપણે હળવાફૂલ! ફિલ્મમાં હીરો દસ-બાર ગુંડાને ધીબેડે ત્યારે પ્રેક્ષકોને કેવો આનંદ - અને ખાસ તો, પોતે જે ન કરી શક્યા તે બીજાએ કોઇએ કર્યું અને આપણે તેને બિરદાવ્યું, એવો વાસનામોક્ષ- થાય છે! કંઇક એ જ પ્રકારનો વાસનામોક્ષ કહેવાતું સાત્ત્વિક કે કહેવાતું પોઝિટિવ થિંકિંગનું સાહિત્ય વાંચનારા ઘણાખરા લોકોને પણ થાય છે. તેમને કાર્યકારણનો આ સંબંધ સમજાય કે ન સમજાય, પણ મઝા આવે છે. એ મઝાને- ‘ફીલગુડ’ની લાગણીને તે પોઝિટિવ થિંકિંગ કે તેને લગતા સાહિત્ય- શિબિરો-પ્રવચનોના પરિણામ તરીકે જુએ છે અને ‘પોઝિટિવ થિંકિંગ’ કારગત નીવડ્યાનો હરખ કરે છે.

હકારાત્મકતાઃ ગુણવત્તાનો વિકલ્પ?
સાચી કે નમાલી સાત્ત્વિકતા ધરાવતા મોટા ભાગના લોકો નિરૂપદ્રવી હોય, એવું સમીકરણ ઘણા વખત સુધી ચાલ્યું. સાદી ભાષામાં કહીએ તો, આવા લોકો ‘સારા’ હોય, છતાં કશા કામના ન હોય. હવે પોઝિટિવ થિંકિંગ ને સાત્ત્વિક્તાની વાતો કરનારાનો આશય અને તેમનાં તેવર બદલાયાં છે. તેમની નવી પદ્ધતિ છેઃ પોતાની મર્યાદાઓ, આવડતનો અભાવ, મામૂલી કક્ષા - આ બધી બાબતોને સાત્ત્વિકતા કે હકારાત્મકતાના વાઘા તળે ઢાંકી દેવી, ‘તમે પણ સારા ને અમે પણ સારા’ની વાતો કરવી, ‘અમે તમને મામૂલી (મીડિઓકર) નહીં કહીએ, તમારે અમને મીડિઓકર નહીં કહેવાના’ એવી મૂક સમજણ અપનાવવી અને ખરેખરા સત્ત્વશીલોની વચ્ચે ધૂસ મારવાનો પ્રયાસ કરવો, તેમની સજ્જનતાનો ગેરલાભ લઇને તેમના માથે પડવું.

તેનાથી પણ સહેલો અને વધારે પ્રચલિત વિકલ્પ ‘અહો રૂપમ્ અહો ઘ્વનિ’ દ્વારા પોતાના જેવા (નબળા-નકામા) ‘સાત્ત્વિક’ લોકોનું જુદું-મોટું ટોળું રચવાનો અને પોલી સાત્ત્વિકતાનાં ઢોલનગારાં વગાડવાનો છે, જેથી સાત્ત્વિકતાના પુરસ્કર્તા તરીકે પોતાનો પણ મહીમા થઇ જાય.

‘હું તમારી ટીકા નહીં કરૂં, તમારે મારી ટીકા નહીં કરવાની (વખાણ કરનારા અબુધ અથવા સમ- ગરજાઉ તો બહુ મળી રહેશે)’ એવો અભિગમ ‘પોઝિટિવ થિંકિંગ’ની લેટેસ્ટ લોકપ્રિય અભિવ્યક્તિ છે. સામાજિક-સાહિત્યિક વર્તુળોથી માંડીને ઉછીની કૃતિઓના ગાંગડે ગાંધી થઇ બેઠેલા બ્લોગસંચાલકો સુધી તમામ સ્તરે આ ‘ફિલસૂફી’ વ્યાપેલી જોવા મળે છે.

ઇન્ટરનેટના પરિચયના પ્રતાપે પોતાનો બ્લોગ (મફત અને મર્યાદિત સુવિધાઓ ધરાવતી એક જાતની વેબસાઇટ) ચલાવનારા વર્ગમાં સાત્ત્વિકતા અને હકારાત્મકતાના આગળ જણાવેલા પ્રકારો ભારે લોકપ્રિય નીવડ્યા છે. બ્લોગમાં કોઇ નીતિનિયમો કે અંકુશ હોતા નથી. જે લખવું હોય તે લખી શકાય. તેથી મોટા પ્રમાણમાં લોકો બ્લોગનો એકબીજાની અને પોતપોતાની પીઠ ખંજવાળવાના કાંસકા તરીકે ઉપયોગ કરી રહ્યા છે. દંભી નમ્રતા કે સ્યુડો-સાત્ત્વિકતાની ઓથે પોતાની પાત્રતાનો અભાવ ઢાંકનારા ઇચ્છે છે કે બધા તેમની જેમ કાંસકાબાજીમાં મહાલે અને અણીયાળા મુદ્દાની ચર્ચાથી દૂર રહે. કેમ? બસ, દુનિયામાં હકારાત્મકતાનો ઓચ્છવ ઉજવવા માટે!

બીજા કેટલાક લોકો પોતાની નબળી પસંદગીનો ‘માતૃભાષાની સેવા’ના ભવ્ય મથાળા હેઠળ પ્રચાર કરી રહ્યા છે. કોઇ પણ વ્યક્તિ (કાયદો અને શિષ્ટતાની હદમાં રહીને) પોતાને ગમે તેવી સામગ્રીનો પ્રચાર-પ્રસાર કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ માતૃભાષાની સેવા જેવો દાવો થાય, ત્યારે તે બીજા લોકો દ્વારા પણ ચકાસણીને પાત્ર બને છે. કમભાગ્યે, પ્રચારકો માટે વ્યક્તિગત આદર હોવા છતાં, ‘માતૃભાષાના પ્રચાર’ના કહેવાતા મોટા ભાગના પ્રયાસો ઠાલી હકારાત્મકતાનો અને મામૂલીપણાનો પ્રચાર કરનારા તથા તેને મજબૂત કરનારા જણાય છે.

‘ગુજરાતીમાં બ્લોગ લખવાથી ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજ્જવળ બનશે’ એવી એક મુગ્ધ ગેરસમજણ પણ ફેલાઇ છે. તેને કારણે, એક મિત્ર કહે છે તેમ, ટાઇપ કરતાં આવડતું હોય એ બધા એવું માની બેસે છે કે તેમને લખતાં આવડે છે. ‘અમુક મહિનાથી કે અમુક વર્ષથી મારો બ્લોગ ચાલે છે’ એટલી, ફક્ત એટલી જ, પાત્રતાના આધારે ઘણા માતૃભાષાના ‘વરિષ્ઠ’ સેવકોની ભૂમિકામાં આવી જાય છે. (ભારતમાં ‘સેવક’નો અર્થ ‘અધિકારી’ થાય છે તે છ દાયકાની લોકશાહી પછી કોઇને સમજાવવું પડે એમ નથી.) આ પ્રકારના હલ્લામાં ‘ગુજરાતી ભાષાના ભવિષ્યને કાજે’ લખાતાં લખાણોથી, ભવિષ્યની તો ખબર નથી, પણ ગુજરાતી ભાષાની વર્તમાન વાચનસામગ્રીની ગુણવત્તા અને ધારાધોરણોના મોટા પ્રશ્નો ઉભા થાય એમ છે. સાત્ત્વિકતાના ઘોડાપૂરમાં ગુણવત્તાના આગ્રહો એવા તણાઇ જાય છે કે શોઘ્યા જડતા નથી. તેને માટે ફક્ત બ્લોગ કે છાપાં કે સામયિકો કે પુસ્તકો- કોઇને અલગ પાડવા જેવાં નથી.

કહેવાનું તાત્પર્ય એ નથી કે ઇન્ટરનેટ પર અથવા બહારની દુનિયામાં, લેખકો કે બ્લોગલેખકોએ, સાહિત્યનો પ્રચાર કરનારાએ કે બીજા લોકોએ પોતાનું કામ બંધ કરી દેવું. દરેકને પોતાની કક્ષા પ્રમાણેનું વાંચવા-લખવા-પ્રસારવાનો અને તેમાંથી આત્મસંતોષ મેળવવાનો અધિકાર છે. પરંતુ પોતાની મર્યાદાઓ કે પાત્રતાના અભાવ માટે ‘સાત્ત્વિકતા’ કે ‘હકારાત્મકતા’ જેવા રૂપાળા શબ્દો ન વાપરવા. એટલી પ્રામાણિકતા રાખી શકાય તો ઘણું. પોતાની કામગીરી માટે ‘માતૃભાષાનો પ્રચાર’, ‘માતૃભાષાની સેવા’ કે ‘માતૃભાષાનું ભવિષ્ય’ જેવાં લેબલ ન વાપરીને તે પાણીની શીશી પર અત્તરનાં સ્ટીકર લગાડવા જેવી અપ્રામાણિકતામાંથી બચી શકે છે. નબળું લખવું-વાંચવું એ દરેકનો મૂળભૂત વ્યક્તિગત અધિકાર છે, પણ તેને હકારાત્મકતા તરીકે અને એક જાહેર સામાજિક મૂલ્ય તરીકે પ્રસ્થાપિત કરવાનો કોઇને હક ન હોઇ શકે.

સાત્ત્વિકતા એટલે?
ગાંધીજીને માર્કેટિંગ ગુરૂ તરીકે ચીતરીને મૌલિકતાનો સંતોષ લેનારા કે ‘ગુરૂ’ ફિલ્મ પર ઓવારી જનારા સૌ મૂલ્યનો મુદ્દો સલુકાઇથી બાજુ પર મૂકી દે છે. પોઝિટિવ થિંકિંગ અને કહેવાતી સાત્ત્વિકતાની વાતો કરનારા લોકોની માનસિકતા પણ કંઇક એ જ પ્રકારની જણાય છે.

પોઝિટિવ થિંકિંગ એટલે શું? માણસનું હીર હણી લે, અન્યાય અને શોષણ સામે લડવાનો તેનો ધગધગાટ ટાઢો પાડી દે, માણસને નિર્માલ્ય, જંતુવત્ બનાવે, તેને પીઠખંજવાળના રવાડે ચડાવે, એક નાગરિક તરીકેના પોતાના કર્તવ્યમાંથી નિવૃત્ત કરીને, તેને ઢાલમાં માથું સંકોરીને બેસી ગયેલા કાચબા જેવો બનાવી દે, એ પોઝિટિવ થિંકિંગ? અત્યારે આ જ પ્રકારના પોઝિટિવ થિંકિંગની બોલબાલા છે. આર્ટ ઓફ લિવિંગથી માંડીને મોટા ભાગના ટ્રેનરો, મોટિવેટરો, સ્પીકરો મૂલ્યોની માથાકૂટમાં પડતા નથી. એ ગળચટ્ટી પ્રેરણાઓ આપે છે, ચબરાકીયા કથાઓ કહે છે અને હકારાત્મકતાના બહાના હેઠળ મૂલ્યો નેવે મૂકીને પોતાનો સ્વાર્થ કેમ સાધી લેવો તેના ઉપદેશ નવા જમાનાની ભાષામાં ઝીંકે છે- અને એ રીતે પોતાનો સ્વાર્થ સાધી લે છે.

સાચું પોઝિટિવ થિંકિંગ એ છે, જે અડધો ભરેલો પ્યાલો પીનારના મનમાં, જેમનો આખો પ્યાલો ખાલી છે એવા લોકોનો વિચાર રોપી શકે. જીવ બાળવા માટે નહીં તો સાચા-સંપૂર્ણ ચિત્રની જાણકારી રાખીને મૂરખ ન બનવા માટે પણ એવું ‘પોઝિટિવ થિંકિંગ’ જરૂરી છે.

સાચી સાત્ત્વિકતા એ છે, જે માણસને મીઠા વગરનો બનાવી દેવાને બદલે તેનામાં અન્યાય સામે અવાજ ઉઠાવવાનું સત્ત્વ પેદા કરે. તેને માણસ તરીકેની ગરીમા આપે અને પાવાવાળા/ધ પાઇડપાઇપરની પછવાડે દોરાતા ઊંદરડામાંનો એક બની જતો અટકાવે.

હકારાત્મકતા અને સાત્ત્વિકતાનાં સગવડિયાં રટણ કરીને, તેને મૂલ્ય તરીકે સ્થાપવા આતુર લોકોને એટલું પૂછી જોજોઃ ફૂલે ને તિલક, ગાંધી ને ભગતસિંઘ, આંબેડકર ને સુભાષચંદ્ર બોઝ, જયપ્રકાશ અને લોહિયા - આ બધા તમે કહો છો એવા ‘સાત્ત્વિક’, પોઝિટિવ થિંકિંગવાળા માણસ હતા?

19 comments:

  1. Anonymous10:23:00 PM

    થેન્ક ગોડ, પોઝિટિવ થિંકિંગ સાથે આ લેખ પૂરો વાંચી શકાયો.. ;)

    ReplyDelete
  2. It was a delight to read this article on rightly picked some crucial aspects of 'pseudo-positive thinking'!

    ReplyDelete
  3. Living in 'make-believe' world, new-found wealth and assertion of regional/religious identities are a deadly combination. 'Positive thinking' and 'celebration of mediocrity' just fit in well in this combination as rightly pointed out by you in the post. People are so desperate to see the bright side of everything that any balanced voice is seen as a conspiracy. સાચે જ, સૂતેલાનાં સ્વપ્ન અલગને જાગે તેની રાત અલગ છે...

    ReplyDelete
  4. True transactional analysis of society & character.

    J.A. Mansuri

    ReplyDelete
  5. Vishal Shah4:26:00 PM

    Superb Superb analysis. Thx for give us such a fentastic article.

    ReplyDelete
  6. these are the new tranquilizers. new pain-killers. and such psycho-therapies work wonderful on the so-called educated and well-to-do class who are sick of the sin they have been committing all through life and then feeling guilt for ever.

    invented by the soft-skill expert Indian gurus who are master mendicants in these new medicines : positive thinking, art of living, spiritual yoga, transcendental meditation and other such myriad guises.

    but in plain words, this is nothing but cheating the gullible guilties. make them 'feel good' and make for yourself money and fame and power.

    but alas,the masses are without their Marx who so loudly and boldly warned of such opiums.

    ReplyDelete
  7. Anonymous10:57:00 AM

    Man is product of its environment & society. - Proverb.

    ReplyDelete
  8. Anonymous5:46:00 PM

    Superb. Congrats and thanks.
    Sukumar M. Trivedi

    ReplyDelete
  9. Anonymous2:47:00 AM

    I agree with all your points but personally I feel that "The Art Of Living" organization has a unique course named DSN(Divya Samaj Nirman).
    In it they are teaching ppl that how to be a socialized person.How to be a Rebel.
    another course is YES+,which target youth.
    Both will teach ppl to be a change in society.

    I hope first you research on it and then write abt it.

    Jay Hind!

    ReplyDelete
  10. બરાબર છે હકારાત્મકતા લાવવામાં (એ માટે પુસ્તકો, સેમીનાર, ભાષણ પાછળ) સમય બગાડવા કરતા પોતાનું કામ પ્રમાણીકતાથી કરીએ તો વધુ જડપથી સફળ થઇ શકાય!

    ReplyDelete
  11. ‘પોઝિટિવ’ પુણ્યપ્રકોપ!

    ReplyDelete
  12. પોઝિટીવ થિન્કીંગ-મારી દ્ર્ષ્ટિએ- છોકરાં ક્રિકેટ રમતા હતા-એકે ફટકો માર્યો-બોલ બાઉન્ડ્રિ પર ઉછળીને ગયો-ત્યાં ઉભેલો છોકરો બોલ કેચ કરવા જાય છે-હવે એ એમ વિચારે કે આ બોલ નહીં ઝિલાય તો શું થશે-બીજા બધાં તેની પાછળ પડશે- આ નેગેટિવ થિન્કીંગ વડે તેનો હાથમાં આવેલો બોલ અચૂક છુટી જશે- અને જો એ બોલ જવાનો છે ક્યાં? આ પકડી લીધો.એમ વિચારીને બોલ પકડવા દોડશે તો એ અચૂક કેચ કરશે-
    કોઇપણ કાર્ય કરતાં પહેલાં સફળતાને લક્ષમાં રાખવી એને હું પોઝિટીવ થિંકીંગ ગણું છું-મને એમાં ગેર ફાયદો દેખાતો નથી- હા, તમે જે જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે તે પ્રમાણે તમારૂ લોજીક સાચું છે.

    ReplyDelete
  13. ઉર્વિશ કુમાર-આ લેખ બીજી વાર વાંચી ગયો- You have tried to cover many corners under one roof-તમે એટલા બધા વિષયો-વ્યાખ્યાઓ - લીધા છે કે પોઝિટીવ થિન્કીંગ ના ગેર ફાયદા પરથી નિશાન હટી ગયું છે એટલે ઓછો અસરકારક લાગે છે-
    જો કે તમે દેશના વહેણથી વધુ વાકેફ છો.એટલે તમે ઘણું કવર કર્યું છે.

    ReplyDelete
  14. Really liked the article..These are the sophasticated means of pacifiers...The current capitalist models have changed the definitions of socialisation. The socialisation means shopping in a mall or eating out..People don't meet on any thought provoking events where heart burning agony gets an outlet...so to pacify the frustration courses on positive thinking are offered...

    ReplyDelete
  15. i don't know whether Mr/Ms Anonymous who quotes a proverb " Man is product of its environment & society " and Mr/Ms Anonymous who pleads for " the art of living" are one and the same or identical twins.

    if the blogger can spare me from the censorship, i have to reply to both these anonymous creatures in the utmost brevity and respect :

    1.
    man is certainly product of his environment and society, mr/ms anonymous but the point is we the people who take pride in calling ourselves 'civilized' have a moral duty to come forward to work for a change that can create better 'environment' and better 'society' so that each and every human being can live with full human rights and human dignity.


    and if you leave upon the proverb to justify man's fate, then however smart you be in quoting the proverb, your motive hardly remains implicit.

    2.
    in every age, the gurus have to employ the language that most attracts their potential followers and in our age of extra sophistication, the sadhu-bawas have to invent the jargon that pampers the ego of the so-called intellectual gullible.

    and in the case of 'the art of living', the phrase sounds so divine and spiritual and poetic, the sick foreigners and the rich desis lap it up like Pomeranian puppies. DSN and YES+ are only the newest examples.

    there was TM some years back, hope you remember MR/MS ANOMOUSES.

    ReplyDelete
  16. shishir ramavat2:40:00 PM

    Wah. Superb topic, superb content!

    ReplyDelete
  17. Anonymous5:27:00 PM

    Besides, above a China-Wall difference @ Destiny, faith on Creator, hardworking, process of struggle are tool to experience different degrees of + & - parameters.

    ReplyDelete
  18. utkantha6:58:00 PM

    કોઈ પણ મુદ્દા માટે મત આપવા સાથે પોતાનું નામ આપવાની હિંમત ના કેળવવી જોઈએ? એટલો 'અભિગમ' કેળવાય તોય આ લેખ વાંચ્યો સાર્થક !!!

    ReplyDelete