Sunday, October 03, 2010

હોલિવુડની હિટ ફિલ્મ ‘ગાંધી’ના ભૂલાયેલા ગુજરાતી પ્રેરક મોતીલાલ કોઠારી

(ડાબેથી) વડાપ્રધાન ઈંદીરા ગાંધી, મોતીલાલ કોઠારી અને રિચાર્ડ એટેનબરો
(L to R: Mrs. Gandhi, Motilal Kothari, Richard Attenborough)

વર્ષ ૧૯૮૨. જેની આતુરતાથી રાહ જોવાતી હતી, એવી રિચાર્ડ એટેનબરોની ફિલ્મ ‘ગાંધી’ આખરે થિયેટરમાં રજૂ થઇ. થિયેટરના કૃત્રિમ અને ઉત્તેજનાપ્રેરક અંધારામાં નદીનું પહેલું દૃશ્ય ઉઘડ્યું, ટાઇટલ શરૂ થયા...‘રિચાર્ડ એટેનબરોઝ ગાંધી’ એ શબ્દો પડદા પર છવાયા. ત્યાર પછી બીજા કોઇનું પણ નામ આવે તે પહેલાં મોટા પડદા પર ત્રણ નામ આવ્યાં અને બરાબર બાર સેકંડ સુધી, સૌ કોઇ વાંચી શકે એ રીતે, પડદા પર રહ્યાં અર્લ માઉન્ટબેટન ઓફ બર્મા, કે.જી., પંડિત જવાહરલાલ નેહરૂ... અને આ બન્ને નામોની ઉપર, સૌથી પહેલું નામ હતું: મોતીલાલ કોઠારી.

પડદા પરનું આખું લખાણ આ પ્રમાણે હતુંઃ ધીઝ ફિલ્મ ઇઝ ડેડિકેટેડ ટુ મોતીલાલ કોઠારી, અર્લ માઉન્ટબેટન ઓફ બર્મા, કે.જી. એન્ડ પંડિત જવાહરલાલ નેહરૂ- વિધાઉટ હુઝ ઇન્સ્પીરેશન, અનફેઇલિંગ એડવોકસી એન્ડ ફેઇથ, ઇટ વુડ નોટ હેવ બીન મેડ.

ફિલ્મની હિંદી આવૃત્તિમાં શબ્દો હતાઃ યે ચિત્ર મોતીલાલ કોઠારી, અર્લ માઉન્ટબેટન ઓફ બર્મા, કે.જી. ઔર પંડિત જવાહરલાલ નેહરૂકો સમર્પીત હૈ, જીનકી પ્રેરણા, સમર્થન ઔર સહયોગકે બિના ઇસકા નિર્માણ સંભવ નહીં થા. (આ શબ્દો પાછળ બોલાતા પણ હતા)

ફિલ્મને મળેલા ૮ ઓસ્કારમાંથી શ્રેષ્ઠ અભિનયનો ઓસ્કાર એવોર્ડ બેન કિંગ્સ્લીને જાહેર થયો. બિનનિવાસી ગુજરાતી પિતાના પુત્ર બેન કિંગસ્લી (મૂળ નામઃ કૃષ્ણ ભાણજી) સ્ટેજ પર ગયા અને એવોર્ડ સ્વીકાર્યા પછીની માંડ આઠ-દસના ટૂંકા પ્રતિભાવમાં તેમણે કહ્યું,‘આઇ એમ કસ્ટોડિયન ઓફ ધીસ એવોર્ડ ફોર લોટ ઓફ પીપલ...ધીઝ ફિલ્મ વોઝ ડેડિટેકેટ ટુ પંડિત નેહરૂ, અર્લ માઉન્ટબેટન ઓફ બર્મા એન્ડ મોતીલાલ કોઠારી- ઓલ મેન ઓફ ગ્રેટ વિઝન એન્ડ કરેજ...’

‘ગાંધી’ જેવા મોટા પ્રોજેક્ટમાં અને તેની સફળતાની ઉજવણીની ક્ષણોમાં યાદ કરાતાં નામોમાંથી માઉન્ટબેટન અને નેહરૂને તો જાણે ઓળખ્યા, પણ તેમની હારોહાર બલ્કે ટાઇટલમાં તેમની પણ ઉપર જેમનું નામ મૂકાયું, એ મોતીલાલ કોઠારી કોણ હતા? અને એમનું નામ બધાથી પહેલું કેમ?

તેનો આછોપાતળો જવાબ ઇન્ટરનેટ પર ખાંખાખોળાં કરવાથી મળે છે: મોતીલાલ કોઠારી બ્રિટનમાં રહેતા ગુજરાતી હતા અને ભારતીય હાઇકમિશનમાં કામ કરતા હતા. નાના પાયે તે ફિલ્મનિર્માતા પણ હતા. તેમણે છેક ૧૯૬૦ના દાયકામાં ‘ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઇ’ જેવી અનેક ફિલ્મોથી જાણીતા ડાયરેક્ટર ડેવિડ લીનનો સંપર્ક કર્યો અને ગાંધીજી વિશે ફિલ્મ બનાવવા સૂચવ્યું. એ પ્રયાસ સફળ ન થતાં, કોઠારી તે સમયના વિખ્યાત અભિનેતા રિચાર્ડ એટેનબરોને મળ્યા.

એટેનબરોએ આત્મકથામાં લખ્યું છે,‘હું કોઠારીને બિલકુલ ઓળખતો ન હતો. કોઇ પાસેથી નંબર મેળવીને એમણે મને ફોન કર્યો હતો અને એ મને મળવાનો બહુ આગ્રહ કરી રહ્યા હતા. એટલે થોડા ખચકાટ સાથે હું તેમને મળ્યો.’ એટેનબરોના પિતા ગાંધીજીથી પ્રભાવિત હતા. તેની ઝાંખી છાપ એટેનબરો પર હતી. પણ ગાંધી વિશે ફિલ્મ બનાવવાનું તેમણે કદી કલ્પ્યું ન હતું.

મઘ્યમ વયના મોતીલાલ કોઠારી એટેનબરોના નોંઘ્યા પ્રમાણે ગાંધીજીના અનુયાયી હતા અને તેમની હત્યા પછી દેશ છોડીને બ્રિટનમાં વસ્યા હતા, પણ ગાંધીજીના જીવનકાર્યની કથા કહેવાવી જોઇએ, એવું તેમને તીવ્રપણે લાગતું હતું. એ તેમના જીવનનું ઘ્યેય બની ગયું હતું.

‘મારે જ ફિલ્મ ડાયરેક્ટ કરવી જોઇએ એવા મોતીલાલના આગ્રહથી મને નવાઇ લાગી.’ એવું જણાવતાં એટેનબરોએ લખ્યું છે કે ‘અમે મળ્યા ત્યારે હું સ્ટાર એક્ટર હતો ને સાવ નાના પાયે સ્વતંત્ર નિર્માતા તરીકે કામ શરૂ કર્યું હતું.’

એક વેબસાઇટ પર ફિલ્મ વિશેની વાત કરતાં એટેનબરોએ લખ્યું છે,‘૧૯૬૧ની આસપાસ ઇન્ડિયન સિવિલ સર્વન્ટ મોતીલાલ કોઠારીએ મને મહાત્મા ગાંધીનું (લુઇ ફિશરે લખેલું) જીવનચરિત્ર આપ્યું અને તેની પરથી ફિલ્મ બનાવવાની દૃષ્ટિએ પુસ્તક વાંચવા મને કહ્યું. મેં મોતીલાલને જણાવ્યું કે અગાઉ કદી મેં ફિલ્મનું ડાયરેક્શન કર્યું નથી. પરંતુ રંગભેદ વિશેના મારા વિચારોનો હવાલો આપીને મોતીલાલે આગ્રહ રાખ્યો કે મારે ગાંધી વિશેની ફિલ્મ ડાયરેક્ટ કરવાનું વિચારી જોવું.’

‘મેં પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. ૨૩મા પાને દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનો એક પ્રસંગ આવ્યો. તેમાં ગાંધી પોતાના મિત્રને કહે છે,‘પોતાના જેવા બીજા માણસનું અપમાન કરવાથી પોતાનું માન વધશે એવું લોકોને કેવી રીતે લાગતું હશે? મને હંમેશાં એ વિચારીને નવાઇ લાગે છે.’

સાવ જુવાનિયા છોકરા (ગાંધી)ના મોઢેથી આ વાત સાંભળીને એટેનબરો સ્તબ્ધ થઇ ગયા. ‘મારે મિસ્ટર કોઠારીને કહેવું હતું કે મેં તમારું ચોપડું હજુ પૂરૂં કર્યું નથી (આઇ હેવન્ટ ફિનિશ્ડ રીડિંગ યોર ડેમ બુક), પણ આ ફિલ્મ ડાયરેક્ટ કરવા માટે હું કંઇ પણ કરીશ.’ એટેનબરોએ રાત જાગીને મોતીલાલ કોઠારીએ આપેલું ગાંધીનું ચરિત્ર પૂરૂં કર્યું અને અગાઉ ડાયરેક્શનનો અનુભવ ન હોવા છતાં, ગાંધી વિશેની ફિલ્મ ડાયરેક્ટ કરવાની ગાંઠ વાળી. આત્મકથામાં એટેનબરો લખે છે,‘મેં મોતીલાલને પૂછ્યું કે તમારા પ્રોજેક્ટને ટેકો કરનાર કોઇ છે? નાણાં...નાણાંની વાત છે...તમારી પાસે ફિલમ બનાવવાનાં ફદિયાં છે?’

મોતીલાલ કોઠારીએ મુંઝવણભર્યા સ્વરે કહી દીઘું, ‘ના મિસ્ટર એટેનબરો, મારી પાસે કાવડિયું પણ નથી.
એટેનબરોને માઉન્ટબેટન સાથે પરિચય હતો. તેમની ભલામણથી વડાપ્રધાન નેહરૂને મળવાનું થયું. નેહરૂએ પ્રોજેક્ટમાં ઘણો રસ લીધો, ‘બાપુ’ની ભૂમિકા માટે અલેક ગિનેસનું નામ પણ સૂચવ્યું અને કહ્યું કે ‘જોજો, એમને
સાવ ભગવાન બનાવી ન દેતા. એ બહુ મહાન માણસ હતા.’

ત્યાર પછીના છૂટાછવાયા અંકોડા ૧૯૬૫ના એક અંગ્રેજી સામયિક પિક્ચરપોસ્ટ’માંથી મળે છે, જેના તસવીર વિભાગમાં બીજી અનેક તસવીરો વચ્ચે એક ‘સરકારી’ ફોટો છે. તેમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે મોતીલાલ કોઠારી અને રિચાર્ડ એટેનબરો ઉભેલા દેખાય છે. નીચે ફક્ત એટલું જ લખ્યું છે કે ‘ધ લાઇફ ઓફ મહાત્મા ગાંધી’ એ ફિલ્મપ્રોજેક્ટ માટે આ બન્ને જણ શ્રીમતી ગાંધીને મળ્યા હતા.

બે વર્ષ પછી, , ૧૯૬૭નાં અખબારમાં, તાજમહાલ હોટેલમાં યોજાયેલી એક પત્રકારપરિષદનો અહેવાલ મળે છે. ‘એક અપૂર્વ સાહસ. ગાંધીજીના જીવન પરથી તૈયાર થનારૂં ચિત્રપટ’ એવા મથાળા હેઠળ ‘ગુજરાત સમાચાર’માં રજૂ થયેલા અહેવાલમાં જણાવાયું છે કે ‘આંતરાષ્ટ્રીય ક્ષેત્રે જેનું બહુ મુલ્ય ગણાય એવું મહાત્મા ગાંધીજીના જીવન પરથી ચિત્ર બનાવવાનું ભવ્ય સાહસ ગાંધીજીના શિષ્ય શ્રી મોતીલાલ કોઠારી કરી રહ્યા છે.’

એ વખતે ફિલ્મ પાછળ ૯-૧૦ લાખ પાઉન્ડનો ખર્ચ થવાની ધારણા હતી. ફિલ્મના સિલસિલામાં એ લોકો વડાપ્રધાન શ્રીમતિ ઇન્દીરા ગાંધી, કાકા કાલેલકર, જયપ્રકાશ નારાયણ, પ્યારેલાલ, ગુરૂદયાળ મલીક, મામા ફડકે, રાજમોહન ગાંધી, છગનલાલ ગાંધી જેવા લોકોને મળ્યા હતા. પત્રકાર પરિષદમાં એમ પણ જણાવાયું હતું કે ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહથી ગાંધીજીની ફિલ્મની શરૂઆત થશે.’


અહેવાલમાં જણાવાયા પ્રમાણે ‘ઇન્ડે ફિલ્મ્સવાળા શ્રી મોતીલાલ કોઠારીએ જણાવ્યું હતું કે કેટલાક અનિવાર્ય સંજોગોને લીધે આ મહાન ચિત્ર તૈયાર કરવાનું કામ અમુક સમય સુધી ઢીલમાં મુકાઇ ગયું હતું. પરંતુ હવે ભારત સરકારની પરવાનગી મળી ગઇ છે. કલાકારો, દિગ્દર્શક વગેરે માટે હજી અમે વિચારણા કરી રહ્યાં છીએ.’

૧૯૬૭ પછી વઘુ ૧૫ વર્ષ વીતી ગયાં. ફિલ્મ માટે કોઇ મોટા સ્ટુડિયોનો ટેકો ન મળતાં ઠેકઠેકાણેથી નાણાં ઉઘરાવીને, આર્થિક મદદના સાટામાં ડાયરેક્શનના કરારો કરીને અને ‘માઉસટ્રેપ’ જેવા સુપરહિટ નાટકમાં પોતાના હિસ્સાના હક વેચીને અને અંગત સંગ્રહનાં કેટલાંક ચિત્રો વેચીને રિચાર્ડ એટેનબરોએ ફિલ્મ બનાવી. મોડે મોડેથી ઇન્દિરા ગાંધીની આગેવાની હેઠળ ભારત સરકારે ત્રીજા ભાગનું રોકાણ કર્યું અને સરકારી રાહે શક્ય એટલી સુવિધાઓ કરી આપી. અગાઉની ભારતીય બાબુશાહીના અનેક માઠા અનુભવો પછી આખરે એટેનબરોનું ગાડું પાટે ચડ્યું, પરંતુ ૧૯૮૦માં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું, ત્યારે મોતીલાલ કોઠારી પોતાનું સ્વપ્ન સાકાર થતું જોવા મોજૂદ ન હતા. એટેનબરોએ આત્મકથામાં નોંઘ્યા પ્રમાણે, ‘મોતીલાલ હયાત ન હતા, પણ તેમને અંજલિ તરીકે અમે એક હિંદુ પુરોહિતને બોલાવ્યા અને તેમણે કેમેરાને આશીર્વાદ આપ્યા.’

ફિલ્મ બે વર્ષમાં બની, પ્રદર્શીત થઇ અને છવાઇ ગઇ. છતાં, રિચાર્ડ એટેનબરોની -અને બેન કિંગ્સ્લીની- એટલી ગુણગ્રાહિતા કે તેમણે મોતીલાલ કોઠારીનું નામ ફિલ્મના ટાઇટલથી ઓસ્કાર સમારંભના સ્ટેજ સુધી આગળ ને આગળ રાખ્યું અને જશની ચોરી માટે કુખ્યાત ફિલ્મઉદ્યોગમાં જુદો દાખલો બેસાડ્યો.

10 comments:

  1. Kalpesh Sathwara3:19:00 PM

    Worth to know information

    Very rare backgroung information.

    People even do not listen the name of Late Shree Motilal Kothari.

    Thanks

    ReplyDelete
  2. Wow and thanks Urvish for bringing out the old Urvish again which gave us this fantastic hidden history...kudos to Shri Motilal Kothari.

    ReplyDelete
  3. મેં તો જોકે ફિલ્મ જોઈ નથી પણ આ માહિતી નવી છે!

    ReplyDelete
  4. There are so many books by Bapu and also so many written by Pyarelalji, Vitthalbhai and others and published by Navjivan, but to dedicate life for a goal of giving the world a movie on Gandhiji and to achieve it after tackling all the hurdles is a feat that has to be praised by all. Thanks for well researched article and bringing a great follower of Bapu in light.

    ReplyDelete
  5. એક આડવાત . ગાંધી આશ્રમમાં આ ફિલ્મની શુટિંગની પરવાનગી અપાઈ ન હતી. એમ કહેવાયું કે ગાંધીને કોઈ અભિનીત કરી ન શકે, ગાંધીનું પાત્ર આવે ત્યારે દીવો દર્શાવવો... એ સામે સરમણ મુન્જાએ પોરબંદરમાં દરિયાકાંઠે ઘરો પરથી ટીવી એન્ટેના ઉતરાવીને શુટિંગ રદ થતું અટકાવ્યું હતું,

    ReplyDelete
  6. મોતીલાલભાઈ ની નિષ્ઠા તથા એટનબરો અને બેન કીન્ગ્સ્લેની ખાનદાનીને લાખ લાખ સલામ. ઉર્વીશભાઈ તમે તો રંગ રાખ્યો. આભાર.

    ReplyDelete
  7. Nice one Sir! As always you have come with something informative. Thank you!

    ReplyDelete
  8. Good Effort by resp. Motilal Kothari.

    Disseminating immortality of resp. Father of Nation Shri Gandhiji,through popular media is appreciable.

    Any effort (popular media)to experience academic history of sub-continent with British's divide & rule could be converted into peace by future generation.

    With positivity we could learn to understand co-exist with difference.

    Media Cell
    (Monitoring issues affect & develop society)

    ReplyDelete
  9. સ્કૂલમાંથી અમને આ ફિલ્મ બતાવવામાં આવી હતી... ઘણાં વર્ષો વીત્યા... ફિલ્મ અદભુત હતી...(છે.) આ લેખ વાંચ્યા બાદ ફરી તે ફિલ્મ જોવાની ઇચ્છા થઇ ગઇ...

    ReplyDelete
  10. abhar urvish ji aapne pan ghani jahemat uthavi chhe.

    ReplyDelete