Tuesday, February 09, 2010

મુંબઇ સર્કસ અને નવા ખેલાડી રાહુલ

ગુજરાતીમાં ‘કરૂણતા’ ને અંગ્રેજીમાં ‘ટ્રેજેડી’ સિવાય બીજો કોઇ શબ્દ સૂઝતો નથી. મુંબઇમાં છેલ્લા થોડા સમયથી જે ચાલી રહ્યું છે એ જોયા પછી જૂની રંગભૂમિનાં ફારસો બૌદ્ધિક લાગવા માંડે.

નકારાત્મક પ્રસિદ્ધિનો પ્રાણવાયુ
‘જાને ભી દો યારોં’ જેવી ફિલ્મમાં કે ગામડાંની રામલીલામાં મહાભારત-રામાયણ ભેગા થઇ જતાં જેવા હાસ્યાસ્પદ ગૂંચવાડા સર્જાય, એવું મુંબઇ-મહારાષ્ટ્રના રાજકારણમાં બની રહ્યં છે. તેમાં ભાગ લેનારાં રાજકીય પાત્રો એટલી સ્વાભાવિકતાથી પોતાનો રોલ કરી રહ્યાં છે કે તેમની ‘નિષ્ઠા’ જોઇને ગોટાળે ચડી જવાય.

કાર્ટૂનિસ્ટમાંથી ખુદ પોતાનું કાર્ટૂનસ્વરૂપ બની ગયેલા બાળ ઠાકરે, તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે અને તેમની પારિવારિક પેઢી જેવી શિવ સેના- આ સમુહની હરકતો વિશે કંઇ ન કહેવામાં- ચર્ચા ન કરવામાં જ સાર છે. એટલા માટે નહીં કે તેમના ગુંડા આવીને તોડફોડ કરી જાય છે, પણ એટલા માટે કે નિર્માલ્ય, કરવા ખાતર થતી અથવા સમાચારોમાં મસાલો ભરવા થતી ચર્ચાઓ અને નકારાત્મક પ્રસિદ્ધિ તેમનો પ્રાણવાયુ છે. કોઇ માણસ થોડા ગુંડા કે રાજકીય પક્ષના પાટિયાના સહારે લોકશાહી અને બંધારણનાં તમામ મૂલ્યોને તોડીફોડી,બાળી કે ખોદી કાઢે અને એવી ગુંડાગીરી વિશે ફક્ત ચર્ચા જ થાય એ કેવું? જાગ્રત નાગરિકો ફક્ત ચર્ચા જ કરી શકવાના હોય, જાગૃતિ ફક્ત ચર્ચાથી અટકી જવાની હોય તો એનો શો અર્થ?

નમાલી ચર્ચાનાં નવાં માઘ્યમોમાં ન્યૂઝ ચેનલો ઓછી પડતી હોય તેમ ઇન્ટરનેટનો ઉમેરો થયો છે. સાયબર ટેરરિઝમની જેમ સાયબર એક્ટિવિઝમ વિશે પણ ચિંતા થવી જોઇએ. ઇન્ટરનેટ પર ચાલતી ઝુંબેશોમાં નામ એન્ટર કરી દેવાથી કે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પરનાં ગુ્રપમાં ગરમાગરમી કરવાથી કશું વળતું નથી અને ચર્ચા કરનારને જાગૃતિનો ઓડકાર આવી જાય છે. ગરમી ઉડી જાય છે અને સૌ પોતપોતાના રસ્તે.

શિવ સેના, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કે બીજા કોઇ પણ રાજકીય પક્ષોની ગુંડાગીરી સામે કડક કાનૂની કાર્યવાહી સિવાય બીજો કોઇ વિકલ્પ ન હોઇ શકે. નાગરિક સમાજની તમામ કાર્યવાહી અને તમામ જાગૃતિનો પ્રવાહ કાનૂની કાર્યવાહીની માગણીની દિશામાં વળવો જોઇએ. પરંતુ, જાહેર જીવનની ચળવળોમાં સંતોષી સ્વભાવ બહુ નડી જાય છે. નિષ્ફળતાથી કે લાંબી લડતથી નિરાશ ન થવું એક વાત છે અને પહેલી તકે સંતોષ પામી જવો (‘આટલું પણ કોણ કરે છે!’) એ બન્નેમાં ફરક છે. સંતુષ્ટ થઇ જવાનાં ખરાબ પરિણામ ઓછાં હોય તેમ, હવે ‘આટલું પણ કોણ કરે છે!’ની ત્રિરાશી પ્રમાણે, કોઇ સળવળે તો એને ‘હીરો’ ને ‘લડવૈયો’ જાહેર કરી દેવામાં આવે છે. દા.ત. શાહરૂખ ખાન. શાહરૂખે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો એ સારી વાત છે. એને વળગી રહ્યો એ વધારે સારી વાત છે. પણ હીરો? એ વિશેષણ જરા- જરા નહીં, ઘણું વધારે પડતું છે. જે દેશમાં માંડ સાત દાયકા પહેલાં સામાન્ય જનતા લાઠીધારી પોલીસની ફોજ સામે માર ખાવા ધસી જતી હતી, એ દેશમાં હવે કોઇ બે લીટી બોલે ને હીરો બની જાય, એનાથી વધારે દુર્દશા કઇ હોઇ શકે?

સાત દાયકા પહેલાંની લડાઇ આઝાદી માટે હતી, તો અત્યારની લડાઇ પણ આઝાદી માટે નથી? ગુંડાગીરીથી આઝાદી, ખંડણીખોરીથી આઝાદી, પ્રાંતવાદથી આઝાદી, પરિવારવાદથી આઝાદી, ભ્રષ્ટાચારથી આઝાદી, ગરીબીથી આઝાદી....રાજકીય આઝાદી માટે લડતી વખતે આશા હતી કે એક વાર રાજકીય આઝાદી આવ્યા પછી બીજી આઝાદી માટે ઝઝુમવું નહીં પડે, પણ આઝાદીના છ દાયકા પછી ચક્કર અવળી દિશામાં ફર્યું છે અને એકેએક ક્ષેત્રે આઝાદી માટે લડાઇ છેડવી પડે એવા સંજોગો પેદા થયા છે. એટલે જ, મેસર્સ ઠાકરે એન્ડ સન્સને બાકીના રાજકારણથી અલગ કે એકલદોકલ રાજકીય ટોળકી તરીકે જોવાની જરૂર નથી. બીજા રાજકીય પક્ષોના ટેકા વિના તેમનું ટકી રહેવું અશક્ય છે. પરસ્પરાવલંબન બગાઇ અને ઢોર વચ્ચે જ હોય એવું થોડું છે?

મોઢામાં મગ, મનમાં ફડકો
શિવ સેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની અસહ્ય દાદાગીરી અને ગુંડાગીરીના માથે ગૌરવનો મુગટ ચડાવવાનું કામ બીજા રાજકીય પક્ષોએ કર્યું છે. શિવ સેનાના મુસ્લિમદ્વેષી રાજકારણથી ‘આવ ભાઇ હરખા’ની ખુશી અનુભવતો ભાજપ તો શિવ સેનાનો રાજકીય ભાગીદાર છે. તેમની યુતિને, મુસ્લિમદ્વેષ બાકાત રાખીને, ફક્ત રાજકીય ગોઠવણ તરીકે જોવામાં ભોળપણ છે. ઠાકરેનાં ઉલટાંસીધાં નિવેદનોથી અનેક વાર ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા પછી પણ, મુસ્લિમદ્વેષની મજબૂત ગાંઠથી ભાજપ-સેના બંધાયેલાં છે. કહેવું હોય તો તેને ‘વિચારધારાકીય જોડાણ’ કહી શકાય. એટલે જ, શિવ સેનાનાં પરાક્રમો વિશે બોલવાનું આવે ત્યારે ભાજપ ‘સબ સે ભલી ચૂપ’ની મુદ્રામાં આવી જાય છે. પણ કોંગ્રેસ શા માટે મોઢામાં મગ ભરીને બેસી જાય છે, એ સમજવું સહેલું ને સ્વીકારવું અઘરૂં છે.

રાજકારણમાં હંમેશાં કાંટાથી કાંટો નીકળતો નથી. એમ કરવા જતાં ક્યારેક એકને બદલે બે કાંટાની અણી ખાવાનો વારો આવે છે. કોંગ્રેસને તેનો અનુભવ થઇ રહ્યો છે. કેન્દ્રમાં અને રાજ્યમાં પોતાની સરકાર હોવા છતાં, મુંબઇ હુમલા પછીના દિવસોમાં નવા મુખ્ય પ્રધાન નક્કી કરવાથી માંડીને રાજ ઠાકરે-બાળ ઠાકરેનો ઉત્પાત દબાઇ-ચૂમાઇને વેઠી લેવામાં કોંગ્રેસે બધી લાજશરમ મૂકી દીધી છે. એટલું જ નહીં, સરકાર તરીકે ગુંડાગીરી સામે મક્કમ હાથે કામ લેવાને બદલે, નિષ્ક્રિય રહીને કોંગ્રેસે ગુંડીગીરીને આડકતરૂં પ્રોત્સાહન આપ્યું છે. એટલે મુંબઇમાં જે કંઇ નાટકબાજી જોવા મળે છે, તેમાં કોંગ્રેસ સરખા હિસ્સે અને શાસક તરીકે વધારે પ્રમાણમાં જવાબદાર છે. તેની નિર્માલ્યતાથી ગુંડાગીરીના માથે બહાદુરીનો કળશ ચડ્યો છે. ‘મને આંગળી પણ અડાડી તો મુંબઇ ભડકે બળશે’ એવી ફિશિયારીઓ સચ્ચાઇ તરીકે ત્યારે જ સ્થપાઇ શકે, જ્યારે સરકારમાં પાણી ન હોય.

એક બાળ ઠાકરેને મોટા ભા કર્યાનું પાપ ઓછું હોય તેમ, કોંગ્રેસે તેમનાથી અલગ પડેલા રાજ ઠાકરેના અનિષ્ટમૂલ્યને પણ પોતાની ગુનાઇત નિષ્ક્રિયતાથી જોતજોતામાં આસમાને ચડાવી દીઘું છે.
- અને હવે ઉદ્ધારકની ભૂમિકામાં પેશ થયા છે રાહુલ ગાંધી.

કુંવરનાં કામણ
રાજીવ ગાંધીનો રાજકારણમાં પ્રવેશ વંશપરંપરાગત રાજકારણનો વરવો નમૂનો ગણાઇને યોગ્ય રીતે જ ટીકાને પાત્ર બન્યો હતો. રાહુલ ગાંધીનો કિસ્સો જરા અલગ છે. તેમની મુખ્ય લાયકાત ‘ગાંધી’ અટક જ છે, એમાં બેમત નથી. પણ રાહુલ ગાંધીયુગ આવતાં સુધીમાં દેશના તમામ પક્ષોના નેતાઓ, કોંગ્રેસના કુટુંબવાદને ગાળો દેતાં દેતાં, પોતપોતાનાં સંતાનોને આંગળીએ વળગાડીને રાજકારણમાં લઇ આવ્યા છે. હવે કોણ કોની પર પરિવારવાદનો આરોપ મૂકે?

આમ, રાહુલ ગાંધી પરનો એક આરોપ ઉડી જાય છે. સોનિયા ગાંધીનું ઇટાલિયન મૂળ હજુ પણ કેટલાક વાક્ચતુર નેતાઓને પ્રહાર કરવા લાયક મુદ્દો લાગે છે. રાહુલના પ્રક્ષેપણ/પ્રોજેક્શન પછી વિદેશી મૂળનો સવાલ પણ રહેતો નથી. આ બન્ને બાબતોમાં રાહુલ ગાંધીની કોઇ કમાલ ન હોવા છતાં, એ તેમના પલ્લામાં રહેલી સૌથી વજનદાર બાબતો બની રહી છે. મરચું ઉગે ત્યારે લીલું હોય ને પછી લાલ થાય, એ પણ રાહુલને ખબર છે. પોતાનું સામાન્ય જ્ઞાન સુધારવા માટે અને પ્રભાવ વિસ્તારવા માટે તે ગામડાંના પ્રવાસ કરતા રહે છે. ગરીબો સાથે હળવામળવાનો ખેલ તેમને ઠીક ફાવી ગયો છે. (બીજા ઘણા તો એ ખેલ જેવા ખેલમાંથી પણ ગયા છે.)

‘સસ્તું ભાણું ને તત્કાળ ઓડકાર’ માટે તલસતાં પ્રસાર માઘ્યમો અને તેમના બહુમતિ દર્શકોને રાહુલ ગાંધીનાં આયોજનો પ્રવાસો બહુ માફક આવે છે. કારણ કે તેમાં ભરપૂર નાટકીયતા હોય છે. નેતાઓનાં નાટારંગમાં પ્રસાર માઘ્યમો એવાં હિલોળે ચડે છે કે અઘરા પ્રશ્નો પૂછવાના બાજુ પર રહી જાય છે અને રાહુલ કેટલા હેન્ડસમ લાગે છે અને લોકો તેમને જોઇને કેવા અંજાઇ ગયા તેની ગંભીરતાથી ચર્ચાઓ થાય છે.

રાહુલ ગાંધી કોંગ્રેસી નેતા નવી શરૂઆત કરવા માગતા હોય તો સારી વાત છે, પણ કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે એ મુંબઇની મુલાકાત આવ્યા હોય ત્યારે તેમની પાસેથી મહારાષ્ટ્ર કોંગ્રેસની નિષ્ક્રિયતાનો ખુલાસો મળે એવી અપેક્ષા હોય. એને બદલે સમાચારોમાં રાહુલનો ફિલ્મી ડાયલોગ છવાઇ જાય છે. (‘મારી માતા ઇટાલિયન છે ને પિતા મુંબઇમાં જન્મ્યા હતા. મારા પરદાદા અલાહાબાદના ને હું દિલ્હીમાં રહું છું. તો હું ક્યાંનો કહેવાઊં?’) રાહુલની હિંમતનાં અને સરળતાનાં વખાણ થાય છે. બઘું બરાબર, પણ પોતાના જ પક્ષની સરકાર હોવા છતાં, રાહુલને શા માટે મુંબઇ આવવું પડ્યું અને લોકસંપર્ક કાર્યક્રમ કરવો પડ્યો, એ સવાલની અણી નાટકીયતાની જાજમ તળે દબાઇ જાય છે.

ઠાકરે મંડળી સામે ખરેખર બોલવાની અને પગલાં લેવાની જરૂર હતી ત્યારે કોંગ્રેસ અને ભાજપ બન્નેની સ્થાનિક અને રાષ્ટ્રીય નેતાગીરીએ મૌન સેવ્યું હતું. હવે બિહાર અને ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓ આવતી હોવાથી, ભાજપને પહેલી વાર ઠાકરે કંપનીના હિંદીભાષી વિરોધી વલણ સામે ખટકો જાહેર કરવો પડ્યો છે. ચૂંટણીના જંગમાં અને જાહેર જીવનમાં છેલ્લા થોડા સમયથી શિવ સેનાનું પ્રભાવક્ષેત્ર સંકોચાતું રહ્યું છે, પરંતુ તેનો આનંદ ભાગ્યે જ લઇ શકાય એમ છે. કારણ કે, શિવ સેનાનો અસ્ત થાય તે પહેલાં, શિવ સેનાની જુવાન આવૃત્તિ જેવી રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મેદાનમાં આવી ચૂકી છે. ગાળાગાળી અને મારામારી કરવાનો તેમને જરાય છોછ નથી. ગમે તેવાં ઉશ્કેરણીજનક વિધાનો કરવાં ને પોતાનું ધાર્યું ન થાય ત્યારે ગુંડાગીરી આચરવી, એ ‘મનસે’ના ડીએનએમાં છે. ઉપરાંત, ચિંતા કરાવનારૂં સૌથી મહત્ત્વનું પરિબળ છે વારંવારના ફટકા ખાધા પછી પણ ન સુધરવા માગતી કોંગ્રેસ. કારણ કે સેના-માનસિકતાના બીજને સાનુકૂળ ખાતરપાણી આપવાની કુસેવા કોંગ્રેસે કરી છે.

વરસના વચલા દિવસે રાહુલ ગાંધી આવીને ભલે મુંબઇવિજયનો ખેલ પાડી જાય, પણ વિજયની એ લાગણીને અંગત ટ્રોફી તરીકે રાખવાને બદલે આમઆદમી સુધી પહોંચાડવી હોય, તો દરેક પ્રકારની ગુંડાગીરીને કડકાઇથી ડામી દેવાનું કૌવત કોંગ્રેસે બતાવવું પડશે.

એવું થાય તો પછી રાહુલ ગાંધીએ જાતે મુંબઇ આવવાની જરૂર નહીં રહે.

3 comments:

  1. સરસ લેખ, ઉર્વીશભાઈ! કોંગ્રેસની આ સ્થિતપ્રજ્ઞતા પરથી સૌમ્ય જોશીની પેલી કવિતા યાદ આવે છે - 'ભેંસ તો સ્થિતપ્રજ્ઞ'... કોંગ્રેસ આ ભેંસ જેવી છે. મોં પરથી માખી પણ ના ઉડાડે ને ત્યાં ને ત્યાં વર્ષોથી બેસી રહે. પ્રજાને બીજાની બીક બતાવ્યા કરે કે અમને વોટ નહિ આપો તો આવા લોકો રાજ કરશે. કોંગ્રેસની આ જૂની પોલીસી છે.

    ReplyDelete
  2. ઉત્પલ ભટ્ટ11:21:00 PM

    રાજકીય પક્ષોનું પક્ષપાત વિના વિશ્લેષણ કરતો ૨૦૧૦ નો શ્રેષ્ઠ લેખ કે જે વાંચીને ભારોભાર દુઃખ જ થઈ શકે છે. ફક્ત ચર્ચાબહાદુર નથી બનવું એટલે બસ આટલું જ!

    ReplyDelete
  3. કોઈ પણ લેવલે ભારતની સરખામણીમાં મગતરા સમાન પાકિસ્તાનની ભારોભાર અવગણના કરવાને બદલે તેની સામે ખોટા ખોટા હાકલા- પડકારા કરીને કશુંજ નહિ ઉકાળી સકતી શિવસેના અરુણાચલ પ્રદેશમાં ચીનના ઘૂરકિયા સામે રેતીમાં માથું ખોસીને બેસી જાય છે એ નરી હકીકત છે, નક્કર દેશપ્રેમનો પરચો આપવાને બદલે ફિલ્મોના પોસ્ટરો ફાડીને સંતોષ માની લેતી કે દસ રૂપિયાના બે તિરંગા લઈને ગાડીના ડેશબોર્ડ પર મૂકી દઈને દેશભક્તિના ઓડકારો ખાઈ લેતી નમાલી પ્રજા આપણા દેશમાં હશે ત્યાં સુધી લબાડ રાજકીય પક્ષો ની દુકાનો આપણા દેશમાં ચાલતી રેહવાની છે

    ReplyDelete