Wednesday, December 29, 2010
કેટલાક કાંદા-લીક્સ
Sunday, December 26, 2010
ફિલ્મોની ટ્રીક ફોટોગ્રાફીના પરદાદા બાબુભાઇ મિસ્ત્રીની વિદાય

સંશોધક મિત્ર હરીશ રઘુવંશીના ફોનથી જાણ થઇ કે બાબુભાઇ મિસ્ત્રી 19 ડિસેમ્બર, 2010ના રોજ ગયા. હરીશભાઇએ સમાચાર જાણ્યા પછી બાબુભાઇના ઘરે ફોન કરીને તેમનાં બહેન સાથે વાત કરીને ખરાઇ કરી હતી. 5 સપ્ટેમ્બર, 1916ના રોજ જન્મેલા બાબુભાઇ હિંદી ફિલ્મોના ડિરેક્ટર-કેમેરામેન તો ખરા જ, પણ તે જાણીતા બન્યા તેમની ટ્રીક ફોટોગ્રાફી અને ‘કાલા ધાગા’ ટેકનિકથી.
થોડાં વર્ષો પહેલાં મુંબઇમાં બાબુભાઇ મિસ્ત્રીના ઘરે ગયો ત્યારે તેમના ભત્રીજા સાથે સારી એવી વાતચીત થઇ હતી. બાબુભાઇના થોડા ફોટા પણ લીધા હતા. (ડિજિટલ કેમેરા ન હોવાથી ફોટાની ગણતરી રાખવી પડતી હતી.) બાબુભાઇ ગળાના કેન્સરને લીધે માંડ ફફડાટ જેવું બોલી શકતા. છતાં વાતોમાં એ પણ યથાશક્તિ સામેલ હતા. એ વખતે ‘ગુજરાત સમાચાર’ની શતદલ પૂર્તિમાં આવતી મારી કોલમમાં લખેલો લેખ અને હરીશભાઇએ થોડા સમય પહેલાં તેમની દિવ્ય ભાસ્કરની કોલમમાં લખેલો લેખ બાબુભાઇ મિસ્ત્રીને વિદાયની અંજલિ તરીકે મૂક્યા છે.
(click to enlarge)


Thursday, December 23, 2010
‘બત્રીસ કોઠે હાસ્ય’ને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક




Wednesday, December 22, 2010
ભાવિ ભારતકથાઃ રાડિયા પછીનું ડહાપણ
Tuesday, December 21, 2010
અશ્વિની ભટ્ટના ચાહકો-સ્નેહીઓ માટે

Ashwinee Bhatt with mother Sharadkanta Harprasad Bhatt
અશ્વિનીભાઇનાં મા શરદકાન્તા ભટ્ટનું 9 ડિસેમ્બર, 2010ના રોજ અમેરિકામાં અવસાન થયું. ચાર-પાંચ દિવસ પછી તેમણે ફોનથી આ સમાચાર આપ્યા અને ઘણાં વર્ષ પહેલાં તેમણે લખેલો મા વિશેનો લેખ હાથવગો હોય તો મોકલવા કહ્યું. મારા ખજાનામાંથી એ ન મળ્યો એટલે પ્રણવ (અધ્યારુ)ને વાત કરી. તેણે એ શોધી આપ્યો. બાને અંજલિરૂપે એ લેખ જ અહીં મૂક્યો છે.
ચૌદ-પંદર વર્ષ પહેલાં, અભિયાનની મુંબઇ ઓફિસથી નવેનવો અમદાવાદ ઓફિસ આવ્યો ત્યારે અશ્વિનીભાઇના બંગલાના ઉપરના માળે સત્તાવાર ઓફિસ હતી, પણ હકીકતે બંગલા અને ઓફિસ વચ્ચે, ઓફિસ અને પરિવાર વચ્ચે કોઇ ભૌતિક કે માનસિક દીવાલ ન હતી. બપોરે હું મારું ટિફીન લઇને નીચે અશ્વિનીભાઇ સાથે જમવા જતો. એ વખતે ટિફીનની ભાખરીની સાથે ઘણી વાર બાની બનાવેલી ગરમ રોટલી પણ મળતી. એ વખતે બાની ઉંમર 80 તો ખરી જ. માનસશાસ્ત્રી-શિક્ષક-મેડમ મોન્ટેસરીને મળી ચૂકેલા, પચાસ-સાઠના દાયકામાં શેઠિયાઓ સાથે જમવાની ‘ફી’ વસૂલ કરતા અને વટભેર શેઠિયા જેવો બંગલો બનાવનારા શિક્ષક હરપ્રસાદ ભટ્ટનાં જીવનસંગિની એવાં બા સાથે તેમના ચિરંજીવી અશ્વિનીભાઇ વિશે બહુ વાતો કરવાની ન થઇ. પણ તેમનો વૃદ્ધ છતાં ગૌર અને ગરવાઇભર્યો ચહેરો મનમાં અંકાઇ ગયો છે.
(click for larger view)
ન્યાયતંત્રઃ ધોવાતી વિશ્વસનિયતા, ધરખમ વિશેષાધિકાર
Saturday, December 18, 2010
ગેંડો છે પણ ગેંડો નથી, માલિક છે પણ માલિક નથી
જાહેરખબરોમાં ઘણી વાર જે દેખાય છે તે હોતું નથી. તેના બે નમૂના.
ગેંડા દોરીની જાહેરખબરમાં ગુજરાતીમાં લખ્યું છે ગેંડા અને દોર્યું છે રીંછ. અંગ્રેજીમાં પણ લખ્યું છે Bear.. ગેંડાને બદલે ભાલુ લખ્યું હોત તો શું જતું હતું?

Thursday, December 16, 2010
જનતા ‘પાર્ટી’?

રેલવે સ્ટેશનના સ્ટોલ પર ‘જનતા ખાના’નું પોસ્ટર જોઇને નવાઇ લાગી. ફક્ત 10 રૂપિયામાં 7 પુરી, 150 ગ્રામ ભાજી, અથાણું અને એક લીલું મરચું- આ તો ખરેખર સસ્તું કહેવાય, પણ આવું હોય ખરું? ભલું પૂછવું. રેલવેમાં મંત્રીઓને તુક્કા બહુ આવતા હોય છે. મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતવાની તૈયારી તરીકે આખા દેશમાં આવી કોઇ સ્કીમ કાઢી હોય તો કોને ખબર?
મનમાં આવા વિચારો સાથે સ્ટોલના માલિકને જનતા ખાના વિશે પૂછ્યું. એ ચહેરેથી ઓળખે. એટલે ખુલ્લાશથી વાત કરી. ‘આવું જનતા ખાના મળે છે?’ એવું પૂછ્યું, એટલે એ હસીને ‘આવું તે કંઇ હોતું હશે? કેવી વાત કરો છો’ના અંદાજમાં કહે છે, ‘ના રે ના. આ તો રેલવેવાળાને લીધે લગાડવું પડે. બાકી કેવી રીતે પોસાય?’ મને બીજા પણ પેટાસવાલ થયાઃ જનતા ખાના કોને મળે? બહારથી કોઇ પ્લેટફોર્મ પર લેવા આવે તો તેને અપાય?
મેં પૂછ્યું, ‘પોસ્ટર લગાડીને જનતા ખાના આપો નહીં તો કોઇ કકળાટ ન કરે?’ એટલે સ્ટોલના માલિકે ભારોભાર આદર સાથે કહ્યું, ‘આપણી પબ્લિક સમજુ છે. એ પણ સમજે છે કે આટલા રૂપિયામાં તો કંઇ આટલું ખાવાનું મળતું હશે? એટલે કોઇ તકરાર કરતું નથી.’
પબ્લિક ખરેખર બહુ સમજુ છે...
Wednesday, December 15, 2010
સિંહ અને શિયાળની વિકાસવાર્તા
Sunday, December 12, 2010
મનચાહી ડિંગ મારવાનું વિજ્ઞાન

દિવ્ય, મહા, સત્સંગ, હીલિંગ....આ બધી ચટણીઓ એવી છે કે તે નાખવાથી ગમે તેવાં વાસી મઠિયાં-પૂરી-સકરપારા-મમરાની ભેળપૂરી સ્વાદિષ્ટ બને અને ચપોચપ વેચાઇ જાય.
ઉપરની તસવીરમાં દેખાતા ભાઇ આખી વાતમાં ‘વિજ્ઞાન’ શું કરવા લઇ આવ્યા હશે? અને પોતાની મનચાહી ચીજો પ્રાપ્ત કરવા માટે આમ શહેર શહેર શા માટે ભટકતા હશે?
Friday, December 10, 2010
મારા વતન તળાજાના ખેડૂતો પાસેથી સાંભળીને ગુજરાતી શીખ્યો : ‘રાજનીતિ’ના લેખક અંજુમ રજબઅલીઃ

Anjum Rajabali at Nadiad
પરમ મિત્ર-આચાર્ય અને દૃષ્ટિવંત આયોજક હસિત મહેતાના પ્રતાપે નડિયાદમાં બે દિવસનો સાહિત્યકૃતિ પરથી ફિલ્મની રૂપાંતરણ પ્રક્રિયા અંગેનો સેમિનાર યોજાઇ ગયો. હસિત મહેતા જેના આચાર્ય છે તે નડિયાદની યુ.ટી.એસ. મહિલા કોલેજ ઉપરાંત દિલ્હી અને ગાંધીનગરની સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે 4 અને 5 ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમ હતો. તેમાં ભાગ લેવા માટે આવેલા ફિલ્મલેખક અંજુમ રજબઅલી સાથે થયેલી મુલાકાતનો ટૂંકો અહેવાલ.

પ્રકાશ ઝાની હિટ ફિલ્મ ‘રાજનીતિ’ના લેખક અંજુમ રજબઅલી છેલ્લાં 18 વર્ષથી ફિલ્મલેખનમાં સક્રિય છે. ગોવિંદ નિહલાની જેવા પ્રતિષ્ઠિત નિર્દેશકની ફિલ્મ ‘દ્રોહકાલ’થી લેખન કારક્રિર્દીની શરૂઆત કરનાર અંજુમનું વતન છે સૌરાષ્ટ્રનું તળાજા. બાળપણનાં ચાર વર્ષ તળાજામાં વીતાવ્યા પછી અંજુમને તેમના પિતા યાકુબભાઇ રજબઅલીએ મુંબઇ ભણવા માટે મોકલ્યા.
મુંબઇ, બેલગામ અને પૂનામાં અભ્યાસ કરનાર અને સાયકોલોજીમાં એમ.એ. થયેલા અંજુમ રજબઅલીનો ગુજરાત અને ગુજરાતી સાથેનો નાતો જીવંત રહ્યો છે. નડિયાદની યુ.ટી.એસ.મહિલા આર્ટ્સ કોલેજના ઉપક્રમે સાહિત્યકૃતિમાંથી ફિલ્મના રૂપાંતર અંગેના પરિસંવાદમાં ભાગ લેવા માટે આવેલા અંજુમ રજબઅલી ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં કહે છે, ‘બહાર ભણતો હોવા છતાં દર વર્ષે ઉનાળામાં બે મહિના અને દિવાળીમાં એક મહિનો તળાજા આવવાનું થતું હતું. મારા પિતા ખેડૂત હતા. તળાજામાં અમારી ખેતીવાડી. એટલે હું કાઠિયાવાડી ખેડૂતોનું ગુજરાતી સાંભળીને ભાષા શીખ્યો.’
પોતાની જાતને ‘અંગ્રેજી વાંચતા અને ગુજરાતી સાંભળતા’ જણ તરીકે ઓળખાવનાર અંજુમનું સૌથી મોટું પ્રદાન એ છે કે તેમના સતત પ્રયાસ અને પહેલને કારણે વર્ષ 2004માં ભારતમાં પહેલી વાર ફિલ્મલેખન માટેનો અભ્યાસક્રમ (પૂનાની ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં) શરૂ થયો. એ વિશે વાત કરતાં અંજુમ કહે છે, ‘મેં ફિલ્મલેખનની કોઇ તાલીમ લીધી નથી. કારણ કે વિશ્વભરમાં સૌથી વધુ ફિલ્મો બનાવતો દેશ ભારત હોવા છતાં ભારતમાં ફિલ્મલેખન શીખવતી કોઇ વ્યવસ્થા મોજુદ ન હતી. તેની સરખામણીમાં અમેરિકામાં ફિલ્મલેખન શીખવતી 440 સંસ્થાઓ હતી. તાલીમસંસ્થા ન હોવાને કારણે આ ક્ષેત્રમાં આવવા ઇચ્છનારને કેટલી તકલીફ પડે તેનો મને જાતઅનુભવ છે. મને જે મુશ્કેલી પડી તે મારા પછી આવનાર લોકોને ન પડે એ આશયથી મેં સરકાર સાથે પત્રવ્યવહાર કરીને, પાછળ પડીને પૂનામાં ફિલ્મલેખનનો અભ્યાસક્રમ દાખલ કરાવ્યો. ત્યાર પછી મુંબઇમાં સુભાષ ઘાઇની સંસ્થા વ્હીસલવુડમાં પણ મેં એ કોર્સની શરૂઆત કરી.’
અંજુમને ફિલ્મલેખન ક્ષેત્રે આગળ કરનાર હતા તેમના મિત્ર (શબાના આઝમીના ભાઇ) બાબા આઝમી. ‘તેમના આગ્રહના જોરે મેં પહેલી વાર 1992માં ફિલ્મલેખનની શૈલીમાં કંઇક લખ્યું. એ વાંચીને બાબા આઝમીએ મને કહ્યું કે મારી ફિલ્મ બને કે ન બને, પણ તું લખવાનું ચાલુ રાખજે.’ અંજુમ કહે છે, ‘એ બનાવના થોડા મહિના પછી આકસ્મિક રીતે એક મિત્રએ મારી ઓળખાણ ગોવિંદ નિહલાની સાથે કરાવી. એ રીતે તેમની ફિલ્મ દ્રોહકાલમાં સ્ક્રીપ્ટનું સહલેખન કર્યું.’
બાકાયદા તાલીમ ન હોવાને કારણે અંજુમે ફિલ્મલેખન શીખવા માટે દેશી પદ્ધતિ અપનાવી. ‘હું અઢળક ફિલ્મો જોઉં. ફિલ્મ જોઇને મારી રીતે તેની સ્ક્રીપ્ટ લખું અને તેની પર વિચાર કરું કે ફિલ્મના લેખકે આ લખતી વખતે શું ધ્યાનમાં રાખ્યું હશે અથવા અમુક સીન લખતી વખતે તેમના મનમાં શું હશે.’ વિજ્ઞાનની ભાષામાં ‘રીવર્સ એન્જિનિયરિંગ’ કહી શકાય એવી આ પદ્ધતિ પ્રમાણે અંજુમે ઘણી ફિલ્મો જોઇને પ્રેક્ટિસ તરીકે તેની સ્ક્રીપ્ટ લખી. આ પ્રક્રિયામાં તેમને જે ફિલ્મોમાંથી બહુ શીખવા મળ્યું એવી ફિલ્મોમાંથી અંજુમે આપેલાં કેટલાંક નામઃ મધર ઇન્ડિયા, ગંગાજમના, અર્ધસત્ય, આક્રોશ, મંથન, દીવાર, નાયકન.
ગોવિંદ નિહલાની માટે તેમણે ‘દંશ’ અને ‘દહન’ એમ બીજી બે સ્ક્રીપ્ટ પણ લખી હતી. એ પ્રોજેક્ટ પર કામ આગળ ચાલ્યું નહીં, પણ પહેલાં ‘ઝખ્મી’ નામથી તૈયાર થયેલી ફિલ્મ ગુલામ, ચાયના ગેટ, પુકાર, લીજેન્ડ ઓફ ભગતસિંઘ, જેવી ફિલ્મોથી અંજુમ રજબઅલી સફળ ફિલ્મલેખક તરીકે સ્થાપિત થઇ ગયા.
‘કળા અને કસબના મિશ્રણ જેવું ફિલ્મલેખન શીખવી શકાય?’ એવા સવાલના જવાબમાં ભારતમાં ફિલ્મલેખનના શિક્ષણના સ્થાપક એવા અંજુમ નિખાલસતાથી કહે છે, ‘કળાનો ભાગ વ્યક્તિની પોતાની અંદરથી- તેના પોતાના અનુભવોમાંથી આવે છે, જ્યારે ક્રાફ્ટિંગ-કસબના મૂળભૂત સિદ્ધાંતો સમજાવી શકાય છે. ફિલ્મલેખન શીખી શકાય. શીખવાડી ન શકાય. હું વિદ્યાર્થીઓને એ લોકો કેવી રીતે શીખી શકે, એ પ્રક્રિયામાં મદદરૂપ થાઉં છું. તેમને શીખવતો નથી.’
ફિલ્મઉદ્યોગમાં લેખનના મહત્ત્વ અંગે અંજુમ કહે છે, ‘લેખકોનું સ્થાન સૌથી છેલ્લું ગણાતું હતું. બધી તૈયારીઓ થઇ જાય, બાકીના બધા નક્કી થઇ જાય ત્યાર પછી લેખકની શૌધ કરવામાં આવતી હતી. હવે પરિસ્થિતિ બદલાઇ રહી છે અને લેખનનું મહત્ત્વ વધી રહ્યું છે. એટલે જ ફિલ્મલેખનના અભ્યાસક્રમોને સતત વિદ્યાર્થીઓ મળી રહે છે.’
‘ગુજરાતી સાથેનો નાતો જીવંત છે, તો ગુજરાતીમાં ફિલ્મ લખવાની ઇચ્છા ખરી?’ એનો જવાબ આપતાં અંજુમ કહે છે, ‘એ વિશે હું માત્ર પોઝિટિવ જ નહીં, આતુર છું. ચોક્કસ જ મને ગુજરાતી ફિલ્મ લખવાનું મન છે. મારી લિખિત ભાષા કોઇ પાસે થોડીઘણી સરખી કરાવવી પડે. તેમ છતાં ગુજરાતી ફિલ્મ લખવી એવો મારો ઇરાદો તો છે જ.’
રામાયણઃ લીક થયેલી ટેપ્સ અને અહેવાલોના આધારે
Wednesday, December 08, 2010
રાડિયા અને મીડિયાઃ નૈતિકતા? કિસ ખેતકી ચિડીયા?
ચોથી જાગીરની બાંધી મુઠ્ઠી વધુ એક વાર ખુલી ગઇ છે. હજુ સુધી કોઇ પત્રકાર સામે સાબીત થવાનું તો બાજુ પર રહ્યું, કોઇ ગુનો પણ નોંધાયો નથી. સામે પક્ષે, આરોપીઓ પત્રકાર હોવાને કારણે તેમણે પોતાને મળતી જગ્યામાં મજબૂત ખુલાસા પણ કર્યા છે. છતાં, ટેલીફોન ટેપીંગમાં ઝડપાયેલી વાતચીતોમાં કેટલાક મોટા પત્રકારોની અને એકંદરે આખા વ્યવસાયની વિશ્વસનીયતા ટીકા તથા શંકાને પાત્ર બની છે.
થોડાંઘણાં જાગ્રત પ્રસાર માધ્યમોમાં એક સૂર એવો પણ સંભળાઇ રહ્યો છે કે ‘જોજો, મીડિયાની પ્રતિષ્ઠાનું નાહી નાખવામાં અતિરેક ન થાય અને સૂકા ભેગું લીલું ન બળે.’ નીતિમત્તામાં ઓછી બાંધછોડ કરનારાં પ્રસાર માધ્યમોને ચિંતા છે કે રાજકારણીઓની જેમ મીડિયા વિશે પણ ‘બધા ચોર છે’ એવી માન્યતા ઘર ઘાલી જશે તો સમાજને ઘણું નુકસાન થશે. તેમની ચિંતા બિનપાયેદાર કે કવેળાની ભલે ન હોય, એક સિદ્ધાંત તરીકે તેમાં સંમતિ જ હોય, છતાં આ તબક્કે તેમની સૈદ્ધાંતિક ચિંતામાં સૂર પુરાવવાનું અઘરું લાગે છે.
કબૂલ કે પ્રસાર માધ્યમોમાં હજુ ઉજ્જવળ અપવાદો છે, જે પત્રકારત્વના હાર્દને સમજે-જાળવે-અનુસરે છે, જે કોર્પોરેટ જગત સામે પૂંછડી પટપટાવતા કે લાળ ટપકાવતા નથી, જે હકથી લાંચ માગતા નથી અને બ્લેકમેઇલિંગને કર્મસિદ્ધ હક ગણતા નથી, જે ‘સમાજ પ્રત્યેની ફરજ’ જેવી જૂનવાણી બાબત મનમાં રાખે છે, વાચકો-દર્શકોનો વિશ્વાસઘાત ન થાય એનું બને એટલું ધ્યાન રાખે છે, જેમના માટે કોઇ પણ ભોગે, ઉપરની કે નીચેની, આવક વધારવી તે એકમાત્ર લક્ષ્ય નથી, જેમને મન મીડિયા ઇમાનદારીથી કરવાનો વ્યવસાય છે. બલ્કે, ફક્ત વ્યવસાય જ નહીં, અમુક અંશે જીવનકાર્ય પણ છે.
ઉપરનું બધું નહીં તો પણ થોડુંઘણું વર્ણન જેમને લાગુ પાડી શકાય એવાં પ્રસાર માધ્યમો હજુ અસ્તિત્ત્વ ધરાવતાં હોય, તો પણ તેમનું પ્રમાણ કેટલું ઓછું? અને તેમના માથે ઝળુંબતો ટકી રહેવાનો સંઘર્ષ કેટલો મોટો? તેમની સરખામણીમાં, ન કરવાનાં તમામ કામ કરતાં પ્રસાર માધ્યમોની બહુમતિ છે. સચ્ચાઇ બિચારી પ્રગટ થાય તો પણ ક્યાં? કારણ કે પ્રગટ થવા- લોકો સુધી પહોંચવા તો છેવટે વ્યાવસાયિક મીડિયા પાસે જ આવવું પડે. બિનવ્યાવસાયિક માધ્યમો છે, પણ સાવ વેરવિખેર અને પહોંચની ભારે મર્યાદાઓ ધરાવતાં. બાકીનાં માધ્યમો તગડાં થયાં છે- તંદુરસ્ત નહીં. તેમના સિવાય નાગરિક સમાજમાં એવી જગ્યા જ ક્યાં પેદા થઇ છે કે જ્યાંથી લોકશાહીની જાગીરો પર નજર રાખી શકાય અને જરૂર પડ્યે તેમને અંકુશમાં રાખી શકાય?
મીડિયાની નિરંકુશ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખતાં, નીરા રાડિયાનું પ્રકરણ ઘણાને ક્ષોભજનક છતાં વાસ્તવિકતાના ઉઘાડ માટે આવકારદાયક લાગ્યું હશે. કેમ કે, તેનાથી સામાન્ય લોકોને એટલું તો સમજાયું છે કે લોકશાહીની બીજી જાગીરો (નેતાઓ-અધિકારીઓ-ન્યાયતંત્ર) કરતાં ચોથી જાગીરને અલગ અને મૂઠી ઊંચી ગણવાનું કોઇ દેખીતું કારણ નથી. સિવાય કે પવિત્ર વ્યવસાય તરીકેની જૂની છાપ.
લપટી લક્ષ્મણરેખા
એકાદ વરિષ્ઠ પત્રકાર તરફથી એવું પણ સાંભળવા મળ્યું છે કે ‘પત્રકારો પોતાના કામ માટે પી.આર.એજન્સી સાથે વાતચીત કરે એમાં કશું ખોટું કે ગેરકાયદે નથી. મોટા માણસો પર નજર રાખવા માટે અને તેમની હિલચાલોની વિગત રાખવા માટે આ બધું કરવું જ પડતું હોય છે.’
માની લેવાનું મન થઇ જાય એવી આ દલીલમાં સચ્ચાઇ હોવા છતાં, તેમાં આખું ચિત્ર રજૂ થતું નથી. કોઇથી આભડછેટ રાખવાનું પત્રકારોને પોષાય નહીં. ભ્રષ્ટમાં ભ્રષ્ટ અને ખતરનાકમાં ખતરનાક વ્યક્તિ સાથે પણ તેમને વાત કરવી પડે અને તેમાં દેખીતી રીતે જ કોઇ અનૈતિકતા નથી. પરંતુ આ સંબંધ લાગે છે એટલો સીધો કે સહેલો હોતો નથી. કેમ કે, પત્રકાર સાથે વાત કરનાર માણસને પણ પોતાનો સ્વાર્થ હોય છે. બન્ને પક્ષ એવું માનતા હોય છે કે પોતે સામેવાળાનો ઉપયોગ કરી રહ્યા છે. ઘણી વાર બન્ને સાચા હોય છે, પણ પત્રકારના પક્ષે નૈતિકતાનો ભંગ થયો છે કે નહીં, તેનો આધાર આખરી પરિણામ પર રહેલો છે. બરખા દત્ત કે વીર સંઘવી કે બીજા કોઇ પણ પત્રકાર પી.આર. એજન્સી ચલાવતાં નીરા રાડિયા સાથે સંવેદનશીલ વિષયો પર વાતો કરે ત્યાં સુધી ઠીક છે, પણ એ વાતોનું આખરી પરિણામ શું આવ્યું?
વધારે સ્પષ્ટતાપૂર્વક કહીએ તો, આખરે કામ કોનું થયું? પત્રકારોનું કે નીરા રાડિયાનું? રાડિયાના ફોન રેકોર્ડિંગ પરથી એટલું તો સમજાય છે કે ઘણાખરા કિસ્સામાં પત્રકારોએ નીરા રાડિયા સાથેની વાતચીતમાં ખુલ્લાશથી ચર્ચ્યા હોય એવા ઘણા મુદ્દા સમાચારોમાં કદી આવ્યા નથી. એટલે કે, નીરા રાડિયા પાસેથી મળેલા ‘જ્ઞાન’નો પત્રકારોએ શો સદુપયોગ કર્યો એ હજુ સ્પષ્ટ થતું નથી. બીજી તરફ, નીરા રાડિયાએ જે કામ હાથમાં લીધાં હતાં, તે પાર પાડ્યાં જ છે. એટલે એવી છાપ ઉભી થાય છે કે પત્રકારો અને નીરા રાડિયા વચ્ચેના સંબંધોમાં, શાહબુદ્દીન રાઠોડની રમૂજમાં આવે છે તેમ, પહેલી ફૂંક મોટે ભાગે નીરા રાડિયાએ મારી હશે.
બરખા દત્ત જેવાં નામી પત્રકારે એવી દલીલ કરી છે કે લીક થયેલી ટેપ સાથે ચેડાં થયેલાં છે અને કેટલાંક વાક્યો સંદર્ભ વિના જોડી દેવામાં આવ્યાં છે. વીર સંઘવી સહિત બીજા ઘણા પત્રકારોએ વાતચીતની ટેપ કોણે લીક કરી અને આ સમયે જ કેમ તે લીક થઇ, એવા સવાલ ઉભા કર્યા છે. પત્રકારોના પક્ષે દલીલ કરનારા લોકોએ ‘ક્વિડ પ્રો ક્વો’ (કોઇ કામના સાટામાં મળતા વળતર) નો મુદ્દો આગળ કરીને કહ્યું છે કે ‘આખરે આ કામમાંથી પત્રકારોએ શું મેળવી લીધું છે?’
આ બધું ક્યાંક સાંભળેલું હોય એવું લાગે છે? મોટે ભાગે તે પ્રસાર માધ્યમોના આક્રમણ સામે નેતાઓ પાસેથી સાંભળવા મળે છે. પરંતુ આ વખતે બંદૂકના નાળચાની દિશા બદલાઇ ગઇ છે. ‘ફક્ત રૂપિયાની લેવડદેવડ થાય તેને જ ભ્રષ્ટાચાર કહેવાય’ એવી ભોળી સમજ દુનિયાને સમજાવતા પત્રકારો પાસેથી સાંભળવા મળે ત્યારે (સોનામાં સુગંધની જેમ) કીચડમાં દુર્ગંધ ભળે છે. અસલી મુદ્દો પત્રકારત્વનાં સંસ્થાગત અને પત્રકારોના વ્યક્તિગત મૂલ્યોનો છે.
જાતને છેતરવાની છટકબારીઓ
પ્રસાર માધ્યમોને ‘પવિત્ર ગાય’ ગણતાં પહેલાં એટલું યાદ રાખવાની જરૂર છે કે તેની સાથે સંકળાયેલા તમામ લોકો માણસ હોય છે. એટલું જ નહીં, તે પોતપોતાના સમયની પેદાશ હોય છે. એટલે, ઘણાખરા કિસ્સામાં મીડિયા માણસને ઘડે તેના કરતાં વધારે પ્રમાણમાં માણસ મીડિયાને ઘડે છે- તેની પર પોતાની, પોતાની વિચારસૃષ્ટિ અને કાર્યક્ષમતાની, પ્રતિભા અને તેજસ્વીતાની, નૈતિકતા અને પ્રામાણિકતાનીની છાપ ઉપસાવે છે. મીડિયાના માણસો વર્તમાન સમાજનાં ચલણી મૂલ્યો સાથે લઇને આવે છે. એ માણસો જુદેસરથી બનેલા નથી હોતા. એટલે ગાંધીયુગમાં નીરા રાડિયા પ્રકારનાં ‘જનસંપર્ક નિષ્ણાત’ની કલ્પના કરી ન શકાય અને રાડિયાયુગમાં ગાંધીજી જેવા પત્રકારોની અપેક્ષા ન રાખી શકાય. પ્રામાણિકતાથી પોતાનું કામ કરનારા પત્રકારો હોય તો તે વાતાવરણના પ્રતાપે નહીં, પણ વ્યક્તિગત ખાસિયતને કારણે.
તો પછી સવાલ એ થાય કે કોઇ પોતાની વ્યક્તિગત ખૂબી-ખામી પ્રમાણે વર્તે તેમાં આટલો બધો હોબાળો શા માટે? ભ્રષ્ટાચારનો જ્યાં છોછ ન હોય, બલ્કે, કોઇ પણ રસ્તે વગદાર-પૈસાદાર બનવું એ મોભો ગણાતો હોય, જ્યાં ડોક્ટરો-વકીલો-અધ્યાપકો-ઉદ્યોગપતિઓ-અફસરો-નેતાઓ એવા તમામ વ્યાવસાયિકોમાં નૈતિકતા અપવાદરૂપ કિસ્સામાં જ બચી હોય, ત્યાં પત્રકારોને શા માટે અલગ ગણવા?
તેનો જવાબ છેઃ સમાજમાં- જાહેર જીવનમાં પ્રસાર માધ્યમોનું મહત્ત્વ. ઇન્ટરનેટના યુગમાં પરંપરાગત પ્રસાર માધ્યમોનો દબદબો થોડો ઓસર્યો હોવા છતાં, તેમની પકડ ખાસ ઢીલી પડી નથી. સરેરાશ નાગરિકની માનસિક ભૂમિકામાં પ્રસાર માધ્યમો ઓવરહેડ ટાંકીનું કામ કરે છે. ટાંકીને કબજામાં કરી લીધા પછી પોતાની વાત પહોંચાડવા માટે ઘરે ઘરે ભટકવાની જરૂર રહેતી નથી. છેલ્લાં વર્ષોમાં કોર્પોરેટ જગત માટે ટાંકીના દરવાજા ખુલી જતાં પત્રકારત્વ અને નફાલક્ષી વ્યવસાય વચ્ચેની ભેદરેખા ભૂંસાઇ ગઇ છે. પત્રકારો માટે ભારે લપસણા અને તેમને ઝેરને બદલે ગોળથી મારતા કોર્પોરેટ માર્ગનું એક મોટું સુખ છેઃ તેમાં પત્રકારો હંમેશાં એવું આશ્વાસન લઇ શકે છે કે અમે તો માહિતી મેળવવાનું અને તેના તળ સુધી જવાનું અમારું કામ કરીએ છીએ. તેમાં કોઇને ફાયદો થતો પણ હોય તો અમે શું કરીએ?’
પરંતુ કાજળકોટડીમાં નિષ્કલંક રહેવા જેવું આ કામ સહેજ પણ ગાફેલ રહેનારને નૈતિકતાનો રસ્તો ચૂકાવે છે અને જાગ્રત રહેનારાને ગાફેલ બનવા ઉશ્કેરે છે. કોર્પોરેટ ગૃહોનાં હિતની દેખરેખ રાખતી પી.આર. એજન્સીઓ પાસે નેતાઓની-અફસરોની-પત્રકારોની નૈતિકતા ચુકાવવાના સીધા-આડકતરા અનેક રસ્તા હોય છે. તેમને મન પોતાના ધ્યેયમાં સફળતા સિવાય બીજી કોઇ વસ્તુ કિમતી નથી. ભ્રષ્ટ થવા આતુર ન હોય એવાં પ્રસાર માધ્યમોથી તે કદી નિરાશ થતાં નથી અને તેમના નૈતિક આગ્રહો સામે લાલચનાં તોરણ લટકાવવાનાં ચાલુ રાખે છે. તેમ છતાં, સગીર વય વટાવી ગયેલા કોઇ પણ માણસની ભ્રષ્ટ નીતિમત્તા માટે દોષનો આખો ટોપલો બીજા કોઇના માથે નાખી શકાય નહીં.
‘કોર્પોરેટ યુગ’માં પી.આર.એજન્સીઓને બાકાયદા પત્રકારત્વની નૈતિકતાના ભોગે પોતાની ‘મેનકાગીરી’ કરી શકે કે નહીં અને એ માટેની લક્ષ્મણરેખા કેવી રીતે આંકી શકાય, એ પ્રસાર માધ્યમોએ વિચારવાલાયક મુદ્દો છે. કોર્પોરેટ જૂથો જનસંપર્ક અધિકારીઓ દ્વારા સરકારની રચનામાં દખલ કરવા સુધી પહોંચી જાય, પત્રકારો તેનાથી વાકેફ હોય, છતાં એ બધી વિગતો સંભવતઃ પોતાની આત્મકથાઓ માટે બાકી રહે અને પ્રસાર માધ્યમોમાં કદી રજૂ ન થાય, તે ભ્રષ્ટાચાર ગણાય કે નહીં? એ પણ વિચારવા જેવું છે. બાકીના બધા પાસેથી જવાબ માગતાં પ્રસાર માધ્યમોનો પોતોના વારો આવે ત્યારે જવાબ આપવામાં એ પણ રીઢા નેતાઓ જેવાં જ સાબીત થાય છે, તે દુઃખદ વાસ્તવિકતા છે.
Monday, December 06, 2010
ભ્રષ્ટાચારઃ ફળ, મૂળીયાં અને ખાતર-પાણી
Friday, December 03, 2010
સંગીત તનકો પૂંછ લગાયે?

Wednesday, December 01, 2010
...ઔર દિલ પે રહેના કાબૂ
કાહે કોયલ શોર મચાયે (સંગીતઃ રામ ગાંગુલી)
http://www.youtube.com/watch?v=xK-TfQp_9lI
કૈસે બજે દિલ કા સિતાર (નૌશાદ, રફી)
http://www.youtube.com/watch?v=6ixGbW1XnZU
audio
મિલતે હી આંખે દિલ હુઆ (નૌશાદ, તલત મહેમૂદ સાથે)
Milte hi ankhen
http://www.youtube.com/watch?v=k0uEjAXzcAE
જબ નૈન મિલે નૈનોં સે (નૌશાદ)
http://www.youtube.com/watch?v=dRBTxBa7fSk
લા દે મોહે બાલમા આસમાની ચૂડિયાં (ગુલામ મહંમદ, રફી સાથે)
http://ww.smashits.com/rail-ka-dibba/songs-9029.html
audio
સૈંયા દિલમેં આના રે (એસ.ડી.બર્મન)
http://www.youtube.com/watch?v=wUv-V7a-jK4
યે દુનિયા રૂપકી ચોર (ચાર-પાંચ ભાષામાં ગીત)
http://www.youtube.com/watch?v=rjxsnx3Y7Us
કહીં પે નિગાહેં (ઓ.પી.નૈયર)
http://www.youtube.com/watch?v=OS-C9adkCWo
ગાડીવાલે ગાડી ધીરે હાંક રે (મધર ઇન્ડિયા)
http://www.youtube.com/watch?v=WElRQ7TIWDs
સાવનકે નઝારે હૈ (ગુલામ હૈદર)
http://www.youtube.com/watch?v=VFv1plRFg_0
એક તેરા સહારા (ગુલામ હૈદર)
http://www.youtube.com/watch?v=wgVbeTwyPe0
ઠંડી ઠંડી હવા જો આયે (જ્ઞાન દત્ત)
http://www.youtube.com/watch?v=qYC50Q_8Irc
આયી સાવન રૂત આયી (નૌશાદ)
http://www.youtube.com/watch?v=p2v95P3AI30
મેરે પિયા ગયે રંગૂન (સી.રામચંદ્ર- તેમની જ સાથે)
http://www.youtube.com/watch?v=cO-27f41370
મેરી નીંદોમેં તુમ (ઓ.પી.નૈયર- કિશોરકુમાર સાથે)
http://www.youtube.com/watch?v=1rl4aE225As
તેરી મહેફિલમેં કિસ્મત (નૌશાદ)
http://www.youtube.com/watch?v=APDDAtbfxnw
છોડ બાબુલકા ઘર (નૌશાદ)
http://www.youtube.com/watch?v=GEij0ZK3x9w
કજરા મોહબ્બતવાલા (ઓ.પી.નૈયર)
http://www.youtube.com/watch?v=DFUu-BdQWa4&feature=related
રેશમી સલવાર (ઓ.પી.નૈયર)