Monday, June 30, 2008

ઉમાશંકર જોશીનું નાટક અભ્યાસક્રમમાંથી રદ કરવાનું ફારસ

‘સાપના ભારા’ આ નામ છે ઉમાશંકર જોશીના નાટ્યસંગ્રહનું, પણ અત્યારે ગુજરાતની બબ્બે યુનિવર્સિટીઓને નાટ્યસંગ્રહ પોતે સાપના ભારા જેવો લાગ્યો છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી- આ બન્ને વિદ્યાસંસ્થાઓએ ઉમાશંકરના નાટ્યસંગ્રહને અભ્યાસક્રમમાંથી હદપાર કર્યો છે. કારણ? આ સંગ્રહના એક નાટક ‘ઢેડના ઢેડ ભંગી’ વિશે એક અખબારે હોબાળો કર્યો. http://timesofindia.indiatimes.com/articleshow/2933784.cms
પાટણકાંડના અનુસંધાન તરીકે થયેલા એ હોબાળાની ‘ઇમ્પેક્ટ’ તરીકે સરકારે આખા નાટ્યસંગ્રહને અભ્યાસમાંથી કાઢી નાખ્યો. બાકી, કોઇ એમ કહેતું હોય કે ‘દલિતોની લાગણી દુભાતી અટકાવવા સરકારે આ પગલું ભર્યું’ તો સૌથી પહેલો સવાલ એ થાય કે સરકારને દલિતોની લાગણીની આટલી ચિંતા ક્યારથી થવા લાગી? દલિતોને ગટરમાં ઉતરવાનો, મળસફાઇ કરવાનો અને બેકલોગની ખાલી જગ્યાઓ ન ભરાય તેનો પણ વાંધો છે. છતાં, એ મુદ્દે સરકાર મોટો શિકાર ગળી ગયા પછી સુસ્ત થઇ ગયેલા અજગરની મુદ્રામાં પેશ આવે છે. તો પછી ‘ઢેડના ઢેડ ભંગી’ને અભ્યાસવટો આપવાના મુદ્દે આટલી ચુસ્તી કેમ? અખબારી ઝુંબેશથી સસ્તામાં જાન છોડાવવા? કોઇ પણ પ્રકારના નક્કર કામ વિના ટૂંકા રસ્તે દલિતોને વહાલા દેખાવા? ગણતરી જે હોય તે, પણ નાટક રદ કરવા સાથે સંકળાયેલો ઘટનાક્રમ હજુ જેની આંખ ન ઉઘડી હોય તેના માટે બોધપ્રેરક અને બાકીના લોકોની ચિંતામાં વધારો કરનારો છે. સાહિત્યની સંસ્થાઓ અને શિક્ષણજગતના પતનનો એ વઘુ એક પુરાવો છે.
ભેદભાવના ભુક્કા કાઢતું નાટક
અત્યાર સુધી જેની વીસેક હજારથી પણ વધારે નકલો -મુખ્યત્વે અભ્યાસક્રમમાં હોવાને કારણે- વેચાઇ છે, એ નાટ્યસંગ્રહ ‘સાપના ભારા’નાં નાટકો લખવાની શરૂઆત ઉમાશંકરે વિસાપુર જેલમાં કરી હતી. એ સિલસિલામાં જૂન, ૧૯૩૩માં તેમણે ‘ઢેડના ઢેડ ભંગી’ એકાંકી લખ્યું.

નાટકના દેખીતી રીતે અપમાનજનક લાગતા શીર્ષકથી દુભાવવા તત્પર સૌએ પહેલાં એ નાટક વાંચી જવું જોઇએ. અમદાવાદની પ્રોપ્રાયટરી હાઇસ્કુલના રજતજયંતિ મહોત્સવમાં એ ભજવાયું પણ હતું. નાટક વાંચ્યા પછી પણ એવું લાગે કે ઉમાશંકરે દલિતોનું અપમાન કર્યું છે તો? વાંચનારે પોતાની સંવેદનશીલતાની તપાસ કરાવવી જોઇએ અને પોતાની સમજણ માણસની કક્ષામાં આવી જાય એ દિશામાં પ્રયાસો શરૂ કરવા જોઇએ.

પૂના કરારના નવ મહિના પછી ઉમાશંકર જોશીએ લખેલા એ નાટકમાં સનાતની હિંદુઓના સંકુચિત, ભેદભાવગ્રસ્ત માનસની વિકૃતી અને સગવડિયો ધરમ લગભગ હાસ્યાસ્પદ રીતે ચીતર્યાં છે. એટલે જ, સંગ્રહની પ્રસ્તાવનમાં રામનારાયણ વિશ્વનાથ પાઠકે આ નાટક વિશે લખ્યું છે,‘તેમાં આટલી કરૂણતા ન હોત તો તેની બેવકૂફીથી આપણને હસવું જ આવત.’ મુખ્યત્વે નાટક વાંચ્યા વિના તેનો વિરોધ કરનારા કહી શકે કે ૧૯૩૩માં ‘હરિજન’ શબ્દ પ્રચલિત બની ચૂક્યો હતો, ત્યારે ઉમાશંકરે દલિતો માટેનો વધારે અપમાનજનક શબ્દ કેમ વાપર્યો? તેનો સાદો જવાબ એટલો જ કે સનાતનીઓની માનસિકતા ઉઘાડી પાડવા માટે એ શબ્દપ્રયોગ જરૂરી હતા. એ શબ્દપ્રયોગો દ્વારા નાટકમાં આવતું સનાતની બ્રાહ્મણ ઓમકાર કે તેના ભત્રીજા વલ્લભનું પાત્ર દલિતોને હડઘૂત કરે છે, ત્યારે એમાં ઉઘાડું કોણ પડે છે? કોના દિમાગનો કીચડ દેખાઇ આવે છે? હાસ્યાસ્પદ કે ટીકાસ્પદ કોણ ઠરે છે? જવાબ છેઃ સનાતની વિચારસરણી ધરાવનારા બિનદલિતો.

નાટકનું નામ ભડકામણું લાગે, પણ ઉમાશંકર જોશીની હયાતીમાં એ વિશે ચર્ચા થઇ ચૂકી હતી. ચંદુ મહેરિયા અને નીરવ પટેલ સહિત કેટલાક દલિત સાહિત્યકારો-અભ્યાસીઓ વીસ વર્ષ પહેલાં આ નાટકના મુદ્દે ઉમાશંકર જોશીને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘એકાંકીનું કથાનક બ્રાહ્મણિયા વિચારસરણીનો પર્દાફાશ કરે છે, પણ કોણ જાણે કેમ તેનું શીર્ષક આખી વાતને આઉટ ઓફ ફોકસ કરી નાખે છે.’ જવાબમાં ઉમાશંકરે કહ્યું હતું કે ‘તમે કહો છો તેમ જ જો શીર્ષકને કારણે થતું હોય તો આપણે એને બદલી નાખીએ.’

વાત આટલી સીધીસાદી છે. ઉમાશંકર જોશીનું નાટક સાદ્યંત ભેદભાવવિરોધી છે. સમગ્ર નાટકના સૂરને ઘ્યાનમાં રાખતાં અને દલિતોના આંતરિક ભેદભાવ માટે પણ બ્રાહ્મણીયા વિચારસરણીને જવાબદાર ઠરાવવાના ઉમાશંકરના વલણને જોતાં શીર્ષક પણ અપમાનજનક લાગે એવું નથી. નાટકમાં બ્રાહ્મણ ઓમકારના મોઢે ઉમાશંકરે એક સંવાદ મુક્યો છેઃ ‘ઢેડ અને ભંગી વચ્ચેનું અંતર ઓછું થયું તો જાણજો કે ઉંચી વરણ અને ઢેડ વચ્ચેનું પણ અંતર ઘટ્યું.’

આ સંવાદ ઓમકાર કેવી રીતે ઉચ્ચારે છે? ઉમાશંકરના જ શબ્દોમાં કહીએ તો, ‘સ્મૃતિવચન ઉચ્ચારતા હોય તેમ’! આવા ઘણા ચાબખા ધરાવતું નાટક દલિત સાહિત્યની ટોચની કૃતિઓમાં સ્થાન ધરાવે છે. (દલિત સાહિત્ય એટલે ‘દલિતો દ્વારા લખાતું સાહિત્ય’ નહીં, પણ ‘દલિત સમસ્યા અને દલિત ચળવળ વિશેનું સાહિત્ય’) છતાં, વાંધો ફક્ત શીર્ષકનો હોય તો તેને બદલી શકાય. પણ એ તો વીસ વર્ષ પહેલાંની વાત હતી. હવ વાંધો ફક્ત શીર્ષકનો નથી. તેમાં દલિતો માટે પ્રયોજાયેલા અપમાનજનક શબ્દોથી સમસ્યા સર્જાય છે, એવું નાટક કાઢી નાખનારા લોકોને લાગે છે.

ઉમાશંકર અને ગિજુભાઇઃ સામગ્રીનો તફાવત
થોડાં વર્ષ પહેલાં ‘મૂછાળી મા’ તરીકે ઓળખાતા ગિજુભાઇ બધેકાની બાળવાર્તાઓમાં દલિતો માટે આવતા અપમાનજનક શબ્દો વિશે વિવાદ થયો હતો. એ વખતે ગિજુભાઇની પ્રતિષ્ઠાની રૂએ તેમની વાર્તાઓને ટીકાથી પર ગણીને ઘણાએ આખા વિવાદને સંકુચિત માનસની પેદાશ જેવો ગણાવ્યો હતો. એવું માનનારા સૌ સાવ સાદી વાત સમજવાને બદલે વિવાદના રાજકારણમાં ઢસડાઇ ગયા અથવા આત્યંતિક પ્રતિભાવનો જવાબ વળતી આત્યંતિકતાથી આપીને ઊભા રહી ગયા.

ગિજુભાઇની બાળવાર્તાઓમાં આવતા ભેદભાવજનક ઉલ્લેખો વિશે મુખ્ય સવાલ એ હતો કે સિત્તેર-એંસી વર્ષ પહેલાં લખાયેલી બાળવાર્તાઓમાંથી કેટલીક વાર્તાઓમાં ભેદભાવનું સીઘું ચિત્રણ આવતું હોય, તો બાળકો માટે તૈયાર થતાં નવાં સંપાદનોમાં એ વાર્તાઓ શા માટે રાખવી જોઇએ? તત્કાલીન સામાજિક પરિસ્થિતિના અભ્યાસ માટે જેને એ વાર્તાઓમાં રસ હોય, તેમના માટે પુસ્તકાલયોમાં જૂની આવૃત્તિઓ ઉપલબ્ધ છે જ. એ સંજોગોમાં, ઐતિહાસિક મહત્ત્વનું કારણ આગળ ધરીને કુમળું માનસ ધરાવતાં નવી પેઢીનાં બાળકોના માથે એ વાર્તાઓ શા માટે મારવી જોઇએ? એનો અર્થ એવો પણ નહીં કે ભેદભાવગ્રસ્ત ઉલ્લેખો ધરાવતી ગિજુભાઇની ગણીગાંઠી વાર્તાઓ ઉમાશંકરના નાટકની જેમ મોટી ઊંમરના વિદ્યાર્થીઓને ભણાવી શકાય એમ હતી. ઉમાશંકરના નાટકમાં દલિતો માટે વપરાતા શબ્દોનો જ વાંધો હતો. આખા નાટકનો સૂર સંપૂર્ણપણે ભેદભાવવિરોધી હતો. જ્યારે ગિજુભાઇની વાંધાજનક વાર્તાઓમાં મુખ્ય સવાલ વાર્તાના કેન્દ્રીય સૂર અંગેનો હતો, જે ભેદભાવની તરફેણ કરનારો હતો.
અઘ્યાપકજગત અને સાહિત્યસંસ્થાઓનું મીંઢું મૌન
ઉમાશંકરનો આખેઆખો નાટ્યસંગ્રહ અભ્યાસક્રમમાંથી નીકળી ગયો, છતાં ઉમાશંકરના ઝંડા લઇને ફરનારા સાહિત્યકારો કે સાહિત્ય પરિષદ-અકાદમી જેવી સંસ્થાઓ તરફથી વિરોધનો હરફ પણ સાંભળવા મળ્યો નથી. આંતરિક રાજકારણ, અકર્મણ્યતા, ખટપટ, સરકારી અભિગમ, આર્થિક અભાવનાં રોદણાં અને વહીવટી અપારદર્શકતાનો લાંબો ઇતિહાસ ધરાવતી સાહિત્ય પરિષદ પાસેથી સામાન્ય સંજોગોમાં કોઇ અપેક્ષા હોતી નથી. પરંતુ તેના પ્રમુખપદે નારાયણ દેસાઇ જેવા ગાંધીજન બેઠા હોય ત્યારે ઉમાશંકરના નાટકના મુદ્દે તે પરિષદ વતી સત્તાવાર રીતે કંઇક કહે, એવી આશા પણ હજુ સુધી ફળી નથી.
પ્રજાકીય કહેવાતી સંસ્થાની આ અવદશા હોય તો અસ્મિતાનાં બણગાં ફૂંકતી સરકારની મૃતઃપ્રાય અકાદમી પાસેથી શી અપેક્ષા રાખવી? અઘ્યાપક આલમ બિચારી ‘અઘ્યાપક’ જેવા માનભર્યા વિશેષણ માટેની લાયકાત ક્યારની ખોઇ બેઠી છે. ગણ્યાગાંઠ્યા અપવાદ બાદ કરતાં, ઉમાશંકર સાથે કે કૃતિઓના સામાજિક સંદર્ભ સાથે અઘ્યાપકોને શી લેવાદેવા? એમને પોતાનાં ‘સેટિંગ’ ગોઠવવામાંથી કે ઉપરીઓને ખુશ રાખવામાંથી સમય મળે ત્યારે ને!

એક દલીલ એવી પણ છે કે ‘વર્ગખંડમાં યોગ્ય સંવેદનશીલતાથી આ નાટક ભણાવવામાં ન આવે, તો દલિત વિદ્યાર્થીઓ માટે મૂંઝવણભરી સ્થિતિ સર્જાઇ શકે.’ તેમાં દલીલમાં તથ્ય છે, પણ એવું ન થાય એ માટે સડેલું દિમાગ ધરાવતા અઘ્યાપકોને, જરૂર પડ્યે શિક્ષાના દંડા મારીને સુધારવાના કે ઉમાશંકર જેવાની અદ્ભૂત કૃતિનો ભોગ લઇ લેવાનો? રતિલાલ બોરીસાગર જેવા ઘણા અઘ્યાપકો હશે, જેમણે જરાય સંકોચ વિના આ કૃતિ વર્ગખંડમાં ભણાવી હોય અને વિદ્યાર્થીઓ ભેદભાવ પ્રત્યે સંવેદનશીલ બને એવા પ્રયાસ કર્યા હોય. કેટલાક દલિત અઘ્યાપકો પણ વર્ગમાં આ કૃતિ ભણાવતાં સંકોચ અનુભવે છે. પરંતુ ઉમાશંકરના નાટક વિશે એટલું ખાતરીપૂર્વક કહી શકાય કે ભણાવનાર સજ્જ હોય તો તેમાં એકેએક ચાબખા એવા છે કે બ્રાહ્મણીયા માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓને પોતાની માનસિકતા વિશે શરમ આવે. બાકી, ‘આ કૃતિથી જૂના ભેદભાવ તાજા થશે’ એવી દલીલ સાવ પાયાવિહોણી અને ભાગેડુવૃત્તિથી ગ્રસ્ત છે.

કરૂણતા એ વાતની છે કે ઉમાશંકરે નાટક લખ્યાનાં ૭૫ વર્ષ પછી પણ ‘સ્વર્ણિમ ગુજરાત’નાં ઘણાં ગામોમાં બિનદલિતોના કૂવા કે તળાવમાંથી દલિતો પાણી ભરી શકતા નથી. નાટકમાં જણાવ્યા છે તેવા જુદા ‘બ્રાહ્મણવાડા’ હવે નહીં રહ્યા હોય, પણ જુદા દલિત મહોલ્લા ગુજરાતની- ભારતભરની વાસ્તવિકતા છે. એ સ્થિતિમાં ઉમાશંકરના નાટકની ધાર જરાય બુઠ્ઠી કે કટાયેલી લાગતી નથી. એ બન્ને વિશેષણો નાટકને અભ્યાસક્રમમાંથી બહાર કાઢનારા અને એ મુદ્દે મૌન સેવનારા લોકોની વિવેકબુદ્ધિને લાગુ પડે છે.

નોંધ 1 આ લેખમાં આવતા દલિતો વિશેના અપમાનજનક શબ્દો ફક્ત ઐતિહાસિક સંદર્ભ સ્પષ્ટ કરવા માટે અને મૂળ કૃતિના હાર્દને રજૂ કરવા માટે યથાતથ રાખવામાં આવ્યા છે. એ બદલ લાગણીને દુભાવા દેવાની તસ્દી આપવી નહીં.)
2 આવા કેટલાક લેખ છપાયા પછી સાહિત્ય પરિષદે કૃતિ રદ કરવાના વિરોધમાં ઠરાવ કર્યો અને ‘૩૦ જૂન સુધીમાં કૃતિ પાછી નહીં લેવાય તો આગળ પગલાં લઇશું’ એવી ચીમકી આપી. એ મુદત આજે પૂરી થઇ છે. દરમિયાન, ગુજરાત યુનિવર્સિટીના ૨૦૦૮ના અભ્યાસક્રમમાં આ કૃતિનો સમાવેશ કરવાનો નિર્ણય યથાવત્ રહ્યો છે.

4 comments:

  1. "Are shun vat chhe?!"

    Aa hato tamaro blog jota ni sathe no man ma tarat sari padelo udgar.
    Ne bus pachhi to sawal ja nathi, Enter key par press thaya ja.

    aa vakhat na Abhidrishti ma aa natak vishe no Rohit shukla no lekh chhe.

    It wiil be published on 10th. so I Will mail you that time.

    To maliye tyare.
    mulakat nu ek sthl vadhyun eno Anand thayo.

    ReplyDelete
  2. " ઢેઢ ----" મથાળુ વાંચી તેને પુસ્તક માથી કાઢી નાખ્યાની વાત થી વરસો પ્લહેલાની વાત યાદ આવી.
    રશિયા વીશે ના પુસ્તકો અન્ગ્રેજોએ કરેલા યત્ય્યરે એક ઉત્સાહી અમ્લદરે " રસિયાના રાસ " પુસ્તક બાન કર્યુ હતુ.
    કાગડા પહેલાય કળા હતા હજુય છે.
    bharat Pandya

    ReplyDelete