Thursday, April 30, 2009
એં..એં..એં.. કોંગ્રેસ નરેન્દ્રભાઇને જેલમાં પૂરવા માગે છે
આ ચૂંટણીપ્રચારમાં પહેલેથી તેમણે મિમિક્રીનો ધંધો ચાલુ કર્યો અને સમાંતરે એકાદ પકડાઇ જાય એવા મુદ્દાની શોધ માટે રોજ નવા અખતરા કર્યા. પણ એકેય મુદ્દો પકડાયો નહીં. ચૂંટણીના બે દિવસ પહેલાં સર્વોચ્ચ અદાલતે હજુ તો ૨૦૦૨ની હિંસામાં ગુજરાતના મુખ્ય મંત્રીની ભૂમિકાની તપાસ કરવાનું કહ્યું, ત્યાં તો કલબલાટ મચી ગયો.
મુદ્દાની નિષ્ફળ શોધ પછી ચૂંટણીના છેલ્લા બે દિવસ ભાજપે સર્વોચ્ચ અદાલતના તપાસના આદેશને મુદ્દો બનાવ્યો અને બહાનું કાઢ્યું કપિલ સિબ્બલના વિધાનનું. સિબ્બલે ૧૧-૪-૦૯ના રોજ કહ્યું હતું કે મોદી જેલમાં જવા તૈયાર રહે.
એક બાજુ મોદી દિલ્હીમાં અને બીજે ખોંખારા ખાતા હતા કે હું જેલમાં જવાથી ગભરાતો નથી, હું ગુનેગાર સાબીત થાઊં તો મને સજા કરજો વગેરે વગેરે...
અને બીજી બાજુ એમની જ વ્યૂહરચના પ્રમાણે એમનો પક્ષ ગુજરાતના મતદારો આગળ રાવ ખાવા લાગ્યો, ‘એંએંએં, જુઓને કોંગ્રેસે આપણા નરેન્દ્રભાઇને જેલમાં પૂરવાની વાત કરી...એંએએં...તમે કોંગ્રેસને હત્તા નહીં કરો?...એં.એં.એં.’
રહી વાત જેલમાં જવાની. એમ કંઇ મોદીને પકડીને જેલમાં મુકી શકવાના નથી. કાયદાના અનેક તકાદા અને તેની છટકબારીઓ હોય છે. પણ જેલમાં જવા વિશે ખોટેખોટા ખોંખારા ખાતા મુખ્ય મંત્રીએ અને તેમના ચાહકોએ સમજવાનું છે કે -
૧) જેલમાં જવું એ ગભરાવાનો નહીં, પણ શરમાવાનો વિષય હોવો જોઇએ.
૨) વ્યક્તિ ગુનેગાર સાબીત થાય ત્યાર પછી એ જેલમાં જવા રાજી છે કે નહીં એ ગૌણ બની જાય છે. એ ઇચ્છે કે ન ઇચ્છે, તેને જેલમાં જવું જ પડે છે.
૩) મોદી હજુ ગુનેગાર સાબીત થયા નથી- ફક્ત તેમની ભૂમિકાની તપાસનો આદેશ અપાયો ત્યાં એમણે બૂમરાણ મચાવવાનું ચાલુ કરી દીઘું છે અને ભાજપે ‘આપણા નરેન્દ્રભાઇ’ અને ‘ગુજરાતના રખેવાળ’ની કથાઓ ચાલુ કરી દીધી છે.
મોદીને ‘ગુજરાતના રખેવાળ’ કેવી રીતે કહેવાય? તે ન તો હિંદુઓનું રક્ષણ કરી શક્યા, ન મુસ્લિમોનું! ૨૦૦૨માં હિંદુઓ પણ મર્યા ને મુસ્લિમો પણ મર્યા. જવાબદારી કોની? રાજ્યના મુખ્ય મંત્રી હોય એની કે વિરોધપક્ષની કે સેક્યુલરિસ્ટોની?
મુંબઇ જઇને આતંકવાદીઓને ચુન ચુન કે પકડવાની વાર્તા કરી આવ્યા પછી અમદાવાદમાં બોમ્બધડાકા થયા. તેમાં રોજ નવા માસ્ટરમાઇન્ડના ચહેરા બતાવવા સિવાય બીજું શું કરી લીઘું? એમાં મોદીનો બહુ વાંક પણ નથી. એકંદર તંત્ર એવું ગોઠવાયેલું હોય ત્યાં અસરકારક કાર્યવાહી કરવાનું અઘરૂં છે. તો પછી ફાંકાફોજદારી શા માટે?
સાંભળ્યા પ્રમાણે, ‘કોંગ્રેસ નરેન્દ્રભાઇને જેલમાં મોકલવા માગે છે’ એ જાહેરખબરમાં બતાવાયેલી ખાલી જેલ પાછળ પહેલાં મોદીનો ફોટો મુકવામાં આવ્યો હતો. પણ પછી કોઇ કારણસર- અથવા દેખીતાં કારણસર- એ ફોટો હટાવી લેવામાં આવ્યો.
વિશ્વવારસાની નમૂનેદાર વેબસાઇટ

યુનેસ્કો અને અમેરિકાની લાયબ્રેરી ઓફ કોંગ્રેસની આ વેબસાઇટ પર વૈશ્વિક મહત્ત્વ ધરાવતાં નમૂનેદાર જૂનાં-નવાં પુસ્તકો-તસવીરો-નકશા મુગ્ધ થઇ જવાય એ રીતે મુકવામાં આવ્યા છે. ડિજિટાઇઝેશનનું વાચકોપયો


૧) ભારતના બંધારણની પહેલી ૧૦૦૦ નકલ કળાત્મક ડીઝાઇનવાળી છપાઇ હતી. તે આખેઆખું પુસ્તક નંદલાલ બોઝ અને બીજા કળાકારોનાં ચિત્રો સાથે જોવા મળે છે. એ પુસ્તકનું મુખપૃષ્ઠ.
૨) બસો વર્ષ પહેલાં ભારતની મુલાકાતે આવેલા એક લેખકે તેના પુસ્તકમાં મુકેલું ઘાણીનું ચિત્ર. એક જણ દાણા ઓરે ને બીજો

૩) એ જાણવાની હંમેશાં ઇચ્છા હતી કે અસલ અફઘાનિસ્તાનમાં કેવાં તરબૂચ થતાં હશે? અને આ ફોટો જોવા મળ્યો. એક રશિયન તસવીરકારે ૧૯૧૧માં પાડેલો આ રંગીન ફોટો સમરકંદના બજારમાં તરબૂચ વેચવા બેઠેલા દુકાનદારનો છે.
4) પુસ્તક ખોલ્યા પછી સાઇટની વાચકોપયોગી વ્યવસ્થા કેવી છે, એ દર્શાવતો સ્ક્રીનશોટ.
‘માણસમાત્ર, ભૂલને પા

આવું બઘું તો ચાલ્યા કરે, પણ જે થયું છે તે જબરદસ્ત કામ છે.
એક વાર ત્યાં ગયા પછી જલ્દી પાછા ફરવાનું મન થાય એવું નથી. એટલે થોડો સમય લઇને જ આ વેબસાઇટ ખોલવી.
Wednesday, April 29, 2009
જૈન હવા
આજે સવારે ‘સફારી’ની ઓફિસ (ડોક્ટર હાઉસની સામેના ખાંચામાં, પરિમલ ગાર્ડન, અમદાવાદ) ની બહાર આવેલી પંક્ચરની દુકાને એક દૃશ્ય જોયું.
એક જૈન સાઘ્વી હાથથી ધક્કો મારીને ચલાવવાની ઠેલણગાડીમાં બીજાં એક સાઘ્વીને બેસાડીને ત્યાંથી પસાર થતાં હતાં. હવા પુરવાની દુકાન જોઇને તે ઉભાં રહ્યાં, ગાડીમાં બેઠેલાં સાઘ્વી નીચે ઉતર્યાં, એટલે ધક્કો મારનાર સાઘ્વીની સૂચનાથી દુકાનવાળા છોકરાએ કમ્પ્રેસરની પાઇપ લીધી અને તેમની ઠેલણગાડીના એકાદ-બે વ્હીલમાં કમ્પ્રેસરથી હવા પુરી.
અમદાવાદની ભયાનક ગરમીમાં જે કારણસર એક સાઘ્વી બીજા સાઘ્વી પાસે ઠેલણગાડી હંકારાવે છે- યંત્રોનો વિરોધ- એ જ ઠેલણગાડીમાં હવા કમ્પ્રેસરથી પુરાવતી વખતે યંત્રનો બાધ નથી!ધર્મના અનુયાયીઓ હાર્દને બદલે બાહ્યાચારને પકડે ત્યારે આવી જડતા સિવાય બીજી શી અપેક્ષા રાખી શકાય?
કટ્ટરતા, ધર્મશાસ્ત્રના અનર્થઘટન અને મોટી સંખ્યામાં આંખે પટ્ટી બાંધનારા ધાર્મિક અનુયાયીઓમાં ઇસ્લામની હરોળમાં જૈન સમુદાયના ઘણા લોકોને મુકવા પડે, એવી સ્થિતિ જોવા મળે છે. (આ વાંચીને જેમને આ ટીકા લાગુ પડતી હોય એવા લોકોએ જ ઉશ્કેરાવું. બાકીના લોકોના લાભાર્થે એક માહિતીઃ ‘શબ્દાર્થપ્રકાશ’ વાળા પ્રકાશ ન.શાહ પણ જૈન છે!)
થોડાં વર્ષ પહેલાં જોયેલું બીજું દૃશ્ય પણ આ સાથે યાદ આવે છેઃ ‘સ્ટાર’ની ‘તારા’ ચેનલ ચાલુ હતી એ અરસામાં એક વાર હું તેની ઓફિસે (ઉસ્માનપુરા) ગયો હતો. ત્યાંથી પાછા આવતાં એક શાંત ગલીમાં મેં જોયું તો સાઘ્વી બનેલી એક કિશોરી પોતાનો ‘આઘ્યાત્મિક અસબાબ’ ઘડીભર બાજુ પર મુકીને કાંકરાની કૂકી વડે બીજી નાની છોકરી સાથે ‘પગથિયાં’ જેવી- કૂકી ફેંકીને, લંગડી લઇને રમવાની- કોઇ રમત માણી રહી હતી!
આ દૃશ્યમાં કોઇ અતિશયોક્તિ નથી. સાઘ્વી બનેલી કે બનાવાયેલી એ છોકરીની ઊંમર પગથિયાં રમવાની હતી. એટલે તેને જે કરવું જોઇએ એ કરતી જોઇને બેહદ આનંદની સાથે ચચરાટી પણ ઘણી થઇ. એ વખતે હું સાથે કેમેરા રાખતો ન હતો. બાકી, રધુ રાય જેવા કે ઝવેરીલાલ જેવા કોઇ કસબી એ ફોટો પાડી લે તો બાળદીક્ષા સામે વિરોધમાં શબ્દો બગાડવાની જરૂર ન પડે. કોઇ સક્ષમ વાર્તાકાર હોય તો એ એક જ દૃશ્ય પરથી હૃદયસ્પર્શી વાર્તા લખી શકે. પગથીયાં રમતી સાઘ્વીનો ચહેરો મને યાદ રહ્યો નથી, પણ તેણે બાજુ પર મૂકી દીધેલો પોતાનો સામાન અને તેનું ઉત્સાહથી પગથીયાં રમવું હજુ ભૂલાતું નથી.
રજનીભાઇ (રજનીકુમાર પંડ્યા)ને એકથી વધારે વાર ‘માઇકનો ઉપયોગ ન થાય’ એ સિદ્ધાંતના પાલન ખાતર માઇક પાંચ ફૂટ દૂર રાખીને બોલતા જૈન સાઘુઓ અને તેમના અનુયાયીઓ સાથે ચર્ચાઓ થઇ છે. સાઘુઓથી ટેલીફોનનો ઉપયોગ ન થાય, એટલે આપણે ફોન કરીએ ત્યારે સામે એક ભાઇ ફોન ઉપાડે, આપણે જે બોલીએ તે પેલા ભાઇ સાઘુમહારાજ સમક્ષ ફરી બોલે, પછી મહારાજ જે કહે, તે ફરી પાછા આપણા લાભાર્થે ફોન પર રીપીટ કરે. લોકો પાસે આવો નિરર્થક અને બિનજરૂરી વ્યાયામ કરાવવો એ પણ હિંસા નથી?
Tuesday, April 28, 2009
સરદારના વારસદારોના ચૂંટણી-અનુભવો

ભારતમાં લોકશાહીના છ દાયકા પછી વંશપરંપરાનું રાજકારણ જામી ચૂક્યું છે. પહેલાં જે ફક્ત નેહરૂ-ગાંધી પરિવારનો ઇજારો ગણાતી હતી, તે હવે સ્વીકૃત અને બેશરમ પરંપરા બની ગઇ છે. ઇશાન ભારતના સંગ્માથી પશ્ચિમ ભારતના શરદ પવાર, ઉત્તરે કાશ્મીરના અબ્દુલ્લા પરિવાર-સઇદ પરિવારથી દક્ષિણે દેવે ગૌડા-કરૂણાનિધિ જેવાં પરિવારો, ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંઘ, વરૂણ ગાંધી, મઘ્ય પ્રદેશના સિંધિયા, મુંબઇના દેવરા, રાજસ્થાનના માનવેન્દ્ર જસવંતસિંઘ...વંશવાદની બોલબાલા અત્રતત્રસર્વત્ર છે.
વંશવાદની વાત નીકળે ત્યારે નેહરૂની સરખામણીએ અને તેમના બીજા છેડા તરીકે (યોગ્ય રીતે જ) લેવાતું નામ સરદાર પટેલનું છે. બારડોલીના ‘સરદાર’થી દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા ત્યાં લગી વલ્લભભાઇ પટેલે પોતાના પરિવારને સભાનતાપૂર્વક રાજકારણથી દૂર રાખ્યો. રાજકીય જીવન શરૂ થતાં પહેલાં પત્નીનું અવસાન થયા પછી વિઘુર બનેલા વલ્લભભાઇનો પરિવાર ટૂંકો હતોઃ પુત્રી મણિબહેન અને પુત્ર ડાહ્યાભાઇ. અપરણિત મણિબહેન પિતાનાં સચિવ અને સેવિકા બનીને તેમના પડછાયામાં સમાઇ ગયાં, જ્યારે ડાહ્યાભાઇએ વિવિધ નોકરી-ધંધા કર્યા. ડાહ્યાભાઇના બે પુત્રો વિપિનભાઇ અને ગૌતમભાઇ નાના હતા ત્યારે દિલ્હી રહેતા દાદા (સરદાર)ની સ્પષ્ટ સૂચના હતીઃ ‘હું દિલ્હીમાં છું ત્યાં લગી દિલ્હી આવવું નહીં. બને ત્યાં લગી વિંઘ્ય (મઘ્ય પ્રદેશનો વિંઘ્યાચળ પર્વત) પાર કરવો નહીં.’ તેમને અંદેશો હતો કે દિલ્હીના ચલતા પુર્જાઓ ક્યાંક સરદારના વારસદારોને ભોળવી-લલચાવીને તેમના નામે ચરી ન ખાય!
આઝાદ ભારતની પહેલી લોકસભાની ચૂંટણી યોજાઇ ત્યારે સરદાર હયાત ન હતા. સરદારના મૃત્યુ પછી કોંગ્રેસમાં સક્રિય બનેલાં સાદગીના અવતાર સમાં મણિબહેન ૧૯૫૨માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની પહેલી ચૂંટણી લડ્યાં. એ વખતે અલગ ગુજરાતનું અસ્તિત્ત્વ ન હતું. ગુજરાત અને મહારાષ્ટ્રનું બનેલું મુંબઇ રાજ્ય હતું. મણિબહેન એ સમયે ખેડા (દક્ષિણ)ની બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યાં. એકમાત્ર પ્રતિસ્પર્ધી, અપક્ષ ઉમેદવાર લલ્લુભાઇ દેસાઇભાઇ પટેલને સહેલાઇથી હરાવીને મણિબહેન લગભગ ૬૦ હજાર મતના તફાવતથી જીત્યાં. ૧૯૫૭ની ચૂંટણીમાં મણિબહેન ફરી ઊભા રહ્યાં. આ વખતે બેઠકનું નામ બદલાઇને ‘આણંદ’ થયું હતું. મણિબહેનની સામે અપક્ષ ઉમેદવાર તરીકે ઊભેલા દાદુભાઇ અમીન લગભગ ૩૮ હજાર મતથી હાર્યા.
મણિબહેન કરતાં જુદા રાજકીય રસ્તે ડાહ્યાભાઇ સાંસદ બન્યા. ૧૯૫૮માં ડાહ્યાભાઇ મહાગુજરાત જનતા પરિષદના ટેકાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઇને રાજ્યસભામાં પહોંચ્યા. તેના બીજા વર્ષે સ્વતંત્ર પક્ષની સ્થાપના થઇ. ગુજરાતમાં તેના આગેવાન તરીકે સરદારના વિશ્વાસુ અને વિદ્યાનગરના સ્થાપક ભાઇલાલભાઇ પટેલ (ભાઇકાકા) હતા. ૧૯૬૦માં ગુજરાત રચાયા પછી ૧૯૬૨માં લોકસભાની ચૂંટણી આવી. તેમાં ‘સ્વતંત્ર પક્ષ’ કોંગ્રેસનો મુખ્ય વિરોધી પક્ષ હતો.
રાજકારણના તકાદા પણ કેવા! ગુજરાત બન્યા પછીની પહેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાત જેમનું ગૌરવ લેતાં થાકતું નથી એવા સરદાર પટેલનાં પુત્રી મણિબહેન સામે સરદારના વિશ્વાસુ એવા ભાઇકાકાના પક્ષના ઉમેદવાર નરેન્દ્રસિંહ મહિડાનો મુકાબલો થયો. લડાઇ વ્યક્તિની નહીં, પક્ષની હતી. સરદારને કોંગ્રેસ દ્વારા અન્યાય થયો છે, એવો પ્રબળ મત ધરાવતા ભાઇકાકા પૂરા જુસ્સાથી એ સમયની કોંગ્રેસની નીતિરીતિઓ સામે પડ્યા હતા. સરદારના પુત્ર ડાહ્યાભાઇ પટેલ ભાઇકાકાના વિચારો સાથે સંમત હતા. ડાહ્યાભાઇના સાળા પશાભાઇ પટેલ (ટ્રેક્ટરવાળા) પણ ભાઇકાકાની સાથે હતા. બીજી તરફ, મણિબહેન પિતાના મૃત્યુ પછી તેમની સંસ્થાને વળગી રહ્યાં. જોકે, આઝાદી પછીના રાજકારણના ઝડપથી બદલાતા માહોલમાં મણિબહેન બદલાયાં કે અભડાયાં નહીં. રાજકારણને તેમણે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા કે સત્તા-સમૃદ્ધિનું સાધન કદી ન ગણ્યું.
મણિબહેનની બેદાગ પ્રતિભા છતાં કોંગ્રેસ પક્ષમાં હોવું તેમને નડી ગયું. ૧૯૬૨ની ચૂંટણીમાં આણંદ બેઠક પરથી મણિબહેનનો પરાજય થયો. સ્વતંત્ર પક્ષના નરેન્દ્રસિંહ મહિડા આશરે ૧૩ હજાર મતની સરસાઇથી વિજયી થયા. સરદારનાં પુત્રી આણંદમાંથી ચૂંટણી હારે એ પણ લોકશાહી રાજકારણની વિશિષ્ટતા કહેવાય. એવું જ ડાહ્યાભાઇ પટેલ અને તેમના સાળા પશાભાઇ પટેલની બાબતમાં પણ બન્યું. સ્વતંત્ર પક્ષે ભાવનગર બેઠક પરથી ડાહ્યાભાઇનાં પત્ની ભાનુબહેનને અને સાબરકાંઠામાં કોંગ્રેસના ગુલઝારીલાલ નંદા સામે ભાનુબહેનના ભાઇ (ડાહ્યાભાઇના સાળા) પશાભાઇ પટેલને ઊભા રાખ્યા હતા. નંદા સામે પશાભાઇએ ખાસ્સી લડત આપી અને ૨૫ હજાર મતના ગાળાથી હાર્યા. પરંતુ ભાવનગરમાં પ્રજાસમાજવાદી પક્ષ અને કોંગ્રેસની લડાઇમાં ભાનુબહેનનો ખો નીકળી ગયો. ૨.૧૧ લાખ મતમાંથી ભાનુબહેનને ફક્ત ૧૪,૭૭૪ મત મળતાં તેમની ડિપોઝીટ જપ્ત થઇ.
આ ચૂંટણીમાં હારનાં બે વર્ષ પછી મણિબહેન રાજ્યસભાનાં સભ્ય તરીકે સંસદમાં ગયાં અને ૧૯૭૦ સુધી સભ્યપદે રહ્યાં. સક્રિય રાજકારણમાં આવવા ઇચ્છતા રાજ્યસભાના કેટલાક સભ્યો વચ્ચે આવતી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવતા હોય છે. પણ મણિબહેન ૧૯૬૭ અને ૧૯૭૧ની લોકસભા ચૂંટણીઓથી દૂર રહ્યાં.
૧૯૭૩માં વઘુ એક વાર તેમણે સાબરકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પેટાચૂંટણીમાં ઝંપલાવ્યું. ત્યારે કોંગ્રેસના બે ભાગ પડી ચૂક્યા હતા. મણિબહેન ઈંદિરા કોંગ્રેસ સાથે રહેવાને બદલે જૂના જોગીઓના જૂથ ‘સંસ્થા કોંગ્રેસ’ સાથે રહ્યાં અને તેનાં ઉમેદવાર તરીકે જ સાબરકાંઠાથી ચૂંટાયાં. ૧૯૭૫માં ઈંદિરા ગાંધીએ કટોકટી જાહેર કરતાં અને ૧૯૭૭માં કટોકટી ઉપડી જતાં નવી ચૂંટણી આવી. પોતાના સક્રિય રાજકીય જીવનની છેલ્લી ચૂંટણી મણિબહેન કોંગ્રેસ સિવાયના પક્ષ તરફથી લડ્યાં. તેમનો પક્ષ હતો ભારતીય લોકદળ અને બેઠક હતી મહેસાણા.
મણિબહેનની જૂની બેઠક સાબરકાંઠા પરથી એચ.એમ.પટેલ ભારતીય લોકદળના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા, જીત્યા અને દેશના નાણામંત્રી બન્યા. એ ચૂંટણીમાં પુરૂષોત્તમ ગણેશ માવળંકર ભારતીય લોકદળના ઉમેદવાર તરીકે ગાંધીનગર બેઠક જીત્યા હતા અને રાજકોટ બેઠકના ભારતીય લોકદળના વિજેતા ઉમેદવાર હતાઃ કેશુભાઇ પટેલ!
કટોકટી પછીના કોંગ્રેસવિરોધી મોજાને કારણે ૧૯૭૭માં મણિબહેન પટેલ સવા લાખ કરતાં પણ વઘુ મતની સરસાઇથી મહેસાણા બેઠક પર જીત્યાં. દરમિયાન, તેમનાથી ટૂંકી અને ઓછી યશસ્વી રાજકીય કારકિર્દી ધરાવતા ડાહ્યાભાઇનું અવસાન થયું હતું. ડાહ્યાભાઇ મુંબઇના મેયર અને રાજ્યસભાના સભ્ય બન્યા હતા, પણ તેમના બન્ને પુત્રો વિપિનભાઇ અને ગૌતમભાઇએ સમજણપૂર્વક રાજકારણથી છેટા રહેવાનું નક્કી કર્યું. તે પોતપોતાના અભ્યાસ-વ્યવસાયના ક્ષેત્રમાં, સરદારનું નામ બિલકુલ વટાવ્યા વિના, આગળ વઘ્યા. મણિબહેન સ્વેચ્છાએ સ્વીકારેલી અકિંચન અવસ્થામાં રહ્યાં અને ૧૯૯૦માં અવસાન થયું ત્યાં સુધી વખતોવખત ‘હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી’નો વિષય બનતાં રહ્યાં. તેમના મૃત્યુ સાથે રાજકારણમાં સક્રિય રહી ચૂકેલા સરદારના વંશનો અંત આવ્યો.
Monday, April 27, 2009
મહેન્દ્ર મેઘાણી, મનમોહન સિંઘ અને મોદી
સમાચાર ચટપટી જગાડે એવા હતા. મહેન્દ્રભાઇને ચૂંટણી વિશે, સભા વિશે, મનમોહનસિંઘ વિશે, અમદાવાદ વિશે અને ઇન્ડિયન એક્સપ્રેસ વિશે શું કહેવાનું હશે, એવી અનેકવિધ જિજ્ઞાસા સાથે કશા સત્તાવાર પ્રયોજન વિના ફક્ત એમને મળવા માટે હું ગયો. એ વખતે અનાયાસે ઓફિસે આવેલા મિત્ર ચંદુ મહેરિયા પણ સાથે થયા.
બે-ત્રણ અઠવાડિયાં ભાવનગર જઇ આવ્યા પછી અમદાવાદમાં મંજરીબહેનને ઘેર રહેતા મહેન્દ્રભાઇ ઉનાળાને અનુરૂપ, ફક્ત લેંઘો પહેરીને કમરની ઉપરના ઉઘાડા ડીલે બેઠા હતા. (એ દૃશ્ય જોઇને મને ગાંધી-સરદાર-મહાદેવભાઇનો એક ફોટો યાદ આવ્યો, જેમાં ફક્ત સરદારે જ પહેરણ પહેર્યું છે અને બાકીની બન્ને મૂર્તિઓ પહેરણ વિના ફક્ત ધોતીભેર બેઠેલી છે.)
ગઇ કાલની સભા વિશે મહેન્દ્રભાઇને પૂછપરછ કરી એટલે એમણે ઇન્ડિયન એક્સપ્રેસને લખી મોકલેલો પત્ર વાંચી સંભળ્યાવ્યો. તેનો સાર એ હતો કે ચૂંટણીની અથવા બીજી સભામાં મોડા આવવું એ રાજકારણીઓએ અફર નિયમ બનાવી દીધો છે. વડાપ્રધાન મનમોહન સિંઘ બીજા રાજકારણીઓ કરતાં જુદા અને સારા છે. છતાં એ પણ કાલની ચૂંટણીસભામાં ૭૫ મિનિટ મોડા આવ્યા. ‘૮૬ વર્ષના પત્રકાર તરીકે હું તેમાં હાજર હતો’ એવી પોતાની ઓળખ આપીને મહેન્દ્રભાઇએ લખ્યું કે સિંઘ જેવા સુજ્ઞ માણસે આ રીતે પોતાના દેશવાસીઓનો હજારો માનવકલાકનો સમય ન વેડફાય તેનું ઘ્યાન રાખવું જોઇએ.
મારા માટે પહેલી નવાઇ તો એ કે મહેન્દ્રભાઇએ સવા કલાક સુધી મનમોહન સિંઘના આવવાની રાહ જોઇ! એ વિશે પૂછ્યું એટલે મહેન્દ્રભાઇ કહે,‘હું નક્કી કરીને ગયો હતો કે મનમોહન સિંઘને સાંભળીને જ આવીશ. નહીંતર તરત પાછો આવી ગયો હોત.’
એમને ચૂંટણી કે રાજકારણમાં રસ નથી. કિશોરલાલ મશરૂવાળાના પુસ્તક ‘સમૂળી ક્રાંતિ’નું એક પ્રકરણ ટાંકીને મહેન્દ્રભાઇ પ્રજાને કૂવા સાથે અને રાજકારણીઓને હવાડા સાથે સરખાવે છે અને કહે છે,‘હું કૂવો સાફ કરવાના કામમાં છું.’
મહેન્દ્રભાઇ નેહરૂ-ઇન્દિરા ગાંધી સહિત નેતાઓને સાંભળી ચૂક્યા છે, પણ યુવાવસ્થામાં તેમની પર વક્તા તરીકે સૌથી વઘુ અસર સમાજવાદી નેતા યુસુફ મહેરઅલીની પડી હતી. મુંબઇમાં સાંભળેલાં યુસુફ મહેરઅલીનાં પ્રવચનો તેમને ‘કન્વીન્સિંગ’ અને બરાબર યુવા નેતાનાં હોય એવાં લાગ્યાં હતાં. ઇન્દિરા ગાંધી હતાં ત્યાં સુધી રાજકારણમાં મહેન્દ્રભાઇનો રસ રહ્યો.
ઈંદિરાઘોષિત કટોકટીકાળમાં મહેન્દ્રભાઇ સંપાદિત ‘મિલાપ’માં કટોકટીના વિરોધમાં આવતા લેખો કરતાં તરફેણમાં આવતા લેખોનું પ્રમાણ વધી જવાને કારણે મનુભાઇ પંચોળી ‘દર્શક’ નારાજ થઇ ગયા હતા. તેમણે મહેન્દ્રભાઇને કહી દીઘું હતું કે ‘હવેથી મિલાપમાં મારા લેખ છાપવા નહીં.’ આ વાત પણ મહેન્દ્રભાઇ તેમની રાબેતા મુજબની, મુક્ત હાસ્યના છંટકાવ સાથેની શૈલીમાં જ કહે છે. કટોકટી વિશે મહેન્દ્રભાઇની માન્યતા વિનોબા ભાવે સ્કૂલની હતી. વિનોબાએ કટોકટીને ‘અનુશાસન પર્વ’ ગણાવી હતી.
જોકે, અત્યારે મહેન્દ્રભાઇ કહે છે કે એ ઉપમા યોગ્ય ન હતી. ‘મોટામાં મોટી (રશિયાની) ક્રાંતિ પણ સિત્તેર વર્ષમાં ભાંગી પડી અને રશિયા હવે બમણા જુસ્સાથી મૂડીવાદી બની રહ્યું છે. કારણ કે રશિયાની ક્રાંતિ લોહીથી સિંચાયેલી હતી. એટલે લોકશાહી વિના ઉદ્ધાર નથી, એવી મહેન્દ્રભાઇની દૃઢ માન્યતા છે.
નરેન્દ્ર મોદીને ભયંકર માણસ ગણાવીને મહેન્દ્રભાઇએ કહ્યું કે મોદી આખા ગુજરાતને પોતાની તરફેણમાં કરી શકશે, તો પણ એક માણસ (મ.મેઘાણી પોતે) તેની સામે બાકી રહેશે. મોદીની સાથે જોડાતા મુસ્લિમો વિશે તેમણે કહ્યું કે,‘એવી તસવીરો જોઇને ઘણી વાર મને થાય છે કે મુસ્લિમ એ છે કે હું છું? મુસ્લિમ એટલે ધર્મની રીતે નહીં, પણ અત્યાચારનો ભોગ બનનાર.’
મેં માનસશાસ્ત્રમાં સ્થાન પામેલા મનોવલણ ( સ્ટોકહોમ સિન્ડ્રોમ?) ની વાત કરી, જેમાં અપહૃત વ્યક્તિ કે સમુદાય અપહરણકર્તામાં પોતાના તારણહારનાં દર્શન કરે અને તેને સાચવી લઇશું તો પોતાની સલામતી જળવાઇ રહેશે એવું વિચારવા લાગે.
એક સમયે મહેન્દ્રભાઇ કલકત્તાથી નીકળતું ‘સ્ટેટ્સમેન’ દૈનિક લવાજમ ભરીને પોસ્ટમાં મંગાવતા હતા. ‘હવે મારા મત પ્રમાણે એનું ધોરણ પહેલાં જેવું નથી રહ્યું’ એમ કહેતા મહેન્દ્રભાઇ સ્ટેટ્સમેન મંગાવતા નથી. ‘હિંદુ’માં વાંચવા જેવું ઘણું આવે છે, પણ ફક્ત વાંચીને બેસી રહેવાનું મહેન્દ્રભાઇથી બનતું નથી. ‘સારૂં વાંચું તે બીજાને વહેંચું નહીં ત્યાં સુધી ચેન ન પડે.’ એટલે અત્યારે મહેન્દ્રભાઇ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ વાંચે છે અને ‘દિવ્ય ભાસ્કર’ ઘરે આવે છે એટલે જોઇ લે છે.
ગુજરાતનાં પખવાડિક ‘પોતાને વિચારપત્ર કહેવડાવતાં સામયિકો’ વિશે મહેન્દ્રભાઇએ કહ્યું કે ત્રણ સામયિકો પખવાડિક તરીકે નીકળતાં હોય અને મર્યાદિત- એના એ જ વર્તુળમાં ઓછી સંખ્યામાં જતાં હોય, એને બદલે એ ત્રણે ભેગા થઇને એક અઠવાડિક કાઢીને તેની ૫૦ હજાર નકલ કેમ ન છાપે?
૪ મેના રોજ અમેરિકા જતા મહેન્દ્રભાઇનો મત ભાવનગરમાં છે. એટલે ૩૦મી તારીખે ફક્ત મત આપવા માટે એ ભાવનગર જવાના નથી. ‘મતદાન પવિત્ર ફરજ છે’ વગેરે આદર્શો મેં સહેજ રમૂજ સાથે યાદ કરાવતાં મહેન્દ્રભાઇએ કહ્યું,‘એક મતથી એવો કંઇ ફેર પડતો નથી.’ ચંદુભાઇએ ઉમેર્યું,‘ભાવનગરમાં એવા કોઇ ઉમેદવાર પણ નથી, જેને મત આપવા આટલી દોડાદોડ કરવાનું મન થાય.’
Friday, April 24, 2009
ગાયક ચંદ્રુ આત્માની વિદાય

વિખ્યાત ગાયક સી.એચ.આત્મા (સાચું નામઃ હસમતરાય આત્મારામ ચૈનાણી)ના નાના ભાઇ ચંદ્રુ આત્મા આજીવન ‘સાયગલ સંધ્યા’ નામે સાયગલનાં ગીતોના કાર્યક્રમો આપીને જાણીતા બન્યા હતા. બેનેગલે ‘ભૂમિકા’માં સાયગલ-યુગની અસર પેદા કરવા માટે જ ચંદ્રુનો અવાજ વાપર્યો હતો. એમનો ઘેરો, સી.એચ.આત્મા જેવો અવાજ સંગીતકારોને પાર્શ્વગાયન માટે અનુકૂળ નહીં લાગ્યો હોય. એટલે તેમણે ફક્ત ચાર ફિલ્મમાં ગીત ગાયાં. હરીશભાઇએ રાબેતા મુજબના ઉત્સાહ અને ચીવટથી આપેલી માહિતી પ્રમાણે, એ ચાર ગીતોની વિગતઃ
1. મેરી ઝિંદગીકી કશ્તી- ભૂમિકા – 1977- સંગીતઃ વનરાજ ભાટિયા
2. હમ પાપી તુમ - સાહિબબહાદુર – 1977 – સહગાયકોઃ મહેન્દ્ર કપુર-અંબરકુમાર-ચંદ્રાણી મુખર્જી-દિલરાજ કૌર- સંગીતઃ મદનમોહન
3. સાંવરિયા તોરી પ્રીત- પ્રેમબંધન- 1978- લક્ષ્મીકાંત-પ્યારેલાલ
4. તુમસે બઢકર દુનિયામેં- કામચોર-1982- રાજેશ રોશન
‘કામચોર’ના ગીત વખતે ફિલ્મમાં રેકોર્ડ વાગતી બતાવાય છે, જેની પર ગવાતું ગીત ચંદ્રુના અવાજમાં છે. શરૂઆત પછીનું ગીત કિશોરકુમારના અવાજમાં શરૂ થાય છે.
ચંદ્રુના ભાઇ અને આજીવન સાયગલની છાયામાંથી બહાર નહીં આવી શકેલા સી.એચ.આત્માનો અવાજ મધુર હતો

ઓ.પી.નૈયરે સંગીતબદ્ધ કરેલા બિનફિલ્મી ગીત ‘પ્રીતમ આન મિલો’થી સીએચ આત્મા પ્રસિદ્ધ થયા. એ જ ગીત છેડછાડ સાથે ‘અંગૂર’માં ચંદ્રુ આત્માએ ગાયું હોવાની મારી છાપ હતી, પણ હરીશભાઇએ ખરાઇ કરીને કહ્યું કે એ અવાજ ‘અંગુર’ના સંગીતકાર આર.ડી.બર્મનના સહાયક સપન ચક્રવર્તીનો છે.
ફિલ્મસંગીતના ઇતિહાસમાં ચંદ્રુ આત્માનું નામ સી.એચ.આત્માની ફૂટનોટમાં (અને સી.એચ.આત્માનું નામ સાયગલની ફૂટનોટમાં?) લેવાશે.
કળાત્મક તસવીર-પ્રદર્શન
આ પ્રકારના મારાની વચ્ચે વચ્ચે ફોટોગ્રાફી વિશેની મૂળ સમજણ ટકાવી રાખવા અને તેને વિકસાવવાનું કામ કરી શકે, એવું એક તસવીર પ્રદર્શન અત્યારે અમદાવાદમાં ચાલી રહ્યું છે. ખરેખર તો પૂરું થવામાં છે. 26 એપ્રિલ છેલ્લી તારીખ છે.
આ પ્રદર્શનમાં તસવીરકાર મિત્ર વિવેક દેસાઇ, પત્રકારત્વમાં આવ્યા પહેલાં જેમની સાથે સંપર્ક હતો તે વલ્લભવિદ્યાનગરના સુનિલ અદેસરા અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર મનોજ ધોળકિયાની ચુનંદી તસવીરો મુકાઇ છે. મનોજભાઇની તસવીરોમાં પ્રકૃતિ અને પ્રાણીજગત પૂર્ણ કળાએ – તેના દસ્તાવેજી નહીં પણ કળાકીય સ્વરૂપે પ્રગટ થાય છે. સુનિલ અદેસરા આસપાસચોપાસ પ્રકૃતિની લીલા નીરખે છે અને તેને પોતે જુએ છે એ જ સ્વરૂપે આપણને બતાવે છે. વિવેક દેસાઇની તસવીરો આપણી આસપાસની જિંદગીની સામાન્ય ક્ષણોની અસામાન્યતા ફ્રીઝ કરીને આપણી સામે મુકે છે.
તસવીરો વિશે વધારે પિંજણ કરીને મારે ઉપર જણાવેલું પાપ વહોરવું નથી. અમદાવાદમાં રહેતા મિત્રોએ જોઇ આવવા જેવું પ્રદર્શન.
સ્થળઃ હરવીત્ઝ ગેલેરી, હુસૈન-દોશી ગુફા, વિક્રમ સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટર સામે
સમયઃ સાંજે ચારથી આઠ
(ડાબેથીઃ મનોજ ધોળકિયા, વિવેક દેસાઇ, સુનિલ અદેસરા)

Wednesday, April 22, 2009
Bharat Ek Khoj : Don't 'khoj', It's here !
For many die-hard fans of Shyam Benegal's epic 'Bharat Ek Khoj' (I'm one), DVD set of the said series proved to be quite a costly affair. Now most of the episodes of the series are availble - with its great title music + text- on
http://watchbharatekkhoj.blogspot.com/
I'm putting the link on my bog-roll too.
Enjoy.
(Have to write this post in english as Guj fonts are not handy rightnow.)
Tuesday, April 21, 2009
પદ્મપુરસ્કાર સમારંભઃ દિલ્હી દરબારની દેશી આવૃત્તિ?


બીજી અને મુખ્ય વાતઃ ‘પદ્મભૂષણ’થી સન્માનિત અને દિલ્હીના સમારંભમાં ઉપસ્થિત રહીને સન્માન સ્વીકારનાર વડોદરાના મ્યુઝિકોલોજિસ્ટ આર.સી.મહેતાને બીજા દિવસે બીરેન (કોઠારી) મળ્યો હતો.


Monday, April 20, 2009
ગુજરાતી શબ્દોના અક્ષયપાત્ર જેવા ‘ભગવદ્ગોમંડળ’ના સંપાદકઃ ચંદુલાલ પટેલ

