Wednesday, November 19, 2025
ઠંડીની ગરમ ચર્ચા
વાતાવરણમાંથી ઉકળાટને ધીમે ધીમે ખસેડીને ઠંડક તેનું સ્થાન જમાવે, તે ગાળો અહિંસક સત્તાપલટા જેવો હોય છેઃ પહેલાં લોકો આઘાત અને અસ્વીકારની લાગણી અનુભવે છે, પછી ધીમે ધીમે સ્વીકાર આવે છે અને આખરે, સૌ તે પરિવર્તનને અપનાવીને તેમાં મઝા કરવાના રસ્તા શોધે છે.
વહેલી સવારે કે મોડી સાંજે બહાર નીકળતા લોકોને એક દિવસ અચાનક ઠંડીના ચમકારાનો અનુભવ થાય છે. હજુ સુધી અંબાલાલે ઠંડીની આગાહી શરૂ કરી નથી, એટલે મોટા ભાગના લોકો શબ્દાર્થમાં ઉંઘતા, અને કેટલાક જાગ્રત લોકો જાગતા, ઝડપાય છે. ઉંઘનારા તો અડધી ઉંઘમાં પગ પાસે પડી રહેલું ઓઢવાનું ખેંચીને, તેને ઓઢી લઈને, સરેરાશ નાગરિકી જેમ વાસ્તવિકતાથી મોં ફેરવી લે છે, પણ જાગ્રત અવસ્થામાં હંમેશાં એવો વિકલ્પ હોતો નથી. આમ પણ ઘણા લોકો જાણે છે કે જાગ્રત હોય તેને બહુ મુશ્કેલી પડે છે. એટલે તેમની પહેલી પસંદગી ધરાર જાગ્રત ન થવાની હોય છે.
જાગ્રત જણને રસ્તા પર અચાનક ઠંડીનો અનુભવ થતાં, સૌથી પહેલી શંકા તેને પોતાની સ્વસ્થતા વિશે થાય છે. જાગ્રત જણની આ જ મુશ્કેલી હોય છે. ઊંઘી ગયેલાઓના આત્મવિશ્વાસનો પાર નથી હોતો, જ્યારે જાગતા ડગલે ને પગલે જાતને સવાલ કરે છે ને જાતની તપાસ કરે છે. મોસમમાં પહેલી વાર ઠંડી લાગતાં તે વિચારે છે,’તાવ-બાવ આવવાનો છે કે શું? આમ તો એવું કંઈ કારણ નથી. પણ વડાપ્રધાનને (વિદેશ) જવા અને તાવને આવવા માટે ક્યાં કંઈ કારણની જરૂર હોય છે? આરામના અભાવથી તાવ આવે, તેમ વધુ પડતા આરામથી પણ તાવ આવતો હશે? ઠંડી લાગે છે, પણ મારું શરીર ગરમ નથી. બને કે આંતરિક તાવ હોય ને બહાર ખબર ન પડતી હોય.’
આમ અનેક તર્કવિતર્ક લડાવતાં તે ઘરે કે ઓફિસે પહોંચે ત્યારે તેને ખ્યાલ આવે છે કે વાંક તેના શરીરનો નથી, ખરેખર ઠંડી શરૂ થઈ છે ને એવું બીજાને પણ લાગે છે. દરમિયાન, આગોતરા આયોજનના પ્રેમી હોય તેમણે તો તાવ આવ્યા પછી પડનારી માંદગીની રજામાં શું શું કરવું તે પણ વિચારી રાખ્યું હોય છે, પછી મામલો તાવનો નહીં, પણ ઠંડીનો છે તે સાંભળીને તેમને નવેસરથી, સંભાવિત રજા રદ થયાની, ટાઢ ચડી શકે છે.
કેટલાક લોકો દરેક વાત વિગતવાર, ચોક્કસ આંકડા અને હકીકતો સાથે કરવાનો આગ્રહ રાખે છે. એવા કોઈ કહી શકે છે,’જુઓ, આ સાલ તો હજુ લઘુતમ તાપમાન 26 ડિગ્રી છે. ગઈ સાલ તો નવેમ્બર મહિનામાં પારો 17 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આ સાલ ઠંડી અગિયાર દિવસ મોડી છે. તેની પહેલાંના વર્ષે છેલ્લાં દસ વર્ષમાં સૌથી વધારે ઠંડી પડી હતી અને આ સાલ છેલ્લાં પચીસ વર્ષમાં સૌથી વધારે સમય સુધી ઠંડી ચાલે એવી આગાહી છે. પછી લા નીના ઇફેક્ટને લીધે કશો ફેરફાર થાય તો કહેવાય નહીં.’ તેમની વાત સાંભળીને એવું લાગે, જાણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવતા કોઈ એન્જિનને આપણે ‘કેવી છે ઠંડી?’ એવો સવાલ પૂછી લીધો હોય.
ઠંડી શરૂ થયાની સત્તાવાર જાહેરાત તો હોતી નથી. એટલે તે ખરેખર શરૂ થઈ કે નહીં અને તેની સામે કેવાં પગલાં લેવાં, એ વિશે મતભેદ સર્જાય છે. એક જ પરિવારમાં એક જણને લાગે છે કે હજુ ઠંડી નહીં, ઠંડક શરૂ થઈ છે. એટલે પંખો તો કરવો પડે, પણ ઓઢવાનું રાખવાનું—અને કદાચ વહેલી સવારે પંખો બંધ કરવા જેવું લાગે તો કરી દેવાનો. બીજા સભ્યના મતે, વાતાવરણ ‘ગાઇડ’ના દેવ આનંદની જેમ, ‘ન સુખ હૈ, ન દુઃખ’વાળી અવસ્થામાં પહોચ્યું છે. નથી ઠંડી, નથી ગરમી. નથી ઉકળાટ, નથી ઠાર. ભણતી વખતે ભૂગોળમાં આવતો ભદ્રંભદ્રીય શબ્દ કોઈને યાદ હોય તો એ પ્રયોજતાં તે કહે છે, ‘આ સમશીતોષ્ણ વાતાવરણ છે.’ મતલબ, હજુ કશી ચર્ચા કરવાની જરૂર નથી. એક વાર સરખી ઠંડી પડવા દો. પછી જોઈશું.
કોઈ વળી વધારે વિશ્લેષણાત્મક અભિગમ અપનાવતાં કહે છે,‘આ તો પવનની ઠંડી છે. હજુ બેઠ્ઠી ઠંડી શરૂ થઈ નથી. એ પડશે ત્યારે કોઈને કહેવાની જરૂર નહીં પડે.’ મોસમના ફેરફારો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય તો તે કહેશે,‘હવે શાના પંખા કરવા છે? આટલી તો ઠંડી લાગે છે. હજુ શું બરફ પડે એની રાહ જોવાની છે?’ તે તાત્કાલિક ધોરણે રાહતસામગ્રીની (ચોરસા, રજાઈ કાઢી આપવાની) માગણી કરે છે. એક જ ઘરમાં ઠંડી વિશે આટલા મતમતાંતર જોઈને લોકશાહીના પ્રેમીઓને ઘડીક તો લોકશાહીનું ભવિષ્ય ખતરામાં લાગે છે. પછી તેમને યાદ આવે છે કે લોકશાહી આમ જ ટકી છે અને લગ્નની જેમ લોકશાહીને ટકાવવા માટે પણ બાંધછોડ અનિવાર્ય છે.
આગળ વર્ણવેલા પ્રકાર ઉપરાંત એક વર્ગ ‘વાંચો ત્યાંથી ઠાર’ પ્રકારનો હોય છે. તેમને ઠંડી વાતાવરણમાંથી નહીં, સમાચાર વાંચીને લાગે છે. ‘પારો ગગડ્યો’ પ્રકારના સમાચાર અને તેમાં લખાયેલા તાપમાનના આંકડા વાંચીને તેમને પશ્ચાદવર્તી (પાછલી) અસરથી ઠંડી લાગે છે. પડેલી ઠંડી તે સહી જાય છે, પણ એ ઠંડીનો આંકડો બીજા દિવસે છાપામાં વાંચીને તેમની પર ઠંડીનો નવેસરથી હુમલો થાય છે.
એવા લોકો છે ત્યાં સુધી અખબારોનું ભવિષ્ય ઉજળું છે.
Wednesday, November 12, 2025
ત્રાસવાદ, ધર્મ અને પ્રતિકાર
ધર્મ એટલે ફરજ-નૈતિકતા-સદાચારનો સરવાળો. ટૂંકમાં, પોતે છીએ તેના કરતાં વધુ સારા બનવા માટે શું કરવું જોઈએ તેની વાત. તેમાં ઝનૂન નથી હોતું. બીજા માટેનો વેરભાવ બિલકુલ નહીં. ધર્મની આ એવી વ્યાખ્યા છે, જેના બહુ લેવાલ નથી.
Monday, November 10, 2025
ઉપમાઃ નાસ્તો કે ભોજન?
ચીન, મેક્સિકો, ઇટાલી જેવા દેશોની ખાણીપીણીએ ગુજરાતી ભોજનરસિયાઓ પર કામણનાં આક્રમણ કર્યાં તે પહેલાં દક્ષિણ ભારતીય વાનગીઓ મોભાનું સ્થાન ભોગવતી હતી. ત્રણ-ચાર દાયકા પહેલાં બહાર જઈને ‘ઢોંસો’ ખાવો, એ ઇટિંગ આઉટનો એટલે કે બહારની ખાણીપીણીનો પર્યાય હતો. કોઈ દક્ષિણ ભારતીય કે દક્ષિણની પરંપરાથી પરિચિત જણ અગાઉનું વાક્ય વાંચશે તો તે ભડકો થઈ ઉઠશે. કારણ કે, દક્ષિણમાં તે વાનગીને ‘દોસા’ કે ‘દોસ્સા’ કહેવામાં આવે છે. ગુજરાતીઓને તેનો સ્વાદ તો અનુકૂળ આવ્યો, પણ ઉચ્ચાર જરા મોળો લાગતો હશે. એટલે તેમણે વાનગી ખાતાં પેટ ભરાય તેનાથી પણ પહેલાં, વાનગીનું નામ બોલવાથી મોઢું ભરાઈ જાય, એ માટે નામ પાડ્યું, ઢોંસા. ઉત્તપ્પમ કે અપમની તરાહ પર કોઈએ ‘ઢોંસમ્’ નથી કર્યું એ જ ગનીમત.
પ્રકાશ
ન. શાહનો કોપીરાઇટ ધરાવતી એક રમૂજ પ્રમાણે, એક સંશોધકે જાહેર કર્યું કે મહાકવિ
કાલિદાસ દક્ષિણ ભારતના હોવા જોઈએ. કોઈએ તેના દાવાનો આધાર જાણવા માગ્યો ત્યારે તેનો
જવાબઃ ‘સંસ્કૃતમાં
કહ્યું છે ને, ઉપમા કાલિદાસસ્ય.’ આમ તો
આ પ્રકાશભાઈની રમૂજ હતી, પણ ઓસ્ટ્રેલિયાનું નામ અસ્ત્રાલય હોઈ શકે, તો કાલિદાસ
દક્ષિણી પણ કેમ ન હોઈ શકે? આમ પણ,
ભારતે તક્ષશીલા-નાલંદા યુનિવર્સિટીનો વારસો ક્યાંય પાછળ છોડીને વોટ્સએપ
યુનિવર્સિટીનો ચીલો પકડ્યો છે, ત્યારથી ઇતિહાસની વાત કરવામાં રાજદ્રોહ લાગવાનું કે
આઇટી સેલમાં હોદ્દેદાર બની જવાનું જોખમ સમાયેલું હોય છે.
એટલે
વાત ફક્ત ઉપમાની. ઇડલી-દોસા (ઢોંસા) બહાર જઈને ખાવાની વાનગી, તો ઉપમા ઘરે બનાવાતી
ચીજ. પહેલાં તેનું લોકપ્રિય ગુજરાતી નામ હતું ‘તીખો શીરો’. તે નામ ‘સફેદ મેશ’ જેવું પરસ્પર વિરોધી (વદતોવ્યાઘાત)
લાગતું હતું. કદાચ એ જ કારણે તેની નવીનતા અને વિશેષતા પણ ઊભી થઈઃ ‘ગળ્યો શીરો તો સૌ કોઈ બનાવે, આ તીખો
શીરો છે, તીખો.’ ઉપમા નાસ્તો કહેવાય કે ભોજન, તે વિશે જેટલાં
પેટ, તેટલા અભિપ્રાય છે. કેટલાક લોકો ઉપમાને ભોજન ગણવાના ઉલ્લેખ માત્રથી તાડુકીને
કહે છે,’ઉપમા સરસ આઇટમ
છે. સારી લાગે. ભાવે, પણ ખાવામાં?’ પછી
તે એવી તુચ્છકારસૂચક ચેષ્ટા કરે છે, જેનો અર્થ થાય, ‘તમારી સાથે વાત શરૂ કરી, એ જ ભૂલ થઈ.’
આવા
લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે તે માનવતાનો હવાલો આપતાં કહેશે કે જેમને
સરખું ખાવા જોઈતું હોય તેમને ગમે તેટલી ઉપમા ખવડાવો તો પણ તેમનું પેટ ન ભરાય. એટલે
ભોજનમાં ઉપમા આપવી તે હકીકતમાં માણસને ભૂખ્યો રાખવા બરાબર છે અને ભૂખ્યા જનોનો
જઠરાગ્નિ જાગશે તો શું થશે તે હવે બધાને ખબર છે—કશું નહીં થાય, ભૂખ્યો જન કોઈ પક્ષ
કે નેતાની ઉશ્કેરણીના રવાડે ચડીને હુલ્લડખોરી કરશે અથવા કોઈકની ઉશ્કેરણીનો ભોગ બનશે
અને લાઠી-ગોળી ખાઈને પેટ ભરી લેશે.
ઉપમાની
વાત લાઠી-ગોળી સુધી પહોંચેલી જોઈને ઉપમાપ્રેમીઓ ખળભળી ઉઠશે. કેમ કે, તે ઉપમાને
શ્રેષ્ઠ આહાર માને છે. તેમની માન્યતાના સમર્થનમાં તે યુટ્યુબ પર ફાટી નીકળેલા
આરોગ્યનિષ્ણાતોની જેમ, ઉપમા કેવી રીતે સૌથી આરોગ્યપ્રદ હોઈ શકે છે, તેમાંથી કયાં
ફાયદાકારક તત્ત્વો મળશે ને કયાં નુકસાનકારક તત્ત્વો નહીં મળે તેની વાતો વિજ્ઞાનના
આધારો આપીને કરશે.
દલીલ
ખાતર તેમની વાત સાચી માનવામાં આવે તો પણ, એક મહત્ત્વની સચ્ચાઈ તે ભૂલી જાય છેઃ
ભોજનપ્રીતિ અને ભોજનપસંદગીનો સંબંધ વિજ્ઞાન સાથે નહીં, મનોવિજ્ઞાન સાથે વધારે હોય
છે. આરોગ્યઘેલા થઈને પોતાનું શારીરિક અને બીજાનું માનસિક આરોગ્ય બગાડી શકતા
આરોગ્યપ્રેમીઓને બાદ કરતાં, સામાન્ય-સ્વસ્થ લોકો કેલરી ગણીગણીને અને પોષક તત્ત્વો
વીણી વીણીને ભોજન કરતા નથી. તેમને માટે સ્વાદ અને જથ્થો બંનેનું મહત્ત્વ હોય છે.
એવા વર્ગ માટે ઉપમાને ભોજન ગણવી, તે ફિલ્મફેર એવોર્ડને ઓસ્કાર એવોર્ડ ગણવા જેવું
લાગી શકે.
કેટલાક
કદરદાનો ઉપમાની સાહિત્યિકતા પર ફીદા હોય છે. તે કહે છે,‘વાનગીઓનાં બીજાં નામોની સરખામણીમાં
ઉપમા નામ જ કેટલી મધુર અનુભૂતિ પેદા કરે છે. તેનામાં સાહિત્યનો રણકાર છે. અમને તો
ઉપમા ઉપ મા જેવી લાગે છે—જેમ ઉપરાષ્ટ્રપતિ હોય, ઉપપ્રમુખ હોય એમ ઉપમા. તેનાથી માની
રસોઈની અને માની યાદ આવી જાય છે.’
ઉપમા
બનાવતી વખતે તેમાં મરચાના ટુકડા, મીઠો લીમડો વગેરે અનેક એવી ચીજો નાખવામાં આવે છે,
જે સ્વાદ માટે જરૂરી, પણ ખાઈ જવાની હોતી નથી. એટલે ઉપમા ચમચીમાં ભરતાં પહેલાં,
તેમાંથી આ બધી બિનજરૂરી સામગ્રી દૂર કરીને ઉપમાને ‘ચોખ્ખી’ કરવી પડે છે. તે પ્રક્રિયા
ભાષા-સાહિત્યના કેટલાક પ્રેમીઓને પ્રૂફરીડિંગ જેવી લાગે છે. જેમ લખાણમાંથી
ભૂલોરૂપી કાંકરા દૂર કર્યા પછી તે છાપવાલાયક બને છે, તેમ ઉપમાનું પણ પ્રૂફરીડિંગ
કર્યા પછી જ તે ખાવાલાયક બને છે અને યોગ્ય રીતે તેનું પ્રૂફરીડિંગ ન થાય તો મરચું
ચવાઈ જવાનો સંભવ રહે છે.
આટલા
વર્ણન પરથી કોઈ રખે માને કે ઉપમા એક તકરારી કે સાહિત્યિક ગૂંચ ધરાવતી ખાદ્યસામગ્રી
છે. હકીકતમાં તે બીજી ઘણી ચીજો કરતાં સાત્ત્વિક અને પૌષ્ટિક છે. તકરાર તો ફક્ત
તેને ભોજન ગણવી કે નાસ્તો, તેની જ હોઈ શકે છે. તે ચર્ચામાં પડવાને બદલે, ‘જમવા બેસીએ ત્યાં સુધી ઉપમા ચાલશે’—એવી સમાધાનકારી ભૂમિકા પર આવી ગયા
પછી, બંને પક્ષો ઉપમાનો પૂરો આનંદ લઈ શકે છે.